પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૭

શ્રી રાજેન્દ્ર શાહનું ભાષણ
સાડત્રીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી રાજેન્દ્ર શાહ

•કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ૨૮મી જાન્યુઆરી ૧૯૧૩ના રોજ કપડવંજમાં થયેલો. પિતા કેશવલાલ વકીલ હતા. રાજેન્દ્ર શાહ બે વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું. માતાની મમતા અને કડક આચારવિચાર વચ્ચે તેમનો ઉછેર થયેલો. તેઓ નાના હતા, ત્યારે માતાએ કહેલું કે ‘આપણે તો સિંહબાળ’. એ રીતે હિંમતથી જીવનમાં આગળ વધવાની તાલીમ મળેલી. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં લીધું. ૧૯૩૦માં સ્વતંત્રતાનું આંદોલન જોર પકડી રહ્યું હતું. તે સમયે તેમનાં માતા લલિતાબહેન અને કવિ રાજેન્દ્ર શાહે તે આંદોલનમાં ઝંપલાવ્યું. સત્તર વર્ષની ઉંમરે જેલવાસ ભોગવ્યો. સાબરમતી તથા યરવડાની જેલમાં રહેવાનું બન્યું. કપડવંજના ટાવર પર ત્રિરંગો લહેરાતો હતો. તે ત્રિરંગો ઉતારવા માટે ટાવર ઉપર પોલીસ ચડે તે પહેલાં પોતે ચડીને રાષ્ટ્રધ્વજને છાતી સરસો ચાંપીને ટાવર ઉપરથી કૂદકો મારેલો. એના પરિણામે લાંબી માંદગી ભોગવવી પડેલી. અંબુભાઈ પુરાણીએ કપડવંજમાં વ્યાયામશાળા શરૂ કરેલી. એમાં રાજેન્દ્ર શાહે પ્રવેશ લીધેલો અને ત્યાં તેમણે કસરત કરીને શરીરને કસ્યું હતું. તેમની આર્થિક સ્થિતિ નબળી હતી. તેમનાં માતા સ્વમાન અને સાદગીથી જીવન ચલાવતાં હતાં. ૧૯૩૨માં તેમણે મૅટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો. વધુ અભ્યાસ અર્થે મુંબઈની વિલ્સન કૉલેજમાં દાખલ થયા. મુંબઈમાં કૉલેજનો અભ્યાસ ચાલતો હતો તે દરમિયાન તેમણે નોકરી પણ કરવા માંડી. મુંબઈ છોડીને તેઓ વડોદરામાં આવ્યા. ૧૯૩૭માં બી.એ. થયા. બી.એ.માં તેમનો વિષય તત્ત્વજ્ઞાનનો હતો. તેમને એમ.એ.નો અભ્યાસ કરવો હતો, પણ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે એમ.એ.નો અભ્યાસ ન કરી શક્યા. તેઓ જીવનમાં વ્યાવસાયિક રીતે સ્થિર થવા માટે અમદાવાદમાં આવ્યા. તેમણે એક શાળામાં શિક્ષકની નોકરી કરી. જ્યોતિસંઘમાં નોકરી કરી. સ્વતંત્ર ધંધો કરવાની ઇચ્છા થતાં એક મિત્ર સાથે અમદાવાદમાં બોબિનનું કારખાનું શરૂ કર્યું. થોડા સમય પછી એમાંથી છૂટા થયા. તેમણે મોદીખાનાની દુકાન કરી, કોલસાનો વ્યાપાર કર્યો, પણ આ બધા ધંધામાં ફાવટ ન આવતાં અમદાવાદ છોડીને મુંબઈમાં સ્થાયી થયા. મુંબઈમાં આવીને પણ અનેક વ્યવસાય કર્યા અને અંતે એક મુદ્રણાલયની સ્થાપના કરી. જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા. એમાં પણ ટકી રહેવાનું બળ તેમના ગુરુ શ્રી ઉપેન્દ્રચાર્ય પાસેથી મળતું રહ્યું. રાજેન્દ્ર શાહનો જીવનમંત્ર હતો ‘હરદમ પ્રસન્ન રહેવું’. મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણતા હતા, ત્યારે એ કૉલેજ ‘વિલ્સોનિયન’ નામનું મુખપત્ર પ્રગટ કરતી હતી. તેમાં કવિ રાજેન્દ્ર શાહની પ્રથમ કાવ્યકૃતિ પ્રકટ થયેલી. કવિતા કરવાની લગની લાગતાં તેમણે સહુ પ્રથમ નાનાલાલનું વાચન શરૂ કરેલું. નવરાત્રિના કેટલાક ગરબા પણ તેમણે રચ્યા હતા. કવિ પિનાકિન ઠાકોર સાથે તેમને મૈત્રી થઈ. તે વખતે બુધસભા કુમાર ચલાવતી હતી. તેમાં તેમને પ્રવેશ કરાવ્યો પિનાકિન ઠાકોરે અને ત્યાં જ તેમનું કવિ તરીકેનું ઘડતર થયું. ૧૯૩૭માં તેમનું પ્રથમ કાવ્ય ‘હોળી-ધૂળેટી’ કુમારમાં પ્રકટ થયું. એમની કાવ્યયાત્રાનો આરંભ અહીંથી થયો એમ કહી શકાય. તેમને અધ્યાત્મસાધનામાં ઉપેન્દ્રાચાર્યની સાથે જૈન મુનિ ત્રિલોકચંદ અને સ્વામી સ્વયંજ્યોતિનું પણ માર્ગદર્શન મળેલું. કૅન્ટના અજ્ઞેયવાદ અને ઉપનિષદના સંસ્કાર પણ તેમના પર પડેલા. વડોદરામાં રહ્યા એ દરમિયાન બંગાળી ભાષાનો અભ્યાસ કરેલો. રવીન્દ્રનાથ ટાગોર, વિદ્યાપતિ, બુદ્ધદેવ અને નજરુલ ઇસ્લામ વગેરે બંગાળી કવિઓના સંસ્કાર પણ તેમણે ઝીલેલા. નિરંજન ભગત સાથે પણ તેમને મિત્રતા થઈ હતી. તેના પરિણામે અંગ્રેજી કવિતાનો પણ સઘન પરિચય થયો. ૧૯૫૧માં તેમનો ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. એના પરિણામે ગુજરાતી કવિતામાં, કવિતાના વાતાવરણમાં નવો પવન ફૂંકાયો. એમાં રચાયેલી એમની સૉનેટપ્રકારની રચના અને ગીતપ્રકારની રચનાથી સહુ કોઈ આકર્ષાયા. એમના સૉનેટના વિષયોમાં પ્રકૃતિ, પ્રણય અને જીવન-મૃત્યુવિષયક વિષયોનું આલેખન થયું છે. ‘વિષાદને સાદ’ (૧૯૬૮) એ સંગ્રહ પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ જેવા સનાતન વિષયોનું નિરૂપણ કરતી કવિતા છે. ‘ધ્વનિ’ (૧૯૫૧)થી ‘આ ગગન’ (૨૦૦૪) સુધીમાં તેમના ચોવીસ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. એમના સોળ કાવ્યસંગ્રહો ‘ધ્વનિ’ (૧૯૫૧), ‘આંદોલન’ (૧૯૫૧), ‘શ્રુતિ’ (૧૯૫૭), ‘શાન્ત કોલાહલ’ (૧૯૬૨), ‘ચિત્રણા’ (૧૯૬૭), ‘ક્ષણ જે ચિરંતન’ (૧૯૬૮), ‘વિષાદને સાદ’ (૧૯૬૮), ‘મધ્યમા’ (૧૯૭૭), ‘ઉદ્‌ગીતિ’ (૧૯૭૮), ‘ઈક્ષણા’ (૧૯૭૯), ‘પત્રલેખા’ (૧૯૮૧), ‘પ્રસંગસપ્તક’ (૧૯૮૨), ‘પંચપર્વા’ (૧૯૮૩), ‘કિંજલ્કિની’ (૧૯૮૩), ‘વિભાવન’ (૧૯૮૩) અને ‘દ્વા સુપર્ણા’ (૧૯૮૩) – આ કાવ્યસંગ્રહો ‘સંકલિત કવિતા’ (૧૯૮૩)માં સમાવેશ પામ્યા છે. આ ઉપરાંત અન્ય કાવ્યસંગ્રહો ‘ચંદનભીની અનામિકા’ (૧૯૮૭), ‘નીલાંજના’ (૧૯૮૯), ‘આરણ્યક’ (૧૯૮૨), ‘સ્મૃતિ સંવેદના’ (૧૯૯૮), ‘વિરહમાધુરી’ (૧૯૯૮), ‘હા હું સાક્ષી છું’ (૨૦૦૩), ‘પ્રેમનો પર્યાય’ (૨૦૦૪) છે. ‘ઈક્ષણા’માં સૉનેટકલ્પ ૧૦ પંક્તિઓમાં રચાયેલાં છે, ‘પંચપર્વા’ – ગઝલસંગ્રહ, ‘પ્રસંગસપ્તક’ – સંવાદકાવ્યો અને ‘ચંદનભીની અનામિકા’ – ખાંયણાઓનો સંગ્રહ છે. ‘મોરપીંછ’ (૧૯૫૯), ‘આંબે આવ્યા મોર’ (૧૯૮૫), ‘રૂમઝૂમ’ (૧૯૮૯), ‘અમોને મળી પવનની પાંખ’ (૧૯૯૫), ‘રમત અમારી’ (૨૦૦૨) અને ‘ખુલ્લામાં જઈ રમીએ’ (૨૦૦૨) એમણે આપેલા બાળકાવ્યોના સંગ્રહો છે. ૨૦૦૪માં પ્રગટ થયેલો ‘ગતિમુક્તિ’ તેમની પદ્યનાટ્યાત્મક રચનાઓનો સંચય છે. તેમએ બંગાળી અને અંગ્રેજી સાહિત્યમાં રચાયેલી રચનાઓના અનુવાદ આપ્યા છે. તેમણે કરેલા અનુવાદોમાં વોલ્ટ વ્હિટમેનના ‘લીવ્ઝ ઑવ્ ગ્રાસ’નો ‘તૃણપર્ણ’ (૧૯૯૧) નામે અનુવાદ પ્રગટ થયો છે. રવીન્દ્રનાથ ટાગોરના ‘બલાકા’નો પણ તેમણે અનુવાદ કર્યો છે. ડૅન્ટિનું મહાકાવ્ય ‘ડિવાઇન કૉમેડી’નો ‘દિવ્ય આનંદ’ (૧૯૯૦), કોલરિજના ‘ધ રાઇમ ઑવ્ એન્શન્ટ મરિનર’નો ‘ગાથા એક વૃદ્ધ નાવિકની’ (૧૯૯૮), ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ (૧૯૯૫) અને ‘બિલ્હણ’ની કાવ્યરચના ‘ચોર પંચાશિકા’ (૨૦૦૪)નો અનુવાદ પણ કર્યો છે. ‘મેઇકર્સ ઑવ્ ઇન્ડિયન ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ની શ્રેણીમાં ‘વિદ્યાપતિ’ (૧૯૮૦), ‘જીવનાનંદ દાસ’ (૧૯૮૫) અને ‘બુદ્ધદેવ બસુ’ (૧૯૯૦)ના અનુવાદો કર્યા છે. તેમણે કરેલા અનુવાદોમાં જયદેવના ‘ગીતગોવિંદ’નો સમશ્લોકી અનુવાદ ધ્યાનપાત્ર છે. રાજેન્દ્ર શાહની કવિતાનું આકર્ષણઅંગ તેમનાં ગીતો છે. પ્રણય, પ્રકૃતિ ને પ્રભુભક્તિ ઉપરાંત આધ્યાત્મિક અનુભૂતિનો રણકાર તેમનાં ગીતોમાં સંભળાય છે. નજાકત, માધુર્ય, સૂક્ષ્મ અર્થવત્તા, લય, ભાવનો મસ્તીભર્યો કેફ કવિ રાજેન્દ્ર શાહનાં ગીતોની વિશિષ્ટતા છે. નાનપણથી જ ગીતસંગીત તેમના ચિત્તમાં ઘૂંટાતાં. ન્હાનાલાલ અને કાન્તની કાવ્યરચનાઓથી અભિભૂત થઈને તેમણે ગીત, ગઝલ, સૉનેટ, છાંદસ, અછાંદસ પ્રકારની કવિતાઓ આપી. તેમની કવિતામાં અલંકાર, કલ્પન, પ્રતીકનો પણ વિનિયોગ થયેલો જોવા મળે છે. એમનાં કાવ્યોમાં વ્યક્ત થતું એમનું જીવનદર્શન પ્રસન્નતા અને ખુમારીનું છે. ૧૯૫૭માં ગુજરાતી કવિતાનું પ્રથમ દ્વૈમાસિક ‘કવિલોક’ તેમણે મુંબઈથી શરૂ કર્યું, જે આજે પણ નિયમિત પ્રકટ થાય છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને દિલ્હીની ગુજરાતી સલાહકાર સમિતિના તેઓ સભ્ય રહી ચૂક્યા છે. ‘કવિલોક ટ્રસ્ટ’ના તેઓ જીવ્યા ત્યાં સુધી મૅનેજિંગ ટ્રસ્ટી હતા. તેમની સાહિત્યપ્રવૃત્તિ સતત ચાલતી રહી હતી. તેમને ૧૯૪૭માં કવિતા માટે ‘કુમાર ચંદ્રક’, ૧૯૫૬માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ૧૯૭૭માં ‘નર્મદ ચંદ્રક’, ૧૯૮૦માં ‘અરવિંદ ચંદ્રક’, ૧૯૮૬માં ‘ધનજી કાનજી સુવર્ણચંદ્રક’, ૧૯૬૯માં તેમની કૃતિ ‘ક્ષણ જે ચિરંતન’ને ન્હાનાલાલ પારિતોષિક – વગેરે મળ્યાં છે. ‘શાંત કોલાહલ’ કાવ્યસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ૧૯૬૪માં ઍવૉર્ડ મળ્યો. ‘સંકલિત કવિતા’ને કોલકાતાની ‘ભારતીય ભાષા પરિષદ’નો ઍવૉર્ડ મળ્યો હતો. ગુજરાત સરકારે ૧૯૯૨માં એમની સર્જકપ્રતિભાને ‘નરસિંહ મહેતા ઍવૉર્ડ’થી સન્માનેલી. ‘નરસિંહ મહેતા સાહિત્યનિધિ’ તરફથી અપાતો ‘નરસિંહ મહેતા ઍવૉર્ડ’ ૧૯૯૯માં તેમને સહુપ્રથમ પ્રાપ્ત થયેલો. ૨૦૦૧માં તેઓ ‘જ્ઞાનપીઠ ઍવૉર્ડ’થી સન્માનિત થયા હતા. ગુજરાતી સાહિત્યના આ મૂર્ધન્ય કવિનું અવસાન ૨ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ મુંબઈમાં થયું. ૧૯૯૩માં કોલકાતામાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે તેનો તેઓ પ્રમુખ હતા.

