પરિભ્રમણ ખંડ 1/કંઠસ્થ વ્રત-સાહિત્યનો પ્રવેશક : 1927

From Ekatra Wiki
Revision as of 11:22, 18 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
કંઠસ્થ વ્રત-સાહિત્યનો


[‘કંકાવટી’ (મંડળ 1)નો પ્રવેશક : 1927]


જે ડોશીપુરાણ આજે પાખંડમાં પરિણમ્યું છે, તેની હિમાયત કે ધાર્મિક પ્રચાર ખાતર આ સંગ્રહ નથી. આ બધું તો શુદ્ધ કંઠસ્થ લોકસાહિત્યની સંશોધનદૃષ્ટિએ જ સંઘરાયું છે, કેમ કે આ સાહિત્યની અંદર આપણા સામાજિક ઇતિહાસનાં પગલાં પડેલાં છે. એ ધૂળમાંથી આપણે તો સોનું જ ધમવાનું છે. નવા યુગના ચણતર કાજે, લઈ શકાય તેટલી સામગ્રી પણ આ ખંડિયેરમાંથી લેવાની છે. શુદ્ધ, કશા પણ સેળભેળ વગરનું શુદ્ધ, લોકસાહિત્ય આટલી દૃષ્ટિએ તપાસવું ઘટે છે : 1. એમાં સંપૂર્ણ સચ્ચાઈથી પ્રતિબિમ્બિત થતા લોકાચારો, લોકવિચારો ઇત્યાદિ વાટે સમાજના વિકાસના ઇતિહાસનું સંશોધન. 2. ભાષાની ખિલવણી અને સાહિત્યસર્જનની શક્તિનું નિરીક્ષણ. 3. એમાં આલેખાયેલા યુગનાં પ્રેરક બળોનું દર્શન. 4. ધાર્મિક વિપ્લવ જગાવવાને કારણે પ્રજાએ એમાંથી ફગાવી દીધેલાં અમુક તત્ત્વોનો, નવી યુગદૃષ્ટિ વડે ધર્મભાવે પણ ફરી કરવો જોઈતો અભ્યાસ. પ્રાચીન ઈમારતોને રક્ષવામાં, અસલી રાચરચીલાને સંઘરવામાં અને આજની જીવનદૃષ્ટિએ તો નિરુપયોગી જણાતી એવી સેંકડો સામગ્રીઓનાં પ્રદર્શનો ભરવામાં જે સર્વદેશીય રસદૃષ્ટિ રખાય છે, તે જ દૃષ્ટિ રાખીને લગારે સુગાયા વગર આ બધી જીવંત ભાવનાસૃષ્ટિને પણ કેમ ન નીરખીએ?


ઉલ્લાસ પ્રેરે અને આદર્શ ઘડે

સંશોધનદૃષ્ટિએ ન જોઈ શકનારને માટે પણ આમાં નરી પરીકથાની મોહક સૃષ્ટિ તો છલોછલ ભરી છે. તદુપરાંત શ્રી ધૂમકેતુએ બતાવેલ દૃષ્ટિ વિશેષ વિચારણીય છે :

આજથી પચીસ-પચાસ વર્ષે મૂળ કાઠિયાવાડ-ગુજરાતમાંથી બહાર નીકળેલાં પણ પછી તો સંસ્કારે ને સંગે પરદેશી થયેલાં ગુજરાતી કુટુંબો ‘જાપાનીસ ફેરી ટેઈલ્સ’ કે એવું કંઈક લઈને અંગ્રેજીમાંથી ભાષાંતર કરી છોકરાંને સમજાવવા બેસશે, તે વખતે આવો એકાદ સંગ્રહ ‘સંસ્કૃતિની એકતા’ સાચવવામાં કેટલી મદદ કરશે એ અનુમાન કરવામાં જ આ પ્રયાસની સફળતા થઈ ચૂકે છે. ‘સ્ટોરીઝ ફ્રોમ વેગનર’માં જે ‘મિસ્ટિસિઝમ’ ને અશક્ય છતાં આદર્શો મુકાયા છે તે ખરેખર હૂબહૂ આપણી વાતોને ઘણા મળતા છે. અથવા મધ્યયુગનું ચિત્ર જ બધા દેશોમાં સરખી માટીમાંથી મૂર્ત થયું છે. આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? એનો સમય હવે છે કે નહિ? આજે હવે ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે : એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રિસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે ને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે? તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે રહી શકે : પુત્ર ને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે. પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે.


