પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.

From Ekatra Wiki
Revision as of 09:42, 24 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સ્વ. રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ભાષણ |સાતમી ગુજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વ. રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ભાષણ

સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદઃ ભાવનગર
એપ્રીલ: ૧૯૨૪

સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
(ઈ.સ. ૧૮૫૭–૧૯૨૫)

‘લઘુ વ્યાકરણ’, ‘મધ્ય વ્યાકરણ’ અને ‘બૃહદ્ વ્યાકરણ’ના કર્તા તરીકે સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ગુજરાતને પરિચિત જ છે. આ વ્યાકરણપંડિતે ગુજરાતને બીજું પણ ઘણું આપ્યું છે. કાવ્યશાસ્ત્રનો એમનો અભ્યાસ પણ તલસ્પર્શી હતો. શિક્ષણ સાથેનો એમનો સંબંધ તો સમસ્ત જીવનકાલમાં વ્યાપેલો હતો. એટલે શિક્ષણક્રમમાં ઉપયોગી એવા અનેક વિષયોના ગ્રંથો એમણે ગુજરાતને આપેલા છે. ગુજરાતી ભાષાનું અવતરણ, જોડણીનો નિર્ણય, અર્વાચીન સાહિત્યનું મૂલ્યાંકન, અને પ્રાચીન સાહિત્યનું સંપાદન – આ સર્વ બાબતોમાં એમણે ઘણું કાર્ય કરેલું છે. એમના અનુગામીઓને અભ્યાસની અભિવૃદ્ધિ માટે ઉત્તેજે એવાં અનેક પ્રશ્નોનો એમણે આરંભ કરી વિસ્તૃત વિચારણા અને ચર્ચા કરી છે. સંસ્કૃત ભાષા પરનું એમનું પ્રભુત્વ એમણે સંપાદિત કરેલા ગ્રંથોમાં અને એમના અનુવાદોમાં – ખાસ કરીને ‘શાંકરભાષ્ય’ના અનુવાદમાં – આપણને સ્પષ્ટ જણાઈ આવે છે. વળી નાની સરખી ભૂલને પણ તેઓ કેવી અક્ષમ્ય ગણતા તેની સાક્ષી આજે તેમના અનેક વિદ્યમાન શિષ્યો આપશે. સાતમી સાહિત્ય પરિષદ ભાવનગર મુકામે મળે છે. ગુજરાતની નજરે કમળાશંકરભાઈની મૂર્તિ આવે છે, અને ગુજરાત તેમને એ પરિષદના પ્રમુખપદે સંસ્થાપે છે. વિવિધ વિષયોના અનેક ગ્રંથો એમણે લખેલા અને સંપાદિત કરેલા આજે ગુજરાત સમક્ષ છે. એમનું પાડિત્ય, અને એમનું ભાષાપ્રભુત્વ, એમની શિક્ષણના પ્રશ્નોની ચર્ચા અને એમની રસશાસ્ત્રમીમાંસા, એમનું તત્ત્વચિન્તન અને એમનું સંપાદન આ બધું આપણને ખાતરીપૂર્વક બતાવે છે કે આ ‘વ્યાકરણી’ ‘વસ્તુને જાણનારા’ હતા. જીવનભર ગુજરાતી સાહિત્યને અને ગુજરાતના શિક્ષણને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિ એમણે ચાલુ જ રાખી હતી અને પરિણામે ગુજરાત એમની એ પ્રવૃત્તિથી સમૃદ્ધ જ થયું છે.

