પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.


સ્વ. રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ભાષણ

સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદઃ ભાવનગર
એપ્રીલ: ૧૯૨૪

સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
(ઈ.સ. ૧૮૫૭–૧૯૨૫)

‘લઘુ વ્યાકરણ’, ‘મધ્ય વ્યાકરણ’ અને ‘બૃહદ્ વ્યાકરણ’ના કર્તા તરીકે સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ગુજરાતને પરિચિત જ છે. આ વ્યાકરણપંડિતે ગુજરાતને બીજું પણ ઘણું આપ્યું છે. કાવ્યશાસ્ત્રનો એમનો અભ્યાસ પણ તલસ્પર્શી હતો. શિક્ષણ સાથેનો એમનો સંબંધ તો સમસ્ત જીવનકાલમાં વ્યાપેલો હતો. એટલે શિક્ષણક્રમમાં ઉપયોગી એવા અનેક વિષયોના ગ્રંથો એમણે ગુજરાતને આપેલા છે. ગુજરાતી ભાષાનું અવતરણ, જોડણીનો નિર્ણય, અર્વાચીન સાહિત્યનું મૂલ્યાંકન, અને પ્રાચીન સાહિત્યનું સંપાદન – આ સર્વ બાબતોમાં એમણે ઘણું કાર્ય કરેલું છે. એમના અનુગામીઓને અભ્યાસની અભિવૃદ્ધિ માટે ઉત્તેજે એવાં અનેક પ્રશ્નોનો એમણે આરંભ કરી વિસ્તૃત વિચારણા અને ચર્ચા કરી છે. સંસ્કૃત ભાષા પરનું એમનું પ્રભુત્વ એમણે સંપાદિત કરેલા ગ્રંથોમાં અને એમના અનુવાદોમાં – ખાસ કરીને ‘શાંકરભાષ્ય’ના અનુવાદમાં – આપણને સ્પષ્ટ જણાઈ આવે છે. વળી નાની સરખી ભૂલને પણ તેઓ કેવી અક્ષમ્ય ગણતા તેની સાક્ષી આજે તેમના અનેક વિદ્યમાન શિષ્યો આપશે. સાતમી સાહિત્ય પરિષદ ભાવનગર મુકામે મળે છે. ગુજરાતની નજરે કમળાશંકરભાઈની મૂર્તિ આવે છે, અને ગુજરાત તેમને એ પરિષદના પ્રમુખપદે સંસ્થાપે છે.

વિવિધ વિષયોના અનેક ગ્રંથો એમણે લખેલા અને સંપાદિત કરેલા આજે ગુજરાત સમક્ષ છે. એમનું પાડિત્ય, અને એમનું ભાષાપ્રભુત્વ, એમની શિક્ષણના પ્રશ્નોની ચર્ચા અને એમની રસશાસ્ત્રમીમાંસા, એમનું તત્ત્વચિન્તન અને એમનું સંપાદન આ બધું આપણને ખાતરીપૂર્વક બતાવે છે કે આ ‘વ્યાકરણી’ ‘વસ્તુને જાણનારા’ હતા. જીવનભર ગુજરાતી સાહિત્યને અને ગુજરાતના શિક્ષણને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિ એમણે ચાલુ જ રાખી હતી અને પરિણામે ગુજરાત એમની એ પ્રવૃત્તિથી સમૃદ્ધ જ થયું છે.



ઉપોદ્‌ઘાત

शरणं करवाणि कामदं ते चरणं वाणि चराचरोपजीव्यम् ।
करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्व कृतार्थसार्थवाहम् ।।

‘જે સરસ્વતીદેવીના સત્રમાં ઉપાસનાર્થે આપણો સર્વ સાર્થવાહ એકત્રિત થયો છે, તે સાર્થવાહ કૃતાર્થ થાઓ એમ હું દેવીના ચરણકમળને શરણે જઈ સ્તવન કરું છું.’ સન્માનકારિણી સભાના પ્રમુખ સાહેબ તથા અન્ય સભ્યો અને સાહિત્યબંધુઓ, સન્નારીઓ અને સદ્ગૃહસ્થો! મારા તરફ પ્રેમભાવથી સાહિત્યપરિષદના સાતમા અધિવેશનનું પ્રમુખપદ મને આપવા આપે કૃપા કરી છે તેને માટે હું આપનો આભારી થયો છું ને તે મેં ઉપકાર સાથે સ્વીકાર્યું છે. પરંતુ એ સંબંધમાં મારા મનની સ્થિતિ પ્રગટ કરવાની જરૂર છે. આપની પ્રથમ વરણી સર્વથા યુક્ત હતી. પ્રિન્સિપાલ આનંદશંકરભાઈ એમના વિસ્તૃત વાચનનો, બહુદેશી અનુભવનો, તેમજ પ્રાચ્ય અને પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અધ્યયનનો આપણને સર્વને અમૂલ્ય લાભ આપત એ સર્વવિદિત અને નિર્વિવાદ છે. એમણે એ પદ સ્વીકાર્યું હોત તો સમસ્ત ગુજરાતને બેલાશક ઘણો જ આનંદ થાત. મને તો ખાસ આનંદ થાત; કારણ કે એઓ મારા પ્રિય શિષ્ય હતા અને મારી તરફ ગુરુભાવની પૂજ્ય વૃત્તિ ધરાવે છે. એમના એ પદના અસ્વીકારથી આપણે સર્વેએ એ અનન્ય લાભ ખોયો છે, એ અતિ શોચનીય છે. એમની મધુરી, આલંકારિક, અને હૃદયંગમ ભાષાનો ને પ્રૌઢ વિચારનો અદ્વિતીય લાભ પરિષદને ન મળ્યો તેથી આપણે સર્વ હતાશ થયા છીએ. એમના ના કહેવાથી આપના મંત્રીઓએ – રા. માનશંકરભાઈ અને મારા પ્રેમપાત્ર રા. રમણલાલ યાજ્ઞિકે મને તાર મૂક્યો ને તેનો ઉત્તર તારથી જ માગ્યો. ‘અમારી મુસીબત સમજીને પ્રમુખપદ સ્વીકારવાનો તાર મૂકી અમને ચિન્તામુક્ત કરો.’ એવા તારના અસરકારક શબ્દો વાંચી મારા મનની સ્થિતિ ઘણી કફોડી થઈ પડી. રાત્રિના દસનો સુમાર થયો હતો. તે સમયે મારે ત્યાં ચિ. મોહનલાલ યુનિવર્સિટીના ફેલો તરીકે ચૂંટાયા તેના આનન્દનિમિત્તે એક નાનું સ્વજનમંડળ ભેગું થયું હતું. તાર ઉઘાડતાં તો પ્રથમ મન ચિન્તાગ્રસ્ત થયું; તે ખોલ્યો ને વાંચ્યો તે સમયે સરદાર જનાર્દન વીરભદ્ર પાઠકજી મારી પાસે બેઠા હતા. તેઓ તથા તેમના ચિ. પ્રો. વ્યોમેશ પાઠકજી તથા ચિ. મોહનલાલ ને મારી પુત્રી, એ બધાં એકમત થઈ ગયાં ને બધાંએ મને આગ્રહપૂર્વક કહ્યું કે ના તો ન જ કહેવી. બધો વિચાર કરીને મેં સવારે સ્વીકારનો તાર મૂકવાનો નિશ્ચય કર્યો. હવે હું બહુધા નિવૃત્તિમય જીવન નિર્ગમન કરૂં છું. ગુ.વ. સોસાઈટી મને વ્યાખ્યાન આપવા બે વર્ષ થયાં નિમન્ત્રણ કરે છે તેની પણ એ જ કારણથી હું ના કહું છું તે તે સોસાઈટી જાણે છે. શ્રીયુત આનંદશંકરભાઈ જેવા ઉત્સાહ, બુદ્ધિ, કાર્યશક્તિ, અને સર્વદેશીય કૌશલ્યથી સંપન્ન કાર્યધુરંધરે સાહિત્યપરિષદની કાર્યધુરા બહુ જ સુગમતાથી વહન કરી હોત. તે કાર્યધુરા મારા મગજ પર પડતી જોવા હું નારાજ હતો; પરંતુ તારની ભાષા એવી હૃદયદ્રાવક હતી અને મારા પર બધા ગૃહમંડળનું ને સ્વજમંડળનું એવું દબાણ થયું કે એ તાર મૂકનારા સજ્જનોના પ્રેમપાશમાં બદ્ધ થઈ અન્તે ગુર્જરસાહિત્ય પ્રત્યે મારી ફરજ મારે અદા કરવી જોઈએ એવી બુદ્ધિથી હું આ ઉચ્ચ પદવી સ્વીકારવા અનિચ્છતો પણ આકર્ષાયો છું. મારા સમજવા પ્રમાણે આવું કામ તરુણ પુરુષોનું છે. તરુણ પુરુષો ઉત્સાહ ને કાર્યશક્તિને બળે પ્રગતિ ને વૃદ્ધિ તથા ઉત્કર્ષ સાધવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેઓ ગુજરાતી સાહિત્યની ખિલવણી ને અભિવૃદ્ધિના માર્ગો શોધવા ને યોગ્ય ઉપાયો યોજવા ઉદ્યુક્ત થશે તો સાહિત્યનો વિકાસ સર્વગામી થશે એ નિસંશય છે.

કાઠિયાવાડની ઐતિહાસિક ને પવિત્ર ભૂમિ

આપનો પ્રદેશ ઐતિહાસિક, પ્રાચીન, ને પવિત્ર છે. પ્રાચીન સુરાષ્ટ્રની, પાછળથી સૌરાષ્ટ્રની ખ્યાતિ પામેલા દેશની, સીમા વિસ્તીર્ણ હતી. તે છેક સિંધુ નદીથી દમણ લગણ ફેલાયલી હતી. હાલનું કાઠિયાવાડ એ વિસ્તૃત પ્રદેશમાં અન્તર્ગત હતું. સુરાષ્ટ્ર દેશનો અતિપ્રાચીન ગ્રંથોમાં ને તામ્રપત્રોમાં નિર્દેશ એની પ્રાચીનતા સ્પષ્ટ દર્શાવે છે. ઈ.સ.પૂ. ૮મા સૈકાના ભગવાન પાણિનિના ‘कार्तकौजपादयश्च।।’ ६/२/३७ એ સૂત્રને લગતા ગણપાઠમાં ‘कुन्तिसुराष्ट्राः’ એમ સુરાષ્ટ્રનો નિર્દેશ છે. ‘મહાભારત’માં વનપર્વમાં ૮૬મા અધ્યાયમાં ધૌમ્ય ઋષિ યુધિષ્ઠિર પાસે વિવિધ તીર્થનું વર્ણન કરે છે તેમાં સુરાષ્ટ્ર દેશનું વર્ણન છે ને તેમાંનાં પુણ્યસ્થળો, નદીઓ, તળાવો ને આશ્રમો દર્શાવ્યાં છે. એ સુરાષ્ટ્ર પ્રદેશમાં જ પ્રભાસ ને દ્વારામતી વર્ણવેલાં છે. રુદ્રદામન અને સ્કન્દગુપ્તના ગિરનારનાં ને કેટલાંક વલભીનાં તામ્રપત્રોમાં સુરાષ્ટ્રનો ઉલ્લેખ છે.

તીર્થમય પ્રદેશ

આ પ્રાચીન અને પુણ્યપ્રદેશના વિસ્તીર્ણ ક્ષેત્રમાં અવતારી દિવ્ય પુરુષ શ્રીકૃષ્ણના નિવાસથી પવિત્ર ને પ્રખ્યાત થયેલી, સપ્તમોક્ષદાયિકા નગરીમાંની એક શ્રીમતી દ્વારામતી, મહેશ્વરના જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી વિરાજિત પ્રભાસ નગરી, ને તેની સમીપનું ત્રિવેણીસંગમનું તીર્થ ભારતવર્ષનાં ભિન્ન ભિન્ન સ્થળેથી હજારો યાત્રાળુઓને પ્રતિવર્ષ આકર્ષે છે ને પાવન કરે છે. એ જ પવિત્ર પ્રદેશમાં શ્રીકૃષ્ણે પોતાના જે સહાધ્યાયીને, દ્રોણને દ્રુપદે તિરસ્કાર્યા ને વૈરભાવનું બીજ રોપ્યું તેમ, લઘુતા ન દર્શાવતાં વિલક્ષણ રીતે સન્માની દારિદ્રાવસ્થામાંથી હમેશને માટે વિમુક્ત કર્યા અને પરિણામે જેમના મુખમાંથી સાશ્ચર્ય ઉદ્ગાર નીકળ્યો કે

‘ક્યાં ગઈ મારી તૂટી ઝુંપડીઆં, કાંચન મહેલ બને રે’

એ ભક્તરાજ, સ્વાભિમાની, ને યાચનાને અવગણનાર સુદામાની સુદામાપુરી – હાલનું પોરબંદર – મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન – વિરાજમાન છે. જેમણે પોતાની દૃઢ શ્રદ્ધા ને ભક્તિના અનુપમ બળ ને પ્રભાવથી અશ્રદ્ધાળુ ને ટીખળી નાગરોને અનેક ચમત્કારો દર્શાવી ચકિત કર્યા હતા અને જેઓ ગુજરાતી ભાષાના જૈનેતર કવિઓમાં અગ્રિમ ને પ્રતિષ્ઠિત સ્થાન ભોગવે છે તે આદિ કવિ ભક્તરાજ નરસિંહ મહેતાનું જન્મસ્થાન, ભક્તોના અને વેદાન્તીઓના પદપંકજથી પવિત્ર થયલું, પ્રાચીન ને પુણ્યશાળી જૂનાગઢ એ જ વિસ્તીર્ણ સુરાષ્ટ્રપ્રદેશમાં આવેલું છે. એ જીર્ણનગરમાં પવિત્ર શીલની વેદિ પર આત્મદેહને હોમનારાં રાણકદેવી જેવાં સ્ત્રીરત્નો પેદા થયાં છે. એ જ નગરની પાસે શ્રીમન્માઘકવિએ ‘શિશુપાલવધ’ના ચોથા સર્ગમાં ભિન્ન ભિન્ન વૃત્તોમાં જેનું અલૌલિક સૌન્દર્ય વર્ણવ્યું છે એવો રૈવતક ગિરિ — ‘મહાભારત’માં જેનું ઉજ્જયન્ત નામ આપ્યું છે તે – ગિરનાર પર્વત આવેલો છે. એ પર્વતની રમ્યતા જોઈ દ્વારકાથી ઈન્દ્રપ્રસ્થ જતાં શ્રી. કૃષ્ણ વારંવાર અપૂર્વવત્ વિસ્મય પામ્યા હતા એમ વર્ણવી માઘકવિએ રમ્યતાનું લક્ષણ આપ્યું છે કે જે ક્ષણે ક્ષણે નવીન લાગે તે જ ખરું રમ્ય છે. એ પવિત્ર ગિરિ અનેક તીર્થોથી અને ઐતિહાસિક શિલાલેખોથી ભરેલો છે. આવા રમ્ય ને પુણ્યપ્રદેશમાં સાંપ્રત સમયમાં પણ શતાવધાની શીઘ્ર કવિવર, આચાર્યવર્ય શ્રીમાન ગટ્ટુલાલજી તથા શીઘ્ર કવિ શાસ્ત્રીજી શંકરલાલ તથા કવિથી કેશવરાય હરિરાય, વગેરે અનેક નરરત્નો ઉદ્ભવ પામ્યાં છે. આ પવિત્ર પ્રદેશનું ભવ્યનગર ભાવનગર માત્ર અખિલ કાઠિયાવાડને જ નહિ પરંતુ આખા મુંબઈ ઈલાકાને અલૌકિક બુદ્ધિપ્રભાવ ને ઉચ્ચતમ રાજકીય નાગરિકત્વ ને મુત્સદ્દીપણાથી શોભાવનાર સ્વર્ગસ્થ ગૌરીશંકરભાઈએ પોતાના જન્મથી અલંકૃત કર્યું હતું. એમના તેજસ્વી રાજતન્ત્રે ભાવનગરના ઉત્તરોત્તર ઉત્કર્ષનાં બીજ રોપ્યાં છે, જે કાલક્રમે શાખાપ્રશાખારૂપે સર્વત્ર પ્રસાર પામી રહ્યાં છે. એવા પ્રદેશમાં આપણે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે ભેગા થયા છીએ. બંધુઓ, પવિત્ર સ્થાનનું માહાત્મ્ય અલૌકિક છે. તેની તાત્કાલિક અસર જાદુઈ છે. પવિત્ર સ્થાનના ચમત્કારથી ગમે તેવો અશ્રદ્ધાળુ પુરુષ પણ ક્ષણ વાર પવિત્ર બને છે. બ્રહ્મગિરિના વર્ણનમાં કવિશ્રી નર્મદે ખરું કહ્યું છે કે

‘સંસાર સંધો વિસરી જવાએ, પાપી પ્રપંચો મનમાંથી જાએ;
લીલા પિતાં હું નથિ રે ધરાતો, એવો તપસ્વી ગિરિ છે જ આ તો.’



કાઠિયાવાડમાં ભાવનગરનું સ્થાન

સામાન્ય આબાદી, વેપારરોજગાર, ને કેળવણીની બાબતમાં ભાવનગર કાઠિયાવાડમાં અગ્રસ્થાન ભોગવે છે. ભાવનગરની સંપત્તિ મહારાજા સાહેબ ભાવસિંહજી અને વખતસિંહજીના પરાક્રમ ને દૂરઅંદેશીપણાને આભારી છે. એ કામમાં સદ્ગત રૂપજી દેશાઈએ મંત્રી તરીકે તેમજ સરદાર તરીકે અગ્રેસર ભાગ લીધો છે. કલાભવન સ્થાપી ઔદ્યોગિક કેળવણીને પ્રસાર કરવાની યોજના પણ હાલ અહીં જ થઈ છે. સ્વ. સર ગૌરીશંકરભાઈ જેવા નાગરિકોએ તેની અભ્યુન્નતિને માટે જે બીજ રોપ્યું છે તે તેમની પછીના બાહોશ રાજ્યતન્ત્રીઓએ સારી રીતે પોષી વિસ્તાર્યું છે. હાલ એ રાજ્યનો કારભાર બહુશ્રુત, અનુભવસંપન્ન, કાર્યદક્ષ રાજ્યતન્ત્રી શ્રીમાન સર પટ્ટણી સાહેબના હાથમાં છે. એઓ સાહિત્યક્ષેત્રમાં વિશારદ ને સાહિત્યના પોષક છે. આવા તપસ્વી પ્રદેશમાં, બુદ્ધિની શીતલ જ્યોત્સ્ના જ્યાં સર્વત્ર પ્રસરી રહી છે એવા વાતાવરણમાં, આપણું કાર્ય સાધવા આપણે મળ્યા છીએ, તો એના ઉચ્ચ સંસ્કાર આપણી સાધનસંપત્તિ ખિલવશે અને આપણા પ્રયાસને સફળ કરશે એવી મારી આશા છે. બંધુઓ, આ રમ્ય નગરમાં હું ચોત્રીશ વર્ષ ઉપર અહીંની સામળદાસ કૉલેજમાં સંસ્કૃતના પ્રૉફેસર તરીકે એક વર્ષ રહ્યો હતો. તે સમયનાં પ્રિય સંસ્મરણના સંસ્કાર મારા મનમાં આજ જાગ્રત થાય છે અને હાલની અનેક દિશાની પ્રગતિ જોઈને હું અતિહર્ષમાં મગ્ન થાઉં છું.

સાહિત્ય સેવકોના સ્વર્ગવાસની નોંધ

પ્રથમ તો, હાલ થોડા જ વખત પર જે સાહિત્યસેવકોને આપણે ખોયા છે તેમને વિષે આપણો શોક પ્રદર્શિત કરવો એ આપણો ધર્મ છે. એમાંના મુખ્ય પુરુષ દીવાન બહાદુર રણછોડભાઈ છે. એમની સાહિત્યસેવા સુવિદિત છે. વૃદ્ધાવસ્થામાં પણ એમનામાં જુવાનીનો ઉત્સાહ ને કાર્યશક્તિ અવસાન પર્યંત જોવામાં આવ્યાં હતાં એ ખરેખરું પ્રશંસનીય છે. બીજો ખેદકારક શોક તનસુખરામભાઈના સ્વર્ગવાસનો છે. એમનું જીવન વ્યાધિગ્રસ્ત હતું, તેથી કોઈ વિષય પર એઓ મોટો ગ્રન્થ રચવા પામ્યા નથી. પરંતુ વેદાન્ત અને ન્યાયશાસ્ત્રનો એમનો ઊંડો અભ્યાસ, પ્રાચીન વિષયોની એમની સંશોધકવૃત્તિ, અને ભાષા અને સાહિત્યનું ગંભીર જ્ઞાન એમના માસિકોમાંના લેખોમાં સ્પષ્ટ જણાય છે. સાહિત્ય ને શાસ્ત્રના એવા અભ્યાસક વિરલ છે. એમના અકાલ સ્વર્ગવાસથી ગુજરાતી સાહિત્યના વિકાસને મોટી હાનિ થઈ છે. ત્રીજો સ્વર્ગવાસ શ્રી. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીનો થયો છે. એઓ સારા સાહિત્યસેવક ને પ્રૌઢ અભ્યાસક હતા. થોડાં વર્ષ થયાં એમનું આરોગ્ય સારું રહેતું નહોતું. લોકમાન્ય ટિળકના ‘ભગવદ્ગીતા’ના પુસ્તકનું એમનું ગુજરાતીમાં ભાષાન્તર આપણા સાહિત્યક્ષેત્રમાં એમની વિજયધ્વજા તરીકે પ્રકાશિત રહેશે. એઓની સાથે તેમજ એમના કુટુંબની સાથે મારો સંબંધ ઈ.સ. ૧૮૮૦માં મારી અમદાવાદમાં બદલી થઈ ત્યારનો હતો. અમદાવાદ હાઈસ્કૂલમાં ને એલ્ફિન્સ્ટન કૉલેજમાં એઓ મારા પ્રિય વિદ્યાર્થી હતા અને મારા તરફ એમની ઘણી પૂજ્યબુદ્ધિ હતી. ગયે વર્ષે સુરતમાં નર્મદજયન્તીના સમારંભમાં કવિશ્રી નાનાલાલભાઈના વ્યાખ્યાન સમયે સદ્ગત ઉત્તમલાલ પ્રમુખસ્થાને હતા. એઓનો નિવાસ મારે ત્યાં હતો અને પ્રાસંગિક વાતમાં એમણે મને કહ્યું હતું કે હું પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરવા ઇચ્છું છું ને એની સામગ્રી એકઠી કરું છું. મારી યોજના પૂરી થયે હું એક દિવસ તમારી સાથે એ વિષે ચર્ચા કરી સંમતિ મેળવી પુસ્તક રચવા માંડીશ. પરંતુ યમરાજાના દારુણ પ્રહારના પંજામાં એઓ સપડાઈ જવાથી આપણે એમની તરફથી એ અમૂલ્ય લાભ મેળવવો ખોયો છે એ ખેદની વાત છે. શ્રી. કૃષ્ણરાવ દીવેટિયાનો સ્વર્ગવાસ પણ શોચનીય છે. એઓ રસિક ને સંસ્કારી શૈલીમાં પ્રસંગે સાહિત્યની સેવા કરતા હતા. એમના અવસાનથી ગુજરાતી સાહિત્યે એક ખેલાડી લેખક અને મેં એક પ્રિય મિત્ર ખોયો છે. વળી આપણે, સાહિત્યસેવકો પ્રો. જેકીસનદાસ કણિયા અને શ્રી. દામુભાઈને પણ એજ અરસામાં ખોયા છે. તેમજ આપણે ત્રણ ત્રણ કવિરાજ ખોયા છે – રા. કાન્ત, રા. મસ્ત, અને રા. નથુરામ. ત્રણે મોટા કવિ હતા. કાન્તની સાહિત્યસેવા વિવિધ હતી. સદ્ગત ચીમનલાલ દલાલના સ્વર્ગવાસથી જૂની ગુજરાતી ભાષાના સાહિત્ય પર સારો પ્રકાશ પાડનાર એક અમૂલ્ય રત્ન આપણે ખોયું છે. છેલ્લો સ્વર્ગવાસ જેની નોંધ લેવાની જરૂર છે તે શ્રી. મનસુખલાલ રવજીનો છે. રાજકીય બાબતની ચર્ચા સાથે એઓ જૈન સાહિત્યના વિકાસમાં પણ સારો ભાગ લેતા હતા. એ બધા જીવાત્માને શ્રદ્ધાંજલિ અર્પવી ને ઈશ્વર એમના આત્માને શાન્તિ અર્પે એવી પ્રાર્થના કરવી એ જ આપણું અવશિષ્ટ કર્તવ્ય રહે છે. બન્ધુઓ, આપની સમક્ષ પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી ગુર્જર સાહિત્યવાટિકામાં જે જે રમ્ય વૃક્ષો ને લતાઓ ઉદ્ભવેલાં છે તેમાંનાં મુખ્યનો નિર્દેશ કરવા તથા તેમાંનાં કેટલાંક સુગંધી પુષ્પોનો સુવાસ પમરાવવા હું ઇચ્છું છું. વાડીમાં નીંદવા જેવું ઘાસ પણ હોય છે તેમજ ગુલાબ જેવા સુંદર છોડોમાં પણ કાંટા હોય છે. હું આપની સમક્ષ રમ્ય વૃક્ષો ને પુષ્પોનું જ દર્શન કરીશ. પછી આધુનિક સમયના આરંભના બ્રિટિશ રાજ્યની સ્થાપનાથી સર્વત્ર સલાહશાંતિના પ્રસાદથી આપણા જનસમાજમાં તેમજ સાહિત્યમાં અનેક દિશામાં પ્રગતિ થઈ જે લાભાલાભ થયા છે તે તરફ, તેમજ પ્રાચીન અને નવીન પ્રવૃત્તિઓની તુલના કરી દેશકાલાનુસારે શું યુક્ત છે તે તરફ આપનું લક્ષ ખેંચીશ. આધુનિક સમયમાં કાવ્ય, નાટક, નવલકથા, જીવનચરિત્ર, ઇતિહાસ ને વિજ્ઞાનના સાહિત્યમાં કેવી પ્રવૃત્તિ થઈ છે, કેવી થાય છે, ને કેવી ઇષ્ટ છે, તેનું દિગ્દર્શન કરાવીશ. પારસી ને મુસલમાન લેખકોએ, સ્ત્રીલેખકોએ, તેમજ દૈનિક ને માસિક પાત્રોએ કેવી સાહિત્યસેવા બજાવી છે ને બજાવે છે તે પણ આપના મોં આગળ મૂકીશ. વળી જે જે સંસ્થાઓ સાહિત્યને ખિલવે છે તેનાં કરેલાં કામોની નોંધ કરી કર્તવ્યમાર્ગ સૂચવીશ. છેવટે, સાહિત્યષરિષદના સ્થાયી મંડળની આવશ્યકતા સ્થાપિત કરીશ તેમજ એ મંડળના બંધારણ ને કર્તવ્ય વિષે મારા વિચાર દર્શાવીશ.

ગુર્જર સાહિત્યના ચાર કાળ

પદ્ય એ સાહિત્યનું કર્ણપ્રિય, મધુર અને સ્મરણશક્તિને વિશેષ સુગમ એવું અંગ હોવાથી સર્વ ભાષાના સાહિત્યમાં તેનો વિકાસ ગદ્ય કરતાં વહેલો થાય છે. ગુજરાતી ભાષામાં પણ એજ સત્ય પ્રવર્ત્યું છે. સ્થૂલ દૃષ્ટિએ નિહાળતી આપણા પદ્ય સાહિત્યના ચાર કાળ થઈ શકે છેઃ ૧. પ્રાકૃત કાળ; ૨. આદિ કાળ; ૩. મધ્ય કાળ; ૪. અર્વાચીન કાળ. પ્રાકૃત કાળમાં અપભ્રંશમાંથી નીકળેલી પ્રાચીન ગુજરાતીમાં લખાયલાં કાવ્યોનો સમાવેશ થાય છે. એ વર્ગમાં પદ્યનાભ કવિકૃત ‘કાન્હડદે પ્રબન્ધ’ તથા ભાલણકૃત ‘કાદમ્બરી’ ને ભીમકવિકૃત ‘હરિલીલાસોળકળા’, શ્રીધર વ્યાસકૃત ‘રણમલ્લછંદ’ તથા કર્મણમંત્રિકૃત ‘સીતાહરણ’, ઉપાધ્યાય મેરુસુંદરનું ‘પુષ્પમાલ પ્રકરણ’, તેમજ જૈનોના રાસાઓ એટલે પદ્યબદ્ધ કથાઓ – ઈ.સ.ના ૧૨મા સૈકામાં રચાયલા ‘સપ્તક્ષેત્રી રાસ’ તથા નરસિંહ મહેતાના સમયની કંઈક પૂર્વે રચાયલો શ્રીવિજયભદ્ર મુનિનો ‘શ્રીગૌતમરાસ’ વગેરે અન્તર્ગત થાય છે. આ પ્રાચીન ગુજરાતી ભાષા અપભ્રંશમાંથી નીકળેલી છે. અપભ્રંશના નિયમો સિદ્ધ હેમચંદ્રે પોતાના વ્યાકરણમાં દર્શાવ્યા છે તેમજ તેનાં ઉદાહરણપદ્યો પણ આપ્યાં છે. વળી લક્ષ્મીધરના ‘षड्माषाचन्द्रिका’માં, ‘रूपावतार’માં, તેમજ માર્કણ્ડેયના ‘प्राकृतसर्वस्व’માં પણ અપભ્રંશનું વિવેચન છે. અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષા, એ ભાષાના વિકાસની શાસ્ત્રીય શોધ કરનારને બહુ ઉપયોગી છે. સામાન્ય વાચકવર્ગને તે સમજવી અધરી પડે છે.

'પ્રાચીન કાળ

આ પ્રાચીન કાળથી જૈનોએ ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે. ઈ.સ.ના ૧૨મા સૈકાના ‘જંબુસ્વામીરાસ’થી ઈ.સ.ના ૧૮મા સૈકાના ‘અશોકરોહિણી’, ‘હરિબાળલચ્છી’ અને ‘શત્રુંજય રાસા’ આદિ રાસાઓ તેમણે રચ્યા છે એટલું જ નહિ, પણ રા. જગજીવનદાસ મોદીએ પ્રકાશિત કરેલી ગદ્યમય ‘વૈતાલપચીસી’ તેમજ ‘ શ્રીવસ્તુપાલતીર્થયાત્રાવર્ણન’, ‘ઉજ્જયન્તમહાતીર્થકલ્પ’ આદિ ગદ્યગ્રંથો પણ રચ્યા છે. એ ગ્રંથો ‘ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાળા’ના ૧૩મા ગ્રન્થ ‘પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ’ના ગદ્યસંગ્રહમાં પ્રસિદ્ધિ પામ્યા છે. એમાંના ‘પૃથ્વીચન્દ્રચરિત્ર’માં ૮૪ ચૌટાં, ૭૨ કળા, ને ૬૪ વિજ્ઞાન વર્ણવ્યાં છે. ઈ.સ.ના ૧૫મા સૈકામાં ઉપાધ્યાય મેરુસુંદરે ‘પુષ્પમાળ પ્રકરણ’ રચ્યું છે, તેમાંથી કવિ નર્મદે ‘નર્મકોશ’ની પ્રસ્તાવનામાં ઉલ્લેખ આપ્યો છે, તેમાં તે સમયની ભાષાનું સ્વરૂપ જણાય છે.

રાસાની ભાષા

જૈનોના રાસા છેક ઈ.સ.ના ૧૮મા સૈકા સુધીના છે. એ રાસાઓમાં જે ભાષા જોવામાં આવે છે તે જ ભાષા છેક ૧૮મા સૈકા સુધી તે સમયના લોકોમાં પ્રચલિત હતી એમ તો કહી શકાશે નહિ. વસ્તુસ્થિતિ એવી જણાય છે કે જૈન ગ્રન્થકારોને પ્રાકૃત ભાષાનો વિશેષ અભ્યાસ હોવાથી તેમજ તેમનાં સૂત્રો – શાસ્ત્રીયગ્રન્થો માગધી કે અર્દ્ધમાગધીમાં લખેલા હોવાથી એ ભાષાની અસર તેમના પર થાય એ સ્વાભાવિક છે. બ્રાહ્મણોમાં જેમ સંસ્કૃતમાં લખનાર વિશેષ કીર્તિ પામતો તેમ જૈનોમાં પ્રાકૃતમાં લખનાર અધિક સન્માન પ્રાપ્ત કરતો. આથી જૈન લેખકોએ જનમંડળમાં ચાલતી ભાષામાં લખવાને બદલે પ્રાકૃતમિશ્ર ભાષામાં લખવાનું જારી રાખ્યું. આથી જ છેક ૧૮મા સૈકામાં રચેલા જૈનગ્રન્થોની ને બ્રાહ્મણગ્રન્થોની ભાષામાં ફેરફાર છે.

નરસિંહ મહેતા
ગુજરાતી ભાષાના બ્રાહ્મણ કવિઓમાં આદ્ય કવિ નરસિંહ મહેતા છે. એમનાં કાવ્યો, પદો, ને પરભાતિયાં ભક્તિરસથી છલકાતાં છે. શૃંગારનાં પદો પણ ભક્તિમાં જ પરિણામ પામે છે. નરસિંહ મહેતાનાં નીચેનાં જેવાં પદો તો સામાન્ય સ્ત્રીપુરુષોને મુખે પણ સાંભળવામાં આવે છેઃ

‘નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજિયે રે.’

*

ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે રે,
મૂળની વાતો તમારી કોઈ નવ જાણે રે.
જોગીન્દ્રપણું, શિવજી, તમારૂં મેં જાણ્યું રે,
જટામાં ઘાલીને, શિવજી, આ ક્યાંથી આણ્યું રે.

*

‘પઢો રે પોપટ સીતા રામના, સતી સીતા પઢાવે,
પાસે બાંધી પાંજરે, મુખે રામ જપાવે.’

*

‘મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવો રે,
હું તો તલસું તમારે કાજ, હસીને બોલાવો રે.’

