ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/નિવેદન

From Ekatra Wiki
Revision as of 07:19, 17 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <center>નિવેદન</center> 'પયગમ્બર એના દેશમાં અને એના યુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિવેદન
નિવેદન

'પયગમ્બર એના દેશમાં અને એના યુગમાં નથી પૂજાતો' એ કહેણી સૈારાષ્ટ્રના પયગમ્બર – પુત્ર દયાનંદજીના સંબંધમાં તો અક્ષરશઃ સાચી ઠરી છે. ધાર્મિક કલહો અને ક્લેશોથી ખરડાયેલા ગયા જુગમાં — એાગણીશમી સદીમાં એ યુગસૃષ્ટા પુરૂષનાં સાચાં મૂલ ન મૂલવાયા હોય એ શક્ય છે; પણ આજના નવયુગમાં યે એ પુરૂષની સાચી કીમ્મત ન મૂકાય અને માત્ર તેનો એક પંથ-સ્થાપક તરીકે જ આંક અંકાય, એ અજુગતુ લાગે છે. એ રીતે, આજે Greater Dayanand — મહર્ષિ દયાનંદ અને Nation-builder Dayanand — રાષ્ટ્રવિધાયક દયાનંદ સાવ ભૂલાઈ ગયા છે; અથવા તો એ મહત્તા ઘણી જ ઓછી પૂજા પામી રહી છે. અને સૌરાષ્ટ્ર તો એના એ સપૂતને સાવ ભૂલી ગયું છે. એ ભૂલ સુધારવા સૌરાષ્ટ્રની પ્રજાને નામે આ એક પ્રયત્ન છે. સૌરાષ્ટ્રના પ્રતિભાવંત પુત્રોને અને ભારતના રાષ્ટ્રસૃષ્ટાઓનો ગુજરાતને સાચો પરિચય કરાવવાનો ‘સૈારાષ્ટ્ર'નો, બીજા અનેક અભિલાષો માંહેનો, એક અભિલાષ છે. એજ દૃષ્ટિથી ‘દેશબંધુ'ની જીવનકથા ગુજરાતને ચરણે ધરી છે અને આજે આ ‘ઝંડાધારી'નું જીવનચરિત્ર જનતાને ચરણે, ધરું છું. એમાંથી ગુજરાતની પ્રજાને દયાનંદની થોડીયે સાચી પિછાન મળશે અને ગત યુગની એ પરમ સમર્થ વ્યક્તિને ભારતના પૂજનીય પુરૂષોના મંદિરમાં યોગ્ય સ્થાન અપાશે એવી મારી આશા છે. પુસ્તક બે ભાગમાં વહેંચાયું છે. પ્રથમ ભાગ — મહર્ષિજીની જીવનકથા ભાઈશ્રી કકલભાઈ કોઠારીએ લખી છે અને બીજો ભાગ, જેમાં મહર્ષિજીની મહત્તાના દર્શક એમના જીવનના પ્રસંગો અપાયા છે, તે ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીની કલમની પ્રસાદી છે.​

સ્મરણ