સર્વ પ્રજાઓની સંપત્તિ

એવી સામટી દૃષ્ટિનો દોર રાખીને હવે આપણે આ લોકવ્રતોની તપાસમાં ઊતરીએ. દુનિયાની ઘણીખરી પ્રજાને પોતપોતાનાં વ્રતો હતાં. સરજનહારની અને પોતાની વચ્ચે સહુ જાતિઓએ અન્ય દેવદેવીઓની મંગલ-અંમગલ સત્તા કલ્પી છે. દૂધ, ધનધાન્યનાં નૈવદ્ય ઉપરાંત નરબલિ, પશુબલિ અને પોતાનાં સંતાનોના બત્રીસા પણ ચડાવીને પોતાની મનકામનાના પરિતોષને માટે ઘણી પ્રજાએ પોતાના દેવતાનું આરાધન કરેલ છે. અને એ આરાધનની વિધિમાં સંગીત, નૃત્ય, શિલ્પ, ચિત્ર, વાદ્ય અને વાર્તાઓનું કલાસર્જન પણ વિકસાવવાનો તેઓએ પ્રયત્ન કરેલ છે. મેક્સિકો ને મિસર, બોહિમિયા ને બ્રિટન, બધી પ્રજાનાં પ્રાચીન પુરાણો આજ પોતપોતાના વ્રત-સાહિત્યનું દર્શન કરાવે છે અને એમાંથી તે તે પ્રજાઓના વિકાસક્રમનો પંથ સૂઝે છે, સર્વ પ્રજાની સાંસ્કૃતિક સમાનતા પણ સૂઝે છે.


આર્યોના દેવતાઓ

હિન્દુઓના વેદ પોતે જ એક રીતે તો એના વ્રતોત્સવની સ્તવનગાથા છે. આર્ય સંસ્કૃતિના પારણામાં એક દિવસ હિન્દુ જાતિ હીંચકતી હતી. પહાડોનાં શિખરો ઉપર, સરિતાને તીરે અથવા સાગરને કિનારે આર્ય માનવ એક દિવસ ઊભો હતો. અચાનક એણે અરણીના બે ટુકડાના ઘર્ષણમાંથી જ્વાલા ઝરતી નિહાળી, ને એણે ‘અગ્નિદેવ’ની કલ્પના કરી; અષાઢના આસમાનનું વક્ષ:સ્થલ વીંધી વિદ્યુતના સનસનાટ, મેઘમાલાના ગડગડાટ અને અવિરત જલધારાઓ એણે ઝરતાં જોયાં, કે તરત જ ત્યાં એણે કોઈ પર્જન્યદેવને પોતાનાં વજ્રાયુધો વીંઝતો, યુદ્ધની રણકિકિયારી કરતો ને વિજયના ભેરીનાદ ગજવતો માન્યો. પ્રલયના વાયરાની થપાટે થપાટે જ્યારે જલધિનાં મોજાં મહાન રાક્ષસોની માફક ઊછળી ઊછળીને આકાશ સામે ત્રાડ દેતાં એણે જોયાં ત્યારે એણે એ ઘમસાણ જગવતા ને શમવતા એક સમર્થ જલદેવતાનું અસ્તિત્વ માન્યું. સ્થળે સ્થળે ને ક્ષણે ક્ષણે કોઈ વિશાળ દેવમંડલને એણે આ સૃષ્ટિ ઉપર શાસન ચલાવતું માન્યું.


