ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સિંઘલસી-ચરિત્ર’


‘સિંઘલસી-ચરિત્ર’ [ર.ઈ.૧૪૬૩] : પૂર્ણિમાગચ્છના સાધુ રતનસૂરિના શિષ્ય મલયચંદ્રની દુહા-ચોપાઈબંધની ૨૨૦ કડીમાં રચાયેલી આ પદ્યવાર્તા(મુ.)માં સિંહલદ્વીપનો રાજપુત્ર સિંહલસિંહ પોતાનાં શક્તિને પરાક્રમથી ધનવતી, રત્નાવલી, રૂપવતી અને કુસુમવતી એ ચાર સ્ત્રીઓને કેવી રીતે પરણી લાવે છે એની કથા છે. વાર્તાનું માળખું ભ્રમણકથાનું છે. સિંહલસિંહના રૂપથી મોહવશ બનતી નગરસ્ત્રીઓને લીધે સિંહલસિંહને ભોગવવો પડેલો દેશવટો, સમુદ્રયાત્રામાં સિંહલસિંહ અને ધનવતીનું વિખૂટા પડવું, ઊડતી ખાટ, અક્ષયપાત્ર અને સર્પદંશે વિરૂપતા તથા પુન:સ્વરૂપપ્રાપ્તિ આ કૃતિના ધ્યાનાર્હ કથાંશો છે. સાહસ, શૌર્ય તથા ચમત્કારયુક્ત આ કથામાં કથાનિરૂપણ તરફ કવિનું જેટલું લક્ષ્ય છે તેટલું ભાવનિરૂપણ કે વર્ણન કે રત્નપુરમાં પ્રવેશ વખતનાં વર્ણનોમાં કવિની કવિત્વશક્તિનો કેટલોક પરિચય મળે છે. વહાણવટાને લગતા કેટલાક શબ્દોનો પ્રયોગ પણ ધ્યાન ખેંચે છે.[ભા.વે.]