ગુજરાતી ગઝલસંપદા/ સુરેન ઠાકર ‘મેહુલ’


સુરેન ઠાકર ‘મેહુલ’

આંગણું પરસાળ ને ઉંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાના ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જો કે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
ગામ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ,
આયનામાં સંસ્કૃતિના સ્તર હતાં.

એ પછીથી મોરનાં પીછાં થયાં.
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.