કવિતામાં અધ્યાત્મ

જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ-સાગર-અમ્બર,
જયતુ જય જય ઋતુ–અધીશ્વર જય વિદ્યાતૃ શિવઙ્‌કર.
જય ઉદયગિરિ પર ભર્ગ-સુંદર ઉદિત સ્વર્ણિમ સૂર્ય હે!
જય શાન્ત કૌમુદી-ધવલ યામિની વિધુ-સુધારસ પૂર્ણ હે!
જયતુ જય જય દિવ્ય ગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ-સાગર-અમ્બર.
જય સત્ય, નિર્મલ ચિત્ત, ધર્મ નિઃશઙ્‌ક, નિરલસ કર્મ હે,
જય હૃદય-મનનો મેળ, સઙ્‌ગ નિઃસઙ્‌ગ, પ્રેમલ મર્મ હે;
જયતુ જય જય સભર જીવન, સ્થિતિ-ગતિમય મન્થર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ-સાગર-અમ્બર.
જય નિમ્ન ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત, એક સંહતિ, સર્વ હે,
જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય નિત્યનૂતન પર્વ હે;
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરન્તર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ-સાગર-અમ્બર.

હે બંગભૂમિ! વિષ્ણુના ચરણકમળમાંથી અને શિવની જટામાંથી નિઃસૃત ગંગાનાં પવિત્ર જલથી પરિપ્લાવિત, ભારતવર્ષની પૂર્વ-પ્રાન્તીય સ્થલી, પશ્ચિમાઞ્ચલના અમ યાત્રીનાં ત્હને શત શત વંદન. જગદમ્બા મહાકાલીએ અહીં સ્વકીય મૂર્ત પ્રતિષ્ઠા કરેલી છે, એવી તું છો ધન્ય, ત્હારાં સંતાનોએ ભારતીય સાંસ્કૃતિક જીવનના પ્રવાહમાં અવિસ્મરણીય પ્રદાન કરેલું છે. ત્હેમને હું સ્મરું છું. સ્મરું છું પરમ ભાવગત ગીતગોવિન્દકાર કવિ જયદેવને, સ્મરું છું પુરુષોત્તમ શ્રીકૃષ્ણની હ્‌લાદિની શક્તિના અવતાર સમા શ્રી કૃષ્ણચૈતન્યને, સ્મરું છું ભક્ત કવિ ચંદીદાસને, સ્મરું છું મહાકાલીના પરમ ઉપાસક શ્રી રામકૃષ્ણ પરમહંસને અને સનાતન ધર્મની વિશ્વમાં ધજા ફરકાવનાર એમના શિષ્ય સ્વામી વિવેકાનંદને, સ્મરું છું ‘વન્દે માતરમ્’નો ઉદ્‌ઘોષ કરનાર બંકિમચંદ્રને, દ્વિધાગ્રસ્ત શિથિલ સમાજમાં બ્રાહ્મોસમાજ દ્વારા નવપ્રાણ પ્રેરનાર રાજા રામમોહનરાયને, મહર્ષિ દેવેન્દ્રનાથને અને એમના પુત્ર કવિ-કુલગુરુ સમા ગુરુદેવ રવીન્દ્રનાથને નિત્ય અલૌકિક આનંદમાં સંસ્થિતા મા આનંદમયીને, તેમજ પૂર્ણયોગ પ્રતિ પ્રજાને પ્રેરનાર મહાયોગી શ્રી અરવિન્દને; તે સાથે જ સ્મરું છું ભારતની સ્વતંત્રતા માટે આત્મબલિદાન આપનાર નામી-અનામી, સહુ શહીદોને; એ સહુના સંસ્મરણની સાથે હે બંગભૂમિ, પુનરપિ ત્હને હૃદય-ભાવપૂર્વક વંદન. ગુજરાતી સાહિત્ય પરિષદનું એકવીસમું સંમેલન અહીં (કોલકાતામાં) ૧૯૬૧માં આયોજિત થયું તે પછી બત્રીસ વર્ષે ફરી આપણે એ જ નગરમાં મળીએ છીએ ત્યારે આપણાં કેટલાક સ્થાનિક સ્વજનોનું અનસ્તિત્વ નજરે ચડ્યા વગર રહેતું નથી. એ સત્રના સ્વાગતાધ્યક્ષ શ્રી રમણલાલ બી. શાહ અને એમનાં ધર્મપત્ની કમળાબહેન આપણી વચ્ચે નથી. નથી બંગ અને ગુજરાતી સાહિત્યકારોની વચલી કેડી સમા શિવકુમાર, નથી તારાશંકર બંદ્યોપાધ્યાય, નથી બુદ્ધદેવ બસુ અને સૌમેન્દ્રનાથ ઠાકુર. તદુપરાંત જેમના અંગત પરિચયે, આ પ્રદેશની સાધના-ઉપાસના પદ્ધતિ પરત્વે ગુજરાતમાં જાતજાતની ભ્રામક ગેરસમજૂતી સેવાઈ રહી છે તે વિષયમાં, એના સાચા આંતર સ્વરૂપને દર્શાવી, ભ્રમનું નિરસન શક્ય બન્યું, તે સ્વામી કરુણામય સરસ્વતી અને શ્રી મલયકુમાર ચક્રવર્તી પણ આજે નથી. એથી હૃદય ખિન્ન છે. આપ સૌની સાથે મ્હારી એમને ભાવાંજલી : ‘હે ગતાત્મા, આનંદ શાંતિપ્રદ શાશ્વત હો ત્હમોને.’ તો અહીં સમ્મુખ છે સહૃદય સ્વાગતાધ્યક્ષ શ્રી કનુભાઈ ભાલરિયા અને જ્યોતિબહેન, શ્રી જયંતિભાઈ મહેતા, શ્રી અન્નદાશંકર; છે શ્રી શ્યામભાઈ આશર, રમણીકભાઈ મેઘાણી, સુનીલ કોઠારી, મધુ રાય; હવે વધુ નામ ગણાવતો નથી, છો આપ સહુ, જેમને જોતાં છે આનંદ. આમ એક આંખ છે આર્દ્ર ખિન્નતાથી; તો બીજી છે પ્રસન્નતાથી તેજોમયી. ને એમ બંને ભાવ છે યુગપત્.