ઉપોદ્‌ઘાત

शरणं करवाणि कामदं ते चरणं वाणि चराचरोपजीव्यम् । करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्व कृतार्थसार्थवाहम् ।। ‘જે સરસ્વતીદેવીના સત્રમાં ઉપાસનાર્થે આપણો સર્વ સાર્થવાહ એકત્રિત થયો છે, તે સાર્થવાહ કૃતાર્થ થાઓ એમ હું દેવીના ચરણકમળને શરણે જઈ સ્તવન કરું છું.’ સન્માનકારિણી સભાના પ્રમુખ સાહેબ તથા અન્ય સભ્યો અને સાહિત્યબંધુઓ, સન્નારીઓ અને સદ્ગૃહસ્થો! મારા તરફ પ્રેમભાવથી સાહિત્યપરિષદના સાતમા અધિવેશનનું પ્રમુખપદ મને આપવા આપે કૃપા કરી છે તેને માટે હું આપનો આભારી થયો છું ને તે મેં ઉપકાર સાથે સ્વીકાર્યું છે. પરંતુ એ સંબંધમાં મારા મનની સ્થિતિ પ્રગટ કરવાની જરૂર છે. આપની પ્રથમ વરણી સર્વથા યુક્ત હતી. પ્રિન્સિપાલ આનંદશંકરભાઈ એમના વિસ્તૃત વાચનનો, બહુદેશી અનુભવનો, તેમજ પ્રાચ્ય અને પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અધ્યયનનો આપણને સર્વને અમૂલ્ય લાભ આપત એ સર્વવિદિત અને નિર્વિવાદ છે. એમણે એ પદ સ્વીકાર્યું હોત તો સમસ્ત ગુજરાતને બેલાશક ઘણો જ આનંદ થાત. મને તો ખાસ આનંદ થાત; કારણ કે એઓ મારા પ્રિય શિષ્ય હતા અને મારી તરફ ગુરુભાવની પૂજ્ય વૃત્તિ ધરાવે છે. એમના એ પદના અસ્વીકારથી આપણે સર્વેએ એ અનન્ય લાભ ખોયો છે, એ અતિ શોચનીય છે. એમની મધુરી, આલંકારિક, અને હૃદયંગમ ભાષાનો ને પ્રૌઢ વિચારનો અદ્વિતીય લાભ પરિષદને ન મળ્યો તેથી આપણે સર્વ હતાશ થયા છીએ. એમના ના કહેવાથી આપના મંત્રીઓએ – રા. માનશંકરભાઈ અને મારા પ્રેમપાત્ર રા. રમણલાલ યાજ્ઞિકે મને તાર મૂક્યો ને તેનો ઉત્તર તારથી જ માગ્યો. ‘અમારી મુસીબત સમજીને પ્રમુખપદ સ્વીકારવાનો તાર મૂકી અમને ચિન્તામુક્ત કરો.’ એવા તારના અસરકારક શબ્દો વાંચી મારા મનની સ્થિતિ ઘણી કફોડી થઈ પડી. રાત્રિના દસનો સુમાર થયો હતો. તે સમયે મારે ત્યાં ચિ. મોહનલાલ યુનિવર્સિટીના ફેલો તરીકે ચૂંટાયા તેના આનન્દનિમિત્તે એક નાનું સ્વજનમંડળ ભેગું થયું હતું. તાર ઉઘાડતાં તો પ્રથમ મન ચિન્તાગ્રસ્ત થયું; તે ખોલ્યો ને વાંચ્યો તે સમયે સરદાર જનાર્દન વીરભદ્ર પાઠકજી મારી પાસે બેઠા હતા. તેઓ તથા તેમના ચિ. પ્રો. વ્યોમેશ પાઠકજી તથા ચિ. મોહનલાલ ને મારી પુત્રી, એ બધાં એકમત થઈ ગયાં ને બધાંએ મને આગ્રહપૂર્વક કહ્યું કે ના તો ન જ કહેવી. બધો વિચાર કરીને મેં સવારે સ્વીકારનો તાર મૂકવાનો નિશ્ચય કર્યો. હવે હું બહુધા નિવૃત્તિમય જીવન નિર્ગમન કરૂં છું. ગુ.વ. સોસાઈટી મને વ્યાખ્યાન આપવા બે વર્ષ થયાં નિમન્ત્રણ કરે છે તેની પણ એ જ કારણથી હું ના કહું છું તે તે સોસાઈટી જાણે છે. શ્રીયુત આનંદશંકરભાઈ જેવા ઉત્સાહ, બુદ્ધિ, કાર્યશક્તિ, અને સર્વદેશીય કૌશલ્યથી સંપન્ન કાર્યધુરંધરે સાહિત્યપરિષદની કાર્યધુરા બહુ જ સુગમતાથી વહન કરી હોત. તે કાર્યધુરા મારા મગજ પર પડતી જોવા હું નારાજ હતો; પરંતુ તારની ભાષા એવી હૃદયદ્રાવક હતી અને મારા પર બધા ગૃહમંડળનું ને સ્વજમંડળનું એવું દબાણ થયું કે એ તાર મૂકનારા સજ્જનોના પ્રેમપાશમાં બદ્ધ થઈ અન્તે ગુર્જરસાહિત્ય પ્રત્યે મારી ફરજ મારે અદા કરવી જોઈએ એવી બુદ્ધિથી હું આ ઉચ્ચ પદવી સ્વીકારવા અનિચ્છતો પણ આકર્ષાયો છું. મારા સમજવા પ્રમાણે આવું કામ તરુણ પુરુષોનું છે. તરુણ પુરુષો ઉત્સાહ ને કાર્યશક્તિને બળે પ્રગતિ ને વૃદ્ધિ તથા ઉત્કર્ષ સાધવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેઓ ગુજરાતી સાહિત્યની ખિલવણી ને અભિવૃદ્ધિના માર્ગો શોધવા ને યોગ્ય ઉપાયો યોજવા ઉદ્યુક્ત થશે તો સાહિત્યનો વિકાસ સર્વગામી થશે એ નિસંશય છે.

