પરકમ્મા/વણઝારાનું આકર્ષણ

From Ekatra Wiki
Revision as of 09:10, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વણઝારાનું આકર્ષણ|}} {{Poem2Open}} ‘વણઝારો’ શબ્દ જેવો લાગે છે તેવો સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વણઝારાનું આકર્ષણ

‘વણઝારો’ શબ્દ જેવો લાગે છે તેવો સાદો ને નીરસ નથી. એકલદંડીઆને જરૂખે બેઠેલી ફૂલવંતીના પ્રથમ યૌવનને જેણે મઘમઘાવી દીધું, તે હઠીઆની પોતાની જુવાની કેવી હશે! મારા ટાંચણની અંદર જ એની સાહેદી પડી છે. તાંબુલ : તાંબુલની પિચકારી : હીંડોળાખાટેથી મારી તે છેક ઘુમ્મટને રંગી રહેલી પિચકારી : એ ઘણું ભાખી આપે છે. વનમાં એની પોઠોના પડાવ : કસ્તુરી, તેજાના અને અત્તરો મોતીડાંના એના વણઝાર–ભાર : ને આખરે એનું કલેજું! રીસાળુએ ઠાર મારીને કાઢી આણેલું એ કલેજું ફૂલવંતીના પેટમાં પહોંચ્યું. પ્રેમ જે વેર વાળે છે, તેનો છે કોઈ જોટો આ જગત પર? પ્રીતમના કલેજાનું રાંધણું આ કલેજું રાંધીને ખવરાવવાની વાત સાહિત્યમાં એકથી વધુ ઠેકાણે કેમ આવતી હશે? એક લોકગીત છે. રાણી પાણી ભરવા સંચરેલી છે. નવાણકાંઠે મોરલો બેઠો છે— ‘પાણીડાં ભરે ને મોર ઢોળી ઢોળી નાખે રે.’ રાણીને મોરલાની માયા લાગે છે. રાજાને જાણ થાય છે. પ્રણયી પંખી પ્રત્યે દ્વેષ જન્મે છે. રાજા શિકારે ચડે છે. રાણી વીનવે છે— ‘મારજો તે મારજો રાજ! ‘હરણ ને હળીઆરાં રાજ! ‘એક નો મારજો રે વનનો મોરલો. પણ રાજા તો મોરલાને જ મારે છે. એનું માંસ લાવે છે. રાણી પાસે રંધાવે છે. રોતાં ને રહકતાં રાણી રાંધે છે. પણ જમતી નથી. જીવનમાં નીરસ બનેલી રાણીને પછી રાજા બહુ બહુ મનાવે છે, કે ‘રાણીજી! જમો. હું ટોડલે મોરલો કોતરાવું, તમારા અલંકારો પર મોરલો આલેખાવું : પણ, ના, ના, ઊડી ગયેલો જીવન–રસ પાછો વળતો નથી. નર્મદ લખે છે કે એમના સમયમાં આ ગીત સુરતની સુંદરીઓ ટીપના તીણા સ્વરે ગાતી ત્યારે સુરત ડોલી હાલતું. આ મોરલો તે પંખી સમજવો? કે કોઈ પ્રણયી માનવ–મયૂર? ચાલો કલમ! આમ થોભતી રહીશ તો પાનાં ક્યારે પૂરાં થશે? ફૂલવંતી તો ચાલી ગઈ. રીસાળુ કુમારે એને જીવતી જવા દીધી! ક્યાં ગઈ? ક્યાં રઝળી હશે? જોબનના એ નિચોડ કઈ ભૂમિમાં