દેશનું રાજ્યકારણી ચણતર વારે વારે કથળતું દેખાય છે. માલવીયાઓના અને મહાત્માઓના બાંધેલા સ્વાતંત્ર્યના કોટકિલ્લાઓ, અમદાવાદના પેલા પ્રાચીન ગઢ વિષે દંતકથા ચાલે છે તેમ, દિવસભર બંધાઈને રાત્રિયે જાણે કે કોઈ બાવાના મંત્રબળથી જમીનદોસ્ત થાય છે. એક ખળભળેલા ખુણાને સમારતાં સમારતાં જ જાણે બીજો ખુણો લથડીને નીચે ઢગલો થઈ પડે છે. કારણ કે એ રાજકારણી સ્વાતંત્ર્ય-દુર્ગના પાયામાં ધાર્મિક અને સામાજિક બંડખોરોના બત્રીસા પૂરેપૂરા દેવાયા નથી. એ ભવ્ય ઈમારતના તળીઆમાં જે કુસંસાર ને કુરૂઢિ રૂપી પોલાણો પડ્યાં છે, તેની અંદર ધાર્મિક અને સામાજિક સ્વતંત્રતાનાં ધગધગતાં સીસાં રેડાયાં નથી. માટે જ આજે દેશને દયાનંદ સાંભરે છે. રાજાના કરવેરા કચરી નાખે છે. પરસત્તા પોતાની વ્યાપારી યુક્તિ પ્રયુક્તિ વડે અમારું દ્રવ્ય હરી જાય છે. અમલદારો રૂશ્વત ખાઈને અમને નિર્ધન બનાવે છે. મુડીવાદ અને યંત્ર કારખાનાંઓ લોહી ચૂસે છે. સત્તાધારી નામ ધરાવતો પ્રત્યેક આદમી અમારા દેશને દૈત્ય છે. એ આપણો નિત્યનો પોકાર : ​પરિષદો ને કોંગ્રેસોના કકળાટ : પરંતુ દેશની ધાર્મિક સંસ્થાઓ અને ધાર્મિક સત્તાધીશોને હાથે હરાતા આપણા દ્રવ્યનો આંકડો કોઈએ કાઢ્યો છે? ધર્માચાર્યોના ડંડાઓ આપણે ઘેરેઘેર ઘૂમતા દેખ્યા છે? અંધશ્રદ્ધા અને ધર્મભય ઉપર ચાલતી વિરાટ દુકાનદારીના હડફામાં પ્રવેશ પામતાં આપણાં ધનદોલત ગણ્યાં છે? કરોડોને ગુજારો કરવાના મૂઠી ભાત પણ નથી તે દેશમાં પ્રભાતે પ્રભાતે ખડકાતાં દેવદેરાં ને દેવપ્રતિમાઓની નોંધ કરી છે કોઈએ? કેટલા ગુરૂદ્વારાઓ, કેટલાં તારકેશ્વરો, કેટલા મહંતોના મઠ અને જગ્યાઓ આજ નિર્ધન હિન્દીઓની પાસેથી મનમાન્યા લાગા ઉઘરાવી ઉઘરાવીને રજવાડી વૈભવ વિલાસમાં ગળાબુડ ગરક થઈ મ્હાલી રહ્યા છે, એનો સરવાળો નીકળશે ત્યારે દેશની માટીનું કણેકણ કાંપી ઉઠશે. રાજસત્તાની લૂંટનો આંકડો એ આંકડાની આગળ ઝાંખો પડશે. એ સંપત્તિનાશ થતો નિહાળી નિહાળીને ચોધાર પાણીડાં પાડતું ભારતવર્ષ આજ દયાનંદને એમની બેતાલીસ વર્ષ પૂર્વેની સમાધિમાંથી સાદ કરે છે કે: મહર્ષિજી, તે દિવસ સંધ્યાકાળે, ગંગા મૈયાને કિનારે, સૌંદર્યમુગ્ધ બનીને બેઠાં બેઠાં, એક એારતને આપે પોતાના મરેલા બાળકને કાષ્ટને અભાવે ગંગાજળમાં ડુબાવતી દેખી, અને એ પ્યારા બચ્ચાના કલેવર ઉપર વીંટેલું કપડું પણ પાછું લઈ જતી જોઈ, તે