*
તેમજ નીચેનાં જેવાં પરભાતિયાં પણ ઘણા લોકો ને યાચકો ગાય છેઃ

‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના, ધેનુમાં કુણ જાશે.’

*

‘રાત રહે જાહરે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સુઇ ન રહેવું,
નિદ્રાને પરહરિ સમરવા શ્રીહરિ, એક તું એક તું એમ કહેવું.’

નરસિંહ મહેતાનાં પરભાતિયાંમાં ઉપદેશ, તત્ત્વજ્ઞાન, ને કૃષ્ણસ્તુતિનાં વચનો ઝળકે છે. એમને તત્ત્વજ્ઞાન કરતાં પ્રેમરસ જ ઇષ્ટ લાગે છે, તેથી કહે છે કે–

‘પ્રેમરસ પાને તું, મોરના પીંછધર, તત્ત્વનું ટુંપણું તુચ્છ લાગે.’

તોપણ મહેતા તત્ત્વજ્ઞાનની અનેક વાર સ્તુતિ કરી કહે છે કે–

‘જ્યાંલગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાંલગી સાધના સર્વ જૂઠી,
માનુષદેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.’

*

‘ભણે નરશૈયો કે તત્ત્વદર્શન વિના રત્નચિંતામણી જન્મ ખોયો.

નરસિંહ મહેતામાં શુદ્ધ ભક્તિપૂર્ણ હૃદયના સ્વાભાવિક ભાવોના તરંગો ઊછળે છે. એમાં કૃત્રિમતા નથી કે અલંકાર ઘટાવવાનો પ્રયત્ન નથી; તોપણ મીરાંબાઈના ગીતોમાં જેમ

‘બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા;
સાકરશેરડીનો સવાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે.

રાધાકૃષ્ણ.’

એ પદમાં નિદર્શના અલંકારની છાયા છે, તેમ

‘પૂર્ણ પુરુષોત્તમ નવલરંગી તજી, અન્ય દેવે જેનું મંન મોહે,
કોટિ ચિંતામણિ કામધેનુ તજી, મહિષીના પુત્રનું દૂધ દોહે.’–

એ પદમાં નિદર્શના અલંકાર છે. અલંકારો ને ગુણો વિનાપ્રયત્ને, સ્વાભાવિક રીતે જ સારા કવિઓનાં કાવ્યોમાં સ્ફુરી આવે છે.

લઘુતાવાચક પ્રત્યયો

નરસિંહ મહેતાનાં કાવ્યમાં અનેક સ્થળે લઘુતાવાચક પ્રત્યયો અને ઘણે સ્થળે એવા બેવડા પ્રત્યયો નજરે પડે છે. એ પ્રત્યયો બહુધા વાત્સલ્યવાચક, લઘુતાવાચક, કે તિરસ્કારવાચક હોય છે; ને કેટલે સ્થળે નિરર્થક – માત્ર સ્વાર્થવાચક હોય છે. અન્ય કવિનાં કાવ્યોમાં જોવામાં આવે છે તેના કરતાં મહેતાનાં કાવ્યમાં એનો પ્રયોગ વાચકનું લક્ષ આકર્ષે એવો છે; જેમ કે ‘ઘણેરૂં’, ‘સેજલડી’, ‘વિનતડી’, ‘દેહડી’, ‘સરીખડાં’, ‘આંગલડી’, ‘મરકલડો’, ‘કાંઠડલે’, ‘મારગડો’, ‘એકલડો’, ‘વહાલડો’, ‘વાછલડું’, ‘નાહનડલાં’, ‘ભોજનીયાં’, ‘ઉંઘરેટો’, ‘ગોપિકાકેરડાં’ (એમાં પ્રત્યય પર પણ).

મીરાંબાઈ

એ જ સમયમાં પાટણમાં કવિ ભાલણ, સિદ્ધપુરમાં ભીમ, અને સ્ત્રીને છાજે એવાં, લજ્જાયુક્ત, મર્યાદિત શૃંગારનાં કૃષ્ણભજન ગાઈ વાચકને કૃષ્ણભક્તિના રસમાં તરબોળ કરનાર મેડતાનાં મીરાંબાઈ ગુજરાતી સાહિત્યના આદિકાળના ક્ષિતિજમાં તેજસ્વી તારાના જેવાં પ્રકાશમાન થાય છે.

ભાલણે ‘કૃષ્ણલીલા’, ‘રામબાળલીલા’, ‘નળાખ્યાન’, ‘ઉદ્ધવઆવાગમન’, ‘રુક્મિણીહરણ’, ‘દશમસ્કંધ’ આદિ ગ્રન્થો રચ્યા છે. એનાં નીચેનાં પદો સ્ત્રીઓ ગાય છેઃ

‘ઊભી રહે રે આહીરડી, તું બોલતી વાંકા બોલ,
તારી આંખડીને મેં ઓળખી રે, અવર નહીં કોની તોલ . ઊભી’

*

‘ભીખુભાનકેરી બેટી રાધા છે મારૂં નામ.
દધિતણો જો ખપ કરો આવજો ગોકુળગામ. ભીખું.’

*

‘છબીલા નંદના રે તારી ચાલનો ચટકો જો,
છોરા આહીરના રે તારા મુખનો મટકો જો, છબીલા.’

મીરાંબાઈના ચરિત્રનું વાતાવરણ અનેક અસત્ય વૃત્તાન્તોથી દૂષિત થયું છે. એ વિષયમાં સદ્ગત તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીએ ઊંડું સંશોધન કરી ઘણો સત્ય પ્રકાશ પાડ્યો છે. એનું કવિત્વ ઉચ્ચ પ્રકારનું છે ને વાચકને ભક્તિરસમાં કલ્લોલ કરાવે છે. મહાત્મા ગાંધીજી કહે છે તેમ હૃદયમાંથી પ્રસરેલાં મનોભાવનાં એ ઝરણાં છે. એ લોકવૃત્તિને તૃપ્ત કરવા પ્રસરેલાં નથી. એની ભાષા હિંદીમિશ્રિત મધુર ગુજરાતી છે. એનાં ઘણાં કાવ્યો ભક્તજનોને ને સ્ત્રીઓને મુખસ્થ છે. થોડાંક ઉત્તમ કાવ્યો નીચે દર્શાવ્યાં છેઃ

‘રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું.’

*

‘મેરો મન હરિ લિયો રાજા રણછોડ,
કેશવ, માધવ, શ્રીપુરુષોત્તમ, કુબેર કલ્યાણકી જોડ, મેરો મન,’

*

‘બંસીવાલા આજો મોરા દેશ
આજો મોરા દેશ, હો બંસીવાલા આજો મોરા દેશ.’

*

‘આવત મોરી ગલિયનમેં ગિરિધારી મૈં તો છુપી હું,
લાજકી મારી, આવત.’

*

‘પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની.’

*

‘બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા
સાકરશેરડીનો સવાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે, રાધા.’

*

‘ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે

*

મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.’

*

‘હાં રે ચાલો ડાકોરમાં જઇ વસિયે, મને લેહે લગાડી એ રસિએ રે; ચાલો.’

*

‘મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે.’

*

‘વિપત પડે ત્યારે હરિને સંભારો મારી વહારે ચડો વનમાળી રે.’

*

‘મંદિર દેખીને ડરે રે સુદામા મંદિર દેખી ડરે રે.’



મધ્યકાળ: પ્રેમાનન્દ

મધ્યકાળમાં અનેક કવિઓ થયા, તેમાં જો કે પ્રેમાનંદે, પોતાના પૂર્વગામી કવિઓ – નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, વજીઓ – એ કવિઓનો કંઈક આધાર આખ્યાનની પસંદગી અને શૈલી, વગેરેમાં લીધો હતો, તોપણ એ કાળમાં એ કવિચન્દ્ર સાહિત્યક્ષિતિજમાં પોતાની પૂર્ણ જ્યોત્સ્ના સર્વત્ર પ્રસરાવી, અન્ય કવિતારકોને ક્ષીણ, નિસ્તેજ જેવા કરે છે; અને રસની ઝમાવટ, ભાષાનો કાબૂ, વર્ણનની શૈલી, મનુષ્યહૃદયનું અને કુદરતનું જ્ઞાન, આદિ અનેક ગુણોથી વાચકના હૃદયમાં અમીરસ રેડી તેને રસભીનું કરી આનંદની લહરીમાં આંદોલન કરાવે છે. ગુજરાતી ભાષા તે સમયે ‘શું શાં પૈસા ચાર’ તરીકે નિંદાતી હતી અને જે ને તે હિંદીમાં કવિતા રચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા હતા. એવી અધમ સ્થિતિમાંથી ગુજરાતી ભાષાને ઉદ્ધારી સંસ્કૃતના જેવી પ્રતિષ્ઠાએ પહોંચાડવા આ કવિરત્ને પ્રયત્ન આદર્યો અને ‘શક્તિ ઉપરાંત કામ સ્વીકારવું નહિ એ જેમ બુદ્ધિલક્ષણ છે તેમ આરંભેલાં કાર્યનો નિર્વાહ કરવો એ પણ બુદ્ધિલક્ષણ છે.’ એ નીતિવચનને અનુરોધે જ્યાં સુધી ગુર્જર ભાષા પ્રતિષ્ઠિત પદ પામે નહિ અને પોતે અંગીકાર કરેલા કાર્યનો એ રીતે નિર્વાહ થાય નહિ ત્યાં સુધી પોતે જંપ્યા નહિ. ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવાં અનુપમ ગીર્વાણકાવ્યો જ્ઞાનના ને નીતિના આકરગ્રન્થો છે, તેમાંથી આખ્યાનો પસંદ કરી તેમાં જનસમાજને અનુકૂળ ને હૃદયંગમ થાય એવા યોગ્ય ફેરફાર કરી ઉત્તમ કાવ્યો રચી ગુર્જર ભાષાને ઉચ્ચ કોટિમાં આણી, જનસમાજની ધાર્મિક ને રસિક વૃત્તિ પોષી અને એ જ પ્રમાણે ભાષાનો ઉત્કર્ષ કરે એવું રત્નેશ્વર, વલ્લભ, સુંદર, વીરજી, હરિદાસ, વગેરે ૧૦૦ સ્ત્રીપુરુષનું કવિમંડળ પોતાની આસપાસ એકઠું કરી તેને જેમ ઘટે તેમ કામ સોંપ્યું, જેમ રોમમાં ઑગસ્ટસ રાજાના સમયમાં સાહિત્ય પુષ્કળ કેળવાયું ને ખીલ્યું હતું, અને જેમ ઇંગ્લંડમાં ઍન રાણીના રાજ્યમાં અંગ્રેજ સાહિત્યનો અનેક દિશામાં વિકાસ થવાથી ઇતિહાસકારો ઍનના રાજ્યને અંગ્રેજી સાહિત્યનો ‘ઑગસ્ટન’ યુગ કહે છે તેમ આ મધ્યકાલને ગુર્જર સાહિત્યનો પ્રેમાનન્દયુગ – પ્રેમયુગ કહી શકાય. કવિ પ્રેમાનંદે ગુર્જર સાહિત્યની અનન્ય સેવા બજાવી છે ને

‘સાંગોપાંગ સુરંગ વ્યંગ્ય અતિશે ધારો ગિરા ગુર્જરી,
પાદે પાદ રસાળ ભૂષણવતી થાઓ સખી ઉપરી;
જે ગીર્વાણ ગિરા ગણાય ગણતાં તે સ્થાન એ લ્યો વરી;
થાયે શ્રેષ્ઠ સહૂ સખીજન થકી એ આશ પૂરો હરિ.’

એ પદ્યમાં કહ્યું છે તેવી આશા રાખીને ભગીરથ પ્રયત્ન કર્યો છે એમ સ્થાપન કરવામાં લેશ પણ અતિશયોક્તિ ને ચાટૂક્તિ નથી.



પ્રેમાનંદનું કવિમંડળઃ વલ્લભ

કવિ પ્રેમાનંદે પોતાની આસપાસ એકત્રિત કરેલા મંડળને જે કામ સોંપ્યું હતું તે કેટલેક અંશે યથાશક્તિ થયું, પરંતુ જોઈએ તેવું દીપી નીકળ્યું નહિ. રત્નેશ્વર સંસ્કૃત ભાષામાં વિદ્વાન હતો, તેણે ભાષાન્તરરૂપ કેટલાક ગ્રંથ રચ્યા અને કવિપુત્ર વલ્લભે પિતાની સ્તુતિ ને સામળભટ્ટની નિંદા કરી પોતાનાં કાવ્યોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી. તેણે ‘કુન્તી-પ્રસન્નાખ્યાન’, ‘દુઃશાસનરુધિરપાન’, ‘યુધિષ્ઠિરવૃકોદરસંવાદ’, ‘યક્ષપ્રશ્ન’, અદિ ગ્રન્થો રચ્યા છે. ગીર્વાણ ભાષા જેવી ભાષા વિષે તેણે એક સિદ્ધ પુરુષને પૂછ્યું ત્યારે તેમણે તેને ગુર્જર ભાષા જ બતાવી, એમ વર્ણવી વલ્લભે જે ગુજરાતી ભાષાનું ગૌરવ પ્રતિપાદન કર્યું છે તે દરેક સાહિત્ય સેવકે હદયમાં કોતરી રાખવા જેવું છે.

‘ઉમર મૂકી અને તું, ડુંગરને પૂજે કેમ?
ગોદમાંનો સૂત ભૂલે, જાણ્યું નહિ જેમણે.
તારી ભાષા છે જ તેવી, જાણ્યું નવ તેં જરૂર,
વિચારી જો વારંવાર, ગુણથી ઘટે ગણે.
કોમળતા કમળથી, અધિક દેખાય જેમાં,
મધુ સુધા મિષ્ટપણે, હારી હારી જાય છે,
અમલતા એના જેવી, નથી કોઈ ભાષામધ્ય,
પ્રાચીનપણું તો જેનું મોટેરૂં મનાય છે.

*

ગુર્જર ગિરાની તુલ્ય, ઉપમા ઉર્વીમાં નથી,
સર્વગુણસંપન્ન છે, ઉચ્ચાર રસાળ શો?’



સામળભટ્ટ અને અખો

એજ યુગના કવિ અખાએ પ્રેમાનંદથી જુદી જ દિશાએ સબળ પ્રયત્ન કર્યો છે. ‘રામાયણમહાભારત’નાં આખ્યાનો જનસમાજને ગાઈ બતલાવવાને બદલે પોતાની કલ્પનાશક્તિને પ્રભાવે ‘મડાપચ્ચીસી’, ‘સુડાબોત્તેરી’, ‘મદનમોહના’, ‘પદ્માવતી’, ‘ભદ્રાભામિની’, ‘નંદબત્રીસી’ વગેરે વાર્તાઓ તેમજ ‘ઉદ્યમકર્મસંવાદ’, ‘અંગદવિષ્ટિ’, ‘રાવણમંદોદરીસંવાદ’, આદિ અનેક કાવ્યો કવિ સામળે રચ્યાં છે, તેમાં તેણે વસ્તુસંકલનાની અદ્ભુત શક્તિ, જનસ્વભાવ આલેખવાનું કૌશલ્ય, અને અલૌકિક જ્ઞાન તેમજ બહુશ્રુતતા ને વ્યવહારકુશળતા દર્શાવ્યાં છે. ઉપમા તો કાલિદાસની એમ એક પ્રાચીન સંસ્કૃત પદ્યમાં કાલિદાસની પ્રશંસા કરી છે તેમ છપ્પા તો સામળભટ્ટના એમ કહેવામાં લેશ પણ અત્યુક્તિ નથી.

અખો

સંસારથી વિરક્ત થયલો, કીધેલા ઉપકારના બદલામાં નિંદા ને દોષારોપણ પામેલો, આદર્શભૂત નીતિ દર્શાવતાં કારાગ્રહમાં ગોંધાયલો અખો કવિ સંસારનો ત્યાગ કરી મનની શાંતિ પ્રાપ્ત કરવા સદ્ગુરુની શોધમાં નીકળી પડે એ સ્વાભાવિક છે. એ શોધમાં એને બેત્રણ સ્થળે સ્વાર્થી અને સંસારમાં રચ્યાપચ્યા રહેલા ગુરુઓ માલમ પડે છે એટલે એવા ગુરુઓ પર પોતાની કવિતામાં એ સચોટ પ્રહાર કરે એ પણ સ્વાભાવિક છે. આખરે, કાશીમાં મણિકર્ણિકાના ઘાટ પર એને જોઈતા ગુરુ મળે છે, તેમના તરફથી એને વેદાન્તશાસ્ત્રના ગૂઢ રહસ્યનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન તે ‘ગુરુશિષ્યસંવાદ’, ‘અખેગીતા’, ‘ચિત્તવિચારસંવાદ’, ‘પંચીકરણ’ આદિ ગ્રન્થોમાં દર્શાવે છે. એને સંસ્કૃત ભાષાનું જ્ઞાન નહોતું, તેમજ છન્દઃશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્રથી પણ એ પરિચિત નહોતો. જેવી કવિતા સૂઝી આવી તેવી કવિતામાં એણે પોતાના વિચાર દર્શાવ્યા છે. મૂળ તો વેદાન્તનો વિષય જ ગહન અને તે વળી કવિતામાં ઉતારવો એ કામ ઘણું દુષ્કર, એટલે એનાં કાવ્યો સુગમ ને લોકપ્રિય થાય નહિ એમાં નવાઈ નથી. તોપણ એનાં કાવ્યોનો કેટલોક ભાગ વ્યાવહારિક હોવાથી તેમજ તે સાદી, સરળ, ને સીધી ભાષામાં રચાયલો હોવાથી ઘણો લોકપ્રિય થયો છે. એણે લોકોને તીખી ભાષામાં ઉપદેશ આપ્યો છે. એનાં કેટલાંક પદ્યો લોકોક્તિમાં સામાન્ય પ્રચાર પામ્યાં છે; કેટલેક સ્થળે અસંસ્કારી ભાષા વાપરી પોતાનો હેતુ સાધવામાં કવિ ચૂક્યો નથી. નીચેનાં જેવાં પદ્યો ઘણાં લોકપ્રિય થયાં છેઃ

‘તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરિ ફરિ થાક્યા ચર્ણ, તોયે ન પોતા હરિને શર્ણ.
કથા સુણી સુણી ફુટ્યા કાન, તોયે નાવ્યું બ્રહ્મજ્ઞાન,
એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણીને દેખી કરે સ્નાન, તુળશી દેખી તોડે પાન.
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.’

‘ફુટકળ’ અંગમાં એવાં ઘણાં સરળ, સીધાં, ને સચોટ પદ્યો છે.

‘આવિ નગરમાં લાગિ લાય, પંખિને શ્યો ધોખો થાય;
ઉંદર બિચારા કરતા સોર, જેને નહીં ઉડયાનું જોર,
અખા જ્ઞાની ભવથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે.’

*

‘ગુરુ થઈ બેઠો સેનો સાધ, સ્વામિપણાની વળગી વ્યાધ;
તે પીડાથી દુખિયો થયો, રોગ કરાર અનુભવથી ગયો.
વાચક જાળમાં ગુંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે.’

*

‘સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ;
શિષ્ય રાખ્યાનો શિર પર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર.
આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ.’

*

‘દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતાં વધ્યું શેર;
ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન તે મૂળગું ખોય.’

*

આત્મ અનુભવે હોય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ;
અહંકૃતિ તજી સ્મરણ કરો, મન કર્મ વચન હરિ વડે આદરો;
ગવરાવ્યા જરા હરિના ગાઓ, હરિના છો ને હરિના થાઓ.’

*

‘ધન ધન જ્ઞાની જનનું ગાત્ર, જગત ગણ્યું જેણે તૃણમાત્ર;
જ્ઞાની તે જે કરે વિચાર, પરપંચ તજે ને સંઘરે સાર;
સકળ કામના સવળી કરે, વાસના વધુ ઠેકાણે ડરે;
ટાળે આપને ભાલે ઈશ, અખા એવા પુરુષને મળે જગદીશ.’

આમ કેટલેક સ્થળે અખો ઘણી સ્ફુટ ને કડવી પણ સત્ય વાણીમાં તે સમયના સ્વાર્થી ગુરુનું સ્વરૂપ ઉઘાડું કરી વેદાન્ત સિદ્ધાન્તોનો ઉપદેશ કરે છે.

‘ભાષાના અંગ’માં અખો કહે છે કે –

‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાશી ગયું?
બાવનનો સઘળો વિસ્તાર, આખા ત્રેપનમો જાણે પાર.’



‘શીલવતીનો રાસ’

આજ મધ્યકાળમાં જૈન કવિ નેમિવિજયે ‘શીલવતી રાસો’ નામનો ઉત્તમ રાસો રચ્યો છે અને વલ્લભે ‘બહુચરાજીનો ગરબો’ વીરરસમાં યોજ્યો છે.

ધીરો ભક્ત
આની પછીના ૧૮મા સૈકામાં પણ ધીરો ભક્ત, નીરાંત, તેમના શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ, તથા લજ્જારામ અને પ્રીતમદાસ, તેમજ સ્વામીનારાયણના પંથના મુક્તાનંદ, બ્રહ્માનંદ, ને નિષ્કુલાનંદ, એ ભક્ત કવિનાં કાવ્યોમાં ધર્મ ને નીતિની ભાવના ઓતપ્રોત થઈ છે. સદ્ગુરુના સંસર્ગથી કેટલો લાભ થાય છે તે ધીરાની કવિતાથી જણાય છે. એને કેળવણીનો સંસ્કાર મળ્યો નહોતો; તો પણ એક સંન્યાસીના સત્સંગથી એને જ્ઞાન પ્રાપ્ત થયું. એનાં કાવ્યોમાં ગુરુભક્તિને વેદાન્તજ્ઞાન સ્થળે સ્થળે જણાઈ આવે છે. જેમ છપ્પા સામળના તેમ કાફી તો ધીરા ભક્તની જ. એ કાફી ઘણી લોકપ્રિય થઈ છે. નીચેની ઉત્તમ છેઃ

‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.’

*

‘અંતે સંતને તેડાવે રે, હરિનું ભજન કરવા.’

*

‘પ્રભુ તમ સાથે રે મારે પ્રીત ઘણી.’

*

‘વાડો વાળી બેઠો રે પોતાનો પંથ કરવાને.’

*

‘જેને રામ રાખે રે, તેને કુણ મારી શકે?’

*

‘હીરાની પરીક્ષા રે ઝવેરી હોય તે જાણે.

ધીરા ભક્તે ‘સ્વરૂપ’ કાવ્યમાં લક્ષ્મીનું, યૌવનનું, કાયનું, માયાનું, તેમજ મનનું સ્વરૂપ ઉત્તમ કાફીમાં ગાયું છે. તેમાં ‘લક્ષ્મીના સ્વરૂપ’માં નીચેની કાફીઓ ઉત્તમ છેઃ

‘કમળ કેરૂં પુષ્પ જ રે, પ્રભાત તો થાયે જ્યારે;
ખીલવા કંઈક માંડે રે, સુગંધ અતિ દે ત્યારે.’

*

અને
‘સોમલ જેવી સાચી રે, ખાતાં ન લાગે ખારી;
વિધ વિધ રંગી દેખાયે રે, આશા વધે અવિધારી.’



લજ્જારામ

લજ્જારામે ‘અભિમન્યુ–આખ્યાન’ રચ્યું છે, તેની ભાષા પ્રાસાદિક છે ને તેમાં કવિએ કેટલેક સ્થળે રસની ઝમાવટ ઉત્તમ કરી છે. નીચેની જેવી પંક્તિઓ ઘણી લોકપ્રિય થઈ છેઃ

‘તુંજ વિના રહિશ હું કેમ ટોળા વખુટી હરણી જેમ,
સિંહ દેખી પશુ પામે ત્રાસ, ત્યમ સાંભળી હું થઈ નિરાશ.
ખોળે બેસારીને હું બાળ, ભોજન કરાવું તતકાળ;
આંખથી અળગાં થાઓ છો બાળ, પ્રાણ હરી જાઓ છે તતકાળ.
ફરી શું કહેવરાવે તુંય, રણે નહિ જાવા દેઉં હુંય.’

*

‘મને બાલુડો ન કહેશો, મારી માવડી રે’ –

વગેરે જેમાં વય કંઈ તેજનો હેતુ નથી એવી ભાવના ઉત્તમ રીતે ઘટાવી છે.

‘મને મારીને રથડા ખેડ રે, બાળા રાજા રે;
મને જુધ્ધે સાથે તેડ રે, બાળા રાજા રે.’

એમ કહી અભિમન્યુને યુદ્ધમાં જતો અટકાવવા પ્રયાસ કરી તેમાં નિષ્ફળ થઈ ને સ્વામી યુદ્ધમાં જશે એમ ખાત્રી થઈ, ત્યારે–

‘ઉત્તરા કુંવરી વાણી બોલી, સાંભળ મુજ ભરથાર;
તમે જુદ્ધ કરવા સંચરો છો ચક્રવ્યુહ મોઝાર.
મરજો કે મારજો તમે, નવ દેશો પુંઠ લગાર,
સહિયર મેણા મારી કહેશે, કાયરની આ નાર.
અવની પર જે અવતર્યો, તેને મરવું એક જ વાર;
મોત થકી ડરિયે નહિ, તે માટે ભરથાર.’

‘વેણીસંહાર’માં પણ અશ્વત્થામા કૌરવ સૈન્યને પાછું હઠતું જોઈ એવા જ વિચાર દર્શાવે છે કે સમરાંગણનો ત્યાગ કર્યાથી મૃત્યુનું ભય જ જતું રહેતું હોય તો ત્યાંથી અન્યત્ર જવું યુક્ત છે. પરંતુ જો મરણ પ્રાણી માત્રને અનિવાર્ય છે તો હે સૈનકો, તમારો યશ નકામો શા માટે મલિન કરો છો?

પ્રીતમદાસ ને નિષ્કુલાનંદ

પ્રીમદાસનાં જ્ઞાન ને ભક્તિનાં પદો પણ સારાં છે.

‘આનંદે આવો રે, જીવન જમવાને;
બહુ પાક બનાવું રે, ગિરિધર ગમવાને.’

તેમજ

‘કાયા રે તારી કામ નહીં આવે, જો કરે કોટિ ઉપાય રે;
વણશી જાતાં વાર નહીં લાગે, જો કુંદન કાપીને ખાય રે.’

અને

‘રહે રસના તું રામ ભજનમાં, હંસ દશા દિલ આણી;
કહું છું કુટિલ વચન નવ કાઢિ, વૃથા વાયસવાણી. રહે.’

જેવાં પદો વાચકને ભક્તિરસમાં તરબોળ કરે છે. નિષ્કુલાનંદે ‘ધીરજાખ્યાન’માં અનેક હરિભક્તો – પ્રહ્લાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, શિબિ, રંતિદેવ, મયૂરધ્વજ, વગેરે–નાં આખ્યાન ગાયાં છે. એમાં નીચેનું પદ ઉત્તમ છેઃ

‘ધીરજ સમ નહિ ધન રે, સંતો ધીરજ,
આવે અર્થ દોહલે દિન રે, સંતો ધીરજ.’

તેમજ વૈરાગ્ય વિષેનું નીચેનું પદ પણ ઘણું લોકપ્રિય થયું છેઃ

‘જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી.
ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી. જનની.’



મુક્તાનંદ

મુક્તાનંદે ‘સતીગીતા’માં સતી સ્ત્રીઓનો પ્રભાવ વર્ણવ્યો છે, એમાં નીચેની ગરબી વાચકના હૃદયને કરુણરસમાં તરબોળ કરે છેઃ

‘રસિયા વર રણછોડ છોગાળા, સાંભળો વિનતિ અમારી રે;
મર્માળા મુને જાણી પોતાની, હાથ ગ્રહો ગિરધારી રે.’



બ્રહ્માનંદ

બ્રહ્માનંદે કૃષ્ણ કીર્તનનાં પદો ગાયાં છે; નીચેનાં ઉત્તમ છેઃ

‘નારાયણ સુખકારી ભજી લે, નારાયણ સુખકારી;
સાધુજનની માન શિખામણ, વિષય વિકાર વિસારી. ભજી લે.’

*

‘ઓરા આવો નટવર નાનડિયા, તમે મારા જીવ સાથે જડિયા. ટેક.
શોભો છો સોનેરી પટકે, છબી રંગ ચોળતણે ચટકે;
લીધું મન હાથતણે લટકે. ઓરા.’

*

એનાં નીચેનાં જેવાં જ્ઞાનભક્તિનાં પદો પણ ઉત્તમ છેઃ

‘આ તનરંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગેજી;
અસંખ્ય ગયા ધનસંપતિ મેલી, તારી નજરો આગેજી.’

*

‘પેટ કટારી રે, પહેરીને સનમુખ ચાલ્યા;
પાછા ન વળે રે, કોઇના તે ન રહે ઝાલ્યા.’

*

‘તેની પેરે રે, હરિજન પણ જોઈને તીખા;
અંતર શત્રુને રે, લાગે અતિવજ્ર સરીખા.
માથું જાતાં રે, મુખનું પાણી નવ જાવે;
બ્રહ્માનંદ કહે રે, તે સંત હરિને મન ભાવે.’



૧૯મા સકાનાં કાવ્ય

૧૯મો સૈકો એ કાળનો છેલ્લો સૈકો છે. એમાં ગિરિધર, ભોજોભક્ત, મનોહરસ્વામી, આદિ કવિઓએ ગુર્જર સાહિત્યવાટિકાને ખિલવી છે. ગિરધર કવિએ ‘તુલસીવિવાહ’ આદિ ગ્રન્થો રચ્યા છે; પરંતુ એનું ‘રામાયણ’ લોકોમાં અતિપ્રિય થયું છે. ઉત્તર હિંદમાં જેવું તુલસીકૃત ‘રામાયણ’ પ્રિય છે તેવું ગુજરાતીમાં ગિરધરકૃત ‘રામાયણ’ પ્રિય છે. એની ભાષા સરળ ને પ્રાસાદિક છે, ને એ લોકપ્રિય રાગોમાં રચેલું હોવાથી જનસમાનમાં ઘણું પ્રચાર પામ્યું છે.

‘ત્યારે માતા કૌશલ્યાજી બોલીયાં, હો વાલા રે,
તુને નહીં જાવા દેઉં વન, કુંવરજી કાલા રે.’

ઈત્યાદિ. રામચંદ્રજીને વનમાં જતા અટકાવવા કૌશલ્યાનાં વચન કરુણારસથી ભરપૂર છે ને માતાના અકૃત્રિમ સ્નેહરસનો ખરો ચિતાર આપે છે. તેમજ પોતાની સાથે તેડી જવા સીતાજીએ રામચંદ્રને કહેલાં વચન પણ હૃદયદ્રાવક છેઃ

‘અહો નાથ હું દાસી તમારી વિજોગ નવ સેહેવાય;
તમ વિના હું કેમ રહું એકલી, એક ઘડી જુગ થાય
જળ વિના જળચર કેમ જીવે, જો કરિયે કોટી ઉપાય,
હું છાયા તમારા દેહતણી પ્રભુ કહો કેમ અળગી થાય.
કનકકાન્તિ જેમ દીપશિખા, રવિરશ્મિ સદા રહે પુરી;
તે કલ્પાન્તે વિલક્ષણ ન થાય, જે પરિમલ ને કસ્તુરી.
એમ હું તમથી ન રહું વેગળી સુણિયે શ્રીરઘુરાય;
જેમ સદા વિવેક સાધુનું હદે તજી કલ્પાંતે નવ જાય.’

એની કેટલીક ગરબીઓ પણ ઉત્તમ છેઃ

‘આવો આવો રે નંદના લાલ, મારે ઘેર આવો રે.’
‘મુને મળિયા સુંદરશ્યામ, આજે મારે દીવાળી.’



મનોહરસ્વામી

મનોહરસ્વામી એ વડનગરા નાગર મૂળ જૂનાગઢના વતની હતા. પણ ભાવનગરમાં સદ્ગત ગૌરીશંકરભાઈના આશ્રય નીચે આવીને રહ્યા હતા. પાછળની એમણે સંસારથી વિરક્ત થઈ સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને સચ્ચિદાનન્દ નામ ધારણ કર્યું હતું. પછી શ્રીયુત ગૌરીશંકરભાઈને પણ એમણે સંન્યાસની દીક્ષા આપી હતી. એઓ શાંકરમતના દૃઢ હિમાયતી હતા અને એમણે વલ્લભમતના ખંડન વિષે કાવ્ય રચ્યું છે. એઓ ગીર્વાણભાષામાં પ્રવીણ હતા અને ‘ભગવદ્ગીતા’ ને ‘રામગીતા’નું ગુજરાતી કાવ્યમાં એમણે ભાષાન્તર કર્યું છે. એઓ સ્વભાવે સ્વતન્ત્ર અને આગ્રહી હતા. એમણે ‘વલ્લભમતખંડન’ નામનો સંસ્કૃત વાદગ્રન્થ રચ્યો છે. એમને ફારસી ભાષાનું પણ સારું જ્ઞાન હતું. એ ઉપરાંત વેદાન્તવિચારથી અંકિત ‘મનોહરકાવ્ય’ પણ એમણે રચ્યું છે. એમાંની કેટલીક સુંદર પંક્તિઓ નીચે આપી છે; પંથ ચલાવનારા પાખંડી લોકોને એમણે નિન્દ્યા છે કે–

‘કંઈ પાખંડે પંથ ચલાવે, પ્રભુ થઈને પૂજાય;
શિષ્યતણો સંશય નવ ટાળે, ધૂતિને ધન ખાય.’

કવિએ સત્ય કહ્યું છે કે જ્યાંસુધી કામનાનો નાશ થતો નથી ત્યાં સુધી આન્તર મિલનતા ધોવાતી નથીઃ

‘પત્થર તેટલા દેવ કરે, તીરથમાં ડુબકાં ખાય,
વ્રત ઉપવાસે દેહ દમે પણ, મનનો મેલ ન જાય;
કામ, ક્રોધ, મદ, મોહ, મચ્છરનું, મનમાં જોર ન માય;
વિષય પામવા વલખાં વીણે, રાંક, રળાય, રાય.
માયા કાળતણા બંધનમાં, લાલચથી બંધાય;
મરીચિકાજળ મોહોમાં નાવે, આશા અદકી થાય;
ગુરુવેદાન્તવચનથી તેણે, નિજ સ્વરૂપ સમજાય,
વૃત્તિ અખંડ જ્ઞાનમય રાખે, જન્મમરણભય જાય.’

