નારીસંપદાઃ વિવેચન/નવલરામ

From Ekatra Wiki
Revision as of 01:02, 12 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



નવલરામ હીરાબહેન પાઠક

ન.ની વિશિષ્ટતા – ન.નું વિવેચનસાહિત્ય – ન.નું કાવ્યસામાન્ય વિશે લખાણ જૂજ - કાવ્યમાં રસ, જુસ્સો, તર્ક અને તરંગ, છંદ, અલંકારચાતુર્ય શૈલી, બાની વ.- કવિતાજાતિઓ : ખંડકાવ્ય શબ્દનો સાચો અર્થ : સંગીતકવિતા એ અંતઃસ્થિત(Subjective), વીરકવિતા એ બાહ્યસ્થિત(Objective) - કુદરત અને ઉત્તમ કાવ્ય - કવિતા અને તત્ત્વજ્ઞાન, નીતિ, વિદ્વત્તા, અનુભવ - નાટક : ન.નાં નાટકોનાં અવલોકનો – ન.ના ઘણાખરા સિદ્ધાંતો અવલોકનો દ્વારા ઉપલબ્ધ - વાર્તાસાહિત્ય અને જીવનચરિત્રોનાં અવલોકનો - વિવેચન વિશે સિદ્ધાંતો : વિવેચકનું કર્તવ્ય, દેશકાલપાત્રવિવેક - ભાષાંતરો, ગ્રંથસંશોધન – ન. પહેલા જ નિયમિત અવલોકનકાર – તેમના સમયના સાહિત્યનાં મોટાં વલણોનું નિરીક્ષણ-ઉકેલણ - નર્મદ-ન.ની વિવેચનાનો ભેદ – શ્રી ધ્રુવનો અભિપ્રાય – “ઝરણ, પૂર, કે શાન્ત નદી ?”

કવિ દલપતરામ તથા નર્મદાશંકરના સાહિત્યસંબંધી ભિન્ન પ્રકારના વિચારોનો અને મતોનો પોતાનામાં વિવેકપુ૨:સ૨ સમન્વય કરી, ગુજરાતી સાહિત્યમાં મનનાત્મક દૃષ્ટિએ અને શાસ્ત્રીય પદ્ધતિએ વિવેચન લખનાર પહેલા નવલરામ હતા. આપણા સાહિત્યની “જૂની સ્કૂલનો અસ્ત” અને “નવીનો ઉદય” જાહેર કરવા માટે ‘પ્રથમ પરીક્ષક' તરીકે પંકાવાના કોડ રાખનાર આ વિવેચકમાં, વિવેચકને આવશ્યક સર્વ શક્તિઓનું દર્શન થાય છે. એણે વિવેચનસંબંધી અનેક પ્રકારના લેખોનો ઠીકઠીક જથ્થો ગુજરાતી સાહિત્યને ધર્યો છે. એમનું વિવેચન ત્રણ પ્રકારના લેખોમાં ખાસ કરીને વહેંચાઈ ગયું છે, અને તે નીચે પ્રમાણે :

૧. મુખ્યત્વે કરીને ગ્રંથાવલોકનોમાં ૨. કાવ્યશાસ્ત્રસંબંધી મનનાત્મક લેખોમાં, (જેમાં ‘કાવ્યશાસ્ત્રસંબંધી વિચારો', ‘મનના વિચારો’, ‘હાસ્ય અને અદ્ભુત રસ,’ ‘દેશી પિંગળ' વ. લેખોનો સમાવેશ થાય છે.) ૩. કવિઓનાં જીવન અને કવન વિશેના લેખોમાં. આ લેખોમાં નવલરામનું પદ્ય, નાટક અને ગદ્ય વિશેનું સઘળું વિવેચન આવી જાય છે. તે ઉપરાંત જોડણી, ભાષા, વગેરે પ્રશ્નોનું તેમણે વિવરણ કર્યું છે. એ વિવરણને આપણે, વિવેચનના વિષયથી જરાક દૂર એવા વિવેચકના પાંડિત્યનું ફળ ગણીશું. નવલરામના આ લેખો નર્મદના વિવેચન-નિબંધો જેવા વ્યસ્ત નહિ પણ વ્યવસ્થિત રીતે મુકાયેલા વિચારોના શાસ્ત્રીય લેખો છે. નવલરામનું વિવેચન તપાસતાં માલૂમ પડે છે કે કાવ્યસામાન્ય વિશે તેમણે બહુ ઓછું લખેલું છે. અને જેટલું લખ્યું છે તેમાંય નર્મદના પ્રવર્તાવેલા મતથી બહુ દૂર ગયા નથી. ‘કાવ્યશાસ્ત્રસંબંધી વિચારો'માં તેઓ જણાવે છે : “કુદરતનું સ્વરૂપ તે કવિતા... અને ચીતરનાર તે કવિ. આ અર્થમાં ચિતારો અને ગવૈયો પણ કવિ”૧ ______________________ ૧. નવલગ્રંથાવલિ (ન. દ્વા. પરીખકૃત આવૃત્તિ) : પૃ. ૨૭૩.

