ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/હાસ્ય અને અદ્ભુત રસ – નવલરામ પંડ્યા, 1836

From Ekatra Wiki
Revision as of 14:52, 18 March 2023 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search


Navalram-pandya.jpg
નવલરામ પંડ્યા
(૯.૩.૧૮૩૬ – ૭.૮.૧૮૮૮)
હાસ્ય રસ અને અદ્ભુત રસ
 

[મૂળ ગ્રંથમાં લેખ-શીર્ષક ‘હાસ્યરસ વિશે’ એમ છે. પણ એ લેખમાં જ છેલ્લાં પાનાંમાં (પેટાશીર્ષક સાથે) ‘અદ્ભુત રસ’ વિશે પણ એમણે લખેલું છે એટલે અહીં શીર્ષક બદલ્યું છે. –સંપાદક] </ref>

મારા ભટના ભોપાળામાં અસંભવિતપણાનો દોષ મૂકી એમાં હાસ્યરસ છે જ નહીં એમ નર્મદાશંકરે અભિપ્રાય આપ્યો હતો તે વેળા મેં પૂર્વપક્ષ કીધો હતો તેનો સાર: Don Quixote – બધી વાર્તા જ અસંભવિત – લશ્કર જાણીને ઘેટાના ટોળાને મારવા જાય અને માર્યા કરે એવો આંધળો? એના ચાકરની ચાલ કેવી? Swift’s Travels of Gulliver બને એવી ખરી? She Stoops to Conquerમાં જે સ્ત્રીને કુરૂપ ગણે તે સ્ત્રી એને દાસીને વેશે મોહ પમાડી સ્વાધીન કરી લે છે. એમ બને કે તે સ્ત્રી આટલી ખટપટ કરવા છતાં ઓળખાઈ નહીં આવે? એ વાત ઉપર તો એ નાટકનું મુખ્ય બંધારણ છે. The Good-natured Man: પ્રીતિના દુ:ખનું કેટલુંક તેને અગ્નિ કલ્પીને કીધું હોય (છેક allegorical એમ પણ નહીં, સાધારણ માણસ પણ કહી શકે એ પ્રેમપત્રિકા છે), તો શું એવો કોઈ વાંચનાર નીકળે કે તેને એમ લાગે કે એમાં તો મારું ઘર બાળી મૂકવાની ધમકી છે, અને તેમ ધારી પોલીસને બોલાવી ગડબડાટ કરી મૂકે ત્યાં લગી કોઈ એનો સંદેહ નિવારણ કરનાર મળી જ નહીં આવે? તોપણ ગોલ્ડસ્મિથે એવું જ બંધારણ રાખ્યું છે. Shakespeare: શું જોડિયા ભાઈ એવા જ સરખા રૂપના નીકળે કે તેની પરણી બાયડી ન ઓળખી બીજા સાથે ઘણા વખત સુધી ઘરબાર માંડે? ઓળખાઈ આવે એટલો ભેદ રાખવો એ તો કુદરતનો નિયમ જ જણાય છે. ઘણા ફિલસૂફોએ એ નિયમ કબૂલ રાખી અને ‘Design’ની સાબિતીમાં દાખલ કીધો છે. કરજદારનું શેર માંસ લેવાની શરત કરનાર, અને કદાપિ કીધી તોપણ શું તે અમલમાં અણાવાઈ છે? અને તે પણ કાયદાની મદદથી? એવો નિર્દય મૂર્ખ કોઈ હોય? તોપણ એ અસંભવિત વર્ણન વડે યહૂદીની લોભી નિર્દયતાની છબી મન ઉપર બરાબર પડે છે. Merry Wives of Windsor અને બીજા ઘણાં શેક્સપિયરનાં હાસ્યરસ નાટકનું બંધારણ એવું જ જણાય છે. Dickensનું સઘળું લખાણ અતિશયોક્તિ ભરેલું છે. Pickwick Papers માં જે વેદિયા ઢોરનું વર્ણન કીધું છે તેવા જગતમાં હોય પણ ખરા કે? આપણામાં જે વેદિયા ઢોરની વાત ચાલે છે તે ખરી છે? શું વૈદકશાસ્ત્રી લીમડાનું શાક ખાય છે? અને ‘ધૃતને આધારે પાત્ર કે પાત્રને આધારે ધૃત’ એ શંકા ટાળવાને ઘી ઢોળી નાખે એવો મૂર્ખ શાસ્ત્રી હોય કે? તોપણ એ અતિશયોક્તિમાં જ હાસ્યરસ રહ્યા છે. Jest-book: રોમ શહેરના બાદશાહે એક ગામડિયાનું મોં પોતાના જેવું જોઈને પૂછ્યું કે, ‘અલ્યા તારી મા કોઈ વખત શહેરમાં આવી’તી?’ પેલો ગામડિયો આ મર્મવાક્ય સમજી જઈને મર્મમાં જ બોલ્યો કે ના, મહારાજ, પણ મારો બાપ આવ્યો’તો ખરો. રૂમી બાદશાહના સ્વછંદી જુલમના વખતમાં આટલું અમર્યાદાનું –અરે પગથી તે માથા લગી ઝાળ ચડે એવું – વચન બોલવાની ગામડિયાની તાકાત પણ ખરી કે? અને બાદશાહ પણ નીચ સાથે એવું ભાષણ કરે? “એક મસીદમાં નમાજને વખતે એક ઘરડા દાઢીવાળા મુસલમાનને ઝોકું આવ્યું તે જોઈને સામો એક બકરો બેઠો હતો, તેણે જાણ્યું કે મને ટક્કર મારવા આવે છે તેથી તે બકરાએ તે બિચારા મુસલમાનના માથા સામી ખૂબ જોરથી ટક્કર લગાવી.” “એક પાદરીએ કોઈ ઘરના માણસને ઠપકો દઈને કહ્યું કે આ છોકરો પણ તેના પેદા કરનારને જાણે છે, પણ તું જાણતો નથી. ત્યારે તે ડોસો બોલ્યો કે, મહારાજ, એને આવ્યાને પાંચ સાત વરસ થયાં છે, તેથી તેના પેદા કરનારને ઓળખે જ તો; પણ હું સસરો અહીંયાં સાઠ સાઠ વરસનો આવેલો તેને સાળી અસલની વાત કેમ યાદ રહે?” આમ પાદરીના સામા અને પોતાના છોકરાની સમક્ષ કોઈ બોલે? એક પુરાણી કથા વાંચતો હતો તે સાંભળતાં કોઈ ડોસીની આંખમાં પાણી ભરાઈ આવ્યાં. તે જોઈને ભટજી ફુલાયો કે મારી વાણીમાં રસ તો ખરો કે શ્રોતાનાં હૃદય પીગળીને આંસુધારા વહે છે. કથા પૂરી થઈ રહ્યા પછી સાતમે આકાશે પહોંચેલા ભટજીએ તે ડોસીને પાસે બોલાવીને કહ્યું કે, “માજી, તમે કથામાં બહુ સમજો છો, અને ભાવિક પણ બહુ છો, તમારું મન કેટલું કોમળ કે આંસુ ભરાઈ આવ્યાં?” ત્યારે માજી બોલ્યાં કે “ના ભઈ, મેં કથા તો આજે પૂરી સાંભળી જ નથી. મને રડવું આવ્યું તેનું કારણ તો એ કે અશ્લોકના રાગડા કાઢતો હતો તે સાંભળીને મારી બાપડી પાડીનું બરાડવું સાંભરી આવ્યું, અને મને એવી ફકર લાગી કે તને પણ તેની પઠમ મરવાની તો આકરણ નહીં થતી હોય?” આમ કોઈ પણ ભાવિક ડોસી ભૂદેવનું અપમાન કરે? અને તે પણ ક્યારે? જ્યારે પોતાની ભક્તિનાં વખાણ જ થાય છે ત્યારે જ? આ વાત પતરાજી કવિઓ પોતાની વાણીનો મિથ્યા અભિમાન રાખે છે તેમની હાંસી કરવાને કાઢેલી જણાય છે; અને ખરેખર એવા મૂર્ખાર્ને એમાં યોગ્ય જ ઉપહાસ કીધો છે. તોપણ એમ બને તો કદી નહીં. “એક દેસાઈને કોઈ બાદશાહે કહ્યું કે તમે તમારા હકના દસ્તાવેજ કાઢો, નહીં તો તમારી જાગીર જપ્ત કરવામાં આવશે, ત્યારે તે બહાદુર ભાઠેલો બોલ્યો, ‘બંદેનવાજ, દિલ્હીની ગાદી તમને જે તાંબાપત્ર ઉપર હિંદુ રાજાઓએ આપી છે તે મંગાવશો તો તેની બીજી બાજુ ઉપર મારી દસ્તાવેજો માલૂમ પડશે.” એમ કોઈ બોલે કે? અંગ્રેજીમાંથી એવા અનેક દાખલા મળી આવશે.

