ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્ત્રીસાહિત્ય


સ્ત્રીસાહિત્ય(Female writing) : નારીવાદના રાજકારણ અને સમાજકારણે સાહિત્યક્ષેત્રે પ્રભાવ પાડ્યો છે અને તેથી નારીવાદી સાહિત્ય(Feminist writing)થી સ્ત્રીસાહિત્ય (Female writing)ને છૂટું પાડવું જરૂરી છે. નારીવાદી સાહિત્યમાં પિતૃસત્તાક મૂલ્યો સામેનો વિપ્લવ સ્પષ્ટપણે અંકાયેલો હોય છે. સ્ત્રીસાહિત્ય માત્ર લેખકનો શારીરિક યૌનભેદ દર્શાવે છે, એથી વધારે કશું નહિ, જ્યારે સ્ત્રીયોચિત સાહિત્યમાં ‘સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોએ સ્ત્રીઅંગે જે મૂલ્યોને પ્રસાર્યાં હોય તેનો એક યા બીજી રીતે પ્રવેશ થતો હોય છે. ચં.ટો.