બ્રહ્માનંદનો સ્વાનુભવ થવાથી કેવું સુખ થાય છે?

બ્રહ્માનંદ મગનમાં વિલસે, ત્રિવિધ ટળી જાય;
દેહ છતે દેહભાવ તજે, દૃઢ સંશયશોક પળાય.
હસે, રમે, સ્વયં ખેલે, સ્વયંમાં બોલે, ગાય;
સ્વગતાદિક માયિક ઉદરમાંથી, ભેદ અશેષ વિલાય.
એ સુખ જે માણે તે જાણે. વાણે નવ કહેવાય;
મનોહર હરિગુરુપૂર્ણકૃપાથી, આત્માનંદ પમાય.’

આમાં અને અન્ય સ્થળે

‘मुद्यते हृदयग्रन्थिश्छिद्यते सर्वसंशयाः ।
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ।।’

અને ‘यदा सर्वे प्रमुच्यन्ते कामा येडस्य हदि श्रिताः
अथ मर्त्योडमृतो भवत्यत्र ब्रह्म समश्नुते ।।

આદિ ઉપનિષદવાકયોની છાયા આવે છે. તેમજ

‘જે અપાણિપાદ ગ્રહે ગતિ કરનાર રે,
આંખ્યો કાનો વિના દેખે સુણે ઠારોઠાર રે;
બુદ્ધિચિત્તવોણો સર્વે જાણે ને સંભારે રે,
અખંડ જ્ઞાન છે જેનું કદી ન વિસારે રે;
એને કો ન જાણી શકે, સહુનો એ જાણ રે,
નિત્ય જગદાદિ રાજે, પુરુષપૂરાણ રે.’

આમાં પરબ્રહ્મનું સ્વરૂપ ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’ના

‘अपाणिपादो जवनो प्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः ।
स वेत्ति वेद्यं न च तस्यास्ति वेत्ता तमाहुरग्र्यं पुरुषं महान्तम् ।।’-

એ વાક્યનું સંસ્મરણ કરાવે છે. ધર્મનો ઢોંગ કરનારા, બગઋષિઓના પર કવિએ સખત પ્રહાર કર્યો છેઃ

‘કપટી પાપ આપતો, હીંડે ઠારોઠાર,
ચપટી ચોખા લઈ ફરે, સર્વ દેવનાં દ્વાર,
કર જોડીને વીનવે મારાં પાપ નિવાર. કપટી.’

પણ કામદિનો નાશ થયો નથી ત્યાં સુધી સિદ્ધિ થતી નથીઃ

‘પાપતણાં તો મૂળ છે, કામાદિક મનમેલ;
ત્યાંસુધી નહીં સાંભળે, દેવ ગણે છે ફેલ.
પાપ ટાળવા ચાહે તો કામાદિકને ટાળ;
સત્ય દયા સંતોષની, આડી કરની પાળ.
નિર્મળ થઈ હરિભજન કર, રાખી દૃઢ વિશ્વાસ;
મનોહર સદ્ય મુકાવશે, કાપી પાતકપાશ.’ કપટી.

વળી–

‘શત સંવત્સર તૂંબડી, જળમાં ડબકાં ખાય
અંતર ધોયા વિણ કદી, કટુતાઈ નવ જાય.’

જેવી પંક્તિઓમાં મન નિર્મળ કરવાનો યોગ્ય ઉપદેશ કર્યો છે. જીવન્મુક્ત કયારે થવાય તેને માટે નીચેનું પદ ગાયું છેઃ

‘જે કોઈ સદ્ગુરુશરણે જાય, તેના સંશય દૂર પલાય;
કામ, ક્રોધ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા લય થાય,
અતિશયિતાદિક દોષ વિષયના, ઉરમાંહે દેખાય. જે કોઈ.

*

સમરસવ્યાપક સચ્ચિદ આનંદ, રૂપ થઇને વિલસાય;
મનોહર મરણતણો ભય ભાગે, જીવન્મુક્ત કહેવાય. જે કોઈ.’

વળી નીચેનાં જેવાં પદ સંસારનું સત્ય ચિત્ર દર્શાવી મતને બોધ ને શાન્તિ આપે છેઃ

‘મન તું મે’લ જૂઠ જંજાળ, માથે ભમે અચાનક કાળ. ટેક.
ભવસાગરમાં ચાર ખાણના, જંતુ લઘુ વિશાળ;
અગણિત પ્રગટે, અગણિત મારે, કાળ પાથરી જાળ. મન તું.
કાળતણો જે કાળ નરહરિ, તે સાચો રખવાળ;
વેગે શરણ ગ્રહે તે હરિનું, લેશે શીઘ્ર સંભાળ. મન તું.
ચેત ચેત રે ચેત શીઘ્રથી, મૂકી આળપંપાળ;
મનોહર મૃત્યુ થકી મૂકાવે, ચિદ્ઘન દીનદયાળ. મન તું’



ભોજો ભક્ત

ભોજો ભક્ત પણ કાઠિયાવાડનો વતની હતો ને એ જ સમયમાં થઈ ગયો. એ અસંસ્કારી કુટુંબમાં જન્મ્યો હતો ને એને વિદ્યાનો સંસ્કાર મળ્યો નહોતો તોપણ કુદરતની બક્ષિશથી એણે અસરકારક પદો ગાયાં છે. એના ‘ચાબખા’ કેટલાક સ્થળે અસંસ્કારી, સીધી ને સચોટ ભાષામાં હોવાથી અને હૃદયના અન્તર્ભાગમાંથી નીકળેલા હોવાથી વાચકના હૃદયને ભેદે છે. જેમ ધીરો ‘કાફી’ માટે પ્રસિદ્ધ છે, તેમ ભોજો ભક્ત ‘ચાબખા’ માટે પ્રસિદ્ધ છે. નીચેના ચાબખા લોકપ્રિય થયા છેઃ

‘પ્રાણીયા ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર.’

*

‘મુરખા મોહી રહ્યો મારૂં રે, આમાં કાંયે નથી તારૂં રે.’

*

તેમજ નીચેના જેવી ‘હોરીઓ’

‘નાથ મોરી અરજ સુણો અવિનાશી,
હું તો જનમ જનમ તોરી દાસી – નાથ.’

અને ‘કાચબોકાચબી’ ‘કાચબો કહે કાચબી, તું ધારણ રાખની ધીર’ – એ ગરબી જનમંડળમાં બહુ પ્રચાર પામી છે.

કવિ દયારામ

જેમ આદિકાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ નરસિંહ મહેતા અને મધ્ય કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ કવિ પ્રેમાનંદ છે. તેમ અર્વાચીન કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ સહૃદય ને ફાંકડો કવિ દયારામ છે. એણે અનેક ગ્રન્થો ગુજરાતી ને હીંદીમાં રચ્યાં છે. એના મધૂર કોકિલકંઠે એ અનેક રસિક ગાયનો, ભજનો, ને ગરબીઓ લલકારતો. કહે છે કે એમાંનાં કેટલાંક પદો તે એના ભક્તોથી ઉતારી શકાયાં પણ નથી, કવિ નર્મદે એનાં કાવ્યો તેમજ જન્મચરિત્રની હકીકત એકઠી કરવા અતિશય પ્રયાસ કર્યો છે.

કવિ વૈષ્ણવ મતનો દૃઢ હિમાયતી હતો. એણે નવ પ્રકારની ભક્તિમાં દસમો પ્રેમલક્ષણા ભક્તિનો પ્રકાર ઉમેર્યો છેઃ

‘શ્રવણ, કીરતન શ્રીકૃષ્ણનું, સ્મરણ, સેવન, અરચંન,
વંદન, દાસત્વ, સખ્યતા, વળી આત્મનિવેદન.
આત્મનિવેદન નવધા કહીએ, પ્રેમલક્ષણા દશમી લહિયે.
એ ભક્તિ સહુ સાધનતાજ, જે પામે વશ થાયે વ્રજરાજ.’

આગળ ચાલતાં કવિએ પ્રેમ, સ્નેહ, ને પ્રેમભક્તિનું સ્વરૂપ સુંદર રીતે દર્શાવ્યું છેઃ

‘રૂપ, દ્રવ્ય, ગુણ, ત્રણે એ કારણ પ્રીતિ થવાનાં કહાવે;
એ ત્રણ વિકારરહિત સહજ, સ્નેહ તે શ્રીકૃષ્ણને ભાવે.
ભાવે એ પ્રેમ વહાલો વશ થાએ, તેણે મૂકી ક્ષણ દૂર નવ જાએ,
તે જને માન્યું મત એહ, જેમ તેમ થાયે સુખી પ્રભુ તેહ.
પ્રેમ, આસક્તિ, વ્યસન એ, ત્રણે રૂપ સ્નેહનાં લઇયે,
તે ઉપર ચોથી તન્મયંતા, તે થકી કાંઇયે ન કહીયે.
કહીએ પ્રેમનું લક્ષણ એહ, જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ;
વિજોગ થાય ત્યારે તપે તન, તાંહાંનું તાંહાં વળગ્યું મન.
એક વાર પણ આખા દિવસમાં, મળ્યા વિના નવ રહેવાએ,
જો ન મળે તો વિકળ થાય, આસક્તિ એ કહેવાએ.’

એજ પ્રમાણે વ્યસન ને પ્રેમલક્ષણા ભક્તિનું લક્ષણ આપી તેનાં સ્વરૂપ સુંદર શબ્દોમાં સમજાવ્યાં છેઃ

‘પ્રેમલક્ષણા વળી દ્રગરુચિ અભિલાષા ઉદ્વેગ ચાર.’

ગોપીની શ્રીકૃષ્ણ પ્રતિની ભક્તિ એ એવી ચાર પ્રેમલક્ષણા ભક્તિ છેઃ

‘જાતી જુઓ તો આહીરની, તેમ અબળા અધમ અવતાર;
વેદાદિક નોતી ભણી, નોતો ઉત્તમ કર્મ અધિકાર.
અધિકાર પણ એક પ્રેમપ્રતાપ, કર્યા અધીન શ્રીકૃષ્ણ જે આપ;
ગોપીની પદરજ વંદે ઈશ, કર્યા પ્રેમલક્ષણા તે સહુને શીશ.’

દયારામનાં કાવ્યો ત્રણ વિભાગમાં વિભક્ત થાય છેઃ ૧. ભક્તિનાં ને નીતિનાં કાવ્ય; ૨. જ્ઞાનનાં કાવ્ય; ૩. ગરબીઓ.

‘ઓધવજી છે અળગી રે વાત એક પ્રેમતણી.’

એ ‘પ્રેમપરીક્ષા’ના કાવ્યમાં જ્ઞાન કરતાં ભક્તિનો અધિક પ્રભાવ દર્શાવી કવિએ જ્ઞાની ઓધવજીનું મન પ્રેમ તરફ વાળ્યું છેઃ

‘એવાં વચન સુણીને રે, ઓધવજીની ભ્રાંતી ટળી,
જાગજંજાળ છૂટી રે, ગયું મન સ્નેહમાં મળી;
અભિમાન મૂકીને રે, ઓધવ ગોપીપાય પડયા;
કહું દયાનો પ્રીતમજી રે, નિશ્ચે એક તમને જડ્યા.’

કવિશ્રીનું ‘માતા જસોદા ઝુલાવે પારણે–’ એ પારણું તેમજ

‘એક સમે હનુમાન ગરુડ બેહુ એક સ્થળે મળિયા;
કોઈ કોઈના ગાંજ્યા ન જાય, એમ અકેકપેં બાળિયા’–

એ હનુમાનગરુડ–સંવાદની લાગણી ઘણાં લોકપ્રિય થયાં છે.

દયારામની ગરબીઓ
ગરબીઓમાં અનેક ગરબીઓ ગરબાના દહાડામાં કે અન્ય અન્ય પ્રસંગે સ્ત્રીઓ લલકારીએ ગાય છે. મીરાંબાઈનાં ભજનો ને દયારામની ગરબીઓ સ્ત્રીવર્ગમાં અતિશય પ્રચાર પામ્યાં છે. એવી ગરબીઓમાંથી માત્ર થોડીનો જ નીચે નિર્દેશ કર્યો છેઃ

‘સુણો સામળા, હું તમ માટે ઘેલી થઈ જો.’

*

‘સાંભળ રે તું સજની મ્હારી, રજની કયાં રમી આવીજી.’

*

‘પ્રેમની પીડા તે કોને કહિયે રે, હો મધુકર. પ્રેમની.’

*

‘શીખ સાસુજી દે છે રે, વહુજી રોહો ઢંગે.’

*

‘આઠ કુવાને નવ વાવડી રે લોલ.’

*

‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ.’

*

‘મોહોલે પધારો મહારાજ, મણીધર. મોહેલે.’

*

‘લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો.’

*

‘કાનુડો કામણગારો રે, સાહેલી આ તો કાનુડો કામણગારો રે.’

*

‘મીરાં મન મોહનશું માન્યું.’

*

‘સખિ હું તો જાણતી જે સુખ હશે સ્નેહમાં.’

*

‘ચાલ વ્હેલી અલબેલી પ્યારી રાધે.’

*



નીતિભક્તિનાં પદ્યો

નીતિભક્તિનાં પદોમાં

‘હરિ જેવો તેવો હું દાસ તમારો, કરુણાસિંધુ ગ્રહો કર મારો.’

*

‘ચિત્ત તું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’

*

‘સર્વ તજીને ભજિ લે શ્રીગોવિંદને.’

*

‘શું જાણે વ્યાકર્ણી વસ્તુને શું જાણે વ્યાકર્ણી?’

*

‘હરિ તુંને પ્રસન્ન તે કેમ થાએ?’

*

‘ગર્ભવાસમાં રાખ્યો રે કિરપા તને બહુ કરી’ એવાં પદો ઉત્તમ છે.



હિંદી કાવ્યો

કવિએ ‘સતસૈયો’ નામનું મોટું હિંદી કાવ્ય રચ્યું છે, તેમાં કલ્પનાશક્તિનું ઊંચુ ઉડ્ડયન છે, તથા પ્રૌઢ વિચાર ને શબ્દચમત્કૃતિના સુંદર દાખલા છે.

‘રસિકવલ્લભ’

‘રસિકવલ્લભ’ એ કવિનાં જ્ઞાનકાવ્યોમાંનું મુખ્ય છે. એમાં કવિએ વેદાન્તનું સારું જ્ઞાન દર્શાવ્યું છે. પરંતુ પુષ્ટિમાર્ગનું પ્રતિપાદન કરીને અટકવાને બદલે કવિએ શાંકર મત પર આક્ષેપ કર્યો છે અને એમ કરવામાં ન્યાય ને તર્કને બદલે યુક્તિપ્રયુક્તિનો પ્રયોગ કર્યો છે. કૃષ્ણ ને રાધાનું અદ્વૈત માની,

‘શ્રીકૃષ્ણ રાધા નામ બે, વસ્તુતા જોતાં એક,
જ્યમ અગ્નિજ્વાળા, ચંદ્રકૌમુદી, સિંધુ ને વળી છોળ
કહેવાં ભિન્ન અભિન્ન બંધે, વસ્તુ એક જ ખોળ.
જે એકમેવાદ્વિતીયં બ્રહ્મ, કહ્યું શ્રુતિ જુગજાણી;
નહિ તો થયું ધ્રુવ એવ શબ્દે, અદ્વિતીય શિદ વાણી.’

એ પદ્યોમાં કવિ કહે છે કે ‘એવ’ શબ્દથી નિશ્ચયનો અર્થ વાચ્ય થાય છે તો તેના પછી ‘અદ્વિતીય’ શબ્દની નિષ્પ્રયોજક પુનરુક્તિ છે; એથી એટલું જ વ્યંગ્ય થાય છે કે દ્વિતીય; રાધા ને કૃષ્ણનું યુગ્મ જાણીને જ શ્રુતિએ એમ કહ્યું છે. આવે સ્થળે તેમજ–

‘કહિએ વળી સમવાયી કારણ વિવર, ચક્ર ને દંડ’

એમાં નિમિત્તકારણને કવિએ, સમવાયી કારણ માન્યું છે. એવે સ્થળે ન્યાય અને વેદાન્તશાસ્ત્રનાં ગૂઢ તત્ત્વનું અજ્ઞાન સ્ફુટ થાય છે.

ગદ્યસાહિત્યનો ઉદ્ભવ

આ પ્રમાણે આદ્ય, મધ્ય, અને અર્વાચીન સમયના ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કર્યું, ને મુખ્ય કવિઓનાં કેટલાંક ઉત્તમ કાવ્યોનું દિગ્દર્શન પણ કર્યું. ઉપસંહારરૂપે કહેતાં આ બધા સમયમાં પદ્યસાહિત્યનો જ વિકાસ થયો હતો. ગદ્યસાહિત્યમાં શાસ્ત્રીય ગદ્ય સિવાય રૂઢ ગદ્યને હજી ઉદ્ભવ જ થયો નહોતો. પદ્યસાહિત્યમાં પણ બહુધા આખ્યાનો, વાર્તાઓ, નીતિ, ભક્તિ, જ્ઞાન, અને ઈશ્વરપ્રાર્થનાનાં જ કાવ્યો રચાયાં હતાં. બધાં પદ્યોનો પ્રવાહ આ એક જ દિશા તરફ વહ્યો હતો. આ સાહિત્યમાંનું આદિ ને મધ્ય કાળનું સાહિત્ય અંગ્રેજ અમલ થયા પહેલાં રચાયું હતું. અર્વાચીન સમયનું કેટલુંક સાહિત્ય એ અમલ થયા પછીનું હતું તો પણ તેમાં અંગ્રેજી કેળવણીના સંસ્કાર પડ્યા નથી.

બ્રિટિશ રાજ્યથી સાહિત્યને થયેલા લાભાલાભ

અંગ્રેજ સરકારનો અમલ થયાથી કેળવણીને બહુ લાભ થયા તેની સાતે કેટલાક ગેરલાભ પણ થયા. જાનમાલની સહીસલામતી થવાથી ને દેશમાં શાન્તિનાં શીતલ કિરણ પ્રસરવાથી લોકોનાં ચિત્ત સાહિત્યની ખિલવણી કરવા પ્રવૃત્ત થયાં. અંગ્રેજી ભાષાનું વિશાળ, સંસ્કારી, ને ભિન્ન ભિન્ન રંગે રંગાએલું ને ભિન્ન માર્ગમાં પ્રવૃત્તિવાળું સાહિત્ય શીખવાથી વ્યક્તિસ્વાતન્ત્ર્યનાં ને સામાજિક સુધારાનાં બીજ વાચકના મનમાં રોપાયાં. મિલ, બર્ક, મેકૉલે, કાર્લાઈલ, બેકન, હૅલમ જેવા ઉત્તમ ગ્રન્થકારોના ગ્રન્થોનું અધ્યયન ને પરિશીલન કરવાથી વાચકની બુદ્ધિ ખીલી, તેના વિચારો પ્રૌઢ થયા અને તેનું લક્ષ સ્ત્રીકેળવણી ને સામાજિક સુધારાની તરફ આકર્ષાયું. સ્ત્રીવર્ગનો અજ્ઞાનાંધકારમાંથી ઉદ્ધાર કરી તેની અધમ દશા સુધારવા તરફ તેનું લક્ષ ગયું. પરદેશગમનનો માર્ગ ઊઘડ્યો. એ વિષે લોકોના વિચાર-ફેરવાયા. ઘરકૂકડાની પેઠે ઘરમાં ભરાઈ રહેવાને બદલે વેપારરોજગારને કે જ્ઞાનસંપાદન કરવાને અર્થે લોકો પરદેશ જતા થયા. પ્રવાસથી અને સુધરેલા લોકોના સમાગમથી તેમનો દૃષ્ટિકોણ વિશાળ ને વિસ્તીર્ણ થયો; અને વિચારક્ષેત્ર ને કાર્યક્ષેત્ર ભિન્નભિન્ન માર્ગે પ્રવર્ત્યું ને ખીલ્યું. આપ્ત પુરુષનું વચનમાત્ર પ્રમાણભૂત છે એમ માની લેવાની વૃત્તિ ઓછી થતી ગઈ. દરેક લખાણને અને વચનને બુદ્ધિ અને તર્કની કસોટીએ ચઢાવી તેની સમ્યક્ પરીક્ષા કર્યા પછી જે તેને સત્ય ને પ્રમાણભૂત તરીકે સ્વીકારવાની વૃત્તિનો ઉદ્ભવ થયો. અંગ્રેજો સાથેના સહવાસથી તેમના સમાજબંધારણનું જ્ઞાન થયું. ગુજરાતી સાહિત્યમાં નવલકથાઓ અને વિજ્ઞાનનાં પુસ્તકો રચાવા માંડ્યાં. વિવેચક ને સંશોધક શક્તિનો ઉદ્ભવને વિકાસ થયો. માનસિક દૃષ્ટિની મર્યાદા ઉદાર, વિશાળ, ને વિસ્તીર્ણ થઈ.

ગેરલાભ

અંગ્રેજ જેવી કેળવાએલી પ્રજાના સમાગમ ને સંસર્ગથી અને તેની શિષ્ટ ને સંસ્કારી વાઙ્મયના અધ્યયનથી આવા ઘણા લાભ થયા. સંસ્કૃત, ફારસી ને અરબી, એ પ્રાચ્ય ભાષાઓની કેળવણી આપવી કે પાશ્ચાત્ય ભાષા અંગ્રેજીની, એ પ્રશ્નનો નિર્ણય કરવાનું કામ મેકૉલેના હાથમાં આવ્યું. તેણે અંગ્રેજી ભાષાની જ કેળવણી આપવી ને તે અંગ્રેજી ભાષા મારફતે જ એવો નિર્ણય કર્યો અને એ નિર્ણયને અનુસરીને બ્રિટીશ કેળવણીનું બંધારણ યોજાયું. તેથી દેશી ભાષાઓની કેળવણીને ભારે નુકશાન પહોંચ્યું. માતૃભાષાની ખિલવણીને મોટો પ્રતિબન્ધ નડ્યો અને એ હાનિનાં અનિષ્ટ ને કડવાં ફળ હજી પણ આપણને ભોગવવાં પડે છે.

પ્રાચીન અને નવીન

જેટલું પાશ્ચાત્ય એટલું સ્તુત્ય ને ગ્રાહ્ય અને પ્રાચ્ય એટલું ગર્હ્ય ને ત્યાજ્ય એવો કુવિચાર ઉત્પન્ન થવાથી કેટલાક લોકો ઉન્માર્ગે પ્રવૃત્ત થયા. પાશ્ચાત્ય આચારવિચાર સારા, પાશ્ચાત્ય રહેણીકરણી ઉત્તમ, પાશ્ચાત્ય સામાજિક સ્વતંત્રતા આવશ્યક, પાશ્ચાત્ય પોશાક ને પાશ્ચાત્ય ભોજન આરોગ્યને વિશેષ હિતકર, જેટલું પાશ્ચાત્ય એટલું સંસ્કારી ને ગ્રાહ્ય ને પ્રાચ્યમાત્ર તિરસ્કાર્ય, એવી વૃત્તિનો કેટલાક તરુણ ને બિનઅનુભવી પુરુષોમાં જન્મ થયો અને તેમનો સંસર્ગદોષ બીજાઓને વળગ્યો. પ્રાચ્યસાહિત્યમાં ને ધર્મમાં કંઈ સત્ત્વ નથી. એ બધું દરિદ્ર, નિઃસત્ત્વ, અને મનને કોઈ પણ પ્રકારે કેળવે નહિ એવું છે એવો અકલ્યાણકારક વિચાર ઉત્પન્ન થવાથી પ્રાચ્ય આચારવિચારથી લોકો ભ્રષ્ટ થવા માંડ્યા. પ્રાચ્ય ભાષાનો ને દેશી અભ્યાસ નષ્ટપ્રાય થયો. શાસ્ત્રીય પદ્ધતિનો વિધ્વંસ થયો ને ઉપલકિયા અભ્યાસ તરફ લોકોનું વલણ થયું. ગ્રન્થકાર, કવિ કે પત્રકાર થતાં પહેલાં તેને માટે શી સાધનસંપત્તિ આવશ્યક છે તેનો વિચાર કરવાની પણ જરૂર રહી નહિ. નિયમમાત્રનો ત્યાગ કરવા તરફ પ્રબળ વલણ થયું. પ્રાચીન નિયમબદ્ધ કાવ્યને બદલે સ્વચ્છંદી છન્દોમાં કે ગદ્યમાં પણ પદ્ય રચાવા માંડ્યાં. ગદ્યમાં કાવ્યત્વ હોય પણ પદ્યમાં ગેયત્વ આવશ્યક છે એનો પણ અસ્વીકાર થવા માંડ્યો. સાહિત્યમાં આત્મબળ તરફ અશ્રદ્ધા ઉત્પન્ન થવાથી તરજુમિયાં લખાણો તરફ મન આકર્ષાયું. ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી ને વડોદરાનું ભાષાન્તરખાતું તેમજ સાહિત્યપરિષદની ભંડોભકમિટી પણ બહુધા એવાં તરજુમિયાં લખાણોને જ ઉત્તેજન આપતાં જણાય છે એ ખેદ સાથે કહેવું પડે છે. ઊંચા શાસ્ત્રીય ગ્રન્થોના દેશકાલાનુસારી રૂપાન્તર કે ભાષાંતર જરૂર અંશે છે એની ના કહેવાશે નહિ. પરંતુ સ્વતંત્ર ગ્રન્થોની ઘણી આવશ્યકતા છે એ નિઃસંશય છે.

મોહન નવીનતા

નવીનતાનો મોહ મનુષ્યમાત્રને માદક પદાર્થની પેઠે પરવશ કરે છે ને તેની વિચારશક્તિનો લોપ કરે છે. કવિકુલગુરુ કાલિદાસે કાવ્યના સંબંધમાં કહ્યું છે તેમ વસ્તુમાત્રમાં બધી નવીન કંઈ નવીનતાને લીધે જ ગર્હ્ય નથી. સાધુ પુરુષો નીરક્ષીરન્યાયે સારાસારનો વિવેક કરીને જ પ્રાચ્ય કે પ્રતીચ્ય, બેમાંથી એકનું ગ્રહણ કરે છે. સ્વતંત્ર બુદ્ધિથી વસ્તુઓની તુલના કરી સારનું ગ્રહણ કરવાને બદલે બુદ્ધિને તિલાંજલિ આપી પારકાના વિચારથી જ દોરાય છે તે મૂઢ છે, વિવેકશૂન્ય છે. દેશકાળનો ને પરિસ્થિતિનો વિચાર કરીને આચારવિચારમાં તેમજ સાહિત્યમાં ફેરફાર કરવો એ જ ઉત્તમ માર્ગ છે.

અંગ્રેજી કેળવણીનો આરંભ

ગુજરાતમાં અંગ્રેજી કેળવણીનો દીપ પ્રથમ સુરતમાં પ્રગટ્યો અને ત્યાંથી તેનો પ્રકાશ ગુજરાતના બીજા ભાગમાં તથા કાઠિયાવાડમાં ને કચ્છમાં પ્રસર્યો. એક સમય એવો પણ હતો કે ત્યારે સુરતના વતનીઓ ગુજરાત કોલેજના પ્રિન્સિપાલો અને ઘણાખરા ડેપ્યુટિ ઈન્સ્પેક્ટરો સુરતી હતા. આધુનિક ગુજરાતી સાહિત્યનો આરંભ પણ સુરતમાંજ થયો. ત્યાં સાહિત્યક્ષેત્રમાં ત્રણ રત્નો એકી વખત ઝળહળી નીકળ્યાં. એ રત્નોએ સાહિત્યનો વિકાસ જુદા જુદા માર્ગમાં કર્યો. એ રત્નોમાં સાહિત્યની અનન્ય સેવા કરી વિવિધ માર્ગે ખિલવનાર. ‘રૂઢ, રમતી, ને મર્માળી’ ભાષામાં ગુજરાતી ગદ્યના ઉત્પન્ન કરનાર, ગુજરાતી કોશના આદ્ય પ્રણેતા, સંસારના સુધારાનો ઝુંડો ઉઠાવનાર, વહેમદુર્ગનો વાગ્બાણના વજ્રપ્રહારથી નાશ કરનાર, ‘આંખમાં ઝળઝળીઆં સાથે’ કલમને ખોળે બેસનાર, કલમને ખોળે જ ૨૪ વર્ષ લાડ લાડનાર, એ ટેક જવાનો સમય આવતે દિલગીરીથી તે છોડવો પડ્યો ત્યારે અવશિષ્ટ જીવન ખેદથી નિર્ગમન કરનાર, સાહિત્યસેવામાં જીવન અર્પણ કરવાની આદર્શભૂત પ્રતિજ્ઞા અવસાનપર્યન્ત પાળનાર, જુવાનીના ઉચ્છેદક વિચારોના ત્યાગપૂર્વક સંરક્ષણ દર્શાવનાર ‘ધર્મગ્રન્થ’ પ્રસિદ્ધ કરવાની અડગ હિંમત ધરાવનાર, ધીટ નરવીર, ‘ ગરવી ગુજરાત’ને સાહિત્યમાં ઉચ્ચતમ સ્થાને પહોંચાડનાર, ‘પ્રેમશૌર્ય’ અને સ્વદેશાભિમાનની ઉચ્ચ વૃત્તિ જનસમૂહમાં જગવનાર ને ઉત્તેજનાર, સ્વાનુભવરસિક કવિ નર્મદે અદ્વિતીય સાહિત્યસેવા બજાવી છે; ને દ્રવ્યની આપત્તિમાં એકલે હાથે, સરકાર કે રાજ્યના આશ્રય વિના ગુજરાતી સાહિત્યની જે ભિન્ન ભિન્ન દિશામાં ખિલવણી કીધી છે તે હાલના, પ્રગતિની વાતોમાં જ કાર્યની પરિસમાપ્તિ માનનાર વાચાળ જમાનામાં એક આદર્શભૂત ને સર્વથા અનુકરણીય દૃષ્ટાન્ત છે. તરુણ લેખકોએ આની નકલ યથાશક્તિ કરવા પ્રવૃત્ત થવું જોઈએ તેઓ સાહિત્યની સંગીન સેવા બજાવવા તત્પર થશે તો સાહિત્યવૃક્ષ શાખાપ્રશાખાથી ચારે તરફ ફાલી સમૃદ્ધ થશે.

સાહિત્યસેવા માટે અધિકાર પ્રાપ્ત કરવાની આવશ્યકતા

પરંતુ તરુણ સાહિત્યસેવકોએ એક વાત લક્ષમાં લેવા જેવી છે. પ્રાચીનકાળથી આપણા વિદ્વાનો અધિકાર પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ કાર્ય માથે લેતા નહિ. ગુરુચરણની નમ્રભાવે સેવા કરી તેમની પાસેથી અધિકાર પ્રાપ્ત કર્યા પછી જ ગુરુપ્રસાદીથી મેળવેલી વિદ્યાનો તેઓ ઉપયોગ કરતા, પ્રાચીન શ્રુતિમાં આખ્યાનરૂપે કહ્યું છે તેમ ગુરુને પણ એવી આજ્ઞા હતી કે શ્રદ્ધાળુ, નિંદા ન કરનાર, પવિત્ર ને ઋજુ પુરુષને જ વિદ્યાદાન આપવું, એથી હું વીર્યવતી થઈશ એમ વિદ્યાએ કામરૂપિણી થઈ બ્રાહ્મણ પાસે જઈ તેને કહ્યું છે. કાવ્ય લખતાં પહેલાં કવિ નર્મદે જયદેવના અલંકારગ્રન્થ ‘ચંદ્રાલોક’નો અને વૃત્તરત્નાકર, શ્રુતબોધ,’ આદિ પિંગળગ્રન્થોનો અભ્યાસ કર્યો અને એક કડિયાના ઘરમાં દાદુપંથી સાધુકવિ લાલદાસનાં સંગ્રહમાંથી ‘છંદરત્નાવળી’ નામનું પુસ્તક શોધી તેને ઘેર દરરોજ જઈ તેની નકલ કરી; અને તે સમયે ગુજરાતીમાં પિંગળ છપાયું નહોતું તેથી એ રીતે છન્દઃશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. વળી ભાષાના સંસ્કારી જ્ઞાન માટે કવિ ‘સારસ્વત’, ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ ને ‘રઘુવંશ’ આદિ સંસ્કૃત કાવ્યો શાસ્ત્રી પાસે શીખ્યા. આટલો અધિકાર પ્રાપ્ત કર્યા પછી પોતે લેખક થયા અને પોતાના બુદ્ધિપ્રભાવે ને ઉત્સાહે સાહિત્યક્ષેત્રમાં પોતાનો અમર કીર્તિસ્તંભ સ્થાપ્યો. હાલમાં તો નવલરામભાઈ કહે છે તેમ જે ને તે કવિ થવા ઇચ્છે છે અને પોતાના નામની પૂર્વે ‘કવિ’ (તેમાં ‘વિ’ હ્રસ્વને બદલે દીર્ઘ હોય તો ફિકર નહિ) એવું ઉચ્ચપદ મૂકવા અભિલાષા રાખે છે. પ્રતિભા, શાસ્ત્રજ્ઞો પાસે કરેલો અભ્યાસ, બહુશ્રુતપણું, કાવ્યશાસ્ત્રનું ને ઉત્તમ કાવ્યોનું પરિશીલન, એ બધાં અત્યાવશ્યક સાધનો પ્રાપ્ત કર્યા વિના કાવ્ય રચવાં એ ઉપહસનીય જ થાય છે. સૉક્રેટીસના વિચાર પ્રમાણે દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ પ્રાપ્ત કરવાની વસ્તુ જ્ઞાન છે, અને ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન આપણા પોતાના વિશેનું છે. આપણું પ્રમાણ આપણે પોતે માપવું જોઈએ. જેમ આપણે આપણી શક્તિને વધારે ઓળખીશું તેમ આપણું જ્ઞાન કેવું સ્વલ્પ છે તે આપણને સમજાશે. વળી આપણી સ્વલ્પ જ્ઞાનમર્યાદામાં જે ઘણું સત્ય ભાસતું હતું તે મર્યાદા વિસ્તીર્ણ થયે અસત્ય છે એમ ખાતરી થશે.

