ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/આટાનો સૂરજ

From Ekatra Wiki
Revision as of 07:33, 28 June 2021 by NileshValanki (talk | contribs)
Jump to navigation Jump to search
આટાનો સૂરજ

રતિલાલ ‘અનિલ’

મારી મા આટાનો સૂરજ બે હથેળી વચ્ચે ઘડતી, હા, આટાનો સૂરજ! સફેદ સફેદ, ગોળ ગોળ અને હું જોયા કરતો એ લથબથ આટાનો સૂરજ, એ બે હાથ વચ્ચે ફરતો, ઘડાતો અને ગોળ ગોળ બનતો… હાથના એ થપથપાટમાં માતાનું વહાલ હતું. જ્યારે એ ઘડાતો ત્યારે એ લાગતું આજે જરૂર સૂરજ ઊગ્યો છે. વાદળા જેવું કશું આવરણ નથી. ખાસ્સો ઉજાસ છે અને દિવસ દેખાય છે, હું દેખાઉં છું, મા દેખાય છે… દિવસ ઊગ્યાની જાણ ત્યારે આ શિશુને મારી મા આટાનો સફેદ સફેદ સૂરજ ઘડતી ત્યારે થતી… અમે દીવાના અજવાળે જોતાં તો કેટલું મોડે શીખ્યા! અમને શિખવાડવામાં આવ્યું ત્યારે. તેય થોડું થોડું! અમને તો ચૂલો ઊગે ત્યારે દિવસ ઊગવાનો એવું લાગતું… માણસનો સૂરજ ઊગ્યો એની માએ બંને હાથે આટાનો સૂરજ ઘડવા માંડ્યો ત્યારે જાણ થઈ! તે પહેલાં તો પેલા પશુ જેમ આમતેમ હડી કાઢી, ઝપટી, ઝાપટ મારી કંઈ ખાઈ લેતા. એ આદિમ લોક હતો, આ મારો લોક… માએ આટાનો સૂરજ ઘડવા માંડ્યો ત્યારે મનુષ્યલોક બન્યો.

માણસે પહેલાં ચૂલો સળગાવ્યો, તે પછી એને લાગ્યું કે દીવો કરું, પહેલાં તો ચૂલાના અજવાળે એકબીજાનાં મોઢાં જોઈ લેતા… એના પર નાચતા પ્રકાશના ઓળા જોઈ રહેતા, ધુમાડો થાય ત્યારે સૂરજગ્રહણ જેવું લાગે પણ મા ચૂલામાં ફૂંક મારે, પછી ખાંસે અને મોઢું તણાય પછી ગ્રહણ છૂટી જાય… એ માટે બ્રાહ્મણને કે અંત્યજને દાન કરવું પડતું નહીં. ઘડતા સૂરજને અમે કોઈ વિસ્મયથી નહિ, આશાથી નહિ, પણ બસ જોઈ રહેલા… અમે મંદિર બંધાતું હતું ત્યારે ઘડાતા ઈશ્વરને પણ જોયો હતો… હતો તે લંબચોરસ પથ્થર, ઘડનારને લાગતું કે એના મૂળ આકાર આસપાસ થર જામી ગયાં છે તે દૂર કરું એટલે ઈશ્વર પ્રગટ થશે પણ એ કામ બે ટાંકણાં ને હથોડી લઈને કરતો તે કંઈ ગમતું નહિ, આ મારી મા લોટના પિણ્ડમાં છુપાયેલા સૂરજને વહાલથી થપથપાવીને પ્રગટ કરે છે એવું કંઈ એમને કેમ આવડતું નહિ હોય? એ તો ‘કળાકાર’ કહેવાય છે, અને મા તો બસ મા છે, એથી વિશેષ કંઈ નહિ, આટાના સૂરજની પણ એ માતા જ ને? આ સૂરજને રોજ રોજ ઘડવો પડે છે શા માટે? માતા પોતાના અસ્તિત્વ માટે, પોતાના જીવન માટે, માતૃત્વ માટે એ અનિવાર્ય માનતી હશે… સૂરજ રોજ ઊગવો જોઈએ માતૃત્વને જીવન્ત, અખંડ રાખવા માટે. પેલો કહેવાતો સૂરજ કહે છે કે આથમે છે ત્યારે વળી મા આટાના સૂરજને બંને હાથને આમતેમ કરી, એને મલાવી મલાવીને ઘડે છે… પેલો મૂર્તિકાર પુરુષ છે. મૂર્તિ પુરુષની કઠોરતાથી કદી ઓગળતી નથી, એ ઈશ્વરને પણ કઠોરતાથી ઘડે છે. આટાનો સૂરજ ઘડાય છે ત્યારે કેવો, રસ પડે એવો, બસ સાંભળ્યા કરીએ એવો ધ્વનિ આવે છે… એમાં જીવનનો લય અને યતિનો અનુભવ થાય છે… દૂર સડક પરથી ચાલ્યા જતા સૂરજના ઘોડાની ટાપ પણ માના એ થપથપાટમાં સંભળાય…

