ગુજરાતી નિબંધ-સંપદા/જયરાય વૈદ્ય/નીતિ લલિતકલા તરીકે

નીતિ લલિતકલા તરીકે

જયરાય વૈદ્ય

કલામાં નીતિ હોવી જ જોઈએ. … કલામાં નીતિ જ હોવી જોઈએ … જરૂર પડ્યે, કલામાં અનીતિ ખુશીથી આલેખી — જરૂર પડવાનો સવાલ નથી, કેમ કે કલાને નીતિઅનીતિ સાથે સંબંધ જ નથી … ના, સંબંધ તો છે પણ અનીતિનો ચીતરનાર વિકારી ન હોવો જોઈએ, તે પોતાના અનીતિચિત્રમાં રાચતો ન હોવો જોઈએ … અરે, પણ સંબંધ સંભવે જ કેમ તેનો તો વિચાર કરો. તમને હજાર વાર તો કહ્યું કે કલાસર્જન વેળા અમને નીતિ કે અનીતિના ખ્યાલ જ નથી સૂઝતા; કેમ કે અમે તો અંતરના ઊંડાણમાં પળેપળ અનુભવી રહ્યા હોઈએ છીએ કે કલા એ કલાને ખાતર જ કલા છે, સનાતન સત્ય છે, બીજાં બધાંય સનાતન અસત્યો છે… … …

હશે. પણ એવી બધી અટપટી ચકચારોમાં ગૂંચવાયેલા આપણે એ વિષયનું એક સાદું સત્ય જોઈ શક્યા નથી એ તો ચોક્કસ. એ સત્ય સાદું છે તેથી જ ઘણીયે સાદી અને સાધારણ લાગતી વસ્તુઓની જેમ, આપણને તે સહેજે દેખાતું નથી. આપણને આજ સુધીમાં ઝાંખોયે ખ્યાલ આવ્યો નથી, ક્ષણભર પણ આવ્યો નથી, કે નીતિ પોતે જ જગતના આદિકાળથી એક સર્વાંગસંપૂર્ણ કલા તરીકે આચરાતી આવી છે. અને કલા તો ખરી, પણ લલિતકલા. તેમાં ઉપયોગનું તત્ત્વ નથી એમ જ કહી શકાય. ઊંચું સુતારકામ કે મોચીકામ કે હાથવણાટ જેમ ઉપયોગ અને લાલિત્ય એ બેઉની સેવા કરવાનો દાવો કરે છે. તેવું અનેકસ્વામીવ્રત નીતિકલાનું નથી. એ તો લલિતભાવની જ એકનિષ્ઠ સેવિકા છે. તમે ઇતિહાસ બરાબર વિચારશો અને જનસ્વભાવને શાંતિથી સમજવા તૈયાર હશો. તો નીતિભાવનાની મુગ્ધકારી લીલામાં લલિતકલાઓનાં સર્વે મહત્ત્વનાં લક્ષણો લાધશે તમને; તો તમને અનાયાસે સમજાશે કે નીતિ પણ એક લલિતકલા છે—કદાચ, એવી કલાઓની મહારાણી એ છે. અને એક વાર આ દર્શન થયા પછી, વખત વહેશે તેમ તેમ, આ સાદું સત્ય સનાતન પણ છે એવી પ્રતીતિ સુદ્ધાં તમને નિઃશંક થવાની છે.

ઊંચા કલાસર્જનની જેમ, ઊંચું નૈતિક વર્તન પણ ઘણી દુર્લભ વસ્તુ છે. સામાન્ય નીતિપ્રેમ તો, સામાન્ય રસિકતા અને કલાદૃષ્ટિની પેઠે. આપણા સૌમાં જ છે. પણ એવા નીતિપ્રેમનું પૃથક્કરણ કર્યું હોય તો?—તો શુદ્ધ નીતિ તેમાંથી થોડી જ નીકળે, (જેમ ચલણી કલાદૃષ્ટિમાંથી શુદ્ધ રસકલાના પણ થોડા જ અંશો સાંપડે તેમ), અને બીજા મેલા પદાર્થોનો ભેગ વધુ પ્રમાણમાં માલૂમ પડે. ભેગના ટકા તમે અનેક જન્માંતરોની તપશ્ચર્યાને પ્રતાપે ઘટાડી શકો એ જુદી વાત. અથવા તો, એક જ જન્મમાં તમે એવા ઉગ્ર નીતિસાધક બની જાઓ કે જન્મારંભે સાવ સંસારકીટ હો અને જન્માન્તે પૂરા સંસારવિરાગી થયા હો; પ્રાણવાન, નમૂનેદાર નીતિના આચાર્ય થયા હો. આ બધું બને, પણ એ તો વિરલ જીવોના સંબંધમાં. અવિરલોએ તો, કલા ને નીતિ બેઉ ક્ષેત્રોમાં, પેલા ભાગ્યદેવીના પહેલા ખોળાના પુત્રો સમા પાંચસાત કે પંદર અમર કલાકારોને અને દેવાંશી સન્તોને પ્રતિદિન વખાણ્યા-પૂજ્યા અને નમ્યા કરવાનું જ હોય છે. (અહીં, જેને શોધવો જ હોય તેને, એક સરસ છબરડો વળાયેલો જડશે. એ પૂછશે: ‘મૂરખ! ‘પહેલા ખોળાના’ વળી પંદર પુત્રો હોય? એ તો એક જ હોય.’ હા, ખરી વાત—આ સૃષ્ટિ માટે જ ખરી. પણ ભાગ્યદેવી તો દેવસૃષ્ટિનાં; અને એમની વાત ક્યારે કઈ બાબતમાં ન્યારી નહોતી કે આમાં ન હોય?)