અહીં ઉપર મૂકેલા ‘કવિતા’ શબ્દનો અર્થ નવલરામ પણ સર્જનાત્મક કલા તરીકે કરે છે. આ જ નિબંધમાં આગળ જણાઈ આવે છે કે નવલરામને પદ્ય, ચિત્રકલા, સંગીત વગેરેનો ઉપાદાનભેદ ધ્યાનમાં છે. પણ કુદરતમાંથી રસ દ્વારા વ્યક્ત થતી “ત્રણે કળાથી કવિતા ઉત્પન્ન થાય છે,” એમ કહી નવલરામ ‘કવિતા’ શબ્દનો અર્થ સર્જનાત્મક કલા કરે છે. નવલરામ નર્મદની માફક કાયદા ઘડનારા વગેરે વ્યવહારુ જીવનના જુદા જુદા પ્રદેશોના સર્જકોને કવિ ન કહેતાં, માત્ર કલ્પનાત્મક સૃષ્ટિના સર્જકોને કવિ ગણે છે. આ સિવાય ‘કાન્તા' નાટકના ગ્રંથાવલોકનમાં, નાટક અને વાર્તા લખનારને નવલરામે કવિ કહ્યા છે. આમ ગદ્ય અને પદ્યનો ભેદ પાડ્યા વિના વાઙ્મય-સમગ્ર સાહિત્ય-સર્જકને તેમણે કવિ ગણ્યા છે; તેનો અર્થ જ એ કે કવિ તે સર્જક છે એમ નવલરામ કહેવા માગે છે. કાવ્યકલાના અન્ય કલાઓ સાથેના સંબંધમાં નવલરામને કાંઈ વિશિષ્ટ કહેવાનું નથી; વળી ઉપર કરેલી તેમની ચર્ચા સીધી રીતે નહિ પણ આડકતરી રીતે કેવળ કવિતાનો (કાવ્યસમગ્રનો નહિ) જ, અન્ય કલાઓ સાથેનો સંપર્ક દાખવે છે. નવલરામે કાવ્યના અંગી રસ વિશે ખાસ ચર્ચા કરી છે અને કાવ્યનાં કેટલાંક અંગો માટે પણ ઘણી ચર્ચા કરી છે. નર્મદે રસને કાવ્યનો આત્મા ગણ્યો છે તેવી રીતે નવલરામે તેને કાવ્યનો ‘જીવ' કહ્યો છે. અને સાથે સાથે કહ્યું છે કે નાટકમાં તથા કાવ્યમાં રસ એટલા વિશેષ પ્રમાણમાં હોવો જોઈએ; જેથી તેમને ‘રસમૂર્તિ' જ કહી શકાય. રસની વ્યાખ્યા આપતી વેળા તેઓ કહે છે : “ભાતભાતના પ્રસંગો વડે માણસના મનમાં જે ભાતભાતના વિકાર ઉત્પન્ન થાય છે, તેના ખરેખરા વર્ણનનું નામ તે રસ.” અહીં સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ભાવ, વિભાવ, આલંબનવિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ વગેરે વિશેના સિદ્ધાંતો તેમણે ધ્યાનમાં રાખી આ વ્યાખ્યા બાંધી હોય, એમ લાગે છે. પણ રસ એટલે ‘મજા’ એવી બીજી વ્યાખ્યા જ્યાં નવલરામ આપે છે ત્યાં નર્મદની રસની વ્યાખ્યા, “રસ એટલે અંદરની મજા”ની પ્રેરણાથી કહ્યું હોય તેમ જણાય છે. આ પ્રમાણે તેમણે રસ વિશે બે વ્યાખ્યાઓ આપી છે, જે અહીં આપણે જોઈ ગયાં. પહેલી વ્યાખ્યા જે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રેરણાથી ઘડાયેલી છે, તેનો જ વારંવાર ઉપયોગ નવલરામે કર્યો છે. પણ બીજી વ્યાખ્યામાં એમણે રસ એટલે 'મજા'નો અર્થ કર્યો છે, ત્યાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે અંગ્રેજી શબ્દ 'Interest'ના અર્થમાં તે વાપર્યો છે. નવલરામે સંસ્કૃત કાવ્યશાસ્ત્રે નિરૂપેલા નવ રસોના ભેદ તથા પ્રત્યેક રસના પાડેલા વર્ગોની દૃષ્ટિએ પણ ગ્રંથાવલોકનો કરેલાં છે; અને એ બધા રસોમાંથી અમુક અમુક રસો ઈશ્વરના અમુક સ્વરૂપ સાથે સંબંધ ધરાવે છે, એમ તેઓ માને છે. આ ત્રણ રસોનાં નામ ૧, “મોહિની સ્વરૂપ તે શૃંગારરસ અથવા કૈશિકીવૃત્તિ (the Beautiful)” ૨. “મંમાયા તે (Sublime)” ૩. “મહાકાળી તે (Horrible)” પ્રમાણે છે. આ ઉપરાંત બધા રસોનું પરસ્પરાવલંબન, એક રસનું બીજા રસમાં સંક્રમણ, રસભંગ, રસને ઘન કરનારાં બળો, રસાભાસ ઇત્યાદિ રસ વિષે અનેક પ્રકારની ચર્ચા તેમણે અવલોકનોમાં કરી છે. નવલરામે ‘હાસ્ય અને અદ્ભુત રસ' વિશે સ્વતંત્ર લેખ લખ્યો છે. તેમાં જણાવેલું છે : “બીજા સઘળા રસમાં કુદરતની નકલ હોય છે, અને હાસ્ય રસમાં કુદરતની distored નકલ અથવા સાધારણ ભાષામાં જેને નકલ કહે છે તે જ હોય છે.” નવલરામે હાસ્ય અને અદ્ભુત રસનો ઉદ્દેશ, વિભાવ વગેરેની માનસશાસ્ત્રની પદ્ધતિથી ચર્ચા કરેલી છે. એમની સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષામાં થયેલી ચર્ચાનો ઉત્તમ નમૂનો પણ ‘હાસ્ય અને અદ્ભુત રસ'નો લેખ જ છે; એટલું જ નહિ પણ હાસ્ય વિશે વિવેચનાત્મક લેખ લખનાર એ સૌથી પહેલા હતા. નવલરામની પોતાની લખેલી એકાદ હાસ્યરસની કવિતા પણ છે, ‘જનાવરની જાન’ નામની આ કવિતામાં નવલરામનું નિર્દંશ હાસ્ય રજૂ થયું છે. એ જ પ્રમાણે ‘ભટનું ભોપાળું' પુસ્તક લખી તેમણે હાસ્યરસનું એક પુસ્તક આપ્યું છે. આમ નવલરામે વિવેચનમાં તેમ જ સાહિત્યમાં હાસ્યરસનું નિરૂપણ કર્યું છે. આ પછી “રસ એટલે ખરો જુસ્સો” એ રીતે જુસ્સાના અર્થમાં નવલરામે, રસ વિશેની આ ત્રીજી વ્યાખ્યા રજૂ કરી છે. આ જ અર્થને સૂચવતી નવલરામની એક બીજી વ્યાખ્યામાં, “ગમે તે મનોવિકારના પૂર્ણ બળનું પ્રગટ થવું તે રસ” એમ કહી તેમણે કાવ્ય માટે જુસ્સાને અગત્યનો ગણ્યો છે. રસ જુસ્સા દ્વારા કાવ્યમાં નિષ્પાદ્ય બને છે - સાધ્ય બને છે એ બે ભિન્ન વ્યાપારોને નવલરામે આ સ્થળે એક જ અર્થમાં એકત્રિત સ્વરૂપે દર્શાવેલા છે. ‘સુબોધચિંતામણિ’ના ગ્રંથવિવેચનમાં, કાવ્યના જુસ્સાભર્યા સ્પષ્ટ વક્તવ્યને તેમણે સદ્ગુણ ગણ્યો છે. તેમણે કહ્યું છે કે જુસ્સાભર્યા લખાણથી કવિએ મનની સાચાઈ વ્યક્ત કરવી જોઈએ; અને તેમ કરવા માટે લેખકે કોઈની પણ પરવા રાખ્યા વિના લખવું જોઈએ. પણ પછવાડેથી દુર્ગારામના વિવેકશીલ શાન્ત અને મીઠાશભર્યા ઉપદેશને વર્ણવ્યા બાદ, નવલરામે એ મતની મર્યાદા પણ સ્વીકારી છે. ‘વિધવાના વકીલ' નામના ગ્રંથનું વિવેચન કરતાં તેમણે એવી ભલામણ કરી છે કે કાવ્યમાં “જુસ્સાને હદમાં રાખજો.” નવલરામે રસ કરતાં તર્કને કાવ્યમાં ઊતરતું પદ આપ્યું છે. અને તે કારણે, નર્મદે જેમ પ્રેમાનંદને ઉત્તમ કવિ ગણ્યો છે તેમ નવલરામે પણ ગણ્યો છે; અને કહ્યું છે કે તેના કાવ્યમાં વિચારોની સુસંગતતાથી ઊપજતો પ્રૌઢ, ઘન રસ છે તથા તે રસમાં ઔચિત્ય જળવાયેલું છે. ત્યારે શામળને તે પ્રેમાનંદથી ઊતરતું કવિપદ નર્મદની માફક આપી કહે છે કે તેનામાં “તર્ક નહિ પણ ઊડતા તરંગ” છે. કલ્પના અને કલ્પનાતરંગ (Fancy)નો ભેદ નવલરામે દાખવી એમ કહ્યું છે કે શામળની કૃતિઓમાં એરેબિઅન નાઈટ્સના જેવા કલ્પનાના તરંગો છે અને તેમાં વ્યાસ કે વાલ્મીકિના મહાસર્જનમાં હોય છે તેવો કલ્પનાનો વ્યાપાર નથી. નવલરામે વળી એમ પણ જણાવ્યું છે કે શામળની રચના “અફીણીના ડોળા જેવી” અસ્થિર, છૂટીછૂટી અને તરંગમય હોવાથી તેમાં માત્ર રસની છૂટીછૂટી લહેર જ આવે છે. નર્મદે ઉત્તમ કવિઓની ટૂકડીઓ પાડી છે તે આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયાં. નવલરામે ‘કવિ નર્મદાશંકરની કવિતા'ના લેખમાં, નર્મદે ઉત્તમ-કનિષ્ઠ કવિઓ વિશે કરેલી ચર્ચા ઉપરથી ક્યારેક તેની જ દૃષ્ટિએ ચર્ચા કરી છે; તો ક્યારેક નર્મદની ચર્ચા ઉપરથી નવલરામે પોતાની રીતે પણ કરી છે. અને અંતે તો એ લેખમાં, નર્મદની જ કવિતાને ઉત્તમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ચર્ચામાં તેમણે કવિ નર્મદનાં કાવ્યોની પ્રેમાનંદ, દયારામ, શામળ, નરસિંહ મહેતા વગેરેનાં કાવ્યો સાથે રસની દૃષ્ટિએ તુલના કરી, પ્રેમાનંદથી અને બધાથી નર્મદનાં કાવ્યોને ઉત્કૃષ્ટ ગણ્યાં છે. પણ પછીથી નવલરામે એ ભૂલભર્યો અભિપ્રાય ફેરવ્યો જણાય છે અને ‘પ્રેમાનંદ'ના ત્યારપછીથી લખેલા લેખમાં પ્રેમાનંદને રસનિરૂપણમાં સર્વોત્તમ ગુજરાતી કવિ ગણ્યો છે.