પ્રથમ પ્રાર્થના

આર્ય ડર્યો, નમ્યો અને પ્રાર્થનાએ ચડ્યો. પોતાનાં સુખદુઃખમાં, જય-પરાજયમાં ને આરોગ્ય-અનારોગ્યમાં એ અમર શક્તિઓનો હાથ હોવાની એને ભ્રમણા થઈ. અને તરત એ આર્યના પ્રાણમાં પ્રાર્થનાનું સંગીત ઉદ્ભવ્યું. પ્રકૃતિનાં રમ્ય-ભીષણ તત્ત્વોને એણે કવિતામાં આરાધ્યાં. અરુણોદયમાંથી એણે કોઈ દેદીપ્યમાન ઉષાકુમારીનાં કુંકુમ પગલાંનું આગમન ગાયું. તેજના અથડાતા ગોળાને એણે સાતમુખા અશ્વ પર સવાર થઈ ગગનવિહાર કરતા કોઈ સૂર્યરૂપે સ્તવ્યો. આર્યના કંઠમાંથી તે દિવસે કાવ્યનો પ્રથમ જન્મ ઊજવાયો.


આખરી દર્શન

ત્યાર પછી તો આર્ય દેવતાઓની કલ્પના પુરાણકાળની વિકૃતિને પણ પામી. એ યુગ પણ આવીને ઊતર્યો. પરંતુ આર્ય તપોધન તો સત્યની શોધે ચડેલો હતો, એનો આત્મા જંપ્યો નહિ. દેવદેવીઓ વિશેની એની કલ્પના આછરતી આછરતી ભવ્ય બની. આખરે સ્રષ્ટાની શોધમાં વ્યાકુલ બનીને ઘૂમતી એની આત્મદૃષ્ટિએ બધી અવિદ્યાનાં પડો વીંધી પરિબ્રહ્મનાં દર્શન કર્યાં. આર્ય એકેશ્વરવાદ પર થંભ્યો. એ જ રીતે કૉકેસસ પહાડની પેલી મેર પળેલા પાશ્ચાત્ય આર્યોએ પણ ગ્રીક માઈથોલોજીનું સારું-નરસું દેવમંડળ કલ્પ્યું ને આખરે એની શોધ ઈસુના ‘અવર ફાધર ઈન હેવન’માં પરિણમી. એ આર્ય સંસ્કૃતિના પ્રવાસમાર્ગે પડેલી એંધાણીઓ છે. કયે કયે વખતે આર્ય પ્રજા વિકાસક્રમના કયા પગથિયા પર ઊભી હતી ને એની કલ્પનામાં એનું શુદ્ધ કે મલિન, સબળ કે નિર્બળ, ઉન્નત કે ભ્રષ્ટ, કેવું માનસ વ્યક્ત થતું હતું, તે દાખવનારી આ આખી સામગ્રી આર્ય-ઇતિહાસના હજારો વર્ષોના પંથ પર વેરાયેલી ને વિણાયેલી પડી છે.


