ચૈતર ચમકે ચાંદની/નારંગીનો દેહ ધારણ કરતા કવિ

From Ekatra Wiki
Revision as of 09:29, 11 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નારંગીનો દેહ ધારણ કરતા કવિ

કવિઓ પાસે હૃદયના ભાવ વ્યક્ત કરવાની અદ્ભુત રીતો હોય છે. આ દુનિયામાં પ્રેમ કોણ નથી કરતું? પણ કવિ જ્યારે પ્રેમના એ ભાવને શબ્દો દ્વારા પ્રકટ કરે, ત્યારે આપણને થાય કે બસ, મને આવો જ ભાવ થતો હતો પણ કહેતાં ફાવતો નહોતો. પ્રેમનો ભાવ તો અહીં એક દૃષ્ટાંત તરીકે, માનવના મનના અનેક ભાવોને કવિ એ રીતે પ્રકટ કરે છે. ઘણી વાર તો ભાવ એના એ હોય પણ કોઈ નવો કવિ એવી અભિનવ રીતે રજૂ કરે કે આપણે સમગ્ર રીતે હલી જઈએ. હા, બસ આવું જ કૈંક થાય છે, નામ પાડી શકાતું નહોતું. પણ આવું જ કૈંક.

પ્રિયજન છે, લાંબા સમયથી બીમાર છે. લાંબી શિયાળાની ઠંડી રાત્રિઓ છે. ઊંઘ આવતી નથી. આવવા થાય છે તો વેદનાનો સણકો થતાં ઊડી જાય છે. પ્રિયજનની સેવામાં ઓશીકે બેસનારને પણ દિવસોના ઉજાગરા છે. બીમારની આંખ જરા મળે તો સ્તબ્ધ રાત્રિ વેળાએ એને પણ જરા સારું લાગે છે. બીમારના ઓરડામાં ઝાંખા અજવાળામાં દવાની શીશીઓ કે સેલાઇન બૉટલમાંથી ટપકું ટપકું જીવન બીમારની નસોમાં ટપકે છે. ક્યારેક વેદનામાં એ કણસે છે,

તો ઓશીકે બેસનાર ચિંતાતુર ચહેરે પૂછે છે – શું થાય છે? બીમારના ક્ષીણ અસ્કુટ શબ્દોમાં વેદના છે. આંખ જરા ઊઘડી વળી બંધ થઈ જાય છે.

થાય કે શું કરીએ? તેમાં વહાલસોયું સંતાન બીમાર હોય તો બાબરની જેમ પ્રાર્થના કરવા લાગીએ છીએ. બીમાર બાળને ઓશીકે આવી પ્રાર્થનાની ક્ષણો કયા માવતરના જીવનમાં નથી આવી?

બીમાર શિશુ કે બીમાર સ્વજન મરણની દિશામાં પગલાં પાડતાં હોય ત્યારે એક લાચાર બેચેની એ લાંબી રાત્રિના શીતળ-ઝાંખા -અજવાળામાં તરવરતી રહે છે. શું કરી શકાય, મરણોન્મુખી સ્વજન માટે શું કરી શકાય? એનામાં જીવનનો સંચાર કેવી રીતે કરી શકાય? જરા મોં ખોલવાનું કહી એકાદ ટીપું રસ… નારંગી-મોસંબીના રસનું એક ટીપું.

નારંગી, મોસંબી બીમારના ઓશીકા બાજુના પાંજરા પર રકાબીમાં પડ્યાં છે. જરા ફોલી, એકાદ પેશી નિચોવી રસનું એકાદ ટીપું… એક ટીપું જીવન.

નારંગી પડી છે, પાંજરા પર રકાબીમાં. ના, એ નારંગી નહિ. હવે અહીં એક કવિ જીવનાનંદ દાસ આવે છે, એ કવિ કહે છે કે હું જો એ નારંગીની પેશી બની જાઉં! પણ એ તો આ દેહે શક્ય કેવી રીતે બને? એટલે પછી કવિ કહે છે :
એક વાર જ્યારે દેહમાંથી

હું બહાર નીકળી જઈશ,

તો શું ફરીથી

આ ધરતી પર નહીં આવું?

જો ફરી આવવાનું થાય

તો

ઇચ્છું કે

કોઈ એક શિયાળાની ઠંડી રાતે

કોઈ એક

મૃત્યુશૈયા પર પડેલા

સ્નેહીજનના ઓશીકે

એક ઠંડી નારંગીની કરુણ પેશી બનીને આવું.

મુમૂર્ષુ સ્વજનના કંઠમાં એકાદ ટીપું જીવન તો જ સીંચી શકાય ને? આમ જોઈએ તો બાબરની પ્રાર્થના છે, પોતાનું આયુષ્ય પ્રિયજનને, પ્રિય સંતાનને આપી એના ચિરજીવનની પ્રાર્થના, પણ આ કવિએ કેવી કોમળ રીતે એ પ્રાર્થના કરી છે. અહીં પ્રાર્થનાનું ફળ નથી, કેમ કે અહીં ઈશ્વરને કોઈ સીધી પ્રાર્થના નથી. અહીં તો માત્ર એક ઇચ્છા વ્યક્ત કરી છે. ફરી અવતાર એક નારંગી રૂપે, નારંગીના કરુણ માંસ રૂપે, પેશી રૂપે, પોતે જ પેલી રકાબીમાં પડેલી નારંગીરૂપે હોય એ નારંગીમાંની પેશી હોય.