વખતે એ માતાની નિર્ધનતા ઉપર જે વેદના આપે અનુભવેલી, તેનાથી તે દસગણી દરિદ્રતા આજ આપના વ્હાલા દેશમાં વર્તી રહી છે, અને એ નિર્ધનતાનાં પણ રક્ત શોષી શોષીને અમારી આલેશાન ધર્મસંસ્થાઓ રંગ રાગ ઉડાવી રહી છે. તમારા વજ્ર–ખડ્‌ગની આજ વાટ જોવાય છે. કોઈ પણ રાજસત્તાએ પોતાનો દંડ નથી ઉગામ્યો કે ખબરદાર, તમારાં બાર બાર વરસનાં કમજોર બાળકોને લગ્ન નામની જોગણીના ખપ્પરમાં હોમી દેજો ને તમારી કન્યાઓને ​ભણવા દેશો નહિ, છતાં આજે જ્યારે ગુલાબના ગોટા જેવાં સંતાનો,ને અકાળ લગ્નના ભોગ બનીને દરિદ્રતાની કે ક્ષયરોગની માટીમાં ખરી પડતાં જોઈએ છીએ, ઋષિ મુનિના વારસદાર મ્હોડાં ઉપર વીર્યહીનતા, વિષાદ અને વિકારની પીળી પીળી રેખાઓ દેખીએ છીએ, અને હિન્દુ બાલિકાoનાં — કૈંક સમરથોનાં ને કૈંક જવલોનાં બલિદાનો સાંભળીએ છીએ, ત્યારે અવાજ નીકળી જાય છે કે મહર્ષિજી, આવો, આ રૂઢિઓની ભૂતાવળને ધર્મ અને શાસ્ત્રનાં પ્રમાણો દેતી અટકાવો. નહિ તો અમારાં ચાહે તેટલાં ભગીરથ રાજકારણી આંદાલનો મિથ્યા જવાનાં. રાજસત્તાએ તો પોતાની નિશાળોના બારણા ઉપરથી ‘આભડછેટ' શબ્દ ભૂંસી નાખ્યો. એણે કોઈ દવાખાનાને દરવાજે ‘અંત્યજોને મનાઈ'નું પાટીયું નથી લગાવ્યું, કે નથી એણે કોઈ દેવ-મંદિરમાં ‘અસ્પૃશ્ય' જેવો મનાઈ-શબ્દ લખ્યો. છતાં એ બધાં કર્માલયો અને ધર્માલયોને દરવાજે જ્યારે એક બાજુ ધર્મઝનૂન નામના દૈત્યને ખુલ્લી તલવારે ખડો દેખીએ છીએ; તેની સામે શુદ્ધ હિન્દુ ઢેઢને રગરગતો જોઈએ છીએ, અને આઘે ઊભાં ઊભાં એને પેાતાની પાસે બોલાવી રહેલાં ખ્રીસ્તાલયો, ખોજાખાનાઓ અને મદરેસાઓને નિહાળીએ છીએ, ત્યારે પણ જોશભેર એ દયાનંદનો સ્વર સાંભરી આવે છે. સરકારે આપેલી સેતાની કેળવણીને આપણે તિરસ્કાર દીધો. પોણોસો વર્ષમાં તો એણે રેડેલું ગુલામીનું વિષ આપણી નસેનસમાં પ્રસરેલું આપણને લાગ્યું અને પછી આપણે કેળવણીને રાષ્ટ્રીય કરી દીધી. પણ આપણે શું જોયું? કેવળ રાષ્ટ્રીયતાના પોશાકમાં સજ્જ થયેલી એની એ કેળવણી, એજ પઠન પાઠન, એજ પ્રમાદ, એવી જ ઘેલછાઓ, એવા જ તોર શેાર, અને એનું એ લખલુંટ ખર્ચાળપણું. મહા પ્રભાવવન્તી વ્યક્તિઓની ​ફુંકે ફુંકે પ્રગટ થયેલી, પ્રજાના