દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૭. ઘરસૂત્રની આંટી ઉકેલવા વિષે


૬૭. ઘરસૂત્રની આંટી ઉકેલવા વિષે


સખી આંટી ઉકેલો સૂતરની,
કાંતો ઉચરો વાચા ઉત્તરની, આંટી ઉકેલો સૂતરની.
થિર રાખીને મન ઠેકાણે, આ આંટી ઉકેલે આ ટાણે;
ઘરસૂત્ર ચલાવી તે જાણે. આટી.

આ આંટીમાં છે ઘુંચ ઘણી, ઉકેલે તે મારી બેનપણી;
ભલું ભણતર તો તે બાઈ ભણી.

સૈર્યર એ કામ નથી સહેલું, સાધારણ સમ ભાસે પહેલું;
પણ જાણે જેણે ચલાવેલું.

આગળ જાતાં ઘુંચો આવે, એ તો અતિશે જીવને અકળાવે;
ફુવડ નારીને નવ ફાવે.

જો તંતુ ઘણો કોઈ તાણે, તો તરત જ તૂટે તે ટાણે;
જુદાઈ પડે તે જગ જાણે.

સાંધે તો વચમાં ગાંઠ વળે, પછી તો કોઈ કાળે ન ટળે;
સાંભળતાં ચર ચર ચિત્ત બળે.

જે સમજણ વગર ગરવ આણે, તે આંટી ઉકેઢલી નવ જાણે;
વણ સમજે તંતુ ઘણો તાણે.

કાં તો વારે વારે તોડે, કાંતો તરછોડી છેકજ છોડે,
પછી આંટીને તે અવખોડે.

બેસે રોષ ધરી બહુ રોવાને જન મળે તમાસો જોવાને,
ખાવા ન ઉઠે પત ખોવાને.

સમજુ તો ધીરજ ધારીને, પૂછે જઈ પ્રવીણ નારીને;
તે વચન કહે વિચારીને.

એકાદી ઘુંચ કાઢી આપે, રૂડી રીત બતાવી સ્થિર થાપે;
બધિ તો ઘુંચ નવ કાઢી બાપે.

પૂરી સમજણ પોતાની જોઈએ, બીજો શું કરી શકે કોઈએ
નવ અકળાઈએ ને નવ રોઈએ;

જે મનડું રાખે થિર ઠામે, તે આંટી ઉકેલી જશ પામે;
દિધી શીખામણ દલપતરામે.