પરિભ્રમણ ખંડ 1/કંઠસ્થ વ્રત-સાહિત્યનો પ્રવેશક : 1927

From Ekatra Wiki
Revision as of 12:21, 18 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
કંઠસ્થ વ્રત-સાહિત્યનો


[‘કંકાવટી’ (મંડળ 1)નો પ્રવેશક : 1927]


જે ડોશીપુરાણ આજે પાખંડમાં પરિણમ્યું છે, તેની હિમાયત કે ધાર્મિક પ્રચાર ખાતર આ સંગ્રહ નથી. આ બધું તો શુદ્ધ કંઠસ્થ લોકસાહિત્યની સંશોધનદૃષ્ટિએ જ સંઘરાયું છે, કેમ કે આ સાહિત્યની અંદર આપણા સામાજિક ઇતિહાસનાં પગલાં પડેલાં છે. એ ધૂળમાંથી આપણે તો સોનું જ ધમવાનું છે. નવા યુગના ચણતર કાજે, લઈ શકાય તેટલી સામગ્રી પણ આ ખંડિયેરમાંથી લેવાની છે. શુદ્ધ, કશા પણ સેળભેળ વગરનું શુદ્ધ, લોકસાહિત્ય આટલી દૃષ્ટિએ તપાસવું ઘટે છે : 1. એમાં સંપૂર્ણ સચ્ચાઈથી પ્રતિબિમ્બિત થતા લોકાચારો, લોકવિચારો ઇત્યાદિ વાટે સમાજના વિકાસના ઇતિહાસનું સંશોધન. 2. ભાષાની ખિલવણી અને સાહિત્યસર્જનની શક્તિનું નિરીક્ષણ. 3. એમાં આલેખાયેલા યુગનાં પ્રેરક બળોનું દર્શન. 4. ધાર્મિક વિપ્લવ જગાવવાને કારણે પ્રજાએ એમાંથી ફગાવી દીધેલાં અમુક તત્ત્વોનો, નવી યુગદૃષ્ટિ વડે ધર્મભાવે પણ ફરી કરવો જોઈતો અભ્યાસ. પ્રાચીન ઈમારતોને રક્ષવામાં, અસલી રાચરચીલાને સંઘરવામાં અને આજની જીવનદૃષ્ટિએ તો નિરુપયોગી જણાતી એવી સેંકડો સામગ્રીઓનાં પ્રદર્શનો ભરવામાં જે સર્વદેશીય રસદૃષ્ટિ રખાય છે, તે જ દૃષ્ટિ રાખીને લગારે સુગાયા વગર આ બધી જીવંત ભાવનાસૃષ્ટિને પણ કેમ ન નીરખીએ?


ઉલ્લાસ પ્રેરે અને આદર્શ ઘડે

સંશોધનદૃષ્ટિએ ન જોઈ શકનારને માટે પણ આમાં નરી પરીકથાની મોહક સૃષ્ટિ તો છલોછલ ભરી છે. તદુપરાંત શ્રી ધૂમકેતુએ બતાવેલ દૃષ્ટિ વિશેષ વિચારણીય છે :

આજથી પચીસ-પચાસ વર્ષે મૂળ કાઠિયાવાડ-ગુજરાતમાંથી બહાર નીકળેલાં પણ પછી તો સંસ્કારે ને સંગે પરદેશી થયેલાં ગુજરાતી કુટુંબો ‘જાપાનીસ ફેરી ટેઈલ્સ’ કે એવું કંઈક લઈને અંગ્રેજીમાંથી ભાષાંતર કરી છોકરાંને સમજાવવા બેસશે, તે વખતે આવો એકાદ સંગ્રહ ‘સંસ્કૃતિની એકતા’ સાચવવામાં કેટલી મદદ કરશે એ અનુમાન કરવામાં જ આ પ્રયાસની સફળતા થઈ ચૂકે છે. ‘સ્ટોરીઝ ફ્રોમ વેગનર’માં જે ‘મિસ્ટિસિઝમ’ ને અશક્ય છતાં આદર્શો મુકાયા છે તે ખરેખર હૂબહૂ આપણી વાતોને ઘણા મળતા છે. અથવા મધ્યયુગનું ચિત્ર જ બધા દેશોમાં સરખી માટીમાંથી મૂર્ત થયું છે. આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? એનો સમય હવે છે કે નહિ? આજે હવે ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે : એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રિસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે ને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે? તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે રહી શકે : પુત્ર ને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે. પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે.


સર્વ પ્રજાઓની સંપત્તિ

એવી સામટી દૃષ્ટિનો દોર રાખીને હવે આપણે આ લોકવ્રતોની તપાસમાં ઊતરીએ. દુનિયાની ઘણીખરી પ્રજાને પોતપોતાનાં વ્રતો હતાં. સરજનહારની અને પોતાની વચ્ચે સહુ જાતિઓએ અન્ય દેવદેવીઓની મંગલ-અંમગલ સત્તા કલ્પી છે. દૂધ, ધનધાન્યનાં નૈવદ્ય ઉપરાંત નરબલિ, પશુબલિ અને પોતાનાં સંતાનોના બત્રીસા પણ ચડાવીને પોતાની મનકામનાના પરિતોષને માટે ઘણી પ્રજાએ પોતાના દેવતાનું આરાધન કરેલ છે. અને એ આરાધનની વિધિમાં સંગીત, નૃત્ય, શિલ્પ, ચિત્ર, વાદ્ય અને વાર્તાઓનું કલાસર્જન પણ વિકસાવવાનો તેઓએ પ્રયત્ન કરેલ છે. મેક્સિકો ને મિસર, બોહિમિયા ને બ્રિટન, બધી પ્રજાનાં પ્રાચીન પુરાણો આજ પોતપોતાના વ્રત-સાહિત્યનું દર્શન કરાવે છે અને એમાંથી તે તે પ્રજાઓના વિકાસક્રમનો પંથ સૂઝે છે, સર્વ પ્રજાની સાંસ્કૃતિક સમાનતા પણ સૂઝે છે.


આર્યોના દેવતાઓ

હિન્દુઓના વેદ પોતે જ એક રીતે તો એના વ્રતોત્સવની સ્તવનગાથા છે. આર્ય સંસ્કૃતિના પારણામાં એક દિવસ હિન્દુ જાતિ હીંચકતી હતી. પહાડોનાં શિખરો ઉપર, સરિતાને તીરે અથવા સાગરને કિનારે આર્ય માનવ એક દિવસ ઊભો હતો. અચાનક એણે અરણીના બે ટુકડાના ઘર્ષણમાંથી જ્વાલા ઝરતી નિહાળી, ને એણે ‘અગ્નિદેવ’ની કલ્પના કરી; અષાઢના આસમાનનું વક્ષ:સ્થલ વીંધી વિદ્યુતના સનસનાટ, મેઘમાલાના ગડગડાટ અને અવિરત જલધારાઓ એણે ઝરતાં જોયાં, કે તરત જ ત્યાં એણે કોઈ પર્જન્યદેવને પોતાનાં વજ્રાયુધો વીંઝતો, યુદ્ધની રણકિકિયારી કરતો ને વિજયના ભેરીનાદ ગજવતો માન્યો. પ્રલયના વાયરાની થપાટે થપાટે જ્યારે જલધિનાં મોજાં મહાન રાક્ષસોની માફક ઊછળી ઊછળીને આકાશ સામે ત્રાડ દેતાં એણે જોયાં ત્યારે એણે એ ઘમસાણ જગવતા ને શમવતા એક સમર્થ જલદેવતાનું અસ્તિત્વ માન્યું. સ્થળે સ્થળે ને ક્ષણે ક્ષણે કોઈ વિશાળ દેવમંડલને એણે આ સૃષ્ટિ ઉપર શાસન ચલાવતું માન્યું.


પ્રથમ પ્રાર્થના

આર્ય ડર્યો, નમ્યો અને પ્રાર્થનાએ ચડ્યો. પોતાનાં સુખદુઃખમાં, જય-પરાજયમાં ને આરોગ્ય-અનારોગ્યમાં એ અમર શક્તિઓનો હાથ હોવાની એને ભ્રમણા થઈ. અને તરત એ આર્યના પ્રાણમાં પ્રાર્થનાનું સંગીત ઉદ્ભવ્યું. પ્રકૃતિનાં રમ્ય-ભીષણ તત્ત્વોને એણે કવિતામાં આરાધ્યાં. અરુણોદયમાંથી એણે કોઈ દેદીપ્યમાન ઉષાકુમારીનાં કુંકુમ પગલાંનું આગમન ગાયું. તેજના અથડાતા ગોળાને એણે સાતમુખા અશ્વ પર સવાર થઈ ગગનવિહાર કરતા કોઈ સૂર્યરૂપે સ્તવ્યો. આર્યના કંઠમાંથી તે દિવસે કાવ્યનો પ્રથમ જન્મ ઊજવાયો.


આખરી દર્શન

ત્યાર પછી તો આર્ય દેવતાઓની કલ્પના પુરાણકાળની વિકૃતિને પણ પામી. એ યુગ પણ આવીને ઊતર્યો. પરંતુ આર્ય તપોધન તો સત્યની શોધે ચડેલો હતો, એનો આત્મા જંપ્યો નહિ. દેવદેવીઓ વિશેની એની કલ્પના આછરતી આછરતી ભવ્ય બની. આખરે સ્રષ્ટાની શોધમાં વ્યાકુલ બનીને ઘૂમતી એની આત્મદૃષ્ટિએ બધી અવિદ્યાનાં પડો વીંધી પરિબ્રહ્મનાં દર્શન કર્યાં. આર્ય એકેશ્વરવાદ પર થંભ્યો. એ જ રીતે કૉકેસસ પહાડની પેલી મેર પળેલા પાશ્ચાત્ય આર્યોએ પણ ગ્રીક માઈથોલોજીનું સારું-નરસું દેવમંડળ કલ્પ્યું ને આખરે એની શોધ ઈસુના ‘અવર ફાધર ઈન હેવન’માં પરિણમી. એ આર્ય સંસ્કૃતિના પ્રવાસમાર્ગે પડેલી એંધાણીઓ છે. કયે કયે વખતે આર્ય પ્રજા વિકાસક્રમના કયા પગથિયા પર ઊભી હતી ને એની કલ્પનામાં એનું શુદ્ધ કે મલિન, સબળ કે નિર્બળ, ઉન્નત કે ભ્રષ્ટ, કેવું માનસ વ્યક્ત થતું હતું, તે દાખવનારી આ આખી સામગ્રી આર્ય-ઇતિહાસના હજારો વર્ષોના પંથ પર વેરાયેલી ને વિણાયેલી પડી છે.


લોકવ્રતો

આજ એક બીજી સંસ્કૃતિનું પાનું ઉકેલીએ. શિષ્ટ સંસ્કૃતિની સરિતાની સાથોસાથ ને પડખોપડખ છતાં નિરાળી ને નિરાળી ચાલી આવતી એ લોકસંસ્કૃતિની સરિતાને એક વિચિત્ર આરે આવીને આપણે ઊભા છીએ. આ કિનારો આપણે આજ સુધી દીઠો નથી. આજે જે કાળે એ આખી નદીમાં વેગવંત બુરાણ શરૂ થઈ ગયું છે ને એ કિનારાની નિશાનીઓ લોપાવા લાગી છે તે વેળા વિલંબ આપણને પાલવતો નથી. લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યના એ બુરાઈ જતા મહાનદના આરાનું નામ છે ‘સ્ત્રીઓનાં વ્રત ને વ્રતની વાર્તાઓ’. શાસ્ત્ર અને પુરાણનાં વ્રતવિધિઓથી નિરાળી, લગભગ સ્વતંત્ર કલ્પનામાંથી જન્મેલી એ લોકવ્રતની સામગ્રીને આજ આપણો સમુદાય ‘ડોશીપુરાણ’ના અળખામણા નામથી ઓળખે છે અને એને તિરસ્કારી સુગાય છે, શિષ્ટ જનોએ સુગાઈને ફેંકી દીધેલી એ પાખંડવિદ્યા મનાય છે, છતાં લોકમાનસનો ઇતિહાસ ઉકેલવામાં તો અવિદ્યાનો પણ ઉપયોગ છે. પ્રથમ તો સંસ્કૃતિની દૃષ્ટિએ એનાં મૂલ મૂલવવાં પડશે. કોઈ એક જનસંપ્રદાયને ધાર્મિક ગોટાળામાં નાખનારા પાખંડ તરીકેની એની પિછાન ઘડીભર ભૂલી જઈએ : સમજી લઈએ કે માનવીને કેવળ એકેશ્વરવાદથી ચાલ્યું જ નથી. સમસ્ત માનવજાતિએ દેવસૃષ્ટિ કલ્પી છે, તેમ પોતાના વિકાસની અમુક કક્ષાએ ઊભીને લોકસમુદાયે પણ દેવતાઓના એક કુટુંબમંડળની સહાય લીધી. જગન્નિયંતા એ માનવીને બહુ આઘો જણાયો. પોતાના અંતર સુખદુઃખની, આશા–આકાંક્ષાની ને રાગદ્વેષની ગોઠડી સાંભળે અને મિટાવે તેવું કોઈ સ્નેહવ્યથિત દેવ-સત્ત્વ એને જરૂરનું લાગ્યું. ને કોઈ બાલોચિત કવિત્વની પ્રેરણાપલે તદ્દન નવીન દેવમંડળી એણે સરજી લીધી.