ગુજરાતી ગ્રંથોમાંથી દાખલા

‘રમૂજે દિલ પસંદ’ની સઘળી વાતો અસંભવિત જ છે. વાંચતાં નહીં આવડતું હોય તેથી કદાપિ રડવું આવે, પણ સાંભળનાર સ્ત્રી સમજે કે મારો ધણી મરી ગયો, તે ભૂલથી તેને ઘેર હાયપીટ થઈ રહે, અને છેક ગામની બહાર નાહવા જાય ત્યાં જ કાગળ વાંચતી વખતે એ બધી ભૂલ જણાઈ જાય – એ તે બને? એ અભણ તો હશે, પણ પોતાની ફજેતીનો આટલો ચંદરવો બાંધવાનો વખત આવે ત્યાં લગી બોલે જ નહીં, એવી મૂર્ખ કોઈ હોય નહીં. કદાપિ એમ ધારો કે અજાણ્યે રસ્તે જનાર તે હશે, અને તે એવું ધારીને ચાલ્યો ગયો હશે કે એનું લાગ્યું એ ભોગવે, હું તો મારો ભરમ રાખું, પણ તે સ્ત્રી અજાણ્યા ઉપર આટલો ભરોસો રાખે અને પોતાનો ધણી કેમ અને ક્યારે મૂઓ તે વાતનો ખુલાસો કોઈની પાસે પણ કરી લીધા વગર તે મૂઓ એમ જ નિશ્ચય કરી લૌકિક કામનો આરંભ કરે એ મનુષ્યસ્વભાવ (human nature)થી જ ઊલટું – અસંભવિત એટલું જ નહીં, પણ અશકય. ‘લાલ બુજરંગ’ સંબંધી વાતો નહીં બને એવી જ છે. ઊંટ સાથે ઘરમાં પેસવાને માટે છાપરું તોડી પડાવે, અને લોકો પાડવા દે એવું મૂર્ખ ગામ કયા દેશમાં હશે તે કદાપિ આપ કવિરાજને માલૂમ હશે. માટલામાંથી ભેંસનું મોં કાઢવાને માટે પહેલું ડોકું કપાવે, અને પછી માટલાને ભાગવાને હકમ આપે એવી મૂર્ખાઈ તે કોણ કરે? એમાં રસ નથી એમ તમે સમજો છો તે તો ખોટું. આ વાર્તામાં મૂર્ખ સત્તાધારીના છર અને વહેમી પરાધીન થઈ પડેલા મૂર્ખોની મૂર્ખાઈનું ચિત્ર ખૂબ છટાથી પાડ્યું છે. એમ થતું નથી, પણ એ ગુણો મનમાં જે શક્તિથી રહેલા છે તે શક્તિને પૂરેપૂરી ખીલવા દીધી હોય તો એવાં રાક્ષસી રૂપ જ પ્રગટ થાય. ઊંચા રસનું પણ એમ જ છે. ગમે તે મનોવિકારના પૂર્ણ બળનું પ્રગટ થયું તે રસ. સંસારમાં તેમનો વિકાર વિવેકથી, રીતભાતથી, પ્રસંગની ખામીથી, અથવા બીજા મનોવિકારથી બરાબર પુષ્ટિ પામતો નથી. કાવ્યસૃષ્ટિ (Poetic world) તે એ જ. દરેક મનોવિકારનું ખરેખરું કેટલું જોર છે તે માણસ પોતાના મનમાં જ જાણે છે—બારણે પ્રગટ કરવાને ચાહતો નથી, અને તેથી તે સંસારમાં જોવામાં આવતું નથી, પણ પ્રકૃતિમાં છે. તેથી જ્યારે કોઈ માણસ તેનાં પરાક્રમ કવિકલ્પિત વર્ણનોમાં વાંચે છે ત્યારે તેનું અંત:કરણ અંદરથી સાક્ષી આપે છે અને એ વર્ણન જ ખરું છે, તથા સંસાર જૂઠો છે એવો ભાસ થાય છે. બિરબલ વિષે ચાલતી વાતો પણ એવી જ છે. “સેવ, તો કે તાજખાનેકા દેવ” એવું મહેણું મારવાનો પ્રસંગ કોઈ પણ રાજા આગળ આવે ખરો? બિરબલે જે જે તોછડાં વચન બાદશાહને કહ્યાં છે તેનો સોમો હિસ્સો પણ કોઈ બાદશાહ સાંખી રહે? અમદાવાદના લૌવાની મજાકો પણ એવી જ અસંભવિત અને હુજ્જત ભરેલી છે. જો બાદશાહ એવી મજાકો સાંખી રહેતા એમ માનીએ તો એક ભાજીખાઉં કેમ નહીં સાંખી રહે? મશ્કરાને મોટા લોકો પોતાના વિનોદને માટે મોઢે ચડાવી મૂકે છે એ વાત ખરી. પણ તેમ હજામની અટકચાળી જાત ખુશમિજાજી સાંખી