અલૌકિક વિશ્વાસથી વિભૂષિત બનેલી, પ્રજામાંના ગરીબમાં ગરીબનું પણ પોષણ પામી પ્રફુલ્લિત થયેલી, ને બે ઘડી પછી એ પ્રભાવશાળી વ્યક્તિઓના માત્ર પડછાયા જેવી જ થઈ પડેલી, મુવાને વાંકે જીવતી શિક્ષણ સંસ્થાઓને જોતાં જ આપણને યાદ આવે છે કે કાંગડી અને મથુરાનાં ગુરૂકુળો સ્થાપનાર સમર્થ કેળવણીકાર એક દયાનંદની આપણને આજે ભીડ પડી છે. આજ આપણે માત્ર નખરામાં જ પડી ગયા છીએ. જો હિન્દુ ધર્મ આજ ત્રાજવામાં તોળાઈ રહ્યો હોય અને એ તુલાની સામે સારૂં ય જગત તાકી રહ્યું હોય, તો એ તુલાના છાબડાની અંદર દયાનંદના જીવન-તત્ત્વને ધર્યા વિના આપણું વજન નથી વધવાનું. ભર સભામાં એને ગાળો આપીને જાન લેવા ધસી આવનાર એક પ્રચંડ જાટ પોતાના નેત્રોમાંથી લોહી વરસાવતો એને પૂછે છે કે ‘બોલ, તારા શરીરના કયા ભાગ પર પ્રહાર કરીને તારો — ધર્મઘાતીનો જીવ લઉં?' ‘ભાઈ; તું જેને ધર્મઘાત કહે છે, તે કરનારૂં તો આ દુષ્ટ મારૂં મસ્તક છે, માટે તેના ઉપર જ ઘા કર.' એવો પ્રફુલ્લ ઉત્તર આપીને એ ઘાતકનું માથું પણ પોતાના ખોળાની અંદર નમાવી શકનાર એ અહિંસા વ્રતધારી : અને બીજી વેળા ખુલ્લું ખડ્‌ગ ઉગામીને પોતાનો ઠાર કરવા ધસી આવનાર રાવ કર્ણસિંહજીના હાથમાંથી એ ખુદ ખડ્‌ગ જ ઝુંટવી લઈને, શિવ-ધનુ તોડનાર શ્રી રામચંદ્રની જ શાંત છટાથી એક જ હાથ ખડ્‌ગના બે ટુકડા કરી રાવશ્રીને પાછા ક્ષમા દેનાર વીર: બન્ને એક જ હતા. એવું બ્રહ્મવર્ચસ્વ ને એવું વીર્ય આજ હિન્દુ ધર્મ માગી રહ્યાં છે. નહિતર હિન્દુ ધર્મનો મૃત્યુ-ઘંટ વાગતો સાંભળીએ છીએ. આજ તો જગદ્વંદ્ય વ્યકિતઓનાં ગળાં પણ બોલી બોલીને સુઝી ગયાં છે. બેનમૂન શબ્દોના અને પવિત્ર શ્વાસોચ્છવાસના વ્યર્થ ​દુર્વ્યય થવામાં હવે તો હદ વળી ગઈ છે. છતાં પ્રજા સળવળીને પાછી પોઢી જાય છે. તે વખતે એવા તેજની જરૂર છે કે જેના શબ્દનો રણકાર શતાબદી શતાબ્દી સુધી કરોડોના કાનમાં ગુંજી રહે, જેની ફુંકે મુડદાં મસાણમાંથી ઊભાં થાય. આપણને — દેશી રાજ્યોની પ્રજાને તે મહર્ષિજીનો — જીવન સંદેશ એના મૃત્યુમાંથી મળે છે. રાજાઓ તો હરકોઈ જાતની જાગૃતિના કટ્ટા શત્રુઓ હોય એમ મનાયું છે. અને રજપૂતાનામાં તો એ દશા અતિ ઉગ્ર