ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભજન

Revision as of 11:10, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભજન : મધ્યયુગમાં અતિ પ્રચલિત, વ્યાપક પદપ્રકાર તે ભજન. भज् ધાતુ પરથી ભજન શબ્દ બન્યો. કોઈનો આશ્રય લેવો, તેને ચાહવું, તેની સેવા કરવી. કીર્તનભક્તિપ્રકારમાંથી સંતો-ભજનિકો દ્વારા નિર્મિત ભજનસાહિત્ય બે પ્રકારનું શુદ્ધ અને મિશ્ર. શુદ્ધ ભજન એટલે સર્વાંશે નિ :સ્પૃહ ગુણાનુવાદ. મિશ્ર ભજન એટલે પ્રાર્થના, જેમાં માગણીનો ધ્વનિ હોય, જે સાચાં ભજનોમાં ન હોય. શુદ્ધ ભજનોના દૃષ્ટાંત તરીકે ઋગ્વેદમાંની કેટલીક પ્રાર્થનાઓને ગણાવી શકાય. ગુજરાતના જૂના કવિઓના ભજનોમાં નરસિંહ કે મીરાંના અમુક વિરલ શુદ્ધ ભજનદૃષ્ટાંતો સિવાય બહુધા બોધગીતો અને પ્રાર્થનાઓ છે. ભજનમાં જગત પ્રત્યેના નિર્વેદથી માંડીને આનંદમૂર્ચ્છા સુધીના બધા ભાવો આલેખાય છે. સંતો આત્માનુભવની આનંદાભિવ્યક્તિ સાથે જડબુદ્ધિ જીવને વૈરાગ્યનો ઉપદેશ કરી વિશ્વસ્વરૂપ પ્રભુનો મારગ બતાવે છે. ભજન અને દર્શન વચ્ચે તાત્ત્વિક ભેદ નથી. ભક્ત જે ભજે છે તે જ જુએ છે. અને જુએ છે એ જ ભજે છે. સંપ્રદાયનિરપેક્ષ ભજનવાણી વિવિધ સંતોની વિવિધ વિચારપ્રણાલીનું સમુચ્ચય સ્વરૂપ હોઈ એકેદેશીય નથી. વિષયની ભવ્યતા, અગમ્યતા કે ગૂઢતાનું નિરૂપણ, બાહ્યાચારનો અભાવ, વાણીની સરળતા, સુગેયતા ચોટવાળી ધ્રુવપંક્તિ વગેરે ભજનનાં લક્ષણો છે. દે.જો.