ઝવેરચંદ મેઘાણીનું સાહિત્યવિશ્વ


Zaverchand-Meghani.jpg


ઝવેરચંદ મેઘાણીનું સાહિત્યવિશ્વ


ઝવેરચંદ મેઘાણીનો દ્યુતિમય વિપુલ ગ્રંથલોક
[ઘટમાં ઘોડા થનગને]

ઝવેરચંદ કાળિદાસ મેઘાણીએ એમના અલ્પ કહેવાય એવા આયુષ્યમાં (જ. 28.8.1896 – અવ. 9.3.1947) સાહિત્યનાં વિવિધ રૂપોમાં, ઊર્જાપૂર્વક અને વેગપૂર્વક એટલું બધું લખ્યું કે એકવાર ઉમાશંકર જોશીએ એમને એક પત્રમાં લખેલું કે ‘આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની તો કેટલીય જિંદગી ચાલી જાય’ (પત્ર તા. 19.1.1946).

અને મેઘાણીએ કંઈ લખાણોનો ઢગલો ખડક્યો નથી. જેમાં કલમ ચલાવી એમાં અનુભવપૂત શક્તિપુંજનો ઝળહળાટ હતો. અંગ્રેજી-સંસ્કૃતમાં બીએ થઈને કલકત્તામાં મેનેજરની નોકરી સ્વીકારી. પણ મનને વતનની ધરતીનો સાદ સંભળાતાં જ એ ‘લિ. હું આવું છું’ (પછીથી એમના પત્રસંચયનું શીર્ષક) કહીને વતન બગસરા ગયા, ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં જોડાયા ને એ પત્રકારજીવન ‘ફૂલછાબ’, ‘જન્મભૂમિ’ એમ પ્રસરતું ગયું ને મેઘાણી લોકલક્ષી જ નહીં, સાહિત્યધર્મી પત્રકાર બન્યા. ‘કલમ અને કિતાબ’ એમની ખ્યાત કોલમ. આ લખાણો ‘પરિભ્રમણ’ (1944-47)ના ત્રણ ખંડોમાં 1100 ઉપરાંત પાનાંના ધબકતા, નિસબતવાળા, વિચારશીલ અને નિર્ભય પત્રકારત્વ રૂપે પ્રગટ થયાં.

મેઘાણી ‘યુગવંદના’(1935)થી, ‘આગેકદમ’ અને ‘છેલ્લો કટોરો’ જેવાં કાવ્યોથી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામ્યા પણ એમની સમગ્ર કવિતા ‘સોનાનાવડી’માં ગાંધીચાહના ઉપરાંત રવીન્દ્રચાહના અને લોકચાહનાની વ્યાપકતા પ્રગટ થઈ છે. રૂપાન્તર બલકે અનુસર્જન રૂપે એમણે મૂળ કાવ્ય કરતાં પણ પ્રભાવક અને સ્મરણીય કાવ્યો આપ્યાં. જેમ કે ‘કોઈનો લાડકવાયો.’

લોકસાહિત્યના એક ઉત્તમ શોધક-સંગ્રાહક મેઘાણીનો સર્જકજીવ તો વાર્તાકારનો હતો – પહેલાં રવીન્દ્રનાથની વાર્તાઓના રૂપાન્તરસમી ‘કુરબાનીની કથાઓ’(1922) આપી ને પછી મૌલિક વાર્તાઓ ‘(મેઘાણીની નવલિકાઓ : 1-2,1931-35) આપી. ‘વહુ અને ઘોડો’ એમની, ને ગુજરાતીની પણ, એક ઉત્તમોત્તમ વાર્તા.

નવલકથાકાર મેઘાણીએ સૌરાષ્ટ્રના જીવનનો ધબકાર ઝીલતી-આલેખતી, ‘નિરંજન’(1936)થી આરંભીને અનેક કથાઓ આપી એમાં ‘સોરઠ તારાં વહેતાં પાણી’(1937) ચિરકાલીન પ્રભાવવાળી છે. ‘ગુજરાતનો જય’ (1-2, 1939, 1942), વગેરે કેટલીક, લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ છે.

મેઘાણીનું સાહિત્યિક અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાન એ તો એમનું લોકસાહિત્યનું સંપાદન અને સમાલોચન. ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચ ખંડો (1923 થી 1927) ઉપરાંત ‘સોરઠી બહારવટિયા’, ‘સોરઠી ગીતકથાઓ’ એમ અનેક પુસ્તકો નોંધપાત્ર. ‘રઢિયાળી રાત’ (4 ભાગ : 1925--1942) ગુજરાતનાં સર્વવ્યાપી લોકગીતોનું નમૂનેદાર ને ચિરંજીવ સંપાદન છે. લોક-સાહિત્યનો એમનો અનુભવપૂત ને પ્રમાણભૂત અભ્યાસ ‘લોકસાહિત્યનું સમાલોચન’(1946) એમણે આપેલાં પ્રતિષ્ઠિત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન માળામાં આપેલાં વ્યાખ્યાનો છે.

‘લિ. હું આવું છું’ એવા બૃહત્ સંપાદન રૂપે, વિનોદ મેઘાણી અને હિમાંશી શેલતે સંપાદિત કરેલા પત્રોનો સંચય ઉપરાંત ‘પરકમ્મા’, ‘છેલ્લું પ્રયાણ’માં એમનાં આત્મકથનાત્મક લખાણો છે.

આ જાણીતાં લેખનો ઉપરાંત ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (1928) પ્રવાસકથાનકો, ‘સાંબેલાના સૂર’ (1944) એ કટાક્ષિકાઓ, ‘વંઠેલાં’ (1934) એકાંકીઓ, ‘એશિયાનું કલંક (1923) વગેરે પાંચ-છ ઇતિહાસગ્રંથો અને વિદેશી ચલચિત્રો પરથી કરેલાં વાર્તાકથનોનું પુસ્તક ‘પલકારા’ (1935) એમનાં અન્ય પુસ્તકો છે. મેઘાણીએ બહુ મોટા પાયા પર, કવિતા-વાર્તા-નવલકથા-ઇતિહાસ-પત્રકારત્વનાં લખાણો/પુસ્તકોનાં અનુવાદો-રૂપાંતરો આપ્યાં છે ને જીવનભર નિતાન્ત લેખક રહ્યા છે.

સૌથી નાની ઉંમરે, 31ની વયે, ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1928) મેળવનાર મેઘાણીને પ્રજાવર્ગ અને સાહિત્યકાર વર્ગ તરફથી ચાહના-પુરસ્કાર તો સતત મળતો રહ્યો છે. એમનું સર્વ સાહિત્ય, એમના અવસાન પછી, એમના પુત્રો દ્વારા કાળજીપૂર્વક, પુન:પ્રકાશિત થયું છે એ વિશાળ ગ્રંથસંગ્રહનું દર્શન જ એમને પ્રેમાદરપૂર્વક વંદન કરવા પ્રેરે એવું છે.

— રમણ સોની




કવિતા

નવલકથા

નવલિકા

નાટક

લેખો / કટાર લેખન

લોકકથા

લોકગીત

સંતવાણી

લોકસાહિત્યના શોધન-ભ્રમણ

ચરિત્ર-લેખન અને ઇતિહાસ-લેખન