ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામાજિક વાસ્તવવાદ


સામાજિક વાસ્તવવાદ(Social Realism) : રશિયામાં મુખ્યત્વે સ્તાલિનના સમયથી ૧૯૩૪ આસપાસ પ્રચલિત બનેલો વાદ. આ વાદના સમર્થકો ઓગણીસમી સદીના મધ્યભાગમાં પ્રભાવક બનેલા વાસ્તવવાદને બૂર્ઝવા સમાજની નીપજ તરીકે ઓળખાવી એનો અસ્વીકાર કરે છે. કોઈપણ સર્જકનું પોતાના સમાજ પ્રત્યે એક ચોક્કસ ઉત્તરદાયિત્વ હોવાથી એનું કાર્ય સમાજવાદી સમાજ રચવામાં ઉપકારક બને એવાં મૂલ્યોનું સમર્થન થાય એવી કૃતિનું સર્જન કરવાનું છે. સમાજમાં પ્રગતિશીલ અને પ્રત્યાઘાતી બળો વચ્ચે ચાલતા સંઘર્ષોને ઓળખી પ્રગતિશીલ બળોના વિજયને આલેખવાનું છે. મેક્સિમ ગોર્કીની ‘મા’ નવલકથા સામાજિક વાસ્તવવાદવાળી કૃતિનું સારું દૃષ્ટાંત ગણાય છે. સામાજિક વાસ્તવવાદ સર્જક પાસે પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખે છે. એને કારણે સર્જકના અબાધિત સ્વાતંત્ર્યનો એમાં સ્વીકાર નથી. ચોક્કસ ઉદ્દેશથી રચાયેલું આવું સાહિત્ય પ્રચારક-ઉપદેશક બનવાનું ભયસ્થાન રહે છે. આને કારણે ઘણી નબળી કોટિની સાહિત્યકૃતિઓ સર્જાઈ અને પોંખાઈ છે. તેમ છતાં એમાંથી મિખાઈલ શોલોકોવ જેવા સર્જકો પાસેથી કેટલીક ઉત્તમ સાહિત્યિક રચનાઓ મળી એ પણ હકીકત છે. જ.ગા.