“કવિતાનો સંપૂર્ણ સમાવેશ પદ્ય વિના બીજા રૂપમાં થઈ શકતો નથી.” એ સૂત્ર નવલરામે દર્શાવી, કાવ્યમાં રસની ઉત્કટતા, ઘનતા અને એકતા સાધવા માટે છંદોરચનાને અનિવાર્ય તત્ત્વ ગણ્યું છે. અને તેથી ગુજરાતી સાહિત્યનાં પદ, દેશી, ગરબી વગેરે કોઈ નક્કી કરેલા નિયમના આધાર વિના ચાલ્યાં આવે છે તેને નિયમબદ્ધ કરી શાસ્ત્રશુદ્ધ બનાવવાની નવલરામને જરૂર લાગી છે. પિંગળનું કાવ્યમાં મહત્ત્વ દાખવવા માટે તેમણે કહ્યું છે : “શાસ્ત્રના નિયમ જાણવાથી કળા સંપૂર્ણ થાય છે.” તેથી, “સ્વાભાવિક રીતે જ અને શાસ્ત્રની સહાયતાની સાથે” કાવ્યો રચાવાં જોઈએ. તેઓ એમ પણ કહે છે કે સાચી કવિતામાં તો હૃદયના ભાવો સ્વાભાવિક રીતે - સહજ રીતે પિંગળના નિયમોને વશ વર્તે છે. અને તેમ હોવાથી કાવ્યને છંદનો પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. નવલરામની એવી ઈચ્છા હતી કે સંસ્કૃત અક્ષરમેળ છંદોને બદલે આપણાં એ બધાં દેશી પદોને નિયમબદ્ધ કરી ગુજરાતી સાહિત્યમાં તેનો જ ખાસ ઉપયોગ કરવો જોઈએ. આ મતમાં નવલરામ અક્ષરમેળ વાપરવાના નર્મદના અર્વાચીન મતથી જુદા, પોતાના જમાનાના મતને વશ હતા. અને તેનું કારણ એ લેખી શકાય કે અનેક કવિપરંપરાથી આપણી કવિતા મુખ્યત્વે દેશી રાગોમાં જ લખાયા કરી હતી. આ કારણથી નવલરામે એમ વિચાર્યું હશે કે ગુજરાતી કવિતાના, આપોઆપ જન્મેલા અને પ્રચલિત પામેલા આ દેશી પદ્યબંધો, ગુજરાતી કવિતાને સંસ્કૃત પદ્યબંધો કરતાં વધુ અનુકૂળ થઈ પડશે. અને તેથી જ કદાચ, એ દેશી રાગોને નિયમબદ્ધ કરવાનો તેમનો આશય હશે. કવિતામાં ઉપમા ઉત્પ્રેક્ષાદિક અલંકારો, ઝડઝમક, પ્રાસાનુપ્રાસ ઈત્યાદિ વિવિધ પ્રકારનાં ચાતુર્યનો ઉપયોગ કરનાર કવિની શૈલી ‘ચાતુર્યપ્રધાન' બની રહે છે અને અર્થપ્રધાન રહી શકતી નથી; નવલરામ કહે છે કે, કાવ્યના અર્થને ઉપકારક થાય તેટલા જ પ્રમાણમાં ઉપર્યુક્ત ચાતુર્યભર્યા અંશોનો ઉપયોગ કરવામાં આવે તો સારું. અને તે પણ નવલરામના શબ્દોમાં “સ્વબુદ્ધિના, સાભિપ્રાય અને સરસ” ગુણવાળા હોવા જોઈએ. શૈલી વિશે હવે નવલરામના સિદ્ધાંતો વિચારી જોઈએ. પ્રત્યેક કવિની શૈલીમાં તેના મનનું પ્રતિબિંબ પડે છે એમ નવલરામે કહ્યું છે. તેમણે અનેક કવિઓની શૈલી વિશે ચર્ચા કરી છે. શબ્દલક્ષી અથવા ચાતુર્યપ્રધાન શૈલી તે કવિ દલપતરામની, ‘અર્થલક્ષી' અને ‘શાસ્ત્રીય' છતાં 'ક્લિષ્ટ' એવી શૈલી કવિ નર્મદાશંકરની, ‘એકાગ્ર’(Concise) અથવા સંક્ષિપ્ત, પાંડિત્યભરી અને અર્થલક્ષી શૈલી નવલરામની પોતાની, ‘સર્વાગ્ર દૃષ્ટિવાળી' (Diffused style) એટલે રસળતી અને તરંગી શૈલી શામળની, ઈત્યાદિ કવિઓની શૈલીનાં આ પ્રકારે તેમણે લક્ષણો દાખવ્યાં છે. નવલરામ પ્રસંગોપાત્ત કોઈ પણ કવિની કવિતાનું વિવેચન કરતાં તેની શૈલીનું વર્ણન ઉપમારૂપક દ્વારા કરે છે.૨ આ ઉપમારૂપકો જે નવલરામ યોજે છે તે કવિત્વભર્યાં, રસદાયી અને તદ્દન યોગ્ય હોય છે. તેઓ માને છે કે ‘વિષયાનુકૂળ’ શૈલી હોવી જોઈએ. અને એકાગ્ર ને અર્થલક્ષી શૈલી તેવા પ્રકારની છે; વળી તેમણે સાથે સાથે એમ કબૂલ કર્યું છે કે એ કારણને લીધે જ તેમણે પોતે એ શૈલી પસંદ કરી છે. આ શૈલીનાં લક્ષણો વિગતવાર આ પ્રમાણે છે : તેમાં “અર્થની ઉપર જ અખંડ લક્ષ રહેવો જોઈએ.” એટલે કે “વાક્યના બોલેબોલ પ્રયોજનવાળા હોવા જોઈએ.' નવલરામને સંસ્કૃત કવિતા ઉપર પક્ષપાત છે; કારણકે તેમાં એકેએક શબ્દ સપ્રયોજન હોય છે, જે એકાગ્ર શૈલીનો જ ગુણ છે. તે પછી, એકાગ્ર શૈલીમાં “ઝડઝમકનાં ભૂષણ ધરેલાં તથાપિ તે અંગના જ અવયવ હોય એમ જણાય.” તે સંક્ષિપ્ત હોવી જોઈએ. અર્થગૌરવ અને વ્યંજનાયુક્ત તથા શાસ્ત્રીય હોવી જોઈએ. નર્મદની કવિતા આવી ‘શાસ્ત્રીય' હતી, ત્યારે જૂના કવિઓની કવિતા નવલરામને મતે ‘સ્વાભાવિક' હતી. નર્મદે કવિચરિત્રો લખતાં તેમાંના કવિઓમાં વિદ્વત્તા છે કે નહિ તેની તપાસ કરી છે. અને તેણે એ અભિપ્રાય દર્શાવ્યો છે કે કોઈની કવિતા સંપૂર્ણ શાસ્ત્રીય નથી. નર્મદની પોતાની કવિતામાં જેટલી શાસ્ત્રીયતા છે તેટલી જૂના કવિઓમાં નથી એ ગૂઢાર્થની ગંધ, નર્મદના ઉપર્યુક્ત મોઘમમાં મૂકેલા અભિપ્રાયમાં આવ્યા વિના રહેતી નથી. એ જ ગૂઢાર્થને સ્પષ્ટ શબ્દોમાં મૂકી નવલરામે એમ જણાવ્યું છે કે “જૂના કવિઓની કવિતા સ્વાભાવિક અને નર્મદાશંકરની શાસ્ત્રીય છે.” ____________________________ ૨. જુઓ નવલગ્રંથાવલિ (ન. દ્વા. પરીખકૃત) પૃ. ૧૮૮. દયારામની કાવ્યશૈલીનું વર્ણન. તથા બીજું દૃષ્ટાંત પૃ. ૧૦૩.