લોકવ્રતોનાં દેવ-દેવીઓ

નિરીક્ષણ કરીએ. આર્ય સંસ્કૃતિનાં દેવ-દેવીઓનું ચિત્ર આપણે અવલોકી ગયા. હવે પાખંડમાં ફસાયેલા લોકસમાજની દેવ-દુનિયાને ઊંડાણે જઈ નીરખીએ, કેમ કે એ સર્જનમાં નીતિ, ચારિત્ર્ય, શિયળ અને બલિદાનની અમુક લોકભાવના અંકિત થઈ છે. એણે ન કોઈ દેવને તદ્દન પુરાણમાંથી લીધો કે ન કોઈ વેદમાંથી ઉતાર્યો, પણ ઠીકઠીક સ્વયંભૂ કલ્પના કરી. એનાં દેવ-દેવી કોણ થઈ શક્યાં?

1. જે કસોટી કરી, ડરાવી, છેવટે માનવીનાં ધૈર્ય, પ્રેમ અને બલિદાનનો ઉચ્ચ બદલો આપે તે : જુઓ ‘એવરતની કથા’. 2. જે નાની કન્યાઓના નિર્દોષ કૌટુમ્બિક કોડ પૂરા કરીને અંતરંગ બહેનપણીનું સ્થાન શોભાવે તે : જુઓ ‘ગોર્યમા’. 3. જે કૌટુમ્બિક જીવનમાં અપમાન અને સંતાપ પામતી અનાથ દુખિયારીને એના નિર્મળ ચિંતનમાંથી પ્રગટ થઈ રિદ્ધિસિદ્ધિ અર્પે તે : વીરપસલી મા. 4. જે પરમાર્થથી સંતોષાય ને સ્વાર્થથી કોપાય તે : શીતલા મા. 5. જે પાપના પશ્ચાત્તાપથી પ્રસન્ન થાય તે : ‘નોળી નોમ.’ 6. જે કોઈ પશુપંખી કે વનસ્પતિ નિર્દોષ નિરાધારને આશરો આપે તેને પણ લોકલલનાઓએ દેવસ્થાને સ્થાપ્યાં : નાગ પાંચમ, ધ્રો આઠમ વગેરે. 7. જે શુદ્ધ તપશ્ચર્યાથી રીઝે તે : પુરુષોત્તમ માસ.


અક્કેક ભાવના

આ રીતે વ્રતોની અક્કેક વાર્તામાં લોકસમુદાયે અક્કેક કલ્યાણકારી ભાવનાને દેવપદવી દઈને સ્થાપેલી છે. અભ્યાસની દૃષ્ટિ રાખીને આ વાર્તાઓ વાંચનાર માનવ જોઈ શકશે કે આ દેવમંડળનો એક પણ દેવતા અનીતિ અથવા લંપટતા કે અસત્યનો આદેશ કરતો નથી. તેમ કેવળ પોતાની જ તૃપ્તિને કાજે ધૂપ દીપ ને નૈવેદ્ય સ્વીકારીને એ પોતાના ઉપાસક પર પ્રસન્ન થઈ જતો નથી પણ ઉપાસક વ્રતધારીની પાસેથી પુણ્ય અને ત્યાગનાં કાર્યોની અપેક્ષા રાખે છે. દૃષ્ટાંત તરીકે શીતળાનું વ્રત ખંડિત કરનાર જનેતા પોતાના દીકરાને કેવળ મોટાં નૈવેદ્ય કરીને જ સજીવન કરાવી શકતી નથી. પણ વળતા જ પ્રભાતે એને અનેક દુઃખી પ્રાણીઓની સેવા કરતાં કરતાં દેવીની પાસે પહોંચવું પડે છે. એટલે કે લોકવ્રતોનો દેવતા કેવળ સ્વાર્થી ને મનસ્વી નથી કલ્પાયો. એની પ્રસન્નતાનો પંથ લોકસેવા વાટે ચાલે છે.


સ્વાર્થી દેવતા

કેવળ સ્વાર્થી દેવતાનું એક દૃષ્ટાંત છે, કાંઠા-ગોર્ય. એ પોતાની પૂજા ન કરનાર પર રૂઠે છે. પરંતુ ત્યાંયે અંધ કોપ નથી. નઠોર જેઠાણી જ્યારે માતાજીની મૂર્તિને પાટુ મારીને ભાંગી નાખવાની હદ સુધી જાય છે ત્યારે જ એના ઉપર કોપ ઊતરે છે. અને તે ઉપરાંત એ કોપ પણ ક્ષણિક છે. દેવ-કોપનું ઉગ્રમાં ઉગ્ર અને બેહૂદું સ્વરૂપ શ્રાવણિયા સોમવારની મોટી કથામાં છે. અજાણ્યે પણ એ વ્રતનું ખંડન કરનારી રાણી ઉપર મહાદેવ રૂઠે છે. કપટ કરાવીને એ રાજા કને રાણીને દેશવટો દેવરાવે છે. આવા અર્થહીન કોપની પ્રશંસા કરવા લોકપ્રાણ નથી બેઠો, ત્યાં તો આખરે એ રાણી તરફથી કશાંયે ક્ષમાયાચના કે પ્રાયશ્ચિત વગર રાણીના ધૈર્ય ને ત્યાગની સામે મહાદેવને જ નમવું પડ્યું છે. પવિત્રતાનો અને નિર્દોષતાનો એ દેવશક્તિની સામે પણ પડકાર છે. (આ વાર્તા અપ્રકટ રહી ગઈ છે.) દાખલા :

(1) શ્રાવણિયા સોમવારની ઉપર નિર્દેશેલી વાતમાં :


દેવશક્તિની સામે માનવશક્તિ

ચોમાસાના લાંબા દા’ડા, સૂતાં સા’ય નૈ, બેઠાં વાણાં વાય નૈ. “ચાલો મા’દેવજી, ચોપાટે રમીએ.”
કે’, “આપણું હાર્યું કોણ કે’શે!”
મા’દેવજીએ તો ડિલનો મેલ ઉતારી, એનો બડૂલો બનાવ્યો છે, એમાં તો જીવ મેલ્યો છે.
“બડૂલા, બડૂલા, અમારું હાર્યું-જીત્યું કે’જે.”
કે’, “સારું જ તો!”
બડૂલો હારજીતનો સાક્ષી બનીને બેસે છે. ત્રણ વાર પાસા ઢળાય છે. ત્રણ વાર પાર્વતીજી પૂછે છે :
“કહે બડૂલા, કોણ હાર્યું ને કોણ જીત્યું?”
ત્રણેય વાર બડૂલો ઉત્તર વાળે છે કે —
“માતાજી હાર્યાં ને પત્યાજી જીત્યા.”
કોપાઈને પાર્વતી કહે છે કે —
“વારે વારે મને હારી કહીશ તો તને શરાપીશ.”
નમીને સત્યનિષ્ઠ બડૂલો બોલે છે કે —
“માતાજી, કાલ શરાપતાં હો તો આજ જ શરાપજો. મેંથી તો જેવું જોયું હશે તેવું કે’વાશે.”
આખરે પાર્વતીજી શાપ દે છે અને —
બડૂલો તો રગત-કોઢમાં ગળ્યો છે.

છતાંયે કશી ક્ષમા માગ્યા વિના, એ સત્યવ્રતધારી બાળક ચૂપચાપ એ શાપના સંતાપો સહતો સહતો ચાલી નીકળે છે. એ સત્યનો પડકાર અસત્યવાદી ઈશ્વરી શક્તિની સામે નોંધાયો. (2) વનડિયાની વાતમાં : અખંડ કુમારિકા, પુરુષની વાતોયે ન સાંભળવાનાં એનાં નીમ : બધાં વ્રતોની વાતો સાંભળે પણ પુરુષ જાતિના દેવ વનડિયાની વાત મંડાય એટલે એ કુમારિકા ચાલતી થાય. ગર્વિષ્ઠ દેવતા ઘવાયો. એ કુમારીના શયનભવનમાં રોજ મધરાતે ભમરાને વેશે પ્રવેશ કરી, નિદ્રામાં પડેલી બાળાના બિછાનામાં ને દીવાલે, અબીલગુલાલ, તંબોલની પિચકારી અને ફૂલેલ તેલ છાંટી આવે. પણ એ સતીના શિર પરનું કલંક મનાયું નહિ. મલિન દેવતા મધરાતે પોતાનું કાળું કામ કરતો ઝલાયો અને ફરી કદી ન આવવાનું કબૂલ કરી, કરગરી મુક્ત થયો. દેવતાના ગર્વ પર માનવીના શિયળની સ્થપાયેલી આ સત્તા લોકજીવનમાં કલ્પાઈ ને તે વ્રતોમાં ઊતરી, બેશક બાળકની રીતે.


વહેમ કે વિજ્ઞાન?

દેવતાઓની કલ્પના પાછળ કેવળ અર્થશૂન્ય વહેમને બદલે કોઈ વાર ઊંડો ને પ્રયોજનભર્યો વિચાર હશે કે નહિ? એક ઉદાહરણ લઈએ : શીતળા સાતમનો વહેમ આપણા સમાજમાં અતિ દુઃખદાયક થઈ પડ્યો છે. એનું સ્વરૂપ આપણને કઢંગું લાગે છે. હવે મૂળ આ દેવીની કલ્પના કેવી રીતે ઊઠી હશે તે ઘટાવીએ : ‘શીતળા’ એવો સુગાળો ગ્રામ્ય શબ્દ બદલીને શુદ્ધ સંસ્કૃત ‘શીતલા’ મૂકીએ તો? તેના ઉચ્ચારની સાથે જ શીતળતાનો એક શાંતિકારક ભાવ આપણા અંતરમાં ટાઢો શેરડો પાડે છે. અનુમાન કરીએ કે ‘શીતલા’ એટલે શીતલતાની કોઈ અધિષ્ઠાત્રી શક્તિ : ‘પ્રિસાઈડીંગ ડાઈટી’ : જેમ પંચમહાભૂતો પર નોખનોખા અધિષ્ઠાતાઓ કલ્પાયા છે તેવી રીતની : એટલે હવે વિચારીએ કે શીતલતાની અધિષ્ઠાત્રીનું શરીર પણ કેટલું સૂક્ષ્મ ને કેટલું સુકોમલ હોવું જોઈએ. એવા અનન્ય માર્દવથી ભરેલી એ દેવશક્તિને કાજે પણ વર્ષમાં એક દિવસ લોકોએ મુકરર કર્યો હશે. યજ્ઞને દિવસે કે હુતાશનીને દિવસે જેમ સમાજભરમાં અગ્નિની જ્વાલાઓ પેટાવી વાતાવરણને ઉષ્મા વડે વિશુદ્ધ કરવાનું, તેમ શ્રાવણની સાતમને દિવસે ચૂલા સુધ્ધાં ઠારી, આખા વાતાવરણમાં અખંડ શીતલતાનાં આંદોલનો નિપજાવવાનું નકકી કર્યું હશે. ને એનું કડક પરિપાલન કોઈ અન્ય સત્તાથી તો થાય નહિ, તેથી દેવી કલ્પાઈ. એ દેવીએ આગલી રાતે ઘરેઘર જઈને ચૂલાની રાખમાં આળોટી જોવું, એટલું સખત બંધારણ થયું. એનો ભંગ થાય તો શીતલા દેવીનો સુકોમળ દેહ સળગી જાય ને એ નિ:શ્વાસ નાખે. પોતાનો દેહ પીડા પામ્યો એટલે નિયમભંગ કરનારી માતાનું બાળક પણ કરમાયું. પછી દેવીને શરીરે શાંતિ શી રીતે વળી? પેલી જનેતાનાં પરોપકારી કાર્યોથી. દેવીને શાંતિ વળી એટલે પેલું બાળક પણ ખીલી ઊઠ્યું. આવો સરળ ભાવ આ વાતમાંથી નિષ્પન્ન થાય છે. એ ‘શીતલા દેવી’ કેવળ બાહેરની શીતળતાનાં જ અધિષ્ઠાત્રી બનીને ન અટકતાં બાળકોનાં શરીરોની આંતરિક ગરમીનું પણ શોષણ કરીને શીતળતા આપનાર વાત્સલ્યવતીને રૂપે પ્રકટ થઈ. સંભવ છે કે ગરમીને નિવારનાર અને બાળકોની સંભાળ લેનાર કોઈ ઔષધિને ‘શીતલા’ નામનું સજીવારોપણ કરવામાં આવ્યું હશે. આ દૃષ્ટિએ નિહાળતાં આ વહેમની પાછળ લોકોનું કંઈક વિજ્ઞાન કલ્પેલું હોવાનો સંભવ છે ખરો.


