ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ

Revision as of 13:42, 26 January 2022 by KhyatiJoshi (talk | contribs)


ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ
(રંગમંચ પર સંપૂર્ણ અંધકાર)


સૂત્રધાર

જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ.
ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.

(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)


સૂત્રધાર

દિલ્હીના બિરલા હાઉસના બાગમાં
ગોળી ઝીલનારના અંતિમ શબ્દો હતા હે રામ.
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો.

બીજા ભારતમાતાના સપૂત
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા

તારી સૃષ્ટિના પથ પર
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે,
હે છલનામયી.
જે અનાયાસે છલના સહી લે છે,
તેને તારા જ હાથે મળે છે
અક્ષય શાંતિનો અધિકાર.

પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે.

મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની –
એક સંત અને બીજો કવિ,
એક ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતનો
અને બીજો પૂર્વના બંગાળનો,
એક બીજાને ગુરુદેવ કહેતો અને બીજો પહેલાને મહાત્મા!
પરસ્પર વચ્ચેનો સ્નેહ અને સન્માન
મિત્રોમાં પણ ભાગ્યે જ જોવા મળે
અને તેમની વચ્ચેના મતભેદો
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે!

રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા.
તેમણે પોતાના જન્મના સમયને
બંગાળના જીવનમાં વહી રહેલા ત્રણ પ્રવાહોના
સંગમના સમય તરીકે બિરદાવ્યો છે.
આ ત્રણ પ્રવાહો
સાહિત્ય, ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં વહી રહ્યા હતા.
આ ત્રણે ક્ષેત્રોમાં
અંગ્રેજોને લીધે પાશ્ચાત્ય અસરનો અગત્યનો ફાળો હતો.
ટાગોર પરિવાર ભારતીય સંસ્કૃતિ અને વિચારધારામાં
તરબોળ હોવા છતાં
અજુગતી રૂઢિનું તર્કસંગત આધુનિક પાશ્ચાત્ય વિચારોથી મૂલ્યાંકન કરી શકે તેટલો સંસ્કાર સંપન્ન હતો.
આ ત્રણેય પ્રવાહોની અસર સમગ્ર સમાજ પર હોવા છતાં રવીન્દ્રનાથ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે
જેમની આગવી અને ન ભૂંસાય તેવી છાપ
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે.
આ છે રવીન્દ્રનાથની મહત્તા.

આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી.
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો.
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ
ગુજરાતમાં પગપેસારો કરવાનો હજી બાકી હતો.
ગાંધીજી એક રજવાડાના દીવાનના પરિવારમાં જન્મ્યા હતા.
તેમના બાળપણ અને કિશોરકાળમાં કાંઈ નોંધનીય ન હતું.
સાચું અને ખોટું, સદાચાર અને દુરાચાર, પાપ અને પુણ્યના રૂઢિગત ખ્યાલોથી તેમનાં નૈતિક મૂલ્યો ઘડાયાં હતાં.
તેમની મર્મગ્રાહી પ્રકૃતિને કારણે
તે આજીવન તેને વળગી રહ્યા હતા.
કાયદાના અભ્યાસ માટે રવીન્દ્રનાથની જેમ જ
તે પણ વિલાયત ગયા હતા
પણ તેઓ બૅરીસ્ટરની ઉપાધિ મેળવીને પાછા ફર્યા હતા.
સ્વદેશમાં ઉજળી તકનો અભાવ લાગવાથી
તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા.
ત્યાંના વસવાટ દરમિયાન તેમને મળ્યું જીવનનું ધ્યેય
જેની સાધનામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.
ત્યાંના દમનગ્રસ્ત અને શરમજનક વાતાવરણમાં
તેમના વ્યક્તિત્વમાં સૂષુપ્ત ખાસિયતો ખીલી ઊઠી.
સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્યને પોતાના જીવનનું ધ્યેય માન્યું.
પોતે માનેલા નૈતિક મૂલ્યોના આધારે મૂલ્યાંકન કર્યા પછી
તેમની સમગ્ર પ્રવૃત્તિનો પ્રવાહ આ જ દિશામાં વહેતો.
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન –
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા.

કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું.
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે.

પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી
તેઓ એકબીજાને મળ્યા હતા.
પ્રથમ મુલાકાતના સમયે બંને
આખાય જગતમાં સુવિખ્યાત હતા.

