ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાક્કર્મ સિદ્ધાન્ત

From Ekatra Wiki
Revision as of 09:46, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વાક્કર્મ સિદ્ધાન્ત(Speech Act Theory) : અંગ્રેજ ફિલસૂફ જ્હોન ઓસ્ટિને ભાષા પરત્વેનો આ આધુનિક તત્ત્વવિચાર-વિષયક અભિગમ આપ્યો, જેના દ્વારા ફિલસૂફીમાં લાંબા સમયથી ચાલી આવેલી એક અભિધારણાનો અંત આવ્યો છે. એવી માન્યતા હતી કે મનુષ્યની ઉક્તિઓ એ કેવળ જગત અંગેનાં સાચા કે ખોટા વિધાનો છે, પરંતુ વાક્કર્મસિદ્ધાન્તે ઘટનાઓની બાહ્ય સ્થિતિ પરત્વે સાચાં કે ખોટાં અહેવાલ આપતી પ્રતિવેદન ઉક્તિ(constative utterence) અને ‘વચન આપવું’ જેવી સાચાં કે ખોટાં વિધાનોને બદલે પોતે જ શાબ્દિકકાર્ય તરીકે આવતી અનુષ્ઠાનઉક્તિ(performative) વચ્ચે ભેદ કર્યો. આ વિશ્લેષણ વધુ પરિમાર્જિત થતાં સ્પષ્ટ થયું કે કોઈપણ એક ઉક્તિ ત્રણ વિશિષ્ટ પ્રકારનાં વાક્કર્મ સાથે સંકળાયેલી હોય છે : વાક્ય શું કહે છે એ સંદર્ભમાં એનું વાચિકકર્મ(locutionary act) છે; વક્તા શું કહે છે, એ સંદર્ભમાં એનું અધિવાચિકકર્મ (illotionary act) છે અને વાચક કે શ્રોતા પર પ્રભાવ પાડતું એનું વાચાપ્રેરિતકર્મ(perlocutinary act) છે. આ પછી વાક્કર્મસિદ્ધાન્ત જે. આ સર્લ અને મેરી લૂઈ પ્રાટ દ્વારા વધુ વિકાસ પામ્યો છે. સાહિત્યિક વિશ્લેષણમાં વાક્કર્મસિદ્ધાન્તકારો સંવાદો અને કથનને ભાષાકાર્યોનાં સ્વરૂપો તરીકે તપાસે છે. અલબત્ત, વ્યવહારની જીવંત ઉક્તિઓને સાહિત્ય માટેનાં પ્રતિમાન ગણવામાં જોખમ છે. સાહિત્યકૃતિઓ યથાર્થ રીતે વાક્કર્મો નથી, એ આભાસી વાક્કર્મો છે. છતાં સંદર્ભહીન શબ્દો વિશે વિચાર ન થઈ શકે એવો જે ઓસ્ટિનના સિદ્ધાન્તે સંસર્જનવાદીઓ પરત્વે સમયસર સૂર ઉઠાવ્યો છે એનું પરિપ્રેક્ષ્ય સાહિત્યને જરૂર ઉપકારક નીવડે શકે. ચં.ટો.