કાઠિયાવાડની ઐતિહાસિક ને પવિત્ર ભૂમિ

આપનો પ્રદેશ ઐતિહાસિક, પ્રાચીન, ને પવિત્ર છે. પ્રાચીન સુરાષ્ટ્રની, પાછળથી સૌરાષ્ટ્રની ખ્યાતિ પામેલા દેશની, સીમા વિસ્તીર્ણ હતી. તે છેક સિંધુ નદીથી દમણ લગણ ફેલાયલી હતી. હાલનું કાઠિયાવાડ એ વિસ્તૃત પ્રદેશમાં અન્તર્ગત હતું. સુરાષ્ટ્ર દેશનો અતિપ્રાચીન ગ્રંથોમાં ને તામ્રપત્રોમાં નિર્દેશ એની પ્રાચીનતા સ્પષ્ટ દર્શાવે છે. ઈ.સ.પૂ. ૮મા સૈકાના ભગવાન પાણિનિના ‘कार्तकौजपादयश्च।।’ ६/२/३७ એ સૂત્રને લગતા ગણપાઠમાં ‘कुन्तिसुराष्ट्राः’ એમ સુરાષ્ટ્રનો નિર્દેશ છે. ‘મહાભારત’માં વનપર્વમાં ૮૬મા અધ્યાયમાં ધૌમ્ય ઋષિ યુધિષ્ઠિર પાસે વિવિધ તીર્થનું વર્ણન કરે છે તેમાં સુરાષ્ટ્ર દેશનું વર્ણન છે ને તેમાંનાં પુણ્યસ્થળો, નદીઓ, તળાવો ને આશ્રમો દર્શાવ્યાં છે. એ સુરાષ્ટ્ર પ્રદેશમાં જ પ્રભાસ ને દ્વારામતી વર્ણવેલાં છે. રુદ્રદામન અને સ્કન્દગુપ્તના ગિરનારનાં ને કેટલાંક વલભીનાં તામ્રપત્રોમાં સુરાષ્ટ્રનો ઉલ્લેખ છે.

તીર્થમય પ્રદેશ

આ પ્રાચીન અને પુણ્યપ્રદેશના વિસ્તીર્ણ ક્ષેત્રમાં અવતારી દિવ્ય પુરુષ શ્રીકૃષ્ણના નિવાસથી પવિત્ર ને પ્રખ્યાત થયેલી, સપ્તમોક્ષદાયિકા નગરીમાંની એક શ્રીમતી દ્વારામતી, મહેશ્વરના જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી વિરાજિત પ્રભાસ નગરી, ને તેની સમીપનું ત્રિવેણીસંગમનું તીર્થ ભારતવર્ષનાં ભિન્ન ભિન્ન સ્થળેથી હજારો યાત્રાળુઓને પ્રતિવર્ષ આકર્ષે છે ને પાવન કરે છે. એ જ પવિત્ર પ્રદેશમાં શ્રીકૃષ્ણે પોતાના જે સહાધ્યાયીને, દ્રોણને દ્રુપદે તિરસ્કાર્યા ને વૈરભાવનું બીજ રોપ્યું તેમ, લઘુતા ન દર્શાવતાં વિલક્ષણ રીતે સન્માની દારિદ્રાવસ્થામાંથી હમેશને માટે વિમુક્ત કર્યા અને પરિણામે જેમના મુખમાંથી સાશ્ચર્ય ઉદ્ગાર નીકળ્યો કે

