ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૌમુદી



કૌમુદી : વિજયરાય ક. વૈદ્ય દ્વારા ૧૯૨૪માં મુંબઈથી પ્રકાશિત ત્રૈમાસિક. ૧૯૩૦માં પુનર્જન્મ, પછીથી માસિક. ૧૯૩૭માં પ્રકાશન બંધ સાહિત્યિક કૃતિઓ ઉપરાંત મનન, સાહિત્યકલાનાં આંદોલનો, સમકાલીન સાહિત્યપ્રવાહ, મિતાક્ષરી મતદર્શન-અવલોકનો, મહેફિલ, સંચય અને સાહિત્યસેવીની રોજનીશી જેવા સ્થાયી વિભાગોમાં બહુધા સાહિત્યિક ચર્ચા-વિચારણા તથા ક્વચિત્ સાહિત્યેતર સામગ્રી પ્રગટ કરતા ‘કૌમુદી’એ તેની તંત્રીનોંધો અને મિતાક્ષરી મતદર્શનોથી સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચ્યું હતું. ‘કીર્તિદાને કમળના પત્રો’, ‘સોરઠી સાહિત્યની ધારા’, ‘ગુજરાતી સાહિત્યમાં ‘સંગીતકાવ્ય’, ‘લિરિક’, ‘બંગાળી સાહિત્યમાં મધુસૂદનનું સ્થાન’ તથા ‘શિવાજી : એક દિગ્દર્શન’ જેવા લેખો તેમજ ‘કલાપી’ અને ન્હાનાલાલ ઉપરના સમૃદ્ધ વિશેષાંકો આપનાર કૌમુદીની આગવી સાહિત્યિક મુદ્રા હતી. ર.ર.દ.