નવલરામે કાવ્યમાં ‘બાની’ શબ્દને નર્મદની જેમ અંગ્રેજી Diction(ડિક્શન) શબ્દ માટે વાપર્યો છે. વળી, તેમણે નર્મદની ‘ચિત્ર પાડવાની શક્તિ'ને ‘ચિત્ર પાડવાની બાની' તરીકે ઓળખી છે. આ પ્રકારની બાનીમાં “એક દેખાવની ઉપર બીજો દેખાવ ઝપાટાબંધ આવતો જાય છે,” બલ્કે “કાવ્યનો ઘણો ભાગ દેખાવથી જ ભરેલો છે.” આ ‘ચિત્ર પાડતી બાની’ તે, વસ્તુ નજર આગળ પ્રત્યક્ષ કરવાની શક્તિ. તાદૃશ ચિત્ર આપવાની શક્તિ એટલે વસ્તુનું Picturesque આબેહૂબ, તાદૃશ વર્ણન છે. અને વસ્તુતઃ કવિતાનું કાર્ય બધા પ્રકારની વસ્તુને બને તેટલી મૂર્ત કરવાનું છે. આ અર્થમાં આપણે આ ચિત્ર પાડતી શૈલીવાળા કાવ્યને અધમ નહિ કહી શકીએ; કારણકે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ચિત્રકાવ્યને અધમ કહ્યું છે ત્યાં તેનો અર્થ બહુ જ ઊતરતા પ્રકારના વ્યંગ્યાર્થવાળું અને માત્ર શબ્દાલંકારવાળું કે અર્થાલંકારવાળું કાવ્ય, એવા પ્રકારનો અર્થ છે. નર્મદે પાડેલી ગીતકવિતા અને વીરકવિતા જાતિઓ વિશે નવલરામે પોતાના વિચારો દર્શાવેલ છે. તેમાંની ગીતકવિતાને તેણે ‘સંગીતકવિતા' તરીકે ઓળખાવી છે. આ સંગીતકવિતાની જાતિ, કાવ્યના અર્થમાંથી તથા સંગીતમાંથી રસ સિદ્ધ કરે છે. વળી સંગીતકવિતાને ‘ખંડકાવ્યો’ તરીકે નવલરામે ઓળખાવીને, તેમાં રસ તથા ઊર્મિ ખાસ હોય છે તેમ જણાવ્યું છે. નવલરામ કહે છે : “રસ એ જ ખંડકાવ્યોમાં એટલે છૂટક કવિતામાં બસ છે. પદ, ગરબી વગેરે લખનારામાં એટલું હોય તો તે કૃતાર્થ થયો; કેમકે તેવી કવિતામાં તો પોતાના આત્મામાં જે જે ઊર્મિઓ ઊઠે તે દર્શાવી એટલે થયું અને તે તો પોતામાં રસ હોય તો સ્વાભાવિક રીતે જ થઈ જાય. આવી કવિતાને સ્વાનુભવી અથવા અંતઃસ્થિત (Subjective) કવિતા કહે છે. સંગીતકવિતા આ વર્ગની છે.”૩ _________________________ ૩. નવલગ્રંથાવલિ, પૃ. ૩૫.

અહીં જોઈ શકાશે કે નવલરામે ‘ખંડકાવ્યો'નો અર્થ સામાન્ય છૂટક કવિતા કર્યો છે અને સંગીતકવિતાને એ વર્ગમાં મૂકી છે, એટલું જ નહિ પણ ‘સંગીતકવિતા'ને તેમણે સ્વાનુભવી અથવા અંતઃસ્થિત કવિતા પણ ગણી છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના જાણકાર નવલરામે આ ‘ખંડકાવ્ય' શબ્દનો ખોટો અર્થ કર્યો છે. આપણા સાહિત્યમાં તો ‘ખંડકાવ્ય' શબ્દ કોઈ એક માનવજીવનના પ્રસંગનું નિરૂપણ કરતી કાવ્યજાતિનો વાચક છે. ત્યારે નવલરામે અહીં નાનાં પદો કે ગરબી જેવાં ઊર્મિકાવ્યો માટે, આ શબ્દ વાપર્યો છે. આ પ્રકારે ઊર્મિકાવ્યને ‘ખંડકાવ્ય’ કહેવામાં રહેલું અનૌચિત્ય, નરસિંહરાવે નવલરામનું સ્પષ્ટ નામ આપ્યા વિના ‘મનોમુકુર’ ત્રીજા ગ્રંથમાં બતાવ્યું છે.૪ વળી, એ ‘અવિશદ ચર્ચામાં' નવલરામે સંગીતકવિતાને સ્વાનુભવરસિક કવિતા ગણવાની પણ ભૂલ કરી છે તે આપણે જોયું. બધી સંગીતકવિતાઓ સ્વાનુભવરસિક જ હોવાની જરૂર નથી. તે બધાં કાવ્યો ઊર્મિપ્રધાન હોય છે પણ અવશ્ય સ્વાનુભવરસિક કે આત્મલક્ષી હોવાની જરૂર નથી. માત્ર એટલું જ કે તેમાં લાગણી પ્રધાનપણે હોવી જોઈએ. નવલરામે સંગીતકવિતાને સ્વાનુભવરસિક ગણવામાં સેવેલો ભ્રમ, એવા બીજા બે આંગ્લ સાહિત્યકોશોમાં પણ જણાય છે.૫ _____________________ ૪. મનોમુકુર-ગ્રંથ ૩. પૃ. ૧૭૩, “એક પંડિતે અંગ્રેજીમાં જેને લિરિક કહે છે તેને ખંડકાવ્યની સંજ્ઞા આપવાનો પ્રયત્ન કર્યો છે; પરંતુ ત્હેમની અવિશદ ચર્ચામાં ઊતરવાની હું ઇચ્છા રાખતો નથી. ટૂંકાં લિરિકને પણ ખંડકાવ્યોની સંજ્ઞા આપવી મને તો અનુચિત લાગે છે. સંસ્કૃત સાહિત્યમાં ‘ખંડકાવ્ય’ સંજ્ઞા કાંઈક જુદા પ્રકારનાં કાવ્યો માટે જ છે.” ૫. મનોમુકુર. ગ્રંથક. પૃ. ૩૦૪-૩૦૫, તેમાં નરસિંહરાવે જણાવ્યું છે કે આ પ્રકારનો ભ્રમ Murrayના અંગ્રેજી કોશમાં તથા Encyclopedia Britanicaમાં થયો છે. નરસિંહરાવ કહે છે કે “ખરું જોતાં Lyric કાવ્યમાં આત્મલક્ષીપણું હંમેશા હોય જ એમ નથી.”

આ સંગીતકવિતા અક્ષરમેળ વૃત્તોમાં નહિ પણ આપણા સાહિત્યના સંગીતમેળ છંદોમાં જ લખાવી જોઈએ તેવો અભિપ્રાય નવલરામે દર્શાવ્યો છે. હવે વીરકવિતા વિશે ચર્ચા કરતાં નવલરામે તેને નાટક તથા વાર્તાની માફક બાહ્યસ્થિતિ (Objective) અથવા સર્વાનુભવી કવિતાવર્ગની ગણી છે. વીરકવિતાની છંદોરચના માટે નવલરામનું વક્તવ્ય એ છે કે વીરકવિતાને માટે અગેય છંદ હોય છે (અલબત્ત અંગ્રેજીમાં), પણ આપણે ત્યાં જ્યાં સુધી ગીતરહિત પઠન થતું નથી ત્યાં સુધી એવું નહિ બની શકે, એ દરમ્યાન વીરકવિતાના ઉપયોગમાં આપણા ગેય દેશી ઢાળોનો ઉપયોગ થવો જોઈએ. વળી, વીરકવિતાના સળંગ લાંબા કાવ્યમાં એક જ રાગની દેશી વાપરવાથી એકતાનતા આવે છે. માટે એ પ્રકારની એકતાનતા તોડવા માટે બીજી દેશીઓ વાપરી તેમાં વૈવિધ્ય આણવું જોઈએ. નવલરામે આના દૃષ્ટાંતમાં, વિવિધ બંધોની પસંદગીવાળું જયદેવ કવિનું ગીતગોવિંદ આગળ કર્યું છે પણ આપણે ગીતગોવિંદને વીરકવિતાના વર્ગમાં મૂકવા કરતાં, તેને લાંબા ઊર્મિકાવ્યના વર્ગમાં મૂકવા વધારે લલચાઈએ એવું તે ઊર્મિતત્ત્વ (Lyrical)વાળું મુખ્યત્વે છે. આ ચર્ચા કરતાં નવલરામે સ્વાનુભવી અને સર્વાનુભવી કવિતાના વર્ગો આંગ્લ સાહિત્યમાંથી લીધા છે. કોઈપણ સાહિત્યનો ક્રમિક વિકાસ જોતાં નવલરામે એ મતનું પ્રતિપાદન કર્યું છે કે સાહિત્યની પ્રથમ શરૂઆત નાનાં કાવ્યોથી માંડીને ક્રમેક્રમે સર્વાનુભવી મહાન સાહિત્યસર્જન સુધી પહોંચે છે. “પ્રથમ પ્રસંગોપાત્ત છૂટક પદો, પછીથી નાની વાર્તાઓ અને એ પ્રમાણે કેટલાંક વર્ષ સુધી કાવ્યકળા ખેડાઈ રહે ત્યારે જ મહાકાવ્ય કે નાટક." નવલરામે ઉત્તમ કવિતા કેવા પ્રકારની હોઈ શકે તે વિશે પોતાના વિચારો કહ્યા છે. નવલરામ વેદાંતના અભ્યાસી હતા અને તેથી આ સંસારને - કુદરતને માયા તરીકે ઓળખાવી કહે છે કે જે કવિતામાં કુદરત અથવા માયાનું પૂર્ણ ચિત્ર હોય તે ઉત્તમ કવિતા છે. તેમણે ઉત્તમ કવિતાની વ્યાખ્યા આ દૃષ્ટિએ આપતાં કહ્યું છે : “કુદરત અથવા માયાના સ્વરૂપનું ખરેખરું પૂર્ણ ચિત્ર તે ઉત્તમ કવિતા. કુદરતનાં એકાંગી ચિત્ર પણ થાય છે અને વખતે એવાં અપૂર્ણ ચિત્ર મન ઉપર વધારે અસર કરે છે, તોપણ તે કદી ઉત્તમ કવિતાના નામને યોગ્ય થતાં નથી... પણ જો માયાનું પૂર્ણ ચિત્ર તે ઉત્તમ કવિતા એ વ્યાખ્યા લક્ષમાં રાખી મૂકી હોય તો કવિતાની જાતિ કેટલી, તેમાં ઊંચી કઈ અને એવી બીજી સઘળી કાવ્યશાસ્ત્રની ગૂંચવણો દૂર થઈ ધોરી રસ્તો નજરે પડશે.”૭ _______________________ ૬. નવલગ્રંથાવલિ (ન. દ્વા. પરીખકૃત). પૃ. ૩૭૨. ૭. નવલગ્રંથાવલિ (ન. દ્વા. પરીખકૃત), પૃ. ૧૮૬.