રહેતા શેઠની સાથે ઘણા અભ્યાસથી એવી છૂટ લે એમાં શી નવાઈ? તેમાં વળી જ્યારે તે જરા એવા ઓલિયા હોય કે મજાક થાય છે કે નહીં એ પણ પૂરું હંમેશાં સમજતા નહીં હોય ત્યારે તેની ઘણી મજાક મોઢે ચડાવેલું માણસ કરે એમાં શી નવાઈ? દમયંતીને વરવાને માટે કોડીલા રાજાઓ કેવી ઘેલાઈ ભરેલી સામગ્રી કરતા હતા તેનું વર્ણન પ્રેમાનંદ કવિએ હાસ્યરસમાં ઠીક કીધું છે તેમાં અતિશયોક્તિ નથી? અને એ અતિશયોક્તિ ન હોત તો હાસ્યરસ આવત પણ ખરો? સુદામાચરિત્રમાં પણ ઘણી અતિશયોક્તિ છે. શણગાર સજીને મોટા મહેલમાંથી નીકળી માટે શું પોતાની સ્ત્રી ઓળખાય જ નહીં? અને તે બોલાવે કે, ‘હે સ્વામી, હું તમારી સ્ત્રી છું.’ તોપણ તે ઓળખે જ નહીં, અને ધણી ચિડવાઈ જઈને કહે, કે હે પાપણીઓ, સાધુને શીદ દમવા આવીઓ છો? એ સંભવિત છે કે? એ બને એવું છે કે? ઋતુપર્ણની જોડે નળે બાહુક રૂપે જેટલું ભાષણ કીધું છે, અને જે રીતે વર્ત્યો છે તેમ કદી દાસત્વમાં બને જ નહીં. હૂંડીમાં અને મામેરામાં પણ ઘણોખરો હાસ્યરસ એ જ પ્રકારનો છે. દલપતરામનો હાસ્યરસ શુદ્ધ જાતિનો છે, પણ તે out of character થવાથી જ ઉત્પન્ન થાય છે. કોઈ ગરીબને શ્રીમંત કહે કે, ‘ગધેડીના, પેલા કૂતરાને વાડીમાંથી હાંક તો’ તો તે હરખાતો હરખાતો માને કહેવા જાય નહીં, અથવા ફુલાશથી કદી તે જ શબ્દ પાછા કોઈની આગળ વાપરે નહીં. તોપણ ખુશામતિયાની મજાક કીધી છે તે ખરી છે, અને પ્રાસાદિક શક્તિ બતાવે છે. કેફીની બૈરીના મોંમાં જે શબ્દો એણે મૂક્યા છે તે પ્રમાણે કોઈ સ્ત્રી મજાક કરતી નથી. તેને તો દુ:ખને લીધે મજાક કરવાનું નહીં પણ કરુણા અથવા તિરસ્કારયુક્ત બોલવાનું સૂઝે. ક્યું સાહેબ અચ્છે હો, તો કે સાલા તેરા ચલે તો માર ડાલિયો, ઇત્યાદિ જે મુસલમાનોનું બોલવું છે કે કેવળ અતિશયોક્તિ જ છે. એવો કોઈ savage હોય જ નહીં, તોપણ એ અવિવેકી સ્વભાવનું આબેહૂબ ચિત્ર છે એમ એના દુશ્મનને પણ કહેવું પડશે. ભવાઈમાં હાસ્યરસ હોય છે. અડવાનો અને કજોડાનો વેશ Improbabilities થી ભરેલો છે. એ તારી અસ્ત્રી, તો કે, ‘હું એનો અસ્ત્રો’. ‘એ પાણી ભરવા જશે,’ તો ‘હું દોરડું લઈને જઈશ.’ ‘એ દળશે’, તો ‘ઓરણાં નાંખવા લાગીશ’ ઇત્યાદિ વાક્યો વેપારમાં કુશળ, અને સંસારવ્યવહારમાં ખબરદાર એવા અડવાના મોંમાંથી નીકળે જ નહીં. કજોડો સ્ત્રીને ચુંબન કરવાને માટે નિસરણી માગે એથી તે બીજું શું અસંભવિત? પણ એ અસંભવના પ્રમાણમાં જ હાસ્યરસની ખૂબી છે. “ભેજ બે ભેજ” એમ કહીને કેટલાક વિષયની વસ્તુઓ ફકીર ઈશ્વરની પાસે માગે? અને તે પણ બજારમાં જ? એ વાત કેવળ અસંભવિત છે. તોપણ એમાં દંભી ધર્માધિકારીઓની સજ્જડ મજાક નથી કીધી એમ કોણ કહી શકશે? ઇત્યાદિ- ઇત્યાદિ-ઇત્યાદિ. કવિ, તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજતા નથી. હું તો એમ કહું છું કે કુદરતના ચિત્રથી હાસ્યરસ ઉત્પન્ન થતો જ નથી. એ જ કારણને લીધે સૃષ્ટિસૌંદર્ય જોવાથી અથવા તેનાં ખરાં વર્ણન વાંચવાથી હસવું આવતું નથી. બીજા સઘળા રસમાં કુદરતની નકલ હોય છે, અને હાસ્યરસમાં કુદરતની Distorted નકલ અથવા સાધારણ ભાષામાં જેને નકલ કહે છે તે જ હોય છે.