લોકવ્રતો

આજ એક બીજી સંસ્કૃતિનું પાનું ઉકેલીએ. શિષ્ટ સંસ્કૃતિની સરિતાની સાથોસાથ ને પડખોપડખ છતાં નિરાળી ને નિરાળી ચાલી આવતી એ લોકસંસ્કૃતિની સરિતાને એક વિચિત્ર આરે આવીને આપણે ઊભા છીએ. આ કિનારો આપણે આજ સુધી દીઠો નથી. આજે જે કાળે એ આખી નદીમાં વેગવંત બુરાણ શરૂ થઈ ગયું છે ને એ કિનારાની નિશાનીઓ લોપાવા લાગી છે તે વેળા વિલંબ આપણને પાલવતો નથી. લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યના એ બુરાઈ જતા મહાનદના આરાનું નામ છે ‘સ્ત્રીઓનાં વ્રત ને વ્રતની વાર્તાઓ’. શાસ્ત્ર અને પુરાણનાં વ્રતવિધિઓથી નિરાળી, લગભગ સ્વતંત્ર કલ્પનામાંથી જન્મેલી એ લોકવ્રતની સામગ્રીને આજ આપણો સમુદાય ‘ડોશીપુરાણ’ના અળખામણા નામથી ઓળખે છે અને એને તિરસ્કારી સુગાય છે, શિષ્ટ જનોએ સુગાઈને ફેંકી દીધેલી એ પાખંડવિદ્યા મનાય છે, છતાં લોકમાનસનો ઇતિહાસ ઉકેલવામાં તો અવિદ્યાનો પણ ઉપયોગ છે. પ્રથમ તો સંસ્કૃતિની દૃષ્ટિએ એનાં મૂલ મૂલવવાં પડશે. કોઈ એક જનસંપ્રદાયને ધાર્મિક ગોટાળામાં નાખનારા પાખંડ તરીકેની એની પિછાન ઘડીભર ભૂલી જઈએ : સમજી લઈએ કે માનવીને કેવળ એકેશ્વરવાદથી ચાલ્યું જ નથી. સમસ્ત માનવજાતિએ દેવસૃષ્ટિ કલ્પી છે, તેમ પોતાના વિકાસની અમુક કક્ષાએ ઊભીને લોકસમુદાયે પણ દેવતાઓના એક કુટુંબમંડળની સહાય લીધી. જગન્નિયંતા એ માનવીને બહુ આઘો જણાયો. પોતાના અંતર સુખદુઃખની, આશા–આકાંક્ષાની ને રાગદ્વેષની ગોઠડી સાંભળે અને મિટાવે તેવું કોઈ સ્નેહવ્યથિત દેવ-સત્ત્વ એને જરૂરનું લાગ્યું. ને કોઈ બાલોચિત કવિત્વની પ્રેરણાપલે તદ્દન નવીન દેવમંડળી એણે સરજી લીધી.


લોકવ્રતોનાં દેવ-દેવીઓ

નિરીક્ષણ કરીએ. આર્ય સંસ્કૃતિનાં દેવ-દેવીઓનું ચિત્ર આપણે અવલોકી ગયા. હવે પાખંડમાં ફસાયેલા લોકસમાજની દેવ-દુનિયાને ઊંડાણે જઈ નીરખીએ, કેમ કે એ સર્જનમાં નીતિ, ચારિત્ર્ય, શિયળ અને બલિદાનની અમુક લોકભાવના અંકિત થઈ છે. એણે ન કોઈ દેવને તદ્દન પુરાણમાંથી લીધો કે ન કોઈ વેદમાંથી ઉતાર્યો, પણ ઠીકઠીક સ્વયંભૂ કલ્પના કરી. એનાં દેવ-દેવી કોણ થઈ શક્યાં?

1. જે કસોટી કરી, ડરાવી, છેવટે માનવીનાં ધૈર્ય, પ્રેમ અને બલિદાનનો ઉચ્ચ બદલો આપે તે : જુઓ ‘એવરતની કથા’. 2. જે નાની કન્યાઓના નિર્દોષ કૌટુમ્બિક કોડ પૂરા કરીને અંતરંગ બહેનપણીનું સ્થાન શોભાવે તે : જુઓ ‘ગોર્યમા’. 3. જે કૌટુમ્બિક જીવનમાં અપમાન અને સંતાપ પામતી અનાથ દુખિયારીને એના નિર્મળ ચિંતનમાંથી પ્રગટ થઈ રિદ્ધિસિદ્ધિ અર્પે તે : વીરપસલી મા. 4. જે પરમાર્થથી સંતોષાય ને સ્વાર્થથી કોપાય તે : શીતલા મા. 5. જે પાપના પશ્ચાત્તાપથી પ્રસન્ન થાય તે : ‘નોળી નોમ.’ 6. જે કોઈ પશુપંખી કે વનસ્પતિ નિર્દોષ નિરાધારને આશરો આપે તેને પણ લોકલલનાઓએ દેવસ્થાને સ્થાપ્યાં : નાગ પાંચમ, ધ્રો આઠમ વગેરે. 7. જે શુદ્ધ તપશ્ચર્યાથી રીઝે તે : પુરુષોત્તમ માસ.


