જનપદ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 09:15, 14 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘જનપદ’ વિશે

આજના કવિ તરીકે તથા અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના પણ અભ્યાસી તરીકે કાનજી પટેલ અનુઆધુનિક વિદગ્ધ જરૂર છે પરંતુ એમની વ્યક્તિચેતના અને સર્જકચેતના જનપદ તેમજ વનપદના ભીતરી સ્પર્શવાળી છે – નિબિડ અને તપ્ત સંવેદનવાળી છે. ‘જનપદ’માં વનવાસીનો તીક્ષ્ણ અને પ્રબળ સૂર છે. વન–પર્વત–નદી–પંખી–માટી–વૃક્ષ એ તત્ત્વોની નિકટતાનો એમનો આનંદ અંદર ઘુંટાયેલો રહે છે ને એ વન-જન-પ્રકૃતિ પરના શહેરી આક્રમણથી નીપજેલો આક્રોશ વેદનાનું કાવ્યરૂપ ધારણ કરે છે. કાનજી પટેલનો ટેમ્પરામેન્ટ–કવિમિજાજ તળના વાસ્તવને કલ્પનોથી આકાર આપનાર વિલક્ષણ સર્જકનો મિજાજ છે. સૂરજ અને ચંદ્ર, રાત્રિ અને તારામઢ્યું આકાશ, જંગલની અડાબીડતા અને ધરતીની સઘન ગંધ, ઝરણાની સાથે, ઝરણની જેમ જ, વહેતા–સરકતા સર્પ, જનપદની જીવનરીતિઓ – એ બધું રંગદર્શી અસબાબ રૂપે તો દેખાતું નથી, એક સંદિગ્ધ છતાં પ્રબળ ઇન્દ્રિય – સંવેદ્યતાથી તેમજ મૂળની સમજથી કાવ્યતત્વ પ્રગટાવે છે. એટલે બને કે કાનજીની કવિતામાંથી પસાર થતાં પહેલીવાર ઘણું અધ્યાહાર રહી જતું લાગે – પરંતુ એમાંથી ફરીફરીને પસાર થતાં અંદર ખેંચી લેતી પરિચિતતાની સન્મુખ પણ આપણે થઇ શકીએ. એક બાબત તો પહેલા વાચનથી જ ભાવકને પકડી શકે છે – જનને પણ વનનો અંશ કરી રાખતું એનું વાતાવરણ, અનેક પડોમાં ઇન્દ્રિયબોધ આપતી પ્રકૃતિ. ‘જનપદ’માં, આ રીતે થનારો આપણો પ્રવેશ જરૂર વિસ્મયભર્યો બનશે.

—રમણ સોની