કવિ નર્મદ
કવિ નર્મદના સમયથી કાવ્યસાહિત્યનો માર્ગ બદલાયો. અગાઉ માત્ર જ્ઞાન, નીતિ, ને ભક્તિના જ ક્ષેત્રમાં કાવ્યસાહિત્ય વિચરતું હતું. તેને બદલે હવે તેનું ક્ષેત્ર વિસ્તૃત થયું. સામાજિક બંધનો, વહેમો, વાંધાભરેલી રૂઢિ, વ્યસનો કેફ, વિધવાનું દુઃખ, પુનર્વિવાહ, સ્વતંત્રતા, સ્વદેશાભિમાન, દેશદાઝ, અને કુદરત, એ બધા વિષયો પર કાવ્યો રચી કવિએ તેના પ્રવાહની દિશા બદલી. ‘વનવર્ણન’, ‘કબીરવડ’, અને ‘પ્રવાસવર્ણન’માં કવિએ કુદરતના સ્વરૂપનું ઉત્તમ ચિત્ર આપ્યું છે. શૂરવીરનાં લક્ષણનાં પદોમાં કવિએ દાસત્વને નિંદી, સાહસ કરવાની વૃત્તિ ઉત્તેજી, સ્વતંત્રતાની રૂડી ભાવના વાચકના હૃદયમાં જાગ્રત કરી છે. એમાંનાં નીચેનાં પદો ઉત્તમ છેઃ

‘રડ્યાં કરે શૂં વળશે, ભાઈ, રડ્યાં કરે શૂં વળશે?’

*

‘દાસપણું ક્યાંસૂધી, કરવું દાસપણું ક્યાંસૂધી?’

*

‘પગલાં ભરવાં માંડો રે, હવે નવ વાર લગાડો.’

*

‘ડગલું ભર્યૂં કે ના ડરવૂં, ના હઠવૂં,’

*

‘રણ તો ધીરાનૂં ધીરાનૂં, નહિ ઉતાવળા કાયરનું.’

*

‘સહૂ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે,
યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે.’

એ પદ તો જનસમાજમાં અત્યન્ત પ્રચાર પામ્યું છે. વાદળ ફાટવા માંડ્યું હવે છે, ધ્રુવાદિ કંઈ કંઈ નજરે પડે છે – એ પદ બાળાઓ પ્રેમથી લલકારે છે. ‘હિંદુઓની પડતી’, ‘પ્રેમશૌર્ય’ – જેમાં દેશપ્રેમ, પ્રાચીન ઐતિહાસિક સ્થળોની મહત્તા, ને રજવાડા, તથા ગુજરાત ને દક્ષિણના શૂરવીરોનું ચરિત્ર નિરૂપ્યું છે, એ બધાં કાવ્યો રોલાવૃત્તમાં છે.

‘આ તે શા તુજ હાલ, સુરત, સૂનાની મૂરત?’

ને

‘સ્નેહશૌર્ય તો નથી, દેશમાં સ્નેહશૌર્ય તો નથી’–

એવાં કવિનાં રોલાવૃત્ત ઘણાં સુંદર છે. પ્રાર્થનાની ગરબીઓમાં

‘સુણ સાહેલી, ઈશ્વરકેરી માયા અપરંપાર જો!’

*

‘પીની પીની પ્રેમાનંદ પ્યાલો, મટી જશે કળંતો ભાલો રે. પાની.’

*

‘ઘટ ઘટમાં તૂં રામ
રામ ઉપજાવે, રામ બચાવે, મારે તે પણ રામ રામ રે, ઘટઘટમાં.’

*

‘દુનિયાં જૂઠાની, એ અનુભવવાત પ્રમાણી.’

*

‘કોની કોની છે ગુજરાત’ –

એ ગરબીઓ ઉત્તમ છે. ‘જય જય ગરવી ગુજરાત’ એ તો ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા પામી છે એ યુક્ત જ છે.

‘નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક’

એ પદમાં કવિએ આત્મપરીક્ષા કરી ખરું જ કહ્યું છે કે–

‘ધીર, સત્ય, ને રસિક ટેકિપણું અરિ પણ ગાશે દિલથી.’

*

‘પ્હેરની પ્હેરની પ્હેરની રે, બ્હેની, નીતિની સાડી પ્હેરની’ –

એ નીતિની ગરબી સ્ત્રીઓ હોંસે હોંસે ગાય છે. ‘રામાયણ’, ‘મહાભારત’ અને પુરાણોમાંથી પ્રાચીન સ્ત્રીપુરુષોની હકીકત એકઠી કરી કવિએ ‘કથોકોષ’માં આપી છે. એ કોષ ઘણો ઉપયોગી છે. ‘નાગરસ્ત્રીઓમાં ગવાતાં ગીત’ પણ રીતભાતની સમજુતી સાથે કવિએ એકઠાં કર્યાં છે. એ પુસ્તકને અનુસારે અમદાવાદમાં હાલ સ્વર્ગવાસ પામેલાં બાળાગૌરીએ ને નડિયાદમાં રા. નરહરિરામે પણ અચાર ને રીતરિવાજનાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે.

નર્મગદ્ય

‘નર્મગદ્ય’માં ‘નિબંધો’, ‘રામાયણ ને મહાભારતનો સાર’, ‘કવિ ને કવિતા’, ‘પ્રેમાનંદ આદિ કવિઓનાં જીવનચરિત્ર’, ‘પ્રાચીન ને અર્વાચીન જગતનો ઇતિહાસ’, ‘મહાપુરુષો, તત્ત્વવેત્તા, ને સંશોધકોનાં જીવનચારિત્રો’ અને ‘ગુજરાતની ને મેવાડની હકીકત’માં બહુ ઉપયોગી ને એમના સમયમાં વાચકને અન્યત્ર દુષ્પ્રાપ્ય બાબત જુસ્સાદાર ને સંસ્કારી ભાષામાં કવિએ આપી છે. ‘રાજ્યરંગ’નાં આદિ વાક્યો નર્મદના કીર્તિસ્તંભના મોખરાના લેખ છે. ‘એક છે, અનેક છે, નિવર્તે છે’ ઇત્યાદિ; તેમજ ‘બ્રહ્માંડમાં પૃથ્વી શું? પૃથ્વી ઉપર જનસમૂહ શું? રાજ્ય શું? રાજ્યના રંગ શું? હું નર્મદ શું? એ સંધું રસસિંધુના કંઠ ઉપરની કણિકા પણ નથી, તોપણ તે કાંઈ છે તે રંગ છે. એ રંગ હું મારી તોતલી વાણીથી વર્ણવવા ઈચ્છું છું. દે પ્રસાદ-રંગાઉં-ઉદય-ઉદય શ્રીરંગ’! ધન્ય છે કવિના વિનયને! ‘પિંગળપ્રવેશ’ અને ‘અલંકારપ્રવેશ’માં કવિએ છન્દો ને અલંકારોનું વિવેચન કર્યું છે. ‘રસપ્રવેશ’માં રસ અને વ્યભિચારી ભાવોનું વિવરણ છે. ‘નાયિકાવિષયપ્રકાશ’માં નાયકનાયિકાના સ્વરૂપનું વર્ણન છે. કવિએ ‘શ્રીકૃષ્ણાકુમારી’, ‘દ્રાપદીદર્શન’ વગેરે નાટકો પણ રચ્યાં છે; એ નાટકોમાં ગદ્યભાગ વિશેષ છે, પદ્યભાગ થોડો છે. પણ ‘રામજાનકીદર્શન’માં પદ્યો સારાં છે ને પૂરતી સંખ્યામાં છે. ‘ગુજરાતી’ પત્રના તન્ત્રીએ એ નાટકોની નવીન આવૃત્તિ પ્રસિદ્ધ કરવી જોઈએ. જે સમયમાં હાલના જેટલો ઉચ્ચ કેળવણીનો પ્રચાર અને સુગમતા નહોતાં તે સમયે એકલે હાથે કવિએ કરેલી આ અનુકરણીય સેવાની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે.

કવિનું શિષ્યમંડળ

કવિના રસતરંગમાં એના શિષ્યો સદ્ગત સવિતાનારાયણ, વિજયાશંકર, વગેરે હમેશ નહાઈ અજ્ઞાનરૂપી મેલ ધોઈ ઉચ્ચ સંસ્કાર પામતા હતા. કવિ વિજયાશંકરની ‘વિજયવાણી’એ આ સમાગમનું ફળ છે. એ જ કવિનું ‘સૃષ્ટિસત્ત્વ’ સરળ ભાષામાં સંવાદરૂપે વેદાન્તના ગૂઢ તત્ત્વનું જ્ઞાન આપે છે. એમાં ગુરુશિષ્યના સંવાદના રૂપમાં ઘણું તત્ત્વજ્ઞાન છે. વાર્તાઓ, પૌરાણિક દૃષ્ટાન્તો સાથે તેમજ ‘ઉપનિષદો’, ‘ગીતા’, ‘યોગવાસિષ્ઠ’ અને શંકરાચાર્યના ગ્રન્થોમાંથી ઉતારા આપી એમણે રસિક રીતે બહુ જ્ઞાન આપ્યું છે. દિલગીરી સાથે કહેવું પડે છે કે આવો વિદ્વત્તાભરેલો ગ્રન્થ લોકોમાં પ્રચાર પામ્યો નથી. એટલું જ નહિ પણ એનું નામ પણ કેટલાકના જાણવામાં નહિ હોય, જેમ કવિઓ ન હોય તો રાજાઓનાં ચરિત્રોની મહત્તા ન થાય એવું એક સંસ્કૃત કાવ્યમાં કહ્યું છે, તેમ વિદ્વાનોની કૃતિઓ પણ પ્રસિદ્ધિમાં આણનાર મિત્ર ન હોય તો જગતમાં અપ્રસિદ્ધ જ રહે છે. સવિતાનારાયણનાં ‘કાવ્ય’ તેમજ ‘અલંકારચન્દ્રિકા’ પણ એ ગુરુચરણ સેવાના પ્રસાદરૂપ છે.

નવલરામભાઈ

સુરતના ત્રણ નન્નાથી નિર્દેશાતા ત્રણ નરરત્નોમાંના બીજા સદ્ગત નવલરામભાઈ હતા. તેમનું જીવન સાહિત્યમય હતું. બાલ્યાવસ્થાથી જ તેમને ઊંડા વિચારમાં નિમગ્ન થવાની ટેવ હતી. એ ટેવને લીધે તેમને વર્ગમાં કર્ટિસ સાહેબે વખોડ્યા હતા કે ઊંઘો છો કે શું? મૂળથી જ તેમને આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની ઉત્તમ ટેવ હતી. એક વખત પોતાના એક મિત્રને આશ્રય મળવાનો સંભવ જાણી પોતાનું મન ઇર્ષાથી કલુષિત થયું. નવલરામ લખે છે કે ‘મને લાગ્યું કે તેને જો આશ્રય ન મળે તો આ પાપી મન ખુશ થાય ખરું.’ પોતે ઈર્ષ્યાથી પ્રેરાઈ કંઈ અનિષ્ટ પગલું ભર્યું નથી; પરંતુ મનની નિર્બળતા પોતે તપાસી શક્યા, એ એમની મહત્તાનું પ્રબળ પ્રમાણ છે એમણે ‘વીરમતી’ ને ‘ભટ્ટનું ભોપાળું’ એ નાટકો, ‘અકબર ને બીલબલનાં હિંદી કાવ્યો’ અને ‘નર્મદચરિત્ર’એ સ્વતન્ત્ર ગ્રન્થો રચ્યા છે, નવા યોજેલા મેઘછન્દમાં ‘મેઘદૂત’નું ભાષાન્તર કર્યું છે, તેમજ ‘માલતીમાધવ’, ‘મૃચ્છકટિક’, ‘રત્નાવલી’ આદિ નાટકો તથા પુરાણોનો સાર આપ્યો છે. શિક્ષણશાસ્ત્રના અનેક વિષયો એમણે ચર્ચ્યા છે. શિક્ષણ રસિક કેમ થાય, ‘પરસ્પર સંભાષણપદ્ધતિ’નો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ થાય, વચન અને અન્ય વિષયો કેવી રીતે ઉત્તમ શિખવાય – આવા અનેક શિક્ષણના વિષયોનું એમણે વિવરણ કર્યું છે. ‘વાતાવરણ’, ‘ધરતીકંપ’, ‘બરફના ડુંગર’, ‘કાવીનાં તામ્રપત્ર’ વગેરે સામાન્ય જ્ઞાનના અને વિદ્વત્તાના વિષય પર પણ એમણે પ્રકાશ પાડ્યો છે. નવલરામભાઈ પોતાની સાધનસંપત્તિમાં હમેશ વધારો કર્યા જ કરતા. તેઓ વાચન ને વિચારણામાં જ પોતાનો સમય નિર્ગમન કરતા હતા. એ બે સંપત્તિ વિષે પોતે સંતૃપ્ત ન થાય ત્યાં સુધી લેખનના કાર્યમાં ઉદ્યુક્ત થતા નહોતા. વય જતાં એમના વિચાર વિશેષ પરિપક્વ થયા. એ પરિપક્વતા કવિ નર્મદ અને દલપતરામ વિષેના પાછલી વયે દર્શાવેલા વિચારમાં પ્રત્યક્ષ થાય છે. નવલરામભાઈની અપૂર્વ તેજથી ઝગઝગી રહેલી કીર્તિ તેમની આટલી સાહિત્યસેવા–જે કંઈ ઓછી નથી–તેને લીધે નથી. એ તો એમની ‘પુસ્તકપરીક્ષા’ને લીધે છે. એ પરીક્ષા કરવામાં એમનું ક્ષેત્ર અત્યાર સુધી બિનહરીફ રહ્યું છે, એ એમની કીર્તિ જેવી તેવી નથી. એ ક્ષેત્રમાં એમની કીર્તિનાં કિરણો કોઈ પ્રતિદ્વન્દ્વીનાં કિરણોથી ઝંખવાયાં નથી.

ઉત્તમ ગ્રન્થાવલોકનનું સ્વરૂપ

ઉત્તમ વિવેચનમાં સમગ્ર ગ્રન્થ પર વિચાર જોઈએ, એકદેશ પર નહિ. વિવેચક રાગદ્વેષરહિત, ગુણદોષની યોગ્ય તુલના કરનાર, નિષ્પક્ષપાતી જોઈએ. ગમે તેવો વિદ્વાન હોય તોપણ માત્ર છિદ્રાન્વેષી ઉત્તમ વિવેચક કદી થઈ શકતો નથી. વિવેચનમાં ગુણ ને દોષ, બંનેની પરીક્ષા જોઈએ. ગુણની યોગ્ય કદર ને દોષનો નિર્દેશ તેના ભવિષ્ય માર્ગને સહાયભૂત થાય એવી સૂચના સાથે જોઈએ. તરુણ ઊગતા ગ્રન્થકારની મહેચ્છાને જોઈતું ઉત્તેજન મળવું જોઈએ. વિદ્વાનોના ગ્રન્થ પર ઘટતું, વિદ્વત્તાભરેલું, ગુણદોષશોધક, પ્રૌઢ વિવેચન જોઈએ. તેમાં પણ તેના ગુણની યોગ્ય તુલના ને દોષને માટે માર્ગસૂચક બોધ જોઈએ.

ઉત્તમ વિવેચક

આ બધા ગુણો નવલરામભાઈનામાં હતા. તેમના વિવેચનથી વાચકને ઘણી જાણવા જેવી હકીકતનું જ્ઞાન થાય છે ને ગ્રન્થકારને ન્યાય મળે છે. ‘કરણઘેલો’ ને ‘કાન્તા’ પરનાં તેમનાં વિવેચન ઉત્તમ છે. તેમાં રસક્ષતિ કયાં ને કેવી રીતે થાય છે તે તેમણે ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ‘કરસનદાસ મૂળજી’ના ને ‘દુર્ગારામ મહેતાજી’ના ચરિત્રમાં જીવનચરિત્રમાં કયા ગુણો આવશ્યક છે તે એમણે પ્રતિપાદિત કર્યું છે. એ જ પ્રમાણે યોગ્ય પ્રસંગે ઉત્તમ નાટક ને ઉત્તમ વાર્તાનું સ્વરૂપ પણ એમણે દર્શાવ્યું છે. એમણે સંસ્કૃતમય ભાષાની નિંદા કરી છે તે યુક્ત છે. અપરિચિત સંસ્કૃત શબ્દોના પ્રયોગથી વાચકને ભાષા કઢંગી ને ક્લિષ્ટ લાગે છે. ‘વાચનમાળા કેવી જોઈએ’ તે વિષે એમણે વિવેચન કર્યું છે. જોડણી વિષે પણ એમણે પોતાના વિચાર દર્શાવેલા છે, ભાષાનું સ્વરૂપ જ બદલાઈ જાય એવી જોડણી એમને માન્ય નથી; તેમજ પ્રાન્તિક ઝઘડો ઊભો કરે એવી જોડણી પણ એમને ઇષ્ટ નથી. નવલરામભાઈનાં કમલ ને વિચાર અનેક દિશામાં પ્રવર્તતા હતા. ‘માસિકો’ કે અન્ય વર્તમાનપત્રોમાં, લેખોમાં કે પત્રોમાં કે પુસ્તકો રચવામાં, કંઈ ને કંઈ લખવામાં તેઓ રોકાએલા રહેતા. તેઓ જીવનપર્યન્ત અભ્યાસી હતા. ‘કાવ્યાદર્શ’, બેકનનું ‘નોવમ ઓર્ગેનમ’, ‘તર્કશાસ્ત્ર’ ને ‘સાહિત્યદર્પણ’ જેવાં પુસ્તકોનો તેમણે અભ્યાસ કર્યો હતો. જે સમયમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત જ થયલી અને સંસ્કૃત વિદ્યા શાળામાં સંપાદન કરવાનો એમને લાભ મળેલો નહિ, તે સમયમાં આ ખાનગી અભ્યાસ ઘણો ઊંચો ગણાય. નવલરામભાઈ જેવા જ્ઞાની, ગંભીર વિચારક અને ન્યાયી વિવેચનકારની આપણા સાહિત્યમાં મોટી ખોટ છે.

માસ્તર સાહેબ નન્દશંકરભાઈ

સુરતના ત્રણ પ્રસિદ્ધ નન્નામાંના ત્રીજા, માસ્તર સાહેબના નામથી જાણીતા સદ્ગત નન્દશંકરભાઈ છે. એમણે ‘કરણઘેલો’ નામની સુવિખ્યાત ઐતિહાસિક નવલકથા રચી એ નવીન માર્ગમાં સાહિત્યનો પ્રવાહ પ્રવર્તાવ્યો છે. માસ્તર સાહેબે આ એક જ નવલકથા રચી છે; પરંતુ તેમાં વસ્તુનાં ને રીતભાતનાં વર્ણન પુષ્કળ છે ને તે એવાં તો ચમત્કારી ને અસરકારક છે કે એ એક જ પુસ્તકથી તેમણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પોતાની કીર્તિ અમર કરી છે. ‘કરણઘેલા’ની ભાષા ઘણી તેજસ્વી છે. ગ્રન્થકર્તાની વાણીનો પ્રવાહ અવિચ્છિન્ન ચાલ્યો જાય છે તે વાચકને એટલો મોહક ને લોહચુંબકની પેઠે આકર્ષક થાય છે કે વાર્તા પૂરી થાય ત્યાં સુધી વાચકને હાથમાંથી પુસ્તક મૂકવું ગમતું નથી.

સંગીન સાહિત્યસેવાકાર

આ પ્રમાણે અંગ્રેજી કેળવણી આપણા દેશમાં દાખલ થયાના આરંભકાળમાં કવિ નર્મદ, નવલરામભાઈ, તથા નન્દશંકરભાઈએ ગુજરાતી સાહિત્યની જુદી જુદી દિશામાં અમૂલ્ય સેવા બજાવી છે. સમયપરત્વે વિચાર કરતાં કવિ નર્મદ ને નવલરામભાઈના જેવી સંગીન સાહિત્યસેવા બજાવનારની હાલના સમયમાં ખોટ છે એમ ભારે ખેદ સાથે કહેવું પડે છે.

કવીશ્વર દલપતભાઈ

સુરતના શૃંગારરૂપ કવીશ્વર નર્મદ અને નવલરામભાઈ જે સમયે આ ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરતા હતા તે સમયે અમદાવાદમાં મૂળ કાઠિયાવાડના વતની કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ, જેમના સંક્ષિપ્ત ક. દ. ડા.થી પ્રાથમિક શાળાનાં બાળકો ઘણા પરિચિત છે. તેઓ જનસમાજનું રંજન કરે એવાં કાવ્યો પ્રાસાદિક વાણીમાં રચી ગુજરાતી કાવ્યસાહિત્યનો વિકાસ કરતા હતા. કવિશ્રીએ ફોર્બ્સ સાહેબના પ્રયત્નથી સ્થપાયેલી ને વૃદ્ધિ પામેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સારી સેવા બજાવી હતી. તેઓ અમદાવાદ ટ્રેનીંગ કોલેજમાં કવિતાનો વિષય શિખવવા જતા હતા એ તે વખતના ભાગ્યશાળી શિષ્યને મોટો લાભ હતો. કવિએ હુન્નરની ખિલવણી, સંસારસુધારો, ધર્મ, નીતિ, કેળવણી અને અનેક પ્રાસંગિક વિષયો પર સભારંજની કવિતા રચી સરકારની તેમજ જનમંડળની પ્રીતિ સંપાદન કરી હતી. તેઓ ગુજરાતના રાજકવિની ઉચ્ચ પ્રતિષ્ઠા પામ્યા હતા. પ્રભાત, સૂર્યોદય, સાયંકાલ, અને ઋતુ વિષેનાં તેમનાં કાવ્યોમાં કેટલાંકમાં કવિની કલ્પનાશક્તિ સારી ખીલેલી જણાય છેઃ

પરોઢિયે શીતળ વાયુ વાય, તેથી પડે ટાઢ અને ધુજાય;
કુરાજ્યમાં જેમ જનો ન જંપે, બીકે બધા લોકની કાય કંપે.
કુકૂસ્વરો કુક્કુટ તો કરે છે, સર્વત્ર જેના સ્વર સંચરે છે;
જાણે રવીરાય પધારનારો, તેના છડીદારતણા ઉચારો.
વાજે રૂડાં ચોઘડિયાં નગારાં, જે લોકને નિત્ય જગાડનારાં
જાણે નવા રાજ્યની ફોજ આવે, તેની બડી નોબત આ બજાવે.
વિદ્યારથી પાઠ ઉઠી કરે છે, જાણે રવીના જશ ઉચરે છે;
પ્રભાતિયાં ગાય સુભક્ત પ્રીતે, જાલે રવિના ગુણ ગાય ગીતે.’

આમાં સ્વભાવોક્તિ સાથે ઉપમા કે ઉત્પ્રેક્ષા અલંકાર તથા માધુર્ય ને પ્રસાદ ગુણની સારી ઝમાવટ છે. નીચેનાં પદ્યો પણ એવાં જ સુંદર છેઃ

‘આદિત્ય આભાસ વિશેષ થાય, શશાંક ઝાંખો પડતો જણાય;
બલિષ્ઠનો આગમ જાણિ જેમ, ઝાંખો પડે નિર્બળ ભૂપ તેમ.
શશાંકનો છેક ઘટ્યો પ્રકાશ, કેવો દિસે પશ્ચિમ દીશ પાસ,
જાણે બજાવા ઘડિ પૂર્ણ થાતે, આકાશ ટાંગી ઘડિઆળ આ તે.
ભાનૂથકી ચંદ્ર પ્રકાશ લે છે, તેથી જ તે શીતળતા ધરે છે;
ભિક્ષાથી પામે અતિરિદ્ધિ આપ, પડે ન તેનો જગમાં પ્રતાપ.

*


જુઓ જુઓ આ રવિ દિવ્ય કાય, ભૂમિ ભણી તે નમતો જણાય
જાણે ચડેલો અમરાપુરીમાં, પતંગ રીસે પડતો મહીમાં.
અરે જુઓ વિશ્વ અનુભવીને, પૂજે જનો સૌ ઉગતા રવીને,
આવી પડે અસ્ત થવાનું જ્યારે, કોઈ ન છાંટે લઈ કંકુ ત્યારે.’

*



કવિ ગણપતરામ

કવિ દલપતરામની શૈલીમાં બુલાખીરામ છોટાલાલ ને ગણપતરામે કાવ્યો રચ્યાં છે; પણ તે તેવાં લોકપ્રિય થયાં નથી. કવિ ગણપતરામે ‘પ્રતાપનાટક’માં વીરરસની ઝમાવટ સારી કરી છે. ‘લઘુ મહાભારત’નાં પાંચ પુસ્તકોમાં કવિએ બહુધા દેશી રાગોમાં મહાભારતનો સાર કંઈ પણ ઉપયોગી અંશ મૂકી દીધા વગર સારી રીતે વર્ણવ્યો છે. એ ગ્રન્થ રચવામાં કવિએ બહુ પરિશ્રમ લીધો છે ને શેઠ ચીનુભાઈ જેવા ઉદાર પુરુષે એ પુસ્તકો પ્રસિદ્ધ કરવા આશ્રય ન આપ્યો હોત તો એ કદી પ્રસિદ્ધિ પામ્યાં ન હોત. એકંદર કાવ્ય પ્રાસાદિક ને તેજસ્વી શૈલીમાં છે; પણ છંદો બહુધા એક જ જાતના લાંબા સવાયા કે હરિગીતને ઢબે ગવાય એવા હોવાથી તેમાં નવીનતાને અભાવે પુસ્તકની લોકપ્રિયતામાં હાનિ આવે છે.

કેશવકૃતિ

પોરબંદરના પ્રશ્નોરા નાગર સદ્ગત કેશવરામ હરિરામ ભટ્ટનાં કાવ્ય સ્વદેશપ્રેમ, ઉચ્ચ નીતિ ને ધર્મની ભાવના, તેમજ વેદાન્તતત્ત્વના વિચારોથી પરિપૂર્ણ છે. એમનાં નીચેનાં કાવ્યો ઉત્તમ છેઃ

‘દોડ મા, ગમાર, દૂર, ઇશ્વર છે આંહી,
પૂર્ણ ને પ્રકાશમાન, માન સર્વમાંહી – દોડ મા.’

*

‘પંખીનો મેળો ભેળો રહે કેમ ભાઈ?
કોઈ ક્યાંહિથી કોઈ ક્યાંહિથી આવે એમ તણાઈ. પંખી.’

*

‘હે ચિત્તચકોર, નિરખ પૂર્ણાનંદ પ્રકાશક ચંદ્રને;
શીતલ, સાચા, સ્વાભાવિક, સર્વોત્તમસુખના કંદને.’

*

‘અમે તો આજ તમારા, બે દિનના મેમાન;
સફલ કરો આ સફલ સમાગમ, સુખનું એજ નિદાન અમે તો.’

આ છેલ્લું પદ્ય જનમંડળમાં યથાર્થ રીતે અત્યન્ત લોકપ્રિય થયું છે.

ગોવર્ધનરામભાઈ: સરસ્વતીચન્દ્ર
ધીમે ધીમે અંગ્રેજી કેળવણીનો પ્રચાર ને પ્રકાશ વૃદ્ધિ પામતો ગયો. હાઈસ્કૂલોમાં ને કૉલેજોમાં સંસ્કૃત સાહિત્યના અધ્યયનથી વિદ્યાર્થીઓની સ્વતંત્ર ને સંશોધકવૃત્તિ ખીલતી ગઈ, ને પ્રાચીન સાહિત્ય ને વિચાર તરફ પૂજ્યબુદ્ધિ ઉત્પન્ન થઈ. સામાજિક અને ધાર્મિક સ્થિતિ વિષે લોકોના વિચાર બદલાયા. જનમંડળમાં સ્ત્રીના સ્થાન વિષે તેમજ સ્ત્રીની કેળવણી વિષે લોકોમાં નવી નવી ભાવનાઓ ઉત્પન્ન થઈ. રાજકીય સ્થિતિની ચર્ચા દેશમાં સર્વત્ર ખૂબ જોરમાં ચાલવા લાગી, સમસ્ત પ્રજામાં નવી જાગૃતિ ઉત્પન્ન થઈ. રાજકીય, સામાજિક, ધાર્મિક, વગેરે વિષયોમાં નવીન વિચારો, નવીન ભાવનાઓ અને નવીન જ્ઞાનને પોષે ને સંતોષે એવા સાહિત્યની અપેક્ષા થાય એ સ્વાભાવિક છે. વિદ્વાનોની તેમજ સામાન્ય વાચકવર્ગની આવી નવીન વાંછના પૂરનાર, જેને જેવું ભોજન જોઈએ તેને માટે તેવું તૈયાર કરનાર ને પીરસનાર, જે નરરત્ન ઈશ્વરકૃપાથી યોગ્ય સમયે ઉત્પન્ન થયું તે સદ્ગત ગોવર્ધનરામભાઈ. એમનો ‘સરસ્વતીચંદ્ર’ એ ગુજરાતી સાહિત્યનો અપ્રતિમ કીર્તિસ્તંભ છે. નવલકથા તરીકે એના પર વિવેચન કરનારને વસ્તુસંકલનામાં દોષો તથા રસક્ષતિના દૃષ્ટાન્તો સહજ જડશે. પરંતુ એ તો મનુષ્ય સ્વભાવનિરૂપણનો અને વિવિધ જ્ઞાનનો આકરગ્રન્થ છે. ચાર ભાગમાંના પહેલા બે ભાગ વિશેષ લોકપ્રિય થયા છે. બીજો ભાગ સ્ત્રીઓને ઉત્તમ વાચન પૂરું પાડે છે. ગુણસુંદરી તે ખરેખરો ગુણનો ભંડાર છે. એનું ચરિત્ર ગ્રન્થકારે અપૂર્વ શક્તિ ને ઝીણવટથી આલેખ્યું છે. મરણશય્યામાં પડેલી ગુણસુંદરીએ ગાએલું:

‘દયા ના દીસે રજ પણ, જમ તુજ આંખમાં રે, બીહામણું ઝાંખમાં રે.’

*


હાર મુજે હૈયાનો એ તો! નથી એ ત્હારી પેઠે નમ્હેરો?
રોવા દે રોવા દે મુને, રોઈ લેવા દે જઈને એની બાથમાં રે. દયા.
વ્હાલા! વ્હાલ વીસારો તમારૂં, જમ આ કહ્યું ન માને મ્હારૂં,
તમને જપતી મરતી મરતી, રોતી રોતી પણ હસતી હું આશમાં કે
પામીશ મારો ચતુર અવર અવતારમાંયે! દયા હરિ આંખમાં રે!
દયા.’

આ ગાન કરુણરસથી કેવું પરિપૂર્ણ છે! શિલા રુદન કરે છે ને વજ્રનું પણ હૃદય ફાટે છે એ કવિ ભવભૂતિનું વચન આ ગાયન યથાર્થ કરે છે. ત્રીજા ભાગમાં દેશી રાજ્યોના વહીવટનું સત્ય ને સંપૂર્ણ ચિત્ર છે. ચોથો ભાગ પાશ્ચાત્ય અને પ્રાચ્ય ગ્રન્થોમાંના ઉતારાથી ભરપૂર છે. મલ્લભવન, ‘મહાભારત’નો અર્થવિસ્તાર, ને ભારતનું ભવિષ્યકથન, એટલા ભાગ ખાસ આકર્ષક છે. ચારે ભાગનો આ વિસ્તૃત ગ્રન્થ ગુર્જર સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં અપ્રતિમ પ્રદીપ છે. જ્યાંસુધી ગુર્જરભાષા છે ત્યાં સુધી એ અપૂર્વ, અદ્વિતીય પ્રદીપની શિખા સમાન જ્યોતિથી ઝગઝગ્યા જ કરશે. ગ્રન્થકારે જાતે ગ્રન્થને અન્તે ખરું કહ્યું કે ‘પ્રિય વાંચનાર! તું પુરુષ હો કે સ્ત્રી હો, સાક્ષર હો કે પ્રાકૃત જન હો… હો તે હો, – સર્વથા તું જે હોય તેને માટે યથાશક્તિ, યથામતિ થોડી થોડી સામગ્રી આ ગ્રન્થના કોઈક કોઈક પાનામાં તને મળી આવે ને કંઈ પણ ભાવતું ભોજન ન મળવાથી નિરાહાર પાછાં જવાનો વારો ત્હારે ન આવે.’ આ ગ્રન્થ વિદ્વદ્વર્ગમાં ને સાધારણ વાચકવર્ગમાં જેટલો લોકપ્રિય થયો છે તેટલો લોકપ્રિય બીજો કોઈ ગ્રન્થ થતો નથી, એથી વિશેષ એ ગ્રન્થની સ્તુતિ શી હોઈ શકે? પાશ્ચાત્ય ફિલસુફી ને ઉપનિષદાદિ ગ્રન્થોમાંની પ્રાચ્ય વિદ્યા તેમજ પ્રાચ્ય ને પાશ્ચાત્ય કવિ, નાટકકાર ને અન્ય ગ્રન્થકારના ઉત્તમ ગ્રન્થો – એ બધામાંથી સ્થળે સ્થળે ઉત્તમ વાક્યના ઉતારા વિદ્વાન વાચક વર્ગના મનને ઉત્તમ વિચારો પૂરા પાડે છે ને હૃદયની ઉચ્ચ ભાવનાને સંતૃપ કરે છે. સ્થળે સ્થળે ગ્રન્થકારે રસથી છલકાઈ જતાં પદ્યો પૂરાં પાડી સહૃદય અને કવિજનની રસવૃત્તિને પોષવાનું બાકી રાખ્યું નથી. એવાં થોડાંક પદ્યોનું દિગ્દર્શન નીચે કર્યું છેઃ

‘સુંદર ગિરિનાં શૃંગ ચુંબતાં જળધરગણને;
પવિત્ર સાધુવૃન્દ જગાવતાં ત્યાંજ અલખને.’

*

‘ઉત્તરમાં છે તમ વાસ, વ્હાલાં માત ને તાત!
છેલા કરું છું પ્રણામ – છેલા કરું છું પ્રણામ!
વ્હાલાં માતપિતાને નમું!’