નીતિ અને કલા જેવી અદ્ભુત શક્તિઓનો સંપૂર્ણ વિકાસ કરવાનો ઇજારો આમ ફક્ત ગણતર માણસોને આપી દેવાથી કુદરતનો કયો ગૂઢ હેતુ સરતો હશે તેની તો એ ભેદભંડાર કુદરતને જ ખબર. તેણે પોતે જ્યાં માનવજાતિની વિરુદ્ધ જઈને, અનેક જાતનાં ભેદીપણાં પોતાના હૃદયમાં છુપાવી રાખવાનો ઇજારો રાખ્યો છે, આપણને અહર્નિશ અસહ્ય, ક્રોધકારી એવો ઇજારો રાખ્યો છે, ત્યાં પછી તેને હાથે નીતિકલાને અપાતા નાના ઇજારાઓની ફરિયાદ શી કરવી? ખેદની વાત છે; અફસોસની વાત છે; ન કહેવાનું કહેવું પડે એવું છે: પણ વિચાર તો કરો કે, આ ઇજારાની બાબતમાં શું કુદરત હાલની ઘણીયે સ્વાર્થપરાયણ રાજ્યસત્તાઓ જેવી નથી? એ સત્તાઓ પણ કેવા કેવા મનગમતા ઇજારા મનગમતા લાકડાઓને આપીને એમને ફટવી મૂકે છે? કુદરતે નીતિકારો અને કલાકારો પરત્વે પણ એવું જ વાંધાભર્યું વર્તન નથી ચલાવ્યું શું? અને એવું વર્તન કોની સામે?—આખીયે માણસજાત સામે! જે જાત કુદરતના એકેએક નિયમને નમાલાં મેંઢા જેમ આજે કલ્પો ને કલ્પો થયા પાળતી આવી છે, જે જાતે સહેજ સરખા નિયમભંગ માટે પણ કુદરતની કરી ઘોર સજાઓ મૂંગે મોઢે ખમી જ લીધી છે, તેની સામે! આવી નમણી ને શાણી, સમજુ ને કહ્યાગરી જાતને કુદરત વિશ્વાસમાં લઈ શકી નથી—પોતાનો એકાદ નાનોસૂનો ભેદ પણ પૂરેપૂરો એની પાસે ખોલી શકી નથી. કેવો ટૂંકો એનો જીવ! કેટલો ક્રૂર અન્યાય! કવિપ્રોક્ત ‘લોહીદંતાળી, લોહીનખાળી કુદરત’ના સાચા સ્વરૂપનું કેવું આબાદ દૃષ્ટાંત!

