કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી

From Ekatra Wiki
Revision as of 08:53, 21 August 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
શ્રીધરાણીની કવિતા

— ઉમાશંકર જોશી

‘કોડિયાં’ની 1934ની આવૃત્તિનું આ પુનર્મુદ્રણ-માત્ર નથી. 1927થી 1934ની એ કૃતિઓમાંથી જૂજ રદ કરીને બાકીનીને નવા ક્રમમાં અહીં રજૂ કરેલી છે, એટલું જ નહિ, કર્તાના અમેરિકાનિવાસનાં બાર વરસો સમેત કુલ ચૌદ મૌન-વરસો પછીનાં 1948થી 1956 સુધીનાં નવીન કાવ્યોનો પણ આ નવી આવૃત્તિમાં સમાવેશ થયો છે. ઓગણીસસો ત્રીસીના ગાળાના અપૂર્વ ચેતન-સ્પન્દની સાથે ગુજરાતમાં અનેક કવિકંઠ ખીલ્યા, તેમાં સાચી કવિતાનો રણકો જેઓના અવાજમાં વરતાતો હતો તેઓમાંના એક હતા શ્રીધરાણી. સુભગ શબ્દવિન્યાસ, તાજગીભર્યો લયહિલ્લોલ, સુરેખ ચિત્ર ખડાં કરતાં ભાવપ્રતીકો — આદિ દ્વારા શ્રીધરાણીની રચનાઓમાં જે અનાયાસ કલાસૂઝ પ્રગટ થતી તે કદાચ અજોડ હતી. શ્રીધરાણીની નવકવિતાની મોહિની કેવી હતી તે તો એમની રચનાઓ જેમજેમ પહેલી વાર પ્રસિદ્ધ થતી આવતી તેમતેમ તેના આસ્વાદથી આનંદરોમાંચ અનુભવનારાઓને પૂછવું જોઈએ. 1927માં સોળ વરસનો નવયુવક ગાંધીજીને —

         દાહભરી આંખો માતાની
         તેનું તું આંસુ ટપક્યું.
— એ રીતે ઓળખાવે છે.
પછીના વરસમાં પરી અંગે એ તરંગ ઉઠાવે છે:
     પતંગિયું ને ચંબેલી
     એક થયાં ને બની પરી

તો, ‘વલભીપુર’ના તરુણ કવિના દર્શનમાં દર્દમય ગભીરતા ઊતરી છે:

         ધૂળધૂળ ઢગલા ખડકાયા,
          પ્રલયપૂરના વાયુ વાયા;
          ધોમ ધખ્યા ને ખાવા ધાયા,
         તુજ પર વલભીપુર!
         તારાઓએ આંસુ પાયાં,
         પીલુડીએ ઢોળ્યા છાંયા;
         કરુણ સ્વર પંખીએ ગાયા,
         તુજ પર વલભીપુર!

1928નું જ ‘શુક્ર’ આખુંય કેવું સંઘેડાઉતાર છે! —

         સંધ્યાની સોનેરી ભાત
         ઝાંખી થાતાં ઊગે રાત;
         ઉઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
         કવિતા શો થાતો ચમકાર.
         ચળકે શુક્ર.


         રાત્રિનો મોતીશગ થાળ,
         હીરામોતી ઝાકમઝાળ;
         સુરસરિતાની રેતી ઘણી,
         કોણ બધામાં પારસમણિ?
         ઝળકે શુક્ર.
         ઉષા તણી નથડીનું નંગ,
         સ્નેહ સરીખડો તેનો રંગ.
         મલકે શુક્ર.