*

ડૂબવા તૈયાર થયલી માતપિતાને સંભારતી કુમુદનો આ વિલાપ હૃદયદ્રાવક છે. જળમાં કેડ સુધી ડૂબેલી કુમુદસુંદરીને કર્ણે પડેલું ચન્દ્રાવલીનું નીચેનું ગાયન –

‘ધીમી ધીમી ચાલી તું તો કરવા ત્હારૂં કામ!
માજીની ઈચ્છા એવી છે કે પાછી હવે તું આવ. ધીમી.’

*

‘સાયર આવો આભસરીખો, ઘોર ગાજે દિનરાત;
ક્યાં એ ને ક્યાં કોમળ કળી સમી દીકરી, ત્હારી જાત! ધીમી.
સાયરને ત્યજી માજીને મોંઘે ખોળે તું બેટા, બેશ;
ખોટી રે કાયા, ખોટી માયા, માજી જ માજી હમેશ. ધીમી.’

વાચકના હૃદયમાં સમુદ્રમાં તરંગની પેઠે સંક્ષોભ કરે છે. તેમજ કુમુદને કહેલાં સરસ્વતીચન્દ્રનાં નીચેનાં વચન ઉત્તમ આદર્શ ખડો કરે છે. –

‘હવે ગિરિરાજ પર આવ્યાં, સુધર્મી સાધુને ભાવ્યાં;
પ્રિયા! ત્યજ સર્વ ભયને તું! પરાપ્રીતિયજ્ઞ રચને તું.’

મારા ખોળામાં સૂતી છે તે કરતાં તને શું શિલા વધારે ગમે છે! –

‘સુતી, વ્હાલી, તું મુજ ખોળે, મુખેથી કેમ ના બોલે!
શિલાને આથી શું સારી, ગણે શચ્યા, તું ગુણી નારી.’

બળાત્કારે વાળવા માંડેલી દૃષ્ટિ ત્યાંથી પછી વળતી જ નથી ત્યારે કહે છે કે–

‘અતિરમણીય ઓ વેલી! ઉરે મુજ વાસના રેલી!
ધડકતું ઉર તુજ ભાળું, સમાવા ત્યાં જ લોભાઉં!’

છેવટે, લિંગ શરીરનો સંયોગ ઉત્તમ ને અસરકારક રીતે આલેખે છેઃ

‘હવે આવ્યાં નવે દેશે, હવે ફરીયે નવે વેશે;
નથી સંસારની ભીતિ, ત્યજી સંસારની રીતિ,
સગાં સંસારનાં છોડ્યાં, છુટ્યાં તેઓથી તરછોડ્યાં;
વિશુદ્ધ જ સાધુનો પન્થા, ધરીએ આપણે કન્થા,
ગિરિવર રમ્ય પાવન આ, જગતમાં ના જડે એ સમા;
અહીં એકાન્ત ને શાન્ત, વસીએ વ્હાલી રહી દાન્ત.’

આખા પુસ્તકમાં ચરિત્રનિરૂપણ અને વર્ણનો તેમજ જુદીજુદી પરિસ્થિતિનો ચિતાર ઉત્તમ છે. એમાં ગ્રન્થકારની મનુષ્યહૃદયની પરીક્ષા – માનસશાસ્ત્રનું સૂક્ષ્મ જ્ઞાન અને તેનો ઝીણવટ ચિતાર આલેખવાની અપૂર્વ શક્તિ સ્થળે સ્થળે સ્પષ્ટ જણાઈ આવે છે. વસ્તુસંકલના ને કેટલાંક પાત્રના ચિત્રનિરૂપણમાં કલ્પનાનો પ્રભાવ વિશેષ જણાય છે.

ભાષા

પુસ્તકના ચાર ભાગમાંના છેલ્લા બે ભાગમાં ભાષા સાધારણ વાચકને કઠણ થતી જાય છે. પરંતુ તે ઘણે સ્થળે તેજસ્વી, જુસ્સાદાર, ને પ્રૌઢ છે. શૈલી આકર્ષક છે. કેટલેક સ્થળે સંસ્કારી વાચકને જ તે આનન્દદાયક થાય છે, સામાન્ય વાચકને દુર્ગમ થાય છે. પણ ગ્રન્થકારે સર્વ પ્રકારના વાચક માટે વાનગી ધરી છે, ને જેને જે રુચે તે તેમાં રમે એવી યોજના કરી છે. ખરેખર, ‘સરસ્વતીચન્દ્ર’ કોઈ પણ ભાષાના સાહિત્યને ભૂષણરૂપ છે. એ ગ્રન્થનું અન્ય દેશી ભાષામાં ભાષાન્તર થયું છે એ એની વિસ્તૃત પ્રદેશમાં લોકપ્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે.

અન્ય ગ્રન્થો

સદ્ગત ગોવર્ધનરામભાઈના અન્ય ગ્રન્થો ‘લીલાવતીની જીવનકળા’, ‘દયારામનો અક્ષરદેહ’ ને ‘સાક્ષરજીવન’ છે. ‘સ્નેહમુદ્રા’ કાવ્યમાં પોતે બહુ ઊંચી ભાવના પોષી છે.

‘જતી તિમિર તતિ જગ છોડી જતી. ધ્રુવ.
છોડી જતી! સંતાઈ જતી! જતી.’

*

જોતામાં સળગે શોક, સહચરી! જોતામાં સળગે શોક. ટેક.
તિમિરસુતા છતી આનંદ દુઝતી તે
રજનિ ઝરે દુઃખ આજ. સહચરી.’

*

‘મ્હારો ક્ષમા કરે અપરાધ, પુત્રી! પ્રિય પ્રાણ! ઘણી તું ડાહી. તુજ ઉર મ્હેં ખોસી – અરે – અજાણ્યે ખરે – કટાર જ સાહી.’ આ અને એવાં બીજાં કાવ્યો ઉચ્ચ કલ્પનાશક્તિ ને કવિપ્રતિભાનું ઉત્તમ પ્રમાણ છે.

દ્વિવેદી મણિલાલભાઈ

ગોવર્ધનરામભાઈની સાહિત્યસેવાની પેઠે સદ્ગત મણિલાલ નભુભાઈ દ્વિવેદીની પણ સાહિત્યસેવા ઘણા ઊંચા પ્રકારની છે. એઓ સંસ્કૃત સાહિત્યમાં નિષ્ણાત હતા અને ન્યાયશાસ્ત્ર ને વેદાન્તશાસ્ત્રના ઊંડા અભ્યાસી હતા. રાજકીય સંસ્કૃત પુસ્તકાવલીમાં ‘તર્કકૌમુદી’ની એમની આવૃત્તિ વિદ્વદ્વર્ગમાં ને શિષ્યવર્ગમાં ઘણું સન્માન પામી છે. પ્રાચીન આર્યસંસ્કૃતિના એઓ પ્રબળ સમર્થક હતા ને સંસારસુધારાના સંબંધમાં એમને રા.બ. રમણભાઈ સાથે માસિકોમાં જબરો વાદ ચાલ્યો હતો. એમના લેખોએ આર્યસિદ્ધાન્તો ને આર્યસંસ્કૃતિ પર સારો પ્રકાશ પાડ્યો છે. ‘સિદ્ધાન્તસાર’ અને ‘સુદર્શનગદ્યાવલિ’માં એમના ઊંચા પ્રકારના ને વિદ્વત્તા ભરેલા લેખ છે. ‘સિદ્ધાન્તસાર’માં આર્યતત્ત્વજ્ઞાનનું બહુ ઉત્તમ વિવરણ છે. છએ દર્શનો, તથા અન્યથાખ્યાતિઓ અને વિવર્તવાદ, અવચ્છેદવાદ, વગેરે વાદ પર એમણે બહુ સારો પ્રકાશ પાડ્યો છે. તત્ત્વવિદ્યાના જિજ્ઞાસુઓને આ ગ્રન્થ ઉત્તમ છે. એમણે સંસ્કૃત નાટ્યશાસ્ત્રના નિયમોને અનુસરતું નહિ, પણ અંગ્રેજી નાટકોના નિયમોને અનુસરતું ‘કાન્તા’ નામનું નાટક રચ્યું છે. એમાં શૂરસેન કાન્તાને શોધે છે અને પ્રાણીને ને વનસ્પતિને પૂછે છે કે ‘મારી સ્ત્રી જોઈ છે?’ – એ ભાગ ઉત્તમ છે અને ‘વિક્રમોર્વશીય’માં પરુરવસ્ ઉર્વશીને વનમાં શોધે છે, એ પ્રવેશની વાચકને સ્મૃતિ કરાવે છે. એમણે ‘ન્યાયશાસ્ત્ર’ ગુજરાતીમાં રચ્યું છે, તેમાં અંગ્રેજી ન્યાયશાસ્ત્રના પરામર્શખંડનું વિવેચન છે. અંગ્રેજી ને સંસ્કૃત ન્યાયશાસ્ત્રની તુલના કરી તે તૈયાર કર્યું હોત તો તે વિશેષ ઉપયોગી થાત. એમણે ભવભૂતિનાં ‘ઉત્તરરામચરિત’ ને ‘માલતીમાધવ’નાં ગુજરાતીમાં ભાષાન્તર કર્યાં છે, તે સંસ્કારી ને એકંદર પ્રાસાદિક છે. સમશ્લોકી કાવ્યોમાં કોઈક સ્થળે ક્લિષ્ટતા કે અપરિચિત શબ્દોનો પ્રયોગ અગતિક થાય છે; તેથી જ ‘દુગ્ધકુલ્યાશી દૃષ્ટિ’, ‘ નીવારૌદનમંડ ઉષ્ણ મધુરૂં’, ‘લોલોલ્લોલક્ષુભિત કરણોદ્વેગ’ જેવાં સમસ્ત પદો ને અપરિચિત શબ્દો નજરે પડે છે. પરંતુ ‘દલતિ હૃદયં ગાઢોદ્વેગં.’ ‘હા હા દેવિ સ્ફુટતિ હૃદયં.’, ‘ન કિલ ભવતાં સ્થાનં દેવ્યા.’, ‘વિના સીતાદેવ્યા.’નાં નીચે નિર્દેશેલાં ભાષાન્તરો ઉત્તમ છેઃ

‘હૃદય ન પડે ફાટી, દુઃખે દબાઈ પીડાય છે.’

*

‘મુંઝાય છે હૃદય અતિશે, દેવી ગાત્રો ગળે છે.’

*

‘રચ્યું ન તમને દેવીકેરૂં, ગૃહે રહ્યું કે તજી;’

*

વિના સીતા દેવી શું શું ન દુઃખ વેઠે રઘુપતિ!’

*

એમનું ‘બાળવિલાસ’ એ વડોદરા રાજ્યે રચાવેલુ સ્ત્રીઓ માટેનું નીતિપુસ્તક છે. રાજ્યે નીમેલી મંડળી ને ગ્રન્થકાર વચ્ચે વિચારમાં સંમતિ ન થવાથી ગ્રન્થકારે તે ખાનગી રીતે પ્રસિદ્ધ કર્યું. એ પુસ્તકમાં કન્યા, પુખ્ત સ્ત્રી, ને માતા માટે ઉપયોગી લેખો ને સતી આર્ય સ્ત્રીઓનાં જીવનચરિત્ર છે. ભાષા શિષ્ટ ને સરળ છે. એ પુસ્તક ઘણું લોકપ્રિય થયું છે. ‘પ્રિયંવદા’ ને ‘સુદર્શન’માં અનેક લેખોથી તેમજ ધર્મવિષયક ગ્રન્થોથી એમણે પ્રાચીન આચારવિચાર તરફ લોકોને વાળવા સમર્થ પ્રયત્ન કર્યો છે, તે ખરેખરો સ્તુત્ય છે. પ્રાચીન ભાવના પર પ્રેમ ઉત્પન્ન કરનાર એવા સમર્થ લેખકની દેશને ને સાહિત્યને મોટી ખોટ છે. રા. દ્વિવેદીનું જીવન લંબાયું હોત તો તેઓ આથી પણ વિશેષ સંગીન સાહિત્યસેવા કરી શકત. તેમણે જેટલી સેવા કરી છે તેટલી પણ ઘણા ઊંચા પ્રકારની છે.

અન્ય સાહિત્યસેવકો

નડિયાદના બીજા સાહિત્યસેવકોએ પણ ગુર્જર સાહિત્યને ખિલવવામાં સારો ફાળો આપ્યો છે. કવિવર કાલિદાસના ‘અભિજ્ઞાન શકુન્તલા’ નાટકનું પ્રથમ ગુજરાતીમાં ભાષાન્તર કરનાર સ્વર્ગસ્થ ઝવેરીલાલભાઈ હતા. ત્યાર પછી એ જ ગ્રન્થનાં બીજાં ત્રણ ભાષાન્તર થયાં છેઃ રા. દલપતરામ ખખ્ખરકૃત, પ્રો. બલવન્તરાયકૃત, ને રા. મગનલાલ ચતુરભાઈ પટેલકૃત. તે બધામાં સદ્ગત ઝવેરીલાલભાઈનું ને સદ્ગત ખખ્ખરનું એ ભાષાન્તરો લોકપ્રિય થયાં છે. સદ્ગત મનઃસુખરામભાઈ હમેશ શુદ્ધ સંસ્કારી ભાષાના દૃઢ હિમાયતી હતા અને તેમનો ‘અસ્તોદય’ એવા ભાષાશૈલીમાં રચેલો છે. સદ્ગત દોલતરામ કૃપાશંકર પંડ્યાએ ‘કુસુમાવલી’ નામની નવલકથા, ‘ઇંદ્રજિત્-વધ’ નામનું સંસ્કૃત મહાકાવ્યની શૈલીમાં તૈયાર કરેલું મહાકાવ્ય, ને ‘અમરસત્ર’ નાટક રચ્યાં છે; તેમાંનાં નવલકથા ને કાવ્ય લોકપ્રિય થયાં છે. એ જ નગરીના અન્ય સાક્ષર બાલાશંકરે સુંદર ગઝલ રચી કાવ્યક્ષેત્રને વિસ્તાર્યું છે. રા. છગનભાઈએ બાણ કવિની ‘કાદમ્બરી’નું અપૂર્વ ભાષાન્તર રચી અન્ય ભાષાન્તરકારોને એ દિશામાં માર્ગ દર્શાવ્યો છે. એ જ ખેડા જિલ્લાના મહુધાના વતની સદ્ગત રણછોડલાલભાઈ અવસાનપર્યન્ત ગુર્જર સાહિત્યની ખિલવણી કરી તરુણ અભ્યાસકોને ને લેખકોને સાહિત્યસેવાનો અનુપમ દૃષ્ટાન્ત પૂરો પાડયો છે ‘લલિતાદુઃખદર્શક’ જેવા એમના રચેલા નાટકે રંગભૂમિ પર ભજવાતાં, શ્રોતૃમંડળને રસમાં નવરાવી નેત્રમાંથી અશ્રુધારા પડાવી છે. ‘રણપિંગલ’ રચવામાં એમણે ઘણો પરિશ્રમ લીધો છે. તેમજ હિદુસ્તાનના વ્યાપારના ઇતિહાસના મોટા ગ્રન્થો તૈયાર કરવામાં ઘણું સંશોધન કર્યું છે. એમને ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’નું ભાષાન્તર તથા ‘નાટ્યપ્રકાશ’ એમની બહુમાર્ગી ને ઉદ્યોગી પ્રવૃત્તિ દર્શાવે છે. ફૉર્બસના ‘રાસમાળા’ના ગ્રન્થની એમણે નવીન આવૃત્તિ શોધિતવર્ધિત કરી છે. એ જ જિલ્લાના ઉમરેઠના વતની રા.બ. હરગોવિન્દદાસભાઈ પણ એવી જ અનેકમાર્ગી સાહિત્યની સેવા કરતાં ચૂકતા નથી. ‘ટચુકડીઓ સો વાતો’ એ બહુ રસિક વાચન પૂરું પાડ્યું છે.

કલાપી ને કાન્ત

કાવ્યપ્રદેશમાં કલાપીના નામથી પ્રસિદ્ધ થયલા શૂરસિંહજીએ કાવ્યનો પ્રવાહ નવીન દિશામં ચલાવ્યો છે. એમના કાવ્યમાં મનોભાવનાં ઝરણાં એવાં સુંદર ને નિર્મળ વહ્યાં જાય છે કે તે ખરેખરાં હૃદયદ્રાવક થાય છે. તેની સાથે ભાષા પણ ઘણી પ્રાસાદિક હોવાથી ‘કલાપીનો કેકારવ’ ગુજરાતનાં સ્ત્રીપુરુષોમાં અત્યન્ત લોકપ્રિય થયું છે અને ઘણા તરુણ લેખકોએ તેનું અનુકરણ કરવા માંડ્યું છે. ‘કાન્ત’ નામથી પ્રખ્યાત સદ્ગત મણિશંકર રત્નજી ભટ્ટે ઉત્તમ કાવ્યો રચ્યાં છે. એમાં અન્યોક્તિઓ છે તેમાં કવિની કલ્પનાશક્તિએ ઘણું ઉચ્ચ ઉડ્ડયન કર્યું છે. ‘પૂર્વાલાપ’માં એમાંનાં થોડાંક પ્રસિદ્ધ થયાં છે. એમનું ‘શિક્ષણશાસ્ત્રનો ઇતિહાસ’ પુસ્તક સદ્ગત પ્રો. ગજ્જરના તન્ત્રીપણા નીચે ચાલતી ‘શ્રી સયાજીજ્ઞાનમંજૂષા’માં પ્રસિદ્ધ થયું છે. એમના સ્મરણાર્થે પ્રો. ઠાકોરે ‘કાન્તમાળા’ની સુંદર યોજના યોજી છે જે તે સફળ થવાની તૈયારીમાં છે.

અમદાવાદના સાહિત્યસેવકો

અમદાવાદમાં સદ્ગત ભોળાનાથભાઈ તથા સદ્ગત ભીમરાવનાં કાવ્યો સંસ્કારી છે. સદ્ગત રા. સા. મહીપતરામભાઈએ અનેક શાલોપયોગી પુસ્તકો રચી પાઠ્યપુસ્તકોની ખોટ પૂરી પાડી છે. એમની ‘વનરાજ ચાવડો’ નામની નવલકથા લોકપ્રિય થઈ છે. એમણે ‘કરસનદાસ મુળજી’નું ને ‘દુર્ગારામ મહેતાજી’નું જીવનચરિત્ર પણ આલેખ્યું છે. સદ્ગત હરિલાલ ધ્રુવે ‘કુંજવિહાર’ આદિ ઉચ્ચ ભાવનાનાં કાવ્યો સંસ્કૃતમય ભાષામાં રચ્યાં છે. તેમાં રા. ડાહ્યાભાઈ પીતાંબર દેરાસરીનાં કાવ્યો છે. એમનું ‘પ્રવાસપુષ્પાંજલિ’ કાવ્ય એમના સ્વર્ગવાસ પછી એમના પુત્રે પ્રગટ કર્યું છે. ‘શ્રીવસન્તવિલાસિકા’ નામની એક અંકવાળી એમની રચેલી વિલાસિકા પ્રસિદ્ધ થઈ છે. અમદાવાદના અન્ય સાહિત્યસેવકોમાં શાસ્ત્રીજી વ્રજલાલ કાલિદાસે ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ તથા ‘ઉત્સર્ગમાળા’ જેવા ગ્રન્થોમાં પ્રાકૃત ભાષાના નિયમો ને શબ્દવ્યુત્પત્તિ પર સારો પ્રકાશ પાડ્યો છે. વળી એમણે ટેલર સાહેબને વ્યાકરણ રચવામાં મદદ કરી હતી. દી.બ. અંબાલાલભાઈએ અંગ્રેજી-ગુજરાતી કોશ, રેવ. મૅક્ડોનલ્ડ ને સ્વ. મણિધરપ્રસાદની સાથે પ્રસિદ્ધ કર્યો છે ને તેની બીજી આવૃત્તિ પોતે એકલાએ સુધારીવધારી પ્રગટ કરી છે, તેમજ ‘અર્થશાસ્ત્ર’નું એમનું ભાષાન્તર ઉત્તમ છે. સ્વ. લાલશંકરભાઈની સેવા ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીને અંગે સુવિદિત છે. એઓ પણ સાહિત્યપ્રેમી હતા. સુરતમાં રા.રા. મધુવચરામભાઈની કેટલીક પ્રાસાદિક પ્રાસંગિક સરકારી વાચનમાળામાં છપાઈ છે. સ્વ. લલિતાશંકરે પ્રાસંગિક કાવ્યો ને નાટકો રચ્યાં છે. રા.રા. ઇન્દિરાનન્દ લલિતાનન્દ પંડ્યા પાસે મોટો સંગ્રહ હસ્તલિખિત રૂપમાં છે, તે પ્રગટ કરવા યોગ્ય છે. એમાંનાં થોડાંક કાવ્યો એમણે મને મુંબઈમાં વાંચી સંભળાવ્યાં હતાં, તેમાં રસની ઝમાવટ સુંદર હતી. તરુણ લેખકોમાં કેશવ હ. શેઠ, શેલત વાસુદેવ રામચંદ્ર, સાગર, પંડ્યા ચંદ્રશંકર, પ્રો. મોહનલાલ, વગેરેનાં કાવ્યો જ્યારે માસિકમાં આવે છે ત્યારે સારાં આવે છે. રા. મનહરરામે પણ ‘રામાયણ’ રામછંદમાં ઉતાર્યું છે.

પારસી ગ્રન્થકારોની સાહિત્યસેવા: મલબારી

પારસી લેખકોમાં મર્હૂમ બહેરામજી મહેરવાનજી મલબારીનાં ‘અનુભવિકા’, ‘નીતિવિનોદ’, ને ‘સંસારિકા’ એ કાવ્યો શુદ્ધ ગુજરાતીમાં છે ને ઊંચી પ્રતિનાં છે. એમનો કાવ્યસંગ્રહ એમના પુત્રે કવિશ્રી ખબરદારના ઉપોદ્ઘાત સાથે પ્રસિદ્ધ કર્યો છે. એમાંનાં નીચેનાં કાવ્ય ઉત્તમ છેઃ

‘વ્હાણું વાયું જાગ, સખી રે, વ્હાણું વાયું જાગ;
સુખમાં તારી વીતી રાતલડી, ગા દિનકરગુણરાગ. સખી રે.’
‘વ્હાલા! રહો મુજ પાસે ક્ષેમ, વ્હીલી મૂકી ન્હાસો કેમ?
લીલી સૃષ્ટિમાં વ્હીલી મૂકે, બેદીલી દેખાય;
કર્મ ફૂટી હું મરણ આણું, આ ભવ ખાવા ધાય, વ્હાલા.’
‘હે દેશીઓ સામાસામે શું જુઓ?
જોતાં જોતાં આંખો મીંચાઈ જાય જોઃ
ભવિષ્યને જ ભરોંસે ઘેલા! કાં સુઓ,
ઊઠો, સત્વર બ્હાર પડો, જગમાંય જો, હે દેશીઓ.’
‘કરણી કરશે સજા, જીવ! તને કરણી કરશે સજા.
વીજળીથી વધુ વેગે ઉડતી, દેવધર્મની એ ધજા! જીવ! તને.’

હાલના કવિ ખબરદારનાં કાવ્યો અત્યન્ત લોકપ્રિય થયાં છે. તે શુદ્ધ ને પ્રાસાદિક છે ને તેમાં રસની ઝમાવટ સારી છે.

પારસી ગ્રન્થકારોની નવલકથા ને અન્ય ક્ષેત્રોમાં સેવા

નવલકથાના ક્ષેત્રમાં પણ કેખુશરૂ નસરવાનજી કાબ્રાજીની ‘દારાશાના’ ને ‘ભીખો ભરભડીઓ’ એ નવલકથાઓમાં વસ્તુસંકલના સારી છે. ભાષા સાધારણ રીતે ઠીક છે. ડૉ. જીવણજી જમશેદજી મોદીનાં ‘શાહનામું’ ને ‘શાહનામાના દાસ્તાનો’ એમની ઊંડી વિદ્વત્તાના પ્રમાણરૂપ છે. અરદેશર ફ્રામજી મૂસ તથા તાનાભાઈ રસ્તમજી રાણીનાનો અંગ્રેજી–ગુજરાતી શબ્દકોશ ૧૬ ભાગોમાં હતો. તેમાં શબ્દો તેના જુદા જુદા અર્થ ને ઉતારા સાથે આપેલા છે. કહેવતો પણ બંને ભાષાની સરખાવી છે. પહેલો અંગ્રેજી–ગુજરાતી કોશ પ્રસિદ્ધ કરવાનું માન નાનાભાઈ રુસ્તમજી રાણીનાને ઘટે છે. એમના એક મિત્રે ખરું કહ્યું છે કે “જેમ પહેલું છાપખાનું ને પહેલું વર્તમાનપત્ર કાઢનાર પારસીઓ હતા, તેમ પહેલો શબ્દકોષ કાઢવાનું માન પણ નાનાભાઈની જહેમતથી પારસીઓને ફાળે આવ્યું છે.” પ્રથમ ‘જ્ઞાનચક્ર’ના પણ લેખક પારસી ગૃહસ્થ રતનજી ફરામજી સેઠના છે. એ જ્ઞાનચક્ર ઘણું અપૂર્ણ છે; પરંતુ એવું પણ રચવાનું માન ઓછું નથી. રા. બરજોરજી પાલણજી દેસાઈએ ‘ફિર્દુસીનું જીવનચરિત્ર’ અને ‘સૅસૅનાઇડીઓનો ઇતિહાસ’ રચ્યા છે તે તેમના વિદ્વાન પુત્ર રા. પાલણજી બરજોરજી દેસાઈએ પ્રસિદ્ધ કર્યો છે. ખા.બા. જમશેદજી અરદેશર દલાલે પ્રો. અતિસુખશંકરના ‘નિવૃત્તિવિનોદ’નું રા.બા. હરગોવિન્દદાસના આમુખ સાથે ‘અવલોકન’ રચ્યું છે. આટલા ટૂંકા નિરૂપણ ઉપરથી સમજાશે કે પારસી લેખકોએ પણ સરળ ને સાધારણ શુદ્ધ ગુજરાતી ભાષામાં પુસ્તકો રચી ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે. પ્રતિવર્ષ નીકળતા ‘સાંજવર્તમાન’ના પટેટી અંકોમાં પણ ઘણા સારા લેખો આવે છે. વળી આ વાત પણ યાદ રાખવાની છે કે આપણા દૈનિક વર્તમાનપત્રોમાં પારસી પત્રોએ પહેલ કરી છે અને સારો ભાગ લીધો છે. દિન પર દિન તેની ભાષા શુદ્ધ થતી જાય છે. આવી કેળવાએલી કોમની માતૃભાષા ગુજરાતી જ છે. આપણા તરુણ લેખકોએ એ ભાષા ક્લિષ્ટ ને સંસ્કૃત શબ્દના આડંબરવાળી કરી કેળવાયેલા વર્ગની સહાનુભૂતિ ખોવી ને વાચકવર્ગનું મંડળ સંકુચિત કરવું યુક્ત નથી.

મુસલમાન લેખકો

મુસલમાન લેખકોમાં રા. નાનજિયાની કરીમઅલી રહીમભાઈનાં ‘નિબંધકરમાળા’ અને બીજાં પણ પુસ્તકો છે. તેમજ ખા.બા. મહેબુબમીઆ, રા. કરીમ મહમદ, અને રા. જાફર રહિમતુલ્લામાં પણ કેટલાંક પુસ્તકો છે.

સ્ત્રીઓની સેવા

સ્ત્રી એ હૃદયની અધિષ્ઠાત્રી દેવી છે અને કોમલ મનોભાવનું ભાજન છે. એની ભાવનાઓ સ્વાભાવિક રીતે જ લલિત ને સુકુમાર પદોમાં આવિર્ભાવ પામે છે. મીરાંદેવીનાં ભજનો અત્યન્ત હૃદયંગમ થયાં છે. ઈ.સ.ના ૧૮ ને ૧૯મા સૈકામાં ડભોઈની દીવાળીબાઈ તથા વડનગરની ને ડુંગરપુરની નાગર સ્ત્રીઓ કૃષ્ણાબાઈ ને પુરીબાઈએ સુંદર કાવ્યો રચ્યાં છે. આધુનિક સમયમાં શ્રીયુત લલ્લુભાઈ સામળદાસની પુત્રી સ્વ. સુમતિબહેને ‘હૃદયઝરણાં’ નામનું ઉત્તમ કાવ્ય રચ્યું છે, તેમાં ટેનિસન ને બ્રાઉનિંગનાં કાવ્યોનું ઉત્તમ રૂપાન્તર છે. સૌ. બહેન વિદ્યાગૌરી, સૌ. બહેન શારદાગૌરી, તથા સૌ. લીલાવતી, સૌ. બહેન હંસા, અને બીજી સ્ત્રીઓ માસિકોમાં ઉત્તમ લેખ લખી ગુર્જરસાહિત્યની સેવા કરે છે, એ સ્ત્રીકેળવણીનું શુભ લક્ષણ છે. એ દિશામાં રા.રા. રામમોહનરાય જસવન્તરાયના ‘સુંદરીસુબોધ’ની સેવા અતિસ્તુત્ય છે.

સ્ત્રીઓને ઉપયોગી સાહિત્ય

સ્ત્રીમંડળને ખાસ ઉપયોગી સાહિત્ય રચવાની દિશામાં પણ પ્રયત્ન આદરાયો છે એ ઘણી ખુશીની વાત છે. સદ્ગત શાસ્ત્રીપ્રાણજીવન હરિહર અને રા. મણિલાલ છબારામ ભટ્ટનું ‘પતિવ્રતા સ્ત્રીઓ’ નામનું પુસ્તક પ્રાચીન ને અર્વાચીન સતી સ્ત્રીઓનું ચારિત્ર્યનિરૂપણ ઉત્તમ રીતે કરે છે. સ્વ. અમૃતલાલ સુંદરજી પઢિયારનાં ‘સંસારસ્વર્ગ’, ‘સ્વર્ગની સુંદરીઓ’ વગેરે પુસ્તકો ઉત્તમ છે. વિષય ઘણો સારો છે ને તે એમણે ઓજસ્વી ને પ્રૌઢ ભાષામાં નિરૂપિત કર્યો છે. ગ્રન્થકારની ભાષાનો પ્રવાહ અતિવેગે અવિચ્છિન્ન ચાલ્યો જાય છે. એમની સરળ, શુદ્ધ, ને તેજસ્વી ભાષા અનુકરણીય છે. ડાહ્યાભાઈ રામચન્દ્ર મહેતાએ ‘સ્ત્રીસુબોધ ગ્રન્થમાળા’ રચવાની યોજના કરી છે ને એ ગ્રન્થમાળામાં ‘સીતાદેવી’નું પુસ્તક પ્રસિદ્ધ થયું છે, તે સારું છે. એમણે ‘રામકૃષ્ણ પરમહંસ’ અને ‘સ્વામી વિવેકાનંદ’ની હકીકતોનાં અત્યુત્તમ પુસ્તકો પૂરાં પાડી સાહિત્યસેવા સારી કરી છે.

નવીન શૈલીના કવિઓ

નવીન શૈલીનાં કાવ્યમાં કવિ નરસિંહરાવ, કવિ નાનાલાલ, કવિ લલિત, અને કવિ ખબરદારનાં કાવ્યો ઉત્તમ છે. પદલાલિત્યને માટે કવિ નાનાલાલ અને લલિતનાં કાવ્યો પ્રસિદ્ધ છે; તેમાં પણ કવિ નાનાલાલનાં કાવ્યોમાં તેમજ અન્ય લેખોમાં પદલાલિત્ય અલૌકિક—ઓરજ છે. કોલરિજે બરાબર કહ્યું છે કે ઉઘાડે હાથે, શસ્ત્ર વિના મિનારામાંથી પત્થર ખસેડવો એના કરતાં પણ મિલ્ટન કે શેક્સપીઅર જેવા ઉત્તમ કવિના કાવ્યમાં અર્થની પ્રૌઢતા કે ચમત્કૃતિમાં વિકાર ન થાય એવી રીતે એક શબ્દને બદલે તેનો પર્યાય શબ્દ મૂકવો એ વધારે આકરું છે. કાવ્યશાસ્ત્રમાં જેને શય્યા એટલે પરસ્પર પદમૈત્રી કહે છે એવી પદમૈત્રી જે કાવ્યમાં હોય તે ઉત્તમ કાવ્ય છે. એવી પદમૈત્રી કેટલેક સ્થળે રા. નાનાલાલભાઈનાં વચનોમાં છે. એક પદને સ્થળે તેનું પર્યાયપદ મૂકી ન શકાય; કેમ કે તેમ કરવાથી રસમાં ક્ષતિ થાય એવું અદ્ભુત પદલાલિત્ય કવિ નાનાલાલના વચનને મોહનમન્ત્રનું બળ આપે છે. એ મોહકતામાં અર્થપરિપ્રૌઢતા, જેને કાવ્યશાસ્ત્રમાં પાક કહે છે, તે પાક વૃદ્ધિ કરે છે અને વાચકના હૃદયને તેમાં લીન કરે છે. ‘જયા અને જયન્ત’ અને ‘ઈન્દુકુમાર’ નાટકો આ નવીન શૈલીમાં રચેલાં છે. કવિ નરસિંહરાવે ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’ આદિ કાવ્યોમાં અંગ્રેજી ને સંસ્કૃત કાવ્યોની ઉચ્ચ ભાવના વાચકના હૃદયમાં બહુ સુંદર રીતે જગવી છે. કવિ બોટાદકર દામોદર ખુશાલરાયનાં ‘કલ્લોલિની’, ‘સ્ત્રોતસ્વિની’, ‘નિર્ઝરિણી’ આદિ કાવ્યો પ્રાસાદિક ને સંસ્કારી છે. એક ગંભીર વિચારકે ડહાપણના બોલ કહ્યા છે કે જે પુરુષમાં મરજીમાં આવે ત્યારે બાળક બનવાની શક્તિ હોય અને જે પુરુષનું મગજ વૃદ્ધ ને પરિપક્વ થયું હોય પણ હૃદય બાળકના જેવું લાગણીનું ભરેલું હોય તે જ પ્રતિભાશાલી છે. એવો પુરુષ મનોભાવનું ઉત્તમ ચિત્ર આલેખી શકે છે ને તે સુકુમાર, કાલી ભાષામાં આલેખાય છે ત્યારે ઉત્તમ કાવ્ય બને છે. ‘બુદ્ધનું ગૃહાગમન’, ‘ઉર્મિલા’, આદિ કાવ્યોમાં રસનિષ્પત્તિ ઉત્તમ છે, વૃત્તોનો ભેદ પણ યથાર્થ ને હૃદયંગમ છે. એમના કાવ્યો સરળ ને શિષ્ટ ભાષામાં વાચકના હૃદયમાં ઊંચો ભાવ જગવે છે. એ બધાં યોગ્ય ઉત્તેજનને પાત્ર છે. ‘સ્ત્રોતસ્વિની’માં ‘દુહિતા’નું ચિત્ર ઉત્તમ છે. હૃદયને રસથી આર્દ્ર કરે એવી ઉત્તમ રીતે એ ચિત્ર કવિ આપે છે.