‘ક્યાં ગઈ મારી તૂટી ઝુંપડીઆં, કાંચન મહેલ બને રે’

એ ભક્તરાજ, સ્વાભિમાની, ને યાચનાને અવગણનાર સુદામાની સુદામાપુરી – હાલનું પોરબંદર – મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન – વિરાજમાન છે. જેમણે પોતાની દૃઢ શ્રદ્ધા ને ભક્તિના અનુપમ બળ ને પ્રભાવથી અશ્રદ્ધાળુ ને ટીખળી નાગરોને અનેક ચમત્કારો દર્શાવી ચકિત કર્યા હતા અને જેઓ ગુજરાતી ભાષાના જૈનેતર કવિઓમાં અગ્રિમ ને પ્રતિષ્ઠિત સ્થાન ભોગવે છે તે આદિ કવિ ભક્તરાજ નરસિંહ મહેતાનું જન્મસ્થાન, ભક્તોના અને વેદાન્તીઓના પદપંકજથી પવિત્ર થયલું, પ્રાચીન ને પુણ્યશાળી જૂનાગઢ એ જ વિસ્તીર્ણ સુરાષ્ટ્રપ્રદેશમાં આવેલું છે. એ જીર્ણનગરમાં પવિત્ર શીલની વેદિ પર આત્મદેહને હોમનારાં રાણકદેવી જેવાં સ્ત્રીરત્નો પેદા થયાં છે. એ જ નગરની પાસે શ્રીમન્માઘકવિએ ‘શિશુપાલવધ’ના ચોથા સર્ગમાં ભિન્ન ભિન્ન વૃત્તોમાં જેનું અલૌલિક સૌન્દર્ય વર્ણવ્યું છે એવો રૈવતક ગિરિ — ‘મહાભારત’માં જેનું ઉજ્જયન્ત નામ આપ્યું છે તે – ગિરનાર પર્વત આવેલો છે. એ પર્વતની રમ્યતા જોઈ દ્વારકાથી ઈન્દ્રપ્રસ્થ જતાં શ્રી. કૃષ્ણ વારંવાર અપૂર્વવત્ વિસ્મય પામ્યા હતા એમ વર્ણવી માઘકવિએ રમ્યતાનું લક્ષણ આપ્યું છે કે જે ક્ષણે ક્ષણે નવીન લાગે તે જ ખરું રમ્ય છે. એ પવિત્ર ગિરિ અનેક તીર્થોથી અને ઐતિહાસિક શિલાલેખોથી ભરેલો છે. આવા રમ્ય ને પુણ્યપ્રદેશમાં સાંપ્રત સમયમાં પણ શતાવધાની શીઘ્ર કવિવર, આચાર્યવર્ય શ્રીમાન ગટ્ટુલાલજી તથા શીઘ્ર કવિ શાસ્ત્રીજી શંકરલાલ તથા કવિથી કેશવરાય હરિરાય, વગેરે અનેક નરરત્નો ઉદ્ભવ પામ્યાં છે. આ પવિત્ર પ્રદેશનું ભવ્યનગર ભાવનગર માત્ર અખિલ કાઠિયાવાડને જ નહિ પરંતુ આખા મુંબઈ ઈલાકાને અલૌકિક બુદ્ધિપ્રભાવ ને ઉચ્ચતમ રાજકીય નાગરિકત્વ ને મુત્સદ્દીપણાથી શોભાવનાર સ્વર્ગસ્થ ગૌરીશંકરભાઈએ પોતાના જન્મથી અલંકૃત કર્યું હતું. એમના તેજસ્વી રાજતન્ત્રે ભાવનગરના ઉત્તરોત્તર ઉત્કર્ષનાં બીજ રોપ્યાં છે, જે કાલક્રમે શાખાપ્રશાખારૂપે સર્વત્ર પ્રસાર પામી રહ્યાં છે. એવા પ્રદેશમાં આપણે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે ભેગા થયા છીએ. બંધુઓ, પવિત્ર સ્થાનનું માહાત્મ્ય અલૌકિક છે. તેની તાત્કાલિક અસર જાદુઈ છે. પવિત્ર સ્થાનના ચમત્કારથી ગમે તેવો અશ્રદ્ધાળુ પુરુષ પણ ક્ષણ વાર પવિત્ર બને છે. બ્રહ્મગિરિના વર્ણનમાં કવિશ્રી નર્મદે ખરું કહ્યું છે કે ‘સંસાર સંધો વિસરી જવાએ, પાપી પ્રપંચો મનમાંથી જાએ; લીલા પિતાં હું નથિ રે ધરાતો, એવો તપસ્વી ગિરિ છે જ આ તો.’

