પરકમ્મા/‘પોકારીને પાલો ભણે’—

From Ekatra Wiki
Revision as of 10:12, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘પોકારીને પાલો ભણે’—|}} {{Poem2Open}} પાંચાળનો એ પાલરવ ગઢવી પરજિયો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘પોકારીને પાલો ભણે’—

પાંચાળનો એ પાલરવ ગઢવી પરજિયો ચારણ હતો. (પરજિયા એ ચારણની શાખા છે. પશુધારી, સોદાગરી કરનાર, મોટે ભાગે અકવિ, ને રાજદરબારે ન ડોકાનારા, દાન ભીખવા ન ભટકનારા, પરપ્રશંસાના ત્યાગી અજાચી ચારણ ) ‘૨૬ કે ‘૨૭માં પ્રથમ ભેટ્યો ત્યારે જ એ ૬૦-૬૫ વર્ષનો વૃદ્ધ હતો. દૂબળો–પાતળો, દાઢીના શ્વેત કાતરા, ઝીણી આંખો, સફેદ કપડાં, ઝાડને ગુંદર ઝરે તેમ આંખોમાંથી ઝીણાં જળ ટપકે. કહ્યું કે ‘પાલરવ ગઢવી! તમે પોતે જ ‘શામળાના દુહા’ રચનારા પાલરવ?’ ‘અરે બાપા! કહ્યા છે શામળાના દુહા. આ જોવોને બાપા! ઈ તો એમ ભણ્યું બાપા, કે– ભગવંત ભલા જોગ; (કે’નાય) ભૂંડામાં ભગવંત નૈં; (પોતાનાં) સુ-કરતાંનો સંજોગ પ્રાપ્રેવુ પાલો ભણે. (અર્થ–ભગવાન તો ભલું જ કરનાર છે. કોઈનાં બુરામાં ભગવાન નથી. અને પોતપોતાનાં સુકૃત્યને યોગ્ય જ સૌને પ્રાપ્તિ થાય છે, એમ પાલો (પાલરવ) કહે છે. એમ પ્રારંભ કરીને આ બુઢ્ઢા પાલરવે, હાથમાં નાનકડી લોઢાની સૂડી હતી તે ઊંચી ને નીચી, આજુ ને બાજુ ઘુમાવતાં ધુમાવતાં, પાસાબંધી કેડિયાની ચૂડીદાર બાંયોમાં ચપોચપ પાતળિયા હાથે અભિનય કરતે કરતે, ઈશ્વરને સાક્ષાત લાડ લડાવતા હોય તેવી ચેષ્ટા કરતે કરતે, અને પોતે જે બોલી રહેલ છે તે તો શંકારહિત ત્રિકાલાબાધિત અને પાકું પ્રમાણી જોયેલું સત્ય હોય એવી ખાતરીના તોરમાં શામળાના દુહા અર્થાત ઈશ્વરને સંબોધેલાં કડીબંધ દુહા–સુભાષિતો ચાલુ કર્યાં–

વાગ્યાની તમને વગત ઝાંઝર કીડીનાં જે; દૈવ! ધાઉં દેતે સુણતા નથી શામળા!’ પછી અર્થ કરે – કહ્યું એમ બાપુ, કે હે દૈવ! હે શામળા! તમને તો કીડીના પગનાં ઝાંઝર વગડે તેની પણ ખબર પડે છે, તો પછી મારા પોકારને શું તમે સાંભળી શકતા નથી? શું પોકાર! તો એમાં એમ છે બાપુ! કે શામળા! અરે શામળા! મોર્યે ન કીધી માધા! કાંઈયે મેં કમાઈ, ભલો થઈને ભાઈ! સામું જોને શામળા! કે હે શામળા! મેં તો અગાઉ કાંઈયે કમાઈ કીધી નથી, માટે ભાઈ! તું ભલો થઈને મારી સામે જો! ભગવાનને ‘ભાઈ’ કહ્યો એક ગામડિયા ગઢવીએ : God not the Father, God not the Son, God not the Holy Ghost, but God our brother-man: એ કોઈક આધૂનિક જ્ઞાનીએ કહ્યું. પાલરવ ગઢવી જ્ઞાની હતો. મને હરીન ચટ્ટોપાધ્યાયનું પદ યાદ આવે છે— ‘બિન ભોજનકે ભગવાન કહાં!’ કારણ કે મારી હસ્તપ્રતમાં એ જ ભાવનો પાલરવનો દુહો દેખું છું– હ ડ સે લા હ જા ર પેટ સારુ ખાવા પડે; દિયો તો અન્નદાતાર, સૂઝે ભગતી શામળા! અને પાલરવ જેવો એક કંગાલ, નિર્ધન, નિરાધાર વૃદ્ધ, કોઈક ઠાકોર કે ગરઢેરાની થોડીએક પ્રશસ્તિ શિષ્ટાચાર સારૂ કરવી પડી હશે તેની પણ ઈશ્વર સમક્ષ તોબાહ પુકારે છે– મોઢે માનવીયું તણા ગાયા મેં તો ગણ; પરભુ! કરશો પણ શી ગત મારી શામળા! માનવ-સ્તુતિથી શરમિંદ બનનાર લોકકવિ પૈસેટકે ભિંસાયો હશે એટલું તો એના શામળાના દુહા જ બતાવે છે– કરજે મન કૉળે નહિ નેણે ના’વે નીંદ ગળકાંસાં ગોવિંદ! શેત્રુંજીમાં શામળા.’ હે શામળા! કરજ છે તેને લીધે દિલ ખીલતું નથી. નેણે નીંદ નથી. કરજની નદીમાં ગળકાં ખાઈ રહ્યો છું. પ્રભુના પોતે કેવા ગુના કર્યા હશે— અ ની તિ અ ત પા ત અવડી શું કીધેલ અમે? (કે) મટે નૈ માબાપ! સંતાપ દલનો શામળા!’ એવી કઈ બેહદ (ઉત્પાત) અનીતિ અમે કરી છે કે આ દિલનો સંતાપ મટતો નથી?– પછી પોતે જ કબૂલે છે— મેં મેલેલ મસમાં (તુંને) પરમેસર પાણો, તે દુ નો ટા ણો નથી વીસરતો વીઠ્ઠલા! હે પ્રભુ! તને મેં તે દિવસ તારી છાતી (મસ)માં પથ્થર મૂકેલો તે ટાણું નથી વીસરતું. (ચારણી બોલીમાં નાન્યતર જાતિ નથી માટે ‘ટાણું’ નહિ, ‘ટાણો.’) કર્યા હોય (તો) કે’ને ગો પી વ રગ ના; મા રી લે મા ધા! સો સો જૂતી શામળા.’ મારા જે કોઈ ગુના હોય તે માટે સો સો જૂતિઓ મને મારી લે, ને પછી હે શામળા!— ભીલડીનાં જમ્યા ભાળ્યું જૂઠાં બોર જકે; ઈ લ ટ કું આ ણ્યે સેવક માથે શામળા! શબરીના બોર જમવા–ટાણે જેવું પ્રેમનું લટકું કર્યું હતું તેવું લટકું–તેવું હેત મારા પર હવે આણો શામળા!’ ઠપકાનાં, મહેણાંના, કાકલૂદીના, લાડના, ફોસલામણીના, એવા કેટલાય ‘શામળાના દુહા’ કહી જનાર પાલરવ આ જન્મની કોઈ મુસીબતના ઉકેલનો ઉલ્લેખ તો કરતો નથી, ફક્ત મૃત્યુની પળની માવજત માગે છે— ગાતા આવે ગાંધરવ ટપ્પા અપસરનાં તાન; (એવું). વીશ ધજાનું વેમાન સામું મૂકો શામળા.’ હે શામળા! મારી સામે વિમાન તો મોકલો, પણ અંદર ગંધર્વોનાં ગાન અને અપ્સરાઓના નાટારંભ થતા આવવા જોઈએ. બુઢ્ઢો પાલરવ અતિ બૂઢાપે ઘેરાઈને છેવટે શું વિમાને ચડીને ચાલ્યો ગયો હશે? છેલ્લા ભેટેલા ’૩૯-’૪૦માં. માળખું જ રહ્યું હતું હાડકાંનું. આવીને લજવાતા બેઠા હતા બાંકડા ઉપર. જઈને ઊમળકાથી મળ્યો ત્યાં તો એક જ પલકમાં હાડકાંના માળખામાં કોણ જાણે ક્યાંયે લપાઈ રહેલો જીવ જાણે કે પોતાના જ કલેવરનું વર્ણન ટહુકી ઊઠ્યો– બે ત્રે વીસું બરડવાં (માંય) સો-બસો સાંધા; માંહે પોલ માધા! એમાં સાસ ક્યાં રે’ શામળા! અર્થ–હે માધવ! આ શરીરમાં ચાલીસ કે સાઠ નકૂચા છે. સો–બસો સાંધા છે. અંદર સર્વત્ર પોલું છે. તો એમાં શ્વાસ ક્યાં રહેતો હશે? હાડકાનું માળખું આવું એ પોલું માળખું પોતાની અંદર છુપાઈ રહેલા શ્વાસનો પરિચય ચાર પાંચ વાર કરાવી ગયું. એ તો મૂંગા દુ:ખની ગૌરવભરી મૂર્તિ હતો. એણે કોઈ દિવસ પોતાના સંતાપની વાતો કરી નથી. એક વાર એનાં કુટુંબીજનો વિષે પૂછતાં જવાબ મળેલો કે ‘ઘણાંય હતાં બાપા! પણ આજ હું વિના કોઈ ન મળે. આ હાથે તો બાપા! મેં તેર તેર મડદાં બાળ્યાં છે.’ વધુ પ્રશ્ન કરવાની હિંમત નહોતી. દુઃખોનાં કૂંડાં ને કૂંડાં (કટોરા નહિ-કૂંડાં) પી જઈને પાલરવ કવિતાના ઓડકાર કાઢતો હતો એટલું જ યાદ છે. દૂબળડે હાથે નાનકડી સૂડી ઉલાળતો ઉલાળતો લહેકાદાર વાતો કરતો એનું ચિત્ર હજુયે દિલ પર અણીશુદ્ધ છે. અરે મારી કને આવેલી એકાદ વાર્તા વિષે એને પૂછતાં એણે જે બે-ત્રણ નવાં વાક્યોની નકસી કરી આપી તે પણ મારી વાર્તામાં મેં ગઠવી દીધી છે. રસધાર ભા. ૪ માં ‘અણનમ માથાં’ની વાર્તા છે. અગિયાર મિત્રો પોતાના ગામ–ગૌરવ માટે પ્લેમ્લેચ્છોની મોટી ફોજ સામે લડતાં લડતાં, શાહી સૈન્યની બંદૂક–ગોળીઓ વડે વિંધાઈને કેવા બની ગયા છે? — ‘નવરાતના ગરબા જેવા!’ એ ઉપમા પાલરવે પૂરી પાડેલ. બારમો તેજરવ, ગામતરે ગયેલ ત્યાંથી મોડો આવ્યો અને અગિયારે ભાઈબંધોની ચિતામાં ઝંપલાવવા દોડ્યો. માણસોએ એને રોક્યો ત્યારે ​એણે શો જવાબ દીધો? બારેએ સાથે જ જીવવા-મરવાનાં લીધેલ વ્રતને યાદ આપીને એણે માણસોને કહ્યું કે, ‘એ ભાઈ! તે દિ’ છોડીયું છબે નો’તી રમી, પણ મરદુએ મોતનાં કાંડા બાંધ્યાંતાં?’ એ પાલરવનો વાક્ય-પ્રયોગ. પાંચેક વર્ષથી ડોકાયા નથી. હવે તો આશા પણ નથી. છેલ્લા મેળાપને ટાણે જ શ્વાસ કેવળ છાતીને વળગી રહ્યો હતો.