છંદોલય ૧૯૪૯/ત્રેવીસમા વૈશાખમાં

ત્રેવીસમા વૈશાખમાં


શુક્લ વૈશાખની સપ્તમી,
પ્રખર મધ્યાહ્ન જ્યારે હતો પાસમાં,
ત્યાહરે મેં લીધી સૃષ્ટિને શ્વાસમાં!
ત્યારથી જીવનનો ખેલ હું અહીં રહ્યો છું રમી!

જન્મ શું, એ નથી જાણતો,
ને છતાં વર્ષવર્ષે રહ્યો જન્મદિન માણતો!
જન્મ શું, એની અનુભૂતિની ના સ્મૃતિ;
મૃત્યુમાં જન્મ, નવજન્મની છે કૃતિ;
તો પછી એક દિન એહને ત્યાં પુન: લહી શકું!

– કિન્તુ ત્યારેય નહીં કહી શકું!

૧૯૪૮