ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રામાવળા

Revision as of 14:26, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs)


રામાવળા : કંઠોપકંઠ ગવાઈને તથા કર્ણોપકર્ણ ઝિલાઈને જળવાયેલી રામાયણ આધારિત રામકથાના મહત્ત્વપૂર્ણ પ્રસંગોને લોકભોગ્ય શૈલી અને ચન્દ્રાવળાબંધમાં આલેખતું કંઠસ્થપરંપરાનું કથા કાવ્ય. લોકકંઠે જળવાયેલું મધ્યકાલીન સાહિત્ય બહુધા પ્રયોજનલક્ષી હતું. ખેતીકામ કરતાં ખેડૂતો પોતાનું એકલવાયાપણું દૂર કરવા દુહાબદ્ધ તેમજ ચન્દ્રાવળાબદ્ધ રામાવળા સંવાદરૂપે લલકારતા. મૂળે આવી પદ્યબદ્ધ રામકથાઓ કોઈ એક અથવા એકાધિક કવિઓની કૃતિઓ હોય છે. પરંતુ લોકજીભે ચડતાં પરિવર્તન પામતી જઈ વધુ ને વધુ લોકભોગ્ય બની રહે છે. ભાણિયા અને સૂઈ હરદાસકૃત પ્રકાશિત તથા વિપ્ર પ્રાગના અપ્રગટ રામાવળા આ પ્રકારની રામકથાઓનાં સુલભ દૃષ્ટાંતો છે. આઠ ચરણો ધરાવતા રામાવળાના એક એકમમાં પહેલું ચરણ આઠમા તરીકે તથા ચોથું ચરણ પાંચમા તરીકે એક શબ્દના ઉમેરણ સહિત પુનરાવૃત્ત થાય છે. ર.ર.દ.