ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/અનુવાદ-વિવેચનસંદર્ભે નગીનદાસ પારેખ

From Ekatra Wiki
Revision as of 01:07, 7 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અનુવાદ-વિવેચન સંદર્ભે નગીનદાસ પારેખ

નગીનદાસ પારેખની સાહિત્યસેવા એક મહત્ત્વાકાંક્ષી સ્વતંત્ર અભ્યાસગ્રંથનો વિષય બની શકે એવું ગજું ધરાવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં સર્જકો વિશે લાંબા અભ્યાસો થાય છે એવા અભ્યાસો કોઈ અનુવાદક કે વિવેચક કે સંશોધક વિશે થતા નથી. એ કામ અલબત્ત, ઘણા સ્તરોમાં ઊંડે ઉતારનારું ને એથી કષ્ટસાધ્ય નીવડે એવું હોય છે. પણ એવા અભ્યાસો થવા જોઈએ.

નગીનભાઈનું સાહિત્યકાર્ય નગીનદાસ પારેખે અનુવાદ-સંપાદન-સાહિત્યવિવેચન અને અન્ય વિષયોનાં થઈને સો ઉપરાંત પુસ્તકો લખ્યાં છે – એમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના ૩૦ ગ્રંથો ઉમેરવાના થાય. એક લેખક તરીકે નગીનભાઈની મુખ્ય ઓળખ કઈ? ખરેખર તો તે સમાન ભાવે ને સમાન દરજ્જે અનુવાદક તથા વિવેચક-સંશોધક હતા. આપણે જો કવિ-વિવેચક અને પંડિત વિવેચક જેવી ઓળખસંજ્ઞાઓ યોજતા હોઈએ તો એમને નિઃશંકપણે શિક્ષક-વિવેચક એટલે કે શિક્ષક, માટે વિવેચક; કે શિક્ષક એવા વિવેચક કહેવા પડે. એમ પણ કહી શકાય કે એમણે મહદંશે માધ્યમ અનુવાદનું સ્વીકાર્યું અને એમાં દૃષ્ટિપ્રવર્તન એક શિક્ષકનું ને પછી વિવેચક-સંશોધકનું રહ્યું. શિક્ષકના સ્વાધ્યાય તરીકે, મૂળ ગ્રંથને સમજવા ને પછી સમજાવવા એમણે અનુવાદની મદદ લીધી. સાહિત્યવિચારના ગ્રંથોના અનુવાદ એમણે શિક્ષક તરીકેની – અધ્યાપનની – એક અનિવાર્યતા લેખે પસંદ કર્યા હતા. પણ એમનું કાઠું એક સંશોધક વિદ્વાનનું, અને એટલે જ વિષયના મૂળમાં ઊતરવાનો, શક્ય એટલી વધુ આધારસામગ્રી અને સંદર્ભસામગ્રી મેળવવાનો અને તથ્યલક્ષી પરીક્ષણ સતત કરતા જવાનો શ્રમસાધ્ય રસ્તો એમણે અપનાવેલો. મૂળ ગ્રંથ જોયા વિના મને ચેન પડતું નથી – એ મતલબની વાત એમણે ઘણી વાર કરેલી. અનુવાદથી આગળ એ વિવેચનમાં, પરિચય-સમીક્ષા-પરીક્ષામાં ગયા એ પણ સંશોધકની ખણખોદવૃત્તિથી ગયા છે – પ્રાથમિક રીતે ને વિશેષપણે એમનું ધ્યાન રસલક્ષી તપાસ કરતાં વધુ તો તથ્યલક્ષી તપાસમાં અને એના પરીક્ષણમાં કેન્દ્રિત થયલું હોય છે. અનુવાદ હોય કે સંપાદન-વિવેચન – એમનું કામ એક પ્રકલ્પ રૂપે, એક પ્રૉજેક્ટ તરીકે ગોઠવાયેલું રહ્યું છે.

અનુવાદક નગીનદાસ નગીનદાસ પારેખનાં મોટા ભાગનાં પુસ્તકો અનુવાદનાં છે. એટલે પહેલી દૃષ્ટિએ એમની મુખ્ય સાધના અનુવાદક તરીકેની રહી છે. શાંતિનિકેતન જઈને બંગાળીનો સીધો, અંતરંગ પરિચય પામ્યા એ પહેલાં, વિદ્યાપીઠમાં બંગાળી ભણતાં ભણતાં જ, ૧૯ વર્ષની વયે ઉપેન્દ્રનાથ વંદ્યોપાધ્યાયની ‘નિર્વાસિતેર આત્મકથા’નો ગુજરાતી અનુવાદ એમણે કરી દીધેલો – સ્વાધ્યાયના એક ભાગ તરીકે. પણ એમનું ખરું અનુવાદકાર્ય આરંભાય છે વિશ્વભારતીમાંથી પાછા આવ્યા બાદ. બંગાળીમાંથી એમણે મહત્ત્વની સર્જનાત્મક કૃતિઓના અનુવાદ આપ્યા છે. એમાં રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદ અગ્રિમ સ્થાને છે. ‘ઘરે બાહિરે’, વગેરે જેવી પ્રથિતયશ નવલકથાઓ ઉપરાંત રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’, વગેરે કવિતા, ‘ડાકઘર’ વગેરે નાટ્યકૃતિઓ, ‘રવીન્દ્રપત્રમર્મર’ અને રવીન્દ્રનિબંધમાળાના અનુવાદ એમણે આપ્યા છે. રવીન્દ્રનાથના ‘પૂર્વ અને પશ્ચિમ’, વગેરે જેવા વિચાર-વિવેચનના ગ્રંથોને પણ એમણે ગુજરાતીમાં ઉતાર્યા છે. શરદબાબુની ‘પલ્લીસમાજ’, આદિ નવલકથાઓ; જરાસંઘની ‘લોહકપાટ’નો ‘ઊજળા પડછાયા, કાળી ભોંય’, મૈત્રેયી દેવીની બહુચર્ચિત આત્મકથનાત્મક નવલકથા ‘ન હન્યતે’ના અનુવાદો દ્વારા બંગાળીની ઉત્તમ કૃતિઓને ગુજરાતીમાં લાવીને એમણે મોટી સાહિત્યસેવા કરી છે. દિલીપકુમાર રાયનો, વિશ્વની મહાન વિચારક-ચિંતક-સર્જક પ્રતિભાઓ સાથેની સુદીર્ઘ મુલાકાતોના વર્ણન-આલેખનનો એક વિશિષ્ટ ગ્રંથ ‘તીર્થસલીલ’ નામે એમણે ગુજરાતીમાં ઉતાર્યો છે એ પણ ઘણો નોંધપાત્ર છે. આ બંગાળી કૃતિઓના અનુવાદો વિશદ-પ્રાસાદિક હોવા સાથે જ પ્રમાણભૂત અને વિશ્વસનીય છે – બે રીતે : એક તો, બંગાળી સાથેના એમનો પ્રત્યક્ષ પરિચય, બલકે ઘરોબો. એ કારણે બંગાળીની ભાષા-ભાતોની તથા એની સાંસ્કૃતિક ખાસિયતોની સૂક્ષ્મતા પણ એમના અનુવાદોમાં ઊતરી છે ને બીજું એ કે તે મૂળને પૂરા વફાદાર રહ્યા છે. સર્જનાત્મક કૃતિઓના અનુવાદમાં ક્યારેક અનુવાદકની પોતાની શૈલી પ્રવેશી જવાની લપસણી જગાઓ હોય છે – નગીનભાઈ પૂરી સાવધાનીથી અને શિસ્તપૂર્વક એમાંથી બચીને ચાલ્યા છે. બંગાળીમાંથી વિવેચન-વિચારના ગ્રંથોનો અનુવાદ એમણે આરંભ્યો ત્યારથી જ અનુવાદકાર્યમાં એમનું જાણીતું અધ્યયન-અધ્યાપન-પ્રયોજન પણ પ્રવેશી ચૂક્યું હતું. દર્શન-શાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્રના વિશ્વવિખ્યાત વિદ્વાન સુરેન્દ્રનાથ દાસગુપ્તાએ ‘કાવ્યવિચાર‘માં સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિચારણાઓનો સઘન-સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો એટલે એ મૂલ્યવાન અને ઉપયોગી ગ્રંથને નગીનભાઈએ પૂરાં શ્રમ-ચોકસાઈ પ્રયોજીને ગુજરાતીમાં ઉતાર્યો (૧૯૪૪). ક્યાંક પાદટીપ ઉમેરવામાં, સંસ્કૃત શ્લોકોના ગદ્યાનુવાદ કે સાર ઉમેરવામાં ને છાપભૂલોને કારણે રહી ગયેલી સંદિગ્ધતાઓને સંશુદ્ધ કરવામાં એમણે એક અભ્યાસી તરીકેની કાળજી સેવવા ઉપરાંત વિદ્યાર્થી-હિત-ચિંતા પણ સેવી છે. પોતાનામાં જ પડેલા વિદ્યાર્થી અને શિક્ષકને સતત હાજર રાખીને, બલકે આગળ કરીને એમણે આ અને પછીના તમામ અનુવાદો કર્યાં છે એ નગીનભાઈનું મોટું પ્રદાન છે. એ પછી અતુલચંદ્ર ગુપ્તના ‘કાવ્યજિજ્ઞાસા’નો (૧૯૬૦માં) તથા અબૂ સઈદ અયૂબનાં ‘કાવ્યમાં આધુનિકતા’ (૧૯૬૯) અને ‘પાન્થજનના સખા’ (૧૯૭૭) એ બે વિવેચકવિષયક પુસ્તકોનો અનુવાદ એમણે આપ્યો છે. પહેલા બે અનુવાદોમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અંગેની એમની જિજ્ઞાસા સંતોષાઈ છે તો અયૂબનાં પુસ્તકોમાં આધુનિકતાની આત્યંતિકતા સામે ભલે તારસ્વરે પણ એક સંગીન વિરોધ ઊપસ્યો હતો ને ખાસ તો રવીન્દ્રસાહિત્ય અંગેનો એક આવશ્યક ડિફેન્સ – એક પ્રતીતિકર બચાવનામું પણ સામેલ થયેલું હતું એ નગીનદાસને પણ ઇષ્ટ હતું. એ બાજુએ રાખીએ તો પણ, એક નવો દૃષ્ટિકોણ એમણે આ અનુવાદથી – એક તુલનાત્મક વિચારસામગ્રી રૂપે – મૂકી આપ્યો એનું મહત્ત્વ પણ ઓછું નથી.૧ ૧૯૫૭-૫૮ દરમ્યાન એમણે ‘સાહિત્યવિવેચનના સિદ્ધાંતો’ (એબરક્રોમ્બી) અને ‘સાહિત્યમાં વિવેક’ (વર્સફોલ્ડ) એ બે નાનકડી પુસ્તિકાઓ અંગ્રેજીમાંથી અનૂદિત કરી એ પણ પાશ્ચાત્ય સાહિત્યવિચારની હાથપોથીઓ વિદ્યાર્થીઓને હાથવગી કરી આપવાના પ્રયોજનથી. અલબત્ત,હવે આ પુસ્તિકાઓમાંનો કાવ્યવિચાર ઘણો પ્રાથમિક અને જૂનવાણી લાગે. પ્રાથમિક પરિચયની રીતે એની ઉપયોગિતા ગણાય. પરંતુ, અંગ્રેજીમાંથી નગીનભાઈએ જે મહત્ત્વાકાંક્ષી ને મોટા ગજાના અનુવાદો કર્યા એ સાહિત્યવિચાર સિવાયનાં ક્ષેત્રોના છે. આ અનુવાદો એમણે મોટા પ્રૉજેક્ટ તરીકે હાથ ધર્યા હતા. ને એ માટે નગીનભાઈએ જીવનનાં ઘણાં વર્ષો આપ્યાં હતાં. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના ૩૦ ગ્રંથોના અનુવાદને તથા ‘સંપૂર્ણ બાઇબલ’ના અનુવાદને એમણે પોતે જ મોખરે મૂક્યા છે. એમણે કહેલું : ‘રવીન્દ્રસાહિત્યના અનુવાદ સિવાયનાં મારાં અનુવાદકાર્યોમાં મારે મન ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના અનુવાદનું તેમજ ‘સંપૂર્ણ બાઇબલ’ના અનુવાદનું વિશેષ મહત્ત્વ છે.’ બાઇબલના અનુવાદકાર્યમાં બીજા વિદ્વાન ઈસુદાસ કેવલી એમની સાથે હતા ને સ્પેનિશ-ગ્રીક-હીબ્રૂના કેટલાક અભ્યાસીઓ પણ. સોળ વર્ષ સુધી આ કામ ચાલેલું એમાં નગીનભાઈએ શબ્દે-શબ્દના અર્થની ને અર્થઘટનની કાળજી રાખી હતી ને એમની કાર્યપદ્ધતિના એક ભાગ રૂપે જ અનુવાદને એમણે વિશદ-સુગમ રાખેલો. છેલ્લાં વર્ષોનું એમનું મહત્ત્વનું કામ આચાર્ય કૃપલાણીજીએ અંગ્રેજીમાં લખેલી આત્મકથાનાં લગભગ દોઢ હજાર પાનાંની હસ્તપ્રતને ગુજરાતીમાં ઉતારવાનું હતું. વિગતોની ચકાસણી કર્યા વિના તો નગીનભાઈને જંપ જ ન વળે – નાદુરસ્ત તબિયતે પણ એ હાથ ધરેલા કામોને સમય આપતા રહે. ‘કૃપલાનીજીની આત્મકથા’ નામે આ અનુવાદ ૧૯૯૪માં મરણોત્તર પ્રકાશન પામ્યો. કૃપલાણીની મૂળ અંગ્રેજી આત્મકથા તો હજુ છપાવી બાકી છે. આ ત્રણે ગંજાવર કાર્યો ગુજરાતી ભાષા અને સંસ્કારજગતને નગીનભાઈનું એક ખૂબ જ મોટું પ્રદાન છે. સંસ્કૃત સાહિત્યવિચારના ગ્રંથોના અનુવાદનું તથા વિવેચન-લેખનનું નગીનભાઈનું કામ સમાન્તરે ચાલ્યું છે. પાંચેક વર્ષના અધ્યયન-અધ્યાપન દરમ્યાન તૈયાર થયેલો, ૧૬૦ પાનાંમાં વિસ્તરેલો એમનો લેખ ‘અભિનવનો રસવિચાર’ ‘અભિનવભારતી’માંની વિચારણાને દોહન-વિવરણ-સમજૂતી-વિવેચનના રૂપમાં ખૂબ જ વિશદતાથી મૂકી આપે છે. આ જ ગાળામાં ‘ધ્વન્યાલોક’ (આનંદવર્ધન)નો અનુવાદ એમણે હાથ ધર્યો હતો. નિવેદનમાં એમણે લખ્યું છે કે : ‘ડોલરરાયનો ‘ધ્વન્યાલોક’નો અનુવાદ મૂળ અને ટિપ્પણો સાથે પ્રગટ થયેલો હતો, પણ તે વિદ્યાર્થીઓ વાપરી શકે એવો નથી એમ લાગતાં મેં એ અનુવાદ કર્યો હતો. મારો અનુવાદ પણ વિદ્યાર્થીઓ પોતે વાંચીને સમજી શકતા નહોતા એવો મારો અનુભવ હતો એટલે એ ગ્રંથનો અનુવાદ વિદ્યાર્થી પોતે વાંચીને સમજી શકે એવા વિવરણ સાથે કરવાનો વિચાર તે વખતથી જ મારા મનમાં રમતો થયો હતો.’૨ બે ઉદ્યોતોનો ૧૯૭૦માં આમ અજમાયશી અનુવાદ કરીને, તે યોગ્ય ન લાગતાં એ અનુવાદ સાથે તે વિવરણ-સમજૂતી જોડતા ગયા, રસિકલાલ પરીખ આદિ સંસ્કૃતજ્ઞ વિદ્વાનોને બતાવતા ને સુધારા કરતા ગયા ને એમ એક શાસ્ત્રીય અધિકૃત અનુવાદની સાથેસાથે વિસ્તૃત વિવરણવાળું, વિદ્યાર્થીને પણ સુગમ બની રહે એવું એક સ્વતંત્ર અભ્યાસપુસ્તક આપણને મળ્યું. ‘કાવ્યપ્રકાશ – મમ્મટનો કાવ્યવિચાર’ (૧૯૮૭) અને ‘વક્રોક્તિજીવિત – કુન્તકનો કાવ્યવિચાર’ (૧૯૮૮) એ બે અનુવાદગ્રંથો પણ આ જ રીતે, અનુવાદ ઉપરાંત, તે તે આચાર્યની વિચારણાને વિશદ રૂપમાં મૂકી આપનારા સ્વતંત્ર અભ્યાસગ્રંથો પણ બન્યા છે. એક તરફ, મૂળ સંસ્કૃત ગ્રંથના વિવિધ પાઠો મેળવીને સરખાવવા-ચકાસવામાં, એ ગ્રંથોના અન્ય અનુવાદોને તેમજ સંદર્ભગ્રંથોને તપાસવામાં, શબ્દસૂચિ ઉપરાંત ઉદાહરણશ્લોકોની તેમજ કારિકાઓની પણ સૂચિ આપવામાં નગીનભાઈની વિદ્વદ્ પરંપરાની સંશોધકદૃષ્ટિ પ્રવૃત્ત થયેલી છે; તો બીજી તરફ, સ્પષ્ટ વિવરણ ને સરળ સમજૂતી આપવામાં, ‘વિષયગ્રહણમાં મદદરૂપ થાય’ એ માટે સળંગ વિચારણામાં વચ્ચે પેટાશીર્ષકો મૂકવામાં, વિષયો ને પેટાવિષયો સાથેની વિગતવાર અનુક્રમણિકા આપવામાં – ‘આનંદવર્ધનનો ધ્વનિવિચાર’ પુસ્તકમાં ૨૦ પાનાંની અનુક્રમણિકા છે – તથા વિશદ અભિવ્યક્તિરીતિમાં એમની શિક્ષકદૃષ્ટિ પ્રવૃત્ત થયેલી છે. આવા બન્ને છેડા પરનું એમનું આ પ્રવર્તન વિરલ ગણાય એવું છે.૩