‘ઊભી ત્યાં વાટ જોતી પ્રણયસરિતશી માવડી સ્વાન્ત મીઠી,
દોડી દીઠી ન દીઠી વિકળસમ જઈ કારમી કંઠ બાઝી;
ચાંપી અંગે ઉમંગે હદય ભરી ભરી પ્રેમપીયૂષ પીતી,
ના છોડી ને ન છૂટી, જડસમ ઉરના ઐક્યથી બેય ઊભી,

*

ભલે પુત્રતણી મીઠી, લ્હાણ છે મનુજાતને;
પરંતુ લ્હાણ લાખોની, દીકરી એક ખાણ છે.
પીયૂષ પ્રાણને પાતી, કર્કશત્વ નિવારતી;
સ્નેહસ્ત્રોત સદા વ્હેતી, દુહિતા દિવ્ય નિર્ઝરી.’



મહાકાવ્યની આવશ્યકતા

કાવ્યસાહિત્યમાં હજી સંસ્કૃત મહાકાવ્ય જેવા મહાકાવ્ય રચવાની જરૂર છે. જે પ્રગટ થયાં છે તે બહુધા ખંડકાવ્ય છે.

જીવનચરિત્ર

જીવનચરિત્રોનું આપણું સાહિત્ય હજી જોઈએ તેવું ખીલ્યું નથી. જ્યાં સુધી આપણામાં જીવનની દૈનિક નોંધ રાખવાની વૃત્તિ ઉત્પન્ન જ થઈ નથી તેમજ મહાન પુરુષોના મિત્રો પણ તેમના ખાનગી જીવનના નાના પ્રસંગોની નોંધ કરતા નથી, ત્યાં સુધી સામગ્રીને અભાવે નમૂનાદાર જીવનચરિત્રો રચવાનો સંભવ નથી. મહાપુરુષોનું જાહેર જીવન તો જાણીતું હોય છે, પરંતુ મનુષ્યની પ્રકૃતિ ખરેખરી દર્શાવનાર તેના ખાનગી જીવનના સૂક્ષ્મ પ્રસંગ જ છે અને તેના પર જોઈતો પ્રકાશ પાડનાર હકીકત મળે નહિ ત્યાંસુધી તેના ચરિત્રનું યથાર્થ નિરૂપણ થઈ શકતું નથી. પરંતુ સાહિત્યનો એ માર્ગ તદ્દન ખેડાયા વિના રહ્યો નથી. માસ્તર સાહેબ નન્દશંકરભાઈનું જીવનચરિત્ર એમના પ્રસિદ્ધ પુત્ર રા. વિનાયકરાવે આલેખ્યું છે; એમાં માસ્તર સાહેબના જમાનાની ઘણી હકીકત વાચકને જાણવામાં આવે છે. સ્વ. ગોવર્ધનરામભાઈનું જીવનચરિત્ર એમના વિદ્વાન ભાણેજ રા. કાન્તિલાલે પ્રસિદ્ધ કર્યું છે. બંને ગ્રન્થકારો નિકટના સંબંધી હોવાથી ઘણી ઝીણી બાબતોનું વિવેચન બંને ચરિત્રોમાં છે. સદ્ગત રણછોડલાલભાઈનું જીવનચરિત્ર સ્વ. ભગવાનલાલ બાદશાહે અને સ્વ. માન્યમુનિવર ગૌરીશંકરભાઈનું જીનવચરિત્ર રા. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતાએ રચ્યું છે. એ વિસ્તૃત પુસ્તકમાં ગ્રન્થકારે કાઠિયાવાડના ને ભાવનગરના પ્રાચીન ઇતિહાસની રૂપરેખા આપવા ઉપરાંત નાગરોના પ્રાચીન ઇતિહાસ પર પણ પ્રકાશ પાડ્યો છે. સદ્ગત ગોરીશંકરભાઈના જીવનની સંપૂર્ણ હકીકત તથા એમણે કરેલા રાજ્યમાંના સુધારા તેમજ એમની પ્રતિભાનાં કાર્યોની હકીકત રા. કૌશિકરામે બહુ સરળ ને શુદ્ધ ભાષામાં આપી છે. એમના વેદાંતશાસ્ત્રના ઊંડા જ્ઞાનનું એમનું ‘સ્વરૂપસંધાન’નું પુસ્તક પ્રમાણભૂત છે. સ્વ. ભાઈશંકર નાનાભાઈકૃત ‘મારા અનુભવની નોંધ’એ કર્તાએ રચેલું પોતાનું જીવનચરિત્ર છે. એમાં સુંદર પદ્યો ને સરળ પણ પ્રૌઢ ને શિષ્ટ ગદ્યમાં કર્તાએ ઘણી જાણવા જેવી નોંધ આપી છે. પોતાનાં પદ્ય પર અલંકાર વગેરેની પોતે રચેલી ટિપ્પણી છે. શેઠ પ્રેમચંદ રાયચંદની સાદાઈનું વર્ણન, શેઠ દલપતભાઈ ભગુભાઈનો કોઈના જામીન ન થવાનો બોધ, વગેરે અનેક હકીકત વાચકને આનંદ આપે ને ઉપયોગી થાય એવી છે. એ જ ગ્રન્થમાં ગ્રન્થકારે ભર્તૃહરિના ‘વૈરાગ્યશતક’નું સમશ્લોકી ભાષાન્તર આપ્યું છે તે ઘણું પ્રાસાદિક છે. છેવટે તેમણે પ્રાસંગિક પરચુરણ પદ્યો આપ્યાં છે તે ઘણાં સારાં છે. જેમનું જીવન ઘણું વ્યવસાયી હતું. તેમણે આટલી ને તે ઊંચા પ્રકારની કરેલી સાહિત્યસેવા ખરેખરી સ્તુતિપાત્ર છે. એમને આશ્રયે ચાલેલી ‘રેવાબાઈ શિક્ષણમાળા’માં પણ થોડાંક સારાં પુસ્તકો રચાયાં છે.

નવલકથા

નવલકથાના ક્ષેત્રમાં રા. રા. કનૈયાલાલ માણેકલાલ મુનશીનાં પુસ્તકો વાચકોમાં અતિપ્રિય થયાં છે. તેમજ રા. રા. ચુનીલાલ વર્ધમાન શાહનાં ને રા.રા. મોતીલાલ સટ્ટાવાળાનાં, સ્વ. ભોગીન્દ્રનાં તેમજ રા. રા. રાજેન્દ્રલાલ સોમનારાયણ દલાલનાં ‘વિપિન’ જેવાં પુસ્તકો સારાં છે. પરંતુ એ દિશામાં ઉત્તમ પ્રયત્ન માટે હજી ઘણો અવકાશ છે. બંગાળી, કે અંગ્રેજી કે બીજી પાશ્ચાત્ય ભાષાનાં ભાષાન્તર કે રૂપાન્તરથી એ ક્ષેત્ર શોભવાનું નથી. એમાં સ્વતન્ત્ર સારા પુસ્તકોની જરૂર છે. નિર્મર્યાદ શૃંગારનું નિરૂપણ કર્યા વિના નીતિના નિયામક અંકુશમાં રહી સમાજનાં વિવિધ અંગની આધુનિક સ્થિતિનો જેમાં ચિતાર યથાર્થ આવે, તેમ જ જેમાં આવશ્યક સુધારાના માર્ગનું સૂચન થાય એવી વસ્તુસંકલનાનું ને પાત્રનિરૂપણનું તથા અનેક સૂક્ષ્મ પરિસ્થિતિનું, જુદે જુદે પ્રસંગે ઉત્પન્ન થતા વિકારો, જેને નવલરામભાઈ ‘રીતભાત’ કહે છે, તેનું સંપૂર્ણ અને આબેહૂબ વર્ણન – એ નવલકથામાં આવશ્યક છે. એવા સ્વતન્ત્ર, ઉત્તમ પુસ્તકોની ન્યૂનતા પૂરી પાડવા એ ક્ષેત્રમાં પ્રસિદ્ધિ પામેલા લેખકોએ તેમજ અન્ય તરુણ લેખકોએ પ્રયત્નશીલ થવું જોઈએ.

નાટક

નાટકનું ક્ષેત્ર જોઈએ તેવું વિકસ્યું નથી. ઉત્તમ નાટક રચનારને નાટ્યશાસ્ત્રનું જ્ઞાન અને સંસ્કૃત ને અંગ્રેજી ભાષાનાં ઉત્તમ નાટકોનું પરિશીલન આવશ્યક છે. આધિકારિક વસ્તુની સંકલના કેવી રીતે કરવી, પ્રાસંગિકનો – પ્રકરી કે પતાકાનો – સંબંધ તેની સાથે કેવી રીતે ઘટાવવો, કાર્યનો ક્રમિક વિકાસ આલેખી કાર્યસિદ્ધિને તેના હેતુઓ સાથે કેવી રીતે જોડી તેનો નિર્વાહ કરવો – વસ્તુસંકલનાનું આ બધું જ્ઞાન ગ્રન્થકારને આવશ્યક છે. પાત્રભેદ, ભિન્ન ભિન્ન પાત્રોનું યથાર્થ નિરૂપણ, કાર્યની એકતા, અને રસની ઝમાવટ, એ નાટકનાં આવશ્યક અંગ છે. નાટકકારે પ્રત્યક્ષ નીતિબોધ આપવાનો નથી. એ બોધ તેનાં પાત્રોનાં આચરણથી પરોક્ષ રીતે વાચકના મન પર પડે છે ત્યારે વિશેષ અસરકારક થાય છે. નાટકમાં પદ્યનો ભાગ પૂરતો જોઈએ ને નાટકકારમાં રસિક પદ્યો બનાવવાની શક્તિ જોઈએ. નાટક એ દૃશ્ય કાવ્ય છે એ ભૂલવું નહિ. આટલી સાધનસંપત્તિ પ્રાપ્ત કર્યા વિના ઉત્તમ નાટક રચી શકાય નહિ. રા.બા. રમણભાઈનું ‘રાઈનો પર્વત’ એ લોકપ્રિય થયું છે. પ્રો. ખુશાલદાસ તકલશી શાહ પણ માસિકોમાં નાટકો લખે છે. રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં ભપકાદાર રંગભૂમિ નેપથ્યની રચના તથા વેશના કૃત્રિમ આડંબર પર વિશેષ લક્ષ અપાય છે. શૃંગારી ગાયનોમાં ને ફારસોમાં ગ્રામ્ય ને અશ્લીલ ઊક્તિથી શ્રોતૃમંડળની અધમ માનસિક વૃત્તિને પોષવામાં આવે છે. તો પણ એમાં પણ સુધારો થઈ ભક્તિરસમય નાટકો રંગભૂમિ પર ભજવાતાં થયાં છે, તેથી લોકોનાં મન પર સારી અસર થાય છે. એવાં રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં પણ કેટલાંક બહુ ઉત્તમ કાવ્યો હોય છે. ‘ભરથરી નાટક’માં વાઘજી આશારામનાં તેમજ ‘મન માયાના કરનારા રે, જાની જોની વિચારી તારી કાયા’ જેવાં ડાહ્યાભાઈ ધોળશાનાં કાવ્યો અને ‘કાદમ્બરી’, ‘અનસૂયા’માંના ને ‘સાવિત્રીના યમ સાથેનાં સંવાદ’ના ફૂલચંદ ઝવેરદાસ શાહનાં ગાયનમાં કવિત્વ સારું છે. હાલમાં રા. ફૂલચંદે પૌરાણિક કથાપુરુષોની કથા સંક્ષેપમાં કાવ્યમાં ચિત્ર સાથે આપવાનો પ્રયત્ન આદર્યો છે ને ‘શ્રીકૃષ્ણચન્દ્રોદય–ચિત્ર–કથા’નું સંક્ષિપ્ત સચિત્ર કાવ્ય પ્રગટ કર્યું છે તે સ્તુત્ય છે. એ શૈલી પર ‘શ્રીરામચંદ્રોદય-ચિત્રકથા’, ‘શ્રીગીતાગુણાનુવાદ’ વગેરે પુસ્તકો રચવાનો એમનો પ્રયત્ન યોગ્ય દિશામાં છે.

લોકગીત

સ્વ. રણજીતરામ વાવાભાઈ મહેતા, જેઓ સાહિત્યપરિષદના સ્થાપક, ચાલક, અને જીવન હતા, તેમણે ‘લોકગીત’ના સાહિત્ય વિષે પહેલી સાહિત્યપરિષદમાં નિબંધ વાંચ્યો હતો. તેમણે ઘણાં લોકગીત એકઠાં કર્યાં હતાં; પરંતુ તેમના અકાલ ને શોચનીય સ્વર્ગવાસથી તે પોતે એ સંગ્રહ પ્રસિદ્ધ કરી શક્યા નહિ. સુરતની રણજીતરામસ્મારક કમિટીએ સંગ્રહ છપાવ્યો છે. રણજીતરામના એકઠા કરેલા મોટા સંગ્રહમાંથી છાપવા લાયક ગીતો તારવી કાઢવાનું કામ રા.રા. ચુનીલાલ રામચંદ્ર શેલત, જેઓ સારાં કાવ્ય રચી જાણે છે, તેમણે સંભાળથી કર્યું છે. રા. દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકરે ‘રસાસ્વાદ’ રૂપી એ ગ્રન્થનો ઉપોદ્ઘાત રચ્યો છે. એ દિશામાં પણ વિશેષ પ્રયત્ન થવાની જરૂર છે; તેમજ કાઠિયાવાડના લોકપ્રચલિત ‘દુહા’ ને ‘સોરઠા’ને એકઠા કરી તેનું સંશોધન કરી વિવરણ સાથે પ્રસિદ્ધ કરવાની જરૂર છે. રાજકોટ ‘પ્રકાશમંદિર’માંથી રા.રા. ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા ‘શારદા’ નામના માસિકમાં ‘કાઠિઆવાડનું લોકસાહિત્ય’ પ્રગટ કરવા ઇચ્છે છે. એ ઇચ્છા સ્તુત્ય છે.

ઇતિહાસ

ઇતિહાસનું ક્ષેત્ર પણ હજી અવિકસિત છે. શાળોપયોગી પુસ્તકો રચાયાં છે ને રચાશે; પણ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અને હિંદુસ્તાનના પ્રાચીન ને અર્વાચીન ઇતિહાસ પાશ્ચાત્ય દૃષ્ટિથી નહિ પણ આપણી દૃષ્ટિથી વિસ્તૃત સંશોધન સાથે રચવાની જરૂર છે. તેમજ મોટાં પ્રાચીન રાજ્યોનો આસીરિયા, ઈરાન, ઇજિપ્ટ, ગ્રીસ ને રોમનો સંક્ષેપમાં રસિક રીતે ઇતિહાસ જનસમાજના બોધ અને જ્ઞાનને માટે રચવાની જરૂર છે. એમાં રાજાની વંશાવળીની જરૂર નથી. એ રાજ્યોનો ઉદય શાથી ને કેવી પરિસ્થિતિમાં થયો, એની ઉન્નતિ શાં શાં કારણોથી ને કેટલીક થઈ, એમાં રાજ્યબંધારણનું સ્વરૂપ અને પ્રજાની સામાજિક સ્થિતિ કેવાં હતાં, તથા એ રાજ્યનો અસ્ત શાથી થયો, એવી હકીકત સારી રીતે વર્ણાવાની જરૂર છે. આવાં કાર્યને માટે હાલમાં સાધનસંપત્તિ પુષ્કળ છે અને અધિકારી પુરુષો પણ છે. પ્રો. બલવન્તરાય કલ્યાણરાય ઠાકોરે હિંદના રાજ્યતંત્ર વિષે વિસ્તૃત પુસ્તક અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કર્યું છે. એમનાં કાવ્યો ‘ભણકાર’ને નામે પ્રગટ થયાં છે ને યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારાયાં છે. ‘અભિજ્ઞાનશાકુન્તલ’નું ભાષાન્તર, પ્લૂટાર્કનાં ‘જીવનચરિત્રો’, અને ‘ઉગતી જુવાની’નું નાટક રચી એમણે પોતાની સાહિત્યપ્રવૃત્તિ અનેક દિશામાં ઉત્તેજી છે. એ ઉત્સાહ અને શક્તિ તેઓ પોતાના ખાસ વિષય ઇતિહાસમાં યોજી ઐતિહાસિક સાહિત્યને સમૃદ્ધ કરશે એવી આશા છે. રા.રા. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ પણ એ દિશામાં પ્રયત્ન કરે છે તે ઉત્તેજનને પાત્ર છે.

ભાષાન્તરો

ગુજરાતી સાહિત્યમાં સ્વતન્ત્ર ગ્રન્થોની જરૂર છે. અત્યાર સુધી બહુધા ભાષાન્તરો જ કે રૂપાન્તરો જ થયાં છે, એ ફરિયાદમાં બહુ વજૂદ છે. પરંતુ સાહિત્યની વૃદ્ધિને માટે કેટલેક અંશે ભાષાન્તરો પણ અવશ્યક છે. ‘કાદમ્બરી’ સંસ્કૃત નાટકો ‘ઉપનિષદો’ વેદાન્તભાષ્યો, દર્શનગ્રન્થોઃ આવાં પુસ્તકોનાં ભાષાન્તર હોય તો સંસ્કૃત ન જાણનારા ગુજરાતી વાચકોને સંસ્કૃત સાહિત્ય કેવું સમૃદ્ધ છે, તેમાં ભાષાશૈલી કેવા પ્રકારની છે, રસની ઝમાવટ કેવી સુંદર છે, એ વગેરેનું તેમજ તે તે વિષયોનું જ્ઞાન ક્યાંથી થાય? માટે રા.બ. કેશવલાલભાઈએ ભાષાન્તર દ્વારા ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા બજાવી છે એ નિઃસંશય છે. વળી એમની પ્રકૃતિસિદ્ધ ઝીણવટથી એમણે હસ્તલિખિત પુસ્તકો તપાસી શુદ્ધ પાઠો તારવી કાઢ્યા છે ને ગ્રન્થકારના સમય વગેરે પર બહુ પરિશ્રમ કરી અપૂર્વ પ્રકાશ પાડ્યો છે. એ ઉત્કૃષ્ટ શૈલીએ રચાયલાં એમનાં ‘પરાક્રમની પ્રસાદી’, ‘મેળની મુદ્રિકા’, ‘પ્રિયદર્શના’, ‘અમરુશતક’, ‘ગીતગોવિંદ’, તથા ભાસનાં નાટકોના ભાષાન્તરો અત્યુત્તમ છે. બંને ભાષા પર અપ્રતિમ પ્રભુતા, અને પદ્યના રસને ઘટે એવાં સુંદર પદો પસંદ કરવાનો વિવેક, એવા ગુણો વિના આવાં સુંદર ભાષાન્તરો યોજાય નહિ એ નિર્વિવાદ છે. એમના ‘પ્રેમાનંદ’, ‘વાગ્યવ્યપાર’ આદિ લેખોમાં પણ એમણે સૂક્ષ્મ સંશોધન દર્શાવ્યું છે. ભાલણની ‘કાદમ્બરી’ ભા. ૧લાની એમની આવૃત્તિ એવી જ સુંદર છે. તેના ટિપ્પણમાં પ્રાકૃત ને જૂની ગુજરાતી ભાષામાં થયલા વિકારો ને વ્યુત્પત્તિ પર એમણે સુંદર પ્રકાશ પાડ્યો છે. રા.રા. કીલાભાઈ ઘનશ્યામનાં ‘વિક્રમોર્વશીય’ ને ‘મેઘદૂત’નાં ભાષાન્તર પણ શુદ્ધ અને પ્રાસાદિક હોવાથી લોકપ્રિય છે.

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ

રા.રા. હિમ્મતલાલ ગણેશજી અંજારિયાકૃત ‘કાવ્યમાધુર્ય’ ને ‘કવિતાપ્રવેશ’માં તેમજ રા.રા. ખાનસાહેબ અને સ્વ. દેશભક્તકૃત ‘સાહિત્યરત્ન’ અને રા.રા. રતનરામ ઉત્તમરાણ ભટ્ટકૃત ‘સાહિત્યવિલાસ’માં ગુજરાતી સાહિત્યની રૂપરેખાનું સ્થૂલ ચિત્ર આલેખવામાં આવ્યું હતું; પણ સમગ્ર ચિત્ર દૃષ્ટાન્તો સાથે નિરૂપવાનું માન રા.રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને ઘટે છે. ‘ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો’ પ્રથમ અંગ્રેજી ભાષામાં અને હાલ ગુજરાતી ભાષામાં પ્રગટ કરી એમણે ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે. વધારે વિસ્તૃત ને વિવેચનવાળા ગ્રન્થની જરૂર છે એ તો હરકોઈ કબૂલ કરશે. રા.બ. કેશવલાલભાઈ, રા. આનંદશંકરભાઈ, રા. નરસિંહરાવભાઈ, કે રા.બ. રમણભાઈ જેવા ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસકની કલમે એવો વિસ્તૃત અને પુષ્કળ દૃષ્ટાન્તોવાળો તથા કાવ્યશાસ્ત્રની દૃષ્ટિથી રસ, ગુણ, દોષ, અલંકાર આદિનું વિવરણ કરનારો ગ્રન્થ રચાય તો તે અવશ્ય સાહિત્યના અલંકારરૂપ થાય.

સાહિત્યની અભિવૃદ્ધિ કરનારી સંસ્થાઓ

એવી સંસ્થાઓમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી મુખ્ય છે. એ મંડળે અનેક ગ્રન્થોનાં ભાષાન્તર કરાવ્યાં છે, તેમાં થોડાંક સંસ્કૃત ગ્રન્થોનાં પણ છે. ઘણા સારા ગ્રન્થો – તેમાં કેટલાક સ્વતન્ત્ર ગ્રન્થો પણ છે – લાંબો વખત થયાં સોંપાયા છે, પરંતુ હજી તૈયાર થયા નથી. હાલમાં પ્રાચીન કાવ્યો પ્રસિદ્ધ કરવાનું કામ સોસાઇટીએ માથે લીધું છે એ સ્તુત્ય છે. રા.રા. અંબાલાલ બુલાખીરામ જાનીને સોસાઇટીએ ભીમની ‘હરિલીલા’ સંશોધન કરી પ્રસિદ્ધ કરવાનું કામ સોંપ્યું છે. એ ગ્રન્થ અને સંશોધન કરનાર બંનેની પસંદગી સારી કરી છે. એમની ‘સુભદ્રાહરણ’ની આવૃત્તિ ઉત્તમ છે, તેમ જ ‘કાવ્યદોહન’ના ૮મા અંકમાં ‘કવિ નાકર’ વિશેનો એમનો લેખ ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસ અને સૂક્ષ્મ સંશોધકવૃત્તિની સાક્ષી પૂરે છે. એ જ દિશામાં રા.રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા પણ ઘણું સારું કામ કરે છે. એ જ માર્ગમાં રા.રા. મંજુલાલ રણછોડલાલ મજમુદારે ખાનગી રીતે પ્રસિદ્ધ કરેલું ‘સુદામાચરિત્ર’નું પુસ્તક ગ્રન્થકારનો પરિશ્રમ, વિદ્વત્તા, ને સંશોધનની સારી સાબિતી આપે છે. સાહિત્ય પરિષદની ભંડોળકમિટી પણ પુસ્તકો પ્રસિદ્ધ કરાવી સાહિત્યને ઉત્તેજન આપે છે. એમાં રા.રા. કનૈયાલાલ માણેકલાલ મુનશીકૃત ‘મ્હારી કમળા અને બીજી વાર્તાઓ’ સારું પુસ્તક થયું છે; તેમજ પ્રો. મૅકડોનેલકૃત ‘સંસ્કૃત વઙ્મયના ઇતિહાસ’નું પ્રૉ. મોહનલાલ પાર્વતીશંકર દવેએ કરેલું ભાષાન્તર, જે પ્રસિદ્ધિ પામવાની તૈયારીમાં છે, તે પુસ્તક ગુજરાતી ભાષાના વાચકોને બહુ ઉપયોગી હકીકત પૂરી પાડશે. ભાષાન્તરકારે ગ્રન્થકાર પાસેથી બીજી આવૃત્તિમાં કરવામાં આવનાર વધારાની હકીકત મેળવી તે ભાષાન્તરમાં આપેલી હોવાથી અને મૂળ ગ્રન્થની બીજી આવૃત્તિ હજી પ્રસિદ્ધ થયેલી ન હોવાથી એ પુસ્તક કૉલેજના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી નીવડશે. સ્વામી અખંડાનંદે ‘સસ્તાસાહિત્ય’માં ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ભગવદ્ગીતા’ જેવાં પુસ્તકોનાં અનુવાદ; ‘સ્વામી રામતીર્થ’, ‘ટૉલ્સ્ટૉય’ જેવા મહાત્માઓનાં જીવનચરિત્ર; ‘ કલાપીનો સંવાદ’ ‘સ્વીડનબર્ગના ધર્મવિચાર’, ‘અખાનાં કાવ્ય’ આદિ અનેક ઉપયોગી ગ્રન્થોની સસ્તી આવૃત્તિ છાપી સાહિત્યનો પ્રસાર જનમંડળમાં વધાર્યો છે એ અતિસ્તુત્ય છે. સ્વ. નારાયણ હેમચંદ્રે પણ અનેક ઉપયોગી ગ્રન્થો સંક્ષેપમાં પ્રસિદ્ધ કર્યા છે; પણ ભાષા સરળ ને શુદ્ધ ન હોવાથી તે જોઈએ તેવા ઉપયોગી થયા નથી. જાણીતા ‘ગુજરાતી’ પત્રના અધિપતિ સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અનેક રીતે ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરી છે. ‘કાવ્યદોહન’ના મોટા ૮ અંકો તેમણે પ્રસિદ્ધ કર્યા છે, તેમાં ગુજરાતી ને જૈન કવિઓનાં કાવ્યોનો સંગ્રહ આપ્યો છે. બીજા બે અંકો જેટલું લખાણ હસ્તલિખિતરૂપમાં એમની પાસે છે. તેમજ ‘નરસિંહ મહેતાનાં કાવ્યો’નો સંગ્રહ પણ તેમણે છાપ્યો છે. વળી વાર્ષિક ભેટનાં પુસ્તકોમાં રા. નારાયણ વસનજી ઠક્કુરકૃત નવલકથાઓ છાપી છે અને ‘દીવાળીના અંક’માં વિદ્વાન સાક્ષરોના ને સાહિત્યસેવકોના ઉપયોગી લેખો પ્રસિદ્ધ કરી સાહિત્યવૃક્ષને પોષ્યું છે. વડોદરા રાજ્યના વિદ્વાન, સાહિત્યપ્રેમી, ને ઉદાર મહારાજા સાહેબ શ્રીમન્ત ગાયકવાડ સરકારના રાજ્યમાં ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિને અપૂર્વ પોષણ મળ્યું છે. એમના સુજ્ઞ, પરોપકારશીલ, વિદ્યાપ્રેમી, દીવાન શ્રીમન્ત મણિભાઈ જસભાઈ સાહેબના સમયમાં રા. હરગોવિન્દદાસ દ્વારકાદાસ કાંટાવાળા વિદ્યાધિકારી હતા ત્યારે ‘પ્રાચીન કાવ્યમાલા’ના ૩૦ ગ્રન્થો સંશોધન ને ટિપ્પણ સાથે પ્રસિદ્ધ થયા છે, તેમાં રા.રા. છોટાલાલ નરભેરામકૃત અલંકારાદિ દર્શાવતું ટિપ્પણ સારું છે. પ્રો. ગજ્જરના અધ્યક્ષપણા નીચે ‘શ્રીસયાજીજ્ઞાનમંજૂષા’માં અનેક ઉપયોગી ગ્રન્થો પ્રસિદ્ધિ પામ્યા છે. ચોથી સાહિત્યપરિષદ વડોદરામાં મળી તે સમયે શ્રીમન્ત મહારાજા સાહેબે ગુજરાતી મરાઠી, ને હિંદી ભાષાના સાહિત્યની વૃદ્ધિને અર્થે એક લાખ રૂપિયાની મોટી રકમ અલાયદી કાઢી, તેના વ્યાજમાંથી સર મનુભાઈ જેવા વિદ્વાન ને વિદ્યાવિલાસી દીવાન સાહેબના વિદ્યાભિવૃદ્ધિ ને સાહિત્યની ઉન્નતિને માટેના પ્રેમને લીધે વિદ્યાધિકારીઓ, મિ. મસાણી, મિ. ક્લાર્ક અને રા.રા. નંદનાથ કેદારનાથ દીક્ષિત જેવા સાહિત્યપ્રેમી વિદ્વાનોના અધ્યક્ષપણા નીચે ‘શ્રીસયાજીસાહિત્યમાળા’માં ‘વિજ્ઞાન-ગુચ્છ’, ‘ચરિત્ર-ગુચ્છ’, ‘ઇતિહાસ-ગુચ્છ’, ‘વાર્તા-ગુચ્છ’, ‘ધર્મ-ગુચ્છ’, ‘નીતિ-ગુચ્છ’, ‘શિક્ષણ-ગુચ્છ’, અને ‘પ્રકીર્ણ-ગુચ્છ’ એવા ૮ ગુચ્છોમાં અનેક પુષ્પો વિકાસ પામ્યાં છે. તેમાંનાં કેટલાંક સૌરભ ને ઉપયોગિતા માટે જનમંડળમાં પ્રકાશ પામશે એ નિઃસંશય છે. એ પુસ્તકાવલીમાં ઘણાં પુસ્તકો ભાષાન્તરાત્મક છે; પરંતુ ચરિત્ર-ગુચ્છમાંના કવિઓનાં જીવનચરિત્રોમાં પુસ્તકો સારાં છે. એ ખાતામાં રા. જોશીપુરાની સેવા સ્તુત્ય છે. વિજ્ઞાન-ગુચ્છમાં રા.રા. નર્મદાશંકર દેવશંકરનું ‘સુપ્રજનનશાસ્ત્ર’નું પુસ્તક તથા રા. હીરાલાલ વ્રજભુખણદાસ શ્રોફનું રચેલું ‘સત્યાર્થમીમાંસા’નું પુસ્તક ઉત્તમ છે. આ પુસ્તકાવલી સાથે ‘શ્રી સયાજીબાળજ્ઞાનમાળા’ પણ છપાય છે, તેમાં પણ ‘પાવાગઢ’, ‘સુરત’, ‘બૌદ્ધ ગુફાઓ’, ‘મહાબળેશ્વર’ તેમજ ‘ગ્રહણ’, ‘વાતાવરણ’ જેવા ઉપયોગી વિષયો પર લઘુ પણ ઉપયોગી લેખો છે. વળી વડોદરા રાજ્યે સાક્ષર આચાર્યવર્ય આનંદશંકરભાઈ પાસે ‘નીતિશિક્ષણ’, ‘ધર્મપોથીનું પુસ્તક’ તથા રામાનુજનું ‘વેદાન્ત ભાષ્ય’એ ઉત્તમ પુસ્તકો તૈયાર કરાવી સાહિત્યમાં સંગીન અભિવૃદ્ધિ કરી છે. એ જ દિશામાં વડોદરા રાજ્યે શાસ્ત્રીજી રામકૃષ્ણ પાસે કરાવેલું ‘ નિર્ણયસિંધુ’નું ભાષાન્તર અને સ્વ. મણિલાલ ન. દ્વિવેદી પાસે કરાવેલું ‘વિવાદતાણ્ડવ’નું ભાષાન્તર એ ઉપયોગી ધર્મશાસ્ત્રના ગ્રન્થો છે. વડોદરાના શ્રીમન્નૃસિંહાચાર્યના અનુયાયીઓના શ્રેયઃસાધક-અધિકારીવર્ગ તરફથી સદ્ગત છોટાલાલ જીવણલાલના તન્ત્રીપણા નીચે પ્રગટ થતા ‘મહાકાલ’માં ઘણા ધાર્મિક, ઉપયોગી વિષયો આવતા, તેમજ ‘શ્રીસિદ્ધાન્તસિંધુ’ આદિ ગ્રન્થો પણ છપાયા છે. એ વર્ગના લેખકોમાં રા.રા. નગીનદાસ સંઘવી તેજસ્વી ભાષામાં ધર્મના વિષય પર સુંદર પ્રકાશ પાડે છે. એમનાં વ્યાખ્યાન ને લેખો સીધા, સચોટ, ને મરોડદાર છે. તેનો સંસ્કાર શ્રોતા ને વાચકના હૃદય પર ઊંડો પડે છે. એ જ માર્ગના પ્રો. કણિયા જેકીસનદાસનું ‘યોગશાસ્ત્ર’નું ગુ.વ.સો.એ કરાવેલું ભાષાન્તર ઉત્તમ છે.

ગુજરાત પુરાતત્ત્વમંદિર

આ સંસ્થા તરફથી પણ પુસ્તકો પ્રસિદ્ધિ પામવા માંડ્યાં છે ને તેમાંનાં કેટલાંક બહાર પડી ચૂકેલા ઉપયોગી છે. ‘પાલીપાઠાવલી’ ને ‘પ્રાકૃત કથાસંગ્રહ’ પ્રાકૃતભાષાના અભ્યાસકને ઉપયોગી થશે. રા.રા. રામનારાયણ વિ. પાઠકકૃત ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’ રા. કાલેલકરકૃત ‘ઉપનિષત્પાઠાવલી’ તથા ‘હિંદુઓના તહેવારોનો ઇતિહાસ’ આ પુસ્તકોની પ્રસિદ્ધિ, એ ઉપયોગી માર્ગમાં પ્રયત્ન છે ને તે આદરણીય છે. દક્ષિણી લેખકોમાં પ્રો. ભીડે ને રા. કાલેલકરના લેખો ઊંચી પ્રતિના છે.