સાહિત્ય પરિષદના પ્રમુખપદે મ્હારી વરણી કરવા માટે આપ સહુના સદ્‌ભાવનો મ્હારે અંતઃકરણપૂર્વક સ્વીકાર કરવો રહ્યો. પ્રથમ આગ્રહપૂર્વક આજ્ઞા કરનાર મ્હારા મુરબ્બી, મિત્ર સમા શ્રી ગુલાબદાસ બ્રોકર. એમણે સ્પષ્ટ આગાહી રૂપે કહ્યું હતું કે ત્હમારું નામ મૂકવામાં સંમતિ આપશો; ચૂંટણી આપોઆપ ટળી જશે. આમાં સાથ પુરાવ્યો શ્રી રઘુવીર ચૌધરી અને મિત્રમંડળે. તે ઉપરાંત કોલકાતાની ગુજરાતી સાહિત્ય સભાના સદસ્યોએ. આ સહુનો આભાર માનતા હું ભૂલી શકતો નથી મ્હારા એ મિત્રોને, – હરીન્દ્ર દવેને, વિનોદ અધ્વર્યુને, રમણલાલ સોનીને ને રમણલાલ જોશીને, જેમણે લેશ પણ સંકોચ વગર પોતાનાં નામ પાછાં ખેંચી લીધાં હતાં. મનોભાવ વ્યક્ત કરવામાં આભાર શબ્દ ઘણો ઊણો ઊતરતો લાગે છે. પરિષદના કાર્યમાં સીધી રીતે તો હું ક્યારેય જોડાયો નથી. વિભાગવાર કાર્ય તો સતત ચાલ્યા કરે છે. આમાં સવિશેષ હું શો ફાળો આપી શકીશ એનો કોઈ ખયાલ અત્યારે તો નથી. પરંતુ અહીંના જ આગળના અધિવેશન સમયે, તે વખતના પ્રમુખ, વિદ્વદ્વર્ય શ્રી વિષ્ણુપ્રસાદભાઈએ એમના પ્રવચનમાં એક મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, – વિવૃત્ત ઍ અને ઑ – નો, લખાણમાં સ્પષ્ટ ઉપયોગ કરવો વિશે. આ અને આની સાથે અનુસ્વાર અને અનુનાસિકનો પ્રશ્ન પણ ઉકેલી લેવા જેવો છે. સદ્‌ગત શ્રી બળવન્તરાય ઠાકોરે એ દિશામાં પ્રયત્ન કર્યો હતો પણ તે કામિયાબ નીવડ્યો નથી. ઉત્તર ભારતની સર્વ ભગિની ભાષાઓમાં આ બંનેનો ભેદ સ્પષ્ટ છે. ગુજરાતી ટાઇપમાં આ ભેદ ન રહેવાનું કારણ જરૂરી જોડાક્ષરોનો અભાવ હશે. પણ હવે લેસર કમ્પોઝ પદ્ધતિ પ્રચલિત થતાં જે કંઈ અંતરાય હતા તે દૂર થઈ શકે એમ છે, ત્યારે આ સુધારો થવો ઇષ્ટ જણાય છે. સાર્થ જોડણીકોશ હવે અપ્રાપ્ય જેવો છે. એની નવી આવૃત્તિ, ઉક્ત સુધારા સાથે થાય તો તે સહેલાઈથી સર્વગત થઈ શકે.

સાહિત્ય, સંગીત કે ઇતર કલાનાં આયોજિત સમ્મેલનોમાં કે સત્રોમાં તે તે વિષયનાં વિવિધ સ્વરૂપો ઉપર વિચાર-વિમર્શ થતા હોય છે, તેમ જ થયેલાં કાર્યો પર એક વિહંગદૃષ્ટિ પણ માંડી લેવાતી હોય છે. આ વખતના આપણા અધિવેશનમાં અન્ય સ્વરૂપો વિશે તે તે વિભાગના અભ્યાસુ વક્તાઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. મ્હારે વાત કરવી છે કવિતામાં અંતર્ગત રહેલા અધ્યાત્મ તત્ત્વને, ભાવને લક્ષ્યમાં રાખીને, તત્ત્વની ઝાંખી કરવા માટે જિજ્ઞાસુઓએ કરેલા પ્રયત્નો તરફ દૃષ્ટિ કરતાં, એમાં સ્વીકારાયેલી બે રીતિ તરફ આપણું ધ્યાન ખેંચાય છે. એક છે તત્ત્વશાસ્ત્રની, તત્ત્વદર્શનની; જે છે તર્ક-યુક્તિ-નિર્ભર. એમાં પ્રક્રિયા છે મંડન-ખંડનની અને અંતે અનિર્વચનીય કે અજ્ઞેય કહીને એ અટકે છે. બીજી રીતિ છે પ્રત્યય-નિર્ભર, અપરોક્ષાનુભૂતિની. આપણી આ પર્યેષણાને સંબંધ છે બીજા પ્રકાર સાથે. આમાં કવિતા-પદાર્થ અંગેની વિચારણા અપ્રસ્તુત છે એટલે એને બાજુએ રાખી કવિતામાં છવાઈ રહેલા અધ્યાત્મ-ભાવને જ અવલોકીશું. આધ્યાત્મિક શબ્દની કેટલી છે વિશિષ્ટ અર્થચ્છાયાઓ! અધ્યાત્મ (અધિ+આત્મ) એટલે બ્રહ્મ, પરમેશ, પરમાત્મા, તેમ જ સ્વ, પોતે; તે સંબંધી એટલે આધ્યાત્મિક. વળી તે ગૂઢ, અભૌતિક, પારલૌકિક, અમૂર્ત વિષય સંબંધી પણ ગણાય. કવિને ક્રાન્તદ્રષ્ટા કહ્યો છે. આ શબ્દ પોતે જ એની આધ્યાત્મિકતાનો સૂચક છે. એટલે તો સાચી કવિતા હંમેશ અધ્યાત્મ-ભાવ-ગર્ભિત રહેવાની. કવિતા આમ બંનેને અપર-પરને, ઇન્દ્રિયગત અને ઇન્દ્રિયાતીતને સંયોજિક કરે છે. વ્યક્તિ-ચૈતન્યનો વિશ્વચૈતન્ય સાથે એમાં યોગ સધાય છે. આપણી ભારતીય કવિતામાં આવી પરંપરા આપણને મળી છે, છેક પ્રાગૈતિહાસક વેદકાલીન સમયથી. સૌપ્રથમ વાણીના સંદર્ભમાં રચાયેલી એક ઋચા જોઈએ -

चत्वारि वाक्‌परिमिता पदानि
तानि विदुर्बाह्मणा ये मनीषिणः ।
गुहा त्रीषि निहिता नेङ्‌गयन्ति
तुरीयं वाचो मनुष्या वदन्ति ।। ऋ. १-१६४-४५

આ ઋચામાં સ્પષ્ટ આલેખાયું છે કે વાણીના ચાર પ્રકારમાંથી ત્રણઃ પરા, પશ્યંતી અને મધ્યમા છે ગુહા-નિહિત (અંતરતમમાં). મનુષ્ય ઉચ્ચારે છે તે તો છે ચતુર્થ, વૈખરી, વૈખરીમાં જ કવિતા વ્યક્ત થતી હોવા છતાં, કવિ-મનીષી પોતાના કથનમાં જે ગુહા-નિહિત છે એને પ્રગટ કરે છે સાંકેતિક રૂપે કવિ જો ક્રાન્તદ્રષ્ટા છે તો તે આ સંદર્ભમાં જ.

