ગાતાં ઝરણાં/સાચો કવિ

From Ekatra Wiki
Revision as of 02:01, 14 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાચો કવિ


જેના વિચારોની દુનિયા નવી,
તેને હું માનીશ સાચો કવિ.

શુષ્ક જીવનમાં આનંદ આણી શકે,
જોઈ મુખ, વાત અંતરની જાણી શકે;
વ્હેણ જેને સમયનાં ન તાણી શકે,
સત્ય શોધે અને જે રહે વર્ણવી,
તેને હું માનીશ સાચો કવિ.

જેની દાસી બનીને રહે કલ્પના,
જેની દૃષ્ટિને શોધ્યા કરે પ્રેરણા;
હો અચળ જેના સિધ્ધાંત પર્વત સમા,
ધ્યેય રાખે જે મરતાં સુધી જાળવી,
તેને હું માનીશ સાચો કવિ.

એક વિશાળ આત્મ-ઓજસ હો જેની કને,
જેને પગલે નૃતન એક કેડી બને;
જાય બંધાઈ જે પ્રેમનાં બંધને,
પરની દાઝે રહે જેનું હૈયું દ્રવી,
તેને હું માનીશ સાચો કવિ.

છે ખરા અર્થમાં તે કવિતા ‘ગની’,
જે રહે એક આદર્શ ગાથા બની;
ભાવના જેમાં હો વિશ્વબંધુત્વની,
લેખિની જેની સર્જે નવો માનવી,
તેને હું માનીશ સચો કવિ.

૨૯-૯-૧૯૪૫