વાચનમાળા

અંગ્રેજી ભાષામાં વિવિધ વાચનમાળા ભિન્ન ભિન્ન દૃષ્ટિથી છે. ગુજરાતી ભાષામાં દુર્ભાગ્યે સરકારી વાચનમાળા, પ્રથમ હોપકૃત ને પછી કૉવર્ન્ટનકૃત સિવાય અન્ય ગ્રન્થમાળા અત્યાર સુધી નહોતી. અમે સંપૂર્ણ ‘ત્રિવેદીવાચનમાળા’ યથાશક્તિ, યથામતિ રચી છે. ત્યાર પછી રાષ્ટ્રીય વાચનમાળાનાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે, રા. પુરુષોત્તમ મૂળશંકર ભટ્ટે ‘ભૃગુપુરઋષિનિવાસગ્રન્થાવલિ’ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન આદર્યો છે ને તેનો ખંડ ‘જ્ઞાનમંદિર’ બહાર પડ્યો છે. આવા પ્રયત્ન સરકારની કે રાજ્યની સહાયતા વિના થવા દુષ્કર છે. એમાં પ્રાથમિક કેળવણીનાં તત્ત્વનું જ્ઞાન, પરિશ્રમ, અને ચિત્રો તથા ચિત્રો માટે ખોખાં તૈયાર કરાવવાનો ખરચ એ બધી સાધનસંપત્તિની જરૂર છે. એવા પ્રયત્ન ઉત્તેજનને પાત્ર છે એની તો કોઈથી ના કહી શકાય એમ નથી. પ્રયત્નમાત્ર આરંભમાં સંપૂર્ણ હોઈ શકતા નથી. ધીમે ધીમે તેમાં જનમંડળની રુચિ પ્રમાણે સુધારા થાય છે; અને અનેક હાથે અને અનેક શિષ્ટ લેખકો પાસે તૈયાર કરાવેલી કૉવર્ન્ટનની વાચનમાળા પણ સરકારે નીમેલી ત્રણચાર કમિટીના કરેલા સુધારા અમલમાં મુકાયા પછી જ હાલની સ્થિતિએ પહોંચી છે, ને હજી પણ એમાં અનેક સુધારાની ખીચોખીચ ઠાંસીને ભરેલી હોવાથી એ પાઠો લેશ પણ માન્ય થવા પામ્યા નથી.

ભાષા: ભાષાશૈલી

મહાભાષ્યકાર પતંજલિ કહે છે કે ભગવાન્ વાર્ષ્યાયણિએ ક્રિયાના છ પ્રકારના વિકાસ દર્શાવ્યા છેઃ ઊત્પન્ન થાય છે, અસ્તિત્વ ધરાવે છે, વિપરિણામ પામે છે, વધે છે, અપક્ષય પામે છે, અને વિનાશ પામે છે. પદાર્થમાત્રના આ છ વિકાર થાય છે. ભાષામાં પણ નવીન શબ્દરૂપો ઉદ્ભવ પામે છે ને જૂનાં નષ્ટ થાય છે. જીવન્ત ભાષાઓમાં આ નિયમ હમેશ પ્રવર્તે છે. સંસ્કૃત મૃત ભાષા થઈ અને માત્ર શિષ્ટ વર્ગમાં જ જીવતી રહી ત્યારે જ ભગવાન પાણિનિ જેવા સમર્થ વૈયાકરણે તેને નિયમબદ્ધ કરી. એમને પણ ઘણાં વૈકલ્પિક રૂપો માન્ય કરવાં પડ્યાં છે. અસંસ્કારી વર્ગના જિહ્વાદોષ, ઉચ્ચારની સરળતા, આદિ કારણોને લીધે સંસ્કૃત ભાષામાં વિકાર થઈ ક્રમે ક્રમે પાલી, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ થઈ અને અપભ્રંશ ભાષામાંથી દેશી ભાષાઓ જન્મ પામી. એ વિકારો પણ ગમે તેમ મનુષ્યના સ્વચ્છંદ પ્રમાણે થયા નથી, વિકારો પણ નિયમોને અનુસરીને જ થયા છે એ લક્ષમાં રાખવાથી પ્રાકૃતનો અભ્યાસ ઘણો સુગમ થશે. સંસ્કૃતમાં સંધિનિયમોનાં કારણો શોધતાં તે પણ જડશે. બે ત્રણ દાખલાઓથી જ આ વાત સ્પષ્ટ થશે. અ+ઈ=એ; આ+ઉ=ઓ, એ સકારણ જ છે. સંધિસ્વર ‘એ’નું સ્થાન કંઠતાલુ (‘અ’નું કણ્ઠ ને ‘ઈ’નું તાલુ હોવાથી) છે; ‘ઓ’નું કણ્ઠૌષ્ટ (‘અ’નું કણ્ઠ ને ‘ઉ’નું ઓષ્ટ હોવાથી) છે. दुग्घ થઈ दुद्ध થયું; स्तम्म જેવા શબ્દોમાં એવી જ સરળતાથી स्तમાંનો એક વર્ણ લોપાઈ તે ઊષ્મ ને મહાપ્રાણ હોવાથી અલ્પપ્રાણ त् નો મહાપ્રાણ थ् થઈ थम्म થઈ ‘થાંભલેત્’ (‘લો’ લઘુતાવાચક) થયો. એ જ પ્રમાણે स्कन्ध નું खन्घ થઈ ‘ખાંધ’ થયું છે. આમ કારણો શોધતાં અભ્યાસ રસિક ને સુતર થશે. અન્ય પ્રજાના ને કોમોના સમાગમથી ગુજરાતી ભાષામાં ફારસી, અરબી, પોર્ચ્યુગીઝ, અંગ્રેજી, ને દેશ્ય શબ્દો દાખલ થયા છે. પણ ગુજરાતી ભાષાના બંધારણ પર એ વિદેશીય ભાષાની અસર થઈ નથી. ભાષાશૈલી અને શબ્દશુદ્ધિમાં કાલક્રમે ઘણો સુધારો થયો છે. અગાઉ જેટલા જોડણીના દોષ હાલ આવતા નથી. છતાં હજી પણ નીચેનાં અશુદ્ધ રૂપો ઘણા ગ્રન્થોમાં જોવામાં આવે છેઃ

અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ શુદ્ધ
પૌર્વાત્ય પૌરસ્ત્ય નર્ક નરક
કે પ્રાચ્ય પદ્વી પદવી
શ્રીયુત્ શ્રીયુત વિક્રાળ વિકરાળ
સતત્ સતત શુદ સુદ
કલેષ ક્લેશ શાશ્વત્ શાશ્વત
બુદ્ધિવાન્ બુદ્ધિમાન્ આશિર્વાદ આશીર્વાદ
નીતિવાન્, વગેરે નીતિમાન્ વગેરે સદૃઢ દૃઢ-સુદૃઢ
મિમાંસા મીમાંસા સશક્ત શક્ત
ઐક્યતા ઐકય સગવડતા સગવડ
ધૈર્યતા, વગેરે ધૈર્ય, વગેરે વિરામતા વિરામ
અદ્ભૂત અદ્ભુત દરેક વસ્તુઓ, દરેક વસ્તુ,
દ્રષ્ટાન્ત, દ્રશ્ય દૃષ્ટાન્ત, દૃશ્ય માણસો, વગેરે માણસ, વગેરે

નીચેના જેવી ભાષા હવે ઓછી લખાય છે એ ખુશીની વાત છેઃ અંગ્રેજી શૈલીનું અનુકરણઃ કૃત્રિમ રચનાઃ ‘પાત્રતા અથવા સામર્થ્ય તે છે કે જેને લીધે જ ગૃહસ્થના સ્વભાવનો માણસ હિંદુસ્તાન સાથેના સંબંધમાં તો તે એક વિજયાસક્ત વીર કરતાં વધારે કાંઈજ નહોતો.’ ‘વેશધારી વૈતાળ સમાન વિક્રાળ બનશે તો ઝાઝી વીટંબણા વેઠવા કાજે, વેશધારીનો વાવટો તે વેદનાનો વાંસડોજ, વેશધારીનાં વણતર તે સદા વિઘ્નોનાં વિંટાળા જ; વેશધારીનું વહાણું તે વરણાગીનો વિકાસ; વેશધારીનો વારસો તે વ્યથાના વ્યાજ.’

ભાષાશૈલી

ભાષાશૈલી વિષયને ઘટે તેવી, પ્રૌઢ ઘટે ત્યાં પ્રૌઢ, મૃદુ ને કોમળ ઘટે ત્યાં મૃદુ ને કોમળ, તેજસ્વી ઘટે ત્યાં તેજસ્વી પણ સર્વત્ર પ્રાસાદિક જોઈએ. વળી ભાષા એકધારી જોઈએ. સરળ ભાષા ચાલતી હોય ત્યાં વચ્ચે શબ્દાડંબર આવે તો તે હાસ્યજનક થાય છે. બંગાળી ભાષાનાં પુસ્તકોમાં એવું ઘણું જોવામાં આવે છે. બંગાળી ભાષામાં આપણી ભાષા કરતાં સંસ્કૃત શબ્દો ઘણી છૂટથી વાપરવામાં આવે છે. આપણી ભાષામાં જે સંસ્કૃત શબ્દો અપરિચિત જેવા લાગે તે બંગાળીમાં રૂઢ થઈ ગયલા હોય છે. ભાષાન્તકારો એવા શબ્દો ગુજરાતીમાં વાપરી વાચકવર્ગને ક્લેશ ઉત્પન્ન કરે છે. નવલકથાનાં જેવાં પુસ્તકોમાં એકધારી સરળ ભાષા ચાલતી હોય ત્યાં વચ્ચે ‘ઉભયકુલપ્લાવિની’ (‘કૂલ’ જોઈએ; ‘તટ’નો અર્થ છે) ‘કલાવિદ્યાપટીયસી’ ‘રમણીકુલલલામભૂતા’, ‘ઉચ્ચશિક્ષાસંજ્ઞામયી’, ‘શૈલપાદમૂલવિહારિણી’ જેવા મોટા સમાસથી ભાષા કઢંગી થાય છે; એથી કંઈ ભાષાની શોભા વધતી નથી.

વર્તમાનપત્રો ને માસિકો

વર્તમાનપત્રોને માસિકો પણ સાહિત્યની ખિલવણીમાં સારો ભાગ લે છે. અગાઉ પારસી દૈનિક પત્રો બહુ અશુદ્ધ ને ક્લિષ્ટ ભાષામાં લખાતાં. હાલ તેમાં ઘણો સુધારો થયો છે. દિન પર દિન ભાષા શુદ્ધ ને જુસ્સાદાર બનતી જાય છે. સાપ્તાહિક પત્રોમાં ‘ગુજરાતી’ અને ‘પ્રજાબંધુ’ અગ્રસ્થાન લે છે. ‘ગુજરાતી’ અનેક દિશાએ સાહિત્યને વિકસાવે છે. એના દીવાળીના અંક વાચકને બહુ ઉપયોગી વાચન પૂરું પાડે છે. દેશીરાજ્યનાં પત્રોમાં ‘સયાજીવિજય’ સારી સેવા બજાવે છે. માસિકોમાં ‘વસન્ત’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘સાહિત્ય’, ‘સમાલોચક’, ‘ગુજરાત’, ‘ગુણસુંદરી’ ને ‘યુગધર્મ’ એ અગ્રેસર માસિકો છે. એમાં ઘણા શિષ્ટ લેખ આવે છે. એક દાયકો ‘વસન્તે’ સાહિત્યની ઘણી અતુલ સેવા કરી હતી. અગાઉ જેમ ‘શાળાપત્ર’માંના લેખો માટે વિદ્વદ્વર્ગ આતુર રહેતો તેવી રીતે ‘વસન્ત’ના લેખો માટે પણ વાચકવર્ગમાં આતુરતા જોવામાં આવતી હતી. એનું માન રા. આનંદશંકરભાઈને ઘટે છે. રા. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, રા. ગિરિજાશંકર ભ. બધેકા, રા. કાન્તિલાલ છગનલાલ પંડ્યા, પ્રો. મંજુલાલ, રા. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ, રા. ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ, પ્રો. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, રા. રતિપતિરામ પંડ્યા, ભરતરામ ભાનુસુખરામ મહેતા, રા. શંભુપ્રસાદ મહેતા, રા. પ્રાણજીવન વિશ્વનાથ પાઠક, રા. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ, રા. કેશવ હ. શેઠ, રા. મણિલાલ નથુભાઈ દોશી, રા. અંબાલાલ બુલાખીરામ જાની, વગેરે લેખકોના લેખ વાંચવાલાયક હોય છે. માસિકોમાં રા. ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતાની વાર્તાઓ ઘણી ખુબીદાર હોય છે. એમાં રસિકતા, વર્ણનશૈલી, ને હાસ્યરસની છાયા – એ બધાંની ઝમાવટ ઉત્તમ હોય છે. ‘રંગભૂમિ’ નામનું ત્રિમાસિક રા. વિભાકરના અધિપતિપણા નીચે પ્રગટ થયા છે, તે સચિત્ર હોય છે ને તેમાં લેખો સારા હોય છે. કેટલાક કોમીય માસિકો નીકળે છે – ‘નાગરનેત્રમણિ’ રા ઉછરંગરાય કેશવરાયના તંત્રિત્વ નીચે સાંટાક્રૂઝમાંથી પ્રગટ થાય છે; તેમજ ‘સમસ્તદશાલાડમિત્ર’ ભરૂચમાં રા. ડાકોરદાસ નગીનલાલ ગુંદરિયા વગેરેના અધિપતિપણા નીચે નીકળે છે. બારોટો માટેનું ‘બ્રહ્મભટ્ટ’ નામનું માસિક રા. પુરુષોત્તમદાસ માતરવાળા ચલાવે છે. કોમીય લેખોના સંબંધમાં નાગરોની ઉત્પત્તિ માટેનો રા.રા. માનશંકરભાઈનો ‘નગરોત્પત્તિ’ નામનો લેખ ઉત્તમ છે. ગ્રન્થકારે એમાં ઘણું સંશોધન કરી પોતાનો પક્ષ સ્થાપિત કર્યો છે. વિરુદ્ધ મતોનું ખંડન વિદ્વત્તાપૂર્વક ને યુક્તિપુરઃસર કર્યું છે.

સાહિત્યવિચારનો ઉપસંહાર

આ પ્રમાણે ભૂત અને વર્તમાન સાહિત્યપ્રવાહ કેવો ચાલ્યો છે ને તેને કયા માર્ગમાં વાળવાની જરૂર છે તેનું દિગ્દર્શન કર્યું. એ પ્રવાહમાં જ્યાં જ્યાં સૌન્દર્ય છે, જ્યાં જ્યાં નિર્મળ જળ છે તેનું પ્રદર્શન કર્યું. એ પ્રવાહો કેટલેક સ્થળે કાંકરા અને ખાડાખૈયામાં થઈને જતા હોવાથી સૌંદર્યની સાથે વિરૂપતા પણ છે; પણ તેની સમાલોચના કરવી એ મેં પ્રમુખ તરીકેના મારા કર્તવ્યમાં ગણ્યું નથી. જે જે સુંદર છે તે દર્શાવી સાહિત્યમાર્ગમાં વિચરનારાઓનું લક્ષ તે તરફ પ્રેરવું તથા સાહિત્યપ્રવાહમાં ખેલનારાઓને યોગ્ય માર્ગે પ્રવાહ પ્રવર્તાવવાનું સૂચન કરવું એ જ પ્રમુખનું કર્તવ્ય હું સમજું છું.

'ઉત્તેજનનો અભાવ

સરકાર તરફથી તેમજ દેશી રાજ્યો તરફથી ગુજરાતી સાહિત્યને જોઈએ તેવું ઉત્તેજન મળતું નથી એમ ખેદ સાથે કહેવું પડે છે. અગાઉ ‘ડિરેક્ટર ઑવ પબ્લિક ઇન્સ્ટ્રક્શન’ પાસે થોડીક રકમ ઉત્તેજનાર્થે રહેતી હતી, તેમાંથી યોગ્ય પુસ્તકોની થોડીક નકલો ખરીદાતી ને તે શાળામાં પુસ્તકાલયોને માટે આવતી. આ રકમ બહુ નજીવું ઉત્તેજન મળતું ને તે પણ બહુધા મરાઠી પુસ્તકોને મળતું. પરંતુ હાલ તો એટલું પણ ઉત્તેજન મળતું જણાતું નથી. દેશી રાજ્યમાં પણ સર્વત્ર ઉત્તેજનફંડ હોતા નથી. આ વસ્તુસ્થિતિ સારી નથી. સરકાર તરફથી તેમજ દેશી રાજ્યો તરફથી યોગ્ય પુસ્તકોનો સત્કાર થાય તો સાહિત્યની વૃદ્ધિ કરવામાં તે સહાયભૂત થાય. પ્રતિવર્ષ ઉત્તમ લખાએલાં સ્વતન્ત્ર પુસ્તકોના કર્તાને સારું ઇનામ આપી સાહિત્યનો વિકાસ પોષે એવી યોજના એકાદ દેશી રાજ્યે ઉપાડી લેવી જોઈએ. ગુજરાતી સાહિત્યને માટે ‘નોબલ પ્રાઇઝ’-ના જેવી યોજના કોઈક દેશી રાજ્યે વ્યવસ્થિત રૂપમાં કરવી જોઈએ.

ગુર્જર સાહિત્યની દરિદ્રતા

ગુર્જર સાહિત્ય દરિદ્ર છે? ઉપર દર્શાવ્યા પ્રમાણે ફેલાએલા સાહિત્યને દરિદ્ર કહી શકાય? આપણી હાલની અપેક્ષાઓને તૃપ્ત કરતું નથી એટલું દરિદ્ર છે જ. ત્યારે એમાં શી શી ન્યૂનતા છે? એમાં– ૧. નવીન શૈલી પર રચેલાં પ્રાસાદિક મહાકાવ્યો નથી. ૨. સારા ગદ્યગ્રન્થો, જેમાં ભાષા ઉત્તરોત્તર ચઢતી હોય અને વિષયનું નિરૂપણ ઉત્તરોત્તર પ્રોઢ થતું હોય, એવા નિબંધાત્મક નીતિમય, ચરિત્રાત્મક, ઐતિહાસિક ગ્રન્થો નથી. ૩. સાહિત્યમાળાઃ પ્રેમાનંદ, નરસિંહ વગેરે કવિઓના મુખ્ય ગ્રન્થોની હસ્તલિખિત પુસ્તકોના સંશોધનને આધારે તૈયાર કરેલી, કવિના જીવનચરિત્ર અને કઠિન પદ ને પંક્તિઓ પર પ્રકાશ પાડે એવી ટિપ્પણીસમેત સરખી સરખી ને સોંઘી આવૃત્તિની ન્યૂનતા છે. ૪. કાવ્યશાસ્ત્રના પ્રમાણભૂત ગ્રંથને આધારે તૈયાર કરેલું કાવ્યશાસ્ત્રનું પુસ્તક નથી. એવા પુસ્તકની જરૂર છે. એમાં કાવ્યસ્વરૂપ, કાવ્યલક્ષણ, કાવ્યત્વનાં બીજને પોષક કારણ, લક્ષણા, વ્યંજના, રસધ્વનિઓ, ભાવ, રસાભાસ, ગુણ, દોષ, ને અલંકારનું પ્રાચીન ને અર્વાચીન ગુજરાતી કાવ્યોમાંથી એકઠા કરેલા દૃષ્ટાન્તો સાથે નિરૂપણ જોઈએ. આ બધા વિષયોના છૂટક છૂટક નાના ગ્રંથો થયા છે. કવિ નર્મદે અને કવિ સવિતાનારાયણે, દિ.બ. રણછોડભાઈએ અને યથાશક્તિ મેં પણ એ વિષયપર થોડું થોડું લખ્યું છે. રા. નાગરદાસ પટેલે ‘નવવલ્લરી’માં અલંકારની સારી ચર્ચા કરી છે. રા. છોટાલાલ નરભેરામનું રચેલું ‘રસશાસ્ત્ર’ એ દિશામાં છે. કોઈએ અલંકારના નિરૂપણમાં ‘કુવલયાનન્દકારિકા’નો આધાર લીધો છે, કોઈએ અન્ય ગ્રન્થનો પણ એક જ ઉત્તમ પ્રમાણભૂત મનાતા ‘કાવ્યપ્રકાશ’ જેવા ગ્રન્થને આધારે સમગ્ર વિષયનું દળદાર પુસ્તક રચવાની ઘણી જરૂર છે. પ. ‘ઉપનિષદ’ની આખ્યાયિકાઓનું પુસ્તક નથી. એવું પુસ્તક ઉપનિષદના રહસ્યનું ઘણું રસિક જ્ઞાન આપશે, તેમજ જાણીતા પરથી અજાણ્યા પર જવાની જે શૈલીનું પાશ્ચાત્ય શિક્ષણશાસ્ત્રના ગ્રન્થોમાં પુષ્કળ નિરૂપણ કરેલું હોય છે, એવી જ, વ્યાવહારિક દૃષ્ટાન્તોથી તાત્ત્વિક રહસ્ય વાચકના મનમાં ઉતારવાની ઉત્તમ શૈલી આપણા આકરગ્રન્થોમાં છે, તેનું વાચકને કંઈક ભાન થશે. ૬. પ્રમાણભૂત વિસ્તૃત કોશનો અભાવ છે. નર્મદ કવિને ‘નર્મકોશ’ કર્યાને ઘણાં વર્ષ થયાં, પણ સારો વિસ્તીર્ણ કોશ – જેમાં શબ્દની વ્યુત્પત્તિ સાથે તેના જુદા જુદા અર્થ પ્રાચીન કાવ્ય કે ગદ્ય ગ્રન્થોમાંથી દાખલા સાથે આપ્યા હોય એવો કોશ – હજી પ્રસિદ્ધ થયો નથી. એ દિશામાં પ્રયત્નો થયા છેઃ (અ) ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીએ સંપૂર્ણ કોશ ભાગોમાં છપાવી પોતાના જીવન પર્યન્તના સભ્યોમાં તેની નકલ વહેંચી છે. એ પ્રયત્ન રા. મણિલાલ છબારામનો છે, તે અનેક રીતે અપૂર્ણ છતાં જેવો થયો છે તેવી સ્થિતિમાં પણ સ્તુત્ય છે. એની બીજી આવૃત્તિ નીકળવાની છે એમ સંભળાય છે. એની નકલો સભ્યો સિવાય બીજાઓને મળતી નથી એ વ્યવસ્થા ઠીક નથી. (આ) રા. રાણીનાના અંગ્રેજી-ગુજરાતી કોશની પણ સુધારા સાથે બીજી આવૃત્તિ છપાવાની છે. (ઇ) ‘નર્મકોશ’ની નવી આવૃત્તિ કવિએ ભેગા કરેલા નવા શબ્દો સાથે ‘ગુજરાતી’ છાપખાનાના તન્ત્રી રા. મણિલાલ ઈચ્છારામ દેસાઈ છપાવે છે. (ઈ) રા.રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા મોટો ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ છપાવે છે. ૭. સારા ‘જ્ઞાનસંગ્રહ’નો અભાવ છે. મરાઠીમાં બહુ સારો જ્ઞાનસંગ્રહ તૈયાર થાય છે. ગુજરાતીમાં એ થયો છે? એ દિશામાં આરંભક પ્રયત્ન કરવાનું માન પારસી ગ્રન્થકાર રા.રા. રતનજી ફરામજી સેઠનાને ઘટે છે, એ અગાઉ કહ્યું છે. અંગ્રેજીનું જ્ઞાન જે વાચકવર્ગમાં નથી તેનો એવો સંગ્રહ ઘણો ઉપયોગી થશે એમાં સંશય નથી. ૮. સ્ત્રીઓ ને બાળકો માટે સારાં સંક્ષિપ્ત નીતિનો બોધ પરોક્ષ રીતે આપે એવાં પુસ્તકોની ખોટ છે. ‘સ્ત્રીબોધ’ ને ‘બાલમિત્ર’ જેવાં માસિકો નીકળે છે. તેમજ ‘સુંદરીસુબોધ’ અને બે વર્ષ થયાં સૌ. વિદ્યાગૌરી ને સૌ. શારદાગૌરી ‘મહિલામિત્ર’ નામનું ઉપયોગી પુસ્તક પ્રગટ કરે છે, તે પ્રયત્નો સ્તુત્ય છે; પરંતુ સ્ત્રીઓને ને બાળકોને લગતું સાહિત્ય હજી ખેડાવાની જરૂર છે. ૯. વિજ્ઞાનનાં પુસ્તકોની મોટી ખોટ છે. હાલની વૈજ્ઞાનિક શોધો – ‘રાન્ટ્ગન કિરણો’, ‘તાર વગર સંદેશો પહોંચાડવાની વિદ્યા’, ‘રેડિયમ’, ‘જલાન્તઃસંચારિણી નૌકા’, ‘વિમાન’ વગેરે વિષયોનાં, લોકો સમજી શકે એવાં ચિત્રો સાથે સરળતાથી સમજાય એવાં પુસ્તકોની જરૂર છે. તેમજ વધારે જ્ઞાન મેળવવા ઇચ્છનાર પુરુષો માટે વિશેષ જ્ઞાન આપે એવાં વિસ્તીર્ણ પુસ્તકોની પણ જરૂર છે.

આધુનિક પ્રવૃત્તિઓમાં સાહિત્યપરિષદની પ્રવૃત્તિને સ્થાન

બંધુઓ, આપ સર્વને વિદિત છે કે મહાત્મા ગાંધીજીએ અખિલ ભારતવર્ષમાં ગુર્જર પ્રદેશને ઉચ્ચતમ, પ્રતિષ્ઠિત સ્થાને પહોંચાડ્યો છે. તેમણે દેશમાં અનેક માર્ગમાં નવું ચેતન રેડ્યું છે ને ચિરકાળની સુસ્તી દૂર કરી નવીન જાગૃતિ પ્રેરી છે. રાજકીય ને રાષ્ટ્રીય કેળવણીને લગતી તેમની પ્રવૃત્તિને લીધે બધા દેશની નજર ગુજરાત પર છે. એ પ્રગતિની અસર સાહિત્યને ભાષા પર પણ થયા વિના રહી નથી. ભાષા સંસ્કારી ને જોમદાર તથા મરોડદાર બનવા માંડી છે. મહાત્મા પોતાના વિચાર માતૃભાષામાં દર્શાવે છે તેમજ માતૃભાષા ખિલવવામાં અભિમાન ને અભિનિવેશ ધરાવે છે. મહાત્માએ પોતે શિષ્ટ ને સરળ તેમજ તેજસ્વી ને પ્રૌઢ ભાષાનો પ્રયોગ કરી દર્શાવ્યું છે કે ભાષામાં બળ લાવવા અપરિચિત શબ્દો કે ક્લિષ્ટ રચના દાખલ કરવાની જરૂર નથી. હૃદયના અન્તર્ભાગમાંથી નીકળતા વિચારો સીધી ભાષામાં વાચકના હૃદયના અન્તર્ભાગમાં પ્રવેશી જેવો સંસ્કાર પાડે છે તેવો સંસ્કાર આડંબરી ભાષામાં આડંબરી વિચારો પાડી શકતા નથી સાહિત્યપરિષદે નવીન વાતાવરણમાંથી વિમુખ રહેવું યુક્ત નથી. તેણે કેળવણી ને સાહિત્યના વિષયમાં રચનાત્મક કાર્યક્રમ હાથમાં લેવો જોઈએ કે જનસમાજની રુચિને અનુસારે કંઈક સંગીન કાર્ય થાય.

ગુજરાત યુનિવર્સિટી

હાલમાં, હિંદુસ્તાનમાં કેળવણીની પ્રગતિ પૂર જોસમાં ચાલી રહી છે. ઉત્તરમાં ઘણે સ્થળે નવી નવી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતમાં પણ એક યુનિવર્સિટી હોવી જોઈએ એ વિચાર અત્યારે આખા ગુજરાત પ્રાન્તને તેમજ કાઠિયાવાડને સંમત હોવો જોઈએ. જ્યાં સુધી આપણી જરૂરિયાત સાધે એવી યુનિવર્સિટી નથી, ત્યાં સુધી ગુજરાતી ભાષાના વિકાસને તેમ જ આપણા જ્ઞાનનાં સર્વ અંગોને આપણી ઇચ્છાનુસાર આપણે પુષ્ટિ આપી શકીશું નહિ એ દેખીતું જ છે. અમદાવાદ એ ગુજરાત અને કાઠિયાવાડનું મધ્ય સ્થળ છે. વ્યાપારમાં, જ્ઞાનમાં ને બીજી દરેક પ્રવૃત્તિમાં તે ઘણું આગળ પડતું છે. આવી યોજનાને પાર ઉતારે એવા વિદ્વાનો તથા ધનાઢ્ય પુરુષો એમાં વસે છે. કાઠિયાવાડનાં રાજ્યો તરફથી પણ આ યોજનાને સહાયતા મળવાનો સંભવ માની શકાય; માટે એ કામને માટે બે મંડળીઓ નિમાવવી જોઈએ; ૧. ગુજરાત ને કાઠિયાવાડના મોભેદાર પુરુષોની અને ૨. બંને પ્રાન્તોના વિદ્વદ્વર્ગની. પહેલી મંડળી એ કામને માટે જોઈતી રકમ એકઠી કરે અને બીજી મંડળી તેને માટે વ્યવસ્થિત યોજના ઘડી કાઢે. આ કામ આ પરિષદ ઉપાડી લે તો તેણે ખરું રચનાત્મક કાર્ય કર્યું કહેવાય. આને માટે માત્ર ઠરાવો કરી સંતુષ્ટ થવાનું નથી. તે સત્વર ને અવશ્ય અમલમાં મુકાય એવાં પગલાં ભરાય નહિ ત્યાં સુધી સંગીન કાર્ય સિદ્ધ થયલું કહેવાય નહિ.

વડોદરા યુનિવર્સિટી

મહારાજા ગાયકવાડે પોતાના રાજ્યમાં કેળવણીના પ્રચારને માટે પગલાં ભર્યાં છે. બ્રિટિશ પ્રાન્તોમાં ફરજિયાત કેળવણી દાખલ કરવાનો વિચાર થયો તે પહેલાં મહારાજા સાહેબે પોતાના રાજ્યમાં તે દાખલ કરી હતી. વડોદરામાં ઉત્તમ પુસ્તકાલય છે. વાચનનો પ્રચાર વધારવા ફરતા પુસ્તકાલયની યોજના એ રાજ્યમાં છે, વડોદરામાં ‘કલાભવન’ જેવું વિજ્ઞાન પ્રાપ્ત કરવાનું ઉત્તમ સ્થળ છે, તેનો લાભ લેવા મુંબઈ ઇલાકાની બહારથી પણ શિષ્યો આવે છે. વડોદરાની ઇસ્પિટાલ પણ વિશાળ છે; તેમાં રેડિયમ, એક્સ-રેઈઝ, વગેરેના પ્રયોગ માટે સુંદર વ્યવસ્થા છે અને શરીરશાસ્ત્રનું ઉત્તમ જ્ઞાન આપી શકે એવા વિદ્વાન દાક્તરો છે. એ ઇસ્પિટાલનો લાભ લેવા ઘણા દર્દીઓ દૂરથી પણ આવે છે. રૂના પાકનાં મીઆગામ ને નવસારી જેવાં મોટાં સ્થળો એ રાજ્યમાં છે. એ રાજ્યમાં કચેરીમાં ને શહેરસુધરાઈખાતામાં બધું કામ દેશી ભાષામાં ચાલે છે, એ ઘણું સ્તુત્ય છે. આ પ્રમાણે યુનિવર્સિટી માટે સાધનસંપત્તિ પુષ્કળ છે, ને પરિસ્થિતિ અનુકૂળ છે. મહિસુર જેવા રાજ્યમાં પોતાની યુનિવર્સિટી છે, તો વડોદરા રાજ્ય માટે વડોદરામાં જુદી યુનિવર્સિટી હોવી ઇષ્ટ છે. મહારાજા સાહેબની સમક્ષ વ્યવસ્થિત યોજના મૂકવામાં આવે તો તેનો સત્કાર થવાનો સંભવ માની શકાય. જુદી યુનિવર્સિટીથી મહારાજા સાહેબ કેળવણીને અનેક દિશામાં જે સ્વરૂપ આપવું હશે તે આપી શકશે. વ્યાપારી કેળવણી, ઔદ્યોગિક કેળવણી, ને વિજ્ઞાનની વ્યાહારિક કેળવણી, તેમજ ખેતીની કેળવણીથી જ્ઞાનમાર્ગ સર્વદેશી થશે અને સમસ્ત પ્રજાનું શ્રેય થયે. મહારાજા સાહેબે પોતાની પ્રજાના હિતને અર્થે અનેક સારી યોજનાઓ ઘડી છે ને સંસ્થાઓ ઉઘાડી છે, તો કેળવણી જેવા અગત્યના વિષયમાં આ અગત્યનું પગલું ભરી પ્રજાનું વિશેષ કલ્યાણ તેઓ સાધશે એવી આશા આપણે રાખી શકીએ તેમાં કંઈ અજુગતું નથી. આ બે કે બેમાંથી એક યુનિવર્સિટી સ્થપાશે તો માતૃભાષા દ્વારા કેળવણી આપવાના વિષયનું એની મેળે જ નિરાકરણ થઈ જશે. એ વિષે આપણે કોઈની ભીખ માગવાની રહેશે નહિ.