કાવ્યાંગ રચાય છે ભાવ, ભાષા અને ભંગિની સમુચિત અન્વિતિથી. ભાવ છે વૃત્તિજન્ય, કલ્પનોત્થ પ્રતિભાસમ્પન્ન; ભાષા છે અલ્પતમ શબ્દોના વિનિયોગવાળી પ્રતીકાત્મક, સાંકેતિક; અને ભઙ્ગિ (શૈલી) છે લય અને નાદ-ધ્વનિયુક્ત. વેદની સહસ્રાવધિ ઋચાઓમાં મહત્ત્વનું પ્રદાન છે ઋષિ વસિષ્ઠનું. વરુણ છે એમના આરાધ્ય દેવ, ઈશ અને સખા પણ. એ કહે છે : तिस्रो द्यावो निहिता अन्तरस्मिन्तिखो भूमिरूपराः षड्‌विधानाः । गृत्सो राजा वरुणश्चक्रः एतंदिवि प्रेश्वं हिरण्मयं शुभेकम् ।। ऋ. ८७-५ ત્રણે લોક આ વરુણ(વૈશ્વિકજલ)માં નિહિત છે, તેમ જ ષડ્‌ભૂમિ (છ ઋતુઓ, કાલ) નિહિત છે એના અંતરમાં, એવા સ્તુત્ય રાજા વરુણે દ્યુલોકમાં આ હિરણ્યમય હીંડોળો રચ્યો છે. (કવિ ન્હાનાલાલના ‘વિરાટનો હીંડોળો’માં ઋષિના આ પ્રાતિભ દર્શનની આભા નિહાળી શકાય). વળી ઋ. ૮૬-૨માં એ કહે છે : उत स्वया तन्वारूसे वदे तत् कदा नु अन्तर्वरुणे भुवानि । હું એની સાથે આ દેહે જ વાર્તાલાપ કરું? હું ક્યારે વરુણમાં એકરૂપ થઈ જઈશ? અને મંડળ ૭-૮૯-૪માં अपां मध्ये तरिथवांसं तृष्णाविद्‌ज्जरितारम् मृळा सुक्षत्र मृळय ।। પાણી વચ્ચે હું ઊભો છું તોપણ તરસે ઝૂરું છું. હે વરુણ! પ્રત્યક્ષ ભાવ અનુગ્રહ કરો. અભીપ્સા અને સાન્ધ્યભાષાનો આમાં છે વિરલ વિનિયોગ. ઋગ્વેદમાં પરમ તત્ત્વને દેવ રૂપે અનેક નામે સંબોધ્યું છે. एकं सद् विप्रा बहुधा वदन्ति । (ऋ. १-१६४-४६) અને एकं वा इदं वि बभूव सर्वम् । ઋ. ૮-૫૨-૨માં એક પરમ તત્ત્વ જે બ્રહ્મ તેને અનુલક્ષીને જ કરેલું કથન છે. આ અનુભૂતિનું અનુસંધાન જુઓ ઈશાવાસ્યોપનિષદમાં, એના શાંતિપાઠમાં અને એના પ્રથમ ઋતુના પ્રથમ ચરણમાં : ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्चयते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।। ईशावास्यमिदं सर्वं यक्तिज्व जगत्यां जगत् । અને શિષ્યને ઈશ્વરના અગોચર સ્વરૂપને લક્ષિત કરાવવા ગુરુ વાણીની જે રીતિ પ્રયોજે છે તે જોઈએ. अनेजदेकं मानसो जवीयो नैनद्देवा आप्रुवन् पूर्वमर्षत् । तद्धावतोऽन्यानन्येति तिष्ठन्तस्मिन्नपो मातरिश्वा दधाति ।।४।। तदेजति तन्नैजति तद्दूरे तव्दन्तिके । तदन्तरस्य सर्वस्य तेदु सर्वस्यास्य बाह्यतः ।।५।। આમ પરસ્પર વિરોધી એવા શબ્દની સન્નિધિ દ્વારા ગતિ-સ્થિતિવત્ ઈશના ચિન્મય સ્વરૂપનું નિગૂઢ છતાં કેવું વિશદ દર્શન ગુરુએ શિષ્યને કરાવ્યું છે! અને શિષ્ય, સાધક, ગુરુએ આપેલા વાચિક જ્ઞાનની અનુભૂતિ માટે વિનમ્ર ભાવે પ્રાર્થના કરે છે પરમ તત્ત્વને, સત્યને : हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् । तत्त्वं पूषन् अपावृणु सत्यधर्माय दृष्ट्ये ।।५।। ઇન્દ્રિય-ગોચર આ નિખિલ વિશ્વને હિરણ્મય કહીને એના ચિત્તાકર્ષક સૌંદર્યને, એની વિમોહિત કરતી માયાને, એના પ્રભાવને વ્યક્ત કરી, એનાથી આચ્છાદિત સત્યની ઝાંખી કરવા એ પ્રાર્થે છે, પુષ્ટિવર્ધન ઈશને, સત્યના દર્શનાર્થે, એની અપેક્ષાનુભૂતિ માટે; પોતે સંકલ્પશીલ છે એ નિશ્ચયને જણાવીને… ને સાધનાની ચરમ પ્રાપ્તિનો આનંદ ઉલ્લસી ઊઠે છેઃ तेजो यत् ते रूपं कल्याणतमं तत् ते पश्यामि यऽसावसौ पुरूषः सोऽहमस्ति ।।१६।। ઈશાવાસ્યમાં દર્શાવેલી સાધકની અનુભૂતિ છે અપરોક્ષ. નિરાકારની. પરંતુ કેનોપનિષદમાં એના (બ્રહ્મના) સાકાર સ્વરૂપનું દર્શન પ્રાપ્ત થાય છે. केनेषितं पतति प्रेषितं मना तदेव ब्रह्म त्वं विद्धि ।। આ પ્રકારના પ્રશ્નોના જવાબમાં જાણવા મળે છે : જીવમાત્રનાં સકલ કરણોમાં શક્તિનું પ્રેરક તો છે સ્વયં બ્રહ્મ; ને એના દૃષ્ટાંત રૂપે આ ઉપનિષદમાં, તૃતીય અને ચતુર્થ ખંડમાં, રૂપક દ્વારા એનો બોધ આપવામાં આવ્યો છે. વિરાટ યક્ષ આગળ અગ્નિ એક તણખલાને નથી બાળી શકતો કે વાયુ એને નથી ઉરાડી શકતો. આ યક્ષ કોણ છે એ જાણ્યા વગર જે દીનમુખે એ પાછા ફરે છે, પછી ઇન્દ્ર સ્વયં યક્ષ ભણી જાય છે ત્યાં યક્ષના સ્થાને નિહાળે છે ઉમા હૈમવતીને. અને એની દ્વારા જ, યક્ષ રૂપે જેનો આભાસ મળ્યો તે જ તો પરમ ઈશ, બ્રહ્મ, એવો પ્રબોધ એ પામે છે. કેનોપનિષદમાં આમ આપણને સાકારની ઉપલબ્ધિ મળે છે. કઠોપનિષદમાં શ્રેય અને પ્રેયની આલોચનાની સાથે શાશ્વત સુખ, શાશ્વત આનંદની પ્રાપ્તિની કથા નિરૂપાઈ છે. પિતાની અભીપ્સા છે સ્વર્ગનાં દિવ્ય સુખને પામવાની. વિશ્વજિત નામનો એક દિવસનો યજ્ઞ એ કરે છે, જેમાં પોતાની સર્વ સંપદ દાનમાં આપી દેવાની હોય છે, પણ એ જેનું દાન કરે તે તો છે – पीतोद्रका जग्धतृणा दुग्धदोहा निरिन्द्रियाः – ગાયો, પુત્ર નચિકેતા તે નિહાળે છે, ને વિચારે છે, – अनन्दा नाम ते लोकास्तान् स गच्छति ता ददात् ।। ને આવા વિચારથી વ્યથિત થઈ એ શોચે છે; પોતે પણ છે તો પિતાની સંપદ, દાન યોગ્ય. આથી સતત ત્રણ વાર એ પિતાને પૂછે છે, ‘મ્હને અર્પણ કરો છો કોને?’ પિતા ક્રુદ્ધ થઈ બોલી ઊઠે છે : मृत्यवे त्वा ददामि. ક્રોધમાં ઉચ્ચારાયેલી આ વાણી પણ વ્યર્થ નથી. વાણી સ્વયં સત્યપ્રતિષ્ઠ છે. સહેજ આડ વાતે પણ આ સત્યના અનુસંધાનમાં મહાભારતમાં મળતા બે પ્રસંગોનો ઉલ્લેખ થઈ શકે એમ છે. એક છે સત્યવતી અને પરાશર મુનિના પ્રસંગમાં. પરિવ્રાજક પરાશર નદીતીરે આવી હોડીવાળાઓને ઉદ્દેશીને પૂછે છે, ‘કોણ મ્હને પાર ઉતારશે?’ ને સહસા રમૂજમાં સત્યવતી જોજનગંધા બોલી નાખે છે, ‘પુત્ર’. બસ, આ ઉચ્ચારણ, અબુધ ભાવે થયેલું સત્યવતીનું, સત્યવતીનું ખરું છતાં ત્હેનું નહીં. એ છે અદૃષ્ટ નિયતિનું; સત્ય, ને પરિણામે સત્યવતી દ્વારા જ પરાશરને કૃષ્ણદ્વૈપાયન વ્યાસ મુનિની પ્રાપ્તિ. બીજો પ્રસંગ છે દ્રૌપદી-સ્વયંવર પછીનો. દ્રૌપદીને લઈને પાંચે ભાઈઓ ઘેર જાય છે, ને બહારથી જ મા કુંતીને કહે છે; “મા જો અમે શું લાવ્યા છીએ”. કુંતી અંદરથી જ જવાબ આપે છે, “ત્હમે ભાઈઓ વહેંચી લેજો.” પણ શું? આ કંઈ બહારથી લાવેલું ખાદ્યાન્ન નહોતું, તોપણ વાણી અહીં થાય છે સત્ય-પ્રતિષ્ઠ, શ્રીકૃષ્ણની હાજરીમાં. ધર્મ્ય દૃષ્ટિથી ધર્મપાલન કર્તવ્યના અનુરોધ સાથે. અહીં કઠમાં નચિકેતા યમને સમર્પિત થયેલો છે. હવે એનો ઐહિક, ભૌતિક તત્ત્વો પર કોઈ અધિકાર નથી. એ અનશન કરે છે, પ્રત્યેક ઇન્દ્રિયના પ્રત્યેક વિષયનું. યોગની પરિભાષામાં કહીએ તો પ્રત્યાહાર. યમને એ વરી ચૂક્યો છે. યમ હવે એને મારી શકે તેમ નથી. પરંતુ નચિકેતાનો આ ત્યાગ શુદ્ધ છે કે કેવળ આવેશાત્મક, એની ખાતરી કરવા યમ ત્રણ વરદાન દ્વારા એની પરીક્ષા કરે છે. કોઈને પણ અલભ્ય એવી સુખ-સંપત્તિ એ આપવા તત્પરતા બતાવે છે. પણ હવે એ સર્વ, જે દીર્ઘકાલે પણ નાશવંત છે એમાં નચિકેતાને રસ નથી. હવે એ છે આપ્તકામ. માગે છે શાશ્વત સુખ સાથેનો યોગ. ને એનો અધિકાર તો કેવળ બ્રહ્મવિદ્‌ને જ. શાશ્વત સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ તો છે કેવળ બ્રહ્મ. યમની પાસેથી નચિકેતાને દીક્ષામંત્ર મળે છે પ્રણવનો – तस्य वाचकનો, एतद् वै तत्નો. આમ વેદકાળથી ચાલી આવતી જ્ઞાન, યોગ અને ભક્તિની સાધનામાં સર્વ સમર્પણ દ્વારા પરમ શ્રેયને પામવા માટે આપ્તકામની અવસ્થાનો નિર્દેશ કરાયેલો છે.

