પ્રવીણસિંહ ચાવડા/સંપાદકનો પરિચય

સંપાદકનો પરિચય

નરેશ શુક્લનો જન્મ તા. ૧૨ ઑક્ટોબર ૧૯૭૨ના રોજ ધનાળા, તા. હળવદ ખાતે થયો હતો. માતા રસિલાબેન અને પિતા રવિશંકર શુક્લ, પ્રાથમિક શિક્ષણ ધનાળામાં જ લીધા પછી હાઇસ્કૂલ શિક્ષણ સુરેન્દ્રનગર ખાતે લીધું. ચિત્ર દોરવામાં બાળપણથી રસ હોવાથી ‘આર્ટ ટીચર્સ ઇન ડિપ્લોમા’ કર્યા પછી પરિવાર સાથે ગાંધીનગરમાં નિવાસ કરવાનું શક્ય બન્યું. ઉચ્ચ શિક્ષણ ગાંધીનગરમાં અને પછી ભાષાભવન ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પણ ત્યાંથી મેળવી. સાહિત્ય, ચિત્ર, ફોટોગ્રાફી, અવકાશ વિજ્ઞાન – એ એમના મનગમતા વિષયો છે. સ્નાતક કક્ષાએ જ વાર્તાલેખનનો આરંભ કરેલો. એમ.એ. દરમિયાન એમાં દૃઢતા આવી ને ‘ખેવના’ જેવા સામયિકમાં વાર્તાઓ પ્રગટ થઈ. સમાંતરે સમીક્ષાલેખો પણ ‘પરબ’ અને ‘શબ્દસૃષ્ટિ’ જેવા અગ્રણી સામયિકોમાં પ્રકાશિત થવાનો આરંભ થઈ ગયેલો. અભ્યાસકાળમાં જ મિત્રોના સહયોગથી ‘પછાડ’ નામે સાહિત્યિક આંદોલનો જગવતું સામયિક શરૂ કરેલું, હાલ, ‘સાહિત્યસેતુ’ નામે ઇ-જર્નલના મુખ્ય સંપાદક તરીકે સક્રિય છે. એમ.એ. પૂર્ણ કર્યા પછી તરત જ ખંડ સમયના અધ્યાપક તરીકે કારકીર્દિની શરૂઆત કરેલી. ગાંધીનગરની સમર્પણ આટ્‌ર્સ કૉલેજ અને સોલા ખાતે આવેલ મહિલા કૉલેજમાં અધ્યાપન કર્યા પછી જી.પી.એસ.સી.ની શિક્ષણ સેવા વર્ગ-II તરીકે સરકારી સેવામાં જોડાયા. રાજ્યની વિવિધ કૉલેજમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અધ્યાપન કરતા ઈ.સ. ૨૦૧૩થી ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે હાલ ફરજ બજાવી રહ્યા છે. સર્જનાત્મક લેખનમાં વાર્તાઓનો સંગ્રહ ‘ન કહેવાયેલી વાર્તાઓ’, ‘ડાંગ ડાયરી’ અને ‘જેનાથી સર્જાયો...’ નામે સ્મૃતિકથા પ્રકાશિત છે. વિવેચનગ્રંથોમાં ‘ગુજરાતી દીર્ઘ નવલિકાઓ’, ‘શબ્દપલ્લવ’, ‘ગ્રંથપલ્લવ, ‘પરિચાયિકા’, ‘સુભાષ શાહના એકાંકીઓ’, ‘સાહિત્ય અને લોકપ્રિયતા’ (અન્ય સાથે), ‘સાહિત્ય : માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ઇતિહાસ સંદર્ભે’, ‘સંશોધનશાસ્ત્ર અને સાહિત્યિક સંશોધન’ જાણીતા છે, આ ઉપરાંત ‘અસ્મિતાપર્વ’ ભાગ-૧થી ૧૦ના સહસંપાદક, ‘ભગવતીકુમાર શર્માની ચૂંટેલી ગઝલ’, ‘કિશોરસિંહ સોલંકી : શબ્દ અને સર્જક’ નામે (અન્ય સાથે) સંપાદનો એમના બોલે છે.