ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાત્ર અને પાત્રાલેખન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પાઠાન્તર
|next = પાદટીપ
}}

Latest revision as of 07:12, 28 November 2021



પાત્ર અને પાત્રાલેખન(Character and Characterization) : કથાકૃતિ કે નાટ્યકૃતિમાં રજૂ કરાયેલાં કાલ્પનિક મનુષ્યો પાત્રો છે. જેમનાં સંવાદ, કાર્યગતિ અને પ્રયોજનો દ્વારા વાચકો એમનું અર્થઘટન કરે છે. પાત્રોમાં જ્યારે મૌલિકતા કે વૈયક્તિકતાના અભાવે કોઈ એક ચોક્કસ વર્ગ કે જાતિના પ્રતિરૂપ તરીકેની લાક્ષણિકતાઓ જોવા મળે છે. ત્યારે એવાં પ્રણાલિગત રૂઢ પાત્રો કે વર્ગપાત્રો (Stock characters or type characters) ભાવકને અતિપરિચિત અનુભવાતા હોય છે. એમનાં લક્ષણો એમની વર્તણૂક, એમનાં દૃષ્ટિબિન્દુ, એમનાં વલણની ભાવક આગળથી કલ્પના કરી શકે છે. સંસ્કૃતનો ‘વિદૂષક’, વઢકણી સાસુ કે ત્રાસદાયી સાવકી મા, ભુલકણો પ્રોફેસર આ બધાં આ વર્ગમાં આવે. કથાસાહિત્યમાં આવાં સ્થગિત અને અવિકસિત પાત્રોનો વિપુલ પ્રમાણમાં વિનિયોગ થયો હોય છે. અલબત્ત, પ્રતિભાશીલ લેખક આવાં રૂઢ પાત્રોને પણ વ્યક્તિઓમાં રૂપાન્તરિત કરી નાખી શકે છે. બીજી બાજુ, પાત્રો ગતિશીલ, અનનુમેય અને વિકસિત હોય છે, ત્યારે જીવંત વ્યક્તિઓની જેમ જટિલ અને સંકુલ બને છે. હેમ્લેટ, સરસ્વતીચન્દ્ર કે રાસ્કોલ નિકોફ આ વર્ગમાં આવે. આવાં રૂઢ અને જીવંત પાત્રોનો ભેદ કરવા ઈ. એમ. ફોર્સ્ટરે બે નવી સંજ્ઞાઓ આપી છે : એક પરિમાણી કે દ્વિપરિમાણી પાત્ર (Flat Character) અને બહુપરિમાણી કે સંકુલ પાત્ર (Round Character). એક પરિમાણશીલ પાત્રો કોઈ એક જ વિચાર કે લક્ષણની આસપાસ સર્જાયાં હોય છે અને કોઈ પણ વૈયક્તિક વીગત વગર રજૂ થયાં હોય છે. તેથી એમને એકાદ વાક્યના લસરકે વર્ણવી શકાય છે. તો, બહુપરિમાણી પાત્રોનાં વ્યક્તિત્વ અને પ્રયોજનો સંકુલ હોય છે અને સૂક્ષ્મ વિશિષ્ટતાઓ સાથે રજૂ કરવામાં આવ્યાં હોય છે. અને આવાં પાત્રો જીવતાં મનુષ્યોની જેમ આપણને આશ્ચર્યમાં પણ મૂકતાં હોય છે. કથાકાવ્ય, નાટક, નવલકથા યા ટૂંકી વાર્તામાં આવાં કાલ્પનિક પાત્રોનું પ્રતિનિધાન તે પાત્રાલેખન છે. કથાસાહિત્યમાં કાલ્પનિક પાત્રો પાત્રાલેખન દ્વારા એટલાં સજીવ બની જાય છે કે વાચક માટે જીવતી વ્યક્તિઓ જેવી એમની હયાતી બની રહે છે. વાચકોમાં નાયક જેવાં પાત્રોની સાથે એકરૂપ થવાનું કે ખલનાયક જેવાં પાત્રોને ધિક્કારવાનું એક સ્વાભાવિક વલણ હોય છે. વાચક જેને ઓળખતો નથી કે સમજતો નથી એની સાથે એ ભાગ્યે જ એકરૂપ થઈ શકે છે. આથી કથાસાહિત્યમાં પાત્રાલેખન મહત્ત્વનું છે. વાચક પાત્ર સાથે એકરૂપ થાય કે એને ધિક્કારે પરંતુ લેખકને હાથે પાત્ર સજીવ થઈને અવતરવું જોઈએ. પાત્રાલેખન એ માત્ર આડપેદાશ નથી, કથાનકનો અનિવાર્ય અંશ છે. પાત્રો કથાનકને ઘડે છે. કથાનક પાત્રોમાંથી પરિણમી પાત્રો પર નભે છે. પાત્રાલેખનની બે વૈકલ્પિક રીતિઓ અંગે ભેદ કરવામાં આવે છે. ‘દર્શાવવું’ (Showing) અને ‘કહેવું’ (Telling). ‘દર્શાવવું’ જેવી પરોક્ષ કે નાટ્યરીતિમાં લેખક પાત્રને સંવાદમાં અને કાર્યમાં રજૂ કરે છે અને પાત્રો જે કાંઈ કરે છે કે કહે છે એની પાછળનાં એમનાં પ્રયોજનોને તારવવાનું વાચક પર છોડે છે; જ્યારે ‘કહેવું’ જેવી અપરોક્ષ રીતિમાં લેખક પોતે વર્ણવવા માટે અધિકારપૂર્વક દાખલ થાય છે; અને ઘણીવાર એનાં પાત્રોનાં પ્રયોજનોનું મૂલ્યાંકન પણ કરે છે. પાત્રની વર્ણનવીગતો પર ઠરી વ્યક્તિત્વ અભ્યાસની રીતે ક્યારેક ચરિત્રચિત્રણ (Character Sketch) પણ આપવામાં આવે છે. અલબત્ત, આધુનિક લેખકોએ લેખક તરીકે સીધી સંડોવણી વિના વસ્તુલક્ષિતાપૂર્વક બિનંગતપણે અને નાટ્યાત્મક રીતે પાત્રોને રજૂ કરી ‘દર્શાવવું’ તરફ વિશેષ પક્ષપાત દર્શાવ્યો છે; તો ‘કહેવું’ની રીતિમાં પણ કેટલીક મહાન નવલકથાઓમાં ઉત્તમ પાત્રાલેખનોનાં ખાસ્સાં ઉદાહરણો જડી આવે તેમ છે. આથી પાત્રાલેખનની કઈ રીતિ ઉત્તમ એ અંગેનો વિવેક કરવો મુશ્કેલ છે. ચં.ટો.