વાતાવરણ

નીતિ, શિયળ અને સ્વાર્પણની બાલભાવનાઓને દેવભાવ આરોપિત કરીને પોતાની સારસંભાળ લેનારું એક નાનું એવું દેવમંડલ સરજી, વર્ષના અમુક અમુક નક્કી કરેલ દિવસે લોકનારીઓ સ્થૂળ ખાનપાનના આનંદો તજતી, આત્મશુદ્ધિનું આંદોલન અનુભવતી, ગાતી ગાતી સ્નાન કરવા જતી : શાંત મનથી ટોળે વળી, કોઈ નદીતીરે, કોઈ દેવાલયને ઓટે, કોઈ પીપળાને છાંયે અથવા તો પોતાના ચોગાનમાં, કશા બંધન વિના ચાહે ત્યાં, પરંપરાથી કંઠસ્થ ચાલી આવતી વાર્તાઓ સાંભળતી. એક કહે ને અન્ય સહુ સાંભળે. કહેનારના કંઠની અંદરથી (‘સીંગ-સોંગ’) લહેકા સાથે ને સુકોમળ ગ્રામ્ય વાણી વાટે એ રૂપકથાઓનો પ્રવાહ ચાલી નીકળતો. જીવનની શાંત સહિષ્ણુતાની સાથોસાથ સ્ત્રીના ઘમઘોરી રાતના અદમ્ય વીરત્વની એક તેજસ્વી પરીકથા સ્ત્રીઓનાં એવરતની પાછળ ઊભી હશે (‘એવરત-જીવરત’ : ‘કંકાવટી’) એની જાણ થયા પછી અષાઢી અમાસનાં જાગરણોની અર્થશૂન્યતા ઊડી જઈને તેને બદલે બાલતત્ત્વ-વિચારનો આપણને ભાસ કરાવે છે. ભોજાઈઓના ટુંબા ખાતી ખાતી પણ બહેન પોતાના ભાઈના ક્ષેમકલ્યાણનું વીરપસલી વ્રત કરે એ શું કોઈ સ્વાર્થહીન બાંધવતાના બેમૂલ કાવ્ય સરખું નથી ભાસતું? જેને ‘નપીરી! નપીરી!’ કહી કુટુંબ આખાએ સામાન્ય ખાનપાનના સુખથી પણ વંચિત કરી મૂકી, એ પુત્રવધૂની નિરાધાર દશા ટાળવા રાફડાનો નાગ-પરિવાર પિયરપદ સ્વીકારે એ નાગપાંચમની વ્રતકથાની અંદરથી કેટલું માર્દવ નીતરે છે! (‘નાગપાંચમ’ : ‘કંકાવટી’.) એવીએવી વાતો સાંભળીને અંતરમાં સુકુમાર ઊર્મિઓ અનુભવવી, એક જ ટાણું આહાર કરવો, ચકલાંને ચણ નાખવી, ધૂપદીપ કરીને ઘરની હવાને વિશુદ્ધ બનાવવી : બસ, લોકવ્રતોનાં દેવદેવીઓએ આથી વધુ મોટાં નૈવેદ્ય માગ્યાં નથી. તે સારા તત્ત્વની પડખોપડખ બૂરું તત્ત્વ પણ છે. વ્રતોના બદલામાં સોનાંરૂપાં ને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિની લાલચ બેહૂદી રીતે પાથરવામાં આવી છેયે ખરી. બધાં જ વ્રતોમાં કંઈ આત્માનો સંતોષ કે નિજાનંદ પ્રધાનપદે સ્થપાયો નથી.


વ્રતકથાઓની શૈલી

આ શૈલી તો અન્ય તમામ લોકકથાઓથી અનોખી જ રીતે ખીલેલી છે. આ શૈલી બનતાં સુધી તો એક શબ્દનો બલકે ‘તો’ જેવા અનેક અક્ષરોનો પણ ફેરફાર કર્યા વગર શુદ્ધ કંઠસ્થ સ્વરૂપે જ ઝીલી લેવામાં આવી છે. એટલે આ શૈલીનાં મૂલ મૂલવવાનું સહેલ થઈ પડે છે. હિંડોળા ખાતી, ડોલતી ને ઝૂલતી એ વાક્યરચના જુઓ :

— ચોમાસાના લાંબા દા’ડા! સૂતા સા’ય નૈ, બેઠાં વાણાં વાય નૈ.
— “ચાલો મા’દેવજી, ચોપાટે રમીએ.”
— કે’ “આપણું હાર્યું-જીત્યું કોણ કહેશે?”
— “લઈ જાવ તોય આવું, ને નો લઈ જાવ તોય આવું, આવું ને આવું.”

— એ એની દોલાયમાન વાક્યરચનાનાં દૃષ્ટાંતો છે. એ રચનામાં ક્યાંયે કૃત્રિમતા કે અલંકારોના આડંબર નથી. અને તેમ છતાંયે તેમાં લોકજીવનની સ્વાભાવિક મિતભાષિતાને કારણે લાઘવની કલા સારી પેઠે વિકસિત થઈ છે. એનાં વર્ણનમાં વિપુલતા નથી, માત્ર ચમકાર (‘ફ્લૅશીઝ’) જ છે. દૃષ્ટાંત તરીકે — બરાબર શ્રાવણ મહિનાની અમાસ, ને એમાં ભળ્યો મે. અંધારું! અંધારું! અને ધરતી માથે તો પાણી! પાણી! પાણી ક્યાંય માતાં નથી. અથવા તો સર્પદંશની અસર આટલા જ શબ્દોમાં સરસ રીતે સમેટાઈ નથી જતી? — વર કહે : મા, બાપા, મારી આંખે લીલાંપીળાં આવે છે. એમ કરતાં કરતાં તો આ વાર્તાકારની કલ્પના વધુ સુંદર રંગો પૂરતી થાય છે — બાઈ તો વિચારે છે કે અરે જીવ! આ મડાને જો જાનવર તાણશે તો બામણના દીકરાની અસૂર ગતિ થશે. પણ હું શું કરું? ક્યાં લઈ જાઉં? એમાં વીજળીનો એક અંજવાસ થયો છે ને એ અંજવાસમાં આઘેરું એક દેરું કળાણું છે. વીજળીનો અંજવાસ રહે એટલી ઘડી બાઈ હાલે છે. વળી અંધારું થઈ જાય એટલે ઊભી થઈ રહે છે. વીજળીને સબકારે સબકારે બાઈ તો દેરાની દશ્ય સાંધે છે.

*

બાઈ તો નાઈ, ધોઈ, નીતરતી લટો મેલી, હાથમાં કંકાવટી લઈ સડેડાટ નદીને સામે કાંઠે દેરામાં જાય છે. એટલાં સ્વાભાવિક સરળ વર્ણનમાં કથાકારે અષાઢી મધરાતના સ્થૂળ તેમજ સૂક્ષ્મ અનેક ભાવોને જીવન્ત કાવ્યમાં રેડી દીધા. એમ કરતાં કરતાં કોઈ વાર ગજગામિની તો કોઈવાર કુરંગ-શી ચપલા, કોઈવાર ફાળ ભરતી તો કોઈવાર રૂમઝૂમતી, એવી ગતિઓ બદલતી આ શૈલી પદ્યમાં પલટા લેતી જાય છે. અને ‘તુલસી-વ્રત’ ને ‘કાંઠાં ગોર્ય’ તથા ‘સૂરજપાંદડું વ્રત’માં અપદ્યાગદ્યનું કલાવિધાન ખીલી નીકળ્યું છે. અલબત્ત, વાચનમાં એ શૈલીની એકવિધતા પછી ખૂંચે છે ખરી!


શૈલીનું વૈવિધ્ય

ખૂબી તો એ છે કે આ કથા કહેનારીઓએ શૈલીની સ્થિતિચુસ્તતા નથી સ્વીકારી. ઘટનાઓ એ-ની એ, મૂળ આકાર અવિચલ રહે, પરંતુ અંદર વર્ણનકલાનું નકશીકામ તો પ્રત્યેક કલ્પનાશીલ વાર્તાકારને કંઠેથી નિત્ય નિત્ય નવીનતા જ ધારણ કરી શકે છે. એની કૃતિમાં પ્રત્યેક વ્યક્તિગત કલાવિધાનનો ફાળો અપાતો જ જાય. ઉદાહરણ તરીકે, બોળચોથની કથામાં એક વાર્તાકાર એમ બોલશે કે — ગામોટની ગા’ સીમમાં ચરતી’તી ત્યાં તો એને સત ચડ્યું છે. માથે પૂંછડું લઈને કાન પહોળા કરતી, ભાંભરડા દેતી, નાખોરાનાં ફરડકા બોલાવતી ગા’ વાજોવાજ ગામમાં દોડી આવે છે. ત્યારે બીજો વાર્તાકાર એ જ પ્રસંગને આ રીતે જણાવે છે : ગાય તો હાલી નીકળી છે, પેલે હીંહોરે સીમાડે પૂગી છે, બીજે હીંહોરે ઝાંપે પૂગી છે, ત્રીજે હીંહોરે વાછરુ પાસે પૂગી છે ને ચોથે હીંહોરે ગોરણીઓ પાસે પૂગી છે.


