ચૈતર ચમકે ચાંદની/રે પંખીડાં, સુખથી ચણજો

રે પંખીડાં, સુખથી ચણજો

ટિળક મહારાજને અંગ્રેજ સરકારે પકડ્યા. ગુલામ દેશમાં ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે’ એમ કહેવું તે ગુનો હતો અને એવો ગુનો ટિળક મહારાજે કર્યો હતો. અંગ્રેજી સલ્તનતને તો તેઓ દુશ્મન જેવા લાગે તેમાં કંઈ નવાઈ નહોતી. એમના પર કામ ચલાવવામાં આવ્યું અને એમને જેલની સજા થઈ.

મહાત્મા ગાંધી હોય કે લોકમાન્ય ટિળક હોય, આ મહાન પુરુષોએ જેલભૂમિને પણ જાણે તપોવનમાં ફેરવી દીધેલી. લોકમાન્ય જેલમાં ગયા, તો અહીં તેમનો સ્વાધ્યાય યજ્ઞ સતત ચાલતો રહેતો. ગ્રંથો વાંચવા-વિચારવામાં, લખવામાં તેઓ ડૂબેલા રહેતા. તેમનો મહાન ગ્રંથ ‘ગીતારહસ્ય’ જેલવાસમાં લખાયો છે, જેમાં તેમણે કર્મયોગની ભૂમિકા સ્થાપિત કરી.

પરંતુ દૂર બ્રહ્મદેશના માંડલેની જેલમાં એમને રાખવામાં આવેલા, જેથી પોતાના દેશબાંધવો સાથે કશો સંપર્ક પણ ન રહે. થયું એવું કે સતત કર્મજીવનમાં પ્રવૃત્ત રહેનાર, હજારો માણસોના સંપર્કમાં રહેનાર લોકમાન્ય જેલમાં એકદમ નિઃસંગ થઈ ગયા. વળી જેલ પણ એકદમ નિસ્તબ્ધ.

કોઈ કહેતાં કોઈ નહિ, માણસો તો શું પંખીઓ પણ આ જેલમાં દેખાતાં નહોતાં. એટલે શરૂઆતમાં તેમને આશ્ચર્ય પણ થયું હશે. પંખીઓ પણ નહિ!

ટિળક મહારાજને જેલમાં રોજ જે ખાવાનું મળતું તેમાંથી થોડું બચાવી તેમણે પંખીઓ માટે જરા દૂર મૂક્યું. તેમ છતાં પંખીઓ શરૂમાં તો દેખાયાં નહિ. પછી ચકલી જેવાં પંખી દેખાયાં, પણ તે તેમને માટે રાખેલા ખોરાકની નજીક જતાં નહિ. જાણે કે ભય પામતાં.

પરંતુ ટિળક મહારાજે પોતાનો ક્રમ છોડ્યો નહિ. પછી પંખીઓ પેલા ખોરાકની નજીક આવવા લાગ્યાં, એટલું જ નહિ. ખોરાક ચાંચમાં પણ ભરી જવા પણ લાગ્યાં. ટિળક મહારાજ તો ચોપડીઓમાં ડૂબેલા હોય.

પછી તો પંખીઓની સંખ્યા વધવા લાગી, તેમનો કલકલાટ સંભળાવા લાગ્યો, નિસ્તબ્ધતાની ભયંકરતા ઓછી થઈ. પંખીઓ તો હવે ટિળકની ખોલીમાં જ નહિ, સ્વયં ટિળક મહારાજને માથે અને ખભે પણ નિર્ભય બની બેસવા લાગ્યાં. ટિળક મહારાજ તો પોતાના અધ્યયન-મનનમાં ડૂબેલા હોય. પંખીઓ પોતાના મધુર કલબલાટથી ટિળક મહારાજનું એકાંત ભરવા લાગ્યાં.

એક વખત અંગ્રેજ જેલર રાઉન્ડ પર નીકળ્યા હશે. આમ તો એમને ખબર કે અહીં ટિળક રહે છે. પણ જ્યારે એમણે પંખીઓનો કલબલાટ ટિળકની ખોલીની આજુબાજુ સાંભળ્યો, ત્યારે તેમને આશ્ચર્ય થયું.

તેઓ ટિળકની ખોલી આગળ જઈ ઊભા. ત્યાં તો ઘણાં પંખીઓ. તેમણે ટિળક મહારાજને પૂછ્યું – ‘આટલાં બધાં પંખીઓ? ક્યાંથી આવ્યાં?’

ટિળક મહારાજે હસીને કહ્યું કે ‘હું આ બધાંને ભારતમાંથી તો નથી જ લાવ્યો. બધાં અહીંનાં જ છે. મારાં મિત્ર બની ગયાં છે.’