છંટાયા હશે? બેઠી હતી – એક રબારણ યુવતી. મારે મન તો એ ફૂલવંતી જ બેઠી હતી. એકલદંડીઆની છાયામાં એ બેઠી હતી. એનું મોં આજે યાદ નથી. રબારણનાં દૂધમલ રૂપ આજે રોળાતાં રોળાતાં પણ કાઠિયાવાડને ભીંજવે છે. ઘોડાં જેવી ફૂલવંતી, તેવી જ ફૂલમાળ : ફૂલમાળ એ તો પાંચાળની કાઠી ઘોડી. એ પાંચાળ–પુત્રીઓની પિછાન વગર લોકસાહિત્યનો પટ ખેડાય નહિ. ટાંચણનું નવું પાનું એના ટૂંકા કીર્તિલેખે અંકિત છે— ‘કાંથડભાઈના પિતા દાદાભાઈની લખી જાતની ઘોડી : ગામતરામાં દરબારને વાય આવે : તરત લખી બેસી જાય : દરબારને ભોંય પર સુવાડી દે : આસપાસ કુંડાળું ફર્યા જ કરે.’ ‘ચાંગી ચોટીલાની. ફૂલમાળ રાતડકાની. લખી ને કેસર ભીમોરાની.' ‘નાજા ખાચર : ચોટીલાના અને ચોરવાણના ડુંગર વચ્ચે જામની સાથે લડાઈ કરી. ઘોડી ગોળીએ વિંધાણી. આંતરડાં લબડતાં આવે. કુંઢડાના વોંકળા સુધી લઈ આવી. નીચે ઊતર્યા ત્યારે પડી.’ પ્રતાપ રાણાનો ચિતોડીઓ ચેતક ઈતિહાસ–પાને ઉજ્જવળ છે. સોરઠમાં વોંકળે વોંકળે ચેતક–જનેતાઓના આવા મૂંગા કીર્તિ લેખ લોકમુખે ઊભા છે. ભીમોરાની લડાઈની વાર્તા તો મેં લખ્યાને પણ એ વખતે ચાર વર્ષ થયાં હતાં. આ પ્રવાસમાં એનો એક બાકી રહી ગયેલો સોનાનો ટુકડો સાંપડ્યો ટાંચણ બોલે છે કે— ‘ભીમોરાની લડાઈ વખતે જસદણનો શેલો ખાચર મરાઠા બાબારાવની ફોજને લઈને આવેલ છે. નાજો ખાચર ભીમોરાના ગઢની અંદર આઠ દિવસ અન્નજળ વગરના ખેંચ્યા પછી કેસરીઆંની છેલ્લી પળે પોતાની કેસર જાતની ઘોડીઓને ગૂડવાનો હુકમ આપે છે, આઠને ગૂડી નાખી. એક નવમી વધ કરવા ટાણે હણહણે છે. નાજા ખાચરે કહ્યું કે બસ, ‘કાળા ખુમાણ! એનો જીવ મોળો પડ્યો છે. દુશ્મન પાસે જવા એ રાજી છે. સરક કોટિયું ગળે વીંટીને છોડી દ્યો.’ ફોડાંમાંથી કાઢ્યો મારો ય નાનકડો અનુભવ કહું. ૧૯૨૮ના રેલસંકટમાં સૌરાષ્ટ્ર સેવા સમિતિ તરફથી મદદ વહેંચવા મને આ પાંચાલ સોંપાયો. કામ પૂરું કરીને રેશમીએથી સ્વ. કાંથડભાઈની ઘોડી લઈ ચોટીલે ટ્રેન પકડવા ચાલ્યા. ખબર હતી, ને પ્રવાસમાં અનુભવો પણ થયા હતા કે ચોમાસે પાંચાળની ભોંયમાં ‘ફોડાં’ પડી જાય છે. આ ‘ફોડાં’ દગલબાજ હોય છે. ઉપરથી ધરતી સૂકી હોય છે, પણ અંદર પગ દીધે પૃથ્વીમાં ગારદ બનાય