સારીમાઠી ઊર્મિઓ

એવાં એવાં નાજુક કલાવિધાને કરીને નવપલ્લવિત બનતી આ કથાઓ કંઈં કંઈં વર્ષો સુધી અને સહસ્ર સહસ્ર માનવીનાં મુખેથી કહેવાતી આવી છે અને એના શબ્દોની સ્મૃતિ, ઉત્તરોત્તર અખંડિતપણે સચવાતી રહી છે, એના વાક્યોની પાછળ લાખો આર્ય-નારીઓના સારામાઠા ઊર્મિબળનો સંચય થયો છે. તેથી જ એ પ્રત્યેક વાતમાં બળ સિંચાયું છે. ક્રિયાગ્રસ્ત જીવનપ્રવાહને સજીવ કલાદૃષ્ટિના હિલોળા લેવરાવતા લલિતભાવોની સાથોસાથ વહેમગ્રસ્ત સાંકડી મન:સૃષ્ટિ પણ ઊભી થઈ હતી, છતાં અભ્યાસને કારણે એ ગ્રામ્ય શબ્દોની સૂગ ચડાવવી આપણને પાલવશે નહિ. ગ્રામ્ય કણબણને હીરભર્યા ચણિયા ને કસુંબલ ચૂંદડી ઉતરાવી, અમદાવાદી પોશાક પહેરાવવાથી તેનું સૌંદર્ય શી રીતે સમજી શકીએ? અવનીન્દ્ર ઠાકુર બંગીય વ્રત સાહિત્યમાંથી એક દૃષ્ટાંત આપીને સમજાવે છે કે જો આ ગ્રામ્ય અને બાલીશ જણાતી વ્રત-ભાષાનું અંગ્રેજી ભાષાન્તર થાય તો તેમાંથી કોઈ કોઈ વાર વેદનાં સૂક્તો સરખું ગહન ગાંભીર્ય ગુંજી ઊઠે. અન્યત્ર એ દૃષ્ટાંત આપેલું છે. વાર્તાઓના ભાવનાવિધાનમાં બીજી એક ગૂંથણી નજરે ચડે છે; વ્રતોની વિધિની અને પરિણામની વચ્ચે કોઈ વિલક્ષણ મેળ મેળવાયો છે. ઉદાહરણથી એ સચોટપણે સમજી શકાશે : (1) વીરપસલીની કથામાં : વ્રતને દિવસે વીરાની વાટ જોઈને બેઠેલી બહેન રેંટિયો ફેરવે છે. ભાઈને આવતો ભાળતાં જ આનંદનો ઉમળકો ચડે છે : ત્રાગ તૂટી જાય છે : બહેનને હૈયે વહેમ પડે છે કે અરેરે! મારા વીરની આવરદા ત્રુટી! લે, ત્રાગડો સાંધીને જ ઊઠું, એટલે વીરની આવરદા પણ સંધાય : પછી તો સાપના કટકાવાળા ઝેરી લાડવાનું ભાથું લઈને ભાઈ ઘેર જવા નીસરે છે : મનમાં થાય છે કે કોઈ નવાણ આવે તો ભાથું ખાવા બેસું! પણ બહેને તો ત્રાગ સાધ્યો હતો ખરો ને, એટલે ભાઈની નજર સામે ચારેય દિશામાં ત્રાગડા ત્રાગડા જ દેખાય, રસ્તો દેખાય જ નહિ! એથી કરીને ભાઈ એ ઝેર ભેળેલું ભોજન જમવા બેસી શક્યો નહિ. દરમિયાનમાં તો બહેને ભાઈને આંબી લીધો. (2) શીતળાની કથામાં : માતાજી દરેક દુઃખી જીવનો પૂર્વજન્મ ઉકેલે છે તેમાં પણ જીવનની કરણી અને જીવનની ગતિ વચ્ચે સંવાદિત્ત્વ છે : વેદવાન બ્રાહ્મણ : ચારેય વેદ કંઠે હતાં : પણ કોઈને સંભળાવ્યા નહિ : વિદ્યા કોઠામાં સમાઈ જઈને સસડી ઊઠી : એટલે આ જન્મે મગરમચ્છ સરજાયો  : ધગધગતી વેળુમાં પડ્યો પડ્યો લોચે છે. બે દેરાણી-જેઠાણીઓ : ખાટી અને મોળી છાશ ભેગી કરીને પાડોશીને દેતી. તેથી આ ભવમાં બે તળાવડીઓ સરજાઈ; બેઉના પાણી પરસ્પર આવે-જાય પણ પંખીયે ઈ પાણી પીએ નહિ! પોતાની ઘંટીએ કોઈને દળવા ન દેનાર સ્ત્રી : મરીને સાંઢડી સરજાઈ : ગળે ઘંટીનું પડ બંધાયું છે. બાર ગાઉની સીમ ભટક્યા જ કરે છે. બે પાડા બાઝ્યા જ કરે છે : કેમ કે પૂર્વભવમાં એ બેઉ ગામ-પટેલો હતા. આંબાના ફળ કોઈ ખાતું નથી : કેમ કે પૂર્વભવમાં એ વાંઝિયો શ્રીમંત હતો : કોઈને દાન-પુણ્ય નહોતું કર્યું.


લોકજીવનનું સમાજશાસ્ત્ર

તેના અમુક અંગો આરસી-શી વ્રતકથાઓમાં પ્રતિબિમ્બિત થઈ રહ્યાં છે. લોકસાહિત્ય અમુક સ્વાર્થી સંબંધોથી સરજાયેલું ન હોવાથી તેમાંનું પ્રત્યેક પ્રતિબિમ્બ તે તે કાળ તથા સ્થળને વફાદાર જ હોવું જોઈએ. દૃષ્ટાંત તરીકે, શ્રાવણિયા સોમવારની કથામાં, પાપિષ્ઠા અપરમાએ નીંભાડામાં સંતાડેલો કુંભારણનો પુત્ર શોધવા જનારા રાજાએ પૂછ્યું : ‘બાઈ બાઈ, તારો નીંભાડો ઉખેળવા દે’. ‘મારો તો સવા લાખનો નીંભાડો હું કેમ ઉખેળવા દઉં?’ ‘લે બાઈ, તારા સવા લાખના નીંભાડા સાટે આ મારી અઢી લાખની હીરાની વીંટી.’ એમ રાજા પણ એ આરોપીને ગુનો પુરવાર થયા પહેલાં હાનિ ન કરી શકે, એવો પવિત્ર આદર્શ મહેકતો હશે. રાજાની રાણીઓ કુંભારણનાં વ્રતને પોતાનાં વ્રત કરતાં પણ ચડિયાતાં સાંભળીને ઈર્ષ્યા નથી કરતી પણ ગાજતેવાજતે અડવાણે પગે ચાલીને કુંભારણનાં વ્રત વધાવવા જાય છે, એમાં પણ રાજત્વનું સ્વરૂપ જોવાય છે. વનડિયાની વાર્તામાં રાણીઓથી પણ જ્યારે દેવળ પરનું સોનાનું ઈંડું ન ચડી શક્યું ત્યારે સતની અવધિ આવી રહી મનાઈ. એટલે કે રાજાની રાણીને શિર તો શિયળની સર્વોપરી નિર્મળતા સેવવાની જવાબદારી હતી. સાથે સાથે ‘ધ્રો આઠમ’ની છેલ્લી કથામાં રાજાને પૂરો બેવકૂફ પણ આલેખ્યો છે. પોતાની રાણીને પ્રસવમાં સાવરણી-સૂંથિયાં આવ્યાં એવું માની લેનારી ગંડુ મનોદશાની ત્યાં ઠેકડી કરવામાં આવી છે.


રૂઢિમુક્ત સજીવતા

હવે આચારની ચુસ્તતા સામે પણ જરૂર પડતાં એ સમાજ કેવી છૂટ લેતો હશે તેનું ઉદાહરણ વિચારીએ : સામાન્ય રીતે ધાર્મિકતાનો અતિરેક નિર્જીવ આચારોનું પણ કારાગૃહ સરજે છે. હવે આંહીં જુઓ. પરુષોત્તમ માસની કથામાં, આચારોનું કડક પાલન કરનારો ખુદ બ્રાહ્મણ પણ કહે છે કે : ‘કન્યાના ત્રણ ફેરા આ પોથી સાથે ફેરવી લઈ, ઘરે તેડી જાઉં અને ચોથો ફેરો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશ’. રૂઢિગ્રસ્ત ગણાતા નારીહૃદયમાં સમાજસુધારણાની આવી મુક્ત લહરી પણ વાતી હશે. એવો જ એક પ્રસંગ ‘વીરપસલી’માં આવે છે; વ્રત કરતી એ અભાગણી પતિત્યક્તા બહેનને, રોજ નાહી દેવતા પર ધૂપ કરી પછી જમવું, એટલો વિધિ કરવાનો હતો; પરંતુ એ સ્નાન કરવા જાય એટલે પાછળથી એની કુટિલ ભોજાઈઓ, ચૂલા માંયલો અગ્નિ ઓલવી નાખે. રોજ બહેનના વ્રતમાં વિઘ્નો નડે. પછી એ બોલી : ‘સારું, માડી! હું હવેથી કટુડિયામાં દેવતા લઈ ને સીમમાં જઈશ, વાછરુના કાનમાં દાણા મેલીશ, વાછરુ સાંભળશે ને વાર્તા કહીશ.’ એક બાજુથી વાર્તા કહેવાની વિધિ આટલી સખત : ‘વાર્તા નો કહીએ તો ઉપવાસ પડે.’ બીજી બાજુથી વાર્તા તો માનવીને બદલે વાછરુને પણ સંભળાવી શકાય. આચારની સખતાઈને આવી ઉદાર રીતે ઢીલી કરી શકાતી. એવો જ પ્રસંગ પુરુષોત્તમ માસની કથામાં છે. વાંઝિયાને ઘેર બ્રાહ્મણો જમવા જવાનું માનતા નથી એટલે વહુ ‘પીપળાને નોતરું દઈ આવે છે’. પશુ પંખી અને વનસ્પતિ વગેરે જીવસમસ્તમાં પોતાના સરખો જ પ્રાણ ધબકતો જોવાની દૃષ્ટિમાંથી જ આવી રૂઢિમુક્ત સજીવતા જન્મતી હશે.


નિરુપયોગિતાનો શાપ

સમાજજીવનની હૂબહૂ ભાવના તો શીતળા સાતમમાં સંઘરાયેલી પડી છે. એ નાળિયેર જેવડાં ફળથી લચકતો આંબો, એ મોતી સમાં નિર્મળા નીરે ભરેલી તળાવડીઓ, ને એ બાર ગાઉના સીમાડા ભમતી સાંઢડી : તમામનો વેદના-સૂર એ જ છે કે ‘શા માટે સમાજમાં કોઈ અમારી સમૃદ્વિનો ઉપયોગ નથી કરતું?’ નિરુપયોગી પડ્યા રહેવામાં હીન ભાગ્ય માનવાનો એ આદર્શ છે. ને ત્યાર પછી આવે છે સામાજિક પાપો અને તેની સજાનું વર્ણન : સમાજને શાસ્ત્રો ન સંભળાવનાર વિદ્વાન બ્રાહ્મણ, છાશમાં દગો કરનાર દેરાણી-જેઠાણી, અન્યને પોતાની ઘંટીએ દળવા ન દેનાર નારી, પરસ્પર કલહ કરનાર ગામ-પટેલો, સખાવત ન કરનારો સંતતિહીન શ્રીમંત, એ બધાં દુર્ગતિને પાત્ર ઠર્યાં, કેમ કે તેઓએ તે કાળની સામાજિક જવાબદારીઓ અદા ન કરી. એટલે કે તે સમયની સમાજરચનામાં પાડોશીધર્મ પ્રાણરૂપે હશે.


કુમારિકાઓનાં વ્રતો

એ તો જાણે કે વ્રતો નથી, પણ વર્ષોવર્ષ, ઋતુના રંગ અનુસાર, નાની કન્યાઓની સાથે રમવા આવતી તેવતેવડી સહિયરો છે. માનવદેહ ધરીને કુદરતવાર જ કુમારિકાઓના ઉલ્લાસ કવિતારૂપે પ્રકટ થાય છે. એ કુમારિકા-વ્રતોનું સાદામાં સાદું એક સ્વરૂપ લઈએ; કોઈ પણ સાંજરે નાની કન્યાઓ રમવા નીસરે, એમાંની જે કન્યા પહેલવહેલું ચાંદરડું આકાશમાં ઉદય પામતું નિહાળે, તે તરત જ હાથની કલ્પિત કંકાવટી કરી, કલ્પિત છાંટા ઉરાડી સૂત્ર સમું જોડકણું બોલવા લાગે :

પે’લું ચાદરડું મેં પૂજ્યું
પછી મારા વીરે પૂજ્યું,
આભલાં ડાભલાં
સોનાનાં બે ગાભલાં
કૂરડીમાં સાકર
ભાઈ બાપ ઠાકર
દરિયામાં દીવો
ભાઈ બાપ જીવો
સૂડી વચ્ચે સોપારી
મારો ભાઈ વેપારી
ધાન ખાઉં ધૂળ ખાઉં
ભાઈ ઉપરથી ઘોળી જાઉં.