જેલરે કહ્યું કે, ‘અહીં જેલમાં અમે લોકો તો પંખીઓ ખાઈ જનાર છીએ. એટલે અમને જોઈને પંખીઓ બીવે છે અને આવતાં નથી.’

ટિળક મહારાજે કહ્યું, ‘જેલરસાહેબ, પંખીઓમાં પણ દોસ્ત અને દુશ્મન વચ્ચે ભેદ કરવાનો વિવેક હોય છે!’

આ પ્રસંગ ટિળક મહારાજના વ્યક્તિત્વના એક ઓછા જાણીતા અંશને પ્રકટ કરે છે. પણ એમના જવાબમાં એકથી વધારે અર્થ વાંચી શકાય છે. અંગ્રેજ જેલરને અપાયેલો એ માત્ર ચબરાક જવાબ જ નથી. ચબરાકીની રીતે તો એમણે એ સત્તાધારી અંગ્રેજને કહી દીધું કે ભારતના લોકો અને અંગ્રેજો વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે અને અમે તમને કેવી નજરે જોઈએ છીએ.

પરંતુ આજે હવે ટિળક મહારાજના એ જવાબને મનુષ્ય અને એની આજુબાજુનાં પશુ-પંખી જગતના પારસ્પરિક પ્રેમના એક વ્યાપક સંદર્ભમાં પણ જોઈ શકીએ.

ચીન દેશના એક બાદશાહે ચકલીઓને મારી નાખવાનું ફરમાન બહાર પાડ્યું, કોઈ વિશેષજ્ઞે એને સમજાવ્યું હશે કે આ ચકલીઓ બહુ ધાન ખાઈ જાય છે અને એટલે દેશમાં અનાજની ખેંચ પડે છે. બાદશાહનું ફરમાન એટલે ફરમાન. ચકલીઓના વંશને નિર્મૂળ કરવાનો મહાયજ્ઞ ચાલ્યો.

પણ પછી તો ઉપરાઉપરી દુકાળ એ બાદશાહના રાજમાં પડવા લાગ્યા. ચકલીઓ જે અમુક પ્રકારના ખેતીનો નાશ કરનાર કીડા ખાઈ જતી, તે તો રહી નહિ. કીડાઓનો ઉપદ્રવ વધ્યો અને ધાન બચવું તો દૂર રહ્યું, ધાન પેદા જ ન થવા લાગ્યું! બહુ મોડી એ વાત સમજમાં આવી અને એ મહામેધ બંધ થયો. માનવજાતના મિત્ર તરીકે ચકલીઓ રહી.

કોઈ નવજાત શિશુ પણ પોતાના જન્મના ઓરડામાં માના અવાજ અને દર્શન પછી કોઈનાય અવાજને દર્શન પામતો હોય તો કદાચ ચકલી હશે. આપણે જેમ ઘરમાં રહીએ છીએ તેમ ચકલીઓ પણ. એ માળા ઘરમાં જ બાંધે. ચકલી માળો બાંધતી હોય અને એ ઘરમાં રહેનાર ઘર બંધ કરી બીજે ચાલ્યા જાય તો ચકલી એ ઘરમાં માળો નહિ બાંધે. ચકલી જીવંત ઘરમાં જ માળા બાંધે છે.

કેટલાંક પંખીઓ છેક ઘરમાં ચકલી જેવો હક નથી જમાવતાં, પણ આપણા ઘરની આજુબાજુ ચોવીસ કલાકના પાડોશીઓ તરીકે રહે, જેમ કે કબૂતર વગેરે. કબૂતરને માળો બાંધતાં તો આવડતું જ નથી, પણ એ ઘરનાં માળિયામાં, ચોપડીઓના ઘોડા પર રહી ગયેલી જગ્યામાં કે એવે સ્થળે માળો બાંધે અને પછી ઘરમાં અને ઘરની બહાર સતત આવનજાવન કરે. ચુપ બેસે નહિ. પોતે પોતાના ઘરમાં આવ્યું છે એની ઘૂંટરઘૂં કરીને ગોળગોળ ફરતું ઘોષણા કરવા લાગી જાય! પરંતુ ઈંડાં મૂકવાના સમય વખતે અને બચ્ચાં મોટાં થાય ત્યાં સુધી. વળી પાછાં તે બહાર છજા નીચે કે બારીઓના વેધરશેડ પર કે એવે સ્થળે વાસો કરે.