કાઠિયાવાડમાં ભાવનગરનું સ્થાન

સામાન્ય આબાદી, વેપારરોજગાર, ને કેળવણીની બાબતમાં ભાવનગર કાઠિયાવાડમાં અગ્રસ્થાન ભોગવે છે. ભાવનગરની સંપત્તિ મહારાજા સાહેબ ભાવસિંહજી અને વખતસિંહજીના પરાક્રમ ને દૂરઅંદેશીપણાને આભારી છે. એ કામમાં સદ્ગત રૂપજી દેશાઈએ મંત્રી તરીકે તેમજ સરદાર તરીકે અગ્રેસર ભાગ લીધો છે. કલાભવન સ્થાપી ઔદ્યોગિક કેળવણીને પ્રસાર કરવાની યોજના પણ હાલ અહીં જ થઈ છે. સ્વ. સર ગૌરીશંકરભાઈ જેવા નાગરિકોએ તેની અભ્યુન્નતિને માટે જે બીજ રોપ્યું છે તે તેમની પછીના બાહોશ રાજ્યતન્ત્રીઓએ સારી રીતે પોષી વિસ્તાર્યું છે. હાલ એ રાજ્યનો કારભાર બહુશ્રુત, અનુભવસંપન્ન, કાર્યદક્ષ રાજ્યતન્ત્રી શ્રીમાન સર પટ્ટણી સાહેબના હાથમાં છે. એઓ સાહિત્યક્ષેત્રમાં વિશારદ ને સાહિત્યના પોષક છે. આવા તપસ્વી પ્રદેશમાં, બુદ્ધિની શીતલ જ્યોત્સ્ના જ્યાં સર્વત્ર પ્રસરી રહી છે એવા વાતાવરણમાં, આપણું કાર્ય સાધવા આપણે મળ્યા છીએ, તો એના ઉચ્ચ સંસ્કાર આપણી સાધનસંપત્તિ ખિલવશે અને આપણા પ્રયાસને સફળ કરશે એવી મારી આશા છે. બંધુઓ, આ રમ્ય નગરમાં હું ચોત્રીશ વર્ષ ઉપર અહીંની સામળદાસ કૉલેજમાં સંસ્કૃતના પ્રૉફેસર તરીકે એક વર્ષ રહ્યો હતો. તે સમયનાં પ્રિય સંસ્મરણના સંસ્કાર મારા મનમાં આજ જાગ્રત થાય છે અને હાલની અનેક દિશાની પ્રગતિ જોઈને હું અતિહર્ષમાં મગ્ન થાઉં છું.