પશુપ્રેમ

બસ! વર્ષની ત્રણસો ને સાઠ સંધ્યાઓનું એક અમર વ્રત ચાલુ થઈ ગયું. એક બાજુ પ્રકૃતિનું પૂજન ને બીજી બાજુ કૌટુમ્બિક પ્રીતિ : આભનો તારો, દરિયાનો કોઈ દીવો અને પોતાનો ભાઈ : એ ત્રણેય વચ્ચે કંઈક અગમ્ય સામ્યની દૃષ્ટિ : અને સહુ ઊર્મિની ટોચે કુટુંબ માથેથી ન્યોછાવર થઈ જવાની બલિદાનવૃત્તિ એનો સમુચ્ચય એટલે વ્રત! એવું જ વ્રત આંબરડા-ફોફરડાનું, પોષી પૂનમનું કે તુલસીવ્રતનું. કન્યા સમજણી થાય કે તરત જ કાર્તિકના શુક્લ પક્ષની વહેલી પરોઢે, છતે ચાંદરડે, ઠંડા પાણીનું સ્થાન કરી, અંધારામાં ને અંધારામાં ચાર નાનાં ફળો લઈ દેવમંદિરે દોડે, અને સાથિયા કરતી કરતી પશુજીવનની ભાવપ્રદ કલ્પનાનું જોડકણું ગુંજવા લાગે :

ગાય રે ગા
તું મોરી મા
નત નત ડુંગરે ચરવા જા
ચરી કરી પાછી વળી
ગંગાજી પાણી પીવા ગઈ
સામે મળિયો સિંહ ને વાઘ
વાઘ કે’ મા તને ખાઉં
ના રે, ભાઈ, મને નો ખવાય
મારા છાણનો ચોકો થાય
મારા ઘીનો દીવો બળે
મારું દૂધ મહાદેવને ચડે

પશુઓ પ્રત્યેની પ્રત્યુપકારબુદ્ધિ, જીવનની વિશુદ્ધિ અને કિલ્લોલ કરતી તિતિક્ષા : એ બધું સ્વંયપ્રેરિત; કશું બલાત્કારમાંથી ઉદ્ભવેલું નહિ. મોળાકત, અહલીપહલી ઇત્યાદિ કુમારિકા-વ્રતોમાં પણ એ જ કૌટુમ્બિક ભાવના ને એવી કાવ્યમય કલ્પના વિલસી રહી છે. મોળાકત તો ‘ગૌરી’નું-ગોર્યનું વ્રત છે. પણ ‘ગોર્યમા’ની એ બાળકલ્પનામાં કશું ભયંકર ઠાઠભર્યું કે કઠોર તત્ત્વ નથી. ‘ગોર્યમા’ તો જાણે કોઈ ફોસલાવી શકાય, ખોળામાં રમી શકાય ને અંતર ખોલીને જેની કનેથી —

કંથ દેજો કહ્યાગરો
નણંદ દેજો સાહેલડી
સાસુ દેજો ભુખાળવાં
સસરો દેજો સવાદિયા

— એ બક્ષિસો માગી શકાય તેવાં બાળાભોળાં જ કલ્પાયાં છે.


કઠોર રેખા ભૂંસી

એટલું જ બસ નથી. જ્યારે જ્યારે પૌરાણિક વ્રતને પણ આ કુમારિકાઓનાં લોક-વ્રતોમાં પેસી ગયેલું આપણે જોઈએ છીએ ત્યારે પણ લોકકવિએ એ વ્રતની અસલની તમામ કઠોર રેખાઓને ભૂંસી નાખી, ફળ અને શિક્ષાના અતિશયોક્તિભર્યા ભયાનક ખ્યાલો અળગા મેલી, પાંડિત્યની બધી પરડ ચૂંટી કાઢી, પોતાના કલ્પનાના કોમલ સ્પર્શ વડે સૌમ્ય સ્વરૂપ ઘડી કાઢ્યું છે. ‘તુલસી-વ્રત’ લ્યો. તુલસી-વ્રત એટલે કાર્તિક સુદ એકાદશી, દેવદિવાળી. ‘વ્રતરાજ’માંનું એનું પૌરાણિક વર્ણન અસહ્ય થઈ પડે તેવું છે. હવે એને લોકકન્યાઓએ કેવી રીતે સાદું બનાવી કાઢ્યું? તુલસીને જેમ શ્રીકૃષ્ણ સરીખો સ્વામી મળ્યો, તેમ મને પણ મળો, સંસારમાં હું સામાન્યપણે સુખી રહું, એટલી જ સાદી સરળ વાંછનાથી પ્રેરાઈને કન્યા કહે છે :

તુલસીમા તુલસીમા
વ્રત દ્યો, વરતોલા દ્યો.

ત્યારે તુલસીમા કહે છે —

તમથી વ્રત થાય નહિ
ને વ્રતનો મહિમા પળાય નહિ.

હઠીલી કુમારિકા કહે છે —

થાય તોય દ્યો
નો થાય તોય દ્યો!

ત્યારે સુંવાળી વાણીમાં માતાજી સમજાવે છે :

અષાઢ માસ આવે
અંજવાળી એકાદશી આવે
સાતે સર્યે સાતે ગાંઠે દોરો લેવો
નરણાં ભૂખ્યાં વાર્તા કહેવી,
વાત ન કહીએ તો ઉપવાસ પડે.

વાર્તા કહેવાની પ્રથાને ચિરંજીવ કરવા માટે હળવું છતાં કડક બંધન મૂકી દીધું. અને કાવ્યમયતા તો હવે આવે છે; વાર્તા કોને કહેવી અને શી રીતે કહેવી?

પીપળાને પાન કહેવી
કુંવારીને કાન કહેવી
તુલસીને ક્યારે કહેવી
ઘીને તો દીવે કહેવી
બામણને વચને કહેવી
સૂરજની સાખે કહેવી.

આટલા શબ્દોમાં જ આર્ય ગૃહજીવનની શાંત વિશુદ્ધિનો — મરજાદી ચોખ્ખાઈનો નહિ — સર્વાંગસુંદર આભાસ થઈ જાય છે. આપણી આસપાસ જાણે એ જીવનશુદ્ધિની સુવાસ ફોરે છે. અને એ વ્રતનું ઉજવણું પણ સાદું : વ્રતની પાછળ રહેલી કામના શુદ્ધ સાંસારિક : કોઈ દેવને વસમી ન પડે તેવી :

પે’લે વરસ લાડવો ને ઘાડવો
આવે ચોખો જનમારો
બીજે વરસ મગનું કૂંડું
આવે રે એવાતણ ઊંડું
ત્રીજે વરસ સાળ સૂપડું
આવે રે સંસારનું સુખડું
ચોથે વરસે ચરણાં ચોળી
આવે ભાઈપૂતરની ટોળી
પાંચમે વરસે ખીરે ખાંડે ભર્યાં ભાણાં
આવે શ્રીકૃષ્ણનાં આણાં.

સાચાં ને સ્વાભાવિક બંગાળી કુમારિકા-વ્રતોમાં પણ આવી રીતે કૌટુંબિક જીવનની જ માંગણી હોય છે. કુટુમ્બજીવનની એ પ્રીતિને જાણે કે પ્રકૃતિના ધાવણમાંથી જ ધાવતી ગુર્જર કન્યાઓ ગાતી —

ગોવિંદજી રે તમે આરી દેજો ઝારી દેજો
ગોઠડીએ બે બેન્યું દેજો
આણે પરિયાણે વીરોજી દેજો.
રાંધણીએ વવારુ દેજો
પીરસણે માતાજી દેજો
હે હર શંકર, દિનકર નાથ,
કખનો ના પડિ જેને મૂર્ખેર હાત.
પાટલે જમવા બાપ દેજો
ભેળો જમવા ભતરીજો દેજો!

પોષી પૂનમના વ્રતમાં પણ પ્રકૃતિપૂજન અને કૌટુંબિક મમતા કાવ્યની વાણી માટે વ્યક્ત થાય છે. આઠ-આઠ વર્ષની કન્યાએ નદીએથી સ્વહસ્તે માંજીને નાનું બેડું ભરી આપવું અને અલાયદો ચૂલો કરીને ઉઘાડા આભ નીચે છાપરા વિનાની જગ્યાએ જ રસોઈ કરવી : બનતાં સુધી અગાશી જ પસંદ કરવી. ગાય છે કે —

પોષ મહિનાની પૂનમે રે
અગાસે રાંધ્યાં અન્ન વા’લા.

અને પછી એક ચાનકી કરી, તેમાં કાણું પાડી ચંદ્રની ચાડે ધરી, કાણા વાટેથી ચંદ્રને નિહાળી કાવ્ય સંબોધવું કે —

ચાંદા તારી ચાનકી
મારું ચૂરમું
ભાઈ જમ્યો
બે’ન ભૂખી!

અને પછી —

ચાંદા તારી ચાનકી
કૂતરા તારી રોટલી
આજ મારી પોષી પૂનમ!

એટલું કહી કૂતરાને રોટલી નાખવી : તે પછી

પોષી પોષી પૂનમડી
અગાશીએ રાંધ્યા અન્ન
ભાઈની બે’ન જમે કે રમે?
જમ્ય બે’ન જમ્ય!

એ ભાઈની રજા લઈ ને જ પોતાનું રાંધેલું અન્ન પૂર્ણ ચંદ્રકળાની નીચે બેઠાં બેઠાં જમવું : એ બધી ક્રિયા કોઈ શાસ્ત્રીય વ્રતમાંથી નહિ જડે. એ વ્રતના ગર્ભમાં શી શી ભાવનાઓ વિલસી રહી છે? સંપૂર્ણ સ્વાશ્રય : એક દિવસનો ગૃૃહસંસાર : ઉઘાડા ગગન સાથે મહોબ્બત : ચંદ્રિકાની તેજ-ઔષધિઓનું રસોઈમાં ઝિલાવું : આભના ચંદ્ર અને ધરતીના ‘ભાઈ’ વચ્ચે સામ્યની દૃષ્ટિ : અને નાની કન્યાના અંતરમાં આટલી એકસામટી પ્રેરણા પૂરવાનું સહજ કાર્ય આ વ્રત કરી આપે છે. આ વ્રતને આપણે એક કાવ્ય જ કાં ન કહીએ?


બંગાળનાં લોકવ્રતો

આપણાં ને બંગાળનાં અમુક કુમારિકા-વ્રતો તો મળતાં આવે છે. આપણાં મોળાકત જેવું જ એનું ‘શસપાતા’ વ્રત છે. એમાં પણ જવેરા અને જાગરણ છે, એ કુમારિકાઓના ઉદ્ગારોમાં પણ આપણી માફક જ કૌટુમ્બિક સુખની યાચના પ્રવાસે પળેલા સ્વજનોની મંગલ વાંછના છે; ગાય, પીપળા અને ધરતીને વંદના છે, વેદગાથાને સ્મરાવે તેવા કલ્પનાવૈભવ છે, બારેય માસનાં ભિન્ન ભિન્ન ઋતુ-સ્વાગતો છે. એની બરોબરી તો આપણું ગુર્જર વ્રતસાહિત્ય કરી શકે તેમ નથી. આ બંગાળી કુમારિકા-વ્રતોને શુદ્ધ કંઠસ્થ સ્વરૂપે ‘ઠાન દિદિર થલે’, (‘દાદીમાની બચકી’) નામના પુસ્તકમાં શ્રી દક્ષિણરંજન મજમુદારે સંઘર્યાં છે અને તેના પરથી ‘બાંગ્લાર વ્રત’ (‘બંગાળનાં વ્રતો’) નામક એક બંગાળી ગ્રંથ વિશ્વવિખ્યાત કલાધર અવનીન્દ્રનાથ ઠાકુરે લખ્યો છે, ને તેનો ફ્રેન્ચમાં અનુવાદ પણ થયો છે. એ ગ્રંથમાંથી સારભાગ અત્રે ઉતારેલ છે.