કાગડાને તો કહેવામાં જ આવ્યો છે ‘ગૃહબલિભૂક્.’ કાલિદાસે આપેલું એ નામ છે. ઘરમાં વધેલા અન્ન પર એમનો હક્ક હોય છે. કાગડા સવાર પડતાં આંગણામાં હાજર થઈ જાય, પણ રાતવાસો સીમમાં કે નજીકનાં વૃક્ષો પર કરે. એમ કાબર, હોલો, લેલાં આ બધાં આપણાં હકદાવે પાડોશીઓ હોય એમ રહે છે. હવે જાણે એ હકદાવો ઊઠતો જાય છે. આ બધાં પંખીઓ વિષે બહુ કવિતાઓ થઈ નથી, સિવાય કે જોડકણાં કે બાળગીતો.

જેમના પર કવિઓ મરે છે, તે કોયલ અને બુલબુલ પણ પાડોશીની જેમ જ રહે છે. ચકલી-કબૂતરની જેમ જ રહે છે. ચકલી-કબૂતરની જેમ એ છેક ગૃહપ્રવેશ કરતાં નથી, પણ ઘરની આજુબાજુ રહી આપણા જીવનને કલકલાટથી ભરી દે છે. આ સવારોમાં અગાશીમાંના ઍન્ટેના પર બુલબુલ શ્રીપ્, શ્રીપ્, શ્રી પ્રભુ બોલીને કાનમાં અમૃતનો અનુભવ કરાવે છે. બાજુમાં જ ઘટાદાર આસોપાલવમાં તો એક કોયલ રહે જ છે તેનો અવાજ ઘરની લૉબીમાંથી જ સંભળાય છે, કેમ કે આસોપાલવની ડાળો છેક ત્યાં સુધી આવી ગઈ છે. અવશ્ય એક વાર ‘વાની મારી કોયલ’ અમારી બાલ્કનીમાં બેહોશ થઈ ગયેલી, તે પાણી છાંટી હોશમાં આણેલી! ઊડી ગઈ!

કવિ ઉમાશંકરની જેમ હું કંઈ પંખીલોકની કવિતા કરવા નથી બેઠો, પણ આપણા સૌનો આ અનુભવ છે. આપણી આજુબાજુની પંખીસૃષ્ટિ, ઘરેલુ પંખીની સૃષ્ટિ. તેમાં ખિસકોલીઓને પણ ગણી લેવી. એમના વિના તો સૂનકાર લાગે, આ બધાં આપણાં એક રીતે મિત્ર છે,

પરંતુ એ પંખીઓ આપણે માથે ખભે બેસે એટલો વિશ્વાસ આપણા પર નથી, એ બેસવા લાગે તો કેવો અનુભવ થાય તે તો આલ્ફ્રેડ હિચકોકનું ‘બર્ડ્જ’ ચિત્રપટ જોઈ નિર્ણય ન કરાય. ટિળક મહારાજનો અનુભવ યાદ કરવો પડે.

કવિ કલાપીએ ભલે જુદા સંદર્ભમાં કહ્યું હોય પણ એમની આપણાં પાઠ્યપુસ્તકમાં સ્થાન પામેલી પેલી કવિતા ‘મને જોઈને ઊડી જતાં પંખીઓ’ને યાદ કરવા જેવી છે. પંખી ચણતાં હોય, બાજુમાં ગાય ચરતી હોય. પણ માણસો આવે તો ફર્‌ર્‌ર્ કરતાં ઊડી જાય. હજી પંખીઓને ભય છે, નિત્ય પાડોશી છતાં કલાપીએ કહ્યું, પંખીઓને કે કેમ ઊડી જાઓ છો? ‘પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું.’ પણ પંખીને ખબર પડી જાય છે કદાચ. તેમ છતાં આપણે તો આપણને જોઈ ઊડી જતાં પંખીઓને કલાપીની જેમ કહેવાનું છે –
રે પંખીડાં સુખથી ચણજો

ગીત વા કાંઈ ગાજો..

અને કલાપીએ કહ્યું એટલે કવિ કલાપીની જેમ ખરેખરનો કલાપિત – કલાપી – કલાપ કરનાર મોર – છેવટે યાદ આવી ગયો. નગરમાં કે ગામના ઘરમાં તો મોર ક્યાંથી? પણ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સમાં જ્યારે રહેવા જઈએ ત્યારે ત્યાં તો મોર બરાબર ઘરના પ્રાંગણમાં આવીને પોતાની કળા કરી રીઝવી જાય. અત્યારે પણ ત્યાં તમારા હાથમાંથી નિરાંતે દાણા ચણી શકે એટલા એ વિશ્રબ્ધ અને ત્યાંના અંતેવાસીઓથી વિશ્વસ્ત છે!

૬-૬-૯૩