ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપહ્નુતિ


અપહ્નુતિ : સાદૃશ્યમૂલક અલંકાર. પ્રકૃતનો નિષેધ કરીને જ્યાં અપ્રકૃતની સ્થાપના કરવામાં આવે છે ત્યાં અપહ્નુતિ અલંકાર બને છે. વામન, રુદ્રટ, મમ્મટ વગેરે આલંકારિકોના મતાનુસાર પ્રકૃત અને અપ્રકૃત વચ્ચે સાદૃશ્ય હોવું અનિવાર્ય છે. જેમકે ‘આ મુખ નથી પરંતુ ચંદ્ર છે.’ અહીં મુખ ઉપમેય છે. તેનો નિષેધ કરીને ઉપમાન ચંદ્રની સ્થાપના કરવામાં આવી છે. મુખ અને ચંદ્ર વચ્ચે સાદૃશ્ય છે. તેથી આ પ્રમાણે વિધાન કરી શકાયું છે. આલંકારિકોએ આના વિવિધ ભેદ બતાવ્યા છે. જ.દ.