ગુજરાતી ગઝલસંપદા/મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

Revision as of 03:13, 30 December 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ |}} <poem> જુદી જિંદગી છે મિજાજે મિજાજે; જુદી બંદગી છે નમાજે નમાજે.<br> છે એક જ સમંદર, થયું એટલે શું? જુદા છે મુસાફર જહાજે જહાજે.<br> ભલે હોય એક જ એ અંતરથી વહેતા,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.