છે. ચેતજો! પણ રાંગમાં જ્યારે તેજીલી ઘોડી હોય છે ત્યારે માણસની–તેમાં ય પાછી જુવાન માણસની આખ્યું ઓડે જાય છે. પાંચાળના રેલમછેલા લીલા ડુંગરા, રાંગમાં પહાડ જેવડી કદાવર અને પાણીના રેલા જેવી તરવરતી ઘોડી, જુવાનીનો મદ, મીઠી ફોરમ છાંટતી ધરતી, અને રંગે રમાડતું આકાશ : એમાં ભાન ન રહ્યું. ઘોડીને પણ મારગ સોપારી રડતી જાય તેવો ટાકરીઓ લાગતો હતો. એકાએક એક ઠેકાણે ઘોડીને જાણે ધરતીએ ગળવા માંડી. ભાન આવે તે પૂર્વે તો ઘોડી સાથળ સુધી ભોંમાં ઊતરી ગઈ. મેં પાછળ આવતા ઘોડેસવાર સાથીને બૂમ પાડી, ‘હરિભાઈ, મૂવા! તમે દૂર રહેજો! ફોડું!’ સાંભળેલું કે આ ફોડાં એકાદ પલઘડીમાં જ માણસને ગળી જાય છે, ને માથે થોડી વાર ફક્ત બડબડીઆં જ બોલીને ખેલ ખલાસ થાય છે, કોઈ નિશાની પણ રહેતી નથી. મેં મારો ખેલ ખલાસ માન્યો .પણ એ તો પાંચાળી કાઠીઘોડલીનું જ ગજું કે સાથળ લગી ખૂત્યા પછી ય પાછી બહાર નીકળે! મને નવો અવતાર આપનાર એ પાંચાળી ઘોડી હતી. ને એને ગળે પડતી મારા પંજાની થબડાટીનો પોતાની બંકી ગરદન વડે જ મુંગો પ્રત્યુપકારભાવ પ્રકટ કરતી, કાનસોરીના ડાબાજમણા ઘૂમટા કાઢ્યે જતી એ ઘોડી પણ આજ હૃદયને ખીલે બાંધેલ છે. માનવીનાં શીલ ઘોડાંનાં યે શીલ હતાં. ઓલાદનું ઓઢણું હતું. એની વચ્ચે જીવનારા માનવીને યે શીલ પ્રાણ સાટે હતાં. એ માનવી નહોતાં પ્રાચીન, નહોતાં પ્રાગૈતિહાસિક, નહોતાં મધ્યયુગી. એ તો જીવતાં અર્વાચીનતાને ટીંબે. પાનું ફરે છે, ને પાંચાળના એક ‘લખમણ જતિ’ના બિરદ–દુહા ટપકાવેલા જોઉં છું. ભીમોરાનો ઓઢો ખાચર. નાડીનો સાબૂત આદમી : नाऽहं जानामि केयुरं, नाऽहं जानामि कंकणं, नूपुरं चैव जानामि नित्यं पदाभिवंदनात् ॥ એવો ભોજાઈ જાનકીના પગ સિવાયના કોઈ અંગને ન ઓળખનારો લક્ષ્મણ સંસારી છતાંયે લોકજીભે જતિ વદાયો, ને એ જતિબિરદ સાચા શીલવંતાઓને ચડતાં આવ્યાં છે. ‘એની તો નાડી ધોયે આડાં ભાંગે’ એ લોક–કહેણી એવા શીલવંતાઓ માટે યોજાય છે. ઓઢા ખાચરની નાડી ધોઈને સગર્ભાને પવાતાં આડા ગર્ભ સવળા બનતા તેની બિરદાવળના ટપકાવેલા દુહા છે. ‘હે નાડી હમીરરા! વૈદક હોડ વદાં, ‘પીધે પાવરરા! આડાં ભાંગે ઓઢીઆ! (હે હમીરના પુત્ર! તારી તો નાડી એવી છે કે હું વૈદક