ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રમાણભૂતતા


પ્રમાણભૂતતા(Authenticity) : સાહિત્યિક કૃતિઓમાં સાહિત્યેતર શાસ્ત્રો કે અન્ય વિદ્યાશાખાઓની વિગતનો વિનિયોગ કરવામાં આવ્યો હોય ત્યારે મૂળ શાસ્ત્ર કે વિદ્યાશાખામાં અધિકૃત માપદંડોથી તે વિગતની પ્રમાણભૂતતા નક્કી કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. નવલકથામાં કરાતાં સ્થળવિશેષનાં વર્ણનો કે તે અંગેની ઐતિહાસિક કે પુરાતત્ત્વશાસ્ત્ર સંબંધી માહિતીને ચકાસવાની જરૂર ઊભી થાય છે. તે જ રીતે કૃતિમાં ચોક્કસ પ્રદેશની બોલી (dialect)ના વિનિયોગના સંદર્ભમાં પણ પ્રમાણભૂતતા અનિવાર્ય બને છે. આ પ્રકારે સાહિત્યેતર વિગતોના પ્રમાણભૂત વિનિયોગથી કૃતિનાં વર્ણનો, પાત્રો વગેરેનું ખરાપણું(verisimilitude) અસરકારક રીતે ભાવકના ચિત્તમાં સ્થાપી શકાય છે. જેમકે રઘુવીર ચૌધરીની ‘કથાત્રયી’માં ઉત્તર ગુજરાતની બોલી તથા એનાં વર્ણનો. પ.ના