પેલા ખ્રિસ્તીઓ તો ઈશ્વરને પિતા અને ઈસુને ઈશ્વરનો પુત્ર કહે છે, પણ મને તો એ મેરીનો દીકરો જ લાગે છે. એ પિતાના પુત્ર કરતાં મેરીનો પુત્ર વધારે લાગે છે… હા, સાચું કહું છું, સાચું કહું છું, પિતા કઠોર જ હોય છે, કઠોર, એ સખ્તાઈથી ઘડે છે. પેલો મૂર્તિકાર હથોડી અને ટાંકણાથી મંદિરના ઈશ્વરને ઘડે છે તેમ જ… એ પિણ્ડ આસપાસના થરને થપથપાવી વહાલથી કંઈ ઘડી શકતો નથી… આવો કરુણાળુ ઈસુ પિતાએ ઘડ્યો હોય? ના, ના, આટાનો સૂરજ ઘડતી મેરીએ જ વહાલથી એને ઘડ્યો હશે. પિણ્ડને શી રીતે ઘડવો એ માતા જ જાણે છે, માતા જ જાણે છે. પિતા પિણ્ડ હાથમાં લે છે, ત્યારે પણ મારે પથરાને જ ઘડવાનો છે એવું માને છે અને મા પથરાને હાથમાં લે છે ત્યારે મારે સ્વાદિષ્ટ ચટણી જ લસોટવાની છે એમ માને છે… અને એકલય બને છે… ગોળ પથરો આગળ જાય, પાછળ જાય અને ચટણી લસોટાય… મા જાણે ચટણીને નહીં, એક લયને લસોટે છે, લયને… મેં પ્રથમ વાર ઘડિયાળનું લોલક જોયું એ પહેલાં એનો લય આ લસોટાતા લયમાં જોયો હતો.

આ ભદ્ર લોકોની રોટલી સાચું કહું છું, મને ગમતી નથી. જુવારના સફેદ સફેદ, બારસી જુવારના રોટલાથી મારો પિણ્ડ ઘડાયો છે, એ સૂરજ મારો જઠરાગ્નિ બન્યો હતો… એમાં સર્જનનો લય હતો. બંને હાથમાં રહીને આમતેમ ઝૂલતો, થપથપાવતો, ચૂલાના અજવાળે એ કાંતિમાન લાગતો અને થપ્પ દઈને કલેડે પડતો, તવેતાથી ફેરવાતો, અને સુગંધ આવતી, જઠરાગ્નિને આતુર કરી મૂકતી… એવું કશું આ રોટલીમાં નથી. એ ઘડાતી નથી, વણાય છે… એ ‘પ્રોડક્ટ’ લાગે છે, માના હાથનું ઘડતર એ નથી.

અમારે દીવાટાણું નહોતું થયું. દીવાટાણું તો આ રોટલી આવી ત્યારે થવા લાગ્યું. માના વખતમાં તો ચૂલાટાણું થતું. ચૂલાના અજવાળે અમારા ચહેરા મા જોતી… પછી એ કહેતી: ‘ફૂંક માર તો ભઈલા…’ અને અમે ધુમાડા ભેગી રાખ પણ ઉડાડતા! બાળકો આમેય મસ્તીખોર ન થાય તે બાળક નહીં! અમે તો મસ્તી ભૂલી જવાની હોય ત્યારે જ પિતા પાસે જતા. પિતા કઠોર વ્યવસ્થાનું પ્રતીક, વ્યાકરણનો એક કઠોર નિયમ, સમાસ કરતી વખતે બંને શબ્દને જોડી નહીં, પુરુષ-‘પિતા’ બને નહીં, પુરુષ-પિતા એવી જોડણી સ્વીકારે. સમાસમાં પણ અંતરમાં રાખે. પ્રત્યયની જેમ માના વાંસે ઝૂલી શકાય, પિતાના વાંસે? જોખમ તો ખરું જ. માને પ્રત્યયનો બોજ લાગતો નથી, એ એને પોતાનું જ અભિન્ન અંગ માને છે.