અક્કેક ભાવના

આ રીતે વ્રતોની અક્કેક વાર્તામાં લોકસમુદાયે અક્કેક કલ્યાણકારી ભાવનાને દેવપદવી દઈને સ્થાપેલી છે. અભ્યાસની દૃષ્ટિ રાખીને આ વાર્તાઓ વાંચનાર માનવ જોઈ શકશે કે આ દેવમંડળનો એક પણ દેવતા અનીતિ અથવા લંપટતા કે અસત્યનો આદેશ કરતો નથી. તેમ કેવળ પોતાની જ તૃપ્તિને કાજે ધૂપ દીપ ને નૈવેદ્ય સ્વીકારીને એ પોતાના ઉપાસક પર પ્રસન્ન થઈ જતો નથી પણ ઉપાસક વ્રતધારીની પાસેથી પુણ્ય અને ત્યાગનાં કાર્યોની અપેક્ષા રાખે છે. દૃષ્ટાંત તરીકે શીતળાનું વ્રત ખંડિત કરનાર જનેતા પોતાના દીકરાને કેવળ મોટાં નૈવેદ્ય કરીને જ સજીવન કરાવી શકતી નથી. પણ વળતા જ પ્રભાતે એને અનેક દુઃખી પ્રાણીઓની સેવા કરતાં કરતાં દેવીની પાસે પહોંચવું પડે છે. એટલે કે લોકવ્રતોનો દેવતા કેવળ સ્વાર્થી ને મનસ્વી નથી કલ્પાયો. એની પ્રસન્નતાનો પંથ લોકસેવા વાટે ચાલે છે.


સ્વાર્થી દેવતા

કેવળ સ્વાર્થી દેવતાનું એક દૃષ્ટાંત છે, કાંઠા-ગોર્ય. એ પોતાની પૂજા ન કરનાર પર રૂઠે છે. પરંતુ ત્યાંયે અંધ કોપ નથી. નઠોર જેઠાણી જ્યારે માતાજીની મૂર્તિને પાટુ મારીને ભાંગી નાખવાની હદ સુધી જાય છે ત્યારે જ એના ઉપર કોપ ઊતરે છે. અને તે ઉપરાંત એ કોપ પણ ક્ષણિક છે. દેવ-કોપનું ઉગ્રમાં ઉગ્ર અને બેહૂદું સ્વરૂપ શ્રાવણિયા સોમવારની મોટી કથામાં છે. અજાણ્યે પણ એ વ્રતનું ખંડન કરનારી રાણી ઉપર મહાદેવ રૂઠે છે. કપટ કરાવીને એ રાજા કને રાણીને દેશવટો દેવરાવે છે. આવા અર્થહીન કોપની પ્રશંસા કરવા લોકપ્રાણ નથી બેઠો, ત્યાં તો આખરે એ રાણી તરફથી કશાંયે ક્ષમાયાચના કે પ્રાયશ્ચિત વગર રાણીના ધૈર્ય ને ત્યાગની સામે મહાદેવને જ નમવું પડ્યું છે. પવિત્રતાનો અને નિર્દોષતાનો એ દેવશક્તિની સામે પણ પડકાર છે. (આ વાર્તા અપ્રકટ રહી ગઈ છે.) દાખલા :

(1) શ્રાવણિયા સોમવારની ઉપર નિર્દેશેલી વાતમાં :