[1] બાળકોના મોઢા આગળ પુરુષો બે ચાર ટોપી પહેરીને અથવા સ્ત્રી પાઘડી પહેરીને આવે તો તે હસી પડે છે. પોપચાં ચડાવી ચોટલીના લાંબા વાળ મોં ઉપર લટકતા રાખે ત્યારે સમજણું છોકરું હસે છે અને અજ્ઞાન ચીસ પાડી ઊઠે છે. ત્યારે અનુપદ્રવ કર્તા અદ્ભુત બનાવથી હાસ્ય ઉત્પન્ન થાય છે. તે જ ઉપદ્રવકર્તા થાય ત્યારે ભયાનક રસ. ત્યારે અદ્ભુત રસનો સ્થાયી ભાવ શો? – તેના અદ્ભુતપણામાં પણ નિરુપદ્રવતા હોવી જોઈએ – નહીં તો તે ભયાનક થઈ જાય. જ્યારે કર્મનો ઉદ્દેશ નહીં, અથવા એવો હલકો હોય કે જોનારની નજરમાં નહીં જેવો લાગે, ત્યારે તે અદ્ભુતકર્મથી હાસ્ય થાય છે. અદ્ભુત રસનો ઉદ્દેશ ભારે. કબીરવડ જોઈને કયો રસ લાગે? લાગે તો અદ્ભુત જ. કોઈ પણ પશુપક્ષી અથવા વનસ્પતિ જોઈને હાસ્ય ઉત્પન્ન થતું નથી. એ શા માટે? એ પ્રાકૃતિક વસ્તુઓના વ્યવહારમાં ઉદ્દેશ હોઈ શકે જ નહીં, તેવો ઉદ્દેશ છે કે નહીં એ કહી શકાતું નથી. તે કારણને લીધે હશે? ત્યારે સૃષ્ટિસૌંદર્યમાં હાસ્યરસ હોય જ નહીં એવો એક નિયમ જ રસશાસ્ત્રમાં બાંધવો જેઈએ. ઈશ્વરની અપાર શક્તિનો ઉદ્દેશ જ્ઞાનીઓના દીઠામાં કંઈ આવતો નથી, પણ અદ્ભુત રસ જ પેદા થાય છે. હાસ્યરસ ઉત્પન્ન થવાને ઉદ્દેશ Unintelligible જોઈએ એમ નથી, પણ ઉદ્દેશ છે જ નહીં એવો નિશ્ચય થવો જેઈએ. Unintelligible હોવાથી ઊલટો અદ્ભુત રસ ઘણો થોડો જામે છે (એ વિષય ઉપર ઘણા સવાલ ઊઠે છે તે સ્થિર વિચાર કરવા લાયક છે). આ જાતનો હાસ્યરસ છેક નિર્મળ નથી લાગતો. આનંદમાં કાંઈ પણ તિરસ્કારનો ભેળ જણાય છે. ઉદ્દેશરહિત કર્મ એટલે મૂર્ખાઈથી તિરસ્કાર તો થવો જ જોઈએ તો બીજાની નિરુપદ્રવ મૂર્ખાઈમાંથી આ હાસ્યરસ નીકળે છે તેમાં આનંદનો અંશ શા માટે હોય છે? એથી જોેનારને નહીં પણ તે કરનારને, અથવા તેના કોઈ સંબંધીને પણ ભારે ઉપદ્રવ પરિણામે થવો જોઈએ નહીં. હાસ્યજનક ક્રિયાનો ઉદ્દેશ નહીં તેથી કુદરતના નિયમે તેનો કંઈ પરિણામ જ થાય નહીં, એમ તો હોય જ નહીં. કોઈ પ્રસંગે પરિણામ ભારે પણ થાય. હલકો હોય તો હાયરસ ઊપજે. પરિણામ ભારે કે હલકો થશે એ વિચારવાનું કામ વિવેકબુદ્ધિનું છે. તેથી અજ્ઞાનને અથવા નિર્દયને જેમાં હાસ્યરસ લાગે તે કોમળ અથવા ઊંડી લાગણીવાળાને ભયરૂપ દેખાય. આ ભેદ ઉપરથી હાસ્યરસની વત્તીઓછી Delicacy ગણાય. આ રીતે જોતાં ક્રિયાનાં કારણ અને પરિણામ એ બંને ઉપર હાસ્યરસ આધાર રાખે છે. એ બંનેનું પ્રમાણ કેટલું જોઈએ એ વિચાર કરવા લાયક વાત છે. ગાંડાઈથી ક્યારે અને કેટલું હાસ્ય ઊપજે છે? કૂકડાની પેઠે બલાડાની પેઠે કોઈને બોલતો જોઈને બાળક હસે છે. સમજણા બાળકના હાસ્યમાં કંઈ તિરસ્કાર