બંગાળનું વ્રતસાહિત્ય
અવનીન્દ્ર ઠાકુરને થયેલ દર્શન

આપણા દેશમાં (બંગાળમાં) બે જાતનાં વ્રતો પ્રચલિત દેખાય છે : (1) શાસ્ત્રીય વ્રત, (2) મેયેલી વ્રત. આ ‘મેયેલી વ્રત’ના બે વિભાગ છે : (1) કુમારી–વ્રત : જે પાંચ-છથી આઠ-નવ વર્ષની કુમારિકાઓ કરે છે; અને (2) નારી-વ્રત, જે વિવાહીત સ્ત્રીઓ કરે છે. આમાંથી શાસ્ત્રીય અથવા પૌરાણિક વ્રતો હિન્દુ ધર્મની સાથોસાથ આ દેશમાં પ્રચાર પામ્યાં છે, અને આ બન્નેથી નિરાળાં મેયેલી વ્રતો, તેમાં રહેલાં અનુષ્ઠાનો ઝીણવટથી તપાસતાં પુરાણોની પૂર્વેના સમયમાં માલૂમ પડે છે. એની અંદર હિન્દુ પૂર્વેના તેમજ હિન્દુ ધર્મના, બન્નેના સેળભેળનો ઇતિહાસ સ્પષ્ટ નિહાળી શકાય છે. શાસ્ત્રીય વ્રત : એમાં સહુથી પ્રથમ તો સામાન્ય વિધિ જેવી કે આચમન, સ્વસ્તિ, વચન-સંકલ્પ ઇત્યાદિ આવે; પછી બ્રાહ્મણને દાનદક્ષિણા દેવાય ને કથાનું શ્રવણ થાય. આ થઈ પૌરાણિક વ્રતની રચના. નારીવ્રત : શાસ્ત્રીય વ્રતો અને કુમારિકા-વ્રતોની મિલાવટ કરીને રચેલાં આ વ્રતો છે. એમાંથી વેદવિધિઓની ગંભીરતા તેમજ સજીવતાયે ચાલી ગઈ છે, લોકવ્રતોની સરળતા પણ લગભગ નાશ પામી છે, પૂજારી બ્રાહ્મણ અને સામાન્ય ક્રિયાકાંડના જટિલ અનુષ્ઠાન-ન્યાસ-મુદ્રા-તંત્રમંત્રનું જ મહત્ત્વ સ્થપાઈ ગયું છે.


'કુમારિકા-વ્રત

શુદ્ધ અસલી સ્વરૂપે તો આ વ્રતો જ રહ્યાં દેખાય છે. એમાં રંગોળી, કન્યાની જે મનકામના હોય તે મુજબની જ ચિત્રાકૃત્રિ, એના ઉપર ફૂલ ધરવું અને જો કોઈ વ્રતકથા હોય તો તે સાંભળવી, બસ એટલું જ છે. એમાં પૂજારી અને તંત્રમંત્રને સ્થાન જ નથી. શાસ્ત્રીય વ્રતો ન તો પ્રાચીન રીતરિવાજોની ચર્ચામાં કામ લાગે, ન લોકસાહિત્યમાં લઈ શકાય, કે ન તો લૌકિક ધર્માચારનું સંશોધન કરવામાં મદદરૂપ થાય. લોક-સમુદાયની સાથે એને સાચો સંબંધ જ નથી. લોકોની રહેણીકરણી અથવા વિચારણાની છાપ જ તે વ્રતો ઉપર નથી. સાચાં મેયેલી વ્રતોમાં — તેનાં જોડકણાંમાં તેમ જ તેની રંગોળીમાં — તો એક પ્રજાના હૃદયની, વિચારણાની ને જીવનની સ્પષ્ટ છાપ દેખાય છે — જેવી રીતે વેદના સૂક્તોની અંદર આર્ય જાતિનું ચિંતન, એનો ઉદ્યમ ને એનો ઉલ્લાસ ખીલી નીકળતાં દેખાય છે. વેદના સૂક્તો અને આ મેયેલી વ્રતોનું સાહિત્ય, બન્નેની અંદર લોકસમુદાયની આશાઓ,આશંકાઓ, ચેષ્ટાઓ અને મનોકામનાઓ વ્યક્ત થાય છે અને તેથી જ બન્નેની વચ્ચે એક સુંદર મેળ છે. નદી, સૂર્ય ઇત્યાદિ અનેક દેવતાઓ છે. તેઓને સંબોધીને આ મેયેલી વ્રતોમાં પણ જોડકણાં બોલાયાં છે. દૃષ્ટાંત તરીકે, વેદયુગમાં ઉષાનું આહ્વાન કરતાં ઋષિએ ગાયું કે

સૂર્યની માતા, શુભ્રવર્ણા, દિપ્તીમય ઉષા આવે છે.

અને સૂર્યને સંબોધીને લલકાર્યું કે

એના અશ્વો એને આખા જગતથી ઊંચે ઠેરવી રહ્યા છે.

વળી સમસ્ત નદીઓને સંબોધીને વેદ-કવિ ગાય છે કે

નિરનિરાળાં નીર એકત્ર મળે, અન્ય જલો પણ
તેઓની સાથે આવીને ભળે, ને એ સર્વે મળી સમુદ્રના વડવાનલને પ્રસન્ન કરે

હવે, શાસ્ત્રીય વ્રતોમાં પ્રચલિત જે કૃત્રિમ, કવિત્વહીન અને આડમ્બરી સૂર્યસ્તવન છે તેની સાથે ઉપરની વેદની કવિત્વભરી વાણીને સરખાવીએ :

નમ: નમ: દિવાકર ભક્તિર કારન
ભક્તિરૂપે નાઉ પ્રભુ જગત્-ચારન
ભક્તિરૂપે પ્રતાપ કહિલે તૂયાપાય
મનોવાંછા સિદ્ધ કરેન પ્રભુ દેવતાય

આમાં વેદગાથાનો સૂર્ય અને શાસ્ત્રીય વ્રતોનો સૂર્ય : બન્ને વચ્ચેનો તફાવત જોઈ શકાય છે. હવે શુદ્ધ મેયેલી વ્રતનાં જોડકણાંની અંદર સૂર્યને, ઉષાને અને નદનદીઓને કેવા ભાવે લોકોએ વર્ણવ્યાં તે જોઈએ :

સાત સમુદ્રે વાતસ ખેલે,
કોન સમુદ્રે ઢેઉ તુલે.

[સાત સમુદ્રે વાયુ ખેલે
કયો સમદર છોળ ઉછાળે!]

ઊરૂ ઊરૂ દેખા જાય બડ બાડી,
એ જે દેખા જાય સૂર્યેર માર બાડી.
સૂર્યેર મા લો! કિ કર દુવારે બસિયા,
તોમાર સૂર્ય આસ્તેછેન જોડ ઘોડાતે ચડિયા.
[ઓ પેલા દેખાય મોટા મોટા મહેલ,
એ તો બહેન સૂરજની માતાના મહેલ.
સૂરજની મા! સૂરજની મા! બારે બેસીને તે શું કરે રે,
ઘોડલાંની જોડ, ઘોડલાંની જોડ,
આવે ચડીને તારો બેટડો રે.]

ત્યાર પછી વસન્તઋતુની ચંદ્રકલાની સાથે સૂર્યના પ્રણયનું એક રૂપક જોઈએ :

ચંદ્રકલા માધવેર કન્યા, મોલિયા દિછેન કેશ,
તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન નાના દેશ.
ચંદ્રકલા માધવેર કન્યા મેલિયા દિછેન સાડી,
તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન બાડી બાડી.
ચંદ્રકલા માધવેર કન્યા ગોલ ખાડુઆ પાય,
તાઈ દેખિયા સૂર્ય ઠાકુર બિઆ કરતે ચાય.
[માધવની કન્યા ચંદ્રકળા મોકળા મેલે કેશ,
એ દેખીને સૂરજ રાણો ભમે દેશે દેશ.
માધવની કન્યા ચંદ્રકળા પાલવ મેલે છૂટો,
એ દેખીને સૂરજ રાણો ઘરઘર હીંડે જોતો.
માધવની કન્યા ચંદ્રકળા પહેરે રૂપા-કાંબી,
એ દેખીને સૂરજરાણે વિવાની રઢ માંડી.]

હવે, વેદનાં સૂક્તોનો અંગ્રેજી ભાષામાં સુંદર તરજૂમો થયો છે, અને આ વ્રતનું જોડકણું તો બાપડું ચાલુ બંગાળી ભાષામાં છે; તેથી કરીને વેદનું સૂક્ત લાગે છે જરા ગંભીર, ને વ્રતનું જોડકણું લાગે છે છોકરાની રમત જેવું! પણ જો એનોયે અંગ્રેજી તરજૂમો કરીએ તો એ બન્નેમાં એક જ વસ્તુ દેખાશે : Young Moon, daughter of the spring, has untied tresses, and the sun goes seeking her through many lands. Spring’s daughter the young Moon has unfolded her silver robe and the sun peeps into many houses seeking her. The Slender Moon, the Spring’s lovely maiden is wearing the silver anklet, seeing which the Sun seeks her union in marriage.


પ્રાચીનતા

પરંતુ તે પરથી કાંઈ એમ ન કહી શકાય કે પુરાણોને તોડીને શાસ્ત્રીય વ્રતો બનાવ્યા છે, તેમ વેદોને છૂંદીને આ ‘મેયેલી વ્રતો’ સરજ્યાં છે, કેમ કે તમામ પ્રાચીન જાતિઓના ઇતિહાસમાં જોઈ શકાય છે કે, શું મિસરમાં, શું મેક્સિકોમાં કે શું ભારતવર્ષમાં, અસલનો માનવી વાયુ, સૂર્ય અને ચંદ્રમા વગેરેની ઉપાસના કરતો હતો. બન્યું છે એવું કે એક તરફથી ભારતવર્ષમાં પ્રવાસી રૂપે આવેલા આર્યોની વ્રતવિધિઓ ચાલતી હતી અને બીજી બાજુ ભારતવર્ષના અસલ નિવાસીઓનાં વ્રતો ચાલતાં હતાં. એકે તપોવનની છાયાનો આશરો લીધો હતો અને બીજાં નદીતટ પરનાં નાનાં ગામડાંના શાન્ત ઝૂંપડામાં રહેતાં. આ પ્રવાસી અને નિવાસી બંને પ્રજાદળની અંદર રહેતી હતી. હિન્દુ જાતિ કે જેણે સમસ્ત દેવતાની અંદર વેદના દેવતાઓને જ વિરાટ દેખ્યા, અને જેમણે ભારતવર્ષની અસલ નિવાસી પ્રજાના હૃદય પર તેઓની સમસ્ત રહેણીકરણી ને વિચારણાની સ્વતંત્ર સ્ફૂર્તિ દબાવી દઈને પોતાના જ આચારવિચારો છાપી દેવાનો આગ્રહ ધરાવ્યો હતો. વેદ ને પુરાણ, અને પુરાણોથીયે પુરાણાં જે આ લોક-વ્રતો, એ બન્ને બે મહાન પ્રજાઓના પ્રાણની મહાકથાઓ છે.


પૃથ્વીનું મમત્વ

આર્યો અને આર્યોના પૂર્વગામીઓ’ એ બન્નેનો સંબંધ પોતાની જન્મભૂમિ આ પૃથ્વીની જ સાથેનો હોવાથી બન્ને પ્રજાની મનોકામનાઓ પણ ઘણુંખરું આ પૃથ્વીની જ સાથે જોડાયેલી છે; એટલે કે ધન, ધાન્ય, સૌભાગ્ય, લાંબું આયુષ્ય — એવી તમામ ધરતીની વસ્તુઓ સાથે જ તેઓનો આત્મા જડાયેલો દેખાય છે. આ વાત તેઓનાં વ્રતોમાં છુપાયેલી છે. ઉદાહરણ તરીકે વેદના સૂક્તો વાટે પુરુષોએ ચાહના પ્રગટ કરી કે ‘ઈન્દ્ર અમને સહાય આપો! એ અમને વિજય અપાવો! શત્રુઓ દૂર નાસી જાઓ!’ ઇત્યાદિ. અને બંગાળી વ્રતો વાટે નારીજાતિના પ્રાણે યાચના કરી કે :

રને રને એયો હવ
જને જને સૂયો હવ
આકાલે લક્ષ્મી હવ
સમયે પુત્રવતી હવ

હવે, શાસ્ત્રીય વ્રતોમાં પ્રગટ થયેલ પરલોક-ફળની વાંછના જુઓ :

વસુમાતા દેવી ગો! કરી નમસ્કાર
પૃથિવીતે જન્મ જેન ના હય આવાર!

