ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/એક બાળકીને સ્મશાન લઈ જતાં

Revision as of 08:16, 30 December 2022 by MeghaBhavsar (talk | contribs)


એક બાળકીને સ્મશાન લઈ જતાં

ઉમાશંકર જોશી




તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?
છતાં સૌયે રોયાં! રડી જ વડમા લોકશરમે,
હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.

બિચારી બાનાં બે ગુપત ચખબિંદુય વચમાં
ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?
— છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.

ખભે લૈને ચાલ્યા, જરી જઈ, વળાંકે વળી ગયા,
તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી.
રહી’તી તાકી એ, શિર પર ચઢીને અવરને
સૂઈ ર્‌હેવાની આ રમત તુજ દેખી અવનવી,
અને પોતે ઊંચા કર કરી મથી ક્યાંક ચઢવા;
— અમે આગે ચાલ્યા — રમત પરખી જૈ જ કપરી,
ગળા પૂંઠે નાખી કર, પગ પછાડી, સ્વર ઊંચે
ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી
અકેલીએ આખા જગત મહીં એણે જ વરતી.
અને રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું!

ડિસેમ્બર ૧૯૩૩

(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૨૧)


આસ્વાદ: એક બાળકીને સ્મશાન લઈ જતાં: ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા — પ્રબોધ ર. જોશી