પ્રાર્થના નહિ, ઇચ્છા – પણ એવી ઇચ્છા કે જાણે કટોકટીની ક્ષણોમાં થઈ ગયેલી પ્રાર્થના. આ પ્રાર્થનામાં કશી છટ્પટ્ થતી વ્યાકુળતા નથી, ઊભરાટ નથી, એક સહજ ઉદ્ગાર છે. અહીં કોઈ પ્રતિજ્ઞા નથી. એમ પણ કવિ નથી કહેતા કે હું હમણાં જ મરણ પામી જાઉં. ના, એ કહે છે કે એક વાર આ દેહમાંથી બહાર નીકળી જઈશ, એ પછી એટલે આ ક્ષણે આ મુમૂર્ષુને માટે જ આ ઇચ્છા છે, અને એ તત્કાળ મૃત્યુની સન્નિધિમાં જન્મી છે એવું લાગવા દેતા નથી કવિ.

કવિ ‘મરણ’ જેવો શબ્દ લાવતા નથી. પોતા માટે એ તો કહે છે. કે ‘એક વાર જ્યારે આ દેહમાંથી બહાર નીકળી જઈશ–’ આટલી સાદી વાત જાણે ઘરમાંથી બહાર નીકળવાની વાત.

પછી ધરતી પર ફરી આવવાની વાત. દેહમાંથી નીકળી ગયા પછી ફરી ધરતી પર આવવાની વાત. જાણે ક્યાંક આંટો મારીને પાછા આવવાની વાત હોય એટલી નિર્ભાર રીતે કવિ કહે છે અને જો પછી પાછા આવવાનું થાય તો બીમાર સ્વજનને ઓશીકે ઠંડી નારંગીનું કરુણ માંસ એટલે કે ગર બનીને પેશી બનીને.

મુમૂર્ષુ-મરણોન્મુખના મુખમાં જીવનનું ટીપું કેવી રીતે સીંચી શકાય? આપણી સાદી ભાષામાં આ ભાવ મૂકવાનો થાય તો કહીએ કે સ્વજન માટે સર્વસ્વ અર્પી દઈએ.

પણ કવિઓ પાસે હૃદયના ભાવો વ્યક્ત કરવાની અદ્ભુત રીતો હોય છે. બધા કવિઓ પાસે નહિ, આ કવિતાના કવિ જીવનાનંદ દાસ જેવા કવિઓ પાસે હોય.

વાતને મેં વધારે પડતી સાદી રીતે, કદાચ કવિને અન્યાય થઈ જાય એ રીતે કરી અને મૂળ બંગાળીમાં વાંચીએ ત્યારે પહેલાં તો લાગે કે કવિએ પણ વાત તો સાદી રીતે જ કરી છે, પરંતુ કવિની એ સાદાઈ તો છેતરામણી છે. વાણીમાં આવી સાદગી લાવવા કવિને વરસોની સાધના કરવી પડે. જરા જુઓ મૂળ બંગાળી લીટીઓ :
એક બાર જખન દેહ થેકે બાર હયે જાબો!

આબાર કિ ફિરે આસબોના આમિ પૃથિવીતે?


જાણે કોઈ શિશુમનનો પ્રશ્ન. એક વાર દેહમાંથી બહાર નીકળી જઈશ તો ફરી પાછો ધરતી પર નહિ આવું? પછી કહે છે કે આવવાનું થાય તો કયા અવતારે?
એકટા હિમ કમલાલેબુર કરુણ માંસ નિયે!

કોનો એક પરિચિત મુમૂર્ષુર બિછાનાર કિનારે.

કવિ બીમાર સ્વજનને ‘ઓશીકે’ પણ નથી કહેતા – પણ બિછાનાને કિનારે –કહે છે. જાણે ચિંતાતુર ઊભેલા અનેક ચહેરામાં એક ચહેરો તે આ નારંગીનો. એક સિરિયસ ચિત્ર, એટલે તો કવિ કમલાલેબુ – નારંગીનું ‘કરુણ માંસ’ એવા શબ્દનો પ્રયોગ કરે છે – પેશી તો મેં ગુજરાતીમાં લખ્યું. માંસ એટલે અહીં નારંગીનો ગર પણ થાય – પણ ‘માંસ’ શબ્દ પણ સાભિપ્રાય છે. જાણે જીવંત દેહનો અંશ. કેમ કે એ અન્ય નારંગીઓ જેવી નારંગી નથી, એ તો એક વાર મનુષ્ય દેહમાંથી બહાર નીકળી ગયા પછી પ્રિયજન માટે નારંગીનો દેહ ધરીને આવેલા કવિ છે.

૮-૩-૯૨