ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યંગકલા


વ્યંગકલા(Satire) : પાત્રવિશેષ કે વસ્તુવિશેષ પર રમૂજ, વ્યંગ વગેરે ભાવોના વિનિયોગ દ્વારા પ્રહાર કરી હાસ્ય નિષ્પન્ન કરવાની આ સાહિત્યિક પ્રવિધિ છે. આ અભિગમથી લખાતી કૃતિઓમાં હાસ્ય દ્વારા ગંભીર સમસ્યાનું નિરૂપણ કરવાનો હેતુ રહેલો છે. તેના મૂળ અર્થમાં આ સંજ્ઞા નૈતિક તેમજ સુધારક વલણનું પણ સૂચન કરે છે. હાસ્ય-નાટકોમાં આ પ્રવિધિનો સવિશેષ વિનિયોગ થયો છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફિનિસે સૌપ્રથમ આ પ્રવિધિનો નાટકમાં સફળ વિનિયોગ કર્યો. ત્યારબાદ હૉરિસ, ડ્રાય્ડન, રેબલેઈ, સ્વિફ્ટ, હક્સલી, બેન જૉન્સન, મોલ્યેર, શો, ઓ નિલ વગેરેએ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હક્સલીકૃત ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ તથા જોર્જ ઑરવલકૃત ‘ઍનિમલ ફાર્મ’ આનાં ઉત્તમ ઉદાહરણો છે. પ.ના