ભારતીય પ્રજાના આદિ મહાકાવ્ય રામાયણની રચનામાં અધ્યાત્મદૃષ્ટિએ એક નવું તત્ત્વ ઉમેરાય છે. મહાકાવ્ય છે મુનિ વાલ્મીકિની કૃતિ. આ કૃતિની પાછળ નૈમિત્તિક કારણ રૂપે તો છે ક્રૌંચવધની ઘટના. તમસા નદીના વિશાળ વનાંચલની શોભા નિહાળતાં નિહાળતાં વિહાર કરતા મુનિ, નિકટમાં વિચરતા સુંદર ક્રૌંચ યુગલને જુએ છે. બંને મધુર વાણીથી આનંદક્રીડામાં છે સંલગ્ન. ત્યાં જ तस्मात तु मिथुनादेकं पुमांसं पापनिश्चयः । जधान वैरनिलयो निषादस्तस्य पश्यतः ।। (બાલ. ૨-૧૦) એક, સર્વજીવો પ્રતિ વેર સેવનાર, પાપી નિષાદે આ યુગ્મમાંથી એક નર-પંખીને મુનિના દેખતાં જ વીંધી નાખ્યું. ને લોહીથી લથબથ તે પંખી ભૂમિ પર પડી પાંખ ફફડાવતું તરફડવા લાગ્યું. પતિની આમ હત્યા થયેલી જોઈ એની ભાર્યા ક્રૌંચી કરુણાર્દ્ર ચિત્કાર કરવા લાગી. ततः करुणवेदित्वादधर्मोऽयमिति द्विजः । निशाम्य रुदतीं क्रौंचमिदं वचनमब्रवीत ।। (બાલ. ૨-૧૧) સ્વભાવથી જ કરુણામય બ્રહ્મર્ષિએ, આ અધર્મ થયો છે એવા નિશ્ચયે, રડતી ક્રૌંચની વેદનાથી આર્દ્ર થઈને… ભાખ્યું - मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः । यत् क्रौंचीमिथुनादेकमवधीः काममोहितम् ।। (બાલ. ૨-૧૫) નિષાદ, ત્હને ક્યારેય ક્યાંય શાંતિ નહીં મળે. કારણ ત્હેં કામાસક્ત ક્રૌંચયુગલમાંથી એકની અકારણ હત્યા કરી છે. સહસા જ છે આ ઉચ્ચાર. ક્રૌંચીના હૃદયનો ચિત્કાર મુનિની વૈખરી વાણી દ્વારા પ્રાગટ્ય પામે છે. શોક પામે છે શ્લોકત્વ. અહીં જ પ્રગટ થાય છે સંવેદના, પરકાયાપ્રવેશ. શાપ દેનાર તો છે ક્રૌંચી. કવિ નિમિત્ત બને એ ચીસ-ચિત્કારને વૈખરીમાં, વર્ણોચ્ચારમાં કહી જવા માટે, તે છતાં ક્ષુબ્ધ છે કવિ. એક બાજુ અમંગલ વાણી છે, બીજી બાજુ આપોઆપ સ્ફુરતો છંદ છે. ને આદેશ મળે છે એ શ્રીરામનાં સંપૂર્ણ ચરિતનું વર્ણન કરવાનો. સર્વાત્મસ્વરૂપ દૃષ્ટિનો વિકાસ ઔપનિષદિક કાલમાં થયેલો હતો જ; પરંતુ તે જ્ઞાનદૃષ્ટિથી. પણ આદિ કવિ વાલ્મીકિમાં ભાવસ્વરૂપે તે દેખા દે છે. स पर्यगात् જે સર્વગત થયેલો છે એનું અહીં અનુસંધાન છે સંવેદના દ્વારા, ને એ જ ભાવ વ્યાપક રીતે કથિત થયો છે સમગ્ર રામાયણમાં.

જગતભરમાં અનન્ય એવું ભારતીય પ્રજાનું બીજું મહાકાવ્ય છે મહાભારત. મુનિ શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસની આ રચનામાં ઇતિહાસ છે, રૂપકથા છે, અધ્યાત્મ છે, એમ એમાં જીવનને સ્પર્શતા સર્વ ધર્મ-કર્મનું આલેખન છે. ધર્મ્ય કર્મ મનુષ્યને કેવી વિષમ પરિસ્થિતિમાં મૂકી દે છે? આવી કેટકેટલી પરિસ્થિતિનું નિર્માણ આપણને એમાં જોવા મળે છે, મનને મૂંઝવી દે એવી. અને જ્યારે સ્વજનોનો જ સ્વજનોની વિરુદ્ધ ચરમ મુકાબલો થાય છે ત્યારે ક્ષુબ્ધ થઈ અર્જુન શ્રીકૃષ્ણને કહે છે : कथं भीष्मं अहं संख्ये द्रोणं च मधुसूदन । इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन ।। (अ.२-४) ને શિષ્યભાવે પ્રાર્થે છે : यच्छेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे । (अ.२-७) ને કૃષ્ણનો ઉત્તર : अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः । अनाशिनोऽप्रमेयस्य तस्माद्‌ध्यस्व भारत ।। (अ.२-१८) अजोनित्यः शाश्वतोऽयंपुराणो न हन्यते हन्यमाने शरीरे ।। (अ.२-२०) योगस्थ कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय । सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ।। (अ.२-४८) અને એમ જ સ્થિતપ્રજ્ઞની બ્રાહ્મી સ્થિતિ વિશે કહે છે : विहाय कामान् यत् सर्वान् पुमाश्चरति निस्पृहः । निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ।। (अ.२-७१) ગીતાના આ બીજા અધ્યાય પછીના અધ્યાયોમાં જે અધ્યાત્મચર્ચા આગળ વધે છે એની પ્રાથમિક ભૂમિકા તો અહીં અપાઈ જ ગઈ છે. બ્રાહ્મી સ્થિતિની પ્રાપ્તિ માટે યોગાભ્યાસ અને વૈરાગ્ય સૂચવાયાં છે. પણ એ માર્ગ કઠિન છે, સરળ માર્ગ તો છે - मयि सर्वाणि कर्माणि सन्यास्यध्यात्म चेतसा । આમ કહેવામાં શ્રીકૃષ્ણ સ્વયં બ્રહ્મનું સાકાર સ્વરૂપ છે એ નિર્દિષ્ટ થાય છે, અને પછી मन्मया मामुपाश्रिता । (अ.४-१०) ये यथा माम् प्रपद्यन्ते तां तथैव भजाम्यहम् । (अ.४.११) मय्यासक्त मनाः पार्थ योगं युज्जन् मदाश्रयः । अशंसयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु ।। (अ.७-१) मय्यार्पित मनो बुद्धिर्मामेवैष्यस्यसंशयम् । (अ.८-७) मया ततम् इदं सर्वं जगदव्यक्त मूर्तिना । (अ.९-४) अहंसर्वस्य प्रभवः (अ.१०-८) भक्त्यात्वनन्यया शक्य अहमेवंविधोर्जुन (अ.११-५४) ને અંતિમ અધ્યાયમાં, નવમા અધ્યાયના ચોત્રીસમા શ્લોકની પંક્તિનું પુનરાવર્તન કરીને કહે છે : मन्मया भव मद्‌भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोसि मे ।। આમ મહાભારત અંતર્ગત ગીતામાં જ્ઞાન, યોગ, ભક્તિ વગેરેની વિચક્ષણ, વિચારણા પછી પણ વ્યાસ મુનિનો ઝોક સાકાર ભક્તિ તરફ વળતો હોય એવો સંકેત આપણને મળે છે; જેના પરિણામે પરમ શાંતિપ્રદ શ્રીમદ્ ભાગવત મહાપુરાણની રચના એમની દ્વારા જ થાય છે.

શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધના પ્રથમ પ્રાર્થના-શ્લોકના ચરણાન્તે કથન છે : सत्यं पर धीमहि. અહીં સત્ય પરાત્પર બ્રહ્મ(નિરાકાર)નો અને શ્રીકૃષ્ણ(સાકાર)નો વાચક બને છે. ગીતામાં જેનો નિર્દેશ થયેલો છે એ જ વાત અહીં ફરી ઉલ્લેખ પામે છે. लीला विदधतः स्वैरमीश्वरस्यात्ममायया । (स्कं.१, अ. १-१८) ઈશ્વર જ પોતાની સ્વેર ઇચ્છાથી પોતાની માયા દ્વારા લીલા પ્રગટ કરી છે, અને એથી સર્વ શ્રેષ્ઠ ધર્મ માટે કૃષ્ણભક્તિને ઇષ્ટ કહી છે. सवै पुंसां परो धर्मो यतो भक्तिरधोक्षजे । अहैतुक्यप्रतिहता ययाऽऽत्मा सम्प्रसीदति ।। (स्कं.१, अ.२-6) અને આ અહૈતુકી અપ્રતિહતા ભક્તિનું આપણને દર્શન થાય છે વ્રજવનિતાઓમાં, વેણુગીતમાં વર્ણવેલી એમની સ્થિતિ. – શરદઋતુમાં જલાશયનાં કમળની સુરભિથી સુવાસિત વનમાં પ્રવેશ કરીને શ્રીકૃષ્ણે જ્યાં મુરલીમાં મધુર સૂર રેલ્યા. ત્યાં જ પ્રેમવિવશ ગોપવધૂગણ મનોમન નિહાળે છે – बर्हापीडनटवरवपुः कर्णयोः कर्णिकार विभ्रद्रासः कनककपिशे वैजयन्ती च मालाम्। रन्ध्रानवैणोरधरसुधयापूरयन्गोपवृन्दै वृन्दारण्यं स्वपगरमणं प्राविशद्गीतकीर्तिः ।। (स्कं. 1, अ. 21-5) અને વેણુગીતના તેર શ્લોકોમાં, ચરાચર સૃષ્ટિ, જે पीयूषमुत्तमित कर्णपुटैः पिबन्त्यः – આ સંગીતનું પાન કરે છે એની અવસ્થાની જ પરસ્પર વાત કરે છે. અહીં છે મનોમન ધારણા, એમના જીવનની ધન્યતાને ઉપલક્ષિત કરતી. પરંતુ શરત્પૂર્ણિમાએ રાસ-રમણામાંથી અધવચ્ચે કૃષ્ણ અંતર્ધાન થાય છે ત્યારે વિરહ-વ્યાકુળ ગોપાંગનાઓનું હૃદય આમ દ્રવે છે : विरचिताभयं वृष्णिधुर्यते चरणमीयुषां संसृतेर्भयात् । करसरोरुहं कान्त कामदं शिरसि धेहिनः श्रीकरग्रहम् ।। (स्कं.१૦, अ.३१-५) જે જન્મમરણરૂપ સંસારચક્રના ભયથી ત્હમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે ત્હેને, ત્હમે, હે યદુશિરોમણિ, અભય કરો છો. હે કાન્ત, સર્વની અભિલાષા પૂર્ણ કરનાર, લક્ષ્મીજીને જે કરે ત્હમે ધારણ કરો છો તે કર અમારાં શિર પર ધરો. આ રીતે વ્રજની ગોપાંગનાઓ તચ્ચિત્ત, તન્મનસ્ક બનીને કૃષ્ણલીલાનાં ગાનમાં લીન રહેતી હતી.

ભાગવત પરંપરાની સાથે જ અન્ય પુરાણ-આધારિત ભક્તિનું પ્રવર્તન, પછી તે રામની, સદાશિવની, જગદમ્બાની, કોઈ પણ ઇષ્ટ સ્વરૂપે હોય, આજ પર્યંત ચાલુ રહેલું છે. હઠયોગ, ક્રિયાયોગ, ઇત્યાદિ અન્ય સાધનાઓમાં પણ ગૌણભાવે એ નિહિત છે જ. પણ સાહિત્યમાં તો છે ભક્તિનું જ પ્રાધાન્ય. પરંતુ જયદેવથી આ ભાગવતધારા વધુ પ્રભાવશાળી અને વ્યાપક થાય તે પહેલાં વચગાળામાં બૌદ્ધ અને જૈન મતે સાધનામાર્ગે નવી દિશા ચીંધી હતી. વેદ-સ્થાપિત કર્મકાણ્ડના યજ્ઞયાગાદિમાં થતા પશુબલિના અતિરેકની સામે બુદ્ધે અહિંસા-કરુણાનો મંત્ર આપ્યો, ને દુઃખમાંથી મુક્તિ માટે, નિર્વાણ માટે, જે યોગપ્રક્રિયા આપી તે મનને અમન કરવાની, શૂન્યમાં સ્થાપવાની હતી. પરંતુ આ સાધનામાં ક્રમશઃ થતા ભેદે, મહાયાનમાંથી વજ્રયાન અને એની સાથે કંઈક સંકળાયેલા નાથ-સંપ્રદાયને તેમજ સહજ સંપ્રદાયને નવી દૃષ્ટિ સાંપડે છે. બૌદ્ધ અને જૈનોનો અભિગમ અનીશ્વરતા તરફ રહ્યો પણ નાથ અને સહજ માર્ગમાં નિરાકાર સાકારનો સ્વીકાર થયો છે. બૌદ્ધોનું શૂન્ય નાથમાં ‘સૂન્ન મહલ’નું રૂપ ધારણ કરે છે, જે સહસ્રારનો નિર્દેશ કરે છે. નાથ અને સહજની ધારા પૂર્વ ભારતમાં પ્રવર્તતી થાય છે, જેની અસરો સમગ્ર ઉત્તર ભારતમાં વરતાય છે. નાથયોગમાં ‘કરણી’ અને ‘રહેણી’ એ બે મુખ્ય અંગરૂપ છે. ભૂતકલા અને દેવકલાના સમન્વય રૂપે. એમાં શરીરશોધનનું અપાર મહત્ત્વ સ્વીકારાયું છે. આસન, બન્ધ, પ્રાણાયામ ઇત્યાદિ પ્રક્રિયા દ્વારા કુણ્ડલિની જાગ્રત કરી, એને ઊર્ધ્વમાર્ગે ગતિમાન કરી, સહસ્રારમાં એના કંથ સાથે એને સંયુક્ત કરવાની છે; આ છે સામરસ્ય, જીવ-શિવ-યોગ. વિલક્ષણ રીતે એની રજૂઆત થઈ છે. આ પંક્તિમાં ‘તલવાર તાળાં રજભર કૂંચી, મારે સત્‌ગુરુએ ખોલ બતાયા.’ ગોરખનાથની બાનીમાં જીવ-શિવના સાયુજ્યનું, ‘અરસપરસ ઓળખાણ’નું જુઓ આ આનંદગાન : રમતા જોગી આયા નગરમેં રમતા જોગી આયા હો જી. તખત લગાયા સરવરતીરે, ઉપર તરુવર છાયા, કચ્ચી માટીકા કુંભ બના વામેં અમીરસ ભરભર લાયા હો જી. પંખી એક વહાં ચણ ચુગત હૈ ચાંચ પાંખ નહીં કાયા, અલખ પુરુષકી અલગ હૈ નગરી, સદ્‌ગુરુ આય લખાયા હો જી. નવ દરવાજા વશ કર લીના, દશ મેં ડંકા બજાયા, મછંદર પ્રતાપ જતિ ગોરખ બોલ્યા જાગ્યા સો નર પાયા હો જી. આ સાધનામાર્ગમાં હઠયોગને પ્રાધાન્ય અપાયું છે, છતાં ઈશ્વરપ્રણિધાન અને ભક્તિ એમાં ભળેલી છે, અને એની પરિણતિ રાજયોગમાં જ રહેલી છે. નાથસંપ્રદાયમાં નારીનું કોઈ સ્થાન હતું નહીં. પણ સહજસાધનામાં એનો શક્તિ રૂપે, સહધર્મચારિણી રૂપે સ્વીકાર થયો છે. સંસારથી દૂર જઈને નહીં, સંસારની વચ્ચે વાસનાના ક્ષેત્રમાં રહીને વાસનાતીત થવાનો માર્ગ એમણે સ્વીકાર્યો છે. બંગાળના સહજિયા, બાઉલ કે ગુજરાતના મહાપંથના મર્મી માર્ગી સાધુઓ આ પરંપરામાં આવે છે. ધર્મસાધનાના ત્રણ માર્ગ : કર્મ, જ્ઞાન અને પ્રેમ. એમાં કર્મ છે બાહ્ય, જ્ઞાન અંતરંગ છે, પણ પ્રેમ છે એથી વધુ અંતરંગ સાધનાનું ક્ષેત્ર ઉપાસ્ય ભગવાન અને ગુરુ આપણા અંતરમાં જ છે ત્યારે પ્રેમ દ્વારા અંતરમાં એને પામવાનો રહે છે. સમષ્ટિની સાથે વ્યષ્ટિની સમતા સાધવા માટે વ્યક્તિએ પોતાને વ્યાપ્ત કરવી જોઈએ. આથી જ સાધના, સમાધિ અસીમ શૂન્યમાં લીન થવાની, ‘ખ’ની પ્રાપ્તિની, એ જ સહજ સમાધિ, પ્રિયતમની પ્રાપ્તિ, ક્રિયાકાણ્ડમાં આ દૃષ્ટિ નથી. બાઉલોમાં બળ છે અનુરાગનું. એ બળથી જ એ બંધનોને તોડી શકે છે અને પ્રેમરૂપી પાંખની શક્તિ દ્વારા ઊર્ધ્વથી ઊર્ધ્વમાં ઉડ્ડયન કરી શકે છે. આમાર પાખીર જાત અમારા હોઈંહ્યા ચલાર ભાઓ જાનિ ના, આમાદેર ઊઠ્યા ચલાર ઘાત. અમારી જાત પંખીની, અમને ચાલવાનું ફાવતું નથી, અમારે માટે સહજ તો છે ઊડવાનું સહજમાર્ગની આ ધારાની લગોલગ જ છે કબીર, દાદુ અને ગુજરાતના રવિ, ભાણ, મૂળદાસ, લાખા-લોયલ, જીવણની પરંપરાનું માર્ગી સન્તવૃંદ. યોગ, જ્ઞાન અને ભક્તિનો એમાં સમન્વય થયેલો છે. જુઓ લોયણનો લાખાને ઉપદેશ : જી રે લાખા નવધા ભક્તિને જે કોઈ સાધે જી એ અલખ પુરુષને આરાધે. જી રે લાખા સતની એરણ પર તમે ઠીક કરી ઠેરાવો જી અને ગિનાન સાણસીથી પકડાવો રે હાં, જી રે લાખા ઇંગલાપિંગલા સુખમણા સાધો જી, ચંદ્ર, સૂર્ય એક ઘર લાવો રે હાં… ગંગાસતીનાં પાનબાઈને સંબોધાયેલાં ભજનોમાં પણ આ જ સૂર સંભળાય છે. મૂળદાસના એક પદમાં નર નાટકમાં, નાટક નરમાં, નાચ નિરંતર નટકો રે, મૂળદાસ સોં બ્રહ્મ સનાતન વ્યાપક બીજ વટકો રે. આ નિગમની વાત સાથે ભાગવત-ભક્તિનું અનુસંધાન એમની જ વાણામાં : હરિ વેણ વાય છે રે હો વનમાં, ચિત્તડામાં ચટપટી રે હો લાગી, જીવણ જોવાને હું જાગી, ત્રિભુવન નીરખ્યા હો રે તમને… આમાં સહેજે આપણને નરસિંહની યાદ આવી જાય.