અનુવાદ-વિચારક નગીનભાઈ અનુવાદો આપવા ઉપરાંત એમણે જે અનુવાદ-ચર્ચા કરી છે ને અનુવાદ-ગ્રંથોની જે ઝીણવટભરી સમીક્ષા કરી છે એ લેખોને એકત્ર કરીને એક જુદું પુસ્તક કરવામાં આવે તો અનુવાદ કરનાર લેખકો તથા અભ્યાસીઓ – વિદ્યાર્થીઓ માટેની, સૈદ્ધાન્તિક અને વ્યવહારુ તાલીમ આપનારી, એક મૂલ્યવાન હાથપોથી બની રહે. ‘સ્વાધ્યાય અને સમીક્ષા’માં તથા ‘પરિચય અને પરીક્ષા’માં આવા લેખો ગ્રંથસ્થ થયેલા છે.૪ ૧૯૫૮માં ‘પરિચય પુસ્તિકા’ તરીકે પ્રગટ થયેલો ને પછી ‘પરિચય અને પરીક્ષા’ (૧૯૬૮)માં ગ્રંથસ્થ થયેલો ‘અનુવાદની કળા’ નામનો એમનો લેખ ઘણો નોંધપાત્ર છે. એમાં એમણે કેવળ અમૂર્ત સિદ્ધાંત-ચર્ચા – થિયરી – જ આપી નથી કે અનુવાદ કેમ કરવો, કેમ ન કરવો એની કોઈ નિયમાવલી આપી નથી. અનુવાદની જે જે દુર્ઘટતાઓનો સામનો એમને એક અનુવાદક તરીકે કરવાનો આવ્યો ને અન્ય અનુવાદો વાંચતાં જે મુશ્કેલીઓ અનુભવી એને મુદ્દાસર ને ઘણાં દૃષ્ટાંતો આપી એમણે અનુવાદનાં કળા અને કૌશલ કેટલાં સૂઝ-શક્તિ ને કેટલો શ્રમ માગી લેનારાં હોય છે તે બતાવ્યું છે. આ લેખ અનુવાદ વિશેનો શાસ્ત્રીય, સિદ્ધાંતલક્ષી લેખ પણ બન્યો જ છે. અનુવાદ વિશે અહીંના ને પશ્ચિમના વિદ્વાનોએ જે મહત્ત્વની વાતો કરી છે એને, જરૂર લાગી ત્યાં (ને જરૂર પડી એટલી જ) સમાવી લઈને અનુવાદના શાસ્ત્રને પણ એમણે સ્પષ્ટ કરી આપ્યું છે. એમણે પોતે આ લેખમાં ઘણી વિચારણીય વાતો કહી છે. એમાંની એક-બે વધુ મહત્ત્વની એ છે કે, અનુવાદને વિશદ ને પ્રાસાદિક બનાવવો એ તો ખૂબ જરૂરી છે જ પણ એ સાથે મૂળને વફાદાર રહેવાનું ન ચુકાવું જોઈએ – મૂ ળના ભોગે આવનારી રસાળતા એમને સ્વીકાર્ય નથી. બીજું એ કે અનુવાદકે મૂળ ભાષા અને લક્ષ્ય ભાષા બંનેની ભાષાભાતોની વિભેદક લાક્ષણિકતાઓનો વિચાર કરવાની સાથેસાથે એ બંને ભાષા-પ્રદેશોની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓના ભેદનો પણ અવશ્યપણે ખ્યાલ કરવો જોઈએ. આ સમૃદ્ધ લેખની પૂર્તિરૂપ નીવડે એવા, કેટલાંક અનૂદિત પુસ્તકોની અનુવાદલેખે સમીક્ષા કરતા, (જુદા જુદા સમયે લખાયેલા) એમના લેખો પણ એટલા જ અગત્યના છે. ભોગીલાલ સાંડેસરાએ કરેલા ‘પંચતંત્ર’ના અનુવાદની; કે. કા. શાસ્ત્રીએ કાલિદાસનાં ત્રણ નાટકોના કરેલા અનુવાદની; ઉમાશંકર જોશીએ કરેલા સૉનેટ-અનુવાદો ‘ગુલે પોલાંડ’ની તેમજ બાણની ‘કાદંબરી’ના ભાલણે કરેલા પદ્યાનુવાદની તથા એ પદ્યાનુવાદના કે. કા. શાસ્ત્રીએ અર્વાચીન ગુજરાતીમાં કરેલા રૂપાંતરણ અનુવાદની નગીનભાઈએ જે ચિકિત્સક સમીક્ષાઓ કરી છે તે કેવળ સમીક્ષાઓ રહી નથી પણ ભરપૂર તુલનાસામગ્રીને તપાસતા, અર્થછાયાઓ અને ભાષાભાતોની ખૂબીઓ-ખામીઓને વિશ્લેષતા સમર્થ અભ્યાસલેખોરૂપ નીવડી છે. અસંગતિઓને એમણે સ્પષ્ટપણે અધોરેખિત – અન્ડરલાઇન – કરી આપી છે. જેમકે, કાલિદાસનાં નાટકોના અનુવાદમાં ‘ઇંગુદીનાં ફળ તોડવા માટેના લીસાલપટ કાંકરા’ એવા અનુવાદ વિશે એમણે લખ્યું છે કે, ર્ચ્દ્બિ•દ્બદ્બઃ એટલે કાંકરા નહીં પણ પથરા એમ કહેવું જોઈએ. ફળ પથરાથી તોડાય, કાંકરાથી નહીં.૫ ઉમાશંકરના, એમને ઉત્તમ લાગેલા સૉનેટ-અનુવાદોમાં પણ જ્યાં જે અનવધાનો ને શિથિલતાઓ રહી ગયાં છે એ એમણે, એકેએક સૉનેટના અનુવાદને તપાસીને બતાવી આપ્યું છે. આ સમીક્ષાઓ જોતાં લાગે છે કે નગીનભાઈએ લગભગ નવેસર અનુવાદ કરવા જેટલાં સમય-શ્રમ એની પાછળ ખર્ચ્યાં હશે. સ્વતંત્ર લેખ હોય કે ટીકા-ટીપ્પણ-ચર્ચા-પરીક્ષણ હોય – એ બંનેને સમમૂલ્ય ગણનારી આવી વિદ્યાનિષ્ઠા નગીનભાઈ જેવા જ દાખવી શકે.