સાહિત્ય સેવકોના સ્વર્ગવાસની નોંધ

પ્રથમ તો, હાલ થોડા જ વખત પર જે સાહિત્યસેવકોને આપણે ખોયા છે તેમને વિષે આપણો શોક પ્રદર્શિત કરવો એ આપણો ધર્મ છે. એમાંના મુખ્ય પુરુષ દીવાન બહાદુર રણછોડભાઈ છે. એમની સાહિત્યસેવા સુવિદિત છે. વૃદ્ધાવસ્થામાં પણ એમનામાં જુવાનીનો ઉત્સાહ ને કાર્યશક્તિ અવસાન પર્યંત જોવામાં આવ્યાં હતાં એ ખરેખરું પ્રશંસનીય છે. બીજો ખેદકારક શોક તનસુખરામભાઈના સ્વર્ગવાસનો છે. એમનું જીવન વ્યાધિગ્રસ્ત હતું, તેથી કોઈ વિષય પર એઓ મોટો ગ્રન્થ રચવા પામ્યા નથી. પરંતુ વેદાન્ત અને ન્યાયશાસ્ત્રનો એમનો ઊંડો અભ્યાસ, પ્રાચીન વિષયોની એમની સંશોધકવૃત્તિ, અને ભાષા અને સાહિત્યનું ગંભીર જ્ઞાન એમના માસિકોમાંના લેખોમાં સ્પષ્ટ જણાય છે. સાહિત્ય ને શાસ્ત્રના એવા અભ્યાસક વિરલ છે. એમના અકાલ સ્વર્ગવાસથી ગુજરાતી સાહિત્યના વિકાસને મોટી હાનિ થઈ છે. ત્રીજો સ્વર્ગવાસ શ્રી. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીનો થયો છે. એઓ સારા સાહિત્યસેવક ને પ્રૌઢ અભ્યાસક હતા. થોડાં વર્ષ થયાં એમનું આરોગ્ય સારું રહેતું નહોતું. લોકમાન્ય ટિળકના ‘ભગવદ્ગીતા’ના પુસ્તકનું એમનું ગુજરાતીમાં ભાષાન્તર આપણા સાહિત્યક્ષેત્રમાં એમની વિજયધ્વજા તરીકે પ્રકાશિત રહેશે. એઓની સાથે તેમજ એમના કુટુંબની સાથે મારો સંબંધ ઈ.સ. ૧૮૮૦માં મારી અમદાવાદમાં બદલી થઈ ત્યારનો હતો. અમદાવાદ હાઈસ્કૂલમાં ને એલ્ફિન્સ્ટન કૉલેજમાં એઓ મારા પ્રિય વિદ્યાર્થી હતા અને મારા તરફ એમની ઘણી પૂજ્યબુદ્ધિ હતી. ગયે વર્ષે સુરતમાં નર્મદજયન્તીના સમારંભમાં કવિશ્રી નાનાલાલભાઈના વ્યાખ્યાન સમયે સદ્ગત ઉત્તમલાલ પ્રમુખસ્થાને હતા. એઓનો નિવાસ મારે ત્યાં હતો અને પ્રાસંગિક વાતમાં એમણે મને કહ્યું હતું કે હું પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરવા ઇચ્છું છું ને એની સામગ્રી એકઠી કરું છું. મારી યોજના પૂરી થયે હું એક દિવસ તમારી સાથે એ વિષે ચર્ચા કરી સંમતિ મેળવી પુસ્તક રચવા માંડીશ. પરંતુ યમરાજાના દારુણ પ્રહારના પંજામાં એઓ સપડાઈ જવાથી આપણે એમની તરફથી એ અમૂલ્ય લાભ મેળવવો ખોયો છે એ ખેદની વાત છે. શ્રી. કૃષ્ણરાવ દીવેટિયાનો સ્વર્ગવાસ પણ શોચનીય છે. એઓ રસિક ને સંસ્કારી શૈલીમાં પ્રસંગે સાહિત્યની સેવા કરતા હતા. એમના અવસાનથી ગુજરાતી સાહિત્યે એક ખેલાડી લેખક અને મેં એક પ્રિય મિત્ર ખોયો છે. વળી આપણે, સાહિત્યસેવકો પ્રો. જેકીસનદાસ કણિયા અને શ્રી. દામુભાઈને પણ એજ અરસામાં ખોયા છે. તેમજ આપણે ત્રણ ત્રણ કવિરાજ ખોયા છે – રા. કાન્ત, રા. મસ્ત, અને રા. નથુરામ. ત્રણે મોટા કવિ હતા. કાન્તની સાહિત્યસેવા વિવિધ હતી. સદ્ગત ચીમનલાલ દલાલના સ્વર્ગવાસથી જૂની ગુજરાતી ભાષાના સાહિત્ય પર સારો પ્રકાશ પાડનાર એક અમૂલ્ય રત્ન આપણે ખોયું છે. છેલ્લો સ્વર્ગવાસ જેની નોંધ લેવાની જરૂર છે તે શ્રી. મનસુખલાલ રવજીનો છે. રાજકીય બાબતની ચર્ચા સાથે એઓ જૈન સાહિત્યના વિકાસમાં પણ સારો ભાગ લેતા હતા. એ બધા જીવાત્માને શ્રદ્ધાંજલિ અર્પવી ને ઈશ્વર એમના આત્માને શાન્તિ અર્પે એવી પ્રાર્થના કરવી એ જ આપણું અવશિષ્ટ કર્તવ્ય રહે છે. બન્ધુઓ, આપની સમક્ષ પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી ગુર્જર સાહિત્યવાટિકામાં જે જે રમ્ય વૃક્ષો ને લતાઓ ઉદ્ભવેલાં છે તેમાંનાં મુખ્યનો નિર્દેશ કરવા તથા તેમાંનાં કેટલાંક સુગંધી પુષ્પોનો સુવાસ પમરાવવા હું ઇચ્છું છું. વાડીમાં નીંદવા જેવું ઘાસ પણ હોય છે તેમજ ગુલાબ જેવા સુંદર છોડોમાં પણ કાંટા હોય છે. હું આપની સમક્ષ રમ્ય વૃક્ષો ને પુષ્પોનું જ દર્શન કરીશ. પછી આધુનિક સમયના આરંભના બ્રિટિશ રાજ્યની સ્થાપનાથી સર્વત્ર સલાહશાંતિના પ્રસાદથી આપણા જનસમાજમાં તેમજ સાહિત્યમાં અનેક દિશામાં પ્રગતિ થઈ જે લાભાલાભ થયા છે તે તરફ, તેમજ પ્રાચીન અને નવીન પ્રવૃત્તિઓની તુલના કરી દેશકાલાનુસારે શું યુક્ત છે તે તરફ આપનું લક્ષ ખેંચીશ. આધુનિક સમયમાં કાવ્ય, નાટક, નવલકથા, જીવનચરિત્ર, ઇતિહાસ ને વિજ્ઞાનના સાહિત્યમાં કેવી પ્રવૃત્તિ થઈ છે, કેવી થાય છે, ને કેવી ઇષ્ટ છે, તેનું દિગ્દર્શન કરાવીશ. પારસી ને મુસલમાન લેખકોએ, સ્ત્રીલેખકોએ, તેમજ દૈનિક ને માસિક પાત્રોએ કેવી સાહિત્યસેવા બજાવી છે ને બજાવે છે તે પણ આપના મોં આગળ મૂકીશ. વળી જે જે સંસ્થાઓ સાહિત્યને ખિલવે છે તેનાં કરેલાં કામોની નોંધ કરી કર્તવ્યમાર્ગ સૂચવીશ. છેવટે, સાહિત્યષરિષદના સ્થાયી મંડળની આવશ્યકતા સ્થાપિત કરીશ તેમજ એ મંડળના બંધારણ ને કર્તવ્ય વિષે મારા વિચાર દર્શાવીશ.

