ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશ્વકવિતા કેન્દ્ર


વિશ્વકવિતાકેન્દ્ર : ‘કવિલોક’ની એક પ્રવૃત્તિ રૂપે ૧૯૮૭ના ઑક્ટોબરની છઠી તારીખે સ્થપાયેલા આ કેન્દ્રમાં વિશ્વની પ્રમુખ ભાષાઓના પ્રમુખ કાવ્યસંગ્રહો, કવિચરિતો, કવિઓના પત્રો, કવિતાવિષયક વિવેચનગ્રન્થો આદિનો સંગ્રહ કરી અદેય ગ્રન્થાલય વિકસાવવાનું ધ્યેય છે. આજે ત્યાં ગુજરાતી, હિન્દી, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી એમ વિવિધ ભાષાના લગભગ ૩,૦૦૦ જેટલા કવિતાવિષયક ગ્રન્થો ઉપલબ્ધ છે. કવિતા વિષેના આપણી ભાષાનાં તેમજ અન્ય ભાષાઓનાં પ્રાપ્ય સામયિકો પણ ત્યાંના વાચનાલયમાં ઉપલબ્ધ કરાવી આપવાની યોજના છે, જેના ભાગ રૂપે કેટલાંક સામયિકો ત્યાં પ્રાપ્ય છે. અહીં વિશ્વના કવિઓ ઉપર વ્યાખ્યાનો, પરિસંવાદો, વ્યાખ્યાનશ્રેણીઓ, કવિઓના કાવ્યપઠન અને કાવ્યભાવનના કાર્યક્રમો પણ યોજાય છે. કવિઓ અંગેની દૃશ્યશ્રાવ્ય સામગ્રી વિકસાવવાનું આયોજન પણ આગળ ધપી રહ્યું છે. કેવળ કવિતાનું જ આવું મહત્ત્વાકાંક્ષી કેન્દ્ર માત્ર ગુજરાતમાં જ નહિ, પણ ભારતમાં ય જવલ્લે જ હશે. ધી.પ.