ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શુદ્ધકવિતા



શુદ્ધકવિતા(Pure poetry) : કૌતુકરાગિતાની ઝુંબેશે પશ્ચિમમાં વાગ્મિતાનો અંત આણ્યો. મુદ્રણને કારણે અવાજ પરથી કાગળ પર અને સાંભળવા પરથી જોવા પર ઝોક વધ્યો. કવિતા જીવંત જગતથી અવિભાજ્ય હતી તે વિમુક્ત થઈ. આથી જીવનથી અલગ કવિતા એની પોતીકી સામગ્રી અને પોતીકાં મૂલ્યો વચ્ચે સ્થાપિત થઈ. જીવન અને કવિતા વચ્ચનો સંપર્ક વધુ ને વધુ દૂરવર્તી થતો ગયો, એમાં શુદ્ધ કવિતાનાં બીજ પડેલાં છે. શુદ્ધ કવિતાની વિભાવના અને એનો સિદ્ધાન્ત ઓગણીસમી સદીની અધવચમાં વિકસ્યાં. એડગર ઍલન પોથી પ્રભાવિત બૉદલેરથી શરૂ થયેલી શુદ્ધ કવિતા મૅલાર્મે, વર્લેં, રેમ્બો અને વૅલેરી જેવા મૂલ્યવાન કવિઓથી સમૃદ્ધ થતી આવી. શુદ્ધ કવિતાની વિભાવના પ્રતીકવાદી ઝુંબેશ અને કવિઓ સાથે સઘન રીતે સંકળાયેલી છે. પ્રતીકવાદી શુદ્ધ કવિતાનો આદર્શ કવિતાને સંગીતની કક્ષાએ પહોંચાડવાનો રહ્યો છે. ચં.ટો.