ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવિશ્વસિતનો


અવિશ્વસિતનો અભીષ્ટ નિરોધ (Willing suspension of disbelief) : ‘બાયોગ્રાફિયા લિટરેરિયા’ નામક પોતાના ગ્રન્થના ૧૪મા પ્રકરણમાં કોલરિજે યોજેલી સંજ્ઞા, જેણે સ્પષ્ટ રીતે સૌન્દર્યબોધના મનોવૈજ્ઞાનિક આધારને જુદો તારવી આપ્યો છે. સાહિત્યકૃતિમાં રજૂ થતી અપ્રતીતિકર વીગતનો વાચક દ્વારા જાણીબૂઝીને સ્વીકાર થાય છે. આ પ્રકારની વીગત કૃતિના મુખ્ય રસને અનુકૂળ હોવાથી તેમાં રહેલા અપ્રતીતિકર અંશોની અવગણના કરી વાચક લેખકને અભિપ્રેત અર્થમાં તે વીગતનો સ્વીકાર કરે છે. પ્રેક્ષકગણ પણ એ જ રીતે રંગભૂમિની અને રંગમંચની પ્રણાલિઓનો સ્વીકાર કરીને ચાલે છે. પ.ના.