વિવેચન નગીનદાસ પારેખના વિવેચનકાર્યની બે ધારાઓ જોઈ શકાય છે : એકમાં, વિદ્યાર્થીની પાટલી પર જઈને બેઠેલા શિક્ષકની ભૂમિકા છે. બીજા પ્રકારના લેખોમાં – કૃતિચર્ચાના, કર્તાઓ વિશેના, સાહિત્યપ્રવાહો વિશેના, સૈદ્ધાન્તિક મુદ્દાઓના, ચર્ચા-વિવરણના લેખોમાં – એમની ભૂમિકા એક સહૃદય ભાવકથી લઈને વિષયના મૂળની ખણખોદ કરતા સંશોધક સુધીની છે. બંને ધારાનાં વિવેચનાત્મક લખાણોમાં પારદર્શકતાનો ગુણ એકસરખો છે. પણ નિમિત્તભેદે એનાં સ્તર જુદાં જુદાં રહ્યા છે. ૧૯૪૪માં ‘કાવ્યવિચાર’નો અનુવાદ કર્યો ત્યારથી સંસ્કૃત સાહિત્યમીમાંસા એમના રસનો વિષય બની હતી ને એની એક મહત્ત્વની પ્રેરકતા વિદ્યાર્થી-હિત-ચિંતા રહી હતી. એમનો એ સ્વાધ્યાય ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ (૧૯૬૯)માં સંગીન સ્વતંત્ર લખાણોમાં પરિણમ્યો છે ને પછી એ ‘ધ્વન્યાલોક’ આદિ ત્રણ અનુવાદ-વિવરણગ્રંથો (૧૯૮૫, ૧૯૮૭, ૧૯૮૮)માં અનુસંધાન પામ્યો છે. એટલે કે લગભગ પચાસ વર્ષનું સાતત્ય આ અધ્યયનમાં એમનું રહ્યું છે. ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’માં એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની લગભગ બધી જ વિચારધારાઓ વિશે લેખો કર્યા છે – રસવિચાર, વક્રોક્તિવિચાર, જગન્નાથનો રમણીયતા-વિચાર, ઔચિત્યવિચાર, વગેરે વિશે સંગીન ચર્ચા કરીને એમણે એક મૂલ્યવાન પાઠ્યગ્રંથ તેમજ સંદર્ભગ્રંથ આપણને સંપડાવ્યો છે. ભારતીય સાહિત્ય અકાદમીએ એમને આ ગ્રંથનિમિત્તે પારિતોષિક આપ્યું એમાં પૂરું ઔચિત્ય છે. નગીનભાઈએે, સાર, દોહન ને સમજૂતી જ આપ્યાં છે – મૂળ વિચારમાર્ગની ધારે ધારે ચાલીને એમણે વિચાર-સમર્થન જ કર્યું છે – એવી એક છાપ છે. એમાં તથ્ય નથી એમ નહીં પણ એ હંમેશાં ત્યાં અટક્યા નથી, પોતાનાં જુદાં, સ્વતંત્ર મંતવ્યોને પણ એમણે જરૂર પડી ત્યાં મૂકી આપ્યાં છે. જગન્નાથના કાવ્યવિચાર પરનો એમનો લેખ એનું વધારે નોંધપાત્ર દૃષ્ટાંત છે. પૂર્વપક્ષની વિગતે માંડણી કરીને એમણે તુલનાત્મક રીતે બતાવી આપ્યું છે કે, ‘જગન્નાથે આપેલી કાવ્યની વ્યાખ્યા દંડીની વ્યાખ્યા ‘ઇષ્ટાર્થવ્યવચ્છિન્ના પદાવલી’ નો જ અનુવાદ છે.’ અને ચર્ચાને અંતે સ્પષ્ટ મંતવ્ય આપ્યું છે કે ‘જગન્નાથમાં આપણને કોઈ મહત્ત્વનો નવો વિચાર મળતો નથી. પણ અનેક મુદ્દાઓની ઝીણી ચર્ચા મળે છે, જે કેટલીક વાર તર્કબાજીમાં પરિણમે છે.’૬ વળી, સંસ્કૃત કાવ્યમીમાંસાના ગ્રંથોનો અનુવાદ કે સારદોહન પણ ક્યાં સરળ બાબત હતી? આ પુસ્તકના પ્રવેશકમાં રસિકલાલ પરીખે કહ્યું જ છે કે, ‘અભિનવની દાર્શનિક શૈલી કેટલીક વાર જટિલ અને દુર્ગમ છે. એમાં નિરૂપેલા પદાર્થોની ચર્ચા એટલી સૂક્ષ્મ છે કે તે મનોગ્રાહ્ય કરી તેને બીજી ભાષામાં ઉતારવી એ લગભગ અશક્ય લાગે એવું છે[...] આવો સમર્થ પ્રયત્ન કરી તેમણે ગુજરાતી ભાષામાં ‘રસ’તત્ત્વનું એક ઘણું ઉપયોગી ભાષ્ય રચ્યું છે.’૭ પ્રસંગોપાત્ત, પાશ્ચાત્ય કાવ્યવિચાર વિશે પણ એમણે લખ્યું છે. એમાં ‘વીક્ષા અને નિરીક્ષા’ (૧૯૮૧)માંનો ‘ક્રોચેનો કલાવિચાર’ નામનો પચાસેક પાનાંનો સારદોહનરૂપ ને વિગતે વિષયાનુક્રમ મૂકી આપનારો લેખ ખૂબ જ મહત્ત્વનો છે. ક્રોચેના અભિવ્યક્તિવાદ વિશે સ્વતંત્ર લેખ લખવાનો આવ્યો ને નગીનભાઈ એ વિશેના સંદર્ભગ્રંથો ઝીણવટથી જોઈ ગયા. પરંતુ, એ લખે છે કે, ‘આ બધું વાંચ્યા પછી લખવા બેઠો પણ વિષય ઊંડળમાં આવે નહીં, ઘાટ બંધાય નહીં. છેવટે મારી સમજ વિશદ કરવા અને વિષયનો નકશો તૈયાર કરવા હું મૂળ ગ્રંથનો સાર લખી ગયો.’