જોવામાં આવે છે, અને નાનાનો રસ કેવળ નિર્મળ જ હોય છે. એ નિર્મળતાનું અને તિરસ્કારનું કારણ શું? એ હાસ્ય કયા ભાવથી ઉત્પન્ન થાય છે? એમાં કુદરતની સાચાઈ અસાધારણ જગાએ જેવામાં આવે છે, અને બીજામાં ઉદ્દેશની નાસ્તિ છે. કુદરતની ખરી નકલથી હાસ્યરસ થાય કે શૃંગાર? અને કુદરતની નકલ તો (અદ્ભુત સિવાય) સઘળા રસનું મૂળ છે. અદ્ભુતને માટે પણ મને તો શક છે કે એ નકલ શા માટે નહીં કહેવી જોઈએ? નકલના કામમાં (કાવ્ય એ પેટામાં આવી રહ્યાં) બે વાતથી રસ પેદા થાય છે. કર્તાની કુશળતાનું પ્રાબલ્ય આપણા મનમાં વધારે હોય ત્યારે હલકો શૃંગાર અથવા હાસ્ય જ ઉત્પન્ન થાય. એ ખરી વાત? કેટલાક ગ્રંથમાં તેના કર્તાની મૂર્ખાઈથી જ હાસ્યરસ જામે. બીભત્સ લાગવા જેવાં પરિણામ નઠારાં નહીં થતાં હોય તો ગ્રંથકર્તાની કુશળતાના વિચારથી બીજા રસ નહીં જામે? ફક્ત કંઈક આનંદ જ થાય કે સાનંદાશ્ચર્યની વૃત્તિ પણ ખરી? રસિક પુસ્તકમાંથી અસલ અને નકલની ખૂબીનો વિચાર કયા પ્રમાણમાં ઉત્પન્ન થવો જોઈએ? કુશળતાના વિચારથી કોઈ કાવ્ય ઘણું સરસ ન લાગે? અને તે ઉત્તમ પ્રતિનું ન ગણાય? શત્રુનાં છિદ્ર ઉઘાડાં કરી અન્યોક્તિથી વખાણ કરતાં પણ હાસ્યરસ થાય છે. એમાં દ્વેષનો ભાવ ઘણો રહેલો હોય છે. હલકા ઉદ્દેશને માટે મોટી મોટી સામગ્રી થતી જોઈને હસવું આવે છે. Mock Epics સઘળાં એ જાતનાં. એ રસનું મૂળ મૂર્ખાઈ. શક્તિ વગરનો શત્રુ પોતાના દ્વેષભાવ મિથ્યા પ્રગટ કરે તે જોઈને સામા ધણીને અભિમાન – તિરસ્કારયુક્ત હસવું (contemptors smile) આવે છે. એ સમયે માણસ ફૂલેલાં નસકોરાં અને વાંકી આંખ રાખીને હસે છે. શક્તિ વગરનો રૌદ્રભાવ હસવાજોગ જ છે, કેમ કે તે મૂર્ખાઈ છે. પણ એ નિયમમાં એક બાધ નડે છે. શૂળી દેવા કાઢેલો શક્તિરહિત દેશાભિમાની અથવા ધર્માભિમાની પોતાની સાચાઈના આવેશમાં શિક્ષાને ન ગણકારી ધિક્કારનાં વચન બોલે છે તે સાંભળીને સાનંદાશ્ચર્ય પેદા થાય છે. શું રૌદ્ર રસનું કારણ નિંદિત હોય ત્યારે હાસ્ય ઉત્પન્ન થાય? મોટા ખૂનીઓના બહાદુર બોલથી પણ વીરરસ જ લાગે છે? ત્યારે કારણના નિંદિતપણા ઉપર કંઈ આધાર નથી. આ વાતનો ખુલાસો મારી નજરમાં આ પ્રમાણે આવે છે: જ્યારે સામર્થ્યરહિત દ્વૈષભાવ પોતાની તૃપ્તિને અર્થે નકામા તરફડિયાં મારે છે ત્યારે શક્તિ ન હોવાના સબબથી સાધન હલકાં જ થવાનાં અને ત્યારે બીજા હસે એમાં પણ શી નવાઈ? હારેલો દેશાભિમાની મરતી વખતે પોતાનો રૌદ્ર અથવા બીભત્સ ભાવ બહાર પાડે છે ત્યારે તે ખરેખરું જોતાં પોતાના દ્વેષની તૃપ્તિ અર્થે કંઈ શ્રમ કરતો નથી, પણ પોતાનું અજિતપણું જ માત્ર પ્રગટ કરે છે, કેમ કે જ્યાં લગી દૈવના અથવા શત્રુના પ્રાબલ્યથી માણસ દુ:ખ પામતો નથી, અથવા દુ:ખથી પોતાનો મૂળ ઉદ્દેશ (આગ્રહ) શત્રુને સ્વાધીન થતો નથી ત્યાં લગી તે અજિતપણું જ છે. અને અજિતપણાથી વીરરસ ન ઉત્પન્ન થાય? માણસને પોતાના