આ જ દૃષ્ટિથી સંગીતકવિતા માટે નવલરામે કહ્યું છે કે તેમાં કુદરતના માયાસ્વરૂપનું ‘અપૂર્ણ’- ખંડદર્શન થાય છે, ત્યારે વીરકવિતામાં તેનું પૂર્ણ - ‘સ્થાયી’ દર્શન થાય છે. અને તેથી જ વીરકવિતા ઉત્કૃષ્ટ પ્રકારની કવિતા ગણાય છે. ઉત્તમ કવિતામાં રહેલા આ સ્થાયી તત્ત્વને અનુલક્ષીને જ નવલરામે કહ્યું છે : “કાળકાળનાં કાવ્ય જુદાં જ, તોપણ બધા કાળમાં સામાન્ય રીતે જ જે માન્ય થાય તે ઉત્તમ કાવ્ય - Universal કાવ્ય." આ રીતે કવિતામાં જગતના માયાસ્વરૂપનું કવિ દર્શન કરાવે છે. નવલરામ આ વિશે કવિતાથી ભિન્ન તત્ત્વજ્ઞાનની કાર્યપદ્ધતિ માટે કહે છે કે તત્ત્વજ્ઞાની માયાસ્વરૂપનું દર્શન નહિ પણ માયાનું સ્વરૂપ જ સમજાવવા પ્રયત્ન કરે છે. જો કે કવિનું કામ તેનું સ્વરૂપ સમજાવવાનું નથી પણ કવિ એ સ્વરૂપ સમજે તો એનું સૌંદર્યદર્શન વધારે સફળ બને. નવલરામે આ દલીલ વિસ્તારપૂર્વક ચર્ચી નથી; પણ ઉપર્યુક્ત ચર્ચેલી દલીલ પરથી એટલો ભાવાર્થ સાધી શકાય છે કે કાવ્યને તત્ત્વજ્ઞાન કેટલેક અંશે મદદનીશ થઈ પડે. કાવ્યમાં ગૂઢ રીતે નીતિનો ઉપદેશ હોવો જોઈએ એટલું જ નહિ, પ્રત્યેક કલાવૃત્તિ સંપૂર્ણ નીતિવાળી જોઈએ તેવો નવલરામનો દૃઢ સિદ્ધાંત છે. આ દૃઢ સિદ્ધાંતને વળગી રહી 'કલાન્ત કવિ' કાવ્યને ગેરસમજથી અનીતિવાળું માની, તેનું અવલોકન સુદ્ધાં તેમણે કર્યું નથી. કવિતામાં ખોટા દંભ કે ડોળ માટે તેમને બહુ તિરસ્કાર હતો અને તેથી કહ્યું છે કે “ડોળ એ જેટલું ધર્મપક્ષે તેટલું જ રસપક્ષે પણ વિનાશકારી છે.” આવો સર્વ પ્રકારનો વિવેક કાવ્યમાં જાળવવા માટે ઉચ્ચ અને ‘શુદ્ધ રસજ્ઞતા' કવિએ કેળવવી જોઈએ. તેને માટે “ઊંચી કેળવણી તથા રસશાસ્ત્રનો ઊંડો અભ્યાસ” અને, અંગ્રેજી તથા સંસ્કૃત સાહિત્ય સાથેનો સંપર્ક નવલરામે સૂચવ્યો છે. આ બે ભાષા ઉપરાંત વ્રજ, ફારસી વગેરે ભાષાનો અભ્યાસ પણ કવિને સહાયકારક છે. પણ આ બધાં સાથે, કવિને દુનિયાંનો સીધો અનુભવ તેના કાવ્યસર્જનમાં આવશ્યક હોઈ અમૂલ્ય છે અને પ્રેરણાદાયી પણ છે. આ ઉપરથી નવલરામના કવિતા વિશેના સિદ્ધાંતો કેવા પ્રકારના હતા તેની જાણ થશે અને નર્મદે રચેલા સિદ્ધાંતોમાંથી કેટલું અને કઈ રીતે સુધારી વધારીને નવલરામે આપણને આપ્યું છે તેનો પણ ક્યાસ નીકળી શકશે. હવે આપણે તેમના નાટક વિશેના સિદ્ધાંતો જોવા વળીશું. નાટક તે જનસમૂહના આચારવિચારની ‘આરસી' હોવાથી સર્વાનુભવી કાવ્યપ્રકાર ગણાય છે. અને તેથી “લોકનાં જ્ઞાન, નીતિ ને વિચાર ઉપર નાટકશાળા દ્વારા જેટલી અસર કરી શકાય છે તેટલી કોઈપણ બીજે રસ્તે કરવી એ અશક્ય જ છે.” આમ કહી નવલરામ નાટક દ્વારા નીતિનો ઉપદેશ ફેલાવવાના નર્મદના સિદ્ધાંતમાં સહમત થાય છે. પણ, નવલરામ કહે છે કે “સુબોધ એ સારા નાટકનું સ્વાભાવિક ફળ છે, પણ તેનો ઉદ્દેશ નથી.” અને તેથી પાત્રોનાં સંભાષણો અને સંવાદો દ્વારા નહિ પણ આચરણો દ્વારા વ્યંજનાત્મક રીતે સુનીતિનો બોધ નાટકમાં અપાવો જોઈએ. ઊંચા પ્રકારનાં નાટકો “રસમય અને રસોદ્દેશી” હોય છે. અને તેથી જ આપણે આગળ જોઈ ગયાં કે નવલરામ કાવ્યની માફક નાટકમાંયે રસની સભરતા જરૂરી માને છે જેથી તેને પણ ‘રસમૂર્તિ’ કહી શકાય. નવલરામે વળી ઉમેર્યું છે : “શુદ્ધ અને ઊંચા રસમાં સ્વાભાવિકપણે જ સારો બોધ સમાયેલો છે.” એટલે કે રસના ગર્ભમાં નીતિ તો રહેલી જ છે; માટે નાટકમાં જો ઉચ્ચ પ્રકારનો રસ હશે તો તેની સાથે સાથે નીતિ પણ સ્વાભાવિક રીતે હશે જ. આપણા સાહિત્યમાં તેમ જ સંસ્કૃત સાહિત્યમાં કેટલાંક શિષ્ટ પ્રકારનાં નાટકો ભજવાતાં જોવાને બદલે વાંચવા માટે વધુ યોગ્ય હતાં. એ જોઈ નવલરામે નાટકના કાવ્ય અને દૃશ્ય એવા બે પ્રકારો યોજ્યા છે. નાટકનું વસ્તુ ઐતિહાસિક હોય તો તેમાં ફેરફાર કરી નાટ્યકારને સુધારાવધારા કરવાનો અધિકાર ખરો કે નહિ તે વિશે નવલરામે થોડીક ચર્ચા કરેલી છે. દશરૂપક ગ્રંથમાંથી અવતરણ લઈ નવલરામે બતાવ્યું છે કે નાટકના રસનું વ્યવધાન કરતું અનુચિત વસ્તુ નાટ્યકારે ત્યજી અથવા બીજી રીતે કલ્પી લઈ મૂકવું.૮ ત્યારબાદ, ઐતિહાસિક સાહિત્યસર્જનમાં કલ્પનાનો અવકાશ અને તેની મર્યાદા વિશે નર્મદના જમાનામાં ચાલ્યા કરતી ચર્ચાની નવલરામ નોંધ લે છે. આપણા સમયમાં શ્રી મુનશીની ઐતિહાસિક નવલકથાઓને લીધે ઊઠેલા એ પ્રશ્નની શરૂઆત નવલરામે કરી ગણાય. નાટકની વસ્તુસંકલના તથા પ્રસંગોની રસભરી ગૂંથણી વિશે નવલરામે કહ્યું છે કે તેની યોજના અત્યંત અઘરી છે અને તેમાં “ઘણા વિવેકનો ખપ પડે છે.” નાટકના પાત્રભેદ વિશે તેમણે જણાવ્યું છે કે “જુદા જુદા માણસોના મનોભાવ જેમ હોય તે પ્રમાણે જુદા જુદા વર્ણવવા તેને પાત્રભેદ કહે છે.” અનેકવિધ પાત્રો રચવાને માટે નાટ્યકારમાં ‘સર્વાનુભવી કવિત્વ’ તથા ‘સંસારવ્યવહારના લક્ષપૂર્વક અવલોકન'ની જરૂર હોય છે. અને તેથી જ તે એમ કહે છે કે “રસિક પ્રસંગ તથા રસમય વાણી દ્વારા પાત્રપ્રકાશ કરવો એ જ કવિકલાનું સાફલ્ય છે.” આ ઉપરાંત નાટ્યકલામાં રસજ્ઞતા જાળવવાનો વિવેક (Taste and Judgement) તથા સ્થલ, કાળ અને કાર્યના વેગની સુસંકલના (Unities of time, place and action) વિશે પણ નવલરામે વિચાર્યું છે. તેમની એ ફરિયાદ હતી કે સંસ્કૃત કવિઓ નાટકમાં રસને વધુ મહત્ત્વનો ગણી વિષયને વર્ણન દ્વારા વિસ્તારથી નિરૂપતા. આ વિસ્તાર નાટકમાં અત્યંત જરૂરી કાર્યવર્ગમાં નડતરરૂપ બનતો અને તેથી રસની એકતા અને ઘનતાને બદલે રસભંગ થતો. આ વિસ્તારભર્યું વિષયનું - વસ્તુનું વર્ણન માધુર્યાદિક ગુણને અનુસરતું અને તે કાર્યવેગને મંદ પાડીને, નાટકને દૃશ્યકાવ્ય માટે નાલાયક કરી મૂકતું. _______________________ ૮. નવલગ્રંથાવલિ પા. ૩૯માં ટાંકેલો શ્લોક :- यत्तत्रानुचितं किंचिन्नायकस्य रसस्य वा । विरुद्धं तत्परित्याज्यमन्यथा वा प्रकल्पयेत् ॥)