સામે હોડ વદી શકું, વૈદકની દવા પીધે જે આડા ગર્ભ સવળા ન થાય તે તારી નાડીને પલાળીને પીવાથી થાય.) ‘સુંદરને બાળક સમે, કસર દિયે કરતાર! ‘એનો તે ઉગાર, આવત નાડી ઓઢીઆ. (સુંદરીને પ્રસૂતિની પીડા ટાણે તારી નાડી જ ઉગાર લઈને આવે છે.) ‘તરિયા અન્ન નીંદર તજણ, જગભલ બે ખટ જુગ; ભમરો વિંધણ ભૂપ! તોં ઓળખીઓ ઓઢીઆ! (હે ઓઢા! તને મેં ઓળખ્યો. તું તો ત્રિયા, અન્ન અને નિદ્રા ત્યજનાર છે. રાવણ ભમરો થઈને ઈંદ્રના વિમાનમાં સંતાયો તેને પોતાના અણિશુદ્ધ શીલને કારણે જ વીંધી શકનાર લક્ષ્મણ તુલ્ય તું છે.) ખટ જાતિ ભાંખે ખલક, નવળંગ નાજહરા! એમાં શોરખ ગરઢેરા! તું આડીદર ઓઢીઆ! ભાષાભાન વિના સંશોધન કાઠી ગામધણીને ‘ગરઢેરો’ કહેવાય છે. મેટ્રીકના અભ્યાસક્રમમાં મારી વારતાઓ મુકાય છે. તેની ઉપર નોટ-ગાઈડો પ્રકટ કરનારાઓ સોરઠી તળપદા પ્રયોગોની સમજણ વગર ‘ગરઢેરા’ને ‘ઘરડા’ તરીકે વયસૂચક ગણાવે છે. આ બાપડાઓનો શો દોષ કાઢું! અમારા ખુદ સંશોધકો જ સોરઠી ભાષાને ઓળખતા નથી. ‘નાજહરા’ એટલે નાજાનો પૌત્ર થાય. ‘હરા’ પ્રત્યય ખૂબ પ્રચલિત, એ જ રીતે ‘નાજાઉત’ એટલે નાજાનો સૂત (દીકરો): એ ‘ઉત’ પણ ચાલુ વપરાશમાં છે. છતાં એની ગતાગમ નથી હોતી. માત્ર શબ્દોપ્રત્યયોના પરિચયથી પણ લોકસાહિત્યનું સંશોધન શુદ્ધ બનતું નથી. લોકજીવનનો ઝીણો પરિચય ન હોય તો નીચલો દુહો તૂંબડીમાં કાંકરા જેવો– ‘ખેળાને બેસારે ખલક, મેપત ખોળામાંય; ‘ખંડ૫ત ખુશી થાય, અણસારેથી ઓઢીઆ! ખેળો એટલે ભવાયો. સ્ત્રીનો વેશ લઈને આ ભવાયો મરદ ઈનામ મેળવવા માટે પ્રેક્ષકો પૈકીના સારા સારા પુરુષોના ખોળામાં બેસી પ્રણય–ચેષ્ટા કરે, અને એથી ફિદા થતા મેપતો (મહીપતિઓ-દરબારો) ઉલટમાં આવે છે. એ દૃશ્ય મેં નાનપણમાં ભવાઈમાં જોયું છે. ભુંડાભૂખ પુરુષના સ્ત્રીવેશની આવી ચેષ્ટાઓ પર પણ બીજા દરબારો લટ્ટુ બની જાય છે, તેવા કળિકાળમાં હે ઓઢા! — પદમણીએ પાવરના ધણી! (તું) રીઝ્યો નહિ કળરૂપ! ભોળવાઈ ગ્યો’તો, ભૂપ! એકલશીંગી ઓઢીઆ! (તું તો સાક્ષાત પદ્‌મણીનાં રૂ૫ પર પણ ન મોહાયો, નહિતર એકલશીંગી ઋષિ જેવા પણ લટુ બની ગયા હતા.) ‘પાવરના ધણી’ — ન સમજતા કે પાવર નામનો કોઈ પ્રદેશ કાઠિયાવાડમાં છે. ના, પાવર તો પુરાતન