રાત્રિનો હૃદયઉઘાડ અને એમાં કવિતાના ચમકાર સમી શુક્રની આભા. પહેલી કડીમાં સંધ્યાશુક્રનું વર્ણન છે. બીજીનું વર્ણન સંધ્યાશુક્ર અંગે છે કે પ્રભાતશુક્ર અંગે કે બંને અંગે? અંતમાં પ્રભાતશુક્રની દ્યુતિને ‘ઉષા તણી નથડીનું નંગ’ એ અપૂર્વ ચિત્રમાં મઢી લીધી છે. પલકપલક થતી શુક્રની તેજસ્વિતાને ‘ચળકે’ ... ‘ઝળકે’ ... ‘મલકે’ એ શિલ્પ દ્વારા પ્રગટ કરી દીધી છે એ છૂપું રહેતું નથી. છેક 1926માં, લઘુની એક માત્રા અને ગુરુની બે એ જ્ઞાન પામવા ભાગ્યશાળી થનાર મારા જેવાને તો શ્રીધરાણી જેવાએ કાવ્યરચનાનાં 1927 અને 1928 એ પ્રથમ બે વરસોમાં જ છંદોરૂપોની જે રમ્ય વિવિધતા સિદ્ધ કરી છે તે સવિશેષ આશ્ચર્ય ઉપજાવે. સ્વતંત્ર રીતે પણ એ હકીકત શ્રીધરાણીની સહજ કાવ્યસિદ્ધિનો પરિચય કરવા માગતા અભ્યાસી માટે નોંધપાત્ર છે. દક્ષિણામૂર્તિ જેવી પ્રાણવાન શિક્ષણસંસ્થાનું — અને ગુજરાતી વાણીના એક સંસ્કારમથક ભાવનગરનું — વાતાવરણ શ્રીધરાણીના ઝડપથી વિકસેલા કાવ્ય-કલાકૌશલને ઉપકારક નીવડ્યું હોય તો નવાઈ નહિ.

’27નાં પીલુડી અને આશા જોડકણાંના લયમાં

ભાઈ! પેલી પીલુડી,
ઘેરીઘેરી લીલુડી
આભ મોટું પાંદરડું,
ઉપર ચળકે ચાંદરડું.