૮ – એ સાર તે આ લેખ. પૂરેપૂરું ને સ્પષ્ટ સમજાય નહીં ત્યાં સુધી એ વિશે લખવું નહીં એવો સંકલ્પ, ને ફરી મથામણ – એવી નગીનભાઈની અધ્યયન-લેખન-પ્રક્રિયાએ આપણને દુર્ગમ વિચારની સુગમ રજૂઆત કરનારા લેખો-ગ્રંથો સંપડાવી આપ્યા છે. ને એ એમનું ઘણું મોટું પ્રદાન છે. ભારતીય ને પાશ્ચાત્ય સાહિત્યવિચારણાનાં કેટલાંક બિંદુઓની તુલનાત્મક ચર્ચા આપતા એમના લેખો : ‘ઑબ્જેક્ટિવ કો-રિલેટિવ અને વિભાવાદિ’ (‘વીક્ષા અને નિરીક્ષા’) તથા ‘ભારતીય અને પશ્ચિમની સાહિત્યમીમાંસા – કેટલાંક સામ્યો’ (‘સ્વાધ્યાય અને સમીક્ષા’)ની નોંધ પણ લેવી જોઈએ. પર્યાપ્ત ઉદાહરણ સાથે એમણે સામ્યો ચીંધ્યાં છે. એથી ચર્ચા સમર્પર્ક અને વિશદ બની છે પણ આ બધા લેખોની ચર્ચા સ્વાભાવિક રીતે જ પર્યેષણાત્મક છે, એથી એ વિદ્વદ્-ભોગ્ય બની છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશેના એમના લેખોમાં ‘આખ્યાનકવિ પ્રેમાનંદ’ અને ‘સુદામાચરિત્ર : એક મૈત્રીકાવ્ય’ અધ્યાપનલક્ષી રહ્યા છે પણ પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં ‘હંસની શિખામણ’ના ઔચિત્યની ચર્ચા કરતો લેખ તથા અગાઉ ગણાવ્યો તે ‘ભાલણની કાદંબરી’ વિશેનો લેખ વિદ્વદ્-ચર્ચા-લક્ષી રહ્યા છે. સંશોધનલેખ કેવો હોવો જોઈએ એનો એક દ્યોતક નમૂનો ‘આખ્યાન : નાટ્યાલંકાર અને કાવ્યપ્રકાર’ (‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’) એ છે. આખ્યાનના સ્વરૂપની ચર્ચા કરતી વખતે, ગુજરાતી વિવેચનમાં ‘આખ્યાનં પૂર્વવૃત્તોક્તિઃ’ એ સૂત્રનું, મૂળ સંદર્ભથી દૂર રહેતું ખોટું અર્થઘટન થયું છે એ એમણે મનસુખલાલ ઝવેરી, અનંતરાય રાવળ, ચંદ્રકાન્ત મહેતા, કે. કા. શાસ્ત્રી, ધીરુભાઈ ઠાકર વગેરે ઘણા વિદ્વાનોએ કરેલી સ્વરૂપચર્ચાના હવાલા આપીને બતાવ્યું છે. મૂળ સંદર્ભ નોંધીને એમણે કહ્યું છે કે, ‘આખ્યાનં પૂર્વવૃત્તોક્તિઃ’ એ તો આખ્યાન નામના નાટ્યાલંકારની ઓળખ છે. આખ્યાનની ખરી ઓળખ તો હેમચંદ્રાચાર્યના ‘કાવ્યાનુશાસન’માંના એક સૂત્ર ઉપરની વૃત્તિમાં મળે છે. એ વૃત્તિમાં કહેવાયું છે કે, ‘પ્રબંધની વચ્ચે બીજાને સમજાવવા જે નાની કથા દાખલ કરાય છે તે ઉપાખ્યાન જેમકે નલોપાખ્યાન. અને જે એક જ માણસ પાઠ, ગાયન અને અભિનય સાથે કરે છે તે આખ્યાન, જેમકે ગોવિંદાખ્યાન’. મૂળ આધારગ્રંથ સુધી જવાનો નગીનભાઈનો આગ્રહ બલકે તંત આવાં સંશોધનોમાં પણ પરિણમ્યો છે. ગ્રંથસમીક્ષક તરીકે નગીનભાઈની એક નોખી છાપ ઊપસે છે. એમણે કવિતા, વાર્તા, નાટક, નવલકથા, વિવેચન એમ વિવિધ સ્વરૂપની કૃતિઓની પ્રસંગપ્રાપ્ત સમીક્ષાઓ કરી છે એમાં મોટે ભાગે તો એક સહૃદય ઉદારરુચિ ભાવકનું પ્રવર્તન રહ્યું છે પણ જરૂર લાગી ત્યાં એમણે આકરી આલોચના પણ કરી જ છે. વિષયસાર ને કથાસાર આપતી, વિવેચનપુસ્તકોની સમીક્ષામાં લેખવાર ચર્ચા કરીને એનો વસ્તુલક્ષી પરિચય આપતી ને બહુધા શુભેચ્છકની ભૂમિકા ભજવતી એમની વિવેચન-રીતિ-દૃષ્ટિ રહી છે. ક્યારેક તો યાદીઓ આપતી, સંખ્યાદર્શી વિગતો ઉતારતી ને તુલનાત્મક કોઠા આપતી વિગત-વિવરણ-લક્ષિતા એમનામાં જોવા મળશે. ‘પરિચય અને પરીક્ષા’ની સમીક્ષા કરતાં ચંદ્રકાન્ત શેઠે વિનીતભાવે જે ટીકા-સંકેત