પૃથ્વીની વસ્તુઓ પરના આ ઘોર વૈરાગ્યની અંદર જે અસ્વાભાવિક પ્રાર્થના અને કલ્પના છે, તે નથી વેદની, વા તો નથી વ્રતોની. વેદનાં સૂક્તો અને વ્રતોનાં જોડકણાં બન્ને આપણી રૂપકથા માંહેલા ગરૂડપંખી અને ગરૂડપંખણી સાથે સરખાવી શકાય. બન્ને પૃથ્વી પરનાં છે, છતાં વેદનાં સૂક્તો ઉન્મુક્ત ને સ્વતંત્ર છે; અરણ્યોની નીલિમા પર આસમાનમાંથી વરસતા નર-પંખીના ગાન સરખાં છે; વિશાળ પૃથ્વીના વિહારી એ પુરુષકંઠના લલકાર સમાં છે; જ્યારે વ્રતોનાં જોડકણાં, જાણે કે માળામાં બેસીને લીલી ઘટાના અંતરાલમાંથી ગાતી પંખણી માદાના મધુર કિલકિલાટ સરીખાં છે. છતાં બન્ને ગાન આ ધરતીના જ સૂરમાં બંધાયેલાં છે.


વિધિની રહસ્યમયતા

શાસ્ત્રીય વ્રતોમાં, દરેકને લગતી મનકામના ભલે ભિન્ન ભિન્ન હોય, છતાં તેની ક્રિયા વા વિધિ બ્રાહ્મણ એક જ તરેહની કરાવે : એક જ મંત્ર! માત્ર તેમાં દેવ કે દેવીનાં નામ બદલાય; અને અન્ય વિધિઓ પણ એક જ સરખી. સાચાં લોક-વ્રતોમાં એમ નથી. ત્યાં તો જે મનકામના હોય, તેની સાથે બંધબેસતી ક્રિયામાં જ અંતરેચ્છા પ્રગટ થાય. દૃષ્ટાંત : વૈશાખ માસમાં સરોવરો સુકાઈ ન જાય, ગરમીમાં વૃક્ષો મરી ન જાય, તેવી પ્રાર્થનાને પ્રકટ કરવા માટે ‘પૂર્નિપુકુર વ્રત’ની અંદર, સરોવરની રચના કરવી જોઈએ, તેમાં બીલી-વૃક્ષની ડાળખી ચોડવી જોઈએ, સરોવરમાં છલોછલ પાણી ભરવું જોઈએ ને તે પછી પેલી ડાળીને ફૂલમાળા આરોપવી પડે તથા સરોવરની ચોપાસ ફૂલોના શણગાર કરવા પડે. એ જ રીતે તમામ વ્રતોની વિધિમાં કન્યાઓની વાંછનાને અનુરૂપ રચના થાય છે.


દટાયેલો ઇતિહાસ

આ વ્રતો તો માનવીની સાધારણ સંપત્તિ છે. અમુક ધર્મ કે અમુક જ જાતિના વાડાઓમાં એ બંધાયેલી નથી. ઋતુઓના પરિવર્તનની સાથોસાથ માનવદશામાં જે પલટો આવે છે, એ પલટાની સ્થિતિને વટાવી જવાની ઈચ્છામાં જ આ વ્રતક્રિયા ઉત્પન્ન થાય છે. નિરનિરાળી વિધિ માટે માનવી મનકામના સફળ કરવા માગે છે, એનું નામ જ વ્રત. પુરાણ જેટલા જ પુરાતન બલકે તેથીયે પુરાતન માનવીનું રચેલું એ વિધાન છે. આટલા બધા પ્રાચીન કાળની આ સંપત્તિ બંગાળીઓને ઘેરઘેર આજ પર્યંત શી રીતે ચાલુ રહી ગઈ? ઉત્તર એ છે કે આપણાં સમાજનો બહિરંશ છો ને ચાહે તેટલો બદલી ગયો, પણ આપણું અંત:પુર તો તેની સાથે નથી જ પલટાયું. એ તો ગઈ કાલે, પરમ દિવસે, બલકે તેથીયે અને તેનાથીયે પૂર્વે જે હતું તેનું તે જ આજે પણ છે. એટલે જ આ નારીવ્રતો ત્યાં જળવાઈ રહ્યાં. માનવી મરી જાય, પ્રજાએ પ્રજાનો લોપ થઈ જાય, છતાં તે પ્રજાના આચાર અને વિચારનો પ્રવાહ તો તેઓની પાછળ પણ વહેતો જ રહેવાનો. અમેરિકાના અસલ આદિવાસીઓની એવી દુર્દશા ખ્રિસ્તીઓએ કરી કે તેઓને પૃથ્વી પર રહેવાની જગ્યા જ ન રહી, તેમ છતાં તેઓનું શિલ્પ, તેઓનાં મંદિરો, મઠો અને તેઓનાં ઘરબાર, કંઈક માટીની અંદર, કંઈક માટીના પડને માથે અરણ્યોમાં, અને વળી કેટલાંક લોકસ્મૃતિની અંદર અંત:પુરમાં સચવાઈ રહ્યાં : મરનારાઓને મુખેથી જ મરનારાઓનો ઇતિહાસ બોલાવવાને માટે! બંગાળનાં આ વ્રતો પણ તે જ પ્રમાણે આપણી પુત્રીઓ દ્વારા કોઈ વાર રંગોળીના શિલ્પ વાટે, કોઈવાર કવિતા અને નાટક વાટે, કોઈ વાર કલા અને સાહિત્ય વાટે, ને કોઈ વાર વળી ધર્મની ક્રિયા વાટે સંઘરાઈ રહેલાં, પેલી પ્રાચીન જાતિના જીવનના ઇતિહાસ સરીખાં છે. વ્રતોની અંદર એ પ્રાચીન કાળની નાટ્યકલા, નૃત્યકલા, ચિત્રકલા, સંગીતકલા, ઉપાખ્યાન પર્યંતની સામગ્રી સાંપડી રહી છે. અને તેથી આ વ્રતો તુચ્છકારવા જેવાં નથી.


જંગલી નથી

અને જેની અંદરથી સભ્ય જાતિનાં આવાં સુલક્ષણો મળી આવે છે, એ વ્રતોને આપણે કોઈ જંગલી પ્રજાની અંધશ્રદ્ધાનું પ્રદર્શન કહીને જ કેમ પતાવી શકીએ? આર્યો જેઓને જંગલી વ્રતો કરનારા અને નિરુદ્યમી લૂંટારાઓ એવે નામે ઓળખે છે, તેઓનું તો આ વ્રતોની અંદરથી અને શિલ્પચિત્રના ઇતિહાસમાંથી આપણને તદ્દન ઊલટું જ ઓળખાણ થાય છે. જેમ કે વાસ્તુવિદ્યા એ મયશાસ્ત્ર છે. હવે, મય તો દાનવ હતો! વળી આર્યો તો જ્યારે યુદ્ધવિજયની મનકામના ઇંદ્રના હોમહવન વાટે કરતા હતા, ત્યારે બીજી બાજુ આ જંગલી વ્રતો કરનારાઓ તો અસ્ત્રશસ્ત્રો અને ગઢકિલ્લા બાંધી રહ્યા હતા — ઈન્દ્રને ખુશ કરવા નહોતા બેસી રહ્યા. તેમજ તેઓની કન્યાઓ પણ કેવાં વ્રતો કરતી! ‘રને રને એયો હવ!’ : જેની પુત્રીઓ આવી પ્રાર્થનાઓ કરી શકે તેને ભલે તમે જંગલી કહો, પણ તેથી તેઓની સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિથી ઊતરતી હતી એમ ન કહી શકાય. રણચંડીઓની જે મૂર્તિ આ વ્રતનાં જોડકણાંની અંદર ખડી થાય છે, અબલાઓના હૃદયનો જે એક સંયમવંત સુંદર આદર્શ મૂર્તિમંત થાય છે, તે આદર્શ અને તે મૂર્તિની સરજનહાર પ્રજા જંગલી કેમ હોઈ શકે?

[ત્યાર પછી આ કલાકાર વિદ્વાન હિન્દુ ધર્મની અનુદારતા ઉપર ઊતરે છે. આ અસલી પ્રજાનાં વ્રતો કે જેને અનુસરતાં વ્રતો બોહિમિયામાં, ગ્રીસમાં ને મિસરમાં પણ ચાલુ છે તેને પણ હિન્દુ ધર્મની માલિકીનાં બનાવી લેવાની અને પોતાના સ્વાર્થ કારણે અનેક તિથિમાહાત્મ્યનાં કલ્પિત વ્રતો ઘડી કાઢવાની બ્રાહ્મણની યુક્તિપ્રયુક્તિઓ ઉઘાડી પાડે છે અને બતાવે છે કે એ બ્રાહ્મણરચિત દધિસંક્રાન્તિ, ગુપ્તધન, ધૃમસંક્રાન્તિ, દાડિમસંક્રાન્તિ, બ્રાહ્મણાદર ઇત્યાદિ રસહીન કૃત્રિમ વ્રતોથી નિરાળાં આ લોકવ્રતોમાં તો શાસ્ત્રને કે બ્રાહ્મણને સ્થાન જ નથી. તેમાં તો ઋતુઓના ઉત્સવ છે. પછી તો એની કલમ કાવ્ય વહાવે છે :]


જીવનયાત્રાની છબી

વ્રતોનાં જોડકણાં પૂર્વ બંગાળનાંયે જુદાં, પશ્ચિમ બંગાળનાંયે જુદાં, છતાં તે વાંચીએ છીએ ત્યારે ગામડાંની, કુદરતી જીવનયાત્રાની એવી એક સ્વચ્છ છબી આપણાં અંતરમાં જાગી ઊઠે છે કે જે કોઈ પણ શાસ્ત્રીય વ્રતમાં આપણને નહિ જડે. દૃષ્ટાંત લો : પોષ માસમાં આ દેશમાં ઠંડી સખત પડે છે, અને આ વ્રત સવારનું છે. તેથી અનાયાસે કલ્પના કરી શકીએ છીએ કે અનેક યુગો પૂર્વેના બંગાળના કોઈ એક ગામડા ઉપર રાત્રિનો શ્યામ પડદો આસ્તે સરી પડ્યો હશે; ગામની ઉપર ઝકુંબેલા મોટાં વૃક્ષોને માથે હજુ કોઈ પાતળી ચાદર સરીખી ઝાકળ પથરાયેલી હશે; પ્રભાત ઝાકળબિન્દુઓથી જરી જરી ભીંજાયેલું હશે; ગામની વાડે વાડે, અને ઘરોને છાપરે છાપરે, સિમ-વૃક્ષનાં લીલાં લીલાં પાંદડા ઝૂલતાં હશે; ખેતરે ખેતરે રાઈ અને સરસવનાં ફૂલ, દૂધ અને હળદરનાં ફીણ સરીખાં ઊજળી રહ્યાં હશે; તે વખતે રામપાતરમાં રીંગણાનું પાંદડું રોપી, માટી ભરી, કુમારિકાઓ ટોળે વળીને ‘તોષલા વ્રત’ ઊજવવા ખેતરો તરફ ચાલી નીકળી અને ત્યાં જંગલી ફૂલો વડે વ્રતનો આ રીતે આદર થયો હશે; પ્રથમ તોષલા (સંતોષ દેનારી, ધાન્ય દેનારી) દેવીનું આવાહન કરે છે :

તૂષ-તૂષલી, તૂમિ કે
તોમાર પૂજા કરે જે
ધને ધાન્યે બાડન્ત
સુખે થાકે આદિ અંત
[તોષલા દેવી, કોણ છો તમે?
તમારી પૂજા જે કરે
ધને ધાને અભરે ભરાય
જીવતાં સુધી સુખી થાય.]

પછી વ્રત-સામગ્રી વર્ણવાય છે :

ગાઈયેર ગોબર, સરષેર ફૂલ
આસન પિડિ, એલો ચૂલ
પૂજા કરિ મનેર સુખે
સ્વર્ગ હતે દેવી દેખે
[ગાયનું છાણ, સરસવનાં ફૂલ
બાજઠ બેસી, છૂટે કેશ
પૂજા કરીએ મનને સુખે,
સ્વર્ગેથી જગદમ્બા દેખે.]