નિષ્ફળ શ્ર્રમોનો વિચાર કરતાં હસવું આવે છે, અને કોઈ વખત ફળીભૂત થયેલા શ્રમોના સ્મરણથી હસવું આવે છે. બાળકનો ઉદ્યોગ જુવાનને, અને જુવાનોનો ઉદ્યોગ વૃદ્ધને હમેશાં હસવા જેવો લાગે છે. દેશકાલના સંબંધે જુદા જુદા કામનું માણસોને જુદું જુદું લાગે છે. જે ક્રિયાથી હિંદુ ભક્તિમાં લીન થઈ જાય છે તે જોઈને મુસલમાન હસે છે. અને તેથી ઊલટું પણ તેમ જ સમજવું. (આ વિચાર આ પેટાને લગતો નથી પણ હાસ્યરસના સામાન્ય વિવેચનમાં લખવો જેઈતો હતો.) નહીં આરંભેલા તરંગોના સ્મરણથી પણ હસવું આવે છે, અને વખતે દિલગીરી થાય છે. માણસ નિરાશ થયાથી એટલે પોતાની કેવળ અશક્તિ જોઈને હસે છે. એ ગાંડાના હાસ્ય જેવો ભયંકર રસ છે. આ જગો ઉપર માણસ પોતાની મૂર્ખાઈ જોઈને હસે છે. મનમાં છૂપા ભાવરૂપે રહેલા ઉદ્દેશ ઘણા મોટા, અને સાધન ઘણાં હલકાં અથવા નહીં જ,—એથી બીજી મૂર્ખાઈ કેવી? એ હાસ્ય ઘણું Sympathetic નથી, કેમ કે ભાવરૂપે રહેલા ઉદ્દેશનું સ્વરૂપ બીજાથી પૂરેપૂરું ઓળખાતું નથી. જોેનાર તો કાર્યરૂપે તે પ્રગટ થાય ત્યારે જ તેનું બળ માપી શકે છે. અને તેથી તે ઉદ્દેશ અને સાધન વચ્ચેનું અસાધારણ પ્રમાણ બીજાના લક્ષમાં આવતું નથી, પોતાની મૂર્ખાઈ પોતે જોઈ છે. તથાપિ બીજા બરાબર જોઈ શકતા નથી, અને તે કારણને લીધે હસતા પણ નથી.

અદ્ભુત રસ (એક કાગળમાંથી ઉતારો)

જે બનાવ આપણા જોેવામાં આવ્યો નથી અથવા (શાસ્ત્રીય રીતે બોલીએ તો) જે બનાવનું કારણ ઇંદ્રિયજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સિદ્ધાંતો ઉપરથી સમજાતું નથી, તેવા બનાવોનો પ્રત્યક્ષ અનુભવ થયાથી અથવા તે બનાવોનું વર્ણન વાંચ્યાસાંભળ્યાથી આપણને આનંદયુક્ત આશ્ચર્ય લાગે છે. તે બનાવોના જે ગુણને લીધે આનંદયુક્ત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે તે અદ્ભુત રસ. એ રસ તે બનાવોમાં જ રહેલો છે. બીજી રીતે પણ અદ્ભુત રસ થાય છે. તે બનાવમાં જાતે તો અદ્ભુતપણું કંઈ જ નહીં હોય, પણ જ્યારે યુક્તિથી વર્ણનશૈલી એવી રાખી હોય કે તે બનાવો જગતના સાધારણ નિયમને અનુસરતા છતાં તેનાં કારણો વાંચતી વખતે જણાય નહીં, ત્યારે તે બનાવના પ્રથમ દર્શને આપણને નવાઈ જેવું લાગે છે, અને કેટલેક દરજ્જે ખરા અદ્ભુત રસની મજા આપણે અનુભવીએ છીએ. ઉદાહરણ—કરણઘેલાના કર્તા જેણે માત્ર કૃત્રિમ રસ લખ્યો છે તે હરપાળ સાધના કરવા ગયો તેનું વર્ણન કરતી વખતે તે સ્મશાનમાં અંધારી રાતે શી રીતે જઈ પહોંચ્યો, આસન કરવાને માટે કેટલી મુસીબતે એક મુડદું પેદા કીધું, ઇત્યાદિ ભયાનક વર્ણન કીધા પછી કહે છે કે હરપાળ જાણતો હતો કે સાધનામાં ભંગ પડાવવાને ભૂતાવળ ઘણાં વિઘ્ન વચમાં આણશે, અને તેથી તેણે ચોકસાઈથી નદીમાં ધોઈને તે મુડદ્દું કિનારા પર નાખ્યું. પણ એટલામાં કોઈ આવીને તે મુડદું ખેંચી જવા લાગ્યું, અને એણે આશ્ચર્ય તથા બીકથી ટક ટક જોયા કીધું. પણ પછી કહે