ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પીટીટ લાઈબ્રેરી



પીટીટ લાઇબ્રેરી : એલ્ફિન્સ્ટન કૉલેજના કેટલાક પારસી વિદ્યાર્થીઓને પોતાના રહેણાકના ફોર્ટ(મુંબઈ) વિસ્તારમાં વાચનખંડ(Reading Room)ની આવશ્યકતા જણાતાં ૧૮૫૬માં ફોર્ટ ઈમ્પ્રૂવમેન્ટ લાઈબ્રેરીની સ્થાપના કરી. દાયકાની કારકિર્દી પછી એ વાચનખંડ ‘ફોર્ટરીડિંગરૂમ અને લાઈબ્રેરી’ના નામે જાણીતો થયો. એ સમયે તેની વાચકસંખ્યા ૨૫૦ જ હતી. પરંતુ ૧૮૯૧ સુધીમાં પારસી અને અન્ય વાચકો એમ કુલ મળીને એ સંખ્યા ૭૦૦ની થઈ. એ જ અરસામાં લાઈબ્રેરીના વાચકસભ્ય જમશેદજી નસરવાનજી પીટીટનું અવસાન થતાં નસરવાન પીટીટે પુત્રની સ્મૃતિમાં લાઇબ્રેરીને દાન આપ્યું. ૧૮૯૫માં જમશેદજીની માતા દીનબાઈનું અવસાન થતાં એમની સ્મૃતિ માટે પણ નસરવાનજી તરફથી દાન મળતાં લાઇબ્રેરીમકાન અને પુસ્તકોની ખરીદી – એમ બન્ને બાબતે વિશેષ સમૃદ્ધ થઈ. મુંબઈમાં ફિરોજશા મહેતા રોડ પર ચાલતું આ ગ્રન્થાલય એની અનેક બાબતોમાં મહત્ત્વનું ગ્રન્થાલય છે. ર.ર.દ.