નવલરામ પોતે શિષ્ટ સંસ્કૃત ભાષાના અભ્યાસી હતા, અને તેથી તેમને ગુજરાતી ભાષાના પ્રાંતિક અને ઘરગથ્થુ શબ્દોનો ઉપયોગ સાહિત્યસર્જનમાં ગ્રામ્ય લાગતો પણ પાત્રભેદ અને તેમાં વૈવિધ્ય દર્શાવવા માટે, નાટકમાં જ કેવળ ઘરગથ્થુ શબ્દો તથા પ્રાંતિક બોલાતી ભાષાઓનો ઉપયોગ કરવામાં તેઓ સંમત હતા. પણ જો નાટક અત્યંત અશિષ્ટ શબ્દો તથા રસોના ઉપયોગ કરવા માંડે “તો તે બગડીને જતે દહાડે ભવાઈનાં જેવાં જ થઈ જશે.” આપણે જોયું તેમ નર્મદે નાટક વિશે બહુ થોડું લખ્યું છે. પણ નવલરામે તો અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યની મદદથી ઘણા સુધારાવધારા કરી તથા સૂચવી, અર્વાચીન ગુજરાતી સાહિત્યના નાટકનું સ્પષ્ટ સ્વરૂપ આલેખી આપ્યું છે. આ બધા સુધારાવધારા તેણે કેવળ સિદ્ધાંતો રૂપે નથી રજૂ કર્યા, પણ નાટ્યકૃતિઓનાં અવલોકન કરતાં જે નાટ્યકૃતિને જરૂરી વક્તવ્ય હોય, ત્યાં નવલરામે તે સિદ્ધાંતોને પ્રદર્શિત કર્યા છે. ‘કાન્તા' નાટકના અવલોકનમાં સંભવિતતાની દૃષ્ટિએ તેમણે નાટકના બનાવોની અને પાત્રોનાં કાર્યોની સારી પરીક્ષા કરી છે. અને તેમાં એક સ્થળે તો લેખકની ઘટનાથી વધારે સારી ઘટના પણ સૂચવી છે. નવલરામના પદ્યનાં તેમ જ ગદ્યસાહિત્યનાં મંતવ્યો પણ ઘણાંખરાં આપણને અવલોકનો દ્વારા જ મળી આવે છે. ગદ્યમાં વાર્તાસાહિત્ય તથા જીવનચરિત્રો વિશે તેમણે લખ્યું છે. વાર્તાસાહિત્યમાં રસ કરતાં ‘રીતભાત' અને ‘સુવિચાર’નું પ્રમાણ વધારે હોય છે, એમ નવલરામે કહ્યું છે. તે ‘રીતભાત' વડે મનુષ્યના મનમાં અનેક પ્રસંગોને બધે મુખ્ય નહિ પણ ‘સાધારણ વિકારો' જન્મે છે. અને ‘સુવિચાર’એ લેખકનાં પોતાનાં મંતવ્યો તથા વાર્તાસાહિત્યમાં મૂકવાનાં ઉપદેશ-વચનો છે. તે કહે છે કે આ રીતભાતનું તાદૃશ વર્ણન 'ચિત્રણશક્તિ'થી થઈ શકે તો વાર્તા ઉત્તમ પ્રકારની બની શકે. અને, લેખક પોતાના સુવિચાર ઠેકઠેકાણે મૂક્યા કરે તેને બદલે પાત્રો વચ્ચે સંભાષણ કરાવતાં તેનો ઉપયોગ કરે તો તેથી વાર્તાના રસનું સાતત્ય જળવાઈ શકે. વળી નવલરામે જણાવ્યું છે કે વાર્તાસંકલનામાં આડકથાઓને ગૂંચવવામાં વિવેક રાખવો જોઈએ. તેમાં દેશ તથા કાળની સુસંગતતા પણ આવશ્યક છે. વાર્તાને ‘રૂપકગ્રંથિ’ (Allegory)નું સ્વરૂપ પણ આપી શકાય છે, એમ કહી તેમણે રૂપકગ્રંથિની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : “રૂપકગ્રંથિ એટલે માણસના ગુણ, સ્વભાવ, આચારવિચાર વગેરે અદૃશ્ય નિરાકાર ભાવમાં સજીવારોપણ કરી તે હરતાફરતા દેહધારી જ હોય, તેમ તેનું વર્ણન, તેનાં લક્ષણ તથા કાર્યકારણોને અનુસરી કરવું તે. તેને અમે રૂપકગ્રંથિ કહીએ છીએ. બીજો વિષય ચાલતો હોય અને તેમાં પ્રસંગોપાત્ત કોઈ ગુણને આવું રૂપ આપવું, તે તો માત્ર રૂપકાલંકાર જ થાય છે. પણ જયારે આ રૂપક સર્વાંગે વિસ્તાર પામી એક વાર્તાનું જ રૂપ પકડે ત્યારે તે રૂપકગ્રંથિ કહેવાય.” ૯ ______________________ ૯. નવલગ્રંથાવલિ. પૃ. ૨૨.