‘બાજઠ બેસી છૂટે કેશ’ : મેક્સિકોની રમણીઓ ‘છૂટે કેશે’ જે વ્રત કરે છે તેની આ પ્રતિછબી મળે છે. પછી કન્યાઓ પાતાની મનવાંછના જણાવે છે :

કોદલ-કાટા ગન પા’વ
ગોહા’લ-આલો ગુરુ પા’વ
દરબાર-આલો બેટા પા’વ,
સભા-આલો જામાઈ પા’વ
મેજ-આલો ઝિ પા’વ
આડિ-માપા સિંરૂર પા’વ
[કોદાળીએ ખોદાય એટલું ધન દેજો!
ગમાણ-દીવો ગોધલો દેજો!
દરબાર દીવો દીકરો દેજો!
સભા-દીવો જમાઈ દેજો!
મેજ-દીવો દીકરી દેજો!
માણું પાલી હિંગળો દેજો!
ઊંચા કુળમાં અવતાર દેજો!
ઘર દેજો નગરમાં
ને મૃત્યુ દેજો સાગરમાં!]

પછી તો પોષ માસની સંક્રાંતિને દિવસે સૂર્યોદય પહેલાં કન્યાઓ વ્રત વધાવી લઈને, એક કોડિયામાં ઘીનો દીવો પેટાવી, કોડિયાં મસ્તકે મેલી, હારબંધ નદીમાં સ્નાન કરીને તોષલાદેવીને ડુબાવવા જાય છે. પગ તળે ઠંડી માટી છે. ઠંડો વાયુ સૂસવે છે, અને નદીના શીતળ નીરનો સ્પર્શ થતાં કાયા કમ્પે છે. આવાં શીતળ જળ, સ્થળ અને આકાશની સામે કન્યાઓ નદીતીરે જતાં જતાં પડઘો પાડે છે :

મા’ મહિનાનાં શીતળ પાણી
છલ છલ રે સોહાગણ રાણી
શીતળ નીરે નાયાં.
ગંગામાં જઈ નાયાં.

એ પછી, થર! થર! ઠંડીની અંદર, સૂર્ય અને પૃથ્વીના મિલનની જાણે જરા આકાંક્ષા જાગી —

કડ કડ ટાઢે સૂરજ જાગે
સૂરજરાણો લગન માગે.

એ પછી ગંગાતીરે પાણીના કલકલ ધ્વનિ અને પંખીઓના કિલકિલાટ રૂપે જાણે કે સૂર્યદેવનાં વાજાં વાગી રહ્યાં છે.

રમ ઝમ! કલ કલ! ઢમ ઢમ થાય
સૂરજરાણાના વિવા થાય.

હજુ વૃક્ષવેલડીનાં ઝાકળભીનાં પાંદડા પોઢેલાં છે; એ વેળા વરરાજાને વેશે સૂર્યરાણા ચાલ્યા આવે છે; જરાક ઝગ! ઝગ! થતા સોનેરી અજવાળા પરથી એ આગમનનું સૂચન થાય છે ને કન્યા ગાય છે :

રીંગણાનાં પાંદડાં ઢોલક બજાવે
કાને કુંડળ ને સૂરજરાણો આવે.

આ વખતે નદીમાં ડુબાવેલી તોષલા દેવીની બાકીની માટી અને સૂર્ય : એ બંને વસ્તુઓનો ધાન્ય ઉગાડવામાં મુખ્ય મદદગાર તરીકે આભાર માનીએ કુમારિકાઓ પાણીમાં રેતી છાંટવાની રમત રમે છે. તે પછી સૂર્યોદયનાં દર્શન કરી, સ્નાન કરી, વ્રતને અંતે નદીતીરે ઊભાં રહી સૂર્યોદયના દર્શન કરે છે :

સૂરજરાણા ચડિયા છે વડી ગંગાને ઘાટ
કોના હાથમાં તેલ રૂમાલ આપો સૂરજને હાથ
સૂરજરાણા ચડિયા છે વચલી ગંગાને ઘાટ
કોના હાથમાં કંકણ સિંદૂર, આપો સૂરજને હાથ
સૂરજરાણા ચડિયા છે નાની ગંગાને ઘાટ.
સૂરજ ચડિયા સેજે
ત્રાંબાવરણે તેજે.

એ રીતે સૂર્ય-પૃથ્વીનાં લગ્નની છેલ્લી રમ્યતા પણ કલ્પી લેવાય છે. તોષલા વ્રતની આ તમામ વિધિ : શિયાળાના સવારનાં આ વિવિધ દૃશ્યો : એ તાજી નાહેલી કન્યાઓના મુખ પરનો સિંદૂર અને ત્રાંબાવરણાં વસ્ત્રાભૂષણોથી વિભૂષિત એ સૂર્ય : એ તમામનું વર્ણન આપણને એવા કોઈ ભૂતકાળમાં ખેંચી જાય છે કે જ્યાં માનવીની તથા સચરાચર વિશ્વની વચ્ચે સરસ નિગૂઢ એક સંબંધ જામી પડ્યો હતો; અને જ્યાં શાસ્ત્રીય વ્રતોના તેમ જ આચાર અનુષ્ઠાનના ભાર નીચે ચગદાઈને માનવી ચોગરદમથી આનંદહીન અને પ્રાણવિહીન નહોતો થઈ પડ્યો.


ભાદૂલી વ્રત

એ ભાદ્રપદ માસની અંદર પ્રવાસે ગયેલાં સ્વજનોને નદીઓનાં તથા સમુદ્રનાં તોફાનોમાં નિર્વિઘ્ને પાછા પહોંચાડવાની યાચનાથી ભરેલું આ વ્રત છે. જોડકણાંમાંથી પણ એક દૃશ્ય-નાટિકા ગોઠવી કાઢી શકાય છે. પ્રથમ ક્રિયાનો આદર થાય છે : ભાદરવા માસની ભરપૂર નદી : અને એક કાંખમાં ગાગર લઈને જાણે કે બે કન્યાઓ પાણી ચાલે છે : એક નાની કુમારિકા એક ઘૂંઘટવાળી નાની વહુ અને બીજી સહિયરો : એક પછી એક નદીના પાણીમાં ફૂલ નાખીને બોલે —


કન્યા

નદિ! નદિ! કોથા જાઉ?
બાપ ભાઈયેર વાર્તા દાઉ?
[નદી રે નદી તું ક્યાં જાય?
ક્યાં છે મારા બાપ ને ભાઈ?]


નાની વહુ

નદિ! નદિ! કોથા જાઉ?
સ્વામી શશુરેર વાર્તા દાઉ.
[નદી રે નદી ક્યાં જાય છે?
સ્વામી સસરાના ખબર દે.]

એવે વરસાદનું એક ઝાપટું વરસ્યું. બધી કન્યાઓ ચોમેર ફૂલ છાંટીને —

નદિર જલ વૃષ્ટિર જલ, જે જલ હઉ;
અમાર બાપ-ભાઈયેર સંવાદ કઉ.
[નદીનાં નીર, વાદળીનાં નીર, જે નીર હો!
ભાઈના ને બાપના વાવડ કહો!]

વૃષ્ટિને અંતે ઘનઘેરા આકાશની અંદર સફેદ બગલાનું એક વૃંદ ઊડતું ઊડતું ચાલ્યું ગયું. એક કાગડાનું ટોળું પણ કા! કા! કરતું ઝાડ પરથી ઊડીને ગામ ભણી ગયું; ને આકાશ કંઈક સ્વચ્છ થયું. કન્યા બોલે છે :

કાગા રે! બગા રે! કા’ર કપાલે ખાઉ?
અમાર બાપ ભાઈ જે ગેછેન વાનિજ્યે
કોથાય દેખલે નાઉ.
[કાગા ભાઈ! બગા ભાઈ!
ક્યાં ઊડ્યા ક્યાં બેઠા!
ભાઈ-બાપ ગ્યા છે વેપારે!
ક્યાંય ન એને દીઠા!]

ત્યાં તો વાદળાં ભેદીને સૂર્યે ભરચક નદીના હૈયા ઉપર ઝલક ઝલક કિરણો પાથરી જાણે પાણી સાથે મિલાવી દીધાં. કન્યા ગાય છે :

ચડા! ચડા! ચેયે થેકો
આમાર બાપ ભાઈકે દેખે હેસો
[ચડા! રે ચડા! જોતો રે’જે
ભાઈ-બાપાને ભાળી હસજે!]

કોઈ ગામની એક હોડી તણાતી ચાલી જાય છે તેને જોઈને —

ભેલા! ભેલા! સમુદ્રે થેકો,
આમાર બાપ-ભાઈરે મને રેખો.
[હોડી! હોડી! દરિયે રે’જે!
ભાઈ-બાપાને જાળવજે!]

પછી વ્રત-વિધિનો બીજો પ્રવેશ મંડાય છે. અરણ્યની ગીચ ઝાડીઓ ને પહાડો : અંધારી રાત : અને છેટેથી પ્રાણીઓની તેમ જ દરિયાની ગર્જના સંભળાય છે. ભયભીત સ્વરે કન્યાઓ બોલે છે :

જંગલના નાર! જંગલના વાઘ :
પછી સર્વે રડતી રડતી —
ક્યાં રે હશે મારા ભાઈ ને બાપ!
ક્યાં રે હશે મારા સસરા ને શ્યામ!

વનદેવી જાણે આશ્વાસન આપે છે. ઉદયગિરિના શૃંગ પર સૂર્યોદયની પ્રભા દેખાય છે. ઉદયગિરિને ફૂલ ચડાવવીને કન્યાઓ આરાધે છે —

ઉદયગિરિ રે ઉદયગિરિ
સોનાની તારી પાઘલડી.
આટલી પૂજા જાણજે
ભાઈ-બાપને ઘેરે આણજે!

એવે સૂર્યોદયનાં અજવાળાં વચ્ચે, મસ્તક પર બે છત્ર ધરીને શરદ અને વર્ષારૂપી બે નૌકામાં પગ રાખી, સમુદ્ર પર ભાદૂલી દેવી પ્રકટ થાય છે અને કન્યાઓ સાગરનું ગાન ઉપાડે છે :

સાત સમુદ્ર વાયુ ખેલે, કયે સમુદ્રે છોળ ઉછાળે!
સાગરને વીંટીને બધી કન્યાઓ બોલે છે :
દરિયા દરિયા પાય પડું
તુજ સું મારે બેનપણું :
ભાઈ બાપ ગ્યા છે વેપારે
સ્વામી ગ્યા છે વેપારે.

ત્યાં તો જાણે આકાશવાણી થાય છે —

આજ જ પાછા આવશે!
આજ જ પાછા આવશે!

એમ એક પછી એક દૃશ્ય ગવાતું આવે છે, ને છેલ્લે સ્વજનોની સફર પૂરી થતી કલ્પાઈ છે, ઘેરે જાણે કલ્લોલ થઈ રહ્યો છે વગેરે.


ધાન્યોત્પાદનનો આનંદ

એ રીતે આપણે જોયું કે વર્ષાઋતુ દેશને જળમાં ભીંજવી વિદાય લે છે, અને શરદ ચાલી આવે છે — તેના ઉત્સવ સમું આ ભાદૂલી વ્રત છે. એવું જ શસપાતા વ્રત : એમાં માનવી વિપુલ ધાન્યની વાંછના કરે છે. પણ એ વાંછના સફળ કરવા માટે પ્રમાદી બનીને કોઈ દેવતાની પાસે હાથ જોડી ‘દો! દો!’ કરવાનું નથી; પણ એ વ્રતની વિધિમાં જ સાચેસાચ મોલ ઉગાડવાનો અને પાક પકવવાનો જે આનંદ હોય છે, તે આનંદને નાચગાન અને વિધવિધ ચેષ્ટાઓ કરવાની વિધિ છે. એક જ વાક્યમાં કહું તો આ વ્રતો ગાન માટે, ચિત્ર વાટે ને નૃત્ય-અભિનય વાટે વ્યક્ત થતી માનવકામનાઓ છે.