ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/સંપાદક-પરિચય

From Ekatra Wiki
Revision as of 15:14, 3 June 2021 by Atulraval (talk | contribs) (Created page with "=== કિશોર વ્યાસનો પરિચય === {{Poem2Open}} કિશોર વ્યાસ(ઈ.૧૯૬૬)ગુજરાતી સાહિત્યજગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કિશોર વ્યાસનો પરિચય

કિશોર વ્યાસ(ઈ.૧૯૬૬)ગુજરાતી સાહિત્યજગતમાં વિવેચક અને સૂચિકાર તરીકે જાણીતા છે. છેલ્લા અઢી દાયકાથી આ બંને વિદ્યામાં તેઓ અતંદ્રપણે કાર્યરત છે. વસ્તુલક્ષી પરીક્ષણ અને સ્પષ્ટ નિરીક્ષણ તેમના વિવેચન-અભ્યાસનો વિશેષ છે.

કિશોર વ્યાસના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર છે : સાહિત્યિક પત્રકારત્વ. વિશિષ્ટ પરિચય, વિશાળ સ્વાધ્યાય અને વિરલ સૂચિકરણ એના ત્રણ પરિમાણ છે. ‘ગુજરાતી સાહિત્યિક સામયિકો’,‘હાજી મહંમદ અલારખિયા શિવજી’ અને ‘મૈત્રીભાવ’ એ ત્રણ પરિચયપુસ્તિકા તેનું પહેલું પરિમાણ,‘સંવિવાદના તેજવલયો’(હવે સાહિત્યિક પત્રકારત્વ), ‘પુનર્લબ્ધિ’ અને ‘નિર્દેશ’ એ ત્રણ અભ્યાસગ્રંથ તે બીજું પરિમાણ અને સામયિક લેખ સૂચિ ૨૦૦૧-૨૦૦૫, ૨૦૦૬-૨૦૧૦, ૨૦૧૧-૨૦૧૫ એ તેનું ત્રીજું પરિમાણ. એમાં ‘મનીષા-ખેવના-ગદ્યપર્વ’ જેવા સામયિકોની સમગ્ર સૂચિ તથા ‘બુંદ બુંદની સૂરત નિરાલી’ (રમણ સોની સાથે સહ સંપાદન) પણ ઉમેરી શકાય. છેલ્લા પાંચેક વર્ષથી તેઓ સૂરતના ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં અક્ષરની આરાધના રૂપે કટારલેખન પણ કરે છે ને લગભગ એટલાંજ વર્ષોથી ગુજરાતી સામયિકોનું કોશ કાર્ય પણ એકલે હાથે કરી રહ્યા છે. એમનો આ સર્વાંગી સામયિક સ્વાધ્યાય ભવિષ્યમાં ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખનાર માટે અત્યંત ઉપયોગી પૂરવાર થશે. આવા કઠોર પરિશ્રમમાંથી મુક્તિનો આનંદ મેળવવા કિશોર વ્યાસ સર્જનાત્મક ગદ્યલેખન પણ કરે છે. ગદ્યલેખન પણ ત્રિમાર્ગી છે. ‘લપસણીની મજા’ અને ‘સિંહનો મોબાઈલ’(બાળવાર્તાઓ), ‘દે દામોદર દાળમાં..’(હાસ્યનિબંધ),‘દેવળાને ઝાંપે’ (સંસ્મરણો)માં તેનો આસ્વાદ લઈ શકાય છે. કિશોર વ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી શ્રી એમ. એમ. ગાંધી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, કાલોલ(જિ.પંચમહાલ)માં ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરે છે. દોઢ દાયકાથી તેઓ આ કોલેજના આચાર્ય પણ છે. એમના સંચાલન અને માર્ગદર્શનમાં આ વિદ્યાસંસ્થાએ આગવી મુદ્રા ઊભી કરી છે. વિદ્યાલયનું હરિયાળું પરિસર, સમૃદ્ધ ગ્રંથાલય અને ‘ટ્રેનમાં ગાંધીજી’ પુસ્તક પ્રકાશન એ ત્રિવિધ સ્વરૂપે તેની અનોખી ઓળખ થશે. કિશોર વ્યાસને પ્રમોદકુમાર પટેલ વિવેચન સન્માન, કુમારચંદ્રક, રા.વિ.પાઠક ‘પરબ’ પારિતોષિક, વિદ્યાગુરુ ફાઉન્ડેશનનો દર્શક એવોર્ડ આદિ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. — રાજેશ પંડ્યા