અહીં રૂપકગ્રંથિની વ્યાખ્યાને પ્રસંગે નવલરામે રૂપકાલંકાર અને રૂપકગ્રંથિનો ભેદ પણ બતાવ્યો છે.


જીવનચરિત્રમાં ‘કરસનદાસ મૂળજી ચરિત્ર' અને ‘મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર' એ બે કૃતિઓનું નિરીક્ષણ કરતાં, નવલરામ કહે છે કે “ચરિત્રનિરૂપકમાં શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિ એ ચાર ગુણ અવશ્ય જોઈએ.” જેનું ચરિત્ર લખવાનું હોય તે વ્યક્તિનું સમાજ સાથેનું બહારનું જીવન ઉપરાંત અંગત અને ખાનગી જીવન પણ જણાવવું આવશ્યક છે. અને તેને અંગે, તે વ્યક્તિની હૈયાતીમાં જ તેની નોંધ રાખવાનો પશ્ચિમના દેશનો ચાલ આપણામાં પણ હોવો જોઈએ. આથી કરીને નિરૂપિત વ્યક્તિના “બનાવોનો પરસ્પર સંબંધ એ ઉપરથી સ્પષ્ટ જણાય છે.” નવલરામ પોતે વિવેચક હતા અને તેથી વિવેચનસંબંધી એમણે કેટલાક સિદ્ધાંતો બાંધ્યા હોય એ સ્વાભાવિક છે. ‘શ્રવણાખ્યાન’૧૦ નામના તેમના અધૂરા ગ્રંથાવલોકનમાં નવલરામ કહે છે કે કોઈપણ પુસ્તકનું વિવેચન કરતી વેળાએ, પુસ્તકની ‘યોજના' (Design) અને ‘કૃતિ' (Execution) વિશે વિવેચકે વિચાર કરવો ઘટે છે. લેખક ક્યા ઉદ્દેશથી અને કેવી રીતે લખવાનો નિર્ણય કરે છે તે તેની ‘યોજના’ અને “એ યોજનાને પાર પાડવી તે કૃતિ.” ખરાબ યોજનામાંથી સારી ગ્રંથકૃતિ ઉત્પન્ન થઈ શકતી નથી, પણ સારી યોજનામાંથી એ ઉત્તમ પ્રકારનો ગ્રંથ થાય છે એવું કાંઈ નથી. વિવેચકે “સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા” એ ગ્રંથપરીક્ષકનો ધર્મ છે. સારા અને આશાસ્પદ ગ્રંથકારમાં થોડી ખામી હોય તો વિવેકથી બતાવી તેને ઉત્તેજન આપવું. અને ખરાબ ગ્રંથથી વાચકોનું રસજ્ઞાન અશુદ્ધ ન થાય તે માટે ‘ખખડાવી’ને લખવું. નવલરામ પોતે વિવેચક તરીકે સ્પષ્ટવક્તા હતા. અને તેથી તે કડક અને સ્પષ્ટ ગ્રંથપારખની જરૂરિયાત માનતા હતા; છતાં ગુજરાતી સાહિત્યની તે સમયની દશા ધ્યાનમાં લઈ તેમણે વિવેચન કર્યું હતું, એટલું જ નહિ પણ દરેક વિવેચકે દેશકાળને અનુસરીને તેમ કરવું જોઈએ એવો તેમનો મત હતો. આ ઉપરાંત વિવેચકે દ્વેષભાવરહિત સમતુલાથી વિવેચન કરવું જોઈએ. ગુજરાતી સાહિત્યના ગુણદોષ દાખવી શકે તેવા એક ‘ત્રૈમાસિક વિવેચકની' તેમને એટલી જરૂર લાગતી હતી. કે એ શરૂ કરવાની તેમણે પોતાના લેખોમાં વારંવાર ભલામણ કરી છે. __________________________ ૧૦. આ અધૂરું ગ્રંથાવલોકન શ્રોફકૃત નવલગ્રંથાવલિમાં છે, અને ન. દ્વ. પરીખકૃત આવૃત્તિમાં નથી.