તેમના જીવનકાળ દરમિયાન
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી.
આ પ્રાણપૂરક જાગૃતિના સંચારક ગાંધીજી હતા
એ વાત નિર્વિવાદ છે.
પણ રવીન્દ્રનાથ તેમના મહાન સંત્રી હતા
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે.
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે.

તેમની વચ્ચેની ચર્ચા
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી.
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે
તો બીજા માનતા કે સમષ્ટિ છે!
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની.

ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે.
ગાંધીજી, આપને યાદ છે કે
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?

ગાંધીજી:
મને ચોક્કસ યાદ નથી આવતું પણ ૧૯૦૧માં હોઈ શકે.

તે સમયે હું દક્ષિણ આફ્રિકાથી કૉંગ્રેસના અધિવેશન માટે કલકત્તા આવ્યો હતો. ત્યાંના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિ મારે રજૂ કરવી હતી. ત્યારે હું ગુરુદેવના પિતા, મહર્ષિ દેવેન્દ્રનાથને મળવા ગયો હતો પણ તેમની તબિયત અસ્વસ્થ હોવાથી તેમને મળી શક્યો ન હતો. હવે મને કહેવામાં આવે છે કે તે વખતે

સરલાદેવી ચૌધરાણીએ એક સમૂહગાનનું સંચાલન કર્યું હતું. પણ તેમને પણ હું તે સમયે મળ્યો હોઉં એવું યાદ નથી.
રવીન્દ્રનાથ:
તે સમયે હું કૉંગ્રેસની સ્વાગત સમિતિનો સભ્ય હતો પણ મહાત્માજીને મળ્યાનું મને સ્મરણ નથી.


સૂત્રધાર
{{Story |story =
૧૯૦૧માં રવીન્દ્રનાથની વય હતી ૪૦ અને ગાંધીજીની ૩૨.

બંને પોતાની પ્રવૃત્તિના ક્ષેત્રની બહાર ખાસ જાણીતા ન હતા. બંગાળના સાહિત્ય-વર્તુળની બહાર રવીન્દ્રનાથને અને દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની બહાર ગાંધીજીને ઓળખનારા ઓછા જ હશે. ડિસેમ્બર ૧૯૧૩માં રવીન્દ્રનાથના બે મિત્રો, ચાર્લી એન્ડ્રુઝ અને વિલિ પિયરસન ગાંધીજીને મદદરૂપ થવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. તેમની વિદાયના બે દિવસ પહેલાં કોલકતાના ટાઉન હૉલમાં રવીન્દ્રનાથ અને બીજાઓએ દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિનો વિચાર કરવા માટે એક સભાનું આયોજન કર્યું હતું. ઍન્ડ્રુઝ બંનેની વિચારશ્રેણીમાં રહેલું સામ્ય તરત જ જોઈ શક્યા. તેમણે રવીન્દ્રનાથને જાન્યુઆરી ૧૯૧૪માં લખ્યું,

મને શ્રી ગાંધીનો દૃષ્ટિકોણ સમજવા અને સ્વીકારવામાં કોઈ જ તકલીફ પડી નહીં કારણ કે તેમનામાં અને તમારામાં ખાસ કોઈ તફાવત નથી. બંને માનો છો, સાચા સ્વાતંત્ર્યમાં, આધ્યાત્મિક શક્તિ પર આધાર રાખવામાં, દુન્યવી શક્તિ સામે નિર્ભય અભિગમમાં અને સમષ્ટિ પ્રતિ સદ્ભાવ અને સહાનુભૂતિમાં.

આને બંને માહાનુભાવોનું સચોટ મૂલ્યાંકન કહી શકાય.

૧૯૧૪માં જ્યારે ગાંધીજીએ પોતાનો ફીનીક્સ આશ્રમ બંધ કરીને ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો ત્યારે ચાર્લી ઍન્ડ્રુઝે સૂચન કર્યું કે ભારતમાં કાયમી વ્યવસ્થા થાય ત્યાં સુધી તેમના અંતેવાસીઓએ ગુરુદેવના શાંતિનિકેતનમાં રહેવું. અને આમ નવેમ્બર ૧૯૧૪માં

ફીનીક્સના છોકરાઓ શાંતિનિકેતન પહોંચ્યા.