પ્રેરણા વિના ઉત્તમ કલાકૃતિ નહિ, તેમ પ્રેરણા વિના ભવ્ય નીતિકર્મ પણ નહિ. નીતિના સાધારણ નિયમોને સાધારણ માણસ પાળે છે, એ તો ઘણીખરી વાર પોતાના સ્વાર્થ ખાતર કે લોકાપવાદની બીકે. પણ અસાધારણ વિભૂતિઓનું તેવું નથી. તેમને તો અંદરથી હરહમેશ એક ઝીણો છતાં સુસ્પષ્ટ નાદ નીતિભાવનાને અનુસરવા પ્રેર્યા જ કરતો હોય છે. એનું ગાન એમના આત્માને એટલું બધું આવરી લેતું હોય છે કે એમનું હરેક કૃત્ય તેઓ પોતે નહિ, એટલું એ ગાનશક્તિ એમની વતી કરતી હોય છે. અને એ નિત્યના પ્રેરણાપ્રવાહને કોઈ મહાપ્રસંગ કસોટીએ ચઢાવે છે, નીતિ અને અનીતિ એમાંથી શાની પસંદગી કરવી એવો પ્રશ્ન એ માણસ પાસે પળવાર કરાવે છે, ત્યારે, કોઈ વાર ક્ષણ બે ક્ષણ તો કોઈ વાર દિવસ બે દિવસના સંશયકલ્લોલ પછી, એ જ પ્રવાહ બેવડા જોરથી તેને નીતિપંથે જ વાળે છે. પણ આવી સંશયની દશા તો વિભૂતિઓમાંયે દુય્યમ વિભૂતિને ભાગે વધારે હોય છે. પહેલી પંક્તિના મહાપુરુષ મનને તો એટલુંયે ડોલવાપણું રહેતું નથી. તેને માટે તો સૉક્રેટિસનું સૂત્ર હમેશ જ ખરું હોય છે: ‘વર્ચ્યુ ઇઝ ઍન ઇન્સ્પિરેશન.’ અંતરના અવિરત, અવિચ્છિન્ન પ્રેરણાપ્રવાહને બળે તેઓ પુણ્યકર્મો કરતા હોય છે. આવા પુણ્યપ્રભુ (એક, બે, ચાર કે અસંખ્ય જન્મોની સાધના પછી) બનવાની શક્તિ દરેક માણસમાં છે એમ આત્મવિકાસવિદ્યાના આચાર્યો કહે છે. એ ખરું હોય તો નિર્મલતમ નીતિ એ થોડાકનો ઇજારો મટી, સહુ કોઈનો અમૂલખ વારસો કોઈક દહાડો બને ખરી.

ઉત્કૃષ્ટ કલાકૃતિ કઈ?—પોતાનું કલાપણું સંતાડે તે; પોતામાં સૌથી સમૃદ્ધ ને સૂક્ષ્મ કલાનું તત્ત્વ હોવા છતાં, એને આગળ પડીને વરતાઈ આવવા ન દે તે; એને એક સ્વાભાવિક વસ્તુ તરીકે પોતામાં સમાવે અને છતાં ધારી અસર અચૂક ઉપજાવે તે. આ ગુણો ભવ્ય નીતિકર્મ અને નિરતિશય સાધુતાના પણ છે. નીતિસ્વામી પણ કલાસ્વામીની જેમ સ્વવિષયે એટલો તદાકાર હોય છે, એ એક જ ધન્ય ખુમારીમાં એટલો તો લીન રહે છે આઠે પહોર, કે એનું નીતિપાલન બીજાત્રીજા ઉપલકિયા સાધુ-સંતોની જેમ પોતાની જાતજાહેરાત કરતું નથી. એવી જાહેરાત એ કરતું નથી તોપણ તે પોતાનો મધુર પ્રભાવ, મધુર તેટલો જ સબળ પ્રભાવ, આસપાસની દુનિયા પર પાડ્યા કરે છે. અને આ તબક્કે આપણને નીતિના કલા સાથેના સામ્યનું એક વધુ — હાલને કાજ છેલ્લું—દૃષ્ટાંત મળે છે. નીતિ આચરવામાં આટલો તલ્લીન બનેલો માણસ, ‘નીતિને ખાતર જ નીતિ’ના સિદ્ધાંતનો અનન્ય ભક્ત હોય છે. એમ નહિ કે એ નીતિનો શુષ્ક ઉપાસક થાય છે, કે જીવન સાથે સજીવ સંબંધ નીતિને નથી એવું સ્થાપવા માગે છે. ના, ખરી વાત એ છે કે નીતિશુષ્કતા નહિ, નીતિરસિકતા જ તેનો પ્રાણ હોય છે—તેનો સૌથી ઉજ્જ્વળ, સૌથી પાકો જીવનરંગ હોય છે, પણ પોતાની આવી ઊંડી, વ્યાપક નીતિમયતાને ભાનસાનપૂર્વક, જડતાથી, મનમાં વાગોળ્યા કરવાની કે તેની વાતો કર્યા કરવાની ટેવ તેને હોતી નથી. તે નૈતિક આચરણના અંચળાના અણખમાતા બોજા હેઠળ દિનરાત ચગદાતો, નીતિસિદ્ધાંતોનો રખેવાળ એકમાત્ર પોતે જ વિશ્વમાં જીવતો રહ્યો હોય તેવું પોતાનું જીવન ગાળતો નથી; ને બીજા પાસે ગળાવવાની પંચાતમાં પડતો નથી. તેને તો પોતાનું સ્વભાવસિદ્ધ પરમાનંદભર નીતિજીવન જીવવામાં તે મજા પડે છે, જે મજા ‘કલા ખાતર કલા’નો શાણો રસાચાર્ય અથવા ‘જ્ઞાન ખાતર જ્ઞાન’નો સંપૂજ્ય આચાર્ય ભોગવતો હોય છે.