દેવશક્તિની સામે માનવશક્તિ

ચોમાસાના લાંબા દા’ડા, સૂતાં સા’ય નૈ, બેઠાં વાણાં વાય નૈ. “ચાલો મા’દેવજી, ચોપાટે રમીએ.”
કે’, “આપણું હાર્યું કોણ કે’શે!”
મા’દેવજીએ તો ડિલનો મેલ ઉતારી, એનો બડૂલો બનાવ્યો છે, એમાં તો જીવ મેલ્યો છે.
“બડૂલા, બડૂલા, અમારું હાર્યું-જીત્યું કે’જે.”
કે’, “સારું જ તો!”
બડૂલો હારજીતનો સાક્ષી બનીને બેસે છે. ત્રણ વાર પાસા ઢળાય છે. ત્રણ વાર પાર્વતીજી પૂછે છે :
“કહે બડૂલા, કોણ હાર્યું ને કોણ જીત્યું?”
ત્રણેય વાર બડૂલો ઉત્તર વાળે છે કે —
“માતાજી હાર્યાં ને પત્યાજી જીત્યા.”
કોપાઈને પાર્વતી કહે છે કે —
“વારે વારે મને હારી કહીશ તો તને શરાપીશ.”
નમીને સત્યનિષ્ઠ બડૂલો બોલે છે કે —
“માતાજી, કાલ શરાપતાં હો તો આજ જ શરાપજો. મેંથી તો જેવું જોયું હશે તેવું કે’વાશે.”
આખરે પાર્વતીજી શાપ દે છે અને —
બડૂલો તો રગત-કોઢમાં ગળ્યો છે.

છતાંયે કશી ક્ષમા માગ્યા વિના, એ સત્યવ્રતધારી બાળક ચૂપચાપ એ શાપના સંતાપો સહતો સહતો ચાલી નીકળે છે. એ સત્યનો પડકાર અસત્યવાદી ઈશ્વરી શક્તિની સામે નોંધાયો. (2) વનડિયાની વાતમાં : અખંડ કુમારિકા, પુરુષની વાતોયે ન સાંભળવાનાં એનાં નીમ : બધાં વ્રતોની વાતો સાંભળે પણ પુરુષ જાતિના દેવ વનડિયાની વાત મંડાય એટલે એ કુમારિકા ચાલતી થાય. ગર્વિષ્ઠ દેવતા ઘવાયો. એ કુમારીના શયનભવનમાં રોજ મધરાતે ભમરાને વેશે પ્રવેશ કરી, નિદ્રામાં પડેલી બાળાના બિછાનામાં ને દીવાલે, અબીલગુલાલ, તંબોલની પિચકારી અને ફૂલેલ તેલ છાંટી આવે. પણ એ સતીના શિર પરનું કલંક મનાયું નહિ. મલિન દેવતા મધરાતે પોતાનું કાળું કામ કરતો ઝલાયો અને ફરી કદી ન આવવાનું કબૂલ કરી, કરગરી મુક્ત થયો. દેવતાના ગર્વ પર માનવીના શિયળની સ્થપાયેલી આ સત્તા લોકજીવનમાં કલ્પાઈ ને તે વ્રતોમાં ઊતરી, બેશક બાળકની રીતે.


વહેમ કે વિજ્ઞાન?