રૂપે વર્તી રહી છે. છતાં દયાનંદે ત્યાં જઈ અખાડા નાખ્યા. કૈંક રાજમુગટો એની ચરણરજ ચુમવા માટે નીચા નમ્યા, ત્યાં એણે જ્ઞાનનો ઝાકમઝોળ દીવડો પેટાવ્યો, અને રાજાઓને વેશ્યાના છંદમાંથી છોડાવવા જતાં ઝેરને પણ અંગીકાર કરી લીધું, મોરબીની માટીનું ઋણ એણે મારવાડમાં જઈને ચુકાવ્યું. દેશી રાજ્યોને માટે એ રીતે મરી જાણનારાઓની આજે જરૂર પડી છે. એને અન્યાય થયો છે. અને કયા દેશમાં એવા દેવદૂતો પોતાની હયાતી દરમ્યાન ઈન્સાફ પામી શક્યા છે? પરંતુ મહર્ષિજીને મળેલો ફિટકાર તો હિન્દમાતાના હૈયા પર તાજા પડેલા ઘા જેવો છે. નિન્દુકોએ તો “દયાનંદ એટલે ‘મૂર્તિભંજક' એવો જ નાદ કરોડોના કાનમાં ભરી દીધો, અને શ્રદ્ધાળુ હિન્દુ- સમાજ એ વિષ વગર જોયે ગળી ગયો. પણ ક્યાં ગઈ એની બીજી વિભૂતિઓ? બ્હેનનું શબ દેખીને જન્મેલો વૈરાગ્ય, વિવાહનો વિમોહ, સત્યની શોધમાં એક કૌપિનભરનો રઝળપાટ, ગુરૂદેવની અકારણ મારપીટ પ્રત્યે સમભાવ, ગુરૂદક્ષિણામાં ભારતવર્ષને સેવવાના શપથ, વેદવાણીનો બુલંદ ધોધ, ઠામઠામ વિજયટંકાર છતાં નિરાભિમાનતા નિર્મોહ ભારોભાર મર્મવેધિપણું ને ભારોભાર સૌમ્યતા, મૂર્તિભંજક છતાં નાગાંપૂગાં બાળકો વચ્ચે ખેલતી નાની કન્યાઓમાં વિરાટ માતાનું દર્શન ​અને નમન, પ્રચંડ ભુજબળ છતાં નિન્દુકોએ નાખેલ મળમૂત્ર અને વરસાવેલી મારપીટ પ્રત્યે સ્નેહમયી ઉદાસીનતા : વારંવારના વિષ-પ્રયોગો સામે પણ દયામય હાસ્ય, નવા શિક્ષણનો કે પાશ્ચાત્ય સંસ્કૃતિનાં રંગનો એક સહસ્ત્રાંશ પણ પાશ ન હોવા છતાં આજ પચાસ પચાસ વર્ષ સુધી પણ બેનમૂન રહેલા એવા એમના શિક્ષણ-પ્રયેાગો ને સંસાર સુધારાઓ, અને આખરની ઘડી આવી તે વખતે પોતાના એ સમસ્ત સામ્રાજ્યનો બોજો વિના અચકાયે ફગાવી દેવાની, અનંતની સાથે તલ્લીન થઈ જવાની વિરક્ત દશા : એમાંનુ કશું ય શું વંદવા જેવું ન લાગ્યું? એક સુધારક કે બળવાખોર કહીને એને ન પતાવી શકાય. એ તો યુગાવતાર હતો. બે હજાર વર્ષ પછી કોઈ અારનોલ્ડ આવીને ‘Light of India' ‘ભારતનો પ્રકાશ' નામે કાવ્યમાં જ્યારે મહર્ષિજીને અમર કરશે, ત્યારે જ હિન્દુ — જો હિન્દુ જીવતા હશે તો — એ કાવ્યધારામાં પોતાની નેત્રધારા તે દિવસે વ્હેતી કરશે.