ગુર્જર સાહિત્યના ચાર કાળ

પદ્ય એ સાહિત્યનું કર્ણપ્રિય, મધુર અને સ્મરણશક્તિને વિશેષ સુગમ એવું અંગ હોવાથી સર્વ ભાષાના સાહિત્યમાં તેનો વિકાસ ગદ્ય કરતાં વહેલો થાય છે. ગુજરાતી ભાષામાં પણ એજ સત્ય પ્રવર્ત્યું છે. સ્થૂલ દૃષ્ટિએ નિહાળતી આપણા પદ્ય સાહિત્યના ચાર કાળ થઈ શકે છેઃ ૧. પ્રાકૃત કાળ; ૨. આદિ કાળ; ૩. મધ્ય કાળ; ૪. અર્વાચીન કાળ. પ્રાકૃત કાળમાં અપભ્રંશમાંથી નીકળેલી પ્રાચીન ગુજરાતીમાં લખાયલાં કાવ્યોનો સમાવેશ થાય છે. એ વર્ગમાં પદ્યનાભ કવિકૃત ‘કાન્હડદે પ્રબન્ધ’ તથા ભાલણકૃત ‘કાદમ્બરી’ ને ભીમકવિકૃત ‘હરિલીલાસોળકળા’, શ્રીધર વ્યાસકૃત ‘રણમલ્લછંદ’ તથા કર્મણમંત્રિકૃત ‘સીતાહરણ’, ઉપાધ્યાય મેરુસુંદરનું ‘પુષ્પમાલ પ્રકરણ’, તેમજ જૈનોના રાસાઓ એટલે પદ્યબદ્ધ કથાઓ – ઈ.સ.ના ૧૨મા સૈકામાં રચાયલા ‘સપ્તક્ષેત્રી રાસ’ તથા નરસિંહ મહેતાના સમયની કંઈક પૂર્વે રચાયલો શ્રીવિજયભદ્ર મુનિનો ‘શ્રીગૌતમરાસ’ વગેરે અન્તર્ગત થાય છે. આ પ્રાચીન ગુજરાતી ભાષા અપભ્રંશમાંથી નીકળેલી છે. અપભ્રંશના નિયમો સિદ્ધ હેમચંદ્રે પોતાના વ્યાકરણમાં દર્શાવ્યા છે તેમજ તેનાં ઉદાહરણપદ્યો પણ આપ્યાં છે. વળી લક્ષ્મીધરના ‘षड्माषाचन्द्रिका’માં, ‘रूपावतार’માં, તેમજ માર્કણ્ડેયના ‘प्राकृतसर्वस्व’માં પણ અપભ્રંશનું વિવેચન છે. અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષા, એ ભાષાના વિકાસની શાસ્ત્રીય શોધ કરનારને બહુ ઉપયોગી છે. સામાન્ય વાચકવર્ગને તે સમજવી અધરી પડે છે.

