ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/પ્રાસ્તાવિક

From Ekatra Wiki
Revision as of 21:46, 15 January 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| | }} {{Poem2Open}} રોમાં રોલાંએ લખ્યું છે: ટાગોર અને ગાંધી, બંને એક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રોમાં રોલાંએ લખ્યું છે: ટાગોર અને ગાંધી, બંને એકબીજાને આદર અને સન્માનપૂર્વક જોતા હતા પણ તેમના દૃષ્ટિકોણમાં આસમાન અને જમીન જેટલો તફાવત હતો. એક હતા પ્લૅટો જેવા ચિંતક તો બીજા હતા સેન્ટ પૉલ જેવા સંત. આ બે મેધાવી પુરૂષો વચ્ચેનો વિવાદ અગત્યનો છે કારણ કે એક તરફ છે મુક્ત, સરળ અને મહાન મેધા જે મનુષ્યની બધી જ આકાંક્ષાને સહાનુભૂતિ અને શાણપણમાં ઢાળવા માંગે છે તો બીજી તરફ છે ધાર્મિક શ્રદ્ધા અને સખાવતનું હાર્દ જે ઝંખે છે એક નવીન માનવતાનું પ્રસ્થાપન. રવીન્દ્રનાથના મૃત્યુ પછી થોડા જ સમય બાદ, તા. ૨૭.૮.૧૯૪૧ના એક પત્રમાં જવાહરલાલ નેહરૂએ કૃષ્ણ કૃપલાનીને લખ્યું હતું: ગુરુદેવ અને ગાંધીજીનો સંદેશ સમગ્ર જગતને માટે હતો. પણ તેઓ બંને ભારતમાતાના સંતાન અને વારસદાર હતા તેમ જ ભારતની પ્રાચીન સંસ્કૃતિના પ્રતિનિધિ અને પ્રદર્શક હતા. આશ્ચર્યની વાત છે કે તે બંને વચ્ચે આટલું સામ્ય હોવા છતાં અને બંનેની પ્રેરણા એક જ વિદ્વત્તા, વિચાર અને સંસ્કૃતિના સ્રોતમાંથી મળેલી હોવા છતાં બંને વચ્ચે આટલો મતભેદ હતો. કદાચ કોઈ પણ બે માણસો વચ્ચે આ બે જેટલો મતભેદ નહીં હોય! રવીન્દ્રનાથ અને ગાંધીજીના સંબંધની શરૂઆત થઈ ત્યારે રવીન્દ્રનાથની વય હતી ૫૪ અને ગાંધીજીની ૪૬. તેમણે ક્યારેય એકબીજાની સાથે કામ કર્યું ન હતું કે તેઓ સાથે રહ્યા ન હતા. તેમનો સંબંધ વિવાદના વંટોળમાં ફંગોળાયો હતો અને છતાં ય તેમના સ્નેહ અને સન્માનની માત્રામાં ક્યારેય ઓટ આવી ન હતી. આ એક રહસ્યમય અને વિસ્મયકારક હકીકત છે. જ્યારે કોઈ વ્યક્તિત્વને અતિક્રમીને વ્યક્તિને પામી શકે ત્યારે જ આ શક્ય થઈ શકે. રવીન્દ્રનાથ અને ગાંધીજી, બંને સત્યની શોધમાં નીકળેલા બે યાત્રીઓે હતા. બંનેના માર્ગ જુદા હતા અને બંનેને પોતાના માર્ગમાં અતૂટ અને અખૂટ શ્રદ્ધા હતી તેમ જ બીજાની નિષ્ઠામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. સવ્યસાચી ભટ્ટાચાર્ય સંપાદિત ધ મહાત્મા ઍન્ડ ધ પોએટ વાંચતાં આ પ્રયાસનો વિચાર આવ્યો હતો. આ પુસ્તકમાં રવીન્દ્રનાથ અને ગાંધીજી વચ્ચેેના પત્ર-વહેવાર તેમ જ લેખોનું સંકલન કરવામાં આવ્યું છે. બીજા સંદર્ભોનો વિગતવાર ઉલ્લેખ અંતમાં કરેલો છે. પ્રાસ્તાવિક અને પરિશિષ્ટ સિવાય પાદટીકા અનુચિત માનીને આપેલી નથી. શ્રી નિરંજન ભગત અને શ્રી ભોળાભાઈ પટેલ મારા પ્રત્યેક પ્રયાસોમાં પ્રેરણા અને સહકાર આપતા રહ્યા છે. શ્રી કેતકી કુશારી ડાયસન હંમેશા અગત્યના સંદર્ભો વિશે માહિતી પૂરી પાડતા રહ્યા છે. રવીન્દ્ર ભવન, શાંતિનિકેતનના વિપુલ સંગ્રહ સાથેની કડી પૂરી પાડી છે શ્રી સુપ્રિયા રોયે. શ્રી સ્વપન મજુમદાર અને શ્રી શંખ ઘોષના વિદ્વત્તાપૂર્ણ સૂચનોનો લાભ મને મળ્યો છે. શ્રી ત્રિદિપ સુહૃદના ગાંધીજી વિશેના ઊંડા અભ્યાસનો લાભ પણ મળ્યોે છે. સર્વેનો હું નિષ્ઠાપૂર્ણ આભાર માનું છું. એક સન્માનીય કવિ અને રવીન્દ્રનાથના સુવિખ્યાત અનુવાદક, પ્રો. વિલિયમ રૅડિચિની એક કવિતાનો અહીં ઉપયોગ કરવા દેવા માટે હું તેમનો ઋણી છું. શ્રી અવનીન્દ્રનાથ ટાગોર અને શ્રી જામિનિ રોયના ચિત્રોનો ઉપયોગ કરવાની અનુમતિ આપવા માટે હું અનુક્રમે પ્રો. ર. શિવ કુમાર, પ્રિન્સિપાલ, કલાભવન, શાંતિનિકેતન, અને શ્રી દેવવ્રત રોયનો આભારી છું. તેમના સંપૂર્ણ સ્વીકાર અને સહકાર માટે મારા પરિવારજનોનો તો હું સદાકાળ ઋણી છું જ. શૈલેશ પારેખ પરિતોષ, કૃષ્ણ સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૦૬. ઑક્ટોબર ૨૦૦૯