છે કે તરત જ વાદળમાંથી ચંદ્રમા બારણે નીકળ્યો, અને તેના અજવાળાની મદદે જુએ છે તો માલૂમ પડ્યું કે એક શિયાળવું તે મુડદું ખેંચી જાય છે. એ વર્ણનમાં શિયાળવાએ ખેંચ્યું એમ અગાઉથી કહ્યું હોત તો આપણને કંઈ અદ્ભુત લાગત નહીં, અને તેથી એ અદ્ભુતપણું એ બનાવમાં રહેતું નથી, વર્ણનશૈલી ઉપર આધાર રાખે છે. એને હું કૃત્રિમ અદ્ભુત રસ કહું છું. કૃત્રિમ એટલે જુગતીથી ઊભો કીધેલો—ખરો નહીં તે. તાંબાનો રૂપિયો જેટલો રૂપાના રૂપિયા સાથે સંબંધ રાખે તેટલો જ આ કૃત્રિમ રસ અદ્ભુત રસ સાથે સંબંધ રાખે છે. એ બંનેનું ચલણ તેમના જાતિગુણ ઉપર નહીં, પણ પ્રત્યેક માણસના અજ્ઞાન ઉપર આધાર રાખે છે. તાંબાનો રૂપિયો લીધો એવું જણાય પછી જેમ માણસને પોતાની ભોળાઈનો વિચાર કરતાં શરમ, અને સામા ધણી ઉપર કંઈક કોપ ચડે છે, તેમ જ કૃત્રિમ રસનાં પુસ્તક વાંચનારને કારણ જાણ્યા પછી નાઉમેદી, કંઈક તિરસ્કાર, અને કંઈક હસવું આવે છે, અને પછી નહીં ઠગાવાની સાવચેતી રાખી આગળ વાંચે છે. એથી ખરા અદ્ભુત રસને માન્ય કરતાં આંચકો ખાય છે. જે કુદરતી બનાવો જોવાનો સહવાસ પંડિતો સિવાય બીજાને નહીં હોય તેવા બનાવને સંસારવ્યવહારના વર્ણનમાં અદ્ભુતને ઠેકાણે દાખલ કરવા અને વર્ણનથી શ્રોતાને આશ્ચર્યમાં તલ્લીન કીધા પછી તેનાં કુદરતી કારણો સંક્ષેપમાં સમજાવવાં એને પણ હું કૃત્રિમ રસ કહું છું. જે દેશમાં આગગાડી, વીજળીયંત્ર ઇત્યાદિ નહીં હોય ત્યાંના લોકોની આગળ કોઈ જાદુગરનું ચિત્ર શણગારવામાં વરાળ વીજળીનાં પરાક્રમ વર્ણવાં, અને પછી તેના કારણ સમજાવવાં, અથવા નહીં સમજાવવાં એ પણ કૃત્રિમ રસનો ઉપયોગ કરવા બરાબર છે. જે યંત્રશાસ્ત્ર પ્રમાણે જ વર્ણન કીધું હોય અને અદ્ભુત ભેળવવાનો ગાંડો યત્ન નહીં કીધો હોય તો તેને આ દોષ લાગુ પડતો નથી. કુદરતનાં પ્રૌઢ ચિત્રો આપ્યાથી તો એટલું ગાંભીર્થ જામે છે કે તેને તો અદ્ભુત નામ આપીએ તોપણ આપી શકાય—એથી તો રોજના સહવાસથી સાધારણ થઈ ગયેલી કુદરત જાતે જેવી ખરેખરી અદ્ભુત છે તેવી જ થઈ પડે છે; અને તેથી ઊંચામાં ઊંચી કવિતા ઉત્પન્ન થાય છે. ઉપર કહેલા બંને બનાવોમાં અદ્ભુત રસ નથી, પણ માત્ર વર્ણનશૈલીથી જ આશ્ચર્ય લાગે છે તેથી એ બંનેને કૃત્રિમ અદ્ભુત રસનું નામ ઘટે છે. અદ્ભુત રસનું બીજું એક પેટું છે. જેને Interest કહે છે. તેને ભવિષ્યત અદ્ભુત કહીએ તો ચાલે. સાધારણ અદ્ભુતથી કેમ બન્યું તે સમજાતું નથી. અને આથી શું બનશે તે જણાતું નથી. 1867
[‘નવલગ્રંથાવલિ, ગ્રંથ-2’, સંપા. ગોવર્ધનરામ ત્રિપાઠી, 1891]

  1. તે વખતે આવીને કાગળ પર લખી લીધું હતું તે પ્રમાણે જ આ લખ્યું છે. તે વખતે કવિનો વિચાર તો એ પ્રગટ પણ ન કરવું એવો હતો. મને એ વિચાર કેવળ ભૂલભરેલો અને કાંઈ દગાફટકાનો લાગ્યો તેથી ઉપલો વાદ ઉઠાવી એને બંધ કરવાની જરૂર પડી હતી. છેલ્લા વાક્યમાંનો વિચાર હું હાલ બરાબર પસંદ કરતો નથી.