<centerપ્રકાશકનું નિવેદન>

સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીના જીવન ચરિત્રના પુસ્તકના નિવેદનમાં એ મહર્ષિને ઓળખાવવા માટે કાંઈ લખવું એ સ્વયં પ્રકાશિત સૂર્યને ઓળખાવવાની ઘૃષ્ટતા કરવા જેવું છે. એ જગતવંદ્ય મહાપુરુષ તે પોતાના બ્રહ્મચર્ય અને જ્ઞાનબળ ત્યાગ અને તપ ક્ષમા અને દયા તથા પોતાના યોગબળ અને આર્યદ્રષ્ટિ વડે જ સર્વત્ર પ્રસિદ્ધ થઈ ગયેલા છે. તેમની જીવન કથા સ્વયં તેમના અગાધ આત્મબળનું પ્રદર્શન કરે છે. અમારે તો આ નિવેદનમાં આત્મપરિક્ષણ કરવું છે. મુંબઈ પ્રદેશ આર્ય પ્રતિનિધિ સભાની સ્થાપના સને ૧૯૦પની સાલમાં થઈ અને તે સમયથી પ્રાંતની આર્ય સમાજોનું સંગઠ્ઠન થયું અને પ્રાંતમાં વેદના જ્ઞાન-પ્રકાશનો લાભ જનતાને આપવાનો આરંભ થયો. પ્રતિનિધિ સભાના આરંભકાળથી જ પ્રાંતમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો દ્વારા જનસમાજમાં ધર્મ વિષે ફેલાયલા અંધકારને દૂર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને મોટા પાયા પર અનેક પરિષદો ભરીને લોકોમાં ધર્મની જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એ સમયે સભાનું આ કાર્ય જેમણે નજરે જોયું છે તે સર્વ તેના આ કાર્યનાં મુક્ત કંઠે વખાણ કરે છે. શરૂઆતથી સભા સાપ્તાહિક ‘આર્યપ્રકાશ' નામનું પત્ર ચલાવે છે, તે પત્ર દ્વારા પણ વેદના સિદ્ધાંતોનો પ્રચાર કરવાનો પ્રયત્ન ચાલુ જ છે, પરંતુ પુસ્તકો પ્રસિદ્ધ કરવાના કાર્યને આ સમયે જોઈએ તેવો વેગ આપી શકાયો નહોતો. સભાને સને ૧૯૨૫ની સાલમાં "પ્રીન્ટીંગ પ્રેસ" દાનમાં મળ્યું, તે સમયથી ​પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું અને આજ સુધીમાં મહર્ષિ પ્રણીત વેદના સિદ્ધાંતોને પ્રતિપાદન કરનારાં અનેક નાના તેમજ મુખ્ય ગ્રંથો જેવા કે સત્યાર્થ પ્રકાશ, ઋગ્વેદાદિ ભાષ્યભૂમિકા અને સંસ્કાર વિધિ, સભાના પ્રેસમાં છાપીને પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. સત્યાર્થ પ્રકાશની તો સસ્તી આવૃત્તિ ૨૧ હજાર પ્રત છાપીને પાણીના મુલ્યે જનતાને ભેટ ધરી હતી. પરંતુ એક વસ્તુ કે જેના અપ્રકાશન માટે દીલગીરી થાય છે તે સ્વામીજીના જીવન ચરિત્રને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ ન થઈ શક્યું તે છે. હિંદી ભાષામાં સ્વામીજીના જીવન ચરિત્ર માટે ત્રણ પુસ્તકો લખાયાં છે. પ્રથમ પ્રયાસ પં. લેખરામે કર્યો હતો, તે પછી સ્વામી સત્યાનંદ મહારાજે “દયાનંદ પ્રકાશ" નામનું પુસ્તક પ્રસિદ્ધ કરી સ્વામીજી પ્રત્યે પોતાની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા પ્રદર્શિત કરી છે, અને છેલ્લું