આ ઉપરાંત વિવેચનસાહિત્યની ગૌણ અને ઉપકારક પ્રવૃત્તિ તે, ભાષાંતર કરવા વિશે તથા જૂનાં પુસ્તકોનાં પાઠ્યસંશોધનની શાસ્ત્રીય રીતિ વિશે નવલરામે અનેક સૂચનાઓ આપી છે. તેમણે ભાષાંતરના પ્રકારો યોજી આ પ્રમાણે નામો આપ્યાં છે : ૧, ‘શબ્દાનુસારી’, ૨. ‘અર્થાનુસારી', ૩. ‘દેશકાળાનુસારી’ અથવા ‘રસાનુસારી’ પ્રકારો ભાષાંતરના છે. એમાંથી 'રસાનુસારી' ભાષાંતરમાં મૂળ કૃતિના “જે વિચારો ઉપરથી રસ ઉત્પન્ન થયો હોય તે વિચારોને પડતા મૂકી આપણે નવા જ વિચાર દાખલ કરીને કદાપિ તેવો જ રસ જમાવી શકીએ.” પરંતુ આ પ્રકારના વેશાંતરને ભાષાંતર ન કહેવું જોઈએ તેમ નવલરામે ઉમેર્યું છે. એ દૃષ્ટિથી તેમનું ‘ભટનું ભોપાળું' ભાષાંતર તરીકે ગણી શકાય નહિ. અનુવાદકે મૂળ કૃતિમાં તલ્લીન થઈ સત્યનિષ્ઠાથી અનુવાદ કરવો જોઈએ. નવલરામના સમયમાં બુદ્ધિપ્રકાશમાં જોસભેર ચર્ચાતા હારમાળાના પ્રશ્ન વિશે લખતાં તેઓ કહે છે કે તે આખા પ્રશ્નનું વિવેચન સંશોધનપદ્ધતિએ થવું ઘટે. એવી આશંકાભર્યા કર્તાની જૂની કૃતિની મુખ્ય અને વિશ્વસનીય પ્રત સંપાદકે મેળવીને છપાવવી જોઈએ. વળી તે કૃતિની બીજી પ્રતોને મેળવી તેમાંનાં પાઠાંતરો, મુખ્ય પ્રત છપાવતી વેળા ફૂટનોટમાં મૂકવાં. મુખ્ય ગણાતી પ્રતમાં પણ કોઈક સ્થળનું લખાણ બરાબર ન હોય તો બેચાર પ્રતોમાં કાયમ રહેતા જ લખાણનો આધાર લેવો. આ પ્રકારની શાસ્ત્રીય પાઠ્યસંશોધનની પ્રવૃત્તિ યુરોપના સાહિત્યમાં સારી પેઠે વિકાસ પામી છે, તેનો નવલરામે નિર્દેશ કર્યો છે. નવલરામ નિયમિત રીતે માસિકોમાં પુસ્તકોનાં અવલોકન લખનાર પહેલા હતા. તે પહેલાં નર્મદે ડાંડિયામાં અવલોકનો કરેલાં પણ કવિચત્ જ. આપણે આગળ જોયું તેમ ગ્રંથાવલોકન કરવાની નવી જ દૃષ્ટિએ શાસ્ત્રીય પ્રણાલિ નવલરામે પોતાને માટે નક્કી કરી છે. અવલોકનપ્રસંગે જે ગ્રંથને જરૂરી વિવેચનના સિદ્ધાંતો હોય તેનો પ્રથમથી શાસ્ત્રીય રીતે પરિચય તે આપતા. ત્યારબાદ તે સિદ્ધાંતોની દૃષ્ટિથી નવલરામ અવલોકન કરતા. નર્મદાશંકરના જીવન અને કવન વિશે લખી, આખા એક કવિને લઈને તેનું વિવરણ કરવાનું કાર્ય પણ નવલરામે જ કર્યું છે. આગળ જણાવ્યું તેમ ગુજરાતી કવિતાશૈલી વિશે અનેક પ્રકારના એકપક્ષી મતો પ્રચલિત હતા. દલપતરામના પક્ષકારો ‘સભારંજની’ શૈલીને ઉત્તમ ગણતા. નર્મદાશંકરના અનુયાયીઓને નર્મગદ્યની શૈલી અનન્ય લાગતી. તે વખતે, આ ખાસ કરીને પ્રવર્તતી બે પ્રકારની શૈલીનાં લક્ષણો ટાંકી નવલરામે તેમની શક્તિ અને મર્યાદાનો નિર્દેશ કર્યો. અને પોતે યોગ્ય માનતા હતા તેવી અર્થલક્ષી એકાગ્ર શૈલીને રજૂ કરી, તેનાં લક્ષણો પણ નક્કી કર્યાં: શ્રી બ. ક. ઠાકોરની અર્થદાન અને અગેય લક્ષણોવાળી પદ્યરચનાનું અર્થલક્ષીપણું નવલરામથી આમ શરૂ થતું દેખાય છે. આપણા તે સમયના ઘડાતા સાહિત્યની અંદર મોટાં વલણો વિશે પણ નવલરામે લખેલું છે. ફારસી તથા સંસ્કૃત શબ્દોનો અતિ ઉપયોગ, તેને વિશે નવલરામે ‘સંસ્કૃતમય ગુજરાતી' નામનો લેખ લખી પોતાનો મત રજૂ કર્યો છે. નવલરામના સમયમાં અંગ્રેજી વિદ્યાથી ઉદ્ભવેલા વિચારોનો સમાસ-સમાવેશ- ‘સાંકડી’ એવી ગુજરાતી અણખેડાયેલી ભાષામાં થઈ શકતો નહિ, એથી કરીને ફારસી શબ્દોનો ઉપયોગ લેખકોએ વધારે કરવા માંડ્યો. આ ફારસી શબ્દોના અતિ ઉપયોગના પ્રત્યાઘાતી વલણ તરીકે સંસ્કૃતમય ગુજરાતીનો ઉદ્ભવ થયો એમ નવલરામે જણાવ્યું છે. એ બધી ખામીઓ કઈ રીતે દૂર કરી શુદ્ધ ગુજરાતી ભાષાનો વિકાસ થઈ શકે તે નવલરામે વિચારી જોયું છે. ત્યારપછી બીજું વલણ તે જોડણીની હાલપર્યંત ચાલતી અરાજક્તાના પ્રશ્ન વિશે પણ નવલરામે લખીને તેના ઉકેલો સુઝાડ્યા છે. વળી, ‘દેશી પિંગળ’ નામનો લેખ લખી તેમાં પિંગળ વિશે શાસ્ત્રીય નિરૂપણ કરેલું છે. આ ખાસ લેખો ઉપરાંત ‘હાસ્ય અને અદ્ભુત રસ' વિશેનો નવલરામનો લેખ વિદ્વત્તાપૂર્ણ છે, જોકે તેમાં કેટલેક સ્થળે નવલરામની વિશદ, શાસ્ત્રીય વિચારસરણી અસ્પષ્ટ બની જાય છે ખરી. નર્મદમાં સહજ એવી વિવેચન કરવાની શક્તિ હતી; પણ ઘણી વેળા તે પોતાના અંગત મતો કે ગ્રહોને વેગળા કર્યા વિના જ વિવેચન કરતો જે એની મોટી કચાશ હતી; ત્યારે નવલરામની તટસ્થતાની તુલા ઘણે ભાગે અચળ રહી છે. કેટલાક પ્રસંગોને બાદ કરતાં, નવલરામે બહુમાન્ય (Objective) દૃષ્ટિથી વિવેચન કર્યું છે. અને તે સમયના સાહિત્યને ઊંચી પાયરી પર મૂકવા મહેનત લીધી છે. નવલરામના વિવેચનની શક્તિ તેમ જ મર્યાદાનો આ પ્રસંગે વિચાર કરતાં, તેને માટે શ્રી આનંદશંકરે કરેલો ઉલ્લેખ અહીં યાદ કરવા જેવો છે : “નવલરામ ગુજરાતી ભાષાના વિદ્વાન પણ એમની વિશિષ્ટતા સાહિત્યવિવેચનમાં. એમનામાં સાહિત્યના ગુણદોષ સમતોલબુદ્ધિથી પારખવાની અદ્ભુત સ્વાભાવિક શક્તિ, પણ બહુ વિશાળ જ્ઞાનથી એ સંસ્કાર પામેલી નહિ, તેમ વિશાળ બનેલી પણ નહિ. જેવું તે સમયનું સાહિત્ય, તેને અનુરૂપ એમની વિવેચના, પરંતુ તે સાથે આગામી સમય સમજવા જેટલી ઉદાર સહૃદયતા ખરી. અને તેથી ‘કુસુમમાળા'નું ગુણદર્શન.”૧૧ આ વિધાન સાચું છે. કુસુમમાળાની સદ્. મણિલાલ નભુભાઈએ કરેલી ટીકા જોતાં, આ નવીન કવિતારીતિ પ્રત્યેનો તેમનો અણગમો સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે નવલરામે તેની ચોખ્ખી પ્રશંસા કરેલી છે. જોકે નવલરામ પણ તેની જોઈએ તેટલી વિગતવાર સમાલોચના લઈ શક્યા નથી અને તેથી તેમનો સાચો અભિપ્રાય જાણવા મળતો નથી. આમ છતાં અનેક સ્થળે જોતાં એમ લાગે છે કે ‘આગામી સમય’ને મદદનીશ થઈ શકે તેવું તેમનું વિવેચન હતું. ____________________________ ૧૧. નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન.

નવલરામની વિવેચનશૈલીની શાસ્ત્રીયતામાં તેમની વિચારો દર્શાવવાની રચના જ ક્યારેક તો નવલરામની “નૈસર્ગિક વિનોદવૃત્તિ”ને૧૨ છતી કરી દે છે. તેમની શૈલી ક્યારેક મર્માળી અને અત્યંત ટકોર કરતી પણ હોય છે. નર્મદમાં પરિપક્વ વિચારશક્તિનો અભાવ જણાય છે, ત્યારે નવલરામમાં સમતાવાળા વિવેકી સ્વભાવને અંગે પરિપક્વતાનું દર્શન અનેક સ્થળે ગોચર થાય છે. તેમના લખાણમાં અંગ્રેજી શબ્દોનો યથાર્થ અનુવાદ, તથા “તીક્ષ્ણ તળપદા”૧૩ અને સાદા શબ્દોનો ઉપયોગ એકદમ તરી આવે છે. તેમની શૈલી કાર્ય-કારણોથી તદ્ન સુસંગત અને ઐતિહાસિક દૃષ્ટિએ વિષયને રજૂ કરનારી છે; અને છતાં, સુંદર ઉપમા-રૂપકોનાં કવચિત્ આવતાં દૃષ્ટાંતો તેમની શૈલીમાં ઝેબ આણે છે, અને તેમાં કવિત્વ તથા રસ પૂરે છે. અહીં નવલરામનું વિવેચનકાર્ય સમેટી - આટોપી લેતાં, નર્મદ દલપત અને નવલરામના કાળનું વિવેચન પણ સમાપ્ત થાય, એ સ્વાભાવિક છે. ગુજરાતી સાહિત્યને પોતપોતાની રીતે પ્રથમ વેગ આપનાર આ ત્રણ સાહિત્યકારો વિશે શ્રી રમણલાલ વ. દેસાઈએ આરોપેલા રૂપકને અહીં મૂકીશું. તેમ કરવાથી આપણને તે સમયના ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ અને આ ત્રણ સાહિત્યકારોના કાર્યની રૂપરેખાનો પૂરતો ખ્યાલ આવશે; અને તે સાથેસાથે, નવલરામના વિશિષ્ટ સ્થાન માટે પણ માહિતી મળશે. એ રૂપક નીચે પ્રમાણે છે : “શું સારું ? ઝરણ, પૂર કે શાંત નદી ? નવલરામનો વિચાર કરતાં સહજ આવા પ્રશ્નો ઉદ્ભવે છે. દલપતનું શીળું ઝરણ માર્ગ કરી રહ્યું. નર્મદનું પૂર તેમાં ધસમસતું આવ્યું. પૂર સમતાં નવલરામની ધીર૧૪, ગંભીર વિચારનદી ગુર્જર સાહિત્યમાં વહન કરવા લાગી.” ____________________________ ૧૨. નવલગ્રંથાવલિ ન. દ્વ. પરીખકૃત પ્રસ્તાવનામાંથી. ૧૩. બ. ક. ઠાકોર. ૧૪. ૨. વ. દેસાઈકૃત ‘જીવન અને સાહિત્ય' પૃ. ૩૧૧.


આપણું વિવેચનસાહિત્ય, પૃ.૨૭-૪૧, બી.આ. ૨૦૦૨