એ રીતે શરૂ થાય છે, પણ જરીક આગળ વધતાં ચોપાઈમાં ઢળાઈ જાય છે. વસંતના અવતાર અને પાંચીકડા ચોપાઈમાં જ છે. ચાર અને બેમાં વહેંચેલી ચોપાઈની છ પંક્તિની કડી તરત ધ્યાન ખેંચે છે. એમાંની છેલ્લી બે પંક્તિ ચોપાઈની રહેવા દઈ, આગલી ચારને સવૈયાનું રૂપ આપવાથી અભિલાષા અને પતંગિયું અને ચંબેલી નો નવો જ લય સિદ્ધ થાય છે. ચોપાઈની છે પંક્તિની કડીમાં પહેલી અને ત્રીજી પંક્તિમાં પંદરને બદલે સોળ માત્ર કરવાથી સવૈયાની લાંબી બે અને ચોપાઈની ટૂંકી બે પંક્તિનો આ લય શ્રીધરાણીએ પોતે ઉપજાવ્યો હશે એવું સૂચવવાનો આશય નથી, સંભવત: શ્રી ત્રિભુવન વ્યાસનાં નવાં ગીતોમાંથી એમને મળેલો છે. પણ એક નવકવિની સર્જકતા જોડકણું — ચોપાઈ — સવૈયાચોપાઈ એ માર્ગે કેવી સહજપણે વહે છે એ રસપ્રદ છે. ચોપાઈ(દાદા દાદા દાલ)માંથી સવૈયામાં જે સરળતાથી સરી જવાય, તે જ સરળતા ચોપાઈના આકાર સાથે રમવામાં પણ છે. પતંગિયું અને ચંબેલીમાં છેલ્લી બે ચોપાઈ-પંક્તિઓમાં છેલ્લો લઘુ ખંખેરી દીધો છે, વલભીપુરમાં ચાર માત્ર અને શુક્રમાં આઠ માત્રા ટાળીને અંતિમ પંક્તિઓની મનોહરતા સાધી છે અને ચોપાઈ જેવા અતિપ્રચલિત છંદને તાજગી બક્ષી છે. મૌલિકતાના આ ઉન્મેષો સંપ્રજ્ઞાતપણે પ્રગટાવ્યા હશે કે સર્જનના વેગમાં જ સિદ્ધ થયા હશે? વલભીપુરમાં આરંભની બે કડી અંજનીમાં અને છેલ્લી ચોપાઈમાં છે એ બતાવે છે કે કર્તાના લોહીમાં ઊછળતો લય મુખ્યતયા ચોપાઈ છે અને એ વિવિધ આકારો ધારણ કરે છે. ઉપજાતિ અને ગીતોના લય ઉપરાંત વાતાવરણમાં ગુંજતા નવા છંદો 1928માં જ શ્રીધરાણી યોજે છે. યુવાનને અને સલામ નવપ્રચલિત પૃથ્વીમાં છે. ઊર્મિ નિયમિત પંદર શ્રુતિમાં હોઈ ચામરછંદમાં લેખાય, પણ પછીના વરસનું સ્મૃતિજીવન નવા ગુલંબંકીમાં જ છે. 1934 સુધીની શ્રીધરાણીની કવિતા જોઈશું તો જણાશે કે સમકાલીનોના પદ્યલેખનમાં જે ખાસિયતો ઊડીને આંખે વળગે છે, જે કેટલીક ભંગિઓ ફૅશનરૂપ બની છે, તેમાં એ બંધાયા નથી. આપણે જોયું તેમ છંદોને શરૂઆતથી જ એ રૂઢિથી બહાર નીકળી તાજગીભરી રીતે વાપરે છે. શું બળવંતરાય ઠાકોર, ચારે બાજુથી એ અસરો પણ પચાવે છે (કાન્તના ઉપહારનો ઘાટ અવગણનાને આપે છે), તેમ છતાં કોઈ એકમાં પુરાઈ જતા નથી. પૃથ્વી અણે ગુલબંકી એ આરંભમાં જ યોજે છે. એમની કૃતિઓમાં બે અથવા પંક્તિ છૂટી જોવા મળે છે, તેમ છતાં સામાન્યપણે ચાર લીટીના શ્લોકની રચના હોય છે. એક પંક્તિમાંથિ બીજીમાં પ્રવાહ ચાલતો જોઈ શકાય છે, શુક્રની ચોપાઈની આરંભની બે પંક્તિઓ અને નિધનની પછીતે તેમ જ સ્તંભ સ્વાતંત્ર્યનોના પૃથ્વીમાં અને અન્યત્ર એના નમૂના મળશે. પણ અનેક પંક્તિઓમાં વાક્યને વહેવડાવતી અર્થાનુસારી પદ્યરચના — છંદોની પ્રવાહિતા — નો આગ્રહ એમની કૃતિઓમાં નથી. પ્રો. ઠાકોરની બીજી એક અસર વધુ મહત્ત્વની હતી: કાવ્યમાં વિચારપ્રધાન્ય અંગેની. એ સમયમાં પ્રચલિત થવા માંડેલા વિચારપ્રધાન્યનો ઝંડો શ્રીધરાણીના હાથમાં દેખાતો નથી. ત્રીજું, સમકાલીનોની, ક્યારેક જુગુપ્સાભરી વીગતોની રજૂઆતમાં રાચતી, વાસ્તવ-લગની પણ એમનામાં જોવા મળતી નથી. તો, શ્રીધરાણીની કવિતાનું આકર્ષણ શામાં રહેલું છે? ત્રણ લક્ષણો તરત ધ્યાન ખેંચે છે. એક તો કમનીય રસાજ્જ્વલ પદાવલિ (diction), બલકે કાવ્યદેહની કીટ્સની યાદ આપે એવી ઇન્દ્રિયગ્રાહ્યતા (sensuousness); બીજું, બુલંદ ભાવનામયતા; અને ત્રીજું, જીવનના વાસ્તવની સહજ પકડ, આ તત્ત્વો વડે શ્રીધરાણીનો કાવ્યપંડિ આગવી રીતે જ ઘડાયો છે અને અનોખું સૌન્દર્ય સિદ્ધ કરી શક્યો છે. એમની કાવ્યરચના ઉપર સમકાલીન ઘડતરબળોની અસર પડી છે, પણ એમણે વિચારપ્રધાન્ય, વાસ્તવવીગતો, છંદપ્રવાહિતા, — એમાંથી કશાનો અભિનિવેશ કેળવ્યો નથી. ભાવનાઓમાં પણ ગાંધીવાદ અને એને પગલેપગલે આવેલો સમાજવાદ શુદ્ધ રૂપમાં — માનવવાદના રૂપમાં અને ઘણુંખરું કાવ્યને અનુકૂળ રીતે એમની કવિતામાં પ્રવેશ્યા છે. ટૂંકામાં, કાવ્યરચનાવિષયક અને જીવનવિષયક બધી અસરોનો પ્રભાવ શ્રીધરાણીએ અવશ્ય અનુભવ્યો છે પણ પોતાની કૃતિઓમાં સૌન્દર્ય કે કલાત્મકતા કરતાં બીજા કશા વિશે વધારે પડતો આગ્રહ સેવ્યો લાગતો નથી.

શ્રીધરાણીની કવિતાની ઇન્દ્રિયગ્રાહ્યતા આંખ આગળ લીલયા રચાતાં ચિત્રો દ્વારા અને અંત:શ્રુતિને વશ કરતા ધ્વનિએકમો દ્વારા મુખ્યત્વે પ્રગટ થાય છે. ચિત્રો કેવા સુરેખ અનુભવાય છે!