ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંજની ગીત


અંજની ગીત : મરાઠીમાંથી ઊતરી આવેલી પદ્યરચના. એમાં ૧૬ માત્રાની એક એવી ત્રણ પંક્તિ એક જ પ્રાસથી સંકળાયેલી હોય છે જ્યારે ચોથી ૧૦ માત્રાની પંક્તિ ટૂંકી હોય છે અને પહેલી ત્રણથી વિખૂટી પડી પ્રાસને છોડી દે છે. ‘નાગાનન્દ’ના ગુજરાતી ભાષાન્તરમાં રાજારામ રામશંકરે પહેલીવાર એનો પ્રયોગ કર્યો હોવા છતાં એનું આસ્વાદ્ય રૂપ ‘કાન્ત’માં જોવા મળે છે. ‘આકાશે એની એ તારા/એની એ જ્યોત્સનાની ધારા/તરુણ નિશા એની એ, દારા/ક્યાં છે એની એ?’ ચં.ટો.