ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/વન, ઉપવન અને તપોવન

From Ekatra Wiki
Revision as of 06:27, 28 June 2021 by NileshValanki (talk | contribs)
Jump to navigation Jump to search
વન, ઉપવન અને તપોવન

ઉમાશંકર જોશી

‘પ્રભુ, અમને અમારાં જંગલ પાછાં આપ!’ — આજે બ્રાહ્મણ-જીવન—વિશાળ અર્થમાં શિક્ષકજીવન—જીવવા ઇચ્છનારાઓ હૃદયમાંથી કોઈ પ્રાર્થના સરી પડે એવી હોય તો તે આ છે. પણ ચારેકોર નજર કરીએ છીએ તો જંગલો તો કાપી નાખવામાં આવ્યાં છે, જંગલો કાપીને કોલસા બનાવવામાં આવ્યા છે. દેશી રાજ્યો અને જાગીરોએ તો જંગલો નાબૂદ કરી, ડુંગરોને આગલાત્ મુંડિત કરી, સંન્યાસી જેવા કરી મૂક્યા છે, વધ્યે જાય છે માત્ર આ ‘જગત્ રૂપી જીર્ણ જંગલ.’

ભલું થજો અન્નસચિવ શ્રી મુનશીનું કે એમણે પ્રજાને વનમહોત્સવની પ્રેરણા આપી. શ્રી મુનશી, અનેકવિધ મંત્રીઓનાં પાત્રોના સર્જક. એમને જેમ એમના મુંજાલ સાથે ન સરખાવીએ, તેમ ઉદા મહેતા સાથે પણ ન સરખાવીએ. કોઈ કવિ-મંત્રી એમણે સર્જ્યો છે? સંભવ છે કે નવલકથામાં મારી નાખેલા કીર્તિદેવને એમણે પોતાના અંતરના અંતરમાં જિવાડી રાખ્યો હોય. પણ એમના કવિતાશોખે કે ભાવનાતરંગે વનમહોત્સવનો વિચાર પ્રવર્તાવ્યો નથી. અન્ન જેવા સ્થૂલ લાભ માટેનો આ ઉપક્રમ છે. કોઈને વનમાંથી અન્ન મળશે એ ખ્યાલમાં કવિતા લાગે તો જુદી વાત. પણ શ્રી મુનશી તો એમને પ્રિય એવા ઋગ્વેદના ઋષિની વાણીમાં જવાબ આપશે: बह्वन्नाम्…प्राहं… अरण्यानिमसंसिषम् — બહુ અન્નવાળી અરણ્યની દેવતા – વનદેવતા મેં પસંદ કરી.

વનમહોત્સવના ખ્યાલ માટે શ્રી મુનશીને અભિનંદન ઘટે છે. વન એ ભારતવર્ષના સ્થૂલ તેમજ સૂક્ષ્મ જીવનની ભૂમિકા છે.

પહેલાં હતું વન. માણસે—બલકે વનમાણસે વનને હટાવી ખુલ્લામાં પગ મૂક્યો અને પોતાની નવી આગવી સૃષ્ટિ રચી. વનને ગૌણ કરી, વનને વીસરી, માનવ જીવવા લાગ્યો. પણ એની નસોમાં વનસુખનો સ્વાદ હતો. વનને એણે પ્રમોદઅર્થે પોતાની પાસે ખેંચી આણ્યું. ઉપ-વનની રચના કરી. વનમાણસમાંથી માણસ તો બહુ સુધરી ગયો હતો, પણ કેટલાક માણસો એવા નીકળ્યા જે એની આ સુધારણાથી ધરાઈ ગયા. ગયા એ પાછા વનમાં. એમણે રચ્યાં તપોવન. કુદરત અને મનુષ્યને પોતાની જીવનચર્યામાં એમણે પાછાં એક કર્યાં.

વન એટલે પ્રકૃતિ. તપોવન એટલે સંસ્કૃતિ. ઉપવન એટલે? વિકૃતિ નહીં તો ક્યારેક વિકૃતિનું દ્વાર તો ખરું જ.

ક્યાં ગયાં તે મદકલ મયૂરના કંઠસમ શોભતા શૈલોથી છવાયેલાં, ચંડશ્વાપદકુલાક્રાન્ત ગિરિગહ્વરોથી વિકટ, નીલનિબિડ, તપોવનમંડિત. પ્રશાન્તગંભીર, રોમહર્ષણ મહારણ્યો? આજે હવે એ સંભારી સંભારીને નિઃશ્વાસ મૂકવાનો છે કશો અર્થ?

આપણા યુગમાં બે મહાન યોગીઓએ પોતાની સાધના હિમાલયની વનશ્રીની છાયામાં નહિ પણ વિષુવવૃત્તની સમીપના પ્રાંતમાં રહીને કરી છે. ગાંધીજીએ કહ્યું કે હિમાલયમાં નહીં, દિલ્હીમાં મળશે એટલી શાંતિ મારે બસ છે. આજના શિક્ષકધર્મી સાધકે જ્યાં બેઠો હોય ત્યાં પોતાનું તપોવન રચી લેવું રહ્યું.

ભારતવર્ષના સૂક્ષ્મ જીવન માટે નહીં તોયે સ્થૂલ જીવન માટે પણ વનમહોત્સવ જરૂર ઊજવીએ. જુલાઈ, ૧૯૫૦