'પ્રાચીન કાળ

આ પ્રાચીન કાળથી જૈનોએ ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે. ઈ.સ.ના ૧૨મા સૈકાના ‘જંબુસ્વામીરાસ’થી ઈ.સ.ના ૧૮મા સૈકાના ‘અશોકરોહિણી’, ‘હરિબાળલચ્છી’ અને ‘શત્રુંજય રાસા’ આદિ રાસાઓ તેમણે રચ્યા છે એટલું જ નહિ, પણ રા. જગજીવનદાસ મોદીએ પ્રકાશિત કરેલી ગદ્યમય ‘વૈતાલપચીસી’ તેમજ ‘ શ્રીવસ્તુપાલતીર્થયાત્રાવર્ણન’, ‘ઉજ્જયન્તમહાતીર્થકલ્પ’ આદિ ગદ્યગ્રંથો પણ રચ્યા છે. એ ગ્રંથો ‘ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાળા’ના ૧૩મા ગ્રન્થ ‘પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ’ના ગદ્યસંગ્રહમાં પ્રસિદ્ધિ પામ્યા છે. એમાંના ‘પૃથ્વીચન્દ્રચરિત્ર’માં ૮૪ ચૌટાં, ૭૨ કળા, ને ૬૪ વિજ્ઞાન વર્ણવ્યાં છે. ઈ.સ.ના ૧૫મા સૈકામાં ઉપાધ્યાય મેરુસુંદરે ‘પુષ્પમાળ પ્રકરણ’ રચ્યું છે, તેમાંથી કવિ નર્મદે ‘નર્મકોશ’ની પ્રસ્તાવનામાં ઉલ્લેખ આપ્યો છે, તેમાં તે સમયની ભાષાનું સ્વરૂપ જણાય છે.

રાસાની ભાષાજૈનોના રાસા છેક ઈ.સ.ના ૧૮મા સૈકા સુધીના છે. એ રાસાઓમાં જે ભાષા જોવામાં આવે છે તે જ ભાષા છેક ૧૮મા સૈકા સુધી તે સમયના લોકોમાં પ્રચલિત હતી એમ તો કહી શકાશે નહિ. વસ્તુસ્થિતિ એવી જણાય છે કે જૈન ગ્રન્થકારોને પ્રાકૃત ભાષાનો વિશેષ અભ્યાસ હોવાથી તેમજ તેમનાં સૂત્રો – શાસ્ત્રીયગ્રન્થો માગધી કે અર્દ્ધમાગધીમાં લખેલા હોવાથી એ ભાષાની અસર તેમના પર થાય એ સ્વાભાવિક છે. બ્રાહ્મણોમાં જેમ સંસ્કૃતમાં લખનાર વિશેષ કીર્તિ પામતો તેમ જૈનોમાં પ્રાકૃતમાં લખનાર અધિક સન્માન પ્રાપ્ત કરતો. આથી જૈન લેખકોએ જનમંડળમાં ચાલતી ભાષામાં લખવાને બદલે પ્રાકૃતમિશ્ર ભાષામાં લખવાનું જારી રાખ્યું. આથી જ છેક ૧૮મા સૈકામાં રચેલા જૈનગ્રન્થોની ને બ્રાહ્મણગ્રન્થોની ભાષામાં ફેરફાર છે.