ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લક્ષ્મીકાન્ત નાટક સમાજ


લક્ષ્મીકાન્ત નાટક સમાજ : ૧૯૧૫ અને ૧૯૩૦ વચ્ચે ચાલેલી ગુજરાતી જૂની રંગભૂમિની એક નાટ્યસંસ્થા. સૂરતના વાડીલાલ હરગોવિંદદાસ શાહ અને એમના નાનાભાઈ ચંદુલાલ હરગોવિંદદાસ શાહે ‘આર્યનૈતિક નાટક સમાજ’ની પ્રેરણા લઈને પોતાની ‘સરસ્વતી નાટક સમાજ’ સંસ્થા કરી. પણ એ બંધ થઈ. આ પછી ૧૯૧૮ની આસપાસ આ બંને ભાઈઓએ કાંતિલાલ કેશવલાલ પાસેથી ‘લક્ષ્મીકાન્ત નાટક સમાજ’ ખરીદી લઈ એના માલિક બન્યા. મુંબઈ, સૂરત, વડોદરા અને અમદાવાદમાં એમનાં થિયેટરો હતાં. ખ્યાતનામ નટ અશરફખાન અને માસ્તર વિક્રમે આ સંસ્થાના ‘માલવપતિ મુંજ’ નાટક દ્વારા જ પ્રવેશ કર્યો. ‘અરુણોદય’થી જામેલી આ સમાજની પ્રતિષ્ઠા પછી ‘યુગપ્રભાવ’ અને ‘અબજોનાં બંધન’ જેવાં નાટકોથી ઓસરતી ગઈ. ચં.ટો.