દેવતાઓની કલ્પના પાછળ કેવળ અર્થશૂન્ય વહેમને બદલે કોઈ વાર ઊંડો ને પ્રયોજનભર્યો વિચાર હશે કે નહિ? એક ઉદાહરણ લઈએ : શીતળા સાતમનો વહેમ આપણા સમાજમાં અતિ દુઃખદાયક થઈ પડ્યો છે. એનું સ્વરૂપ આપણને કઢંગું લાગે છે. હવે મૂળ આ દેવીની કલ્પના કેવી રીતે ઊઠી હશે તે ઘટાવીએ : ‘શીતળા’ એવો સુગાળો ગ્રામ્ય શબ્દ બદલીને શુદ્ધ સંસ્કૃત ‘શીતલા’ મૂકીએ તો? તેના ઉચ્ચારની સાથે જ શીતળતાનો એક શાંતિકારક ભાવ આપણા અંતરમાં ટાઢો શેરડો પાડે છે. અનુમાન કરીએ કે ‘શીતલા’ એટલે શીતલતાની કોઈ અધિષ્ઠાત્રી શક્તિ : ‘પ્રિસાઈડીંગ ડાઈટી’ : જેમ પંચમહાભૂતો પર નોખનોખા અધિષ્ઠાતાઓ કલ્પાયા છે તેવી રીતની : એટલે હવે વિચારીએ કે શીતલતાની અધિષ્ઠાત્રીનું શરીર પણ કેટલું સૂક્ષ્મ ને કેટલું સુકોમલ હોવું જોઈએ. એવા અનન્ય માર્દવથી ભરેલી એ દેવશક્તિને કાજે પણ વર્ષમાં એક દિવસ લોકોએ મુકરર કર્યો હશે. યજ્ઞને દિવસે કે હુતાશનીને દિવસે જેમ સમાજભરમાં અગ્નિની જ્વાલાઓ પેટાવી વાતાવરણને ઉષ્મા વડે વિશુદ્ધ કરવાનું, તેમ શ્રાવણની સાતમને દિવસે ચૂલા સુધ્ધાં ઠારી, આખા વાતાવરણમાં અખંડ શીતલતાનાં આંદોલનો નિપજાવવાનું નકકી કર્યું હશે. ને એનું કડક પરિપાલન કોઈ અન્ય સત્તાથી તો થાય નહિ, તેથી દેવી કલ્પાઈ. એ દેવીએ આગલી રાતે ઘરેઘર જઈને ચૂલાની રાખમાં આળોટી જોવું, એટલું સખત બંધારણ થયું. એનો ભંગ થાય તો શીતલા દેવીનો સુકોમળ દેહ સળગી જાય ને એ નિ:શ્વાસ નાખે. પોતાનો દેહ પીડા પામ્યો એટલે નિયમભંગ કરનારી માતાનું બાળક પણ કરમાયું. પછી દેવીને શરીરે શાંતિ શી રીતે વળી? પેલી જનેતાનાં પરોપકારી કાર્યોથી. દેવીને શાંતિ વળી એટલે પેલું બાળક પણ ખીલી ઊઠ્યું. આવો સરળ ભાવ આ વાતમાંથી નિષ્પન્ન થાય છે. એ ‘શીતલા દેવી’ કેવળ બાહેરની શીતળતાનાં જ અધિષ્ઠાત્રી બનીને ન અટકતાં બાળકોનાં શરીરોની આંતરિક ગરમીનું પણ શોષણ કરીને શીતળતા આપનાર વાત્સલ્યવતીને રૂપે પ્રકટ થઈ. સંભવ છે કે ગરમીને નિવારનાર અને બાળકોની સંભાળ લેનાર કોઈ ઔષધિને ‘શીતલા’ નામનું સજીવારોપણ કરવામાં આવ્યું હશે. આ દૃષ્ટિએ નિહાળતાં આ વહેમની પાછળ લોકોનું કંઈક વિજ્ઞાન કલ્પેલું હોવાનો સંભવ છે ખરો.


