ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવેચક

Revision as of 10:22, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિવેચક, સર્જકનો જોડિયો ભાઈ : નરસિંહરાવ દિવેટિયા એમનાં ગ્રન્થ ‘મનોમુકુર’ ભાગ-૧માં નવલરામના મૂલ્યાંકન દરમ્યાન કવિ અને વિવેચકની પરસ્પરની સંલગ્નતા વિશે ટિપ્પણી કરતાં સ્પષ્ટ કરે છે કે વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પનાપ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં સાથે જ ઊડે છે. બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે. પરંતુ નરસિંહરાવે એ કવિ અને વિવેચકના વ્યાપારો વચ્ચે ભેદ દર્શાવ્યો છે અને કહ્યું છે કે કવિનો વ્યાપાર સંયોગીકરણ(Synthesis)નો છે વિવેચકનો પૃથક્કરણ(Analysis)નો છે. પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ. અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે. નરસિંહરાવની આ વિચારણા સંસ્કૃતમાં કારયિત્રી અને ભાવયિત્રીપ્રતિભાની વિચારણાની ખૂબ નજીકની છે. ચં.ટો.