સાહિત્યપરિષદનું કર્તવ્ય

સાહિત્યપરિષદ ઈ.સ. ૧૯૦૫માં મળી હતી, તેને લગભગ વીસ વર્ષ જેટલો લાંબો સમય થયો છતાં વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં પરિષદે બહુ ઉપયોગી કાર્ય કર્યું હોય એવું જણાતું નથી, એ બાબત આ સત્રમાં ખાસ વિચાર કરી કંઈક રચનાત્મક કાર્ય થાય એવી યોજના ઘડવી એ આ સત્રનું ખાસ કર્તવ્ય છે. વિદ્વાનોના પરસ્પર સંમીલનથી ઘણા લાભ થાય છે, એ નિર્વિવાદ છે; પરંતુ જ્યાંસુધી પરિષદ કંઈ સંગીન કામ કરતી નથી ત્યાંસુધી આવા સમારંભથી જનસમાજ તૃપ્ત થતો નથી. નિબંધો લખાવવાની હવે બહુ જરૂર નથી. વર્તમાનપત્રોના ખાસ અંકો તથા સારાં માસિકોમાં તેને માટે જોઈએ તેટલો અવકાશ છે. જોડણી જેવા વિષયનો પણ પરિષદથી નિર્ણય થઈ શક્યો નથી. એ વિષય ઘણો વિકટ છે ને સાક્ષરોના મતભેદને લીધે એનો નિર્ણય થઈ શકતો નથી. પરંતુ નિર્ણય કરવો જ હોય તો ન જ બની શકે એમ નથી. આ વાત મેં ‘ગુજરાતશાળાપત્ર’માં તેમજ મારા ‘બહદ્ વ્યાકરણ’માં ચર્ચી છે. ત્યાં જે માર્ગ દર્શાવ્યો છે તે માર્ગે જ નિર્ણય થઈ શકે એમ છે. વીસપચીસ વિદ્વાનોનું એક વ્યાપકમંડળ એકઠું કરવું જોઈએ. તેમાં જેમની શિષ્ટ લેખકમાં ગણના થતી હોય એવા હિંદુ, પારસી, મુસલમાન વિદ્વાનો, સારું ગુજરાતી જ્ઞાન ધરાવનાર પાદરીઓ, પ્રસિદ્ધ માસિક, સાપ્તાહિક, ને દૈનિક પત્રોના તંત્રીઓ, સરકાર તરફના ને વડોદરા ને કાઠિયાવાડના બબ્બે ત્રણ ત્રણ પ્રતિનિધિઓનું વિસ્તૃત મંડળ ભેગું થવું જોઈએ. એ મંડળ બહુમતે જે નિયમો કરે તે પરિષદે માન્ય કરવા એવો નિશ્ચય પરિષદ કરે તો કંઈ નિકાલ આવે. હિંદુ સભ્યોમાં જુદી જુદી શૈલીના હિમાયતીના પ્રતિનિધિઓ જોઈએ. હાલ તો એ વિષયમાં અરાજકતા પ્રવર્તે છે. તરુણ લેખકો કંઈ પણ વિચાર કર્યા વિના સ્વચ્છંદે–રુચે તે માર્ગે – પ્રવર્તે છે. કોઈ બધા શબ્દો, જેના ઉચ્ચારમાં હકાર સહેજ પણ સંભળાતો હોય એવા તમામ શબ્દોમાં હકાર લખે છે; કઢંગુ લખાણ કે છાપવાની મુશ્કેલીનો તેઓ વિચાર કરતા નથી. કેટલાક અર્ધજરતીય ન્યાયને અનુસરી થોડા શબ્દોમાં હકાર લખે છે ને થોડામાં નથી લખતા. કેટલાક અત્યારસુધી હ્રસ્વ ઉં લખાતો એવા સાધારણ શબ્દો – ‘લખું છું, વાંચું છું.’ જેવામાં બધા ઉકાર દીર્ઘ લખે છે. ભાષાના સ્વરૂપમાં આમ અરાજકતા ચાલવા જ દેવી ઇષ્ટ નથી. છતાં, સાક્ષરો પોતાનો મત તજવા તૈયાર ન જ હોય ને ઉપર દર્શાવ્યું તેવું મંડળ જે નિયમો બહુમતે રચે તેને અનુસરવા તત્પર ન હોય તો એ વિષય પડતો જ મૂકવો. કાલક્રમે જનમંડળની રુચિ જ અનુસરવી પડશે ને તે જ વિજયી થશે.

સ્થાયી મંડળ

ઉપર દર્શાવેલાં જેવાં કામોનો નિકાલ કરવા સાહિત્યની વૃદ્ધિને યોગ્ય માર્ગે જે ઉત્તેજન અપાવી શકે અને જેનાં કાર્ય પ્રમાણભૂત ને વજનદાર ગણાવાથી ગ્રાહ્ય જ થાય એવા સ્થાયી મંડળને સાહિત્યપરિષદે નીમવું જોઈએ. એ મંડળ નીમવાની જરૂર માન્ય થશે તો એનું બંધારણ સહેલથી નક્કી કરી શકે એવા વ્યવહારદક્ષ અને અનુભવી પુરુષો – શ્રીયુત સર પટણી અને શ્રીયુત લલ્લુભાઈ સાહેબ જેવાની સલાહ નીચે કામ કરનારા પુરુષોની અહીં ખોટ નથી. એવા સ્થાયી મંડળના બંધારણ તથા કર્તવ્ય વિષે મારી નમ્ર સૂચના નીચે પ્રમાણે છેઃ

બંધારણ

સુરત, વડોદરા, અમદાવાદ, તથા મુંબઈ જેવાં શહેરોમાં ‘સાહિત્યસભા’ કે ‘સાહિત્યસંસદ’ છે. એવે સ્થળે એ સભા કે સંસદ અનુક્રમે ૩, ૩, ૪ ને ૬ પ્રતિનિધિ સ્થાયી મંડળ માટે નીમે. એ પ્રતિનિધિઓ સભાના કે સંસદના સભ્ય હોવાની જરૂર નથી. નડિયાદ, ભરૂચ, ગોધરા ને કાઠિયાવાડમાં એવી સભા હોય તો ત્યાંથી પણ શહેરમાંથી બબ્બે પ્રતિનિધિ ને કાઠિયાવાડ પ્રાંતમાંથી ચાર પ્રતિનિધિ એ સભા નીમે. એ સ્થળોએ એવી સભા ન હોય તો અન્ય સ્થળોના પ્રતિનિધિઓનું મંડળ એ સ્થળેથી એટલા વિદ્વાનોની વરણી કરે. એવા સ્થાયી મંડળનું કામ કરવા બે મન્ત્રીઓ નીમવા. બને તો એ મન્ત્રીઓ પગારદાર નીમવા. પગાર લીધા વિના કામ કરવા ઉત્સુક પુરુષો મળી આવે તો તેમની સેવા ઉપકાર સાથ સ્વીકારવી. મંડળ ઘણુંખરું કામ મન્ત્રીના પત્રવ્યવહારથી જ કરે. વર્ષમાં જે જે પુસ્તકો પ્રસિદ્ધ થયાં હોય તેમાંનાં સારાં, નોંધ લેવાલાયક પુસ્તકો કયાં છે તે વિષે મન્ત્રીઓએ સ્થાયી મંડળના સભ્યો પાસે બહુ ટૂંકું લખાણ માંગવું અને એ લખાણની બહુમતિ પ્રમાણે મંત્રીઓએ ટૂંકા વાર્ષિક રિપોર્ટનો ખરડો તૈયાર કરી તે એ મંડળના સભ્યોમાં ફેરવવો. તેમની સૂચના થાય તો તેનો અમલ કરી એ રિપોર્ટ પ્રસિદ્ધ કરવો. પ્રતિવર્ષે એવો રિપોર્ટ પ્રસિદ્ધ થવો જોઈએ. સાહિત્યપરિષદનું નવું અધિવેશન થાય ત્યાં સુધી આ સ્થાયી મંડળ ચાલુ રહે. પછી નવું મંડળ નિમાય તે નવા સત્ર સુધી જારી રહે. સ્થાયી મંડળનું સ્થાન અમદાવાદમાં રાખવું, ત્યાં મંત્રીઓને કામ કરવા પ્રેમાભાઈ હૉલમાં કે અન્ય સ્થળે જગા મળી આવશે.

સ્થાયી મંડળનું કર્તવ્ય

૧. ઉત્તેજનને માટે ભલામણ સાહિત્યની ન્યૂનતા કઈ કઈ દિશામાં છે તે ઉપર દર્શાવ્યું છે. એ દિશામાં સાહિત્યસેવકો તરફથી પ્રયત્નો થાય તેમાંનો જે ઉત્તેજનને યોગ્ય હોય તેને ઉત્તેજન આપવા વાર્ષિક રિપોર્ટમાં ભલામણ કરવી. આવા મંડળનો મત વજનદાર ગણાશે. સરકારથી તેની ઉપેક્ષા કે તિરસ્કાર કરી શકાશે નહિ. દેશી રાજ્યો તેને માન્ય ગણશે. આથી લેખકને પોતાના કામમાં પ્રોત્સાહન મળશે. જનમંડળને પણ આવા મંડળની ભલામણવાળાં પુસ્તકો વાંચવાની ઇચ્છા થશે; વાચકવર્ગમાં સારા ગ્રન્થો તરફ અભિરુચિ ઉત્પન્ન થશે અને સાહિત્યના જ્ઞાનનો પ્રચાર વધશે. ૨. પુસ્તકપરીક્ષાકમિટી: બંધારણ કાર્યમાં ખામી સાહિત્યને સરકાર તરફથી જોઈએ તેવી મદદ મળતી નથી. સરકારના પુસ્તકપરીક્ષામંડળના બંધારણ અને કાર્યમાં ખામીઓ છે, એમાંની થોડીક નીચે દર્શાવું છું. સ્થાયી મંડળ એ તરફ સરકારનું લક્ષ ખેંચી શકે.

ઉત્તેજન માટે પુસ્તકો મોકલવાની કઢંગી પદ્ધતિ

પુસ્તકો અધિકારી તરફ મોકલવાના ગ્રન્થકારે પાળવાના નિયમો કઢંગા છે. સાધારણ રીતે પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કરાવવાનાં પુસ્તકો જે જાતની શાળામાં – પ્રાથમિક કે માધ્યમિકમાં – તે ચલાવરાવાની ગ્રન્થકારની ઇચ્છા હોય, તે શાળાના કોઈ શિક્ષકે પોતાની ભલામણ સાથે તે પુસ્તક કેળવણીખાતાના ઈન્સ્પેક્ટરને મોકલવું. પ્રતિષ્ઠિત લેખકો પોતાનાં પુસ્તક ઈન્સ્પેક્ટરને બારોબાર મોકલે તો તે સ્વીકારવાની તેને સત્તા છે; પરંતુ સાધારણ રીતે તેને શાળાના શિક્ષકની મારફતે જ તે પુસ્તક મોકલવાની ફરમાશ કરવામાં આવે છે. અગાઉ ગ્રન્થકાર પોતાનાં પુસ્તક બારોબાર ઈન્સ્પેક્ટરને કે ‘ડિરેક્ટર ઑવ પબ્લિક ઇન્સ્ટ્રક્શન’ને મોકલી શકતો હતો. હાલનો નિયમ દેખીતો જ વિચિત્ર છે. લેખકની સ્વતંત્રતા પર ખોટો પ્રતિબન્ધ છે. સારા લેખકને પોતાના પુસ્તકની ભલામણ કરાવવા અન્ય પુરુષ મારફતે પ્રયત્ન કરવો ન ગમે એ હરકોઈ સમજી શકે એવું છે. સરકારી અમલદારોના લક્ષમાં આવી આવી સાધારણ બાબત પણ કેમ ન આવી તે સમજી શકાતું નથી. મેં એ નિયમ કેવો કઢંગો છે તે દર્શાવી તે તરફ પ્રિ. પ્રાંજપેનું – કેળવણીખાતાના પ્રધાનનું – ધ્યાન ખેંચ્યું હતું; પરંતુ એમનો અંશે પદ્ધતિનો સમર્થક ને અંશે ઉડાઉ જવાબ જ મને મળ્યો હતો. વળી આ નિયમને સરકારે જોઈએ તેવી પદ્ધતિ આપી નથી. પરિણામ એવું આવ્યું છે કે મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષકોની તેમજ લોકલ બોર્ડના શિક્ષકોની એવી અરજી તેમના ઉપરી અધિકારીઓ સ્કૂલ – બોર્ડના પ્રમુખે ને ‘ડેપ્યુટિ એડ્યુકેશનલ ઈન્સ્પેકટરે’ ઈન્સ્પેક્ટરને રવાને કરવા ના પાડી છે. એક વખત એક એડ્યુકેશનલ ઈન્સ્પેક્ટરે ડિરેક્ટરને સરકારી રીતે પૂછ્યું કે તમારા નામની જે જે અરજી મારા પર આવે તે બધી તમને રવાના કરવાને હું બંધાયેલો છું કે મને જે યોગ્ય લાગે તે જ હું રવાના કરી શકું, ત્યારે ડિરેક્ટરે ઇન્સ્પેક્ટરને યોગ્ય ઉત્તર આપ્યો હતો કે તમે મારા નામની દરેક અરજી મને મોકલવાને બંધાયલા છો. તમને રુચે તેવા શેરા સાથે પણ તમારે તે મોકલવી જ જોઈએ. આ નિયમ પળાતો નથી ને ઘણા અધિકારીઓ હાથ નીચેના નોકરોની પોતાની ઉપરી અધિકારી તરફ કરેલી અરજી દબાવી રાખે છે. પ્રસંગવશાત્ આ દુર્વ્યવસ્થાની નોંધ લીધી.

બંધારણમાં ખામી

પુસ્તકપરીક્ષામંડળમાંના સભ્યો કેળવણીના અનુભવો અને સાહિત્યના જ્ઞાતા હોવા જોઈએ. અમુક અધિકારીને તે સાહિત્યનો જ્ઞાતા હોય કે ન હોય તો પણ અધિકારી રૂએજ સભ્ય નીમવો એ દેખીતું જ ઉપહાસને પાત્ર છે. જ્યાં જ્ઞાનની જરૂર હોય ત્યાં અધિકાર શું કરી શકે? પરિણામ એવું અનિષ્ટ આવે કે અધિકારીમાં સાહિત્યનું કે ભાષાનું પૂરતું જ્ઞાન ન હોય તો તે પોતાના તાબેના માણસનો અભિપ્રાય લે. અર્થાત્ સભ્ય તરીકે અધિકારીને બદલે તેના તાબાનો માણસ કામ કરે. આ બાબત પર સરકારનું લક્ષ જતું નથી તે ખેંચવું એ આવા સ્થાયી મંડળનું કામ છે.

અયોગ્ય અતિવિલંબ

પુસ્તકો પર નિર્ણય આવતાં બહુ કાળ ન વીતે માટે સરકારે ચારેક વર્ષ થયાં નવી કમિટી નીમી છે ને તેણે ત્રણ મહીનામાં ઓછામાં ઓછું એક વાર મળીને જલદી નિર્ણય કરવો એવો સરકારનો હુકમ છે. કોઈ પણ પુસ્તક પર નિર્ણય આપવામાં છ માસથી વધારે વખત ન જવો જોઈએ, ને કમિટીના વધુ મત પ્રમાણે નિર્ણય આપવો એવો પણ સરકારનો નિયમ છે. છતાં સખેદ કહેવું પડે છે કે એ બધા નિયમોની કોઈ વાર અવગણના થાય છે. નિયમ મનુષ્યમાત્રને સરખો બંધનકર્તા હોવો જોઈએ; પણ હાલ વસ્તુસ્થિતિ એવી છે કે નિયમ સાધારણ મનુષ્યને નિયામક છે, કેટલાક અધિકારીને નહિ. અધિકારી તેના પર પણ પોતાનો અધિકાર ચલાવી તેનું ઉલ્લંઘન કરી શકે છે. છ માસને બદલે વરસ થવા આવે છે કે થઈ જાય છે તો પણ પુસ્તકનો નિકાલ થતો નથી.

ઉત્તેજન નામનું જ છે

પાઠ્યપુસ્તક તરીકે મંજૂર થયેલાં પુસ્તકોને પોતાની શાળામાં ચલાવવાની શિક્ષકોને છૂટ છે; પરંતુ હાલ વર્ષ થયાં ડિરેક્ટર સાહેબે એવો નિયમ કર્યો છે કે અમુક વિભાગની બધી સરકારી હાઇસ્કૂલોમાં અમુક ધોરણોમાં સરખાં જ પુસ્તકો ચાલે. આ થવાથી કેળવણીને ને સાહિત્યને કેટલી બધી હાનિ પહોંચે છે? હેડ માસ્તરોની સ્વતંત્રતા નષ્ટ થાય છે. નબળી નિશાળને ચઢિયાતી નિશાળ સાથે ખેંચાવવું પડે છે કે ચઢિયાતી નિશાળને નીચી સ્થિતિમાં ઊતરવું પડે છે; કેમ કે એક જ જાતના પુસ્તકો બધી નિશાળોને સરખાં માફક આવી શકે જ નહિ. આ મંડળના બંધારણ ને કાર્યમાં સુધારો સૂચવવો એ સ્થાયી મંડળનું કામ હું સમજું છું. ૩. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં માતૃભાષાને સ્થાન આપણી યુનિવર્સિટીએ માતૃભાષાને યોગ્ય સ્થાન આપ્યું નથી, માત્ર એમ.એ.ના. ને બી.એ.ની પાસ પરીક્ષાના અભ્યાસક્રમમાં જ ન છૂટકે સ્થાન આપ્યું છે. બીજી ભાષાની સાથે માતૃભાષાને દરેક પરીક્ષામાં સ્થાન જોઈએ. તેને માટે બીજી ભાષાનો અભ્યાસક્રમ અંશે ઓછો કરાય કે વિદ્યાર્થીના શિર બોજો ન પડે. માતૃભાષાના સારા જ્ઞાન વગર તે પર પ્રેમવૃત્તિનો ઉદ્ભવ ને વિકાસ થયા વિના પદવીધરો પોતાના ઊંચા જ્ઞાનનું સંક્રમણ જનસમાજના પ્રાકૃત માણસોમાં કરી શકતા નથી; આથી જ્ઞાનનો પ્રચાર અટકે છે ને માતૃભાષાનો વિકાસ પણ હ્રાસ પામે છે. માતૃભાષાને સ્થાન આપવામાં વિરોધીઓ એવો વાંધો ઉઠાવે છે કે દેશી ભાષામાં યોગ્ય ને ક્રમિક સાહિત્ય નથી. ઉપર દર્શાવ્યા પ્રમાણે એ વાંધો છેક અસત્ય નથી. પણ મનુષ્યને જરૂરિયાત પડે છે એટલે કાર્ય કરવાની શક્તિ ને ઉત્સાહ ઉત્પન્ન થાય છે એ સૂત્રનું વિસ્મરણ થવું યુક્ત નથી. આ વિષય પર યુનિવર્સિટીનું લક્ષ ખેંચવું એ સ્થાયી મંડળનું કર્તવ્ય થશે. પરિષદ પણ એ બાબતનો ઠરાવ કરી શકે.

માતૃભાષામાં કેળવણી

વિદેશીય કેળવણી વિદેશી ભાષા દ્વારા આપવાની સૃષ્ટિક્રમથી વિરુદ્ધ પદ્ધતિ આપણા જ દેશમાં છે. મનુષ્યમાત્ર પોતાની માતૃભાષામાં જ વિચાર કરે છે, પર ભાષામાં કરતો નથી. આપણા દેશમાં વિપરીત પદ્ધતિ ચાલે છે. તેથી નીચે દર્શાવેલા ગેરલાભ થાય છેઃ ૧. જ્ઞાન સંગીન થતું નથી. ૨. સ્મરણશક્તિ પર નિરર્થક ભાર પડે છે. મારી હાઈસ્કૂલની નોકરી દરમ્યાન પાંચમા ધોરણમાં એડિથ થૉમ્સનકૃત ઇંગ્લંડનો ઇતિહાસ એ પાઠય પુસ્તક હતું. ધોરણ માટે એની ભાષા અઘરી પડે એમ છે. શિક્ષણ તેમજ પરીક્ષા અંગ્રેજી ભાષામાં હોવાથી મને યાદ છે કે એક શિક્ષક વિદ્યાર્થીઓ પાસે જુદા જુદા પરિચ્છેદો મોંએ જ કરાવતો અને પરિચ્છેદનું મથાળું બોલી તેમની પાસે બધો પરિચ્છેદ મોંએ બોલાવતો. વળી ‘ફયુડલ સીસ્ટમ’ વિષે શિષ્યો ગોખેલું લખી કાઢે ને ‘ફયુડલ સીસ્ટમ’ એટલે શું એમ પૂછીએ તો એ જમીનને લગતો ધારો હતો એટલું પણ જાણે નહિ એ કેવું ઉપહસનીય છે! આ પ્રમાણે વિદેશી ભાષામાં શિખવવાથી માત્ર સ્મરણશક્તિ પર જ નકામો બોજો પડે છે. ૩. સંસ્કૃત ભાષાનું જ્ઞાન માતૃભાષા દ્વારા સહેલાઈથી આપી શકાય છે. ઘણા શબ્દો બંને ભાષામાં સામાન્ય હોય છે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ શિખવાતું નથી એ શોચનીય છે. એ જો વિદ્યાર્થી બરાબર શીખ્યો હોય તો સંધિ, સમાસ, ને તદ્ધિત ને કૃત્પ્રત્યયોનું જ્ઞાન તેને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શીખવામાં ઘણું ઉપકારક થાય. એક એવો પૂર્વપક્ષ ઉઠાવવામાં આવે છે કે વિષયોનું જ્ઞાન માતૃભાષા દ્વારા આપવાથી વિદ્યાર્થીનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ઘણું નબળું થશે. પરંતુ એ પૂર્વપક્ષ ખોટો છે. માતૃભાષા દ્વારા અગાઉ કહ્યું તેમ વિષયોનું જ્ઞાન સુગમ ને સંગીન થશે, સ્મરણશક્તિ પર નકામો બોજો અટકશે, અને થોડા વખતમાં વધારે સારું જ્ઞાન મળશે. આમ કરવાથી જે સમય બચશે તેનો ઉપયોગ અંગ્રેજી ભાષાનું સંગીન જ્ઞાન આપવામાં કરી શકાશે. આથી અંગ્રેજી ભાષાના અભ્યાસને ગેરલાભ થવાને બદલે ઘણો લાભ થશે. લોકોની માગણી ઉપરથી સરકારનું લક્ષ એ તરફ ગયું છે. સંસ્કૃત ને ઇતિહાસ વિષયો માતૃભાષા દ્વારા શિખવવા મંડાયા છે. ‘સ્કૂલ-લીવિંગ પરીક્ષા’માં એ વિષયોની પરીક્ષા માતૃભાષામાં પણ લેવી એવી સરકારની ઇચ્છા છે; પણ યુનિવર્સિટીને ખરચ વધારે પડવાથી તે એ યોજના અમલમાં મૂકતી નથી. હમણાં આપણી યુનિવર્સિટી કોઈ પણ પ્રકારના સુધાર કરવા તરફ દુર્લક્ષ રહે છે. લાંબા સમયના પડેલા ચીલામાં જ પોતાનો માર્ગ લે છે, ચીલાથી સહેજ પણ બહાર નીકળવાની પ્રવૃત્તિ તેને ઇષ્ટ નથી. પ્રાથમિક શિક્ષકોની ટ્રેનિંગ સંસ્થાની દુર્દશા સરકારે એક તરફ કેળવણી ફરજિયાત કરી છે અને તેમ કરી જનમંડળ ઉપર મોટો ઉપકાર કર્યો છે ત્યારે બીજી તરફ તેણે ટ્રેનિંગ સંસ્થામાં ઘટાડો કરી કેળવાયલા શિક્ષકની સંખ્યામાં ઘટાડો કરી પ્રાથમિક કેળવણીની દુર્દશા કરી છે. સરકાર એમ માનતી જણાય છે કે ટ્રેનિંગ સંસ્થાના ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં માત્ર પહેલા વર્ષની કેળવણી જ બસ છે. અત્યાર સુધી પહેલા વર્ગમાં પાસ થયલા શિષ્યો કૉલેજ છોડી જતા રહ્યા હોય તો તે ‘ટ્રેઈન્ડ’ ગણાતા જ નહિ. બીજું ન ત્રીજું વર્ષ પસાર કર્યું હોય તે જ ‘ટ્રેઈન્ડ’ ગણાતા; અને એ જ વાસ્તવિક હતું; કારણ કે પહેલા વર્ષના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને બહુધા જે શીખી ગયા હોય તેનું પુનરાવર્તન જ કરવાનું હોય છે. અગાઉ તો સંસ્કૃત ને અક્ષરગણિત એ બે વિષયો નવા હતા; હવે તો તે પણ કાઢી નાંખ્યા છે. આવી અપૂર્ણ કેળવણી મેળવેલાને ‘ટ્રેઈન્ડ’ કહી પ્રાથમિક શાળાનું શિક્ષણ તેમને સોંપવું એ એ દેખીતું જ અનેક રીતે શિષ્યને તેમજ શિક્ષકને બંનેને હાનિકારક છે. પ્રાથમિક શાળાનાં નીચલાં ધોરણો શીખવવા સરકારને સારા કેળવાયલા શિક્ષકોની જરૂર ન હોય તો અંગ્રેજી નિશાળોમાં નીચેનાં ધોરણો શીખવવા મોટા પગાર આપી પદવીધરોને રાખવાનું શું કામ છે? બીજા ને ત્રીજા વર્ષની કેળવણી આપી તેમને પગાર આપવો સરકારને ભારે પડે છે, તો મોટા અધિકારીઓને મોટા પગાર આપવા કેમ ભારે પડતાં નથી? મોંઘવારીનો ભાર થોડા પગારવાળાને કે મોટા પગારવાળાને અસહ્ય છે? સરકારે પગાર વધારવામાં નીચેના નોકરોના પગાર વધારવાની શરૂઆત કરી ઉપલા અધિકારી સુધી જવાને બદલે વિપરીત માર્ગ લીધો છે; અને એવી મોટી ભૂલ કરી હવે પૈસાની ભીડ પડવાથી પ્રાથમિક કેળવણીનું મોટું અકલ્યાણ કર્યું છે. સંસ્કૃત, ફારસી, એ બીજી ભાષાને ને અક્ષરગણિતને અભ્યાસક્રમમાંથી કમી કરતી વખત સરકારે વિચાર કર્યો નહિ કે પચાસ વર્ષ થયાં – જ્યારથી એ સંસ્થા સ્થપાઈ ત્યારથી – એ વિષયો શીખવાય છે, તો તેને કાઢી નાંખતા પહેલાં પોતાના અધિકારી સિવાય અન્ય અનુભવી પુરુષોનો અભિપ્રાય લેવો જોઈએ. પરંતુ તે લીધો નહિ ને પ્રાથમિક શિક્ષકોની પોતાની તેમજ જનમંડળની ફરિયાદ પર લક્ષ આપ્યું નહિ ને હવે પાંચેક વર્ષને અન્તે ઠરાવ બહાર પાડી સરકારને પોતાની ભૂલ કબૂલ કરવી પડી છે કે ત્રીજું વર્ષ અગાઉ કરતાં નબળું થયું છે, તેનાં કારણોમાં સંસ્કૃત ને અક્ષરગણિતના વિષયો કમી કરવામાં આવ્યા છે એ પણ છે! સ્થાયી મંડળ સરકારની ભૂલો તરફ તેનું લક્ષ ખેંચી શકે અને એ મંડળ મેં દર્શાવેલે માર્ગે કામ કરશે તો એનું લખાણ પ્રમાણભૂત ગણાશે ને સરકારને ને યુનિવર્સિર્ટી તે માન્ય કરવું પડશે એમ હું ધારું છું.

સ્કૂલ-લીવિંગ પરીક્ષા

આ પરીક્ષાના બે વિભાગ છે; ૧. ‘મૅટ્રિક્યુલેશન’ અને ૨. ‘ફાઈનલ’. એમાંની પહેલી પરીક્ષાએ યુનિવર્સિટી – કેળવણીનું પ્રવેશદ્વાર છે ને બીજી સરકારી નોકરીનું, પહેલી પરીક્ષામાં દેશી ભાષા ને વિજ્ઞાન જેવા અગત્યના વિષયોની પરીક્ષા લેવાનું કામ યુનિવર્સિટીએ છોડી દીધું છે. તેને બદલે તે હેડ-માસ્તરોના ઉમેદવારને આપેલા પ્રમાણપત્રથી જ સંતુષ્ટ થાય છે. આ પદ્ધતિ ઘણી જ વાંધાભરેલી છે, તેનાં કારણો નીચે દર્શાવ્યાં છેઃ ૧. આ અગત્યના વિષયો બરાબર શિખવાતા નથી, ૨. ‘મૅટ્રિક્યુલેશન’માં જેટલા ઉમેદવારો હોય છે તેમાંના તૃતીયાંશ કે ચતુર્થાંશ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય છે; પરંતુ નાસીપાસ થયલા બધા ઉમેદવારોએ વિજ્ઞાન ને માતૃભાષા તથા ભૂગોળના વિષયમાં પ્રમાણપત્ર મેળવેલા હોય છે. આનો અર્થ દેખીતો એ જ છે કે હેડ-માસ્તરો એ વિષયમાં પ્રમાણપત્ર આપવામાં ઘણા ઉદાર છે. ૩. માતૃભાષાની કેળવણી ને સાહિત્યની પ્રગતિ અને પ્રસાર માટે જનમંડળ ચારે તરફથી પોકાર કરી રહ્યું છે તેવે પ્રસંગે એ ઉપયોગી વિષયના શિક્ષણ પર યુનિવર્સિટીએ દુર્ણમ રહેવું યુક્ત નથી. ૪. વિજ્ઞાનનો વિષય સરકારે છેક નીચલાં ધોરણમાં પણ દાખલ કર્યો છે. શાળાઓની પ્રયોગશાળામાં સંપૂર્ણ ને નવા પ્રકારનાં સાહિત્યો છે કે નહિ તેને માટે સરકાર પોતાના એ ખાતાના ઈન્સ્પેક્ટર મારફત તપાસ રાખે છે. આવી સ્થિતિમાં છેક ઉપલા ધોરણમાં એ વિષયના શિક્ષણ તરફ યુનિવર્સિટી આટલી બધી બેદરકાર રહે છે એ તે પોતાના કર્તવ્યમાંથી ભ્રષ્ટ થાય છે. ૫. અમુક વિષયોમાં પ્રમાણપત્રથી ચલાવી લેવું અને અમુક વિષયોની પરીક્ષા લેવી, એથી એટલું જ સિદ્ધ થાય છે કે જે વિષયોમાં તે પ્રમાણપત્ર સ્વીકારે છે. તે વિષયોને તે બીજા વિષયોથી હલકા ગણે છે. આ વાંધાભરેલી પદ્ધતિ કાઢી નાંખી એ વિષયોમાં પરીક્ષા શરૂ કરે કે શિક્ષણમાં સુધારો થાય, એ બાબત યુનિવર્સિટીના લક્ષમાં લાવવી એ આ સ્થાયી મંડળનું કર્તવ્ય છે. પરિષદ પણ આ વિષયનો ઠરાવ કરી શકે. શાળાઓના અભ્યાસક્રમમાં પણ સુધારાનો પુષ્કળ અવકાશ છે. દરેક શિષ્યે કોઈ પણ પ્રકારની શારીરિક કસરત લેવી જ જોઈએ. તે માટે એ વિષયને અભ્યાસક્રમમાં સ્થાન જોઈએ, તેમજ ગાયન જેવા વિષયને અભ્યાસક્રમમાં સ્થાન નથી તે અપાવવું, અને પરીક્ષાના પ્રશ્નપત્રને અનુસરીને શાળામાં શિક્ષણ ઘડાઈ વ્યુત્પત્તિ અને વ્યાકરણ જેવા અગત્યના વિષયોના પ્રશ્નો પૂછાતા બંધ થયાને લીધે એ વિષયના શિક્ષણનો પણ શાળાએ બહિષ્કાર કર્યો છે તે વાત સરકારના કે યુનિવર્સિટીના લક્ષમાં પણ કદાચ નહિ હોય, તે લક્ષમાં લાવવી, એ આ સ્થાયી મંડળનું કર્તવ્ય થશે. વળી કેળવણી એકદેશી છે, તેને વિવિધ દિશામાં ફેરવવાની જરૂર છે. ઔદ્યાગિક ને વૈજ્ઞાનિક કેળવણીની હાલ દેશમાં આવશ્યકતા છે – આ અને બીજા અનેક કેળવણીને ને સાહિત્યને લગતા કૂટ પ્રશ્નોનું નિરાકરણ કરવા સ્થાયી મંડળની જરૂર છે.

ઉપસંહાર

ગૃહસ્થો, આપણા સાહિત્યની પૂર્વદશાનું અને આધુનિક દશાનું તેમજ તેમાં શી શી અપેક્ષા છે તેનું અને માત્ર સંભાષણો ને વાદ કરવાને બદલે, કે નિબંધોના વાચનથી તૃપ્ત થવાને બદલે રચનાત્મક કાર્ય કેવી રીતે થઈ શકે તેનું પણ યથામતિ તમને સૂચન કર્યું. કાર્ય કરવું, પછી તે સુધરશે, દુનિયામાં માનવકૃત્યમાં સંપૂર્ણતા ક્યાંથી હોય? જૉન રસ્કિને ખરું કહ્યું છે કે મનુષ્ય યન્ત્ર જેવી સંપૂર્ણતાથી કામ કરી શકે જ નહિ. તેના હાથનાં આંગળાં યન્ત્રના જેવું અને પગ દાંતાવાળા ચક્ર જેવું ચોકસ કામ કરી શકતાં હોય તો પછી મનુષ્યત્વ નહિ, દેવત્વ છે. શારીરિક કાર્યમાં જે નિયમ પ્રવર્તે છે તે માનસિક કાર્યમાં પણ પ્રવર્તે છે. અન્તે તરુણ સાહિત્યરસિકોને બે બોલ કહેવા અવશિષ્ટ રહે છે. બંધુઓ, ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય તમારા જ હાથમાં છે. તમે એ સાહિત્યનો પ્રાણ છો, તમે જ એનો આત્મા છો. તમારા પ્રયત્ન પર જ એના શ્રેયનો ને ભાવી કલ્યાણનો બધો આધાર છે. તમારી પૂર્વના લેખકોએ જે જ્ઞાનપ્રદીપ પ્રગટાવ્યો છે તેની જ્યોતને ઝગઝગતી કરો, તેનો પ્રકાશ ચારે તરફ ફેલાવો અને સાહિત્યક્ષેત્રનો સર્વ પ્રદેશ એવો તો પ્રકાશમય બનાવો કે અન્ય સાહિત્યક્ષેત્રમાં વિચરનારને તે આદર્શભૂત થાય.

* * *