પરકમ્મા/શાળવીનું કામ

From Ekatra Wiki
Revision as of 10:29, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શાળવીનું કામ|}} {{Poem2Open}} સરનામું છે માત્ર- ‘ઠાકુરમાર ઝૂલી : શ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શાળવીનું કામ

સરનામું છે માત્ર- ‘ઠાકુરમાર ઝૂલી : શ્રી, આશુતોષ ઘર, આશુતોષ લાયબ્રેરી ૭૩૯/૧ કોલેજ સ્ટ્રીટ કલકત્તા.’ એ સરનામું સૂચવે છે કે છેક ૧૯૨૬ ની સાલથી આપણા લોકસાહિત્યનો પરપ્રાંતના લોકસાહિત્યની સાથે તુલનાલક્ષી અભ્યાસ ચાલતો હતો. પરપ્રાંતના જ નહિ, પરદેશોના પણ લોકસાહિત્યનું પરિશીલન ચાલતું હતું તે વળી આ ટચૂકડું ટાંચણ બતાવે છે. સરખાવો Fair annie 61–117 ‘સાયબાના લગ્ન’ તે પછી પાછું ટૂંકું ટાંચણ— શાકુંતલ : અંક ૫ અગર ૬ : ભરતને જોઈને દુષ્યંત– धन्यास्तदं गरजसा मलिनीभवन्ति સરખાવો - ધોયો ધફોયો મારો સાડલો ખોળાનો ખુંદનાર દ્યોને રન્નાદે! કાલિદાસના શાકુંતલમાંની એક વાત્સલ્યોક્તિની સાથે આપણા અઘરણી – ગીતની એક ઉકિત જોડે આ સરખામણી કોણે સુઝાડી? એ સ્મરણ સ્પષ્ટ છે. ભાઈ છેલશંકર વ્યાસે. મુંબઈના આજના સફળ વકીલ, તે પૂર્વેના અખબારનવેશ, સોવિએટપૂજક સામ્યવાદી અને તેની પૂર્વે ’ર૫-’૨૬ વાળા સૌરાષ્ટ્ર સાપ્તાહિક પરના બંધુ-સહતંત્રી શ્રી છેલશંકર પ્રથમ વાર મારા ભાવનગરની શામળદાસ કોલેજમાંના સમારંભમાં ‘લીપ્યું ને ગુપ્યું મારું આંગણું’ એ લોકગીત સાંભળીને આવ્યા અને શાંકુતલનો શ્લોક મારી પાસે ધરી દીધો, પ્રસંગ કંઈ દેખાય છે તેવો નાનો નહોતો. એક કાળના એ સમભાવી સમસંવેદનશીલ સ્નેહીએ આ નાના શા પ્રસંગને મારા મનમાં લોકસાહિત્ય તથા લોકોત્તર સાહિત્યની વચ્ચે સુવર્ણની કડી જોડી આપી. રેડિયમની કણિકા જેવી આવી કોઈ કોઈ સુચન–કણીઓ અણુઓલવાઈ ઝગ્યા કરે છે, પ્રકાશ આપ્યા જ કરે છે, ભમતા માણસને ચોકસ એક સૌંદર્યપંથ પર ચડાવી આપે છે. નાનું શું તાપણું છો ને ગાઉ બે ગાઉ છેટે ઝગતું હોય છતાં કાળામાં કાળી રાતના પથિકને ય સાચી દિશામાં રાખે છે. દિશા ખોવાઈ જાત જો લોકસાહિત્યના એકાદ કોઈ પ્રદેશને નિરાળો રાખીને ભમ્યા કર્યું હોત તો. એક શાખાને પહેલાં પતાવી દઈએ પછી જ બીજીને પકડશું, એવું વલણ સાહિત્યના સેવનમાં સલામત નથી. સાહિત્યની શાખાપ્રશાખાઓ એ તો માળાની સેર્યો છે, ચોટલાની લટો છે, પટકુળના વાણા ને તાણા છે. એ તો છે શાળવીના જેવું, કબીરિયાના જેવું કામ. માનસ-પટનો વણાટ એ સર્વ ધાગાઓની સામટી ચાલ ઉપર જ અવલંબે છે એટલે જ મારાં ટાંચણ-પાનાંમાં ઘડીક બહારવટિયાનો કિસ્સો, ઘડીક ભજન, ઘડી વળી ચારણ પાલરવના ‘શામળાના દુહા’, તો પાછી ઘડીક વ્રતકથાઓ ડોકાય છે.