કર્યો છે કે ‘કાવ્યની વસ્તુગત ચર્ચાની અપેક્ષાએ એની રચનાગત ચર્ચા પર તેઓ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શક્યા હોત’ – એ નગીનભાઈના ઘણા સમીક્ષા-લેખોને લાગુ પડે એમ છે. કૃતિની સૌંદર્યરચના-ગત ચર્ચામાં એ ઝાઝું જઈ શક્યા નથી. એ સાચું, નગીનભાઈમાં એનો અભાવ છે, પણ એ સાથે જ એ પણ કહેવું જોઈએ કે વસ્તુ-વિશ્લેષક તરીકે પુસ્તકની બહિર્ રચનાને એ સારી રીતે તપાસે છે. ખબરદારકૃત ‘કલિકા’ની, ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય’ની સમીક્ષાઓ આ પ્રકારની છે. ટીકાત્મક અભિપ્રાય આપવાનો આવે ત્યાં એમની શૈલી પણ લાક્ષણિક, ધારદાર બને છે. ‘કલિકા’નાં કાવ્યોમાં કવિના તુક્કાને લીધે આવી ગયેલી અસંગતિને એમણે આ રીતે મૂકી આપી છે. નગીનભાઈ જાણે આપણી સાથે વાત કરે છે : ‘હવે, કોઈ કન્યાને મંજરીની ઉપમા આપવી એ અલગ વાત છે અને કોઈ કન્યાને જોઈને, તેને મંજરી માનીને કોકિલ એની પાસે જાય એમ કહેવું એ અલગ વાત છે. કવિ પોતે નાયિકાને મંજરીની ઉપમા આપે તેને જોરે કોકિલ તેને મંજરી માની ખાવા જાય એ, સંભાવનાની પરાકોટિની પણ પારની વાત છે. પણ આપણા કવિ એટલેથી પણ અટકતા નથી. આ જ કાવ્યની ૧૭૨મી કડીમાં તેમણે પોતાના આ પરાક્રમને પણ ઝાંખું પાડ્યું છે.’૯ ‘આરોહણ’ (બલવંતરાય ઠાકોર)ની ૧૯૫૧ની આવૃત્તિ માટે એમણે કહ્યું છે કે, ‘આ આવૃત્તિમાં છાપભૂલો એટલી બધી છે કે ચીડ ચડે.’૧૦ ‘ચીડ ચડે’માં એમની લાક્ષણિક મુદ્રા જોઈ શકાય છે. બાકી તો, ખાસ કરીને એમનાં મોટાં વિદ્યાર્થીલક્ષી લખાણોમાં એેમની શૈલી ઠાવકી, સમજૂતીભરી, ભાષ્યપ્રકારની રહી છે. નગીનભાઈના લાંબા લેખોમાં પણ બિનજરૂરી વાત કે આડવાત તો એકેય નથી હોતી પણ કઠિન વિષયને સુગમ કરવામાં એ પૂરતો સમય આપે છે. રસ્તો ચોખ્ખો કરતાંકરતાં, વાચકને એવા સ્પષ્ટ-સ્વચ્છ વિષયમાર્ગે પ્રવેશ કરાવતાંકરાવતાં એ આગળ વધે છે. પરિણામે એમની વાક્યાવલીઓ સંયોજકોથી સંકળાતી રહે છે – એવી એમની શૈલીનો એક જ નમૂનો જોવો પર્યાપ્ત થશે : જગન્નાથના ‘રમણીયતા ચ લોકોત્તરઆહ્લાદજનક જ્ઞાનગોચરતા’ એ વાક્યની એમણે આ રીતે સમજૂતી આપી છે – ‘રમણીયતા એટલે લોકોત્તર આનંદજનક જ્ઞાનનો વિષય થવાનો ગુણ. બીજી રીતે કહીએ તો, જેના જ્ઞાનથી લોકોત્તર આનંદ થાય તે, અથવા જેના જ્ઞાનથી લોકોત્તર આનંદ ઉત્પન્ન થાય તેવો અર્થ રમણીયતા કહેવાય. અર્થાત્ જેના જ્ઞાનથી લોકોત્તર આનંદ થાય એવા અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય.’૧૧

અન્ય વિદ્યાકાર્યો શિક્ષક અને વિચારક તરીકેના કર્તવ્યલેખે એમણે લેખન-સંપાદનનાં બીજાં પણ ઠીકઠીક પુસ્તકો આપ્યાં છે. રામનારાયણ પાઠક સાથે કરેલું ‘કાવ્યપરિચય’નું સંપાદન, વાચનમાળાઓ, ‘મહાત્મા ગાંધી શતાબ્દીગ્રંથ’ (યશવંત શુક્લ સાથે), ‘ન્હાનાલાલનાં કાવ્યો’ આદિ સંપાદનો; ‘ખાદીનું વ્યાપક અર્થશાસ્ત્ર’ (જેઠાલાલ ગાંધી), ‘ઇતિહાસનાં સાત ચરિત્રો’, ગાંધીજી, મહાદેવભાઈ, નવલરામ, વગેરે વિશે ચરિત્રપુસ્તકો તથા ‘ગ્રામોદ્યોગપ્રવૃત્તિ’ (કુમારપ્પા) અને ‘રાષ્ટ્રભાષાનો સવાલ’ (જવાહરલાલ નહેરુ) જેવા અનુવાદો એમણે આવાં વિશેષ પ્રયોજનોથી, એક પ્રકારના વ્યાપક સામાજિક ઉત્તરદાયિત્વથી કરેલાં છે. એ બધામાં પ્રયોજનની સ્પષ્ટતા અને ચોકસાઈભરી પદ્ધતિ હંમેશાં રહ્યાં છે ને એણે આ બધાં પુસ્તકોની ઉપયોગિતા પણ વધારી છે.