ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશિષ્ટાદ્વૈતવાદ

From Ekatra Wiki
Revision as of 10:24, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિશિષ્ટાદ્વૈતવાદ : સવિશેષ બ્રહ્મવાદની વિષ્ણુપરક વિચારધારાઓમાં વિશિષ્ટાદ્વૈતવાદે સંસ્કૃતવેદપ્રસૂત પ્રસ્થાનત્રયી અને તમિળવેદપ્રસૂત બાર આલવાર ભક્તોનાં (૭૦૦-૯૦૦) વાક્યોને પ્રમાણ સ્વરૂપે લઈ, ભક્તોના ભક્તિમાર્ગ તથા વેદોપનિષત્પ્રતિપાદિત જ્ઞાન-કર્મ-ઉપાસના માર્ગોના સમન્વય દ્વારા પ્રપત્તિમાર્ગની પ્રતિષ્ઠા કરી. લક્ષ્મીજી પ્રથમ પ્રવર્તક હોવાથી આ મત શ્રીવૈષ્ણવસમ્પ્રદાયના નામે ઓળખાય છે. તમિળવેદના ઉદ્ધારક રંગનાથમુનિ (૮૨૪-૯૨૪) અને તેમના પૌત્ર મામુનાચાર્ય યા આલવન્દારે અનેક ગ્રન્થો દ્વારા આ વાદની પ્રબળ સ્થાપના કરી. તેના આધારે તેમના વંશજ આચાર્ય રામાનુજે (૧૦૩૭-૧૧૩૭ સમ્પ્રતિ શ્રી પેરેમ્બુપુરમ્ નામે ઓળખાતા ગામના નિવાસી) બ્રહ્મસૂત્ર પર શ્રીભાષ્ય જેવા અનેક ગ્રન્થો દ્વારા આ વિચારધારાનું સર્વશ્રેષ્ઠ પ્રવર્તન કર્યું, દક્ષિણ ઉપરાંત ઉત્તરભારતમાં રામાનંદ (ચૌદમી સદી), તેમના અનુયાયીઓ, કબીર, દાદુ, તુલસીદાસ તથા ગુજરાતમાં પ્રચારિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ રામાનુજના સિદ્ધાન્તોનું અનુસરણ કર્યું. વિશિષ્ટાદ્વૈતના મતે પરમાત્મા, ચિત્-જીવ, અચિત્-પ્રકૃતિ ત્રણ નિત્યસ્વતંત્ર પદાર્થ છે. જીવ-પ્રકૃતિમાં વિદ્યમાન પરમાત્મા અંશી તથા જીવપ્રકૃતિ અંશ છે. ચિત્-અચિત્ વિશિષ્ટ પરમાત્મા જ સત્ય છે. જીવ-પ્રકૃતિ ગુણયુક્ત હોઈ તેમનામાં ભેદ છે જ્યારે પરમાત્મા સગુણ-દ્રવ્ય હોઈ તેમાં સજાતીય-વિજાતીય જેવા ભેદ નથી. ઈશ્વર પોતાના ચિદચિત્ સાથેના વિશેષ્ય-વિશેષણ, આધારાધેય સંબંધ રૂપે સૃષ્ટિનું નિમિત્ત અને ઉપાદાન બન્ને કારણ છે. તેથી સૃષ્ટિ માયિક ન હોતાં વાસ્તવિક છે. ભુવનસુંદર ઉદાત્ત બ્રહ્મના સ્વરૂપ-ચિંતન, ભક્તિ-ધ્યાન દ્વારા જીવમાં ઉદ્ભવતી મુમુક્ષાના પરિણામે કર્મ-જ્ઞાન-ઉપાસનાથી સધાતી શરણાગતિ-પ્રપત્તિ જ મોક્ષ. પ્રપત્તિમાર્ગે ન જઈ શકનાર માટે ગુરુનું શરણ, ગુરુભક્તિ દ્વારા પણ મોક્ષ પ્રાપ્ય છે. ઈશ્વરનાં નારાયણરૂપ, ચાર-વ્યૂહરૂપ : વાસુદેવ(આત્મા), સઙ્કર્ષણ(જીવ), પ્રદ્યુમ્ન(મન) અને અનિરુદ્ધ (અહઙ્કાર), વિભવરૂપ(અવતારો), અન્તર્યામીરૂપ અને મૂર્તિરૂપના ધ્યાન દ્વારા સાલોક્ય(ઈશ્વર સાથે નિવાસ), સામીપ્ય (ઈશ્વર સામે), સારૂપ્ય (ઈશ્વર સદૃશ) અને સાયુજ્ય (તન્મય) પ્રકારની મુક્તિઓમાંથી સાયુજ્ય જ કૈવલ્યમુક્તિ છે; જ્યાં જીવ-ઈશ્વરના ભેદ છતાં ય જીવની દ્વૈતદૃષ્ટિનો લોપ થઈ જાય છે. રામાનુજ પ્રવર્તિત વિશિષ્ટાદ્વૈતની જેમ જ શક્તિવિશિષ્ટાદ્વૈત યા વીરશૈવવાદ, શિવવિશિષ્ટાદ્વૈત યા શૈવવાદ અને રામવિશિષ્ટાદ્વૈત જેવી વિચારધારાઓ વિકસી છે. શા.જ.દ.