ખરેખર આટાનો સૂરજ ઘડાતો એ સમય ‘ટાણું’ લાગતું. બહાર રઝળવા ગયા હોઈએ અને અલગ અલગ રહેતા પુત્રો-પુત્રવધૂને ન્યૂ ઇયર સાંભરે અને માની પાસે ડિનરટેબલ પર ભેગાં થઈ જાય એમ અમારે માટે સાંજ એ ન્યૂ ઇયરનું ટાણું થઈ જતું! અમે ગમે ત્યાં હોઈએ પણ ટાણે હાજર થઈ જઈએ, મા પાસે — ‘ચૂલા પાસે’ એ તો અ-કવિના શબ્દો છે.

આટાનો સૂરજ ઘડાતો માના વ્હાલસોયા હાથે. ત્યારે રોજ રોજ ટાણું આવતું, એ માટે કૅલેન્ડર–પંચાંગ જોવા પડતાં નહીં… ના, નહીં જ વળી, મારા ચહેરા ચૂલાના અજવાળે કાંતિમાન થતા-થયા. અમને મહેનતુ કહેવાતા માણસોને એ અજવાળાએ જ કાંતિ આપી. હા, પહેલા મા કપાસનું રૂ લઈને પૂમડું બનાવતી, એને ઘીવાળું કરી, કોડિયામાં મૂકી, પ્રગટાવી એનું સૌમ્ય તેજ ચહેરે ઝીલી, બે હાથ જોડી, તે પછી જ ચૂલો પ્રગટાવતી, પણ એ દીવો કરવામાં મોડું થતું અને અમે અકળાઈ ઊઠતા… પહેલા દીવો, પછી ચૂલો… એ ક્રમ માને સમજાતો, અમને નહીં. દીવાટાણું, ચૂલાટાણું… અમે તો માત્ર ‘ટાણું’ યાદ રાખતા, એ જ યાદ રહેતું. નાતાલની રાતે વિખેરાઈને રહેતો ખ્રિસ્તી પરિવાર મા-બાપને ત્યાં ડિનરટેબલ પર ભેગો થઈ જાય એમ અમે બધાં સાંજે ચૂલા આસપાસ, માની આસપાસ ભેગાં થઈ જતાં… અમને જીવનની ગંધ આવવા માંડતી… એવું તે શું થયું કે હવે જિજીવિષાની ગંધ સાંજટાણે આવે છે? પેલી મા–હા, ‘પેલી’, ‘આ રહી મા’ કહેવાનો અવસર તો નીકળી ગયો, ગયો ગયો, ગયો જ તે… જીવનની ગંધ ઊછરતા; ઊગમ પામતા જીવનની ગંધ… ઊગતા સૂરજની ગંધ… માના હાથે ઘડાતા આટાના સૂરજ અને અશ્વિનીકુમારના ઘડતરની ગંધ…

હવે અધીરતાને ક્રિયામાં જોડી તેને સૌમ્ય કરવા કોઈ કહેતું નથી: ‘ચાલ, હાથપગ ધોઈ આવ, કાંધી પરથી થાળી ઉતાર, લૂછ, અને લઈને બેસી જા…’ આટાનો સફેદ સૂરજ પણ ઘડાતો નથી, રોટલી શી રીતે વણાય છે તેયે જોતો-જાણતો નથી, ટાણું આવે છે કે નથી આવતું તેયે જાણતો નથી, હાંક પડે છે: ‘જમવા ચાલો’ અને ટેવથી બોલી જવાય છે ‘અવાય છે હવે… એમ કરો, અહીં જ થોડું મોકલી આપો…’ ડિલિવરી… ડ્રૉઇંગરૂમમાં બેઠાં ડિલિવરી… મોઢા પર ઇલેક્ટ્રિક બલ્બની રોશની લીંપી છે. ચૂલાનું નાચતું અજવાળું મોઢા પર પણ પ્રતિછાયા કે ઓળા રૂપે નાચતું તે માની સાથે ગયું… ‘આપણાં’ને ‘પેલાં’ કહેવાં પડે, નજીકને દૂર કહેવું પડે, હાથવગા સૂરજને ‘પેલ્લો દૂર દૂર દેખાય એ સૂરજ…’ કહેવું પડે એ કેટલું વસમું હોય છે… ‘વસમાં વળામણાં’ રણે જતા પુરુષને જ શું હોય છે? પોતીકાં, પોતીકાપણું લેતાં જાય, એ જ વિરહ છે, એ જ વિરહ છે, જુદાઈ છે.