નાથ અને બીજ-સહજની પરંપરા ચાલુ હોવા છતાં કવિ જયદેવના આગમન પછી ક્રમશઃ ભાગવત-પરંપરા જ ભારતભરમાં પ્રધાન સ્થાન પામી છે. ‘ગીતગોવિંદ’ની રાધા-માધવની એકાન્ત કેલીએ ‘રાગાનુરાગાત્મક’ ભક્તિની નવી દૃષ્ટિ દીધી. એની ‘મધુર કોમલ કાન્ત પદાવલી’એ કામણ કરી મનને વાળ્યું હરિસ્મરણમાં. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ભારતમાં સર્વત્ર એની અષ્ટપદીઓ ભાવપૂર્વક ગણાવા લાગી. જાણે એક નવી ભક્તિક્રાન્તિ સરજાઈ. સુંદરવર કૃષ્ણનું એક મનોહર ચિત્ર – ચન્દનચર્ચિત નીલ ક્લેવર, પીતવસન વનમાળી કેલિહલ્યાં મણિકુણ્ડલ, ગાલે રેખ મધુર સ્મિતવાળી, રતિરસ મુગ્ધ વધૂગણ અંગે, કાન્ત વિલાસ કરન્ત ઉમંગે. આ રાગાનુરાગાત્મક ભક્તિની પરંપરામાં આવે છે કવિ વિદ્યાપતિ. એમણે ગાયો છે વયસંધિકાલથી જ પ્રગટેલ રાધાકૃષ્ણનો પરસ્પર માટેનો રતિરાગ. કૃષ્ણમુખે રાધાના રૂપનું વર્ણન અને દર્શનેચ્છા : જહાં જહાં પદયુગ ધરઈ, તહિં તહિં સરોરુહ ભરઈ; જહાં જહાં ઝલકત અંગ, તહિં તહિં બિજુરી-તરંગ : પુનુ કિયે દરસન પાબ, તબ મોર ઇહ દુઃખ જાબ. તો રાધાની કૃષ્ણદર્શન પછીની અવસ્થા : કી લાગિ કૌતુક દેખલ હું સખિ, નિમિખ લોચન આધ, મોર મન-મૃગ મરમ બેધલ, વિષમ-બાન બે આધ. સુકૃત સફલ સુનહ સુંદરી, વિદ્યાપતિ ભન સાર, કંસ-દલન ગોપાલ સુંદર મિલલ નન્દકુમાર. મહાપ્રભુ, શ્રીકૃષ્ણ ચૈતન્યે તો પંડિતાઈનાં પોથાં પધરાવી દીધાં ગંગાના વિપુલ પ્રવાહમાં, અને હૃદયના મધુર ભાવનો તંતુ સાંધ્યો કાલિન્દીની રમણરેતમાં વિહાર કરતા મુરલીધર વનમાળી સાથે; ને પામે છે કૃષ્ણસંકીર્તન દ્વારા જ માધુર્યની પરાકોટિ સમો મહાભાવ. એમણે ગાયું છે : आनन्दाम्बुधिवर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनम् । सर्वांगस्रपनं परं विजयते श्रीकृष्णसंकीर्तनम् ।। ને યાચે છે - न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये । ममजन्मनि जन्मनीश्वरे भवताय भक्तिरहैतुकी त्वदि ।। नयनं जलदश्रुधारया वदनं गद्‌गदरुद्धया गिरा । पुलकैर्निश्चितं वपुः कदा तव नामस्मरणे भविष्यति ।। જગદ્‌ગુરુ શંકરાચાર્ય તેમ જ રામાનુજાચાર્યનાં ભાવમનોહર સ્તોત્રગાનથી નિરંતર જ્યાં ભક્તિ પુષ્ટિ પામી છે, ત્યાં જ પ્રાગટ્ય પામતા શ્રીમદ્ વલ્લભાચાર્યથી કૃષ્ણભક્તિના પુષ્ટિમાર્ગનું પ્રવર્તન થાય છે. કૃષ્ણમાં, પરમ પ્રિયતમમાં સર્વ સમર્પણ, આત્મનિવેદન એ જ જીવમાત્રનો ધર્મ, એ જ બ્રહ્મસંબંધ. ભક્તિનાં પાંચે સ્વરૂપોમાં – શાન્ત, દાસ્ય, વાત્સલ્ય, સખ્ય અને માધુર્યમાં – વિવિધ ભૂમિકાએ વિવિધ રસમાં આ અનુરાગ વ્યક્ત થયો છે. સૂરદાસ અને અષ્ટસખાનાં શ્રુતિમધુર વ્રજ ભાષામાં લખાયેલાં પદોનાં સ્પંદન સહસા જ ભાવાનુસંધાન કરાવી શકે છે. સૂરદાસના આરાધ્યદેવનું દર્શન નીચેની પંક્તિઓમાં આપણે પામીએ છીએ : वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् । पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने ।। અને એમનું જ વાત્સલ્ય-ભક્તિનું એક દૃષ્ટાંત : જસોદા હરિ પાલનૈં ઝુલાવે । હલરાવે, દુલરાઈ મલ્હાવૈ, જોઈ સોઈ કછુ ગાવૈ. મેરે ગાલ કૌં આઉ નિંદરિયા, કાહે ન આનિ સુવાવૈ । આમ, એક બાજુ કૃષ્ણભક્તિ છે તો બીજી બાજુ શ્રી તુલસીદાસજીનું ‘રામચરિત માનસ’ આપણાથી અજ્ઞાત નથી. પણ હવે આપણી ગુજરાતી કાવ્યધારામાં આ અધ્યાત્મભાવ કેવી રીતે વ્યક્ત થતો આવ્યો છે તે સંક્ષેપમાં અવલોકીએ. આપણી ભાષાના આદિ કવિ નરસિંહ તો પુષ્ટિમાર્ગના પ્રભાવથી પણ પૂર્વના. એમની ભક્તિ કૃષ્ણ પ્રત્યેની, પરંતુ વેદાન્તના જ્ઞાનથી સભર. જ્ઞાન અને ભક્તિનું આવું અવિચ્છૈદ્ય ઐક્ય કે વાણીમાં પ્રગટ થયું છે તે નિતાન્ત વિરલ છે, ને તે પણ એક કલા સ્વરૂપે કવિતામાં. જાગીને જોઉં તો જગત દીસે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય – વિલાસ તદ્રૂપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. અહીં પ્રથમની ત્રણ પંક્તિમાં વેદાન્ત-દાખવી જે અનુભૂતિ છે તે ચોથી પંક્તિમાં ભાગવતના લીલાભાવમાં પરિણતિ પામે છે. ભાગવતમાં બાહ્ય એટલે સત્ય એટલે કૃષ્ણ. ને આ સમગ્ર સમષ્ટિ એ છે કૃષ્ણની રાસલીલા, સ્વયંની સ્વયં સાથે – જે એકે આનંદ માટે અનેક રૂપ ધારણ કર્યાં છે ત્હેવી. અને મીરાં તો છે મારુ-ગુર્જરી. સંસારના લગ્ન-સંબંધ પહેલાં જ વરી ચૂકેલી છે એ તો એના કૃષ્ણને – ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ.’ – મીરાં મહેલમાં પુરાઈ રહેતી નથી. કૃષ્ણ-કીર્તન કરતી એ વિહાર કરે છે સાધુ-સંતોની સાથે. એમાં એ યોગતત્ત્વથી અને એની ક્રિયાથી પણ અભિજ્ઞ બની જણાય છે. જો જ્ઞાન અને ભક્તિનો સમન્વય નરસિંહમાં છે તો યોગ અને ભક્તિનો સમન્વય છે મીરાંમાં. સુની મૈંને હરિ આવનકી આવાજ, મહલ ચડી ચડી જોઉં મોરી સજની, કલ આવે મહારાજ, દાદુર મોર પપીહા બોલે કોયલ મધુરે સાદ ને છેલ્લે એનો વેદનાસભર બોલ - …વેગે આય મિલો મહારાજ - અહીં આર્દ્ર ભક્તિ જ છે, એક બાજુ આજ્ઞાચક્રારૂઢ યોગિની સહસ્રાર-સ્થિત-પરમ તત્ત્વ માટેની, તો બીજા ભાવે છે કૃષ્ણ પ્રત્યેની રાધા-ભાવની. અહીં પણ યોગ અને ભક્તિ કાવ્યાનુરૂપ ઊર્મિમય આવિષ્કાર પામે છે. આ ભક્તિભાવની પરંપરાનું સાતત્ય દયારામમાં ઝિલાયું છે, તેમ છતાં વચગાળામાં આવતા અખાને આપણે ભૂલી શકીએ નહીં. એની વાણીમાં વહે છે જ્ઞાન અને વૈરાગ્ય. એમનું એક કાવ્ય લઈએ : કાગળ સદ્‌ગુરુ લખે એના વિરલા છે વાંચણહાર સૂરતનૂરતની દોરી લીટી, માંહી વિવેકતણી ઓળ, વિચારી અક્ષર ત્યાં લખ્યા રે તેમાં ઉતારી પાટણપોળ. અંધે અક્ષર વાંચિયા રે, બ્હેરે સુણી વાત, મૂંગે ચરચા બહુ કરી રે, તેની વેદ પૂરે છે સાખ. અમરાપુરી નિજ ઘાટમાં રે, ત્યાંહિ છે તેહનો વાસ, કર જોડીને અખો કહે રે, એવા નિરમળ હરિના દાસ. અખાએ જ્ઞાન-વૈરાગ્યની વાત લખી છે પણ પ્રેમની રૂશનાઈ વડે એ ન ભુલાય. દયારામમાં આપણે જોઈએ છીએ નરસિંહથી નિરાળું ભક્તિનું સ્વરૂપ. નરસિંહે નિહાળ્યાં બ્રહ્મનાં લટકાં. એની દૃષ્ટિ બની રહી વૈશ્વિક. પણ દયારામને એ માન્ય નથી. એની ભક્તિ એથી કાચી છે એમ પણ નહીં. પણ એમાં અનુરાગ છે પેલા વ્રજના દેહધારી કૃષ્ણ પ્રત્યે, એ તો સ્પષ્ટ કહે છે : વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું, ત્યાં મુજ કા’નકુંવર ક્યાંથી લાવું? પ્રગટ મળે સુખ થાય, શ્રી ગિરિધર પ્રગટ મળે સુખ થાય. અંતર્યામી અખિલમાં છે તેથી કહો કોનું દુઃખ જાય? વ્યાપકથી વાતો નવ થાયે, તે વિના જીવ અકળાય; રસિયાજન મનરંજન નટવર, દયાપ્રીતમ! વ્રજરાય. આમ દયારામનો પ્રેમ વૈશ્વિક બ્રહ્મ (કૃષ્ણ) સાથે નહીં, વૈયક્તિક કૃષ્ણ (ગિરિધર) સાથેનો છે ને તે પણ ઉત્કટ. એમનાં પદોમાં આ વ્રજકુંવર પ્રત્યેની પ્રીતિ જ અનેક ભાવે હૃદયની ધડકન સાથે ઉત્કંપિત થઈ છે. આ લેખને પૂરો કરતાં પહેલાં આ મહાનદના પ્રવાહમાં આપણી આજની કવિતાનાં સુરીલાં ઝરણાંએ જે પ્રદાન કર્યું છે તે જોઈએ. ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની વાણીમાં સંભળાય છે બાઉલની સર્વતોભદ્ર પ્રેમની ગુંજ. યુક્ત કરો હે સબાર સંગે મુક્ત કરો, હે બન્ધ; સંચાર કરો સકલ કર્મ શાન્ત તોમાર છંદ મનેર માનુષ પ્રતિ આ છે પ્રાર્થના. અહીં વૈરાગ્યની, કશાયના પરિહારની, વાત નથી, વાત છે વ્યક્તિ પ્રાણને સમષ્ટિ પ્રાણ સાથે યુક્ત કરવાની. એમાં જ છે એની સાચી મુક્તિ. કર્મ ત્યાગ કે સંન્યાસ પણ નહીં; પણ પ્રત્યેક કર્મમાં એ અંતર્યામીના જ છંદની, વિલાસની રમણાની પ્રગટ છે ઝંખના. યોગેશ્વર શ્રી અરવિંદમાં પ્રાપ્ત થાય છે જ્ઞાન, ભક્તિ અને યોગના સમન્વયનો પૂર્ણયોગ. સાવિત્રીમાં આલેખાઈ છે આ યોગની અનુભૂતિની કથા. તો ગુજરાતીમાં આપણને મળે છે શ્રી સુંદરમ્, અરવિંદ-ચીંધ્યા માર્ગે ડગલાં ભરનાર; પણ એમની પ્રીતિનો ઝોક તો ટહુકે છે મીરાંની જ વાણીમાં જાણે, મેરે પિયા મૈં કછુ નહીં જાનું, મૈં તો ચુપચુપ ચાહ રહી મેરે પિયા તુમ અમર સુહાગી, મૈં તો પલ પલ બ્યાહ રહી. તો સાધક મકરંદ દવેની પ્રીતિ ખીલે છે ‘અનહદ’ની સાથે. અનહદ પણ જાણે નિરાકાર નથી. અનહદ છે એટલે તો… અનંત જુગમાં નહીં અમારે એક ઘડીનો વ્રેહ. એની સાથે તો રમણાં માંડી છે… સતનાં મેલી રંગ સોગઠાં, ખેલું નિત ચોપાટ જીવણને જીતી લીધા મેં જનમજમને ઘાટ. અનહદ, અનંત, અવિનાશી જીવણની સાથે જ સધાયેલો છે એમનો નાતો. તો ગિરનારી હવાના પ્રાશનથી મસ્ત બનેલા રાજેન્દ્ર શુક્લમાં પ્રગટ થાય છે નાદબ્રહ્મની અનુભૂતિની અવસ્થા : કંઠ રુંધાયલા સાદની એ અવસ્થા હતી, હા, હતી, ઘોર ઉન્માદની એ અવસ્થા હતી, વૃક્ષ પર વેલ ઉત્ફુલ્લ ને કંપતી કૂંપળો, સૃષ્ટિના પ્રથમ વરસાદની એ અવસ્થા હતી. શબ્દના પિંડ પર અર્થ-વલયોય ન્હોતાં હજી શુદ્ધ આરંભના નાદની એ અવસ્થા હતી. આમ ભારતીય કાવ્ય-સાહિત્યમાં છેક વેદકાળથી અધ્યાત્મની ધારા અસ્ખલિત વહેતી રહી છે. વાચકોમાં, ક્યારેક એ દુર્બોધ છે એવી લાગણી પ્રવર્તતી જણાય છે. આ પ્રકારનાં કાવ્ય દુર્બોધ જણાય ત્યારે એની પાછળ બે મુખ્ય કારણોમાંથી એક, અથવા બંને હોઈ શકે. એક છે વિષય અપરિચિત હોવાનું કારણ, ને અન્ય તે, કાવ્યના વિષયમાં ભાવમાં આવતા સંકેતો, જેનાથી વાચક અભિજ્ઞ નથી, તે કારણ. અધ્યાત્મમાર્ગે પ્રવર્તતી ભિન્ન ભિન્ન સાધન-પ્રણાલીએ વિશિષ્ટ પરિભાષા ઉપજાવી છે, ને તે પરિભાષાના સંકેતો રસિક વાચકે જાણી લેવા જરૂરી બને છે. દાત., મેરી નાવ મેં નદિયાં ડૂબ ગઈ, કે નર નાટકમાં, નાટક નરમાં જેવી અવળવાણીનો સીધો સંબંધ છે ઈશાવાસ્યના यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति । સાથે આ ઉપનિષદ – કથનનું કેવાં કલ્પનમાં રૂપાન્તર થયું છે! વધુ દૃષ્ટાંતની જરૂર નથી. પણ આવી અવળવાણીમાં કે સાન્ધ્યવાણીમાં જે ગર્ભિત ભાવ રહેલો છે તેની લક્ષણા કે તેનો ધ્વન્યાર્થ જાણ્યા પછી કાવ્ય ઘણું સરળ થઈ રહે છે. અંતમાં એટલું જ કહેવાનું કે જીવનને વૈશ્વિક સંદર્ભમાં રજૂ કરતી અને એ રીતે ક્રાન્તદર્શન કરતી, કરાવતી કવિતા અધ્યાત્મતત્ત્વ સભર હોય એ સ્વાભાવિક જ છે. વાણીનું મહત્ત્વ ઓછું નથી. શબ્દ જ ‘સ્વયં’ બ્રહ્મ છે, સ્વયં સત્યપ્રતિષ્ઠ છે. સત્યના આરાધકની તો એ જ પ્રાર્થના હો… ૐ વાઙ્ મે મનસિ પ્રતિષ્ઠિતા, મનો મે વાચિ પ્રતિષ્ઠિતં આવિ ર્સાવીર્મ એધિ. સદા સ્વસ્તિ હો, સ્વસ્તિ હો, સ્વસ્તિ શાંતિઃ