ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અઘોરપંથ


અઘોરપંથ : મેલી સાધના કરનારા અઘોરીઓનો પંથ, જેના પ્રવર્તક ખુદ અઘોરનાથ શિવ મનાય છે. રુદ્રની મૂર્તિને શ્વેતાશ્વેતરોપનિષદમાં અઘોર (મંગલમયી) કહી છે અને એમનો અઘોરમંત્ર પ્રસિદ્ધ છે. નિર્ગુણ અદ્વૈતવાદને સૈદ્ધાન્તિક રીતે અનુસરતો આ પંથ હઠયોગ અને ધ્યાનયોગને આગળ કરે છે અને તંત્રસાહિત્ય પર આધાર રાખે છે. શબસાધના, નરમાંસ તેમજ મળમૂત્રભક્ષણ, ખોપરીમાં મદિરાપાન, એમના માન્ય વ્યવહારો છે. ‘વિવેકસાર’ એમનો પ્રમુખ ગ્રન્થ છે અને એમાં પંથના પ્રસિદ્ધ કિનારામે આત્માનુભવની ચર્ચા કરી છે. ચં.ટો.