કાળમાં માળવા તરફનો કોઈ પ્રદેશ હતો, અસલ કાઠીઓના પૂર્વજો એ પાવરમાં રાજ કરતા. એટલે આજે પણ એ સંબોધન સર્વકોઈ કાઠીઓ માટે પ્રચલિત છે. એમ ટીપે ટીપે, ટુકડે ટુકડે, સમસ્ત જીવન, ભાષા, વાણી, કવિતા, રીતો રસમો, પશુઓ, પરંપરાઓ, પહેરવેશો, સંસ્કારો, ભૌગોલિક અવસ્થાન્તરો ઈત્યાદિનું સમગ્રતાએ ખેડાણ કરતો કરતો હું લોકસાહિત્યમાં પલોટાયો છું. અને લોકસાહિત્ય કે અન્ય સાહિત્ય, સર્વકોઈ સાહિત્યમાં પલોટાવાની રીત એ એક જ છે. બિન્દુએ બિન્દુએ મધુસંચય વગર અને પોતાની અંદરના રસ વડે એ વનમધુનું નૂતન રસાયન નીપજાવ્યા વગર મધપૂડો બનતો નથી. જીવતાં પાત્રો જડ્યાં છે. પાનું ફરે છે–મીંઆણા બહારવટીઆ વાલા નામોરીની મેં ‘સોરઠી બહારવટીઆ’ ભાગ-૧માં લખેલી કથાના કિસ્સા પૂરા પાડનાર માણસનો પતો મળે છે. એ આદમી આ પ્રવાસમાં ભેટ્યો હતો. સ્વ. દરબાર કાંથડ ખાચરની રાજપરાની ખળાવાડમાં એ હવાલદાર હતો. પડછંદ, સીધો સોટા સરીખો, ઘાટી સફેદ દાઢી, જબાને મૂંગો, કરડી પણ ગંભીર આંખો : ઓળખાવ્યો ત્યારે જ ખબર પડી, કે વાલા નામોરી અને મોવર સંધવાણીના બહારવટામાં જાતે જોડાનાર એ મિયાણો હતો. એણે મને પેટ દીધું, સમસ્ત બહારવટાની કથા કહી, પોતે એ પ્રત્યેક કિસ્સાનો સાક્ષી જ માત્ર નહિ પણ સક્રિય પાત્ર હતો. ચારણ, ભાટો અને કથાકારો જ મને ઉટાંગ વાતો કહી ગયા છે એ માન્યતા ખોટી છે. ઘટનાનાં જીવતાં પાત્રો મને સાંપડ્યાં છે. તેમની વિશ્વસનીયતાને મેં ચકાસી જોઈ છે. તેમણે સારૂં બુરું બેઉ દિલ ખોલીને સંભળાવ્યું છે. તેમણે તો પોતાને વિશે પ્રચલિત કેટલીક અતિ શોભાસ્પદ અને ભભકભરી વાતોનો પણ સરલ ભાવે ઈન્કાર કર્યો છે. એ વૃદ્ધ મિયાણાના છેલ્લા શબ્દો–કલ્યાણકારી શબ્દો–ટાંચણમાંથી અહીં ઉતારીને હું તેને સલામો દઉ છું— ‘વાલો મોર : ઘઉંલો વાન : સામાન્ય કદનો : શરીરે મજબૂત : સ્વભાવ બહુ સાદો શાંત : કોઈ ગાળ દ્યે તો પણ બોલે નહિ : કોઈ દી’ હસે નહિ : કોઈ દસ વેણ બોલે ત્યારે પોતે એક બોલે : સાંજ પડ્યે બંદુકને લોબાન કરે : એની હાજરીમાં ભૂંડું બોલાય નહિ.’ આ બહારવટીઓ! આ મિંયાણો! આવા શીલવંતા કેવે કમોતે ગયા! આમ કેમ થયું? પરચક્રને પ્રતાપે જ તો. બહાદુરોને બદમાસો કરી ટાળ્યા.