વાતાવરણ

નીતિ, શિયળ અને સ્વાર્પણની બાલભાવનાઓને દેવભાવ આરોપિત કરીને પોતાની સારસંભાળ લેનારું એક નાનું એવું દેવમંડલ સરજી, વર્ષના અમુક અમુક નક્કી કરેલ દિવસે લોકનારીઓ સ્થૂળ ખાનપાનના આનંદો તજતી, આત્મશુદ્ધિનું આંદોલન અનુભવતી, ગાતી ગાતી સ્નાન કરવા જતી : શાંત મનથી ટોળે વળી, કોઈ નદીતીરે, કોઈ દેવાલયને ઓટે, કોઈ પીપળાને છાંયે અથવા તો પોતાના ચોગાનમાં, કશા બંધન વિના ચાહે ત્યાં, પરંપરાથી કંઠસ્થ ચાલી આવતી વાર્તાઓ સાંભળતી. એક કહે ને અન્ય સહુ સાંભળે. કહેનારના કંઠની અંદરથી (‘સીંગ-સોંગ’) લહેકા સાથે ને સુકોમળ ગ્રામ્ય વાણી વાટે એ રૂપકથાઓનો પ્રવાહ ચાલી નીકળતો. જીવનની શાંત સહિષ્ણુતાની સાથોસાથ સ્ત્રીના ઘમઘોરી રાતના અદમ્ય વીરત્વની એક તેજસ્વી પરીકથા સ્ત્રીઓનાં એવરતની પાછળ ઊભી હશે (‘એવરત-જીવરત’ : ‘કંકાવટી’) એની જાણ થયા પછી અષાઢી અમાસનાં જાગરણોની અર્થશૂન્યતા ઊડી જઈને તેને બદલે બાલતત્ત્વ-વિચારનો આપણને ભાસ કરાવે છે. ભોજાઈઓના ટુંબા ખાતી ખાતી પણ બહેન પોતાના ભાઈના ક્ષેમકલ્યાણનું વીરપસલી વ્રત કરે એ શું કોઈ સ્વાર્થહીન બાંધવતાના બેમૂલ કાવ્ય સરખું નથી ભાસતું? જેને ‘નપીરી! નપીરી!’ કહી કુટુંબ આખાએ સામાન્ય ખાનપાનના સુખથી પણ વંચિત કરી મૂકી, એ પુત્રવધૂની નિરાધાર દશા ટાળવા રાફડાનો નાગ-પરિવાર પિયરપદ સ્વીકારે એ નાગપાંચમની વ્રતકથાની અંદરથી કેટલું માર્દવ નીતરે છે! (‘નાગપાંચમ’ : ‘કંકાવટી’.) એવીએવી વાતો સાંભળીને અંતરમાં સુકુમાર ઊર્મિઓ અનુભવવી, એક જ ટાણું આહાર કરવો, ચકલાંને ચણ નાખવી, ધૂપદીપ કરીને ઘરની હવાને વિશુદ્ધ બનાવવી : બસ, લોકવ્રતોનાં દેવદેવીઓએ આથી વધુ મોટાં નૈવેદ્ય માગ્યાં નથી. તે સારા તત્ત્વની પડખોપડખ બૂરું તત્ત્વ પણ છે. વ્રતોના બદલામાં સોનાંરૂપાં ને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિની લાલચ બેહૂદી રીતે પાથરવામાં આવી છેયે ખરી. બધાં જ વ્રતોમાં કંઈ આત્માનો સંતોષ કે નિજાનંદ પ્રધાનપદે સ્થપાયો નથી.


વ્રતકથાઓની શૈલી

આ શૈલી તો અન્ય તમામ લોકકથાઓથી અનોખી જ રીતે ખીલેલી છે. આ શૈલી બનતાં સુધી તો એક શબ્દનો બલકે ‘તો’ જેવા અનેક અક્ષરોનો પણ ફેરફાર કર્યા વગર શુદ્ધ કંઠસ્થ સ્વરૂપે જ ઝીલી લેવામાં આવી છે. એટલે આ શૈલીનાં મૂલ મૂલવવાનું સહેલ થઈ પડે છે. હિંડોળા ખાતી, ડોલતી ને ઝૂલતી એ વાક્યરચના જુઓ :

— ચોમાસાના લાંબા દા’ડા! સૂતા સા’ય નૈ, બેઠાં વાણાં વાય નૈ.
— “ચાલો મા’દેવજી, ચોપાટે રમીએ.”
— કે’ “આપણું હાર્યું-જીત્યું કોણ કહેશે?”
— “લઈ જાવ તોય આવું, ને નો લઈ જાવ તોય આવું, આવું ને આવું.”