૧૨ નિરંતર સ્વાધ્યાયરત એમનું જીવન. કાર્યનિષ્ઠા ઉત્તમ કોટિની. એમના ગ્રંથ ‘વક્રોક્તિજીવિત – કુન્તકનો કાવ્યવિચાર’ની પ્રસ્તાવના ‘એક વધુ ગંગાવતરણ’માં હરિવલ્લભ ભાયાણીએ લખ્યું છે એમ, એક કામ એમની નજરમાં વસી ગયું તો પછી એ કામ પૂરું થાય ત્યાં સુધી એ ‘તેમનું નિત્યનું અનુષ્ઠાન’ બની રહે. કશી આળપંપાળ નહીં, શૈૈૈલીની ચમકથી કે વક્તવ્યની ચાહીને કાઢેલી ધારથી કોઈને આંજી દેવાની પેરવી નહીં. આટલાં ગંજાવર કાર્યો છતાં એમાંના કોઈને પણ કારર્કિદીનું પગથિયું બનાવી દેવાનું એમણે કર્યું નથી. એમનાં વિદ્યાકાર્યોનું ઊંડાણ એ શાંત પાણીનું ઊંડાણ છે. જે પોતાની ઇચ્છાથી ને જરૂરિયાતથી એમાં ઊતરવા કરે એને જ એ ઊંડાણનો અંદાજ આવતો જાય. સુવર્ણચંદ્રકોએ કે અકાદમી એવૉર્ડોએ એમને ભાવવિભોર કર્યા નથી – આભારભાવ ખરો પણ એનો કોઈ મોટો મહિમાભાવ નહીં. ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ ગ્રંથને માટે સાહિત્ય અકાદેમીનો એવૉર્ડ મળ્યો ત્યારે એમની રૂબરૂ મુલાકાત લેનારને એમણે જવાબ આપેલો કે, ‘જો મારે આ વિષયો શીખવવાના ન આવ્યા હોત તો કદાચ મેં આ લેખો ન લખ્યા હોત.’૧૩ એવૉર્ડથી જ પુસ્તકનો મહિમા શા માટે વધવો જોઈએ – એવી એમની સ્પષ્ટ સમજ હતી. અને તેમને મન ભણવા-ભણાવવાનો મહિમા જ સૌથી મોટો હતો.

સંદર્ભનોંધ ૧. એમણે ગુજરાતીમાંથી બંગાળીમાં પણ કેટલાંક લખાણો અનૂદિત કરેલાં જે ‘સંહતિ’ નામના સામયિકમાં પ્રગટ થયેલાં. ૨. ‘ધ્વન્યાલોક – આનંદવર્ધનનો ધ્વનિવિચાર’, ૧૯૮૧, નિવેદન પૃ. ૬ ૩. શિક્ષક અને અભ્યાસી તરીકે એમણે આટલીબધી કાળજી રાખી છે તો એક વધુ કાળજી પણ રાખવી જોઈતી હતી. ‘ધ્વન્યાલોક’ અને ‘વક્રોક્તિજીવિત’ના મૂળ સંસ્કૃત પાઠ એમણે ગ્રંથને અંતે સળંગ, એકસાથે મૂક્યા છે એને બદલે ગુજરાતી અનુવાદ-સમજૂતીની સાથે, તે તે પાના પર જ મૂળ પાઠ છપાય એવો આગ્રહ એમણે રાખ્યો હોત તો અનુવાદ સરખાવીને મૂળ સંસ્કૃતને સમજવાની સુવિધા પણ વાચકોને મળી હોત. ‘કાવ્યપ્રકાશ’ પરના ગ્રંથમાં આવી મુદ્રણયોજના થઈ છે ને એ ઉપયોગી નીવડી છે. . ૪ આવું સંપાદન હવે પ્રગટ થયું છે : ‘અનુવાદ : સિદ્ધાંત અને સમીક્ષા’, સંપા. રમણ સોની, સાહિત્ય અકાદેમી, દિલ્હી, ૨૦૧૧ ૫. જુઓ ‘પરિચય અને પરીક્ષા’, ૧૯૬૮, પૃ. ૨૫૪. ૬. બંને અવતરણો – ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’, પૃ. અનુક્રમે ૨૫૪ અને ૨૭૪. ૭. એ જ, પ્રવેશક, પૃ. ૩૨. ૮. જુઓ ‘વીક્ષા અને નિરીક્ષા’, પૃ. ૫૩. ૯. ‘સ્વાધ્યાય અને સમીક્ષા’, પૃ. ૧૪૬. ૧૦. ‘વીક્ષા અને નિરીક્ષા’, પૃ. ૨૯૩ ૧૧. જુઓ : ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો,’ પૃ. ૨૫૨. ઈટાલિક મેં કર્યા છે. ૧૨. નગીનભાઈએ ગુજરાતીમાં બંગાળીનું વ્યાકરણ પણ લખેલું છે જે અપ્રગટ છે. એમાંથી કેટલીક નોંધો મેં કરી લીધેલી ને કેટલાંક સ્થાનો એમની પાસે બેસીને સમજી લીધેલાં. મેં જરા ઉત્સાહમાં આવીને કહેલું કે તમે આ છપાવો. તો કહે, એક તો આ બંગાળી લિપિ છપાવવાની જ મુશ્કેલી’ (એ વખતે, ૧૯૦૨ આસપાસ કમ્પ્યુટર-કંપોઝ પ્રચલિત નહોતું બન્યું.) ‘અને આ વ્યાકરણની ચોપડી તે કોણ વાંચવાનું? એટલે કોઈ શા માટે છાપે?’ ૧૩. ‘વીક્ષા અને નિરીક્ષા’, પૃ. ૭૫

● તા. ૩૦ ઑગસ્ટ (૨૦૦૩)ના દિવસે, ગુજરાત સાહિત્ય સભા-યોજિત ‘જયંતી-વ્યાખ્યાન’ના કાર્યક્રમમાં કરેલું વક્તવ્ય. ● પરબ : એપ્રિલ ૨૦૦૪