શ્રી. બાબુ દેવેન્દ્રનાથ મુખોપાધ્યાયે તૈયાર કરેલી સામગ્રી ઉપરથી શ્રી. ૫ં. ઘાસીરામે અનુવાદ કર્યો તે સ્વામીજીનું જીવન ચરિત્ર સંવત ૧૯૯૦માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એ સર્વ સાધનો ઉપરથી ગુજરાતી ભાષામાં સ્વામીજીનું વિસ્તૃત જીવન ચરિત્ર લખાવી પ્રસિદ્ધ કરવાનું કાર્ય સભામાં વિચારવામાં અાવ્યું હતું અને તે માટેની યોજના આર્યપ્રકાશમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પરંતુ તેનો અમલ થાય તે પૂર્વે તે પશ્ચિમી પ્રજાઓનું આસુરી યુધ્ધ શરૂ થયું જેમાં સમસ્ત સંસારના સર્વ દેશો ને ઈચ્છા-અનિચ્છાએ પણ સામેલ થવું પડ્યું છે. ભારતવર્ષ પણ તેનાથી વંચિત રહ્યો નથી. આજે આ હત્યાકાંડ પરમ સીમાએ પહોંચ્યો છે, તેથી વ્યવહારની સર્વ ચીજોના ભાવો અનેક ગણા વધી પડ્યા છે. કાગળોના ભાવ પણ આઠ-દશ ગણા થઈ ગયા છે. એવા સમયમાં પણ આ પુસ્તકનું પ્રકાશન કરવાનું યોગ્ય ધાર્યું છે, કારણ કે ઉપર જણાવેલ સ્વામીજીના વિસ્તૃત જીવન ચરિત્રને પ્રસિદ્ધ ​કરવાનું કાર્ય હાલ તુરતમાં ઉપર બતાવેલાં કારણોએ હાથ ધરી શકાય તેમ નથી. એથી આ લઘુ પુસ્તિકા પ્રસિદ્ધ કરીને સંતોષ માનવો રહ્યો. આ પુસ્તક સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ લેખકો શ્રી. ઝવેરચંદ મેઘાણી અને શ્રી કકલભાઈ કેાઠારીની કલમથી લખાઈને “ઝંડાધારી” નામથી પ્રસિદ્ધ થયું હતું — જેની ત્રણ આવૃત્તિ પ્રસિધ્ધ થઈ ચૂકી છે. તે પુસ્તકનું પુનઃ પ્રકાશન કરવા સભા તરફથી આર્યપ્રકાશના માજી તંત્રી શ્રી હરિશંકર વિદ્યાર્થીએ સ્ટેટસ પીપલ લી. વાળા શ્રી. અમૃતલાલ શેઠની પરવાનગી માટે લખ્યું. છાપવાના ઉદ્દેશ ધનની કમાણી કરવી એ નહિ, પણ જનતામાં આ પુસ્તકની અલ્પમાં અલ્પ કિંમતે લહાણી કરવી એ છે. ઋષિ-ભક્ત શેઠ અમૃતલાલ ભાઈએ પંડિતજીની વિનંતિનો હર્ષ સાથે સ્વીકાર કર્યો તેને માટે મું. પ્ર. આ. પ્ર. સભા શ્રી શેઠનો ઘણો જ આભાર માટે છે. શ્રી. શેઠ અમૃતલાલના પત્રની પ્રતિલિપી આ પ્રમાણે છેઃ- "ભાઈશ્રી, આપનો તા. ૧૩-૧-૪૨નો પત્ર મળ્યો છે. સૌરાષ્ટ્રના પ્રકાશનોના સર્વ હક સ્ટેટસ પીપલ લીમીટેડે વેચાતા લીધા હોઈને આ પત્ર સ્ટેટસ પીપલ લીમીટેડ તરફથી લખું છું, સ્વામી દયાનંદજીના પુસ્તકનું સસ્તી કિંમતે તમે પુનઃ પ્રકાશન કરો છો એ જાણીને અમને હર્ષ થયો છે, અને તમારા તે પ્રકારના શુભ કાર્યમાં અમારી સહાનુભૂતિ અને સહકારનો તમારો અધિકાર હોઈને એ બદ્દલ કોઈ પણ પ્રકારના બદલાની અમે ઈચ્છા રાખતા નથી. તમને યોગ્ય લાગે તો કંઈ પણ બદલા વગર આ પ્રકાશન માટે અમે રજા આપીએ છીએ એનો સ્વીકાર તમારા પુસ્તકમાં કરશો. લી. સેવક
અમૃતલાલ શેઠના વં. મા"